Showing posts with label Dinosaur. Show all posts
Showing posts with label Dinosaur. Show all posts

09 July, 2013

ડાયનોસોરના પીંછા કેવા રંગના હતા?


છેલ્લાં ઘણાં સમયથી વિજ્ઞાનીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર વિચરતા પક્ષીઓ અને નોન-એવિયન ડાયનોસોરનો રંગ કેવો હતો? આ માટે વિજ્ઞાનીઓ કરોડો વર્ષ પહેલાં જમીનમાં ધરબાઈ ગયેલા અશ્મિઓનું વિશ્લેષણ કરીને તેમનો રંગ કેવો હતો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા અને યુરોપના દેશોના વિજ્ઞાનીઓ આ દિશામાં કેમ સંશોધનો કરી રહ્યા છે એ હકીકતો પણ ખૂબ રસપ્રદ છે. જો આપણે પૃથ્વી પર કરોડો વર્ષ અસ્તિત્વ ધરાવતા હતા તેવા નોન-એવિયન ડાયનોસોર અને પ્રાચીન પક્ષીઓનો મૂળ રંગ કેવો હતો તે જાણી શકીએ તો ઘણાં બધાં રહસ્યો પરથી પડદો ઉંચકાય એમ છે. જેમ કે, અશ્મિઓના રૂપમાં મળેલા પીંછા પર સંશોધનો કરવાથી આપણે પક્ષીના સમગ્ર શરીર અને પીંછા પર થયેલી રાસાયણિક પ્રક્રિયાને જાણી શકીશું. આ રાસાયણિક પ્રક્રિયાને સચોટ રીતે સમજી લેવામાં આવે તો આપણે એ જાણી શકીશું કે, કરોડો વર્ષ પહેલાંના પક્ષીઓ અને નોન-એવિયન ડાયનોસોરનો રંગ અને તેમની ભાત (Pattern) કેવી હતી. એટલું જ નહીં,  આ રાસાયણિક પ્રક્રિયાની મદદથી વિજ્ઞાન રંગોને પણ વધુ સારી રીતે સમજી શકશે એવી વિજ્ઞાનીઓને આશા છે.

પ્રયોગની શરૂઆત અને સમજ

આ દિશામાં સંશોધનો કરી રહેલા પેલેન્ટોલોજિસ્ટ (અશ્મિ વિજ્ઞાનીઓ) આર્કાઈઓપ્ટેરિક્સ અને નોન-એવિયન ડાયનોસોરના અશ્મિઓ પર સંશોધનો કરી રહ્યા છે. એટલે પહેલાં આ બંને શબ્દો વિશે જાણકારી મેળવીએ. આર્કાઈઓપ્ટેરિક્સ એ બીજું કંઈ નહીં પણ વિજ્ઞાને અત્યાર સુધી મળેલા પુરાવાના આધારે કલ્પેલું સૌથી પ્રાચીન પક્ષી છે. વર્ષ 1874-75માં જર્મનીના બ્લૂમબર્ગ શહેરમાં જેકોબ નિમેયર નામના ખેડૂતને આર્કાઈઓપ્ટેરિક્સના અશ્મિ મળ્યા હતા. આ ખેડૂતે ગાયો ખરીદવા માટે તે અશ્મિઓ વેચી દીધા હતા. હાલ આ અશ્મિ જર્મનીના હુમ્બોલ્ટ મ્યુઝિયમમાં સચવાયા છે. આ અશ્મિ મળ્યા બાદ જ વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું કે, ડાયનોસોર અને પક્ષી વચ્ચે કંઈક સંબંધ છે. બાદમાં અશ્મિ વિજ્ઞાનીઓએ વિવિધ અશ્મિઓ પરથી સાબિત કર્યું હતું કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર પાંખો અને પીંછા ધરાવતા દસ હજારથી પણ વધુ જાતિના ડાયનોસોર વિચરતા હતા. આ જાતિના ડાયનોસોર વૈજ્ઞાનિક ભાષામાં નોન-એવિયન તરીકે ઓળખાય છે. જે સજીવો પાંખ અને પીંછા ધરાવતા હોવા છતાં ઉડી શકતા ના હોય અથવા તો મર્યાદિત ઉડાન ભરવા જ સક્ષમ હોય તેને નોન-એવિયનની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

