13 July, 2017

અથ શ્રી ‘જાંબુ પુરાણ કથા’


એક સમયે સ્કૂલ રિસેસમાં ચાર-પાંચ દોસ્તારો ભેગા થઈને લારી કે ખૂમચાવાળા પાસેથી કાચી કેરી, આમળા, ચણી બોર, ફાલસા, રાયણ, કોઠું, શેતુર, ગોરસ આંબલી, કાકડી, ટામેટાં, તરબૂચના બિયાં, ટેટીના બિયાં, જાંબુ, શીંગ-ચણા, દાળિયા, વટાણા કે કચુકા જેવી જાતભાતની ચીજોનો મિસમેચ બ્રેકફાસ્ટ ઓર્ડર કરીને મેગા પાર્ટી કરતા હોય એવા દૃશ્યો સામાન્ય હતા. આ બધામાં જાંબુ સિઝનલ ફ્રૂટ હોવાથી રથયાત્રા આવે એના થોડા દિવસ પહેલાં લારીઓમાં દેખાવાના શરૂ થતાં. ખૂમચાવાળો માંડ બે-ત્રણ રૂપિયામાં ચાટ મસાલો કે મીઠું ભભરાવેલા જાંબુ કાગળના પડીકામાં ભરી આપતો. જાણે જાંબુ ચાટ. જાંબુનો સ્વાદ થોડો એસિડિક કહી શકાય એવો ખાટ્ટોમીઠો અને ઉપરથી થોડી ખારાશ-ખટાશ-તીખાશ ધરાવતો મસાલો. બસ અને ટ્રેનની મુસાફરીમાં પણ આવો જ જાંબુ ચાટ ઝાપટવાની જયાફતો ઉડાવાતી. જાંબુ ચાટની મજા માણ્યા પછી સ્કૂલમાં હોઈએ તો એકબીજાને જાંબુડિયા રંગની જીભ બતાવાની અને શેરીમાં રમતા હોઈએ તો આસપાસ પાર્ક કરેલા વાહનોના કાચમાં જઈને જીભ જોવાની. આવું કરીશું તો કોણ શું કહેશે અને કેવું લાગશે એવી બધી બાળસહજ બેપરવાઇમાંથી ખુશીઓના ફુવારા ફૂટતા.

આ તો પૈસા ખર્ચીને ખાવાની વાત થઈ પણ ઝાડ પરથી જાંબુ પાડીને ખાવામાં પણ ઓનલાઈન શૉપિંગ કર્યા પછી પાંચ આંકડાનું વાઉચર ફ્રીમાં મળ્યું હોય એનાથીયે વધારે આનંદ આવતો. આજેય જૂના અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મોગલ અને અંગ્રેજકાળના સ્થાપત્યોની આસપાસ જાંબુના વૃક્ષો અડીખમ ઊભા છે. અંગ્રેજ કાળમાં કોઈ મહત્ત્વના સ્થળ સુધી પહોંચવાના રસ્તે વૃક્ષો ઊગાડાતા. વૃક્ષ જ જે તે સ્થળ સુધી પહોંચવાનું સરનામું. નવી દિલ્હીના હાઈલી સિક્યોર્ડ લ્યુટયેન્સ બંગલૉઝ એરિયામાં પીપળો, લીમડો, અંજીર અને અર્જુનની સાથે જાંબુના વૃક્ષો પણ હજુયે જોવા મળી રહ્યા છે. બ્રિટીશ ભારતમાં જે તે વિસ્તારમાં સુંદરતા અને ઠંડક વધારવા તેમજ પાણીનો પ્રશ્ન વિચારીને વૃક્ષો ઊગાડાયા હતા. દિલ્હી રાજપથની આસપાસનો વિસ્તાર હજુયે જાંબુના મહાકાય વૃક્ષોથી બનેલી લીલીછમ છત્રીઓથી ઘેરાયેલો છે. અંગ્રેજકાળમાં જાંબુના વૃક્ષની પસંદગી કદાચ એટલે કરાઈ હતી કે, જાંબુડો બારેમાસ પાંદડાથી ભર્યોભર્યો રહે છે. બીજા વૃક્ષોની જેમ જાંબુનું ઝાડ પાનખરમાં બોડું નથી થઈ જતું. જો જાંબુના બદલે ઠંડા અને ભેજવાળા વિસ્તારના વિદેશી વૃક્ષો ઊગાડવામાં આવે તો ખાતર-પાણી વધારે જોઈએ, પરંતુ જાંબુનું તો વતન જ ભારતીય ઉપખંડ છે. અહીં જ તેનો જન્મ થયો હતો. ઉત્ક્રાંતિકાળમાં જ જાંબુડાને ઓછી જરૂરિયાતોથી ભરપૂર જીવન જીવવાની કુદરતી બક્ષિસ મળેલી છે.

