25 June, 2018

ઉ. કોરિયા : કિડનેપિંગ, ફિલ્મ ઓર ધોખા


અત્યાર સુધી દુનિયાના અનેક દેશોના વડાઓએ સિંગાપોરની મુલાકાત લીધી હશે, પરંતુ ઈતિહાસમાં આજ સુધી ક્યારેય કોઈ નેતાને આવકારવા સિંગાપોરની ગલીઓમાં આટલા લોકો જમા નથી થયા. આપણા મહાન નેતાને આદર આપવા લોકો રસ્તા પર ઊભરાઈ રહ્યા છે. આપણા પૂજનીય નેતા તેમની અસામાન્ય રાજકીય કુનેહથી જટિલ વૈશ્વિક રાજકારણને યોગ્ય દિશામાં લઇ જઇ રહ્યા છે...

પ્રશંસાથી ફાટ-ફાટ થઇ રહેલા શબ્દો ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન માટે કહેવાયા છે. ઉત્તર કોરિયાએ પોતાના 'મહાન' નેતા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની 'ઐતિહાસિક' મુલાકાત વિશે ૪૨ મિનિટની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. કોરિયન સેન્ટ્રલ ટેલિવિઝને બનાવેલી આ શોર્ટ ફિલ્મમાં કિમ જોંગ ઉનના એટલા બધા વખાણ કરાયા છે કે, 'ખુશામત' શબ્દ પણ ઓછો પડે. મૂળ કોરિયન વોઇસ ઓવરમાં બનાવેલી આ ફિલ્મ યૂ ટ્યૂબ પર અંગ્રેજીમાં પણ જોવા મળે છે. તેમાં કિમ જોંગ ઉનને 'વેરી ટેલેન્ટેડ' કહેનારા ટ્રમ્પને પણ 'કુશળ' નેતા તરીકે રજૂ કરાયા છે. ચીવટપૂર્વક એડિટ કરાયેલી આ ફિલ્મમાં કિમ જોંગ ઉન બોલતા હોય ત્યારે ટ્રમ્પ ધ્યાનથી સાંભળતા હોય અને ક્યારેક હકારમાં માથું હલાવતા હોય એવા ‘રમૂજી’ દૃશ્યો પણ જોવા મળે છે.



એક સમયે કિમ જોંગને 'રોકેટ મેન' કહીને ઉત્તર કોરિયાને ખેદાનમેદાન કરી નાંખવાની ધમકી આપનારા ટ્રમ્પ માટે હવે તેઓ 'રોક સ્ટાર' કહે છે. એવી જ રીતે, ટ્રમ્પને 'માનસિક રીતે વિકૃત અમેરિકન ડોસો' કહેનારા કિમ જોંગ માટે ટ્રમ્પ હવે 'રિસ્પેક્ટેબલ ફ્રેન્ડ' છે.

***

કિમ જોંગ ઉનને ફિલ્મોનું વળગણ વારસામાં મળ્યું છે. તેમના પિતા કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા એવું પરાક્રમ કર્યું હતું, જે આજેય ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી ઈતિહાસનું સૌથી બદનામ પ્રકરણ છે. વિગતે વાત કરીએ. 

સિત્તેરના દાયકામાં ઉત્તર કોરિયાના સર્વસત્તાધીશ નેતા કિમ ઇલ સંગ હતા. ૧૯૪૮માં ઉત્તર કોરિયાનું સર્જન થયું ત્યારથી તેઓ ઉત્તર કોરિયામાં 'રાજ' કરી રહ્યા હતા. કિમ ઇલ સંગ ચાર દાયકાથી પણ વધુ સમય સુધી સર્વોચ્ચ પદે રહીને શાસન કરનારા વિશ્વના એકમાત્ર બિન-રાજવી (નોન-રોયલ) નેતા છે. કિમ ઇલ સંગે બે લગ્ન કર્યા હતા, જે થકી તેમને છ સંતાન હતા. આ સંતાનોમાં સૌથી મોટા અને અત્યંત મહત્ત્વાકાંક્ષી પુત્ર કિમ જોંગ ઇલની ઉત્તર કોરિયામાં ફેં ફાટતી હતી. કિમ જોંગ ઇલે ૧૯માં ફક્ત ૨૫ વર્ષની ઉંમરે જ પિતાની મંજૂરીથી ઉત્તર કોરિયાનું સૌથી મહત્ત્વનું ગણાતું પ્રોપેગેન્ડા એન્ડ એજિટેશન ડિપાર્ટમેન્ટ (બોલો, ત્યાં આવું પણ સત્તાવાર ખાતું છે) સંભાળી લીધું હતું. આ વિભાગ હેઠળ ઉત્તર કોરિયાની સરકાર ફિલ્મો, નાટકો અને પુસ્તક પ્રકાશન કરીને લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનું તત્ત્વ જળવાઈ રહે તેનું બરાબર ધ્યાન રાખતી.

૧૯૪૮માં ઉત્તર કોરિયાની રચના થઇ ત્યારથી ૧૯૯૪ સુધી મૃત્યુપર્યંત
શાસન કરનારા કિમ ઇલ  સંગ (ડાબે) અને તેમના પુત્ર કિમ જોંગ ઇલ

આ વિભાગનું કામ હાથમાં લેતા જ કિમ જોંગ ઇલના શેતાની દિમાગમાં એક વિચાર ઝબક્યો. કિમ જોંગ ઇલ ઉત્તર કોરિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા ઈચ્છતો હતો. એ માટે તેને સિનેમાની આર્ટ અને બિઝનેસનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા ફિલ્મ સર્જકોની જરૂર હતી. પાડોશી દેશ દક્ષિણ કોરિયા દુનિયા સાથે જોડાયેલું હોવાથી ત્યાં ખૂબ સારી ફિલ્મો બનતી અને દુનિયાભરમાં વખણાતી પણ ખરી. સિનેમાનું બહોળું જ્ઞાન ધરાવતા કિમ જોંગ ઇલને આ વાત ખૂબ જ ખૂંચતી. તેની પાસે હોલિવૂડ અને હોંગકોંગની વીસેક હજાર ફિલ્મોનું કલેક્શન હતું. શોન કોનેરી અને એલિઝાબેથ ટેલર તેના પ્રિય કલાકારો હતા. ૧૯૭૩માં તેણે 'આર્ટ ઓફ સિનેમા' નામનું પુસ્તક પણ લખ્યું હતું. કિમ જોંગ ઇલના પુત્ર કિમ જોંગ ઉન આજેય આ પુસ્તકમાં રજૂ કરાયેલી 'પ્રચારની થિયરી'નો કલા અને સિનેમા ક્ષેત્રે ચુસ્ત અમલ કરે છે.

