12 September, 2012

“જો કભી નહીં જાતી, વો જાતિ હૈ”


યુપીએ સરકારે ચોમાસું સત્ર પૂર્ણ થવાનું હતું ત્યારે અનુસુચિત જાતિ અને જનજાતિ માટે સરકારી નોકરીમાં બઢતીમાં અનામત રાખવા અંગે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. પરંતુ કોલસાની ખાણોની ફાળવણી મુદ્દે વિપક્ષ સંસદ ચાલવા દેતો નહીં હોવાથી આ પ્રસ્તાવની ચર્ચા હવે શિયાળુ સત્રમાં થવાની ધારણા છે. આમ તો કેન્દ્ર સરકાર અનુસુચિત જાતિ અને જનજાતિઓના વિકાસ માટે અગાઉ પણ ચાર બંધારણીય સુધારા કરી ચૂકી છે. પરંતુ સર્વોચ્ચ અદાલતમાં આ ચારેય સુધારાને એમ કહીને પડકારવામાં આવ્યા હતા કે, આ પ્રકારના બંધારણીય ફેરફારોથી બંધારણના મૂળભૂત માળખાનો ભંગ થાય છે. વર્ષ 1992માં સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહની કેસમાં ચુકાદો આપતી વખતે બઢતીમાં અનામતના લાભને બંધારણ વિરોધી ગણાવ્યો હતો. આમ છતાં, દેશની તત્કાલીન સ્થતિને ધ્યાનમાં લઈને આ પ્રકારની અનામતને પાંચ વર્ષ સુધી અમલી રાખવાની છૂટ આપી હતી. પરંતુ વર્ષ 1995માં સરકારે 77મો બંધારણીય સુધારો કરીને બઢતીમાં અનામતને ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ વર્ષ 2006માં નાગરાજ કેસમાં અનામતને પડકારાતા સર્વોચ્ચ અદાલતે પછાતપણું, અપૂરતું પ્રતિનિધિત્વ અને વહીવટી તંત્રની ક્ષમતા જોખમાય નહીં એ ત્રણ મુદ્દાને ધ્યાનમાં રાખીને બઢતીમાં અનામત ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

જોકે, દેશમાં વ્યાપક સ્તરે તકોની અસમાન વહેંચણી હોય અને બંધારણ તમામ નાગરિકોને સમાન ગણતું હોય ત્યારે સરકાર પછાત લોકોને વિકસિત વર્ગ નજીક લાવવાની કોશિષ કરે તે સંપૂર્ણ બંધારણીય પગલું જ છે. પરંતુ મોટે ભાગે બને છે તેમ ‘અનામત’ શબ્દ સાંભળીને જ સવર્ણો ઉછળી પડે છે અને બીજી તરફ, મતબેંકનું રાજકારણ ખેલતા મોટા ભાગના પક્ષો અનામત જેવા ગંભીર મુદ્દાને પણ રાજકીય ગણતરીઓ કરીને આગળ વધારે છે. પરિણામે આટલા આટલા ગંભીર મુદ્દાની વ્યાપક પરિપ્રેક્ષ્યમાં છણાવટ થઈ શકતી નથી. દેશ-સમાજને ગમે તેવું નુકસાન થતું હોય તો પણ મતદારોને નારાજ કરવાનું રાજકારણીઓને ગમતું નથી. ખરેખર, આ સ્થિતિ રાજકારણીઓ કરતા પ્રજા માટે વધુ શરમજનક ગણાવી જોઈએ. પ્રજા જ જ્ઞાતિપ્રથા કે જાતિવાદમાં રચીપચી રહે છે અને રાજકારણીઓ તેનો બખૂબી લાભ લઈ રહ્યા છે. દેશની પ્રવર્તમાન સ્થિતિ જોતા લાગે છે કે, ભારતમાંથી ક્યારેય અનામત નાબૂદી શક્ય નહીં બને. આઝાદી વખતના અને અત્યારના સરેરાશ ભારતીયની માનસિકતામાં આશ્ચર્યજનક રીતે કોઈ ફર્ક નથી પડ્યો. કદાચ એટલે જ એકવાર રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે, “જો કભી નહીં જાતી, વો જાતિ હૈ.”