જાંબુ ફલિન્દા 

વૈજ્ઞાનિક ભાષામાં સાયઝિજિયમ ક્યુમિની નામે ઓળખાતા જાંબુ ફ્લાવરિંગ પ્લાન્ટ કેટેગરીમાં આવતી મિર્ટેસિયા જાતિના ફળ છે. જામફળ, વિદેશી મરી અને લવિંગ પણ આ જ જાતિ સાથે સંકળાયેલા છોડ છે. ભારતની દરેક મુખ્ય ભાષામાં જાંબુનું નામ છે. જેમ કે, સંસ્કૃતમાં 'જાંબુ ફલિન્દા' જેવું શાસ્ત્રીય નામ અપાયું છે, તો હિન્દીમાં ‘જામુન’, મરાઠીમાં ‘જાંભુલ’, બંગાળીમાં ‘જામ’, તમિલમાં ‘નગા પઝમ’, મલયાલમમાં ‘નવલ પઝમ’, તેલુગુમાં ‘નેરેન્ડુપન્ડુ’ અને કન્નડમાં ‘નિરાલે હન્નુ’ નામે જાંબુ ઓળખાય છે. એક સમયે પશ્ચિમી દેશોના લોકો જાંબુને બ્લેકબેરી હતા, પરંતુ અદ્દલ જાંબુ જેવી લાગતી બ્લેકબેરી રોઝેસિયા જાતિનું ફળ છે. બ્લેકબેરી વૃક્ષો પર દ્રાક્ષ જેવા ઝુમખામાં ઊગે છે, જ્યારે જાંબુ ઝુમખામાં નથી થતાં. આ તફાવત ખબર પડ્યા પછી પશ્ચિમી દેશોએ જાંબુને ઈન્ડિયન બ્લેકબેરી, મલબાર પ્લમ કે જાવા પ્લમ જેવા નામ આપ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ એગ્રિકલ્ચરે છેક ૧૯૧૧માં ફ્લોરિડામાં પહેલીવાર જાંબુની ખેતી શરૂ કરાવી હતી. અમેરિકામાં વાયા બ્રાઝિલ જાંબુ ગયા હતા, જ્યારે બ્રાઝિલમાં પોર્ટુગીઝો થકી ભારતીય જાંબુ પહોંચ્યા હતા. એ પછી તો આ પ્રદેશના પક્ષીઓ થકી જાંબુના બીજ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાઈ ગયા અને થોડા દાયકામાં તો લેટિન અમેરિકાના ગુયાના, સુરિનામ, ટ્રિનિદાદ અને ટોબેગો જેવા દેશોમાં પણ જાંબુના વૃક્ષો દેખાવા લાગ્યા.