એ વર્ષોમાં દક્ષિણ કોરિયામાં શીન સાંગ-ઓક સૌથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર હતા. અગાઉ તેમણે ચોઇ ઇયુન-હી ઉર્ફ મેડમ ચોઇ નામની દક્ષિણ કોરિયાની અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. કોરિયન ઉપખંડ, હોંગકોંગ અને ચીન જેવા દેશોમાં પણ તે સૌથી ગ્લેમરસ દંપતિ ગણાતું. આ દંપતિએ શીન સ્ટુડિયો હેઠળ બનાવેલી અનેક ફિલ્મો દક્ષિણ કોરિયામાં અને દુનિયાભરના ફિલ્મ ફેસ્ટિવલોમાં વખણાઈ હતી. જોકે, ૧૯૭૬માં શીન સાંગ-ઓકના અન્ય એક અભિનેત્રી સાથેના સંબંધથી બે બાળક હોવાની વાત બહાર આવતા ચોઇએ તેમની સાથે છૂટાછેડા લઇ લીધા હતા.

કિમ જોંગ ઇલે મનોમન નક્કી કર્યું કે, આ બંનેનું અપહરણ કરીને ઉત્તર કોરિયા લઇ આવીએ તો આપણે પણ ઉત્તમ ફિલ્મો બનાવી શકીએ. કિમ જોંગ ઇલના આદેશ પ્રમાણે ઉત્તર કોરિયાના જાસૂસોએ ૨૨મી જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ હોંગકોંગના રિપલ્સ બે એરિયામાંથી ચોઇનું અપહરણ કરી લીધું. ચોઇ અચાનક ગાયબ થઇ જતાં હોબાળો મચી ગયો, પરંતુ કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાં છે. કિમ જોંગ ઇલે ચોઇને ઉત્તર કોરિયાના દરિયા કિનારાના નામ્પો શહેરમાં લાવવાનો હુકમ કર્યો હતો. નામ્પોમાં ચોઇને એક ભવ્ય વિલામાં બંદી બનાવી લેવાયા, પરંતુ તેમને એક અભિનેત્રીને છાજે એવી તમામ સુખસુવિધા અપાઈ.

કિમ જોંગ ઇલ વૃદ્ધાવસ્થામાં પોતાના પુત્ર અને ઉત્તર કોરિયાના
વર્તમાન શાસક કિમ જોંગ ઉન સાથે

ચોઇ તો કોરિયાની લોકસંસ્કૃતિ, ઇતિહાસ અને ભૂગોળથી સારી રીતે વાકેફ હતા જ, પરંતુ કિમ જોંગ ઇલની આગેવાનીમાં તેમને સમગ્ર ઉત્તર કોરિયાનો પ્રવાસ કરાવાયો. રાજધાની પ્યોંગયાંગના સ્મારકો, મ્યુઝિયમો અને અન્ય મહત્ત્વના સ્થળો બતાવાયા. કિમ જોંગ ઇલે પોતાના પિતા અને ઉત્તર કોરિયાના તત્કાલીન સર્વસત્તાધીશ કિમ ઇલ સંગની સિદ્ધિઓનું જ્ઞાન આપવા ચોઇ માટે એક ખાસ શિક્ષકની નિમણૂક કરી. કિમ જોંગ ઇલ ચોઇને અવારનવાર ફૂલો, બ્રાન્ડેડ કોસ્મેટિક્સ અને જાપાનીઝ લોન્જરી મોકલતો અને હાઇફાઇ પાર્ટી યોજે ત્યારે 'આઇ કેન્ડી' તરીકે તેને સાથે રાખતો. એટલું જ નહીં, ચોઇ ઉત્તર કોરિયા માટે સારામાં સારી ફિલ્મો બનાવશે એવી આશામાં ફિલ્મ, મ્યુઝિક શૉ અને ઓપેરા જોવા પણ લઇ જતો.

શીન સાંગ-ઓકે પણ ચોઇને શોધવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમનો પતો ન મળ્યો. થોડા સમય પછી શીન સાંગ-ઓકના શીન સ્ટુડિયોનું લાયસન્સ પણ રદ થઇ ગયું. આ સ્થિતિમાં તેમણે દુનિયાના ઘણાં દેશોમાં ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી તેઓ રેસિડન્ટ વિઝા લઇને સ્થાયી થઇ શકે. એ પછી શીને પણ બીજા લગ્ન કરી લીધા. આ રીતે છ મહિના વીતી ગયા. આ દરમિયાન શીન પણ કોઈ કામ માટે હોંગકોંગ ગયા અને કિમ જોંગ ઇલે તેમનું પણ અપહરણ કરાવી લીધું. શીનને ચોઇની જેમ ભવ્ય વિલામાં રહેવાની વ્યવસ્થા કરીને ફિલ્મો બનાવવાનો હુકમ કરાયો. જોકે, નજરકેદમાં રહીને ફિલ્મ બનાવવાની તેમણે ચોખ્ખી ના પાડી અને બે વાર ભાગવાનો પણ પ્રયાસ કર્યો. આ કારણસર કિમ જોંગ ઇલે તેમને બે વર્ષથી વધુ સમય જેલમાં ધકેલી દીધા હતા.