જર્મનીમાંથી મળેલું આર્કાઈઓપ્ટેરિક્સનું અશ્મિ 

અશ્મિ વિજ્ઞાનીઓને આશા છે કે, નજીકના ભવિષ્યમાં તેઓ આર્કાઈઓપ્ટેરિક્સ અને નોન-એવિયન ડાયનોસોરના અશ્મિઓનો અત્યાધુનિક પદ્ધતિઓથી અભ્યાસ કરીને ઘણાં બધા રહસ્યો ઉકેલી નાંખશે. નોન-એવિયન ડાયનોસોરના પીંછાના અશ્મિઓનો અભ્યાસ કરવા સૌથી પહેલાં સંશોધકો અત્યાધુનિક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની મદદથી તેનું સંપૂર્ણ માળખું કેવું હતું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પદ્ધતિની મદદથી સંશોધકો અંદાજ લગાવી શક્યા છે કે, કરોડો વર્ષ પહેલાંના જંગલી પક્ષીઓના શરીર પર કયા કયા રંગ હશે. આ પદ્ધતિની મદદથી જ સંશોધકો તેમનું ‘મેલેનોસોમ’ કેવું હશે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેલેનોસોમ એક જૈવિક કોષમાં રહેલું એક તત્ત્વ છે, જેમાં મેલેનીન હોય છે. મેલેનીન એ સજીવોમાં જોવા મળતું સૌથી સામાન્ય રંગદ્રવ્ય છે, જે પ્રકાશના અણુઓને શોષી શકે છે. એટલે કે, સજીવનો રંગ કેવો છે તેનો આધાર આ પ્રક્રિયા પર પણ રહેલો છે.

જો વિજ્ઞાન અશ્મિઓની મદદથી મેલેનોસોમને ઊંડાણપૂર્વક જાણી શકે તો આપણે લાખો વર્ષ પહેલાંના પ્રાણીઓ કે પક્ષીઓ પર કેટલા રંગો હતા અને તેમના શરીર પર કેવી ભાત હતી તે આપણે જાણી શકીએ. હાલ પૃથ્વી પરના તમામ સજીવોનો રંગ જુદો જુદો જ છે. એવી જ રીતે, કરોડો વર્ષ પહેલાંના પશુ-પક્ષીઓ પણ જુદા જુદા રંગના જ હશે અને અને તેમના શરીર પરની ભાત પણ અલગ અલગ હશે. જેમ કે, વાઘ કે દીપડાના શરીર પરના ચટાપટા કે ઝીબ્રાના શરીરની ભાત ચોક્કસ પ્રક્રિયાને જ આભારી છે. હાથીનો રંગ કાળો અને મોરનો રંગ પચરંગી હોવા પાછળ પણ અમુક રાસાયણિક પ્રક્રિયાઓ જ જવાબદાર છે. અત્યારે વિજ્ઞાનીઓ ફક્ત એટલું જ જાણે છે કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને પક્ષીઓ પણ રંગ અને ભાતને લઈને જોરદાર વૈવિધ્ય ધરાવતા હતા. પરંતુ હજુ સુધી આપણે એ નથી જાણી શક્યા કે, જો અત્યારે પૃથ્વી પર વિચરતા પશુ-પંખીઓ આટલા વૈવિધ્યસભર છે, તો કરોડો વર્ષ પહેલાંના પશુ-પંખીઓ કેવા હશે! હોલિવૂડની ફિલ્મોમાં દર્શાવાતા ડાયનોસોર વૈજ્ઞાનિકોએ કરેલી કલ્પનાના આધારે ડિઝાઈન કરાયા છે, પરંતુ આ મુદ્દે વિજ્ઞાનીઓ ખાતરીપૂર્વક કંઈ કહી શકે એમ નથી. 