આ ઐતિહાસિક તથ્યો જ સાબિત કરે છે કે, જાંબુ ભારતીય ઉપખંડનું એક્સક્લુસિવ ફળ છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં જાંબુને ઘણું મહત્ત્વ અપાયું હોવાની પણ સાબિતીઓ છે. મરાઠી-કોંકણી સંસ્કૃતિમાં લગ્નનો માંડવો જાંબુના પાનથી સજાવાય છે. દક્ષિણ ભારતમાં તો જાંબુની ડાળખી કે છોડ રોપીને લગ્નવિધિ શરૂ કરાવાય છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોના ખેડૂતો બળદગાડું, ખેતીના ઓજારો તેમજ ઘરના બારી-દરવાજા બનાવવા જાંબુના વૃક્ષનું લાકડું વાપરતા. હિંદુ ધર્મગ્રંથો અને પ્રાચીનતમ સંસ્કૃત પુસ્તકોમાં પણ જાંબુના ઉલ્લેખ છે. પુરાણોમાં પૃથ્વીલોકને સાત ખંડમાં વહેંચવામાં આવી છે. પ્લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, કુશ દ્વીપ, ક્રોંચ દ્વીપ, શાક દ્વીપ, પુષ્કર દ્વીપ અને જંબુ દ્વીપ. આ જંબુદ્વીપ એટલે જાંબુના વૃક્ષોથી શોભતો પ્રદેશ. અહીં દ્વીપ શબ્દ 'ખંડ'ના અર્થમાં છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ જંબુદ્વીપની વાત કરાઈ છે. ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં આવેલું દિગમ્બર જૈનોનું તીર્થ આ 'પૌરાણિક જંબુદ્વીપ'ની તર્જ પર જ ડિઝાઈન કરાયું છે. વિષ્ણુપુરાણમાં તો જંબુદ્વીપમાંથી કેવી નદી વહે છે એનું રસિક વર્ણન કરતા કહેવાયું છે કે, મેરુ પર્વતની તળેટીના જાંબુના મહાકાય વૃક્ષો પર ઊગેલા હાથી આકારના જાંબુના ફળ પાકીને નીચે પડે છે. આ ફળો પર્વત પર ટકરાઈને નીચે પડે છે ત્યારે તેમાંથી રસ નીકળીને સુંદર નદીનું સર્જન થાય છે. અહીં રહેતા લોકો તેનું જ પાણી પીએ છે. આ જળનું પાન કરવાથી પરસેવો, દુર્ગંધ, વૃદ્ધત્વ અને ઈન્દ્રિયક્ષયમાંથી છુટકારો મળે છે. આ નદીને જાંબુ નદી કહે છે. જાંબુ નદીના કિનારાની માટી અને જાંબુનો રસ મિશ્રિત થાય પછી મંદ મંદ પવન ફૂંકાતા જંબુનદ નામની ધાતુ બને છે. અહીંના સિદ્ધપુરુષો આ જ માટીના આભૂષણો પહેરે છે...

જૈન ખગોળ પ્રમાણે જંબુદ્વીપની રચના

ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં ૨૫૦ ફૂટના વ્યાસમાં  ડિઝાઈન કરાયેલું
જંબુદ્વીપ અને ૧૦૧ ફૂટ ઊંચો સુમેરુ પર્વત

મહાભારતના અશ્વમેઘ પર્વના અધ્યાય ૪૩ના પહેલાં જ શ્લોકમાં બ્રહ્માજીના મુખે એક સંવાદમાં કહેવાયું છે કે, ''... વડલો, જાંબુ, પીપળો, સેમલ, સીસમ, મેષશૃંગ અને પોલો વાંસ- આ લોકના વૃક્ષોના રાજાઓ છે, એ વાતમાં કોઈ શંકા નથી...'' સેમલ એટલે ઈન્ડિયન કોટનવુડ અને મેષશૃંગ એટલે ગુડમારનો વેલો. 'ભાગવત્ પુરાણ'માં પણ ક્યાંક ક્યાંક જાંબુના ઉલ્લેખ મળે છે. જેમ કે, દસમા સ્કંધના વીસમા અધ્યાયમાં કહેવાયું છે કે, ''વર્ષાઋતુમાં વૃંદાવન આવી જ રીતે પાકેલા ખજૂર અને જાંબુથી શોભાયમાન રહેતું...'' તો દસમા સ્કંધના ૩૦મા અધ્યાયમાં બીજા અનેક વૃક્ષોની સાથે જાંબુને પણ યમુના કિનારે બિરાજમાન મહાકાય સુખી વૃક્ષ ગણાવાયું છે. મહાભારતમાં 'દશાર્ણ' નામના એક પ્રદેશનું વર્ણન છે. આ દશાર્ણ એટલે આજના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે વહેંચાયેલો બુંદેલખંડનો પ્રદેશ. આ પ્રદેશમાં કુલ દસ નદીઓ વહેતી એટલે તેનું નામ પડયું, દશાર્ણ. આ દશાર્ણ પ્રદેશનો 'મેઘદૂત'માં ઉલ્લેખ કરતા મહાકવિ કાલિદાસ કહે છે કે, ''...આ પ્રદેશમાં વરસાદ પછી જાંબુના લતામંડપો ફૂલેફાલે છે અને એટલે જ અહીં યાયાવર હંસો થોડા દિવસ રોકાઈ જાય છે...''

