28 February, 2016

અમેરિકાએ લાદેનની લાલચમાં મુંબઈનો ભોગ લીધો હતો


અલ કાયદાએ વર્ષ ૧૯૯૮માં આફ્રિકાના બે દેશ ટાન્ઝાનિયા અને કેન્યાના અમેરિકન રાજદૂતાવાસો પર ટ્રક બોમ્બથી હુમલા કર્યા, જેમાં ૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. એ સમયે વિશ્વભરમાં અમેરિકન રાજદૂતાવાસો અને પ્રવાસીઓને લક્ષ્યાંક બનાવાતા હતા. અમેરિકા જાણતું હતું કે, આ બધી ઘટનાઓ પાછળ અલ કાયદાની સંડોવણી છે, પરંતુ એ વખતે અમેરિકન ઈન્ટેલિજન્સ ઓસામા બિન લાદેન અને તેના નેટવર્ક વિશે ખાસ કશું જાણતું ન હતું. વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓ સખત તણાવમાં હતા કારણ કે, વિશ્વમાં રોજેરોજ ક્યાંકને ક્યાંક અમેરિકનોને ફૂંકી મરાતા હતા. આ સ્થિતિમાં હેડલીએ અમેરિકાને ઓફર કરી કે, હું તમને જેહાદની દુનિયામાં લઈ જઈશ. જો તમે આ ઓફર સ્વીકારશો તો જ લાદેન સુધી પહોંચી શકશો અને અલ કાયદાના નેટવર્કના મૂળિયા જાણી શકશો...

છેવટે આ વખતે પણ અમેરિકન ઈન્ટેલિજન્સ અધિકારીઓએ હેડલીની ઓફર સ્વીકારી લીધી અને તે ફરી એકવાર છૂટી ગયો.

હેડલીની ઓફર પછી સર્જાયું, ૯/૧૧

હેડલીએ ઓફર કરતા તો કરી દીધી પણ આ કામ અત્યંત અઘરું હતું. આ દરમિયાન ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલ કાયદાના ૧૯ ફિદાયીનોએ ચાર પેસેન્જર પ્લેનનું અપહરણ કરીને અમેરિકા પર ખૌફનાક  હુમલો કર્યો. આતંકવાદીઓએ બે પ્લેનની મદદથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર ફૂંકી માર્યા, એક પ્લેનથી અમેરિકાની શાન સમા સંરક્ષણ ખાતાના હેડક્વાર્ટર પેન્ટાગોનનું એક ટાવર ફૂંકી માર્યું અને એક પ્લેનથી વ્હાઈટ હાઉસ પર હુમલાનો પ્રયાસ કર્યો. આ ઓપરેશનમાં ફક્ત વ્હાઈટ હાઉસ પરનો હુમલો નિષ્ફળ રહ્યો. ૯/૧૧ તરીકે જાણીતી આ ઘટનામાં છ હજાર લોકોના મોત થયા હતા, જેમાં પેન્ટાગોનના ૧૨૫ અધિકારી, ૫૫ મિલિટરી પર્સોનલ, ૭૨ લૉ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અને ૩૪૩ ફાયર ફાઇટર્સ પણ સામેલ હતા. આ હુમલાએ અમેરિકાનો અહંકાર ચકનાચૂર કરી નાંખ્યો હતો.

એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્કનું પુસ્તક અને તાજ હોટેલ પરનો હુમલો


હેડલી છેક વર્ષ ૧૯૯૮માં અમેરિકાને જેહાદની દુનિયામાં લઈ જઈ લાદેન સુધી પહોંચવાની લાલચ આપી છૂટી ગયો હતો, પરંતુ ૯/૧૧ના પાંચ વર્ષ પછીયે એટલે કે વર્ષ ૨૦૦૬ સુધી તે કશું જ કરી શક્યો ન હતો. હવે હેડલીની જાનને ખતરો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સના શાંત, ખૂંખાર અને ચબરાક અધિકારીઓ આકુળવ્યાકુળ થઈ ગયા હતા. હેડલીને આર્થિક મદદ કરીને આગળ વધવામાં મદદ કરનારા અધિકારીઓ પણ બેચેન હતા. હવે તેઓ હેડલીનું કાસળ કાઢી નાંખવાની ફિરાકમાં હતા.

એક યોગાનુયોગે હેડલીને બચાવી લીધો

વર્ષ ૨૦૦૬ સુધી હેડલી કશું જ કરી ના શક્યો પણ અમેરિકાથી ૧૩ હજાર કિલોમીટર દૂર પાકિસ્તાનમાં એ જ વર્ષે અગાઉ જણાવ્યું હતું એમ લાલ મસ્જિદની ઘટના બની. આ ઘટના પછી લશ્કર એ તૈયબા ખતમ થઈ રહ્યું હતું. એક તરફ, તૈયબા પર પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈનું ભારત પર મોટો હુમલો કરવાનું દબાણ હતું અને બીજી તરફ, અમેરિકન ઈન્ટેલિજન્સના કેટલાક અધિકારીઓમાં લાદેનને ઝબ્બે કરવાની 'અંગત મહત્ત્વાકાંક્ષા' બળવત્તર થઈ ગઈ હતી. આ એક ખતરનાક યોગાનુયોગ હતો.

આ સ્થિતિમાં (યાદ રાખો, વર્ષ ૨૦૦૬માં) હેડલીએ જેહાદની દુનિયામાં ઘૂસવા તૈયબાને એક ઓફર કરી. તેણે તૈયબાના આકાઓને કહ્યું કે, ભારતમાં એક મોટો હુમલો કરવા તમે મારો 'ઘૂસણખોર' તરીકે ઉપયોગ કેમ નથી કરતા? જોકે, શરૂઆતમાં તૈયબાને હેડલીની ક્ષમતા અને તેના ઈરાદા વિશે શંકા હતી, પરંતુ ભારતમાં મોટો હુમલો કરવા હેડલીનું મહત્ત્વ સમજતા તૈયબાને વાર ના લાગી. હેડલી અડધો પાકિસ્તાની અને અડધો અમેરિકન હતો. અમેરિકન પાસપોર્ટ ધરાવતો હતો. વળી, ઉર્દૂનો અચ્છો જાણકાર અને અમેરિકન ઉચ્ચારોમાં અંગ્રેજી બોલતો ગોરો પુરુષ હતો. સૌથી મહત્ત્વની વાત એ હતી કે, હેડલી જાતને જોખમમાં મૂકીને ભારત પર હુમલો કરાવવા આતુર હતો. આ ઓફરની સાથે જ મુંબઈ હુમલાના કાવતરાની શરૂઆત થઈ ગઈ હતી.