કિમ જોંગ ઇલ (ડાબે)ની સાથે ચોઇ ઇયુન-હી અને શીન સાંગ-ઓક

કિમ જોંગ ઇલે જેલમાં જ શીન સાંગ-ઓકને 'ઉત્તર કોરિયાના મૂલ્યો'ની તાલીમ આપવાની વ્યવસ્થા કરી. શીનને ધીરજપૂર્વક સમજાવવામાં આવ્યું કે, તેમનું અપહરણ કરીને ઉત્તર કોરિયા કેમ લાવવામાં આવ્યા છે? છેવટે ૧૯૮૩માં કિમ જોંગ ઇલે એક ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું. એ પાર્ટીમાં તેણે શીનની સાથે ચોઇને પણ લઇ આવવાનો હુકમ કર્યો. એ વખતે શીનને ખબર પડી કે, કિમ જોંગ ઇલે ચોઇને પણ અહીં બંદી બનાવી લીધી હતી. એ પાર્ટીમાં કિમ જોંગ ઇલે બંનેને ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવાવનું તેમજ ફરી એકવાર પરણી જવાનું સૂચન કર્યું. આ સૂચનનો શીન અને ચોઇએ સ્વીકાર કર્યો. છેવટે ૧૯૮૩માં શીન સાંગ ઓક અને મેડમ ચોઇએ ઉત્તર કોરિયા માટે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

આ દંપત્તિની મદદથી ઉત્તર કોરિયાએ કોરિયન ભાષામાં સાતેક ફિલ્મ બનાવી. આ બધી જ ફિલ્મના ડિરેક્ટર શીન છે, જ્યારે પ્રોડયુસર કિમ જોંગ ઇલ. તેમણે ૧૯૮૫માં 'સૉલ્ટ' નામની ફિલ્મ બનાવી. એ ફિલ્મ માટે મેડમ ચોઇને મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ દંપત્તિએ ઉત્તર કોરિયા માટે છેલ્લે 'પુલ્ગાસારી' નામની ફિલ્મ બનાવી, જે ૧૯૫૪માં આવેલી જાપાનની 'ગોડઝિલા' ફિલ્મની નબળી નકલ હતી. શીન અને મેડમ ચોઇ ઉત્તમ કળાત્મક ફિલ્મો બનાવી શકતા હતા, પરંતુ ફિલ્મ બનાવતી વખતે તેમણે ઉત્તર કોરિયાના શાસકોનો પ્રચાર થાય તેનું પૂરતું ધ્યાન રાખવું પડતું.

મેરેલિન મનરોએ ૧૯૫૩માં કોરિયાની મુલાકાત લીધી ત્યારે ચોઇ ઇયુન હી સાથે

આ રીતે ઉત્તર કોરિયામાં આઠેક વર્ષ વીતાવ્યા પછી, ૧૯૮૬માં, શીન અને ચોઇને વિયેના ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની તક મળી. ત્યાં પહોંચતા જ તેમણે ઓસ્ટ્રિયાસ્થિત અમેરિકન દૂતાવાસનો સંપર્ક કરીને રાજકીય શરણ લઇ લીધું. આ અપહરણનો તેમને એટલો આઘાત લાગ્યો હતો કે, અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં તેઓ બે વર્ષ રહ્યા, પરંતુ પોતાના વતન દક્ષિણ કોરિયામાં કોઇનો સંપર્ક સુદ્ધા ના કર્યો. અમેરિકામાં સીઆઈએ અને એફબીઆઈએ તેમને સંપૂર્ણ રક્ષણ આપ્યું હતું. એટલે કિમ જોંગ ઇલે અમેરિકા પર શીન સાંગ-ઓક અને મેડમ ચોઇનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો. આ દંપત્તિ દ્વારા જારી કરાયેલા નિવેદનને પણ ઉત્તર કોરિયાએ 'અમેરિકા દ્વારા જબરદસ્તીથી બોલાવડાવેલા શબ્દો' કહીને ફગાવી દીધા. બાદમાં શીન અને ચોઇ લોસ એન્જલસ જતા રહ્યા. ત્યાં શીન સાંગ-ઓકે પોતાનું નામ બદલીને 'સિમોન શીન' કરી નાખ્યું અને 'નિન્જા' આધારિત ત્રણેક ફિલ્મો બનાવી.

નેવુંના દાયકામાં શીન અને ચોઇ દક્ષિણ કોરિયા પરત જવાનું વિચારતા હતા, પરંતુ તેમને ડર હતો કે, ઉત્તર કોરિયાએ અપહરણ કર્યું હતું એ વાત કોઇ માનશે નહીં તો? આમ છતાં, ૧૯૯૪માં શીન હિંમતપૂર્વક દક્ષિણ કોરિયા પહોંચ્યા. ત્યાં તેમણે ફરી એકવાર ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. એજ વર્ષે તેમને કાન ફિલ્મ ફેસ્ટિવલના જ્યૂરી તરીકે આમંત્રણ મળ્યું. ૧૧મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ હિપેટાઇટિસના કારણે ૭૯ વર્ષની ઉંમરે શીનનું મૃત્યુ થયું. એ વખતે તેઓ ચંગીઝ ખાન પર મ્યુઝિકલ શૉ તૈયાર કરી રહ્યા હતા. ૧૨મી એપ્રિલ, ૨૦૦૬ના રોજ 'ગોલ્ડ ક્રાઉન કલ્ચરલ મેડલ' (મરણોત્તર)થી તેમનું સન્માન કરાયું, જે કળા ક્ષેત્રે અપાતો દક્ષિણ કોરિયાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. શીનના મૃત્યુ પછી ચોઇ પણ એકલા પડી ગયા હતા. ૧૯૯૯માં તેઓ પણ કાયમ માટે દક્ષિણ કોરિયા જતા રહ્યા, જ્યાં ૧૬મી એપ્રિલ, ૨૦૧૮ના રોજ ડાયાલિસિસ વખતે ૯૧ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું.

મેડમ ચોઇએ એકવાર કહ્યું હતું કે, ફિલ્મો બનાવવા મારું અપહરણ કરવા બદલ કિમ જોંગ ઇલને હું કદી માફ નહીં કરું...

18 June, 2018

ફોરેન સ્ટુડન્ટ્સ: ટુ ચાઈના, વિથ લવ


ભારત અને ચીન હંમેશા એકબીજાને કટ્ટર હરીફ તરીકે જુએ છે. દુનિયા પણ આર્થિક વિકાસ, લશ્કરી તાકાતથી લઈને અખબારી સ્વાતંત્ર્ય સુધીના અનેક મુદ્દે બંને દેશની સરખામણી કરે છે. આ બંને દેશ પણ તમામ ક્ષેત્રે એકબીજાની હરીફાઈમાં મશગૂલ હોય છે. હવે ભારત અને ચીન વચ્ચે હાયર એજ્યુકેશનમાં વિદેશી વિદ્યાર્થીઓ આકર્ષવાની નવી હરીફાઈ પણ ઉમેરાઇ છે. ચીને ૨૦૧૨માં જાહેરાત કરી હતી કે, ૨૦૨૦ સુધીમાં અમે પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષીશું. એ પછી ચીને જડબેસલાક આયોજન કરીને આ કામ પાર પાડી બતાવ્યું. ચીન પણ અમેરિકા અને બ્રિટનની જેમ હાયર એજ્યુકેશનનું ઈન્ટરનેશનલ હબ બનવા તત્પર છે. ચીનની સફળતા જોઈને ભારતે પણ સફાળા જાગીને આ દિશામાં કામ શરૂ કર્યું  છે, પરંતુ અત્યારે ચીન જોજનો આગળ નીકળી ગયું છે.