સંસદમાં ચોથી સપ્ટેમ્બરે બઢતીમાં અનાતનો વિરોધ કરી રહેલા સાંસદો 

બઢતીમાં અનામતનો સ્વભાવિક રીતે સવર્ણો અને અન્ય સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત સમાજવાદી પક્ષે પણ બઢતીમાં અનામતનો વિરોધ કરતા કહ્યું છે કે, દલિતોને બઢતીમાં અનામતનો લાભ આપવાથી પછાતો વધુ પાછળ જશે. સમાજવાદી પક્ષ પછાત જાતિનો પક્ષ છે અને તેમને એવું લાગે છે કે, આ પ્રકારના બંધારણીય ફેરફારોથી તેમને નુકસાન થશે. બીજી તરફ, માયાવતીના બહુજન સમાજ પક્ષે બઢતીમાં અનામતને ટેકો આપ્યો છે. કારણ કે, તે દલિતોનો પક્ષ છે. અહીં નોંધવું જોઈએ કે, આજે દેશમાં દલિતોનું નેતૃત્વ નહીંવત છે અને બહુજન સમાજ પક્ષ જેવા ગણ્યાગાંઠ્યા પક્ષો જ દલિતોનું રાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રતિનિધિત્વ કરે છે. કમનસીબે, પછાત જાતિઓનું પ્રતિનિધિત્વ કરતા પક્ષો આ પ્રકારના બંધારણીય ફેરફારો થાય તો પણ રાજકીય લાભ ખાટી લેવા માંગે છે. પછાત વર્ગોની ઈચ્છા છે કે, એકવાર આ દરખાસ્ત મંજૂર થઈ જાય તો પછાતોને પણ બઢતીમાં અનામત માટેનો માર્ગ મોકળો થઈ જશે. પરંતુ હાલ તો સમાજવાદી પક્ષનું અનામતમાં બઢતી મુદ્દે અક્કડ વલણ છે. તેથી કેટલાક લોકો માને છે કે, આ ખરડો પણ મહિલા અનામતની જેમ રાજકીય પ્રતિસ્પર્ધામાં અટવાઈ જશે.

‘બઢતીમાં અનામત’ જેવો શબ્દ સાંભળતા જ મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. જેમ કે, નોકરી માટે અનામતની જોગવાઈ છે તો બઢતીમાં પણ અનામત કેમ? કોઈ વ્યક્તિની યોગ્યતા અને કૌશલ્યને નજરઅંદાજ કરીને દલિતને બઢતી અપાશે? મહેનત, ફરજનિષ્ઠતા અને મેરિટનું શું? આ વાતનો જવાબ આપતા નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઈબના અધ્યક્ષ પી.એલ. પૂનિયા કહે છે કે, “દલિતો કે આદિવાસીઓને તેમના દેખાવના આધારે જ બઢતી અપાશે. પરંતુ સમાજવાદી પક્ષ એસ.સી. કે એસ.ટી.ને બહુ બધા લાભ મળી જશે એવા જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યો છે. યોગ્ય દેખાવ નહીં કરતા અને અયોગ્ય કર્મચારીઓને બઢતી નહીં આપવામાં આવે. આ નીતિથી ફક્ત સમાજના એક વર્ગને લાભ મળશે જેમને અગાઉ કોઈ લાભ નથી મળ્યા. જો દલિતો અને આદિવાસીનો પહેલેથી જ સમાન તકો મળતી હોત તો, હું એ પહેલી વ્યક્તિ હોત કે જેણે આવી અનામત માટે ના પાડી દીધી હોત. પરંતુ આજે અમે જમીન પણ રાખી શકતા નથી. જો ભારતમાં જાતિ આધારિત સમાજ વ્યવસ્થા અટકી જાય અને અસ્પૃશ્યતા પણ ન હોય તો અનામતની જરૂર નથી. પરંતુ જ્યાં સુધી આવી સ્થિતિ છે ત્યાં સુધી ખાસ લાભ મળવા જોઈએ.”

