13 January, 2016

પઠાણકોટ ઓપરેશન 'સફળ' કહેવાય?


પંજાબના પઠાણકોટ એરબેઝમાં થયેલા હુમલા પછી આતંકવાદ, આંતરિક સુરક્ષા વ્યવસ્થા, ભારતની પાકિસ્તાન નીતિ અને આતંકવાદનો પ્રતિકાર કરવા લશ્કરના બદલે નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (એનએસજી)ને કેમ મોકલ્યા એ મુદ્દે ચણભણ થઈ રહી છે. ખરેખર તો આતંકવાદીઓ સામે લડવા પઠાણકોટ એરબેઝ નજીક હતી એ સ્પેશિયલ ફોર્સના બદલે એનએસજીને કેમ મોકલ્યા એ એક જ મુદ્દાની આસપાસ આતંકવાદથી લઈને ભારતની પાકિસ્તાન નીતિ સહિતની અનેક જટિલ મુશ્કેલીઓનો જવાબ મળે છે. સામાન્ય વ્યક્તિને સવાલ થઈ શકે છે કે, આતંકવાદીઓનો ખાત્મો લશ્કરના બદલે એનએસજીને કર્યો હોય તો શું ફર્ક પડે છે? એક્ચ્યુલી ઘણો ફર્ક પડે છે. આ વાત થોડી વિસ્તૃત રીતે સમજીએ.

જમ્મુ કાશ્મીરમાં ૪ પેરા, ૯ પેરા નામની બે સ્પેશિયલ ફોર્સનો મજબૂત બેઝ છે. એ સિવાય હિમાચલ પ્રદેશમાં ૧ પેરા સ્પેશિયલ ફોર્સ તૈનાત છે. લશ્કરની ૨૯ ઈન્ફન્ટ્રી ડિવિઝનનું વડું મથક પણ પઠાણકોટમાં છે. આ એક જ ફોર્સ પાસે ૪૦ હજાર કમાન્ડો છે. એનએસજીની સરખામણીમાં આ બધી જ સ્પેશિયલ ફોર્સ પઠાણકોટ એરબેઝની નજીક હોવા છતાં તેનો ઉપયોગ કેમ ના કરાયો? સામાન્ય રીતે આતંકવાદીઓએ નાગરિકોનું અપહરણ કરી લીધું હોય એવી ઘટનામાં એનએસજીનો ઉપયોગ કરાય છે. આ માટે જ તેઓ તાલીમબદ્ધ હોય છે. વળી, એનએસજીએ પઠાણકોટમાં એક પણ આતંકવાદી માર્યો નથી. ઊલટાનો તેમનો એક કમાન્ડો આ ઓપરેશનમાં શહીદ થયો છે. ન્યૂઝ ચેનલો પર પઠાણકોટ હુમલાની ચર્ચા વખતે નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોએ પણ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે.

સાત એલિટ કમાન્ડો શહીદ કેમ થઈ ગયા?

પૂર્વ લશ્કરી વડા અને ભાજપના નેતા વી. કે. સિંઘ સહિત અનેક સુરક્ષા નિષ્ણાતોએ  ઉઠાવેલા સવાલો પરથી સાબિત થાય છે કે, પઠાણકોટ એરબેઝ ઓપરેશનમાં ખામીઓ તો હતી જ. પાકિસ્તાનથી ફક્ત છ આતંકવાદી દેશની સરહદ ઓળંગીને આવે છે, ઉચ્ચ પોલીસ અધિકારીનું અપહરણ કર્યા પછી જાહેર કરાયેલા હાઈ એલર્ટ વચ્ચે એરબેઝમાં ઘૂસે છે, સતત ૬૦-૬૫ કલાક સુધી આપણા સર્વોત્તમ કમાન્ડોઝને હંફાવે છે, છ આતંકવાદી સામે આપણા સાત ફર્સ્ટ ગ્રેડ કમાન્ડો શહીદ થઈ જાય છે, વીસને ઈજા થાય છે અને એક નાગરિકનું પણ મૃત્યુ થાય છે. આ ઘટનાક્રમ જ સાબિત કરે છે કે, આપણી આંતરિક સુરક્ષા અને કાઉન્ટર એટેક કરવાની ક્ષમતામાં ક્યાંક ખામી છે! આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં સામેલ નિષ્ણાતોએ ખુલાસો કર્યો છે કે, આતંકવાદીઓ જે મજબૂત તૈયારી સાથે આવ્યા હતા એ જોતા આ ઓપરેશન ઘણું સફળ છે. તેઓ એરફોર્સની કોઈ સંપત્તિને નુકસાન નથી કરી શક્યા. કેન્દ્ર સરકાર, લશ્કર અને એરફોર્સે પણ પઠાણકોટ ઓપરેશન કેટલું વેલ કોઓર્ડિનેટેડ અને ડિસિઝિવ હતું એ મતલબના લાંબાલચક ટેકનિકલ નિવેદનો કરીને સમગ્ર વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.



જોકે, આ નિવેદનોમાં સુરક્ષા નિષ્ણાતોએ ઊઠાવેલા અમુક મહત્ત્વના સવાલોનો જવાબ નથી મળતો. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે, આતંકવાદીઓ એરબેઝમાં ઘૂસ્યા તો ઘૂસ્યા, પણ પછી એમને મારવામાં આપણી સ્પેશિયલ ફોર્સના ચુનંદા સાત કમાન્ડોઝ કેમ શહીદ થઈ ગયા? જવાબ છે, સ્પેશિયલ ફોર્સનું કંગાળ માળખું અને સંકલનનો સદંતર અભાવ. ભારતમાં પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને લશ્કરની વિવિધ પાંખ વચ્ચે સંકલનનો અભાવ છે એવી જ રીતે, જુદા જુદા ખાતા હેઠળ કામ કરતી સ્પેશિયલ ફોર્સ વચ્ચે સંકલનનો અભાવ છે. ભારત પાસે ડઝન જેટલી સ્પેશિયલ ફોર્સ છે, જે બધાની કમાન જુદા જુદા ખાતા પાસે છે. જેમ કે, ભારતીય લશ્કરની સીધી દેખરેખ હેઠળ ૨ પેરા, ૩ પેરા, ૯ પેરા, ૧૦ પેરા, ૧૧ પેરા, ૧૨ પેરા, ૨૧ પેરા એવું ટેકનિકલ નામ ધરાવતી સ્પેશિયલ ફોર્સ બટાલિયનો છે. એક બટાલિયન પાસે ૬૨૦ જવાન હોય છે, જે સામાન્ય ભાષામાં પેરા કમાન્ડોઝ તરીકે ઓળખાય છે.