એવું નહોતું કે, આ બધું વ્હાઈટ હાઉસની સીધી દેખરેખ હેઠળ થતું હતું પણ ૯/૧૧ પછી વ્હાઈટ હાઉસે અમેરિકન ઈન્ટેલિજન્સના અનેક અધિકારીઓને વધારે પડતી છૂટછાટો આપી હતી.

મુંબઈ હુમલાની યોજના શરૂ કરાઈ

તૈયબાએ ભારતીયોની સાથે વિશ્વભરના પ્રવાસીઓ પણ હોય એવા સ્થળે હુમલો કરવાનો નિર્ણય લીધો. આ કારણસર હેડલીએ તૈયબાના સૂચનોને આધારે મુંબઈની તાજ હોટેલ અને તેની આસપાસના સ્થળોની રેકી કરવાનું શરૂ કર્યું. તાજ હોટેલ નજીક નરીમાન હાઉસ પણ હતું, જે મહારાષ્ટ્રના યહૂદીઓની સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે. આ સ્થળોની રેકી કરવા હેડલીએ મુંબઈની સાત અને દિલ્હીની એક વાર મુલાકાત લીધી હતી. મુંબઈમાં તેણે શ્રીમંત મિત્રો પણ બનાવ્યા હતા. મુંબઈ વિશે તેને ઊંડું જ્ઞાાન હતું. શિવસેનાના ઉદ્ભવ અને મુસ્લિમ માફિયાઓના ઇતિહાસનું પણ તેને સંપૂર્ણ જ્ઞાાન હતું.

બીજી તરફતૈયબાના કમાન્ડરોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગરીબ-પછાત વિસ્તારોમાંથી ૩૨ યુવકને પસંદ કર્યા. કસાબ પણ ઓકારા નામના આવા જ અત્યંત ગરીબ-પછાત નગરનો રહેવાસી હતો, જ્યાં પોલીસ અને ન્યાયતંત્ર જેવું કશું છે જ નહીં. આતંકની દુનિયામાં આ શહેર ઓકારા નહીં પણ 'બ્લેસ્ડ સિટી' તરીકે ઓળખાય છે કારણ કે, અહીંથી આત્મઘાતી હુમલાખોરો મળી રહે છે. અહીં સામાજિક કલ્યાણના કામ પણ તૈયબા જેવા જૂથોની સ્વૈચ્છિક સંસ્થાઓ જ કરે છે.

જોકે, ભારત પર હુમલાની તાલીમ શરૂ થતાં જ કેટલાક યુવકો ડરી ગયા અને છેલ્લે ફક્ત વીસ યુવક બચ્યા. આ બધા જ એવા યુવકો હતા, જે અનાથ હતા, કોઈના માતા-પિતા છૂટા પડી ગયા હતા, કોઈના પિતા મૃત્યુ પામ્યા હતા, કોઈ પરિવારથી વિખૂટા પડી ગયા હતા અથવા તો તેમના પરિવારો અત્યંત અભણ-અબુધ હતા.

આતંકીઓને પીઓકેમાં તાલીમ અપાઈ હતી

આ યુવકોને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં આવેલી ચેલ્લા બાંદી પર્વતમાળામાં તાલીમ અપાઈ હતી. કાશ્મીર વેલીમાં ભારત સામે લડવા અહીં પહેલેથી જ બેઝ કેમ્પ ધમધમતો હતો. અહીં યુવકોને તંબૂ ફાળવાયા અને તેમના નામ દૂર કરીને નંબર આપી દેવાયા. હવે તેઓ તૈયબાના 'રોબોટ' હતા. અહીં તેઓ લશ્કરી અને આધ્યાત્મિક તાલીમ લેતા હતા. તૈયબાના કમાન્ડરો તેમજ પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈના ચુનંદા અધિકારીઓ સિવાય કોઈ જાણતું ન હતું કે, આ યુવકો મુંબઈ શહેર પર ક્યારે અને કેવી રીતે હુમલો કરશે. ખુદ યુવકોને પણ ખબર ન હતી કે, તેઓ મુંબઈ પર હુમલાની તાલીમ લઈ રહ્યા છે. તેઓ ફક્ત એટલું જ જાણતા હતા કે, આ એક ફિદાયીન હુમલો હશે!

આ યુવકોને બિલ્ડિંગમાં ઘૂસવાની, ગાદલાનો કવચ તરીકે ઉપયોગ કરવાની, એકબીજાને બચાવીને આગળ વધવાની, આછા પ્રકાશમાં ફક્ત સિગ્નલથી વાત કરવાની, નકશા સમજવાની તેમજ ભૂખ-તરસમાં ટકી રહેવાની તાલીમ અપાઈ હતી. બાદમાં તમામને સ્વિમિંગની આકરી તાલીમ આપવા મુઝફ્ફરાબાદમાં ઓલિમ્પિક સ્ટાઇલનો મહાકાય સ્વિમિંગ પુલ પણ તૈયાર કરાયો હતો કારણ કે, મુંબઈ હુમલામાં મરીન ટ્રેઇનિંગનું તત્ત્વ ઉમેરાઇ ગયું હતું. જોકે, આ પુલમાં ફિલ્ટર સિસ્ટમ નહીં હોવાથી તેનું પાણી કાળુ થઈ ગયું હતું. આ કારણોસર યુવકોને વહેતા પાણીની કેનાલોમાં મરીન ટ્રેઇનિંગ અપાઇ હતી.

આઘાતજનક વાત તો એ છે કે, ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ પીઓકેમાં બાજનજર રાખતી હોવાના દાવા કરે છે. જોકે, 'મુંબઈ પર હુમલો થઈ શકે છે' એવી 'ચોક્કસ માહિતી' પણ અમેરિકન ઈન્ટેલિજન્સ જ ભારતને આપતું હતું, પરંતુ વર્ષ ૨૦૦૬ એનું પ્રમાણ ઘટી ગયું અને તેઓ મોટા ભાગે 'એલર્ટ' આપીને સંતોષ માનતા હતા. અમેરિકાએ જવાબદારીમાંથી છટકવા આ કારસો રચ્યો હતો.