કૃષ્ણના શરીરનો રંગ જાંબુડિયો છે કારણ કે, કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે અને વિષ્ણુનો સંબંધ પાણી સાથે છે અને પાણીનો રંગ જાંબુડિયો છે. કૃષ્ણ અને શિવનું શરીર ભૂરું, વાદળી, નીલવર્ણું કે જાંબુડિયા રંગનું હોવા પાછળ બીજું પણ એક કારણ અપાયું છે. પ્રકૃતિએ રચેલા આકાશ અને દરિયો જાંબુડિયા રંગના છે એટલે મૂર્તિકારો અને ચિત્રકારોએ પણ હિંદુ દેવતાઓનું શરીર નીલા રંગનું બનાવ્યું છે. નીલો રંગ આકાશ-દરિયા જેવી સ્થિરતા, ધૈર્ય, શીતળતા, સાહસ અને સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. કૃષ્ણના પેલા વિખ્યાત ભજનમાં પણ એક પંક્તિ આવે છે, 'આંબુ લીંબુ ને જાંબુ બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ:' ટૂંકમાં, જાંબુ એ ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું અતિ પૌષ્ટિક ફળ છે અને એટલે જ રથયાત્રામાં પણ જાંબુનો પ્રસાદ આપવામાં આવે છે.

જાંબુનું આખેઆખું વૃક્ષ એટલે કે ફળ, ઠળિયા, ફૂલ, છાલ અને લાકડું બધું જ ઉપયોગી છે. જાંબુના ઠળિયાને સૂકવીને-શેકીને-દળીને બનાવેલું ચૂરણ ડાયાબિટીસમાં અકસીર છે કારણ કે, જાંબુના તત્ત્વો સ્ટાર્ચને ગ્લુકોઝમાં પરિવર્તિત થતાં રોકવાની ક્ષમતા ધરાવે છે. ડાયાબિટીસ મટાડવાનો દાવો કરતી હર્બલ ટીમાં પણ જાંબુના ઠળિયાનું ચૂરણ મિશ્રિત કર્યું હોય છે. જાંબુના એસિડિક તત્ત્વોમાં પથરી ઓગાળવાનો ગુણ પણ રહેલો છે. જાંબુનું ચૂરણ પાયોરિયા જેવા દાંતના રોગમાં ફાયદાકારક છે. કબજિયાત, મરડો, કૃમિ અને પથરી જેવા પાચનતંત્રને લગતા રોગોમાં પણ જાંબુ અને જાંબુના ઠળિયાનું ચૂરણ લાભદાયી છે. પેટ સારું રહે તો ત્વચા પણ સારી રહે. એ રીતે જાંબુનું સેવન કરવાથી સુંદર ત્વચા પણ મળે છે.

જાંબુડિયું શરબત

જાંબુમાં વિટામિન 'બી' કોમ્પ્લેક્સ અને 'સી' ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત જાંબુ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટાશિયમ અને સોડિયમ જેવા ખનીજ તત્ત્વોનો પણ ભંડાર છે. આ તમામ તત્ત્વો કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખે છે, જેથી હૃદયરોગ થતો અટકે છે અથવા કાબૂમાં રહે છે. જાંબુમાં કેટલાક એન્ટિ ઓક્સિડન્ટ્સ પણ હોય છે. સીધી સાદી ભાષામાં કહીએ તો એન્ટિ ઓક્સિડન્ટ્સ એટલે એવા તત્ત્વો કે જે શરીરમાં ઓક્સિજન સાથે ભળીને સડો કરતા તત્ત્વોને અટકાવે. આમ, ઓક્સિડાઇસેશનને અટકાવે એવા તત્ત્વો એટલે એન્ટિ ઓક્સિડન્ટ્સ. જેમ કે, વિટામિન સી પણ એન્ટિ ઓક્સિડન્ટ જ છે. જાંબુમાં પોલિફેનોલન્સ જેવા અનેક બાયોએક્ટિવ ફાયટોકેમિકલ્સ પણ હોય છે. પોલિફેનોલ્સ કેન્સરના કોષો સામે લડનારા કેમિકલ તરીકે જાણીતું છે. કદાચ એટલે જ કિમોથેરેપી લેતા દર્દીઓને જાંબુનો જ્યૂસ પીવાનું સૂચન કરાય છે.