ભારતીય વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં વિદેશમાં અભ્યાસ કરવા જાય છે, પરંતુ સ્વાભાવિક રીતે જ એટલા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ ભારત આવતા નથી. આપણી યુનિવર્સિટીઓમાં વૈશ્વિક સ્તરના શિક્ષણનો અભાવ છે. થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે આપણી યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા 'સ્ટડીઈનઈન્ડિયા.ઓઆરજી' નામની વેબસાઇટ શરૂ કરી હતી. સરકારના આંકડા પ્રમાણે, ૨૦૧૬માં ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં ૪૭,૭૫૫ વિદેશી વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું, અને, હવે સરકાર પાંચ જ વર્ષમાં આ આંકડો લાખોમાં પહોંચાડી દેવા માંગે છે. સરકારી આંકડા અને બીજા આંતરરાષ્ટ્રીય ડેટા તપાસતા ખબર ખ્યાલ આવે છે કે, વિદેશી વિદ્યાર્થીઓને ભારતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આકર્ષવામાં આપણે બહુ પાછળ છીએ.



એવી જ રીતે ચીનના આંકડા પર નજર કરતા જણાય છે કે, ચીને પોતાની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા ખૂબ મજબૂત યોજના બનાવી હશે. ૨૦૧૬માં ચીનમાં ૪.૪ લાખ વિદેશી વિદ્યાર્થી ભણવા આવ્યા હતા. વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવામાં ચીનનો અમેરિકા અને બ્રિટન પછી ત્રીજો નંબર છે. અમેરિકા અને બ્રિટન કરતા આંકડાની દૃષ્ટિએ ચીન થોડું પાછળ હશે પણ છેલ્લાં ઘણાં સમયથી ચીન આ દિશામાં કામ કરી રહ્યું છે. એક ઉદાહરણ જોઈએ. બે દાયકા પહેલાં ચીનમાં અંગ્રેજી ભાષાના જાણકારો નહીંવત હતા. ચીનની ભાગ્યે જ કોઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ અપાતું. એ સ્થિતિમાં ચીને અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કરીને વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની યોજના બનાવી, અને, આજે તે ભારતથી અનેકગણું આગળ છે. અત્યારે ચીનની અનેક યુનિવર્સિટીઓમાં દુનિયાભરમાંથી નોકરી કરવા આવેલા શિક્ષકો અંગ્રેજી ભાષામાં જુદા જુદા વિષયોનું શિક્ષણ આપે છે.

હાયર એજ્યુકેશનમાં વધુને વધુ વિદ્યાર્થીઓ આકર્ષવા ભારત પાસે ચીન કરતા અનેકગણી વધારે તક હતી, પરંતુ તે આપણે વેડફી નાંખી. જેમ કે, ભારતમાં તો શરૂઆતથી અંગ્રેજી ભાષામાં જ ઉચ્ચ શિક્ષણ અપાય છે. અંગ્રેજી ભાષાના ઉચ્ચારોને લઈને પણ આપણે 'વધુ પડતા ડાહ્યા' છીએ, જ્યારે એક સરેરાશ ચીની નાગરિકની અંગ્રેજી બોલીમાં ચાઈનીઝ ઉચ્ચારોનો અતિ પ્રભાવ હોય છે. (માતૃભાષા કે માતૃબોલીનો લહેકો બીજી ભાષા બોલતી વખતે ના આવે એવા કિસ્સા અપવાદરૂપ હોય છે.) આમ છતાં, ભારતે અંગ્રેજી ભાષાનો ફાયદો ઉઠાવીને વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની યોજના ના બનાવી અને ચીન આ ક્ષેત્રમાં પણ વિઝનરી પુરવાર થયું. કદાચ ચીનની અભૂતપૂર્વ સફળતા જોઈને જ ભારત સરકારે પણ 'સ્ટડી ઈન ઈન્ડિયા' યોજના શરૂ કરી છે, પરંતુ ભારત ગમે તેવી ઝડપે કામ કરે તો પણ નજીકના ભવિષ્યમાં ચીનની સમકક્ષ પહોંચી શકે એવી શક્યતા અત્યારે દેખાતી નથી. દુનિયાની ટોપ ૫૦૦માં ચીનની યુનિવર્સિટીઓએ કાઠું કાઢ્યું છે. વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન લેવા દર વર્ષે ધસારો કરે છે. દુનિયાની ટોપ ૩૦ યુનિવર્સિટીમાં ચીનની બે છે. પહેલી પેકિંગ અને બીજી સિંઘુઆ યુનિવર્સિટી.

ચીન સરકારે ચાઈનીઝ સંસ્કૃતિ, ભાષા, ઇતિહાસ અને સાહિત્યિક વારસા જેવા વિષયોનો અભ્યાસ કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ માટે જાતભાતની સ્કોલરશિપ શરૂ કરી છે. ૨૦૧૬માં ૪૦ ટકા વિદેશી વિદ્યાર્થીઓને ભણવા માટે ચીન સરકારે આર્થિક મદદ કરી હતી. આ સિવાય વિદેશી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એ માટે ચીન યુનિવર્સિટી કેમ્પસમાં જ 'સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્લી' સુવિધા ઊભી કરે છે. જેમ કે, લોન્ગ ટર્મ સ્ટે માટે યુનિવર્સિટીના કેમ્પસ નજીક જ સારી અને સસ્તી રહેવાની વ્યવસ્થા. આ પ્રકારની સુવિધાથી વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી કોઈ તગડી ભાડાવસૂલી કરી શકતું નથી. ચીનમાં અત્યારે ભણી રહેલા ૪.૪ લાખમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ એક વર્ષથી લાંબા ગાળાના કોર્સ માટે આવ્યા છે, જેમાં ભારતના પણ ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓની ફી અને કોસ્ટ ઓફ લિવિંગથી ખુશ છે.