અત્યાધુનિક પદ્ધતિની મદદ

અશ્મિ પર સંશોધન કરતી વખતે વિજ્ઞાનીઓનું સૌથી પહેલું લક્ષ્ય અશ્મિમાંથી મહત્તમ માહિતી ભેગી કરવાનું હોય છે. જોકે, આ વાતને લઈને તેઓ ક્યારેય સંતોષી હોતા નથી. બીજી તરફ, આ હેતુ પાર પાડવા માટે અન્ય શાખાના વિજ્ઞાનીઓની મદદથી અશ્મિ પર સંશોધનો કરવાની અત્યાધુનિક ટેક્નોલોજી વિકસાવવાના પણ પ્રયાસ થતા રહે છે. આવા સંશોધનો કરવા જ વિજ્ઞાનીઓએ અત્યાધુનિક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ શોધ્યા હતા. આ સાધનોની મદદથી જ અશ્મિ વિજ્ઞાનીઓ અશ્મિના એક-એક નેનોમીટર જેટલું કદ ધરાવતા ભાગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. એક નેનોમીટરનું કદ આશરે એક મિલિમીટરના દસ લાખમાં ભાગ જેટલું હોય છે. આ સાધનની મદદથી જ વિજ્ઞાનીઓ પક્ષીના પીંછાના અશ્મિઓની રાસાયણિક પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માઈક્રોરેપ્ટર જાતિના ડાયનોસોરના અશ્મિ. સફેદ
એરો  માઈક્રોરેપ્ટર પીંછા દર્શાવી રહ્યા છે. 

અશ્મિઓનો અભ્યાસ કરવા માટે વિજ્ઞાનીઓએ સિન્ક્રોટ્રોન પાર્ટિકલ એક્સેલેટર નામના સાધનની પણ મદદ લીધી હતી. આ સાધનની મદદથી અશ્મિઓમાં રહેલા ઘટક તત્ત્વો શોધી શકાય છે અને તેનો સંપૂર્ણ નકશો પણ તૈયાર કરી શકાય છે. આ પદ્ધતિ પર સંશોધકોને બહુ આશા છે. કારણ કે, આ તેની મદદથી જ તેઓ જાણી શકશે કે, પક્ષીઓના પીંછા જેવા નરમ કોષોમાં સડો થાય ત્યારે તેના મૂળભૂત તત્ત્વો સચવાઈ જાય છે. જેમ કે, તાંબુ. જેમ કે, પીંછામાં લાલ રંગ માટે તાંબુ જવાબદાર હોય છે. એટલે કે, આ અશ્મિમાંથી તાંબુ મળે તો એવું કહી શકાય કે, પીંછા લાલ રંગના હતા અથવા તો તેમાં લાલ રંગ પણ હતો. આમ આ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમજાઈ જાય તો વિજ્ઞાનીઓ કરોડો વર્ષ પહેલાંના નોન-એવિયન ડાયનોસોરની આબેહૂબ ડિઝાઈન કરવા સક્ષમ છે. ટૂંકમાં, જો વિજ્ઞાનીઓ પીંછામાં થયેલી રાસાયણિક પ્રક્રિયા અને મેલનોસોમ વિશે જાણી લે તો આ પદ્ધતિની મદદથી પશુ-પક્ષીઓના રંગ અને તેમના શરીર પરની ભાત કેવી હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય એમ છે.

વિજ્ઞાનની મર્યાદા અને યુવી પદ્ધતિ

તાજેતરમાં જ અશ્મિ વિજ્ઞાનીઓનું એક જૂથ તમામ પ્રયોગો પછી એવા તારણ પર આવ્યું છે કે, પૃથ્વી પરના પહેલા પક્ષી ગણાતા ‘આર્કાઇઓપ્ટેરિક્સ’ના પીંછાની ધાર અને તેના ટેરવા પર ઘેરો રંગ હશે. કારણ કે, આ પ્રકારના પક્ષીઓમાં સામાન્ય રીતે આવું જ જોવા મળતું હોય છે. જ્યારે પક્ષીઓના પીંછાના પાછળના ભાગના રંગદ્રવ્યોમાં થોડો ફેરફાર થયો હોય છે અને તેના કારણે ત્યાં સફેદ રંગ હોય છે. આ પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજવા માટે સંશોધકોએ સમગ્ર અશ્મિનું સ્કેનિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, પીંછાના કેટલાક અશ્મિમાં સ્પષ્ટ રંગ દેખાય છે, જ્યારે કેટલાક અશ્મિ પરથી રંગનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. મુશ્કેલી એ છે કે, ખડકોમાં દટાયેલા હાડકાનો રંગ લગભગ એ ખડક જેવો જ થઈ ગયો હોય છે. આ ઉપરાંત કુદરતી પ્રકાશમાં માણસ પાસે મર્યાદિત દૃષ્ટિ છે, એટલે માનવ આંખ રંગને સંપૂર્ણ જોઈ શકતી નથી. માનવ આંખ સામાન્ય તરંગ લંબાઈ અને અલ્ટ્રાવાયોલેટ તરંગોમાં જે કંઈ જુએ છે તેમાં બહુ મોટો તફાવત હોય છે.

અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં દેખાતા આર્કાઈઓપ્ટેરિક્સના અશ્મિ

આશરે છેલ્લાં 100 વર્ષથી અશ્મિ વિજ્ઞાનીઓ અલ્ટ્રાવાયોલેટ કિરણો હેઠળ જ અશ્મિઓનો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી આ જ અભ્યાસ વધુ શક્તિશાળી અને બજારમાં સરળતાથી ઉપલબ્ધ યુવી બલ્બ હેઠળ કરાઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ પદ્ધતિની મદદથી અશ્મિ વિજ્ઞાનીઓને અત્યાર સુધી ક્યારેય જાણવા ન મળ્યા હોય એવા તથ્યો જાણવા મળ્યા છે. વિજ્ઞાનીઓએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, અમે અલ્ટ્રાવાયોલેટની મદદથી ચામડી, પીંછા, ભીંગડાની ભાત, ચાંચ, પંજા, નહોર, ચહેરાનો સંપૂર્ણ આકાર તેમજ હાથ-પગના સ્નાયુઓની પણ ઊંડી માહિતી મેળવી શક્યા છીએ. હવે વિજ્ઞાનીઓને આશા છે કે, યુવી અને અન્ય અત્યાધુનિક પદ્ધતિઓની મદદથી તેઓ ખૂબ નજીકના ભવિષ્યમાં નોન-એવિયન ડાયનોસોરની આબેહૂબ ડિઝાઈન તૈયાર કરી શકશે.

નોંધઃ પહેલી બે તસવીર વિકિપીડિયાની છે અને છેલ્લી ગૂગલ પરથી લીધી છે. 

15 December, 2012

ભારતીય ડાયનોસોરના અંતનું રહસ્ય


પૃથ્વી પર કરોડો વર્ષ પહેલાં ડાયનોસોર નામના મહાકાય પ્રાણીઓ વિચરતા હતા એ તો વિજ્ઞાનીઓએ સાબિત કરી નાંખ્યું છે. વિશ્વભરના અનેક મ્યુઝિયમોમાં મહાકાય ડાયનોસોરના અશ્મિઓ આ વાતની સાબિતી છે. સ્ટીવન સ્પિલબર્ગની ‘જુરાસિક પાર્ક’ ફિલ્મમાં આ પ્રાણીઓ કેટલા શક્તિશાળી છે તે ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ આ અત્યંત શક્તિશાળી અને મહાકાય ડાયનોસોર પ્રજાતિનો નાશ કેવી રીતે થયો તે વિશે  વિજ્ઞાનીઓ વચ્ચે આજે પણ મતભેદ છે. જોકે, મોટા ભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે, લાખો-કરોડો વર્ષ પહેલાં કોઈ મહાકાય આકાશી ઉલ્કા પૃથ્વી પર પડી હશે તેના કારણે આવા અનેક મહાકાય પ્રાણીઓનો અંત આવ્યો હોઈ શકે છે! બીજી તરફ, તાજેતરમાં જ કેટલાક વિજ્ઞાનીઓએ એક સંશોધન થકી આ થિયરીને પડકારી છે. આમ છતાં આ દિશામાં હજુ વધુ ચોક્કસ પુરાવા શોધવા વિજ્ઞાનીઓની મથામણ સતત ચાલુ છે.

ભારતીય ઉપખંડમાં પણ આવા અનેક પ્રજાતિના મહાકાય ડાયનોસોર વિચરતા હતા અને ભારતના અનેક પ્રદેશોમાંથી આજે પણ ડાયનોસોરના અશ્મિ મળી રહ્યા છે. વિજ્ઞાનીઓ માને છે કે, એક સમયે ભારતીય ઉપખંડ પર એક મહાકાય ઉલ્કા અથડાવાના કારણે આવા અનેક વિરાટ પ્રાણીઓ નાશ પામ્યા હતા. જોકે, અમેરિકન જિયોફિઝિકલ યુનિયનની પાંચમી ડિસેમ્બરે યોજાયેલી વાર્ષિક સભામાં કેટલાક જિયોફિઝિસ્ટ્સે એક નવું સંશોધન રજૂ કરીને દાવો કર્યો છે કે, ભારતમાં કરોડો વર્ષ પહેલાં વિચરતા ડાયનોસોરનો અંત કોઈ ઉલ્કાપિંડના કારણે નહીં પણ લાવાના કારણે થયો હતો.