પેરા કમાન્ડોઝનો ઉપયોગ કેમ નહીં?

પઠાણકોટથી ફક્ત ૩૦ મિનિટના હવાઈ અંતરે આવી એક નહીં પણ ચાર પેરા સ્પેશિયલ ફોર્સ હાજર હતી. નવમી જૂન, ૨૦૧૫ના રોજ ૨૧ પેરા સ્પેશિયલ ફોર્સે જ નાગાલેન્ડ અને મણિપુરની મ્યાંમાર સરહદમાં ઘૂસીને ૧૦૦ નાગા બળવાખોરોનો સફાયો કર્યો હતો. માંડ વીસ મિનિટનું આ ઓપરેશન કરવા ૨૧ પેરાની એક ટુકડીને મિગ ૧૭ એરક્રાફ્ટની મદદથી જંગલમાં ઉતારાયા હતા. જંગલમાં ઉતર્યા પછી તેઓ સતત બે દિવસ સુધી ૩૦ કિલોમીટર ચાલીને ભારત વિરોધી છાવણી સુધી પહોંચ્યા હતા. અહીં પહોંચીને ૨૧ પેરાએ વીસ મિનિટમાં ઓપરેશન પૂરું કર્યું હતું. ઓપરેશન કર્યા પછી આ તેઓ નવ કિલોમીટર ચાલીને પાછા ભારતીય સરહદમાં આવ્યા હતા, જ્યાંથી તેમને એરલિફ્ટ કરી લેવાયા હતા. આ હુમલાના ચારે દિવસ પહેલાં જ નેશનાલિસ્ટ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના બળવાખોરોએ મણિપુરમાં ભારતીય લશ્કરના ૧૮ જવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા, એના જવાબમાં એ ઓપરેશન કરાયું હતું.

ટૂંકમાં, પેરા કમાન્ડોઝને કાઉન્ટર ટેરરિઝમની આટલી આકરી તાલીમ અપાઈ જ હોય છે, છતાં પઠાણકોટમાં તેમના બદલે એનએસજીનો ઉપયોગ કરાયો એ આશ્ચર્યજનક છે. એનએસજી પણ સ્પેશિયલ ફોર્સ જ છે. એનએસજી બે ભાગમાં છે, એક સ્પેશિયલ એક્શન ગ્રૂપ અને બીજું સ્પેશિયલ રેન્જર્સ ગ્રૂપ. એનએસજીનો હવાલો કેન્દ્રિય ગૃહ મંત્રાલય પાસે છે. શું ગૃહ મંત્રાલયે લશ્કરની સલાહથી એનએસજીને પઠાણકોટ મોકલ્યા હતા? આ સવાલનો ચોક્કસ જવાબ મળતો નથી. પઠાણકોટ ઓપરેશનમાં એરફોર્સની ગરુડ કમાન્ડોઝ સ્પેશિયલ ફોર્સ પણ સામેલ હતી. ગરુડને એન્ટિ હાઈજેક, સર્ચ એન્ડ રેસ્ક્યૂ તેમજ જંગલમાં ઓપરેશન કરવાની તાલીમ અપાય છે. પઠાણકોટ એરબેઝ પર એકસાથે અનેક ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ ઓપરેશનમાં સામેલ થઈ હોવાથી ગૂંચવાડો થયો હતો. આ કારણોસર જ આતંકવાદીઓ સાથેની સૌથી પહેલી અથડામણમાં એક ગરુડ કમાન્ડો શહીદ થઈ ગયા હતા. સુરક્ષા નિષ્ણાતોએ ઉઠાવેલા સવાલો પરથી એવું કહી શકાય કે, પઠાણકોટ ઓપરેશનમાં વધુ પડતા રસોઈયા રસોઈ બગાડે – કંઈક એવો ઘાટ સર્જાયો હતો. આવી સ્થિતિ સંકલનના અભાવે જ સર્જાતી હોય છે. વી. કે. સિંઘે એટલે જ કહ્યું હતું કે, પઠાણકોટ ઓપરેશનનું સંચાલન કોણ અને ક્યાંથી કરી રહ્યું હતું એ પણ સ્પષ્ટ નહોતું. 

ભારતની વિવિધ સ્પેશિયલ ફોર્સનું માળખું

હવે પઠાણકોટ ઓપરેશનમાં સામેલ ન હતી એ સ્પેશિયલ ફોર્સની વાત કરીએ. નેવી પાસે એક હજાર કમાન્ડોની માર્કોઝ સ્પેશિયલ ફોર્સ છે, જેમને દરિયામાં ઓપરેશન કરવાની તાલીમ અપાય છે. લશ્કર અને એરફોર્સને પેરેશૂટ ડ્રોપિંગ સહિતની મદદ માટે પણ તે અત્યંત મહત્ત્વની ફોર્સ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પાસે કોબ્રા નામની સ્પેશિયલ ફોર્સ છે. તેમને જંગલોમાં મજબૂત બેઝ બનાવીને આતંકવાદી પ્રવૃત્તિ કરતા સંગઠનો સામે લડવાની તાલીમ અપાય છે. કેન્દ્રિય મંત્રીમંડળ પાસે ૩,૫૦૦ જવાનોનું સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ છે. જોકે, તેઓનું મુખ્ય કામ વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનોની સુરક્ષાનું છે. સીઆરપીએફના જ પસંદગીના જવાનોને એસપીજીમાં સમાવાય છે. કેન્દ્રિય મંત્રીમંડળ અંતર્ગત દસ હજાર ચુનંદા જવાનોની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ પણ છે. તેમનું મુખ્ય કામ તિબેટ અને ચીનની દેશવિરોધી પ્રવૃત્તિ પર નજર રાખવાનું છે. આ પ્રકારની ફોર્સનું કામ ફક્ત હુમલા કરવાનું નહીં પણ જાસૂસીથી લઈને જે તે વિસ્તારના લોકો સાથે મજબૂત સંપર્કો બનાવવાનું હોય છે. એ માટે જ તેમને એ વિસ્તારની ભાષાઓની તાલીમ અપાય છે. વર્ષ ૧૯૬૨માં ચીન સામેના યુદ્ધમાં પછડાટ ખાધા પછી આ ફોર્સની રચના કરાઈ હતી.