ચીનમાં અત્યારે મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓ સાયન્સ, એન્જિનિયરિંગ અને એગ્રિકલ્ચર જેવા વિષયોમાં અભ્યાસ કરે છે, જ્યારે ૨૦૧૨ સુધી ત્યાં મોટા ભાગના લોકો ફક્ત મેન્ડેરિન શીખવા આવતા. એક સમયે આ પ્રકારના વિષયોમાં ફક્ત પશ્ચિમી દેશોની યુનિવર્સિટીઓનો જ ડંકો વાગતો. ૨૦૦૬માં ચીનમાં ૫૫ હજાર વિદેશી વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનની ડિગ્રી લેવા આવ્યા હતા. આ આંકડો ૨૦૧૬માં, દસ જ વર્ષમાં, .૧૦ લાખે પહોંચી ગયો છે. આ આંકડા સાબિત કરે છે કે, ચીને એક દાયકામાં સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) એજ્યુકેશનમાં ક્રાંતિકારી કામ કર્યું છે. ચીનની સંસ્કૃતિ પશ્ચિમી દેશોથી ખાસ્સી અલગ છે એટલે ચીનને અત્યારે દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, મલેશિયા કે સિંગાપોર જેવા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ વધુ મળે છે, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી રશિયા, ભારત અને પશ્ચિમી દેશોના વિદ્યાર્થીઓ પણ ચીનમાં એડમિશન લઈ રહ્યા છે. ચીનના કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા આઠ ટકા છે. આંકડાની રીતે કહીએ તો ફક્ત ૧૮ હજાર.

આ આંકડાને બીજી રીતે જોઈએ. ૨૦૧૭માં યુકેમાં ૧૬ હજાર ભારતીય વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું. એનો અર્થ એ થયો કે, ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવામાં ચીન યુકે કરતા પણ આગળ છે. થોડા વર્ષો પહેલાં ભારતીય વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મેડિકલના અભ્યાસ માટે ચીન સુધી લાંબા થતાં પણ હવે એન્જિનિયરિંગમાં પણ એડમિશન વધ્યા છે. આ ઉપરાંત ચીનની યુનિવર્સિટીઓમાં વૈશ્વિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોમાં પણ ઝડપથી ફેરફાર કરાઈ રહ્યો છે. આ ઉપરાંત ઝડપથી નવા અભ્યાસક્રમો પણ દાખલ કરાઈ રહ્યા છે. હાયર એજ્યુકેશનમાં આ રીતે આગળ વધવું હોય તો વર્ષો પહેલાં પ્લાનિંગ કરવું પડે. ચીને નેવુંના દાયકાથી જ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન ઈન્સ્ટિટયુટ્સ ઊભી કરવા મહેનત શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ચીને વિદેશી યુનિવર્સિટીમાં કામ કરતા વિજ્ઞાનીઓ અને સંશોધકોને પાછા ચીનમાં ખેંચી લાવવા (રિવર્સ બ્રેઇન ડ્રેઇન) પણ જડબેસલાક આયોજન કર્યું હતું. દાખલા તરીકે, વિજ્ઞાનીઓ માટે અત્યાધુનિક લેબોરેટરીઓ તેમજ મેરિટ પ્રમાણે ઊંચા પગાર અને બીજા લાભો. આમ, ચીન સુપરપાવર બનવા કુદરતી સ્રોતોની સાથે પોતાના માનવ સ્રોતોનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે.

ભારતના આર્થિક વિકાસની ધીમી શરૂઆત ૧૯૮૦થી થઈ, પરંતુ શિક્ષણના ક્ષેત્રે હજુ આપણે લાંબી મજલ કાપવાની બાકી છે. હાયર એજ્યુકેશનનો ખરો વિકાસ થાય તો જાહેર શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તતી ઘણી બધી મુશ્કેલીઓનું નિવારણ આવે છે. જેમ કે, હાયર એજ્યુકેશનમાંથી કમાણી કરીને પ્રાથમિક શિક્ષણમાં વધુ રોકાણ કરી શકાય છે! સ્થાનિક વિદ્યાર્થીઓ વધુને વધુ વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભળવાથી સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય છે. વિદ્યાર્થીકાળથી જ માઇન્ડ સેટ બ્રોડ થાય છે. જાતિ-ધર્મની વાડાબંધીથી પીડાતા સમાજ માટે આ ખૂબ જ જરૂરી છે. આ વાત એક ઉદાહરણથી સમજીએ. ચીનમાં ૨૦૦૩માં ૧,૭૯૩ આફ્રિકન વિદ્યાર્થી અભ્યાસ કરવા આવ્યા હતા, જે ૨૦૧૬માં વધીને ૬૧,૫૯૪ થઇ ગયા કારણ કે, તેઓ ચીનમાં પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. તેની સામે આ જ ગાળામાં ભારતમાં આફ્રિકન વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી ગઇ છે કારણ કે, ભારતમાં તેઓ ફક્ત ચામડીના રંગ, વાળની સ્ટાઈલ કે ચહેરા-મ્હોરાના કારણે વંશીય ભેદભાવનો ભોગ બને છે, અને ભારતીયો તેમની ક્રૂર મજાક પણ કરે છે. એટલે જ દેશના યુવાનોને ૨૧મી સદીનો વિશ્વમાનવ બનાવવા વધુને વધુ સામાજિક-સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય એ જરૂરી છે.



આ પ્રકારના આદાનપ્રદાનથી જ બ્રિટીશયુગમાં ભારતીય સમાજની અનેક સામાજિક બદીઓ સામે આંદોલન શરૂ થયું હતું. એ જ યુગે ૨૧મી સદી તરફ નજર રાખીને વિચારી શકે એવા અનેક સામાજિક અને રાજકીય નેતાઓને જન્મ આપ્યો હતો, પરંતુ આજે આપણા સૌથી હોનહાર વિદ્યાર્થીઓ આઈઆઈટી કે આઈઆઈએમમાં ભણીને વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. ભારતના સર્વશ્રેષ્ઠ સોફ્ટવેર એન્જિનિયરો નોકરી કરવા સિલિકોન વેલી જતા રહે છે. સિલિકોન વેલીમાં આઈઆઈટીના વિદ્યાર્થીને માનની નજરે જોવાય છે પણ ભાગ્યે જ કોઈ વિદેશી વિદ્યાર્થી આઈઆઈટીમાં એડમિશન લેવા આવે છે. જો વિદેશી વિદ્યાર્થીઓએ એશિયાની જ કોઈ યુનિવર્સિટી પસંદ કરવાની આવે તો તે પહેલા ચીન કે રશિયા જવાનું પસંદ કરે છે. આવું કેમ? આ કોઈ મુદ્દો આપણને કે આપણી સરકારોને પજવતો નથી.  