આ સંશોધન મુજબ, કરોડો વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં આવેલા ડેક્કન ટ્રેપ્સ નામનો સમગ્ર વિસ્તાર જ્વાળામુખી ફાટવાના કારણે ખેદાનમેદાન થઈ ગયો હતો. આ જ્વાળામુખી ફાટ્યા પછી ખૂબ મોટો વિસ્તાર સલ્ફર અને કાર્બન ડાયોક્સાઈડના કારણે ઝેરી થઈ ગયો હતો. પરિણામે ડાયનોસોર તો ઠીક નાના-મોટા અનેક જીવો આ ઝેરી વાતાવરણમાં નાશ પામ્યા હતા. ડેક્કન ટ્રેપ્સ વિસ્તારમાં ફાટેલો આ જ્વાળામુખી એટલો પ્રચંડ હતો કે, તેના કારણે અચાનક જ પૃથ્વી પરના તાપમાનમાં વધારો અને દરિયાનું પાણી ઝેરી થઈ જવા જેવી સ્થિતિ સર્જાઈ હશે એવું વિજ્ઞાનીઓ માની રહ્યા છે.

અમેરિકન જિયોફિઝિકલ યુનિયનની વાર્ષિક સભામાં વિજ્ઞાનીઓએ એ વાત પર ચર્ચા કરી હતી કે, આખરે 650 લાખ વર્ષ પહેલાં પૃથ્વી સાથે કોઈ મહાકાય ઉલ્કા પિંડ અથડાવાના કારણે ડાયનોસોરનો નાશ થયો હતો કે પછી જ્વાળામુખી ફાટવાના કારણે આ ઘટના સર્જાઈ હતી? પૃથ્વી પર આશરે 650 લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર વિચરતા અનેક જીવોના સામૂહિક નાશની આ ઘટનાને વિજ્ઞાનીઓ ક્રેટેસિયસ-પેલોજિન એક્સ્ટિન્શન ઈવેન્ટઅને ટૂંકમાં કે.ટી. એક્સ્ટિન્શનતરીકે ઓળખે છે. કારણ કે, ક્રેટેશિયસ કાળ લેટિનમાં ક્રેટા’ (creta) તરીકે ઓળખાય છે, અને તેના જર્મન ભાષાંતર ક્રેડ’ (Kreide) પરથી કેશબ્દ લેવામાં આવ્યો છે.

અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના
જિયોસાયન્ટિસ્ટ ગ્રેટા કેલર 
આ સંશોધન વિશે માહિતી આપતા અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના જિયોસાયન્ટિસ્ટ ગ્રેટા કેલર જણાવે છે કે, “અમને મળેલી આ નવી માહિતીના કારણે પ્રાણીઓના સામૂહિક નાશ કેવી રીતે થયો તે વિશે ફરી એકવાર વિચારવાની જરૂર પડી છે.” ગ્રેટા કેલર ઘણાં વર્ષોથી દલીલ કરી રહ્યા છે કે, ભારતીય ડાયનોસોરનો નાશ જ્વાળમુખી ફાટવાના કારણે થયું છે, ઉલ્કા પિંડ અથડાવાના કારણે નહીં. પરંતુ હવે તેમણે પોતાના સંશોધનોની તરફેણમાં કેટલીક મજબૂત પુરાવા રજૂ કર્યા છે. અત્યાર સુધી અનેક વિજ્ઞાનીઓ માનતા હતા કે, મેક્સિકોના ચિક્સક્લબમાં 650 લાખ વર્ષ પહેલાં એક મહાકાય ઉલ્કા પિંડ અથડાયો હતો અને તેના કારણે વાતાવરણમાં કરોડો ટન ઝેરી કચરો અને ગેસ ઠલવાયો હતો. આ ઘટ્ટ ઝેરી ધુમાડાના કારણે અનેક મહિનાઓ સુધી સૂર્યપ્રકાશ પણ પૃથ્વી પર પ્રવેશી શક્યો ન હતો. પરિણામે પૃથ્વીનું વાતાવરણ ધીમે ધીમે અત્યંત ઠંડુ થઈ ગયું હતું અને આવા વાતાવરણમાં લગભગ તમામ ડાયનોસોરના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયા હતા. આ દરમિયાન સમુદ્રનું પાણી પ્રદૂષિત થવાથી અનેક દરિયાઈ જીવોનો પણ નાશ થયો હતો. વિજ્ઞાનીઓનું માનવું છે કે, કદાચ આ ઉલ્કાપિંડ અથડાવાના કારણે જ જ્વાળામુખી, ભૂકંપ અને સુનામી જેવી ઘટનાઓ થઈ હોઈ શકે છે!