બઢતીમાં અનામતનો વિરોધ કરી રહેલા લોકો મુખ્યત્વે મેરિટ, બઢતીમાં અન્યાય, જાતિવાદને આડકતરું પ્રોત્સાહન અને પરિણામે સમાજમાં વૈમનસ્યમાં વધારો જેવા મુદ્દા આગળ ધરી રહ્યા છે. જોકે, આ તમામ મુદ્દામાં થોડા ઘણાં અંશે વજૂદ રહેલું છે. કારણ કે, પી.એલ. પૂનિયા કહે છે તેમ દલિતો કે આદિવાસીઓને ભલે દેખાવના આધારે બઢતી આપવામાં આવે પરંતુ તેમના જેટલું જ કે તેમનાથી વધુ કૌશલ્ય ધરાવતા સહકર્મચારીઓ આ વાત ક્યારેય સ્વીકારી નહીં શકે. આવા કારણોસર ધીમે ધીમે સમાજમાં સવર્ણો અને દલિતો વચ્ચેના વૈમનસ્યમાં વધારો થશે. ખરેખર અનામતનો હેતુ સમાજના દરેક વર્ગને સમાન તક આપીને સંતુલિત વિકાસ સાધવાનો હતો.

બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું હતું કે, આમ કરવાથી જાતિવાદનો ભેદભાવ દૂર થઈ જશે. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, અનામતે જાતિવાદને પ્રોત્સાહન મળ્યું છે અને કમનસીબે જાતિવાદી રાજકારણ પણ આપણા લમણે લખાઈ ગયું છે. આજે ગુર્જરો, રાજપૂતો સહિતના લોકો દલિતોની જેમ અનામતની માંગ કરી રહ્યા છે. બંધારણના ઘડવૈયાઓ પણ માનતા હતા કે, જાતિભેદને નાબૂદ કરવા માટે તમામ પ્રકારનાં અનામતને ધીમે ધીમે હટાવી દેવા જોઈએ. પરંતુ મતબેંકના રાજકારણમાં આઝાદી પછીના આટલા વર્ષોમાં તે શક્ય નથી બની શક્યું અને ઊલટાનો અનામતનો વ્યાપ વધારાઈ રહ્યો છે. 

બઢતીમાં અનામતની તરફેણ કરતા લોકો એમ પણ કહે છે કે, દલિતો ક્યારેય ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શકતા નથી અને પરિણામે સમાજમાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે. તેથી બઢતીમાં અનામતપ્રથા લાગુ કરવી જોઈએ. પરંતુ નિષ્ણાતોનો તર્ક છે કે, ઉંમરમાં છૂટછાટ હોવાના કારણે દલિતો અન્ય લોકો કરતા નોકરીમાં મોડા આવે છે. તેથી તેમનો નોકરીનો કાર્યકાળ અન્ય અધિકારીઓની સરખામણીમાં ઓછા હોય છે, અને તેથી તેઓ ઉચ્ચ હોદ્દા પર પહોંચી નથી શકતા. ખેર, ભારતમાં અનામત પ્રથાના કારણે અત્યંત જટિલ પ્રશ્નો સર્જાયા છે. ઓ.પી. શુક્લ નામના એક સામાજિક કાર્યકર્તાએ સર્વોચ્ચ અદાલતમાં અનુસુચિત જાતિ અને જનજાતિઓની યાદીમાંથી કેટલાક દલિત સમુદાયોને જ રદ કરવાની માંગણી કરી હતી. તેમની દલીલ છે કે, દલિતો માટેની અનામત બેઠકોના નવ્વાણું ટકા બેઠકો ફક્ત દસેક દલિત કોમો પાસે છે. જ્યારે બાકીની 1,500થી પણ વધુ દલિત કોમોના ફાળે માત્ર એક ટકો બેઠકો છે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, રાજકીય, શૈક્ષણિક અને નોકરીની અનામતોના લાભ નાનકડા વર્ગ પૂરતા મર્યાદિત છે, અને સમગ્ર દલિત કે આદિવાસી સમાજને તેના લાભ મળ્યા નથી. ગુજરાતમાં પણ દલિતોમાં નીચામાં નીચા ગણાતા 35 લાખ દલિતો એવા છે કે જેમને અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળ્યું જ નથી. વળી, એક આરટીઆઈમાં બહાર આવ્યું છે કે, ગુજરાતમાં દલિતોની 13 બેઠક પર ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓએ નીચી ગણાતી દલિત કોમના મુદ્દા ઉઠાવ્યા જ નથી. આદિવાસી સમાજની સ્થિતિ પણ કંઈક આવી જ છે. આદિવાસીઓની ઉચ્ચ ગણાતી પાંચેક જાતિઓને જ અનામતના લાભ મળ્યાં છે. તેથી આજના સંજોગોમાં સૌથી મહત્ત્વનું છે, અનામત પ્રથાને બને તેટલી ન્યાયસંગત બનાવવાનો પ્રયાસ કરવો.