આખરે, તૈયબાએ હેડલીની મદદથી મુંબઈની તાજ પર હુમલો કરવાની તારીખ નક્કી કરી અને વીસમાંથી દસ ચુનંદા યુવકોને મુંબઈ મિશન માટે રવાના કરાયા. એ પછી શું થયું એ લોહિયાળ ઈતિહાસથી આપણે વાકેફ છીએ. આ ઘટના પછી ભારતના કેટલાક બાહોશ ઈન્ટેલિજન્સ અધિકારીઓએ અમેરિકન ઈન્ટેલિજન્સને ફોન કરીને સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તમે અમારી સાથે ગદ્દારી કરી. લાદેનને પકડવાની લાલચમાં તમે મુંબઈનો ભોગ લીધો... 

એ વખતે અમેરિકાનો જવાબ હતોઃ અમે તો તમને ચેતવ્યા જ હતા...

હુમલામાં ભારતીયોની પણ સંડોવણી હતી

હેડલીના પાકિસ્તાન સ્થિત હેન્ડલર મેજર ઇકબાલ નામના આઈએસઆઈના એક 'ગુપ્ત વ્યક્તિ'એ ભારતીય લશ્કરના ટ્રેઇનિંગ મેન્યુઅલના આધારે આતંકવાદીઓનો તાલીમ કાર્યક્રમ સંભાળ્યો હતો. આ પ્રકારના મેન્યુઅલમાં લશ્કરની નબળાઈ વિશે પણ વિસ્તૃત માહિતી હોય છે. મુંબઈ પર હુમલો કરવા ભારતીય સુરક્ષા નેટવર્કની એક વ્યક્તિએ જ આઈએસઆઈને આ મેન્યુઅલ પહોંચાડ્યું હતું. આ વ્યક્તિને આઈએસઆઈએ 'હની બી' એવું કોડનેમ આપ્યું હતું. મુંબઈથી પણ કેટલાક લોકોએ તૈયબાને જરૂરી માહિતી આપી હતી, જેમને તૈયબાએ 'ચુહા' કોડનેમ આપ્યું હતું.

ભારત સરકારે મુંબઈ હુમલાનો આ 'લોકલ એન્ગલ' શોધવા રામ પ્રધાન કમિશન ઓફ ઈન્કવાયરીની રચના કરી હતી, જે આજેય 'હની બી' કે 'ચુહા'ને શોધી શક્યું નથી.

***

આ તમામ માહિતી 'ધ સીજ : ૬૮ અવર્સ ઈનસાઈડ ધ તાજ હોટેલ' નામના પુસ્તકમાં મળે છે. એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામના પત્રકાર-લેખક દંપત્તિએ ૧૫ દેશ અને પાંચ ખંડમાં રઝળપાટ કરીને મજબૂત પુરાવા સાથે આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક લખવા તેઓ ભારત-પાકિસ્તાન-અમેરિકાના ઈન્ટેલિજન્સ અધિકારીઓ અને પોલીસ, આઈએસઆઈના હેન્ડલરો, તૈયબાના કમાન્ડરો અને મૃતક આતંકવાદીઓના સ્વજનોને પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અમેરિકન ઈન્ટેલિજન્સ, હેડલી તેમજ હેડલી-તૈયબાના ફોન કૉલ, ઈ-મેઈલ ઈન્ટરસેપ્ટ અને લખાણો સહિતના પુરાવાનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.

એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં એડ્રિયનને પૂછાયું હતું કે, તમે પુસ્તક લખવા આ જ વિષય કેમ પસંદ કર્યો? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ૯/૧૧ પછી અમેરિકાએ ઊંડુ વિશ્લેષણ કરીને ૬૦૦ પાનાંનો દળદાર રિપોર્ટ તૈયાર કર્યો હતો. બ્રિટનમાં પણ ૭/૭ પછી હજારો પાનાંનો રિપોર્ટ બનાવાયો. નેશનલ આર્કાઈવ્સમાં જઈને કોઈ પણ વ્યક્તિ તેનો અભ્યાસ કરી શકે છે. ૯/૧૧ પછી અમેરિકામાં અનેક સુંદર પુસ્તકો લખાયા, જ્યારે મુંબઈની ૨૬/૧૧ ઘટના પછી પ્રધાન સમિતિએ તૈયાર કરેલો રિપોર્ટ ફક્ત ૬૪ પાનાંનો છે. આ રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ, મિલિટરી કે પોલીસ અધિકારીઓ, એનએસજી, રાજકારણીઓનો ઈન્ટરવ્યુ સુદ્ધાં નથી. જે લોકો મૃત્યુ પામ્યા, બચી ગયા, શહીદ થયા, તાજનો સ્ટાફ, અન્ય મહેમાનો અને સુરક્ષાકર્મીઓની પૂરેપૂરી વાત એમાં છે જ નહીં. ૬૪ પાનાંની માહિતી આપીને તમે કહી શકો કે, આ મુંબઈ હુમલાની સ્ટોરી છે? છેવટે અમે જ આ વિષય પર એક સારું પુસ્તક લખવાનું વિચાર્યું...  

***

શિકાગોની જેલમાં ૩૫ વર્ષની જેલની સજા ભોગવી રહેલા હેડલીની ભારત વીડિયો કોન્ફરન્સિંગથી જુબાની લે, અમેરિકા ભારતને પૂછપરછની મંજૂરી આપે કે હેડલીની કબૂલાતોથી પાકિસ્તાન ભોંઠપ અનુભવે- શું આ ભારત સરકારની બહુ મોટી સફળતા છેતમને શું લાગે છે?

નોંધઃ આ લેખનો ભાગ-1 વાંચવા અહીં ક્લિક કરો.