આ અંગે પોર્ટુગલની યુનિવર્સિટી ઓફ લિસ્બનના જિયોસાયન્ટિસ્ટ એરિક ફોન્ટ કહે છે કે, “આમ તો ભારતીય ડાયનોસોરનો સામૂહિક નાશ થયો તેના થોડા સમય પહેલાં જ ડેક્કન ટ્રેપ્સ અસ્તિત્વમાં આવ્યો હતો. એટલે ડાયનોસોરના નાશ માટે તે સંપૂર્ણ કે આંશિક રીતે જવાબદાર હોઈ શકે છે.” વર્ષ 2009માં કેટલીક તેલ કંપનીઓએ ભારતના પૂર્વીય દરિયા કાંઠે ડ્રિલિંગ શરૂ કર્યું ત્યારે સમુદ્રના તળિયેથી આશરે 3.3 કિલોમીટર નીચે કરોડો વર્ષ પહેલાં જામી ગયેલો લાવારસનો કચરો મળી આવ્યો હતો. નોંધનીય છે કે, ગ્રેટા કેલર અને તેમની ટીમે આ તમામ ડેટાનું વિશ્લેષણ કરવાની મંજૂરી લીધી હતી. આ સંશોધનોમાં તેમને કે.ટી. એક્સ્ટિન્શન યુગમાં નાશ પામેલા ડાયનોસોરના સંખ્યાબંધ અશ્મિ મળી આવ્યા હતા. જોકે કરોડો વર્ષોની ભૂસ્તરીય ઘટનાઓના અંતે આ લાવારસ અને તેમાં દટાયેલા અશ્મિ ડેક્કન ટ્રેપ્સથી આશરે 1,603 કિલોમીટર દૂર મળી આવ્યા હતા.

આ અશ્મિઓ પર લાવાના જેમ જેમ સ્તર રચાતા ગયા તેમ તેમ સૂક્ષ્મ દરિયાઈ જીવોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જે દર્શાવે છે કે, જ્વાળામુખી ફાટ્યા પછીના અનેક વર્ષો સુધી તેની નકારાત્મક અસરો થતી રહી હતી. ધીમે ધીમે મોટા ભાગની પ્રજાતિઓનો અંત આવ્યો હતો અને ગમે તેવા વિપરિત વાતાવરણમાં પણ ટકી જતા અત્યંત સૂક્ષ્મ જીવો (ગ્રૂમ્બિલિટ્રીઆ) જ બચ્યા હતા. અશ્મિઓમાં તેમના અસ્તિત્વના પણ પુરાવા મળ્યા છે. ગ્રેટા કેલર અને તેમની ટીમે ઈજિપ્ત, ઈઝરાયેલ, સ્પેન, ઈટાલી અને અમેરિકામાંથી મળેલા અશ્મિઓમાં પણ આવું જોવા મળ્યું છે. ભારતમાંથી મળેલા અશ્મિઓમાં જોવા મળતા સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરતા માલુમ પડ્યું છે કે, તેમના મૃત્યુ સલ્ફર અને કાર્બન ડાયોક્સાઈડના કારણે જ થયા છે. આ પ્રકારના ઝેરી ગેસ જ્વાળામુખી ફાટવાથી જ ફેલાય છે અને તેના કારણે જ સમુદ્રમાં પણ ઝેરી કચરો ઠલવાય છે. પરંતુ આવા વાતાવરણમાં પણ તે સૂક્ષ્મ જીવો ટકી ગયા હતા.