ભારતમાં વિવિધ સ્પેશિયલ ફોર્સની રચના અનુભવોના આધારે કરાઈ છે. કદાચ એટલે તેનો હવાલો જુદા જુદા ખાતા પાસે છે. જેમ કે, વર્ષ ૨૦૦૮માં મુંબઈના ૨૬/૧૧ હુમલા પછી મહારાષ્ટ્ર સરકારે ફોર્સ વનની રચના કરી હતી, જેને એનએસજી જેવી સામૂહિક અપહરણની સ્થિતિ કાબૂમાં લેવાની તાલીમ અપાય છે. એ હુમલા વખતે પણ એનએસજીને બોલાવાયું હતું પણ એરપોર્ટ પર એરક્રાફ્ટની રાહ જોઈને બેસી રહેવું પડ્યું હોવાથી તેઓ મોડા પહોંચ્યા હતા. ગૃહ મંત્રાલય હેઠળ પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રૂપ નામની,૫૪૦ જવાનોની સ્પેશિયલ ફોર્સ પણ છે. આ જવાનોનું કામ સંસદનું મકાન અને સમગ્ર સંસદ વિસ્તારની સુરક્ષાનું છે. તેઓને ન્યુક્લિયર અને બાયોલોજિકલ હુમલાને કાબૂમાં લેવાની પણ તાલીમ અપાય છે.

વર્ષ ૨૦૧૧માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તત્કાલીન કેન્દ્રિય સચિવ નરેશ ચંદ્રાના વડપણ હેઠળ એક સમિતિ રચીને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા સૂચનો મંગાવ્યા હતા. આ સમિતિએ પણ કહ્યું હતું કે, આપણા પાસે આટલી બધી સ્પેશિયલ ફોર્સ છે, જે ગૃહ મંત્રાલય, કેન્દ્રિય મંત્રીમંડળ અને લશ્કર એમ જુદા જુદા ખાતા હેઠળ કામ કરે છે, જેથી તેમના વચ્ચે સંકલનનો અભાવ છે. આ કારણોસર જ આપણે તેની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી નથી શક્યા.

ભારતની સ્પેશિયલ ફોર્સીસ કેટલી સફળ?

આ વાતનો એકદમ વિસ્તૃત જવાબ પૂર્વ લેફ્ટનન્ટ જનરલ પી.સી. કટોચ અને પત્રકાર સૈકત દત્તાએ સંયુક્ત રીતે લખેલા ‘ઈન્ડિયાઝ સ્પેશિયલ ફોર્સીસ, હિસ્ટરી એન્ડ ફ્યુચર ઓફ ઈન્ડિયાઝ સ્પેશિયલ ફોર્સીસ’ નામના પુસ્તકમાં મળે છે. આટલા એક્સક્લુસિવ વિષય પર લખાયેલું દેશનું એકમાત્ર પુસ્તક એમેઝોન પરથી ફક્ત રૂ. 596 (કિન્ડલ એડિશન રૂ. 375 અને પેપરબેક એડિશન રૂ. 399)માં ખરીદી શકાય છે. 

આ પુસ્તકમાં સ્પેશિયલ ફોર્સ વિશે કંઈ પણ બોલવા ‘ઓથોરિટી’ ગણાતા કટોચે સાબિત કર્યું છે કે, આતંકવાદીઓ-બળવાખોરોના સફાયાની રીતે જોઈએ તો ભારતની સ્પેશિયલ ફોર્સીસ સફળ કહી શકાય. પરંતુ આવી ફોર્સ પાસે વ્યૂહાત્મક કામ લેવામાં સફળતા મળે તો જ આપણે તેની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ કર્યો કહેવાય. આતંકવાદીઓને તો ઈન્ફ્રન્ટ્રી, રાષ્ટ્રીય રાયફલ અને આસામ રાયફલ પણ મારી શકે છે, જ્યારે સ્પેશિયલ ફોર્સીસનું કામ ગોળી છોડ્યા વિના બળવાખોરીને કાબૂમાં લેવાનું છે. આ પ્રકારના યુદ્ધમાં શારીરિક હુમલો અંતિમ વિકલ્પ હોય છે. આખી દુનિયામાં વન ટુ વન ફાઈટનું મહત્ત્વ ઘટી રહ્યું છે. પાકિસ્તાન અને ચીનની બાબતમાં ભારતને પણ આ વાત લાગુ પડે છે. સ્પેશિયલ ફોર્સના કમાન્ડોનો પ્રભાવ ગોળી છોડતા સૈનિકથી અનેકગણો વધારે હોવો જોઈએ!

કટોચ ઉદાહરણો આપીને સમજાવે છે કે, શ્રીલંકામાં એલટીટીઈના સંદેશા આંતરતા માલુમ પડ્યું હતું કે, તેઓ સૌથી વધારે ઈન્ડિયન પીસ કિપિંગ ફોર્સથી ડરતા હતા કારણ કે, જરૂર પડ્યે આકરો જવાબ આપવાની સાથે એ ફોર્સ ઈન્ફોર્મેશન સપોર્ટ મેનેજમેન્ટ, સાઈકોલોજિકલ ઓપરેશન અને પર્સેપ્શન મેનેજમેન્ટ જેવું હુમલા સિવાયનું કામ કરવામાં અવ્વલ હતી. સ્પેશિયલ ફોર્સના ઓપરેશનમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. એટલે જ સ્પેશિયલ ફોર્સના કમાન્ડોઝને પાડોશીઓ સાથેના ‘બુલેટલેસ વૉર’માં નિષ્ણાત બનાવવા પાડોશી દેશોની ઉર્દૂ, પશ્તુ અને ચાઈનીઝ જેવી ભાષાની પણ તાલીમ અપાય છે.

હાલ ચીન, રશિયા અને અમેરિકા સ્પેશિયલ ફોર્સીસનો સૌથી ઉત્તમ ઉપયોગ કરે છે. તેઓ પાડોશી દેશોની સરહદો નજીક કરાતી વિકાસ યોજનાઓમાં પણ સ્પેશિયલ ફોર્સના ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરે છે. ચીને તાલિબાનો સાથે પણ ઊંડા સંપર્ક બનાવ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો પર હુમલો કર્યો હોવા છતાં અમેરિકાના તાલિબાનો સાથેના સંબંધ આપણા કરતા વધારે મજબૂત છે કારણ કે, તેમની સ્પેશિયલ ફોર્સ તાલિબાનોને પણ તાલીમ આપે છે. સ્પેશિયલ ફોર્સીસનું કામ બળવાખોરોને વ્યૂહાત્મક સહાય કરવાનું પણ છે, જે આજના આંતરરાષ્ટ્રીય-વ્યૂહાત્મક રાજકારણની કડવી હકીકત છે.