22 February, 2016

...અને હેડલીએ અમેરિકાને જેહાદની દુનિયામાં લઈ જવાની ઓફર કરી


મુંબઈની તાજ હોટેલ પર હુમલાનું કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીની એક પછી એક સનસનાટીભરી કબૂલાતોથી ભારત ખુશ છે, પાકિસ્તાન ભોંઠપ અનુભવી રહ્યું છે અને અમેરિકા હંમેશાંની જેમ અન્યાયી રીતે ન્યાય તોળી રહ્યું છે. જોકે, કેન્દ્ર સરકાર ઈશરત જહાં વિશેના હેડલીના ખુલાસા બાજુએ મૂકીને અને એનડીએ-યુપીએના કુંડાળામાંથી બહાર આવીને ફક્ત ‘ભારતની સરકાર’ તરીકે વિચારે તો હેડલીની જુબાનીમાં ખુશ થવા જેવું કશું નથી. ભારત સરકાર સિફતપૂર્વક ભૂલી રહી છે કે, અમેરિકાએ જ સ્વાર્થ ખાતર હેડલીને 'મોટો' થવા દીધો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સના કેટલાક અધિકારીઓ પહેલેથી જ જાણતા હતા કે, મુંબઈ પર હુમલો થવાનો છે. આ અંગે અમેરિકાએ ભારત સરકારને 'ગૂંચવાડાભરી આગોતરી જાણ' પણ કરી હતી, જેથી ગમે ત્યારે મુંબઈ હુમલાના ગુનામાંથી છટકી શકાય. એક પછી એક નાટ્યાત્મક વળાંકો ધરાવતી નવલકથાના પ્લોટનેય ટક્કર મારે એવી આ સત્ય ઘટના અને એના પાછળની સત્ય ઘટનાઓ ફક્ત સ્વાર્થને ધ્યાનમાં રાખીને ખેલાયેલા આંતરરાષ્ટ્રીય રાજકારણની કાળી ડિબાંગ બાજુ પ્રદર્શિત કરે છે.

વેલ, અમેરિકાને હેડલીનું કદ વધારવામાં કેમ રસ પડ્યો અને તેમનો શું સ્વાર્થ હતો એ સવાલનો જવાબ મેળવતા પહેલાં મુંબઈ હુમલાની ઘટના પાછળની ઘટનાનું બેકગ્રાઉન્ડ.  

મુંબઈ હુમલા માટે ટર્નિંગ પોઈન્ટ બનેલી ઘટના

પાકિસ્તાનમાં વર્ષ ૨૦૦૭માં લોકશાહીના ધજિયા ઉડાવીને સરમુખત્યાર પરવેઝ મુશર્રફ રાજ કરી રહ્યા હતા. મુશર્રફના શાસનમાં ઈસ્લામાબાદની લાલ મસ્જિદનું સંચાલન કરતા બે સગા ભાઈ મૌલાના અબ્દુલ અઝીઝ અને અબ્દુલ રશીદ ગાઝી પાકિસ્તાનનું બંધારણ ફગાવીને શરિયા કાનૂન લાગુ કરવા ઈચ્છતા હતા. તેઓ પાકિસ્તાનના કાયદા-કાનૂનને સતત પડકારતા હતા. લાલ મસ્જિદના વિશાળ કેમ્પસમાં તેઓ યુવક-યુવતીઓની જુદી જુદી મદરેસા પણ ચલાવતા. આ તમામ યુવાનો પર તેમનો પ્રચંડ પ્રભાવ હતો. તેઓ મસ્જિદની આસપાસની વીડિયો-સીડીની દુકાનો, મસાજ પાર્લરો અને ઈસ્લામ વિરોધી ધંધો-વ્યવસાય કરતા લોકો પર હુમલો કરવાનો પણ વિદ્યાર્થીઓને આદેશ આપતા. તેમનું કહેવું હતું કે, વીડિયો શૉપમાં પોર્ન ફિલ્મો વેચાય છે અને મસાજ પાર્લરોમાં મંત્રીઓ-પોલીસની મહેરબાનીથી વેશ્યાલયો ચલાવાય છે. આ બંને ભાઈઓએ સતત ૧૮ મહિના સુધી વિદ્યાર્થીઓની મદદથી ભાંગફોડ પ્રવૃત્તિ કરીને સ્થાનિક પોલીસ અને રાજકારણીઓને પરેશાન કરી નાંખ્યા હતા.

મૌલાના અબ્દુલ અઝીઝ અને અબ્દુલ રશીદ ગાઝી 

છેવટે જુલાઈ ૨૦૦૭માં પોલીસે લાલ મસ્જિદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, પરંતુ વિદ્યાર્થીઓએ પોલીસ પર પણ જીવલેણ હુમલા કર્યા અને વિદેશ મંત્રાલયમાં આગ લગાડી. આ બંને ભાઈઓ ૧,૩૦૦ યુવાનો (યુવાન શબ્દ છોકરા-છોકરી બંને માટે વપરાય, બાકી યુવક-યુવતી શબ્દો છે) તેમજ મસ્જિદની સુરક્ષા કરતા ૧૦૦ સશસ્ત્ર આતંકવાદીની મદદથી ઈસ્લામાબાદમાં ઈસ્લામિક શાસન સ્થાપવાના સપનાં જોતા હતા. છેવટે મુશર્રફે લાલ મસ્જિદમાં કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી લશ્કરને સોંપી, પરંતુ મસ્જિદમાં સૈનિકોને જોઈને મૌલાના ભાઈઓ વધુ ગુસ્સે થયા અને તેમણે લાઉડ સ્પીકરો પર ભડકાઉ નિવેદનો કર્યા. તેથી સશસ્ત્ર યુવાનો અને આતંકવાદીઓનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચ્યો.

મુશર્રફે ત્રીજી જુલાઈ, ૨૦૦૭ના રોજ ૧૦૦ આતંકવાદીઓને શરણે કરવા ૬૦ હજાર સૈનિકોનું ધાડું મોકલ્યું. જોકે, લાલ મસ્જિદમાં બેઠેલા આતંકવાદીઓએ શરણે થવાના બદલે સૈનિકોનો ૧૧મી જુલાઈ, ૨૦૦૭ સુધી સામનો કર્યો. નવ દિવસની ચાલેલી આ હિંસક અથડામણમાં ૧૫૦ વિદ્યાર્થી અને ૧૧ સૈનિકના મોત થયા, જ્યારે ૫૦ આતંકીની ધરપકડ કરાઈ. અહીં અફઘાન વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોવાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાનની શાંતિવાર્તા ઘોંચમાં પડી અને તાલીબાનોએ પાકિસ્તાનના વજિરિસ્તાન સહિતના પ્રદેશો પાછા મેળવવા વધુ ઘાતક યુદ્ધ શરૂ કર્યું. 