આઝાદીના દાયકાઓ પછી પણ આપણે હાઈલી એજ્યુકેટેડ વિદ્યાર્થીને દેશમાં યોગ્ય વાતાવરણ આપી શક્યા નથી, તો પછી વિદેશના વિદ્યાર્થીઓ શું કામ અહીં ભણવા આવે? એક સમયે દુનિયાભરના વિદ્વાનોને આકર્ષતી આપણી વિશ્વ વિદ્યાલયોની ભારતીય પરંપરા વર્ષો પહેલાં લુપ્ત થઇ ગઇ. હવે એ જૂનું ગાણું ગાવાનું બંધ કરીને હાયર એજ્યુકેશન ક્ષેત્રે ‘આઉટ ઓફ બોક્સ’ વિચારીને આગળ વધવાનો સમય થઇ ગયો છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

13 June, 2018

અરુણાચલ: એક અજાણ્યો 'પ્રદેશ'


ચીનના સૈનિકો ઘૂસણખોરી કરે ત્યારે અરુણાચલ પ્રદેશ અચૂક સમાચારોમાં ચમકે છે, પરંતુ આ કારણથી વારંવાર સમાચારમાં ચમકતો નથી એવો પણ અરુણાચલમાં એક 'પ્રદેશછે. આ પ્રદેશ જાણે દેશથી અલગ પડી ગયો હોય એવા ઉત્તર પૂર્વ (નોર્થ-ઇસ્ટ) ભારતમાં આવેલો હોવાથી સરેરાશ ભારતીય તેના વિશે બહુ ઓછું જાણે છે. હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં ૬૬ પ્રજાતિના પક્ષી પહેલીવાર નોંધાયા. આ ૬૬ પૈકી છ ઝડપથી લુપ્ત થઇ રહેલી પ્રજાતિમાં આવે છે. આશ્ચર્યની વાત છે કે, અત્યાર સુધી સરકારના લાગતા-વળગતા વિભાગોને ખબર ન હતી કે, આ ૬૬ પ્રકારના પક્ષીઓ અરુણાચલમાં પણ વસવાટ કરે છે. આજેય ભારત સરકાર પાસે અરુણાચલ સહિતના હિમાલયના અંતરિયાળ વિસ્તારોના જંગલો, નદીઓ અને ઉપનદીઓની ચોક્કસ માહિતી નથી. આ બ્લોગમાં બ્રહ્મપુત્ર નદીની સિરીઝ પોસ્ટ કરાઈ ત્યારે એ વિશે વિગતે વાત કરાઈ હતી.

કેવી રીતે મળ્યા અરુણાચલમાં નવા પક્ષીઓ?

અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ એન્વાયર્મેન્ટના સંશોધક અનિર્બાન દત્તા રોયે પીએચ.ડી. ફિલ્ડ વર્કના ભાગરૂપે એક રિપોર્ટ તૈયાર કરવાનો હતો. એ માટે તેમણે અરુણાચલના અપર સિઆંગ જિલ્લાના જંગલોમાં ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ફિલ્ડ વર્ક કરીને શોધી કાઢ્યું કે, અરુણાચલના સિઆંગ ખીણમાં કુલ ૨૫૨ પ્રકારના પક્ષીઓની પ્રજાતિ રહે છે, જેમાંથી ૬૬ પ્રકારના પક્ષીઓ પહેલીવાર નોંધાયા છે. જેમ કે, એશિયન એમરાલ્ડ, કોમન હૉક અને ડ્રોંગો જેવી કોયલની નવ પ્રજાતિ. ગ્રે લેગ ગૂઝ, કોમન ટીલ, નોર્થન પિનટેઇલ, લિટલ ગ્રેબ અને મલાર્ડ જેવી માઇગ્રેટિંગ વોટરફાઉલ (જળકૂકડી)ની સાત પ્રજાતિ. આ સર્વેક્ષણ પહેલાં પક્ષીવિદેને અંદાજ પણ ન હતો કે, સિઆંગના જંગલોમાં આ પ્રજાતિના પક્ષીઓ પણ આવે છે! અરુણાચલમાં પહેલીવાર દેખાયેલા પક્ષીઓ સામાન્ય રીતે શિયાળામાં આવે છે. આ પહેલાં અરુણાચલના જંગલોમાં શિયાળામાં પક્ષી સર્વેક્ષણનું કામ થયું ન હતું.
કોયલની ત્રણ પ્રજાતિ (ક્લોકવાઇઝ) એશિયન એમરાલ્ડ, ડ્રોંગો અને કોમન હૉક

અનિર્બાન દત્તા રોય

આ થકવી દેતા કામમાં અનિર્બાન દત્તા રોય સાથે સેન્ટર ઓફ બાયોલોજિકલ સાયન્સ સાથે સંકળાયેલા સંશોધકો વિવેક રામચંદ્રન અને કાર્તિક તિગાલાપલ્લી પણ જોડાયા હતા. આ ત્રણેય સંશોધકોએ કરેલું સર્વેક્ષણ 'જર્નલ ઓફ થ્રેટન્ડ ટેક્સા' નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું છે.

અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની સંસ્કૃતિ

આ ત્રણેય પક્ષીવિદ્દોએ રજૂ કરેલા રિસર્ચ પેપરમાં એક વાતની ખાસ નોંધ લીધી છે, અરુણાચલની અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની અનોખી સંસ્કૃતિ. જેમ કે, અરુણાચલના સિઆંગ ખીણ વિસ્તારમાં 'આદિ' નામની પ્રજાતિના લોકો વસે છે. આ આદિવાસીઓ વર્ષોથી 'ફરતી ખેતી' કરે છે. ફરતી ખેતી એટલે એક જમીનના ટુકડા પર પાક ઉતાર્યા પછી બીજી વાર એ જમીનનું 'શોષણ' નહીં કરવાનું. કુદરતી રીતે જ ત્યાં જે કંઈ થાય એ થવા દેવાનું. એ જમીન પર પાક નહીં લેવાનો ગાળો દરેક સ્થળે જુદો-જુદો હોઈ શકે છે. આજે મોટા ભાગના લોકો એક ખેતરમાં દર વર્ષે એકનો એક પાક લેતા હોવાથી અથવા પાકની ફેરબદલ વૈજ્ઞાનિક પદ્ધતિથી નહીં કરતા હોવાના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે, જ્યારે ફરતી ખેતી સમગ્ર કુદરત માટે લાભદાયી છે. આ વાત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ચૂકી છે.