ટૂંકમાં, આતંકવાદને કાબૂમાં રાખવા કે આંતરિક સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા જ નહીં પણ વિદેશી નીતિમાં પણ પછડાટ નહીં ખાવા સ્પેશિયલ ફોર્સનું માળખું સુધારવું કેમ જરૂરી છે, એ વાતનો જવાબ વાચકોને મળી ગયો હશે!

નોંધ ઃ તસવીર પ્રતીકાત્મક છે. 

11 January, 2016

શહેરોને સ્માર્ટ બનાવતા પહેલાં 'જીવવા લાયક' બનાવીએ...


કેન્દ્ર સરકારે ૧૫મી ડિસેમ્બરથી ૧૫ અબજ ડોલર એટલે કે આશરે એક લાખ કરોડના ખર્ચની તૈયારી સાથે 'સ્માર્ટ સિટી મિશનશરૂ કરી દીધું છે. આ મિશન હેઠળ દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ બનાવવાની તેમજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત) નામની પેટા યોજના હેઠળ એક લાખથી વધુ વસતી ધરાવતા ૫૦૦ શહેરને પણ 'સ્માર્ટ' બનાવવાની તૈયારી કરાઈ છે. આ યોજના સફળ થશે કે નહીં એ મુદ્દે મીડિયા માઈક્રો સ્કેનિંગ કરી રહ્યું છે. સ્માર્ટ સિટી મિશન સરકારી સ્ટાઈલમાં આગળ વધતું રહેશે પરંતુ જાગૃત નાગરિકો તરીકે આપણે આપણા શહેરને જીવવા લાયકકેવી રીતે બનાવી શકીએ એની ચર્ચા કદાચ વધારે જરૂરી છે. ખરેખર તો સ્માર્ટ સિટી મિશનની સફળતાનો આધાર જ દરેક નાગરિકની સીધેસીધી ભાગીદારી પર છે. જો આપણે આ વાત સરકાર અને પ્રજા ઝડપથી નહીં સમજે તો, સ્માર્ટ ફોન લીધા પછી વાપરતા જ ના આવડે- કંઈક એવો ઘાટ સર્જાતા વાર નહીં લાગે.

આ વાત કરતા પહેલાં સ્માર્ટ સિટી મિશન શું છે એ સમજીએ. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે શહેરી જીવનમાં અત્યંત જરૂર કહેવાય એવી ૧૧ માળખાગત સુવિધામાં ધરખમ સુધારા કરવાની યોજના બનાવી છે. જે અંતર્ગત સરકાર નાગરિકોના હિતમાં આરોગ્ય, શિક્ષણ, જાહેર પરિવહન, હાઉસિંગ, પાણી અને વીજ પુરવઠો, ચુસ્ત વહીવટી તંત્ર, સુંદર પર્યાવરણ, નાગરિક સુરક્ષા, આઈટી કનેક્ટિવિટી અને ડિજિટાઈઝેશન પર ભાર મૂકશે. આ સિવાય પણ સરકાર કેટલીક બાબતોને પ્રાથમિકતા આપવાની છે, જેમાં લોકોને ચાલવા માટે ફૂટપાથ, ચુસ્ત ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા તેમજ સ્થાનિક તંત્રને સિટીઝન ફ્રેન્ડ્લી બનાવવા જેવા મુદ્દા સમાવાયા છે. આ ઉપરાંત જે તે શહેરની સ્થાનિક સંસ્કૃતિ, વાનગી, કળા-કારીગરી અને રમતગમતને પ્રોત્સાહન આપવા જેવી બાબતો પણ ઉમેરાઈ છે. જોકે, સરકારે આ બાબતોનો સેકન્ડ પ્રાયોરિટીમાં સમાવેશ કર્યો છે. ખરેખર તો કોઈ પણ શહેર માળખાગત સુવિધા કરતા સ્થાનિક સંસ્કૃતિનો ધબકાર સંભળાતો હોય એના કારણે વધારે જીવવા જેવું લાગે છે.



સ્માર્ટ સિટી મિશન અમલની દૃષ્ટિએ અત્યંત અઘરી યોજના છે. જો તેનો યોગ્ય રીતે અમલ નહીં થાય અને ખાસ કરીને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપનો મહત્તમ લાભ નહીં ઉઠાવાય તો કરોડો રૂપિયા વેડફાઈ જશે એ નક્કી છે. વિશ્વમાં ઘણાં બધા સ્માર્ટ સિટી છે પણ જીવવા લાયક શહેરો ઘણાં ઓછા છે. આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ ત્યારે મગજમાં ન્યૂયોર્ક, લોસ એન્જલસ, લંડન, પેરિસ, ટોકિયો, હોંગકોંગ કે સિંગાપોર જેવા શહેરોના નામ મગજમાં આવે છે. જોકે, 'ઈકોનોમિસ્ટ' અને 'ફોર્બ્સ' જેવા પ્રતિષ્ઠિત સામાયિકો દ્વારા બહાર પડાયેલી જીવવા લાયક (લિવેબલ) પહેલાં દસ શહેરોની યાદીમાં આ એકેય શહેરનું નામ નથી. નાગરિકો માટે જીવન હર્યુંભર્યું છે એવા પહેલા દસ શહેરમાં મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા), વિયેના (ઓસ્ટ્રિયા), કલગરી (કેનેડા), સિડની (ઓસ્ટ્રેલિયા), ઓકલેન્ડ (ન્યૂઝીલેન્ડ) વાનકુવર (કેનેડા), હેલસિંકી (ફિનલેન્ડ), ઝ્યુરિક (સ્વિત્ઝર્લેન્ડ), પર્થ (ઓસ્ટ્રેલિયા), ટોરોન્ટો (કેનેડા) અને એડેલેઇડ (ઓસ્ટ્રેલિયા)નો સમાવેશ થાય છે.