આયુર્વેદમાં જ નહીં, ચીન અને યુનાની ઔષધશાસ્ત્રમાં પણ જાંબુથી થતાં ફાયદાનું વિસ્તૃત વર્ણન મળે છે. આયુર્વેદમાં તો જાંબુ ક્યારે અને કેવા સંજોગોમાં ના ખાવા જોઈએ એની પણ વિગતવાર વાત કરાઈ છે. જેમ કે, સાંધાના દુ:ખાવા, લકવો, વાઇ, આંચકી જેવા રોગોમાં તેમજ ગર્ભવતીઓને, ભૂખ્યા પેટે અને શરીરે સોજા રહેતા હોય એવા લોકોને જાંબુ ખાવાની આયુર્વેદમાં 'ના' છે.

ખેર, આ જાંબુ પુરાણ હવે અહીં જ અટકાવીએ.

10 July, 2017

ડાયાબિટીસ અમીરોનો નહીં, આમ આદમીનો રોગ


એક સમયે ડાયાબિટીસ ઉર્ફે મધુપ્રમેહ દુુનિયાભરમાં રાજરોગ તરીકે ઓળખાતો કારણ કે, આ રોગ સામાન્ય રીતે સુખસુવિધામાં રહેતા સંપન્ન લોકોને જ થતો. જોકે, ઔદ્યોગિક ક્રાંતિ પછી આરામની નોકરીઓ વધી, બેઠાડું જીવન જીવનારા લોકો વધ્યા, સમૃદ્ધિ વધી, લાઈફ ફાસ્ટ થઈ, ફાસ્ટ ફૂડ-કોકાકોલા યુગ શરૂ થયો, તણાવ વધ્યો અને મેંદો-ખાંડ આધારિત વાનગીઓએ સામાન્ય માણસના ડાયટ પર રીતસરનું આક્રમણ થયું. આ બધા જ પરિબળોના કારણે આજે આખી દુનિયા ડાયાબિટીસના અજગરી ભરડામાં આવી ગઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું સર્વેક્ષણ કરીને સાબિત કર્યું છે કે, ભારતના શહેરો તો ઠીક, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડાયાબિટીસ ફક્ત અમીરોનો રોગ નથી રહ્યો, બલકે મધ્યમ વર્ગ અને ગરીબોમાં તેનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આ સંસ્થાએ પહેલીવાર ઉત્તર પૂર્વીય રાજ્યોના ડાયાબિટીસના દર્દીઓના આંકડા પણ રજૂ કર્યા છે. ભારતની જેમ અમેરિકા, યુરોપિયન દેશો તેમજ તેલ સમૃદ્ધ ખાડી દેશોમાં પણ ડાયાબિટીસ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ દેશો તો ઘણી મજબૂત હેલ્થકેર સિસ્ટમ ધરાવે છે અને છતાં ડાયાબિટીસથી ગભરાય છે. કેમ? કારણ કે, કોઈ પણ દેશના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન પહોંચાડવા ડાયાબિટીસ કાફી છે. એ વિશે વાત કરતા પહેલાં ડાયાબિટીસની આંકડાકીય વિગતો પર નજર કરીએ.