માઇગ્રેટિંગ વૉટરફાઉલ (જળકૂકડી)ની (ક્લોકવાઇઝ) કોમન ટીલ, 
નોર્થન પિનટેઇલ, મલાર્ડ અને લિટલ ગ્રેબ નામની પ્રજાતિ
‘આદિ’ આદિવાસીઓના કૃષિ આધારિત સોલંગ ઉત્સવનું દૃશ્ય

ફરતી ખેતી થતી હોય ત્યાં પશુ-પક્ષીઓ, જીવડા અને અન્ય વનસ્પતિઓની પ્રજાતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. આ રિસર્ચ પેપરમાં ખાતરીપૂર્વક કહેવાયું છે કે, જો સિઆંગ ખીણમાં ફરતી ખેતી ના થતી હોત તો અહીંની પક્ષી સૃષ્ટિમાં આટલું વૈવિધ્ય ના હોત! આ સંશોધન દરમિયાન પ્રોટેક્ટેડ ઝોનની બહાર પણ સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિ મળી આવી છે. એ રીતે આ રિસર્ચ પેપર ફરતી ખેતીની તરફેણનો પણ મજબૂત કેસ સ્ટડી છે.

અરુણાચલની વૈવિધ્યસભર જીવસૃષ્ટિ

વર્ષ ૨૦૦૦માં કરાયેલા સર્વેક્ષણ પ્રમાણે, અરુણાચલનો ૭૭ ટકા વિસ્તાર જંગલોથી હર્યોભર્યો હતો. હિમાલયની પર્વતમાળામાં જોવા મળતું ઘણું બધું જૈવવૈવિધ્ય અરુણાચલમાં પણ જોવા મળે છે. હિમાલયની વિશિષ્ટ ભૂગોળને કારણે અરુણાચલને આ લાભ મળ્યો છે. ૨૦૧૩માં એક સર્વેક્ષણમાં નોંધાયું હતું કે, અરુણાચલનું ૩૧,૨૭૩ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું જંગલ 'ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપ'નો હિસ્સો છે. આ લેન્ડસ્કેપ કુલ ૬૫,૭૩૦ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે, જે મ્યાંમાર, ચીન અને ભુતાનના કેટલાક વિસ્તાર સુધી પથરાયેલા છે. ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપની ભૂગોળ એટલી જટિલ હોય છે કે, ત્યાં કોઈ માનવીય પ્રવૃત્તિ થઈ જ નથી શકતી એટલે ત્યાં કુદરત ખીલી ઊઠે છે. આ કારણસર અરુણાચલમાં ૮૫ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૫૦૦થી વધુ પ્રજાતિના પક્ષીઓ અને દુનિયામાં ક્યાંય નથી એવા પતંગિયા, ફૂદ્દા, જીવડાં અને સરિસૃપ સજીવો જોવા મળે છે.


અપર સિઆંગ જિલ્લામાંથી વહેતી સિઆંગ નદીની આસપાસના જંગલ

ભારતમાં અરુણાચલ અને અરુણાચલનો નકશો 

અરુણાચલની બીજી પણ એક ખાસ વાત છે. અહીંનો દરિયાઈ સપાટીથી સૌથી નીચેનો વિસ્તાર આસામ સાથે સરહદ ધરાવે છે, જ્યાં બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારના જંગલો આવેલા છે. એવી જ રીતે, અરુણાચલનો સૌથી ઊંચો વિસ્તાર તિબેટ સાથે સરહદ વહેંચે છે, જ્યાં પૂર્વ હિમાલયના નીચાણવાળા વિસ્તારના લીલા જંગલો આવેલા છે. આ પ્રકારની ભૂગોળના કારણે અરુણાચલના લૉઅર સુબાનસિરી જિલ્લામાં ઔષધીય ગુણો ધરાવતી ૧૫૦ જાતની વનસ્પતિ પણ મળે છે.

અરુણાચલનો અનોખો 'બાયોસ્ફિયર રિઝર્વ'

વર્ષ ૧૯૯૮માં અરુણાચલમાં દિબાંગ ખીણ તેમજ અપર સિઆંગ અને વેસ્ટ સિઆંગ જિલ્લાના કુલ ૫,૧૧૨ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારને 'દિહાંગ-દિબાંગ બાયોસ્ફિયર રિઝર્વ' જાહેર કરાયું હતું. આ બાયોસ્ફિયર રિઝર્વના ૪૮૩ સ્ક્વેર કિલોમીટર વિસ્તારને મોલિંગ નેશનલ પાર્ક જાહેર કરાયો છે, જેનો કેટલોક વિસ્તાર ઇસ્ટ સિઆંગ જિલ્લામાં પણ પડે છે. મોલિંગ 'આદિ' ભાષાનો શબ્દ છે. તેનો અર્થ 'લાલ ઝેર' અથવા 'લાલ લોહી' એવો થાય છે. એવું કહેવાય છે કે, અહીંની કેટલીક વનસ્પતિઓમાંથી લાલ રંગનો ઝેરી રસ નીકળે છે. આ કારણસર આ વિસ્તારને સ્થાનિકો 'મોલિંગ' તરીકે ઓળખતા હતા. આ ઉપરાંત અહીં ઝેરી સાપોની પણ અનેક પ્રજાતિઓ છે, પરંતુ તેનું સત્તાવાર દસ્તાવેજીકરણ કરવાનું હજુ બાકી છે.
(ક્લોકવાઈઝ) બાર્કિંગ ડિયર, રેડ પાન્ડા, ટેકિન અને સેરો (હિમાલયન)

મોલિંગ નેશનલ પાર્કમાં દરિયાઈ સપાટીથી ૪૦૦ મીટરથી ઊંચાઈએથી માંડીને ત્રણ હજાર મીટરની ઊંચાઈ સુધીના જંગલો છે. આ વિસ્તાર હિમાલયમાં ઊંચાઇએ આવેલા ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) અને નીચે આવેલા સામાન્ય જંગલોની વચ્ચે પડે છે, જ્યાં બંગાળ વાઘ, દીપડા, લાલ પાન્ડા, બાર્કિંગ ડિયર, સેરો (કાળા રંગની જંગલી બકરી) અને ટેકિન (જંગલી ભેંસ જેવી ભારેખમ બકરી) પણ જોવા મળે છે. આ જ બાયોસ્ફિયર રિઝર્વમાં ૪,૧૪૯ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું દિબાંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પણ આવેલું છે. અહીં કસ્તૂરી મૃગ સહિત હિમાલયમાં જોવા મળતા અનેક સસ્તન પ્રાણીઓ જોવા મળે છે.