તમામ શહેરોમાં માળખાગત સુવિધાઓ ઉત્તમ કક્ષાની છે જ, પરંતુ આ શહેરોમાં જીવવાની મજા અલગ કારણથી આવી રહી છે. એ માટે ઓગસ્ટ ૨૦૧૫માં જાહેર કરાયેલી પહેલાં દસ જીવવા લાયક શહેરોની યાદી તૈયાર કરવાના માપદંડો શું હતા એ જાણીએ. સ્માર્ટ સિટી મિશન શરૂ થઈ ગયું છે ત્યારે એ માપદંડો જાણવા જેવા છે. જીવવા લાયક શહેરોના મુખ્ય માપદંડોમાં ગુનાખોરીનું પ્રમાણ, નાગરિકો માટે આરોગ્યની સુવિધા (સરકારી અને ખાનગી બંને), ભ્રષ્ટાચારનું પ્રમાણ, સામાજિક અને ધાર્મિક પ્રતિબંધો, સેન્સરશિપનું સ્તર, ગ્રાહક સેવા, હાઉસિંગની ગુણવત્તા, રસ્તા, જાહેર પરિવહનની વ્યવસ્થા, પ્રવાસીઓ માટે સુવિધા, રમતગમતની સુવિધા, ખાણીની સાથે પીણીની સંસ્કૃતિ, શિક્ષણનું સ્તર, શહેરનું આંતરરાષ્ટ્રીય જોડાણ અને ટેલિકોમ્યુનિકેશનની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે. આવા ત્રીસેક માપદંડોના આધારે નિષ્ણાતોએ જીવવા લાયક શહેરોની યાદી તૈયાર કરી હતી. એટલું જ નહીં, શહેરના લોકોનો સ્વભાવ અને સ્થાનિક તંત્ર પ્રવાસીઓ સહિત તમામ સાથે દોસ્તાના છે. આ શહેરોમાં કોઈ પણ વ્યક્તિ બિંદાસ હરીફરી શકે છે. વિદેશી પ્રવાસીઓ શહેરમાં આવે એટલે તેમને મજા પડી જાય છે.

આ દરેક શહેરે પોતાના આગવો ઐતિહાસિક વારસો અને સ્થાપત્યો જાળવ્યા છે. ખાણી અને પીણી માટે હોટેલોથી માંડીને સ્ટ્રીટ ફૂડની ઉત્તમ કક્ષાની સુવિધા છે. સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતાનું પ્રમાણ પણ ઉત્તમ કોટિનું છે. અજાણ્યા પ્રવાસી માટે પણ ડ્રાઈવિંગ-ટ્રાફિક સુરક્ષિત છે. જાહેર પરિવહનથી લઈને શિક્ષણનું પ્રમાણ અને ગુણવત્તા ઉચ્ચ દરજ્જાની છે. શિક્ષણનું સ્તર ઊંચું છે એવું ફક્ત સ્થૂળ અર્થમાં નહીં પણ લોકોનું એકબીજા સાથેનું વર્તન અને સાક્ષરતાનો દરજ્જો પણ ગુણવત્તાયુક્ત છે. અનેક સ્થળે ફેશન સ્ટ્રીટ માર્કેટ છે પણ ચાલવાની સુવિધા અને સ્વચ્છતાનું ધ્યાન રખાયું છે. શહેરને સુંદર બનાવવા ફક્ત ચોખ્ખાઈ નહીં પણ જાહેર દીવાલો, મકાનો અને સ્થાપત્યોને શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગે એવી રીતે જાળવવામાં આવ્યા છે. કળા, સાહિત્ય અને તેના સર્જકો તેમજ રમતવીરોનો માન-મરતબો વિશિષ્ટ છે. આ શહેરોમાં ખુલ્લી જગ્યા, મ્યુઝિયમ અને ઠેર ઠેર સ્ટાઈલિશ હેન્ગઆઉટની બોલબાલા છે. અહીંના બાળકો શાળાકીય શિક્ષણ સિવાય શહેર પાસેથી જ ઘણી બધી ઈતર પ્રવૃત્તિનું શિક્ષણ લઈ રહ્યા છે.

આ તમામ શહેરો એટલે સ્માર્ટ હોવાની સાથે જીવવા લાયક છે. જીવવા લાયક શહેરોને ઝડપથી સ્માર્ટ બનાવી શકાતા હોય છે. આ તમામ બાબતોમાં આપણા મેટ્રો જોજનો દૂર છે. આપણે અમદાવાદને એડેલેઇડ, વડોદરાને વાનકુવર અને સુરતને સિડની ત્યારે જ બનાવી શકીશું જ્યારે લોકો પોતાના શહેરને 'પોતાનું ઘર' સમજશે! ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશના વિવિધ શહેરોની મુશ્કેલીઓ, રહેણીકરણી, લોક સ્વભાવ અને સામાજિક-સાંસ્કૃતિક અભિગમ અલગ હોવાથી દરેક શહેરને જીવવા લાયક બનાવવા લોક ભાગીદારી અત્યંત જરૂરી છે. આપણા સ્માર્ટ સિટી મિશનમાં દરેક શહેરની પોતાની આગવી અને જટિલ મુશ્કેલીઓનો ઉકેલ કેવી રીતે લવાશે એનો કોઈ જવાબ નથી.