ટકાવારીની દૃષ્ટિએ એક લાખની વસતી સામે ડાયાબિટીસના સૌથી વધારે દર્દી ફિનલેન્ડ, સ્વિડન, સાઉદી અરેબિયા, નોર્વે અને યુકે જેવા અતિ સમૃદ્ધ દેશોમાં છે, પરંતુ સંખ્યાની રીતે ડાયાબિટીસના સૌથી વધારે દર્દીઓ ધરાવતા પહેલાં ત્રણ દેશ ચીન, ભારત અને અમેરિકા છે. વર્ષ ૧૯૮૦માં ચીનમાં ડાયાબિટીસના બે કરોડ, ૪૦ લાખ દર્દી હતા, જે ૨૦૧૪માં વધીને ૧૦ કરોડ, ૨૯ લાખે પહોંચી ગયા છે. ચીન પણ ભારતની જેમ વસતી વધારો અને બેફામ ઔદ્યોગિકીરણની મદદથી વિકાસના રાહ પર દોડવાની મજબૂરીથી પીડાઈ રહ્યું છે. ચીની ભોજન તો પરંપરાગત ઔષધીય જ્ઞાનના આધારે વિકસ્યું છે. ચીની વાનગીઓમાં ચરબી પણ પ્રમાણમાં ઓછી હોય છે. આમ છતાં, ઔદ્યોગિક ક્રાંતિની આડઅસરના કારણે ચીન ડાયાબિટીસના સૌથી વધારે દર્દી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની સ્થિતિ પણ કંઈક આવી જ છે. વર્ષ ૧૯૮૦માં ભારતમાં ડાયાબિટીસના એક કરોડ, ૧૯ લાખ દર્દી હતા, જ્યારે હાલ છ કરોડ, ૪૫ લાખથી પણ વધુ ભારતીયો ડાયાબિટીસનો કાયમી ભોગ બની ગયા છે.

હવે આ આંકડા કેમ ગંભીર છે એ વિશે વાત કરીએ. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના અહેવાલ પ્રમાણે, વિશ્વમાં દર છ સેકન્ડે એક માણસ ડાયાબિટીસ અથવા ડાયાબિટીસના કારણે થતાં રોગથી મૃત્યુ પામે છે. એક અંદાજ પ્રમાણે મધ્યમ આવક ધરાવતા પરિવારમાં એક વ્યક્તિ ડાયાબિટીસનો ભોગ બને તો આવકનો આશરે ૨૦થી ૨૫ ટકા હિસ્સો સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. જો પરિવારમાં ડાયાબિટીસ ધરાવતું બાળક જન્મે તો ૩૫ ટકા જેટલી આવક તેની સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. એક વ્યક્તિ ડાયાબિટીસની સળંગ પાંચ વર્ષ સારવાર કરાવે તો રૂ. દોઢેક લાખ અને સારવાર દસ વર્ષ ચાલે તો રૂ. ચારેક લાખનો ખર્ચ થઈ જાય છે. આ આંકડા દેશના શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરેરાશ પ્રમાણે નક્કી કરાયા છે, જે વિસ્તાર પ્રમાણે જુદા જુદા હોઈ શકે છે. કહેવાનો અર્થ એ છે કે, ડાયાબિટીસ જેવો રોગ પરિવારની કમર તોડી નાંખે છે. એકલા અમેરિકામાં જ ડાયાબિટીસની સારવાર પાછળ થતો કુલ ખર્ચ ૨૪૫ અબજ ડૉલર છે.

ડાયાબિટીસના કારણે કિડની ફેઇલ્યોર, હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક, હાયપર ટેન્શન અને આંખની દૃષ્ટિ નબળી થઈ જવાની સંભાવના પણ ઘણી વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓને બીજા રોગમાંથી સાજા થતા પણ થોડો વધુ સમય લાગે છે કારણ કે, તેઓને સામાન્ય દર્દી કરતા થોડી વધુ સાવચેતીથી સારવાર આપવી પડે છે. ડાયાબિટીસના કેટલાક પાયાના લક્ષણોના કારણે દર્દીઓએ સામાજિક ભેદભાવ પણ સહન કરવો પડે છે. જેમ કે, વારંવાર પેશાબે જવું, ધૂંધળું દેખાવું, બોલવામાં ગરબડ થવી, વારંવાર મૂંઝવણ થવી અને ઝડપથી થાકી જવું. આ લક્ષણોના કારણે ડાયાબિટીસના દર્દીઓના સામાજિક સંબંધો અને કારકિર્દી પર નકારાત્મક અસર પડી શકે છે! ભારત તો ઠીક, અમેરિકા અને યુરોપના વિકસિત દેશોમાં પણ ડાયાબિટીસના દર્દીઓએ સમાજના નકારાત્મક વલણના કારણે માનસિક ભાર હેઠળ રહેવું પડતું હોવાના દાખલા નોંધાય છે અને એમાંય સ્ત્રીઓએ તો વધારે ભોગવવાનું આવે છે.