આ ઘટના ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે બની?

મુશર્રફે લાલ મસ્જિદ પર હુમલો કરવાનો આદેશ આપ્યા પછી પાકિસ્તાને અબજો રૂપિયા ખર્ચીને ઊભા કરેલા લાખો જેહાદીઓ પાકિસ્તાન વિરોધી થઈ રહ્યા હતા. તૈયબા જેવા પાકિસ્તાન સરકારના હાથા જેવા સંગઠનો કાશ્મીરના નામે ધંધો કરે છે એવો ખ્યાલ બળવત્તર થઈ રહ્યો હતો. એટલે પાકિસ્તાની યુવકો વિશ્વભરના મુસ્લિમોનું કલ્યાણ કરે એવા અલ કાયદા જેવા વૈશ્વિક સંગઠથી આકર્ષાયા હતા. પાકિસ્તાને ગ્લોબલ ઈમેજની પરવા કર્યા વિના મદરેસાઓ ધમધમતા કરીને, કટ્ટરવાદી નેતાઓ ઊભા કરીને અને લશ્કર-આઈએસઆઈની નિગરાની હેઠળ તાલીમ કેન્દ્રો સ્થાપીને ભારત વિરોધી યુવાનોની ફોજ તૈયાર કરી હતી, પરંતુ હવે તેઓ લશ્કર એ તૈયબા જેવા ભારત વિરોધી આતંકવાદી જૂથો છોડીને પાકિસ્તાનની  પણ શેહશરમ નહીં રાખતા તાલીબાનો સાથે જોડાતા હતા.


લાલ મસ્જિદ પરની કાર્યવાહી વખતની તસવીર

આ ટ્રેન્ડથી પાકિસ્તાન સરકાર, લશ્કર અને આઈએસઆઈ જોરદાર ડરી ગયા હતા. આ સ્થિતિ પાકિસ્તાનની 'નકારાત્મક' વિદેશ નીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા તેમજ ફક્ત કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતને પરેશાન કરનારા લશ્કર એ તૈયબા માટે જીવલેણ હતી. તેમના હજારો સભ્યો તાલીબાનો સાથે જોડાતા હતા. યુવાનોએ કાશ્મીરની લડાઈ માટે ફાળો આપવાનું અને ઉઘરાવવાનું બંધ કરી દીધું હતું. તૈયબાના કમાન્ડરોને અલ કાયદાની સખત ઈર્ષા થતી હતી. આ ઈર્ષામાંથી તૈયબાને પણ કંઈક 'મોટું આયોજન' કરીને પોતાનું સ્થાન મજબૂત કરવાની ચાનક ચઢી. આ સંજોગો તૈયબાને ભારતમાં મુંબઈ જેવા કોસ્મોપોલિટન શહેર પર ભયાનક હુમલો કરવાના વિચાર સુધી દોરી ગયા, જ્યાં અમેરિકનો, યુરોપિયનો અને યહૂદીઓની પણ વસતી હોય. જો તેઓ આવું કરે તો જ તેમના કામની પણ અલ કાયદાના આતંકની જેમ વિશ્વભરમાં નોંધ લેવાય. ટૂંકમાં, મુંબઈ હુમલાના વિચારનું બીજ રોપવામાં લાલ મસ્જિદ પર લશ્કરી કાર્યવાહીની ઘટના કારણભૂત હતી.

હવે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે, તૈયબાએ ભારતમાં મોટો આતંકી હુમલો કરવાનું નક્કી કર્યા પછી હેડલીની એન્ટ્રી કેવી રીતે થઈ? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં હેડલી વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ.

હેડલી આઈડેન્ટિટી ક્રાઈસીસથી પીડાતો હતો

અમેરિકાના વોશિંગ્ટન સ્થિત સુખીસંપન્ન દંપત્તિ સૈયદ સલીમ ગિલાની અને એલિસ સેરિલ હેડલીના પરિવારમાં ૩૦મી જૂન, ૧૯૬૦ના રોજ દાઉદનો જન્મ થયો હતો. સૈયદ ગિલાની પાકિસ્તાનના જાણીતા રાજનીતિજ્ઞ અને બ્રોડકાસ્ટર હતા, જ્યારે મૂળ યુરોપિયન એલિસ હેડલી પાકિસ્તાન રાજદૂતાવાસમાં સેક્રેટરીના તરીકે ફરજ બજાવતા હતા. સૈયદ અને એલિસ અમેરિકાની હાઈ સોસાયટીમાં જાણીતું નામ છે. દાઉદના જન્મ પછી તુરંત જ તેઓ કાયમ માટે પાકિસ્તાનના લાહોરમાં જતા રહ્યા. જોકે, પાકિસ્તાનનું બંધિયાર વાતાવરણ એલિસને માફક ના આવતા તે અમેરિકા પરત જતી રહી, પરંતુ કાયદાકીય ગૂંચવણોના કારણે એલિસે હેડલીને પાકિસ્તાનમાં જ રાખવો પડ્યો. સૈયદ અને એલિસના છૂટાછેડા પણ થઈ ગયા. હવે દાઉદ પાકિસ્તાની રાષ્ટ્રવાદ અને ઈસ્લામિક રૂઢિચુસ્તતા વચ્ચે ઉછરી રહ્યો હતો. અહીં દાઉદને બીજા યુવાનો 'ગોરો' કહેતા હતા કારણ કે, તેની ચામડી અને આંખનો રંગ અમેરિકન જેવો હતો. પાકિસ્તાનમાં તેણે વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વાતો પણ સાંભળી હતી. વળી, તે લશ્કરની સ્કૂલમાં અભ્યાસ કરતો હોવાથી અન્ય વિદ્યાર્થીઓ સાથે રાજકારણ અને લશ્કરી ગતિવિધિની ઊંડી ચર્ચા કરવા સક્ષમ થઈ ગયો હતો.


ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની

આ દરમિયાન તેના પિતાએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા, જે અત્યંત ઝઘડાળુ હોવાથી દાઉદને કાચી વયે  સાવકી માતાનો પણ પ્રેમ ના મળ્યો. છેવટે વર્ષ ૧૯૭૭માં ૧૭ વર્ષની વયે દાઉદ પોતાની માતા એલિસની મદદથી અમેરિકા ગયો. અહીં તેણે માતાના પબ-વાઈન બારમાં મદદ કરવાનું શરૂ કર્યું. જોકે, અહીંના લોકો તેને દાઉદ ગિલાની કરતા ડેવિડ હેડલી તરીકે વધારે ઓળખતા હતા. અમેરિકામાં પણ હેડલીએ મિલિટરી કોલેજમાં પ્રવેશ લીધો પણ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો. બાદમાં તેણે વીડિયો રેન્ટલ બિઝનેસ જમાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન હેડલીએ એક અમેરિકન વિદ્યાર્થિની સાથે લગ્ન કર્યા અને 'સાંસ્કૃતિક મતભેદો'ના કારણે તેઓ છૂટા પણ પડી ગયા. એ પછીયે તેણે કેનેડાની એક યુવતી સાથે લગ્ન કર્યા, જેણે હેડલીની આતંકી ગતિવિધિની અમેરિકન પોલીસને ફરિયાદ કરી દીધી હતી. આ યુવતીનું નામ આજેય ગુપ્ત છે. છેલ્લે હેડલીએ મોરોક્કોની મેડિકલની વિદ્યાર્થિની ફૈઝા આઉતલ્લાહ સાથે લગ્ન કર્યા. હેડલી અને ફૈઝાએ લાહોરમાં સ્થાયી થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેઓ પણ છૂટા પડી ગયા.

આ દરમિયાન તેની માતા પણ સૈયદ સાથેના છૂટાછેડા પછી બીજા ચાર લગ્ન કરી ચૂકી હતી. આ રીતે થયેલા ઉછેરના કારણે દાઉદ ઉર્ફે ડેવિડ આઈડેન્ટિટી ક્રાઈસીસનો ભોગ બન્યો હતો.

હેડલી અમેરિકાની નબળાઈ જાણી ગયો હતો 

હેડલીનો ઉછેર અમેરિકા અને પાકિસ્તાનની બે વિરોધાભાસી સંસ્કૃતિ વચ્ચે એક છિન્નભિન્ન પરિવારમાં થયો હોવાથી તે થોડો મનોરોગી બની ગયો હતો. અમેરિકામાં વર્ષ ૧૯૮૮માં તે એક ડ્રગ ડીલમાં ઝડપાયો હતો. એવું નહોતું કે, તેને પૈસાની જરૂર હતી પણ દુઃસાહસો કરવા તેની આદત બની ગઈ હતી. હેડલીને હંમેશાં એક 'બિગ આઈડિયા'ની જરૂર રહેતી. તેની ગુનાખોરીનો ઈતિહાસ તપાસતા આ વાતનો સંકેત મળે છે. આ ડ્રગ ડીલ તેની ખૌફનાક કારકિર્દીની શરૂઆત હતી. આ સજામાંથી મુક્તિ મેળવવા હેડલીએ અમેરિકન પોલીસને ડ્રગ્સના નેટવર્કની ઊંડી માહિતી આપવાની ઓફર કરી. આ ઓફરથી હેડલી લાંબા ગાળાની જેલમાંથી બચી ગયો અને જેલમાંથી બહાર આવીને અમેરિકન ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એજન્સીનો ઈન્ફોર્મર બની ગયો. આ કામમાં 'કિક' વાગતી હોવાથી તે ખુશ હતો. જોકે, ઈન્ફોર્મર તરીકે કામ કરતી વખતે પણ હેડલી પર ડ્રગ્સની હેરાફેરીના ગુના નોંધાયા અને ત્યારે પણ તેણે અમેરિકન પોલીસને લાલચ આપીને છુટકારો મેળવ્યો હતો. 

છેવટે વર્ષ ૧૯૯૮માં હેડલી ન્યૂયોર્કમાં એક મોટી ડ્રગ્સ ડીલમાં ઝડપાયો, પરંતુ હવે તેના પાસે અમેરિકન ઈન્ટેલિજન્સમાં કામ કરવાનો દસ વર્ષનો અનુભવ હતો. આ વખતે હેડલીને મોટી સજા થઈ શકે એમ હોવાથી તેણે અમેરિકાને વધુ મોટી ઓફર કરી. અમેરિકન ઈન્ટેલિજન્સને શું જોઈએ છે એ ચબરાક હેડલી સારી રીતે જાણતો હતો. અમેરિકાની દુઃખતી નસ બરાબર પકડીને હેડલીએ અમેરિકન ઈન્ટેલિજન્સને ઓફર કરી કે, જો તમે મને જેલની સજામાંથી મુક્તિ અપાવશો તો હું તમને જેહાદની દુનિયામાં લઈ જઈશ. અમેરિકાએ આ ઓફર સ્વીકારી લીધી લીધી હતી.

પણ કેમ?, અમેરિકાને શું લાલચ હતી? અને લાલ મસ્જિદ પરનું ઓપરેશન અને હેડલીની ઓફરનો યોગાનુયોગ મુંબઈ પર કાળ બનીને કેવી રીતે આવ્યો- એ વિશે વાંચો આવતા અંકમાં...

(નોંધઃ આ લેખનો ભાગ-2 વાંચવા અહીં ક્લિક કરો.)

15 February, 2016

ઈસ્લામિક સ્ટેટ કેવી રીતે અલ કાયદાથી વધુ ખૂંખાર બન્યું?


હવે ભારતમાંથી પણ 'ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ કે શકમંદો ઝડપાયા' એ મતલબના અહેવાલો દર બીજા દિવસે ચમકી રહ્યા છે. થોડા દિવસ પહેલાં આઈ.એસ. પાસે તાલીમ લઈને સીરિયાથી પાછા આવેલા ચાર અમદાવાદી યુવકોના પણ સમાચાર હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પણ આઈ.એસ. સાથે સંપર્કો ધરાવતા વીસેક યુવાનોની પૂછપરછ કરી રહી છે. પાકિસ્તાનમાં આઈ.એસ.ના આતંકવાદીઓની સંખ્યા ૫૦૦એ પહોંચી ગઈ હોવાનું આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ કહી રહી છે. પાકિસ્તાનના આતંકવાદી જૂથો પણ આઈ.એસ. સાથે જોડાઈ રહ્યા છે. હવે તેઓ દક્ષિણ એશિયામાં ભારત અને ચીન સહિતના પ્રદેશ પર કબજો કરવા ઈચ્છે છે. શું આ પ્રકારના અહેવાલોનો અર્થ એ છે કે, ભારતમાં આઈ.એસ.નું જોખમ વધી રહ્યું છે?