જેમ કે, ભારતના શહેરોમાં ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ છે. એમને કાયમી ધોરણે હટાવવા માટે શું કરાશે?, માલધારી સમાજનું ગ્રામ્ય વિસ્તારોમાં પુનર્વસન કરવા કંઈ વિચારાયું છે? શહેરોમાં ચારણની અછત છે તેમજ અને ઢોર ચોરીનો પ્રશ્ન ધાર્મિક રીતે સંવેદનશીલ બની રહ્યો છે. યોગ્ય દિશામાં શહેરીકરણ કરવા આ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. બેફામ શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે ટ્રાફિક અને પાર્કિંગની મુશ્કેલીનો હલ કેવી રીતે લવાશે? શહેરની શાન બગાડતા બેફામ બાંધકામોને કાબૂમાં રાખવા શું કરાશે? સ્માર્ટ સિટી માટે આવા પાયાના પ્રશ્નો માટે શું યોજના છે? સ્ટ્રીટ ફૂડ અને ફેશન માર્કેટમાં લોકો સહેલાઈથી ટહેલી શકે એ માટે શું કરાશે? અત્યારે પણ દિલ્હી, મુંબઈ કે હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કચરો ઉઠાવવાની, તેનો નાશ કરવાની અત્યાધુનિક સુવિધા નથી. લીલા અને સૂકા કચરાનો નિકાલ જુદી જુદી રીતે થવો જોઈએ. આ માટે લોકોને કેવી રીતે જોડાશે? કચરાનો બાળીને નાશ કરવા પર પ્રતિબંધ છે છતાં કચરો સાફ કરનારા જ વહેલી સવારે કચરો બાળીને પ્રદૂષણ ફેલાવે છે. રસ્તાઓ પર રોજ ધૂળ આવી જતી હોવાથી રોજેરોજ સાફસૂફી થાય છે, જાણે તેમને રોજગારી આપવા જ આવી વ્યવસ્થા કરાઈ હોય! પરંતુ ધૂળ ઊડે જ નહીં અને પ્રદૂષણમાં વધારો થાય જ નહીં એ માટે શું કરાશે? કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઈટ રહેણાક વિસ્તારોથી દૂર હશે કે અત્યારની જેમ જ? જ્યાંત્યાં થૂંકતા લોકોને કેવી રીતે અટકાવીશું? સ્વચ્છતા અભિયાન માટે પણ આ જરૂરી મુદ્દા છે. હવા, અવાજ અને પાણીનું પ્રદૂષણ ઘટાડવા માટે લોક સહકાર ખૂબ જ જરૂરી છે. એ માટે શું કરાશે?

આપણે વિદેશના સુંદર શહેરોને ભલે નજર સામે રાખીએ પણ આપણા દરેક શહેરની આગવી મુશ્કેલીઓને સમજીને આપણે આપણા સ્માર્ટ સિટી મોડેલ વિકસાવવા પડશે. જેમ કે, ભારતમાં રાતોરાત ઝૂંપડપટ્ટીઓ હટાવવી શક્ય છે? ના. તો પછી ઝૂંપડપટ્ટીઓ પણ સુંદર હોઈ શકે છે એવું આપણે યુરોપના દેશો પાસેથી શીખવું પડશે. ઝૂંપડપટ્ટીઓ તેમજ ગામડામાં રહેતા કરોડો લોકોને આરોગ્યથી લઈને સ્વચ્છતા બાબતે કેવી રીતે જાગૃત કરી શકીએ? એના ઉપાય પણ આપણે શોધવાના છે. ગામડાં, નાના નગરો-શહેરોમાં રહેતા કરોડો ગરીબ બાળકોના ભવિષ્ય ખાતર સરકારી શિક્ષણમાં ધરખમ સુધારા કરવા પડશે. ભારતીય કવિઓ વરસાદ વિશે બહુ કવિતાઓ લખી પણ ચોમાસામાં દેશના અનેક ગામડા-નગરો નર્કાગાર બની જાય છે. એ વિષય પર કોણ કવિતાઓ લખશે? અલબત્ત, ઝૂંપડપટ્ટીનો જ બાળક! કારણ કે, અહીં રહેતા બાળકો જ મેલેરિયાથી કમોતે મરે છે. આજેય નાના નગરોમાં ગટરો નહીં પણ ખુલ્લી ખાળમોરીઓ છે. અત્યાધુનિક ડ્રેનેજ વ્યવસ્થા હજુયે સપનું છે. આજેય દેશમાં કરોડો લોકો ખુલ્લામાં હાજતે જાય છે. શહેરોમાં આ દુષણ ઘટ્યું છે પણ આજેય મેટ્રો સહિતના શહેરોના જાહેર ટોઈલેટો બદતર છે.

વિદેશી પ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે પબ્લિક ટોઈલેટ જેવી મૂળભૂત સુવિધાઓની ખાસ જરૂર છે. શહેરોમાં મલ્ટિપ્લેક્સ સિવાય એકેય કોમ્પ્લેક્સમાં સ્વચ્છ ટોઈલેટની વ્યવસ્થા નથી. હોય તો તાળા મારવા પડે છે. એક વિદેશીએ તો આંખ ફાડીને આ લખનારને પૂછ્યું હતું કે, ટોઈલેટને તાળું? કેમ? વિદેશી યુવતીઓ સાથે દેશમાં જઘન્ય વ્યવહાર થાય છે, એ માટે એકલી સરકાર કશું નહીં કરી શકે. લોકોએ પણ જાગૃત થવું પડશે. દેશમાં સ્ત્રીહિંસાનું પ્રમાણ ઊંચું હોય ત્યારે લોકોને આ બાબતે કેવી રીતે જાગૃત કરીશું? આ ઉપરાંત હેન્ગઆઉટ માટે વાઈબ્રન્ટ યૂથ રેસ્ટોરા, કાફે, થિયેટર, સાહિત્યિક પ્રવૃત્તિ, વાયબ્રન્ટ મ્યુઝિયમો અને આર્ટ ગેલેરી પણ હોવી જોઈએ. આ બધું સરકારોથી નહીં પણ પ્રજાથી ધમધમે છે. કોઈ વિદેશી આપણા શહેરની ગંદીગોબરી છબિ લઈને જાય તો આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. જાગૃત નાગરિકોએ અંગત સ્વાર્થ, પૂર્વગ્રહો અને જૂથવાદથી થોડી આગળની દૃષ્ટિ રાખીને સિટીઝનશિપ જર્નાલિઝમજેવા ઈનિશિયેટિવ પણ લેવા પડશે. આ બધા માટે આપણે શું કરી રહ્યા છીએ?

ટૂંકમાં, માળખાગત સુવિધાઓ શહેરનું શરીર છે પણ લોકોનો મિજાજ એ જ શહેરનો ખરો આત્મા છે. આ આત્માથી જ શહેરો વાઈબ્રન્ટ અને જીવવા લાયક બનતા હોય છે.