અગાઉ પણ અનેકવાર કહેવાયું છે કે, ભારતમાં અનામતને ન્યાયસંગત બનાવવાનો સૌથી આદર્શ વિકલ્પ જ્ઞાતિ સ્તરે અનામત પાછી ખેંચી લઈને કૌટુંબિક સ્તરે અનામત આપવાનો છે. કેન્દ્રીય સ્તરે કાર્યરત પછાતવર્ગોના અનેક મંડળોએ પણ આ સિદ્ધાંત અપનાવ્યો છે અને તે લગભગ સ્વીકૃત પણ બન્યો છે. જેમ કે, જેની પાસે સારું ઘર છે, સાક્ષર છે અને નોકરી છે તેઓ અનુસુચિત જાતિ કે જનજાતિના હોવા છતાં તેમને અનામતના લાભ લેતા રોકી શકાય છે. એવી જ રીતે કોઈ અનામત વર્ગનો વિદ્યાર્થી સારા ગુણ લાવે તો તેનો પ્રવેશ જનરલ કેટેગરીમાં ગણીને વધુ પછાત અને ઓછા ગુણવાળા વિદ્યાર્થીને અનામતનો લાભ આપી શકાય. જોકે, હાલ આ વ્યવસ્થા છે જ, પરંતુ તે વૈકલ્પિક છે. પરંતુ હવે તેને ફરજિયાત બનાવી દેવી જોઈએ. એક સરળ ઉદાહરણ જોઈએ તો, કોઈ અંતરિયાળ ગામમાં ઢોર ચરાવતા રબારી અને શહેરમાં જમીન-મકાનની દલાલી કરતા રબારીની જીવનશૈલીમાં આસમાન-જમીનનો તફાવત હોય છે.

કેન્દ્ર સરકારે સમયાંતરે આ પ્રકારની મોજણી કરીને ફક્ત સમાજના વાસ્તવિક રીતે પછાત વર્ગને જ અનામતના લાભ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. બંધારણની રચના વખતે પણ અનામતની વ્યવસ્થા ફક્ત દસ વર્ષ માટે હતી, પરંતુ દર દસ વર્ષે મૂલ્યાંકન કરતા માલુમ પડે છે કે અનામતનો હેતુ પૂરો થયો નથી, અને સંસદે ફરી એકવાર ઠરાવ પસાર કરીને અનામત લંબાવે છે. પરંતુ આમ તો ક્યારેય અનામત પ્રથા નાબૂદ નહીં થાય. ખરેખર તો, જે લોકો અનામતના લાભ લઈને જીવનમાં આગળ વધી ગયા છે તેવા કુટુંબો કે જાતિને સરકારે જ અનામતના લાભ લેતા રોકવા જોઈએ. આ માટે વિવિધ સમાજના આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ. કારણ કે, રાજકારણીઓને મતબેંકનું રાજકારણ ખેલતા અટકાવવાનો આ જ સૌથી સારો વિકલ્પ છે. જેમ કે ભૂતકાળમાં કચ્છના કોળી અને વાઘરીને અનુસુચિત જનજાતિમાંથી દૂર કરીને બક્ષીપંચમાં સમાવાયા હતા. અનામત પ્રથા ધીમે ધીમે નાબૂદ કરવા માટે પણ આ ઉત્તમ રસ્તો છે. અનામતનો અર્થ સામાજિક સમાનતા નથી, પરંતુ સામાજિક સમાનતા માટે વધુ સારા ઉપાયોના અભાવમાં જન્મેલી મજબૂરી છે. તેથી આપણે તાત્કાલિક ધોરણે આવા સારા ઉપાયોનો અમલ શરૂ દેવો જોઈએ.

નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

2 comments:

  1. hu kehva magu 6u ke atyare sc cast ma amukj loko Aa sevano labh le 6e mate haju pan anamatani jaruri 6e atyare na samaya gujarat ma gamdama loko ne anamat vishe kai j khabar nathi

    ReplyDelete