ગ્રેટા કેલર કહે છે કે, “અમે તેને ડિઝાસ્ટર ઓપર્ચ્યુનિસ્ટ કહીએ છીએ. તે વંદા જેવા છે. જ્યારે પણ પૃથ્વી પર પ્રતિકૂળ સંજોગો ઊભા થાય છે ત્યારે તેઓ ટકી શકે છે.” પૃથ્વી પર સલ્ફર (એસિડિક વરસાદના સ્વરૂપમાં)નો હુમલો થાય અથવા સમુદ્રનું પાણી ઝેરી થઈ જાય ત્યારે પણ પૃથ્વી પર આ જીવો ટકી શકે છે. આ દરમિયાન ભારતમાંથી મળેલા વિવિધ અશ્મિ પરથી સાબિત થાય છે કે, પૃથ્વી પર અને સમુદ્ર બંનેમાં જીવોના સામૂહિક નાશ માટે અવકાશીય નહીં પણ જ્વાળામુખીય ઘટનાઓ જવાબદાર હતી. કારણ કે, કોઈ અવકાશીય દુર્ઘટનામાં પૃથ્વી પર વિચરતા જીવોના સામૂહિક નાશ થઈ જાય એટલા મોટા પ્રમાણમાં સલ્ફર કે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ન હોઈ શકે. ગ્રેટા કેલર અને તેમની સાથેના અનેક સંશોધકોએ મેક્સિકોમાં ચિક્સક્લબમાં કરેલા સંશોધનો વખતે જ કહ્યું હતું કે, ડાયનોસોરનો નાશ ઉલ્કાપિંડ અથડાવાના કારણે થયો હોવાનું માનવું અઘરું છે. પરંતુ હવે તેમણે પોતાની થિયરીની તરફેણમાં મજબૂત પુરાવા રજૂ કરીને વિશ્વને ચોંકાવી દીધું છે.

ડેક્કન ટ્રેપ્સ શું છે?

મહારાષ્ટ્રના માથેરાનમાંથી દેખાતો ડેક્કન ટ્રેપ્સ 
જોકે, ડેક્કન ટ્રેપ્સ વિસ્તાર શું છે તે જાણવું પણ જરૂરી છે. ભૂસ્તરશાસ્ત્રમાં ખડકોના સર્જન માટે ‘ટ્રેપ’ શબ્દનો ઉપયોગ કરાય છે. આશરે 600થી 680 લાખ વર્ષ પહેલાં પશ્ચિમ અને મધ્ય ભારતમાં જ્વાળામુખી ફાટવાના કારણે ડેક્કન પ્લેટ પર ડેક્કન ટ્રેપ્સ નામના વિશાળ વિસ્તારનું સર્જન થયું હતું.જ્વાળામુખીના કારણે ઉત્પન્ન થયેલા પૃથ્વી પરના ખૂબ મોટા વિસ્તારો પૈકીના એકમાં તેની ગણના થાય છે. આ જ્વાળામુખીનો લાવારસ ધીમે ધીમે ઠંડો પડ્યો ત્યારે 1,93,051 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો હતો, અને તેની જાડાઈ બે હજાર મીટર હતી. તેના પરથી આપણને અંદાજ આવી શકે છે કે, આટલા પ્રચંડ જ્વાળામુખીની રાખ કેટલા કિલોમીટર સુધી ફેલાઈ હશે અને તેનાથી દરિયાના પાણીમાં કેટલું ઝેર ફેલાયું હશે! નોંધનીય છે કે, એ સમયે એટલે કે, 600થી 680 લાખ વર્ષો પહેલાં પૃથ્વી પરથી લગભગ તમામ જીવોનો અંત આવી ગયો હતો. એ વખતે અત્યારના મુંબઈ નજીક પણ જ્વાળામુખી ફાટવાનું ચાલુ થયું હતું અને આશરે 30 હજાર વર્ષ સુધી આવા નાના-મોટા જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ ચાલી હતી. આ જ્વાળામુખીનો લાવારસ હાલના ભારતના લગભગ અડધા જેટલા ક્ષેત્રફળમાં ફરી વળ્યો હતો. જોકે, ભૂર્ગભીય ફેરફારોના કારણે સમયાંતરે તેનો વિસ્તાર ઘટી ગયો હતો.