કૃષિ સુધારા કરવા અઘરા પણ અશક્ય નહીં


વર્ષ 2016માં ઓવરઓલ જીડીપી ૭.૫ ટકા અને એગ્રિ જીડીપી (કૃષિ વિકાસ દર) ૧.૧ ટકા રહેશે એવું અનુમાન કરાયું છે. જો કૃષિપ્રધાન દેશમાં ઓવરઓલ જીડીપી અને એગ્રિ જીડીપી વચ્ચે આટલો જંગી તફાવત રહેતો હોય તો હસવું કે રડવું એ નક્કી કરવું મુશ્કેલ છે. ભારત જેવા દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન મહત્ત્વનું છે એની ના નહીં પણ આજેય ભારતની ૪૯ ટકા વસતી સીધી કે આડકતરી રીતે કૃષિ પર નિર્ભર છે. જો એગ્રિ જીડીપી ઓવરઓલ જીડીપી સામે ઘટતો રહેશે તો આખા ભારતીય અર્થતંત્ર માટે જોખમી સાબિત થશે. આપણે અનાજ, કઠોળ અને શાકભાજીમાં મોંઘવારીનો સામનો કરવો પડે છે એ પાછળ પણ ખોડંગાતું કૃષિ અર્થતંત્ર જ જવાબદાર છે. જો કૃષિ ક્ષેત્રની હાલત આવી જ રીતે બગડતી રહેશે તો ખેડૂતોની આત્મહત્યામાં હજુ વધારો થશે. આ સ્થિતિને 'સબ કા સાથ, સબ કા વિકાસ' એવું કઈ રીતે કહી શકાય? જો એનડીએ સરકાર પણ પાછલી સરકારની જેમ ઔદ્યોગિક વિકાસના આંકડા જોઈને સંતોષ માનતી રહેશે તો ખેડૂતો ઠેરના ઠેર જ રહેશે એ વાતમાં કોઈ શંકા નથી.

ઓછા વરસાદના અનુમાનનો ખેલ!

નવા વર્ષના એગ્રિ જીડીપીના અનુમાનિત આંકડા કંગાળ દેખાવાનું મુખ્ય કારણ ભારતીય હવામાન ખાતાએ કરેલું સરેરાશથી ઓછા વરસાદનું અનુમાન છે. સરેરાશથી ઓછા વરસાદનો અર્થ એ છે કે દેશના અનેક વિસ્તારોમાં દુકાળની સ્થિતિ હશે. વર્ષ ૨૦૧૪માં પણ દુકાળ પડ્યો હતો પણ સરકારે તેને સત્તાવાર જાહેર નહોતો કર્યો. આવી રીતે ઉપરાછાપરી સળંગ બે વર્ષ સુધી દુકાળ નોંધાયો હોય એવું અત્યાર સુધી ફક્ત ત્રણ જ વાર વર્ષ ૧૯૦૪-૦૫, ૧૯૬૫-૬૬ અને ૧૯૮૬-૮૭માં થયું છે. આ સંજોગોમાં એનડીએ સરકાર સામેનો સૌથી મોટો પડકાર દુકાળ સામે લડવા તમામ સ્તરે નીતિવિષયક પગલાં કેવી રીતે લેવા એ છે.



દુકાળની સ્થિતિમાં ખેડૂતોની આત્મહત્યાનો દર નીચામાં નીચો રહે એ માટે શું કરવું જોઈએ?- એ સવાલના જવાબ શોધીને તેનો અમલ કરવો એ એનડીએ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. આ સ્થિતિમાં સૌથી આદર્શ માર્ગ ખેડૂતોને બિયારણ, ખાતર, ઘાસચારો અને ડીઝલ જેવી કૃષિ માટે પાયાની જરૂરિયાતો પૂરી પાડવા આકસ્મિક યોજના તૈયાર રાખવાનો છે. વળી, દરેક રાજ્યમાં આ જરૂરિયાતો અલગ અલગ રહેશે એનો આગોતરો અભ્યાસ કરવો પણ જરૂરી છે. જો આવું નહીં કરાય તો દુકાળની સ્થિતિ ધાર્યા કરતા વધારે ભયાનકતા સર્જી શકે છે. જોકે, ખેડૂતોની આત્મહત્યાઓ વચ્ચે પણ સરકારો હંમેશા એમ જ કહે છે કે, અમે દુકાળની સ્થિતિને પહોંચી વળવા સજ્જ છીએ.

વીમા યોજનાઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર

કૃષિપ્રધાન દેશમાં કૃષિને લગતા વીમાની યોજના સરળ અને ભ્રષ્ટાચાર મુક્ત હોય તો ખેડૂતોની આત્મહત્યા જેવી અત્યંત ગંભીર મુશ્કેલી સામે લડવામાં મદદ મળે. જોકે, આઝાદીના છ દાયકાથી પણ વધારે સમય પછી એક કૃષિપ્રધાન દેશમાં કૃષિ વીમાનું ચુસ્ત માળખું ઊભું થઈ શક્યું નથી એ ખરેખર આઘાતજનક છે. હાલનું કૃષિ વીમા માળખું અત્યંત ભ્રષ્ટ અને જટિલ છે. ખેડૂતો કૃષિ વીમાનો દાવો કરે એ પછી તેમને સહેલાઈથી તેમનું વળતર મળતું નથી. વીમાનો દાવો કરીને વળતર મેળવવા પણ લાંચ આપવી પડે છે એવી ફરિયાદો વ્યાપક છે. વળી, જે કોઈ રકમ મળે છે એ પણ નુકસાની સામે ચણાંમમરાં જેવી હોય છે, જેના કારણે આજેય લાખો ખેડૂતો કૃષિ વીમા ઉતરાવવામાં ઉદાસીન છે.

કૃષિ નિષ્ણાતોના મતે, કૃષિ વીમાનું સજ્જડ માળખું ઊભું કરવા માટે ટેક્નોલોજિકલ ક્રાંતિ મદદરૂપ થઈ શકે. જેમ કે, દરેક નાના અને મધ્યમ ખેડૂતને તેની નુકસાનીનું યોગ્ય વળતર મળે એ માટે જમીનોના રેકોર્ડનું કમ્પ્યુટરાઈઝેશન, કૃષિ યોગ્ય હવામાનની આગાહી માટે સેટેલાઈટ એડવાન્સમેન્ટ, દેશના વિવિધ વિસ્તારોના હવામાનની સચોટ આગાહી માટે હાઈટેક સ્ટેશન, ડ્રોન મોનિટરિંગ તેમજ આધાર કાર્ડ આધારિત બેંક ખાતા જેવી તમામ સુવિધા કૃષિ વીમા સુધારાની પાયાની શરતો છે. ટેક્નોલોજીનો ફાયદો એ છે કે, તેનાથી યોગ્ય ખેડૂતને, યોગ્ય વળતર મળશે. જો કૃષિ વીમા યોજનાને પણ જન ધન યોજનાની જેમ પ્રાથમિકતા નહીં અપાય તો ખેડૂતો હજુ પણ અનેક વર્ષો સુધી મરતા રહેશે એમાં કોઈ શંકા નથી.