શિક્ષિત યુવાનો આઈ.એસ. સાથે તાલીમ લઈને આવે એનો અર્થ શું છે?- એ ભારત સરકાર પણ સારી રીતે સમજે છે. એટલે જ ગૃહ મંત્રાલયે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાની જેમ આઈ.એસ. પાસે તાલીમ લઈને આવેલા યુવાનોની અટકાયત કરી તેમને ફરી મુખ્યધારામાં કેમ લાવવા એની વ્યૂહરચના ઘડી છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે, વૈશ્વિક સ્તરે આઈ.એસ.ની તાકાત વધી રહી હોવાના સૌથી મોટા બે કારણ છે. એક, આખેઆખા બીજા આતંકવાદી સંગઠનોને સફળતાપૂર્વક પોતાનામાં ભેળવી દેવા અને બીજું, વિદેશી આતંકવાદીઓની સતત ભરતી. આઈ.એસ. પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અમેરિકન, યુરોપિયન અને આફ્રિકનની સંખ્યા સતત વધી રહી છે. આઈ.એસ. પાસે ૧૦૦ દેશના કુલ ૨૨ હજાર સભ્યો છે, જે આખી દુનિયામાં તેનો પ્રચારપ્રસાર કરી રહ્યા છે... આ પહેલાં વિશ્વએ ક્યારેય આવું કોસ્મોપોલિટન આતંકવાદી સંગઠન જોયું નથી. આઈ.એસ.ની સફળતાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, ખોટા હેતુ માટે લોકો જેટલા સહેલાઈથી ભેગા થાય છે, એટલા સહેલાઈથી સારા હેતુ માટે લોકો ભેગા નથી થતાં.

આઈ.એસ. વિશ્વના અનેક આતંકવાદી સંગઠનોને પોતાનામાં ભેળવીને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત થઈ રહ્યું છે. આ પ્રક્રિયા હજુયે ચાલુ છે. જેમ કે, આફ્રિકાનું સૌથી ખૂંખાર બોકો હરામ સંગઠન એક સમયે ફક્ત નાઇજિરિયામાં સક્રિય હતું, પરંતુ હવે તેણે પણ આઈ.એસ. સાથે હાથ મિલાવ્યા છે. હવે બોકો હરામ પણ આફ્રિકાના વિવિધ દેશોના રાજદૂતાવાસો પર હુમલા કરવા સક્ષમ છે. આફ્રિકાના જે પ્રવાસન સ્થળોએ વિદેશીઓની વસતી વધારે હોય ત્યાં પણ બોકો હરામે આતંક મચાવ્યો છે. આ સિવાય અલ કાયદા, ખલીફા ઈસ્લામિયા મિન્દાનિયો, ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન, અન્સાર અલ શરિયા અને અબુ સય્યાફ જેવા જૂથો પણ આઈ.એસ. સાથે જોડાયા છે. એક સમયે આ બધા જ આતંકવાદી જૂથોની તાકાત સ્થાનિક સ્તરે મર્યાદિત હતી, પરંતુ હવે તેઓ રાતોરાત આંતરરાષ્ટ્રીય સ્તરે જોખમી બની ગયા છે. આઈ.એસ.એ આવી જ રીતે તેનો ગઢ યુરોપ અને એશિયા સુધી વિસ્તાર્યો છે. આ સ્થિતિમાં ભારતમાં સક્રિય પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથો પણ આઈ.એસ.ની મદદથી વધુ મજબૂતાઈ હાંસલ કરી શકે છે.  



આઈ.એસ.ની સફળતાના પાયામાં તેની હિટલર જેવી મજબૂત પ્રોપેગેન્ડા સિસ્ટમ છે, જેની ચુંગાલમાં શિક્ષિત મુસ્લિમો જ નહીં પણ પશ્ચિમી દેશોના નાગરિકો પણ આવી રહ્યા છે. ભારતમાં અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (એક્યુઆઈએસ) નામની અલ કાયદાની શાખા સક્રિય છે, જેનો મુખ્ય હેતુ ભારતસ્થિત વિદેશીઓ પર હુમલો કરવાનો છે. આ જૂથે પણ આઈ.એસ. સાથે હાથ મિલાવ્યા છે. વર્ષ ૨૦૦૧માં અલ કાયદાએ અમેરિકાની શાન સમા ટ્વિન ટાવર પર હુમલો કર્યો એ પછી અમેરિકાએ અલ કાયદાના તમામ ગઢ ધમરોળી નાંખ્યા હતા. અમેરિકાની આ લડાઈનો ભારતને પણ આડકતરો લાભ મળ્યો હતો, પરંતુ અત્યારની સ્થિતિ અલગ છે. આ જૂથ પાસે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાંમારમાં ભાંગફોડ કરવા માટે ૩૦૦ સભ્ય છે. આ તમામ દેશોમાં સક્રિય આતંકવાદી જૂથોના યુવાનો સતત આઈ.એસ.માં ભરતી થઈ રહ્યા છે. 

અલ કાયદા પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું જ આતંકવાદી સંગઠન હતું, પરંતુ વિશ્વના અનેક ખૂંખાર આતંકવાદી જૂથોને પોતાની સાથે સફળતાપૂર્વક જોડવાની આઈ.એસ. જેવી તેની પાસે ક્ષમતા ન હતી. આ ઉપરાંત આઈ.એસ.ની આર્થિક શક્તિ પણ અલ કાયદાથી ઘણી વધારે છે. અલ કાયદાનું સંચાલન તાલીબાનોએ કબજે કરેલા પ્રદેશોમાંથી મળતી આવકમાંથી થતું હતું. જેમ કે, તાલીબાનો અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી ધરાવતા વિસ્તારોમાંથી સૌથી વધારે કમાણી કરતા હતા. આ અફીણ વેચવા અલ કાયદાએ અમેરિકા, લેટિન અમેરિકા અને યુરોપના ડ્રગ્સ માફિયા સાથે પણ મજબૂત નેટવર્ક બનાવ્યું હતું. જોકે, આઈ.એસ. પાસે અફીણ કરતા અનેકગણો વધારે ઉપજાઉ ગણાય એવો ઓઈલનો ધંધો છે. ઈરાક અને સીરિયાના ઓઈલ સમૃદ્ધ વિસ્તારોમાં આઈ.એસ.નો કબજો છે, જેની આવકમાંથી તેણે આ બંને દેશમાં 'સરકાર' રચી છે. આઈ.એસ.એ તાલીબાનોની જેમ તોરા બોરાની ગુફાઓમાં બેસીને આતંક મચાવવામાં સંતોષ નથી માન્યો પણ તે ખૂબ જ લાંબા ગાળાનું વિચારીને આગળ વધી રહ્યું છે.