એંશીના દાયકાથી અત્યાર સુધી ભારતીય સ્ત્રીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ ૮૦ ટકા વધ્યું છે, પરંતુ આ રોગ ધરાવતી સ્ત્રીઓએ કેવો મનોવૈજ્ઞાનિક ભાર સહન કરવો પડતો હશે એ મુદ્દે ભારતમાં ખાસ કોઈ સર્વેક્ષણો થયા નથી. ભારતમાં ગર્ભકાળ વખતે ડાયાબિટીસનો ભોગ બનતી સ્ત્રીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડાયાબિટીસ લઈને જન્મી રહેલા બાળકોનો દર પણ ધીમે ધીમે વધી રહ્યો છે. અત્યારે ભારતમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરના એક લાખથી પણ વધારે બાળકો ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા હોવાનો અંદાજ છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઈપ-૧ અને ટાઈપ-૨.

સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન પૂરતા પ્રમાણમાં પેદા ના થાય ત્યારે વ્યક્તિ ટાઈપ-૧ ડાયાબિટીસનો ભોગ બને છે. શરીર ઈન્સ્યુલિનની મદદથી લોહીમાં રહેલું ગ્લુકોઝ ઓગાળીને કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીનનું સંતુલન જાળવી રાખે છે. આ સિસ્ટમ ખોરવાય એટલે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય અને ડાયાબિટીસ થાય છે. આ વાત તો મેડિકલ સાયન્સ જાણે છે, પરંતુ આ સિસ્ટમ કેમ ખોરવાય છે એ હજુ સુધી વિજ્ઞાાન નથી જાણતું. ડાયાબિટીસને જડમૂળમાંથી નિર્મૂળ કરી નાંખે એવી દવા શોધવા એ જાણવું જરૂરી છે. મેડિકલ સાયન્સને શંકા છે કે, વારસામાં મળતી કોઈ જનીનિક ખામીના કારણે આ રોગ થતો હોઈ શકે! એ જનીનો ઓળખવા માટેના સંશોધનો ચાલુ જ છે. ડાયાબિટીસ ટાઈપ-૧ની કોઈ દવા નથી. આ રોગ ફક્ત ઈન્સ્યુલિન થેરેપી અને ડાયાબિટીક ડાયેટ જેવા નુસખાથી વકરતો અટકાવી શકાય છે. જોકે, શરીરને બહારથી ઈન્સ્યુલિન આપવાના કારણે અનેક દર્દીઓમાં કુદરતી રીતે ગ્લુકોઝ બનવાની સિસ્ટમમાં ભંગાણ પડે છે. આવું થાય ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જોઈએ એના કરતા પણ ઘટી જાય છે અને ડાયાબિટીસનો દર્દી લૉ બ્લડ પ્રેશરનો પણ ભોગ બને છે.  

હવે ડાયાબિટીસ ટાઈટ-૨ની વાત કરીએ. સ્વાદુપિંડમાં પેદા થતાં ઈન્સ્યુલિનનો શરીર યોગ્ય રીતે ઉપયોગ ના કરી શકે ત્યારે પણ લોહીમાં ગ્લુકોઝ-સુગરનું પ્રમાણ વધી જાય છે. આ રોગ ડાયાબિટીસ ટાઈપ-૨ તરીકે ઓળખાય છે. ટાઈપ-૨ ડાયાબિટીસ ચયાપચયની પ્રક્રિયા ખોરવાઈ (મેટાબોલિક ડિસઓર્ડર) જવાના કારણે થતો રોગ છે. થોડા વર્ષો પહેલાં ટાઈપ-૨ ડાયાબિટીસ ફક્ત પુખ્તવયના લોકોમાં જ જોવા મળતો, પરંતુ હવે આ બિમારી બાળકોમાં પણ દેખાવા લાગી છે. દુનિયામાં મોટા ભાગના ડાયાબિટીસના દર્દીઓ ટાઈપ-૨ ડાયાબિટીસ ધરાવે છે. આ રોગ પોષકણયુક્ત આહાર, કસરત અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને કાબૂમાં લઈ શકાય છે. અરે, જડમૂળથી નીકળી ગયો હોય એવા પણ દાખલા નોંધાયા છે.