દુકાળને હંફાવવા પાણીના કૃત્રિમ સ્રોત

ભારતીય કૃષિ વરસાદ આધારિત છે. જો વરસાદ સારો પડે તો પાક સારો થાય અને ના પડે તો નબળો થાય અથવા ના થાય. આજેય ભારતમાં લાખો હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા નથી. પરિણામે લાખો ખેડૂતો ફક્ત વરસાદ પર આધાર રાખીને ખેતી કરે છે અને વરસાદ ના પડે ત્યારે આત્મહત્યા કરે છે. આ સ્થિતિમાં બદલાવ લાવવા સિંચાઈ યોજનાઓ, નાના ગામોને તળાવો માટે પ્રોત્સાહન તેમજ વીજ ક્ષેત્રે સુધારા કરવા પડે. સિંચાઈ પહોંચી ના શકે ત્યાં ડ્રીપ ઈરિગેશન સહિતની હાઈટેક સુવિધા વિકસે એની જવાબદારી પણ સરકારની છે. ભંડોળના અભાવે આ સુવિધા વિકસાવી શકાઈ નથી તો તેનો આખરી ઉપાય શું છે એ  દિશામાં વિચારીને પણ હવે ઝડપથી આગળ વધવું પડશે.

સિંચાઈ યોજનાઓ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ પછીયે દેશની ૫૦ ટકાથી પણ વધારે કૃષિ જમીન પાણી માટે તરસે છે. હવામાનમાં થોડો પણ ફેરફાર થાય કે વરસાદ ઓછો કે નહીંવત હોય ત્યારે એવા વિસ્તારોમાં ભારે જોખમ સર્જાય છે. આ મુશ્કેલીને હળવી કરવા ઉત્તર-પશ્ચિમ ભારતમાં પાકિસ્તાન અને પૂર્વમાં બાંગ્લાદેશ સાથે નદીઓના પાણીના વિવાદનો ઝડપથી ઉકેલ લાવવો જોઈએ એમ પણ કૃષિ નિષ્ણાતો વારંવાર કહી ચૂક્યા છે.

પાણીની પણ અજાણતા 'નિકાસ'

આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે, કૃષિપ્રધાન દેશ ભારતમાં પાણીની અછત છે. આ સ્થિતિમાં કૃષિ નિષ્ણાતોની મદદથી પાણીનું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે, ભારતમાંથી આડકતરી રીતે લાખો ટન પાણીની પણ 'નિકાસ' થઈ જાય છે. જેમ કે, ભારતમાં પાકતા એક કિલોગ્રામ ચોખાને સરેરાશ ત્રણથી પાંચ હજાર લિટર પાણી જોઈએ છે. પંજાબ અને હરિયાણા બેલ્ટમાં પાકતા એક કિલોગ્રામ ચોખાને સૌથી વધારે પાંચ હજાર લિટર પાણીની જરૂર પડે છે. વર્ષ ૨૦૧૫માં ભારતે એક કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. એનો અર્થ છે કે, ભારતે એ વર્ષે ૩૦થી ૫૦ બિલિયન ક્યુબિક મીટર પાણીની પણ નિકાસ કરી દીધી. ખાંડના ઉત્પાદનમાં પણ 'પાણીનું ગણિત' કંઈક આવું જ છે. ભારતમાં એક કિલોગ્રામ ખાંડના ઉત્પાદન માટે બે હજાર લિટર પાણી વપરાઈ જાય છે.

આ કારણોસર જ આયાત-નિકાસના હિસાબ કરતી વખતે સિંચાઈ સહિતની પાણી યોજનાઓ માટે કરેલા ખર્ચને ગણતરીમાં જોઈએ. જે પાકને વધારે પાણી જોઈએ તેની નિકાસ કરીએ ત્યારે એ ખર્ચ વસૂલાઈ જવો ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ડ્રીપ ઈરિગેશન જેવી ટેક્નોલોજીની મદદથી ઓછામાં ઓછા પાણીથી સારો પાક કેવી રીતે લઈ શકાય એના પર પણ આપણે મહત્તમ ભાર આપવો જોઈએ. ભારતમાં પાણીની જેમ વીજળીની કિંમત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણ કે, આજેય દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોને મફત કે સબસિડી દરે વીજળી પૂરી પડાય છે. જોકે, અત્યાર સુધી કેન્દ્ર કે એક પણ રાજ્ય સરકારે કૃષિ અર્થશાસ્ત્રીઓની મદદથી આ મુદ્દાને ગંભીરતાથી લીધો નથી. કૃષિ નિષ્ણાતો એવું પણ સૂચન કરે છે કે, ચોખા કે ખાંડની નિકાસ પર વધારાનો પાંચ ટકા વેરો લાદીને નિકાસકારોને હતોત્સાહ કરી શકાય. આમ કરીને કેન્દ્ર કે રાજ્ય સરકારો તેમણે પાણી કે વીજળી માટે ખર્ચેલા નાણાં પરત મેળવીને નુકસાનીમાંથી બચી શકે.

જો સરકાર આ દિશામાં ઠોસ પગલાં નહીં લે તો દર થોડા વર્ષે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થયા જ કરશે. ભારતમાં મોંઘવારી રાજકીય રીતે સૌથી સંવેદનશીલ મુદ્દો છે. આ સ્થિતિને હાલ પૂરતી કાબૂમાં રાખવા અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદિ, ઈંડા અને માછલી જેવા તમામ ખાદ્યાન્નો પર પાંચ ટકા કર માફ કરી દેવો જોઈએ. જોકે, આ પગલું ત્યારે જ લઈ શકાય જ્યારે સરકારને પાંચ ટકા આવક અન્ય સ્રોતમાંથી મળી જતી હોય!
***

ટૂંકમાં, મોદી સરકારે કૃષિ સુધારા કરવા મજબૂત ઈચ્છાશક્તિ અને કૃષિ નિષ્ણાતોએ ડિઝાઈન કરેલા એજન્ડાની ખાસ જરૂર છે. ભારત જેવા જટિલ દેશમાં કૃષિ સુધારા કરવા ખરેખર અઘરું કામ છે. જોકે, આ કામ અશક્ય નથી એ પણ હકીકત છે.