પક્ષીઓનું સ્વર્ગ એટલે, ઇગલનેસ્ટ સેન્ચુરી

અરુણાચલના વેસ્ટ કામેંગ જિલ્લામાં હિમાલયની તળેટીમાં ૨૧૮ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારને ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જાહેર કરાયો છે. ઇગલનેસ્ટની ઉત્તર-પૂર્વમાં સેસા ઓર્કિડ સેન્ચુરી અને પૂર્વમાં કામેંગ નદીની સમાંતરે પાખુઇ ટાઇગર રિઝર્વ આવેલું છે. ઇગલનેસ્ટ પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. આ નાનકડું જંગલ કામેંગ એલિફન્ટ રિઝર્વનો હિસ્સો છે, પરંતુ આપણે અહીં ઇગલનેસ્ટ સેન્ચુરીની જ વાત કરીએ. આ વિસ્તારમાં દરિયાઇ સપાટીથી ૫૦૦ મીટરની લઈને ૩,૨૫૦ મીટરની ઊંચાઈ સુધી જંગલો છે. વર્ષ ૧૯૫૦માં અહીં ભારતીય સેનાની રેડ ઇગલ ડિવિઝનની પોસ્ટ ઊભી કરાઈ હતી, જેથી આ વિસ્તાર 'ઇગલનેસ્ટ' તરીકે જાણીતો થયો. આ નામને બાજ કે સમડી સાથે કોઈ લેવાદેવા નથી.

બુગુન લિઓસિચલા 
રમણ અથરેયા

દક્ષિણ અમેરિકામાં આવેલી એન્ડિસ પર્વતમાળાઓ પછી દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્ય ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં જોવા મળે છે. અરુણચાલમાં જોવા મળતા ૫૦૦માંથી ૪૫૪ પ્રજાતિના પક્ષીઓ ઇગલનેસ્ટ સેન્ચુરીમાં વસે છે. અરુણાચલમાં ૧૯૯૫માં બુગુન લિઓસિચલા (Bugun liocichala) નામનું પક્ષી જોવા મળ્યું હતું. એ પછી ૨૦૦૬માં જાણીતા પક્ષીવિદ રમણ અથરેયાએ ફરી એકવાર ઇગલનેસ્ટમાં તેની નોંધ લીધી. એવું કહેવાય છે કે, હવે તેની વસતી માંડ ૧૪ રહી છે અને ઇગલનેસ્ટ સિવાય દુનિયામાં ક્યાંય તે જોવા મળતું નથી.

આ ઉપરાંત ઇગલનેસ્ટમાં સસ્તન પ્રાણીઓની સાથે ઊભયજીવીની ૩૪, સાપની ૨૪, ગરોળીની સાત અને પતંગિયાની ૧૬૫ પ્રજાતિ પણ જોવા મળે છે.   
     
***

અરુણાચલના જંગલો અને જૈવ વૈવિધ્યની સુરક્ષા કરવામાં સ્થાનિક આદિવાસીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જેમ કે, ઇગલનેસ્ટ સેન્ચુરીનું રક્ષણ કરવામાં જંગલ ખાતાના અધિકારીઓને 'બુગુન' નામના આદિવાસીઓની પણ ભરપૂર મદદ મળે છે. આદિવાસીઓ કુદરત પાસેથી જોઇએ એટલું જ લેતા હોવાથી કુદરત જળવાઈ રહે છે. એટલે જ ભારત સરકારે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ અંતર્ગત ઠરાવ્યું હતું કે, રાજ્ય સરકારો નેશનલ પાર્ક કે સેન્ચુરીનો હિસ્સો ના હોય એવા વિસ્તારને 'કોમ્યુનિટી રિઝર્વ' જાહેર કરીને પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ અને પરંપરાગત જ્ઞાનના રક્ષણને પ્રોત્સાહન આપી શકે છે.

આ તો મીડિયામાં ચમકતા અરુણાચલ સિવાયના 'પ્રદેશ'ની એક નાનકડી ઝલક છે. અરુણાચલમાં નામડાફા  નેશનલ પાર્ક પણ આવેલો છે, જે દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટો સંરક્ષિત વિસ્તાર છે. અરુણાચલમાં કામલાંગ, મેહાઓ, ઇટાનગર, કેન અને ડાઇંગ એરિંગ જેવા નાના-મોટા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી તેમજ પક્કે ટાઇગર રિઝર્વ પણ આવેલું છે. એક સમયે અરુણાચલમાં પણ લાકડું અને ઔષધીય વનસ્પતિઓ મેળવવા આડેધડ જંગલો કપાતા હતા અને બેફામ શિકાર પણ થતા હતા, પરંતુ ૧૯૯૬માં સુપ્રીમ કોર્ટે અરુણાચલના જંગલોમાં લાકડું કાપવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી ૨૦૦૬માં ફરી એકવાર બુગુન લિઓસિચલા મળી આવતા અરુણાચલની આંતરરાષ્ટ્રીય મીડિયાએ નોંધ લીધી હતી. આ પક્ષીને જોવા પ્રવાસીઓનો ધસારો અચાનક વધી જતા સ્થાનિકો પણ જંગલોનું મહત્ત્વ સમજતા થયા.

હવે સિઆંગ વેલીમાં દસ હજાર મેગા વૉટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો ડેમ પણ બની રહ્યો છે, પરંતુ સ્થાનિકો જ કુદરતના ભોગે વિકાસ નહીં એવું કહીને તેનો વિરોધ કરી રહ્યા છે.