ઓઈલ અને આતંકવાદના રાજકારણને લીધે આઈ.એસ.ની કોકડું એટલું બધું ગૂંચવાયું છે કે તેને ઉકેલવું બહુ અઘરું થઈ ગયું છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે, આઈ.એસ.નું લશ્કર ક્યાં લડી રહ્યું છે એ ખબર જ નથી પડતી. આ વાત થોડી વિગતે સમજીએ. આઈ.એસ.ને સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીમાંથી પણ મદદ મળી રહી છે કારણ કે, તેઓ શિયા મુસ્લિમોની બહુમતી ધરાવતા ઈરાનનો પ્રભાવ ઘટાડવા માગે છે. એટલે કે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધમાં આઈ.એસ. મહત્ત્વની ભૂમિકા ભજવીને 'રાજ' કરી રહ્યું છે. હાલમાં જ અમેરિકન થિંક ટેન્ક કાઉન્સિલ ઈન ફોરેન રિલેશન્સના અહેવાલમાં જણાવાયું હતું કે, વર્ષ ૧૯૬૦થી સાઉદી અરેબિયાએ સુન્નીઓની 'ભલાઈ' માટે ૧૦૦ કરોડ ડોલરનું દાન કર્યું છે. પાકિસ્તાનની ૨૪ હજાર મદરેસા પણ આ નાણાંથી ધમધમે છે, જેમાં શિયા મુસ્લિમો વિરુદ્ધ પણ ઝેર ઓકવામાં આવે છે. અહીં એક રસપ્રદ સરખામણી કરીએ. આ પહેલાં સોવિયત યુનિયને સામ્યવાદનો પ્રચાર કરવા વર્ષ ૧૯૨૦થી છેક ૧૯૯૧ સુધી સાત અબજ ડોલર ખર્ચ્યા હતા. આઈ.એસ.એ ઈરાક અને સીરિયા સહિતના દેશોમાંથી લૂંટફાટ કરીને શસ્ત્રો મેળવ્યા છે. આ શસ્ત્રોનો ભંડાર ખાલી થઈ જશે તો પણ આઈ.એસ.નો પ્રભાવ નજીકના ભવિષ્યમાં ઓછો નહીં થાય.

આઈ.એસ. સારી રીતે જાણે છે કે દરેક આતંકવાદીને હાઈટેક શસ્ત્રો આપવા શક્ય નથી. એટલે જ આઈ.એસ. તેના આતંકવાદીઓને કાર બોમ્બ, સુસાઇડ બોમ્બર અને ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપે છે. આઈ.એસ. વધુમાં વધુ દસ આતંકવાદીની મદદથી કરી શકાય એવા પેરિસ કે મુંબઈ જેવા હુમલા કરે છે, જેમાં ઓછા ખર્ચે વધુ નુકસાન પહોંચાડીને પોતાનો પ્રભાવ સાબિત કરી શકાય છે. આઈ.એસ. તેની આવકનો બહુ મોટો હિસ્સો બ્રેઇન વૉશિંગ અને ટેક્નોલોજીની મદદથી પ્રોપેગેન્ડા કરવા પાછળ પણ ખર્ચે છે. દુનિયાભરના યુવાનોને આકર્ષવા તેઓ ટ્વિટર અને ફેસબુક જેવા માધ્યમોનો ઉપયોગ કરે છે. હાલમાં જ ટ્વિટરે આઈ.એસ. સાથે જોડાયેલા હોય એવા ૧.૨૫ લાખ એકાઉન્ટ ડિલિટ કર્યા હતા. આ સ્થિતિ સાબિત કરે છે કે, ઈસ્લામિક આતંકવાદ હજુ બહુ લાંબા સમય સુધી ચાલવાનો છે.

ભારતમાં આઈ.એસ.ના જોખમ મુદ્દે ગૃહ મંત્રાલયનું કહેવું છે કે, ભારતીય સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારના જોખમનો સામનો કરવા સક્ષમ છે... જો આવું હોય તો સારી વાત છે. ફક્ત સુરક્ષા જવાનોનું નૈતિક બળ ટકાવી રાખવા માટે આવા નિવેદનો કરવા જરૂરી છે, પરંતુ આ સાથે ઠોસ કામગીરી કરવાનો સમય થઈ ગયો છે. પઠાણકોટ એરબેઝમાં છ આતંકવાદીને મારવા માટે આપણા સાત એલિટ કમાન્ડોઝ શહીદ થઈ ગયા હતા એ ઘટના હજુ તાજી જ છે. ભારત અને પાકિસ્તાનની નેતાગીરી શાંતિવાર્તા અને વાટાઘાટો માટે ધીમે પણ મક્કમ રીતે આગળ વધી રહી છે. આ સ્થિતિમાં ભારતમાં આતંકવાદી હુમલા વધશે અને પાકિસ્તાન પણ તેનાથી બચી નહીં શકે એવો સુરક્ષા નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. પેશાવરની કોલેજ પર થયેલો હુમલો તેનું તાજું ઉદાહરણ છે.

એટલે હાલ પૂરતું ભારતે પણ કાઉન્ટર ટેરરિઝમ, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તેમજ અમેરિકા-રશિયાની જેમ સ્પેશિયલ ફોર્સ જેવી તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી સાંસ્કૃતિક લડાઈની ગાડી પૂરપાટ દોડાવ્યા વિના બીજો કોઈ વિકલ્પ નથી.  

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.