દુનિયામાં ૧૯૬૦ પછી મેદસ્વીપણા અને ટાઈપ-૨ ડાયાબિટીસથી પીડાતા લોકોની સંખ્યા સમાંતરે વધી છે. અમેરિકા અને યુરોપના વિકસિત દેશોની વાત તો અલગ છે, પરંતુ ભારતમાં તો આ સ્થિતિમાંય તેલ-મરીમસાલા અને ખાંડથી ભરપૂર વાનગીઓ તેમજ સોફ્ટ ડ્રિંક્સનું વેચાણ પણ સતત વધી રહ્યું છે. આ પ્રકારના ખાદ્યોમાં કેલરી ઊંચી અને પોષક દ્રવ્યો ઓછા હોય છે. વળી, ભારતમાં યુવાનોની વસતી વધારે હોવા છતાં, અમેરિકા અને યુરોપિયન દેશોથી ઉલટું, સ્પોર્ટ્સ અને ફિટનેસ કલ્ચરનો સંપૂર્ણ અભાવ છે. વસતીના પ્રમાણમાં મેદાનો અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સંખ્યા પણ નહીં બરાબર છે. આ સ્થિતિમાં મોટા ભાગના યુવાનો બાળપણથી જ ક્વૉલિટી ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ અને હાર્ડકોર ફિઝિકલ એક્ટિવિટીથી વંચિત રહી જાય છે.

કોઈ પણ રોગ સામે લડવા દવા જેટલી જ જરૂ'અવરેનેસ'ની પણ છે. ભારતમાં મેલેરિયા, કોલેરા, એઇડ્સ, ટીબી, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાથી બચવા માટે સરકારે નાના-મોટા અભિયાનો છેડીને જાહેર આરોગ્યની સ્થિતિ સુધારવાના સફળ પ્રયાસ કર્યા જ છે, પરંતુ ડાયાબિટીસને લઈને લોકો જાગૃત થાય એ માટે સરકારી રાહે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન નથી છેડાયું. છેલ્લાં એકાદ દાયકામાં જે કોઈ નાના-મોટા અભિયાનો થયા છે એ અપૂરતા છે, તેની પહોંચ ઓછી છે અને એ પ્રયાસો ખાનગી ધોરણે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ કર્યા છે, સરકારે નહીં. કેરળમાં તો ડાયાબિટીસ સામે લડવા ફેટ ટેક્સ લાગુ કરાયો હતો. યુકેમાં પણ સરકારે ડાયાબિટીસને કાબૂમાં લેવા ગળી વાનગીઓ અને પીણાં પર સુગર ટેક્સ ઝીંક્યો છે, પરંતુ ભારતમાં આ પ્રકારના કરવેરા ઝીંકવાથી જાહેર આરોગ્યમાં સુધારો થશે એવું માનવું અઘરું છે.

હાલ વિશ્વમાં ડાયાબિટીસના કુલ ૪૨.૨૦ કરોડ દર્દી છે, જેમાંથી અડધાથી વધુ તો ચીન, ભારત, અમેરિકા, બ્રાઝિલ અને ઈન્ડોનેશિયામાં જ છે. બીજો પણ એક યોગાનુયોગ જુઓ. દુનિયામાં સૌથી વધારે શેરડી પકવતા ટોપ-૧૦ દેશોમાં પણ આ પાંચેય દેશોનો સમાવેશ થાય છે. આ તમામ દેશોમાં ખાંડ સસ્તી છે, સરળ રીતે ઉપલબ્ધ છે અને ખાંડથી ભરપૂર વાનગીઓની બોલબાલા છે. મેડિકલ સાયન્સ કહે છે કે, માનવ શરીરને ખાંડની જરૂર જ નથી.

તો પછી માણસજાતના ડાયેટ પર ખાંડનું આક્રમણ થયું કેવી રીતે? એ વાત ફરી ક્યારેક.

03 July, 2017

એક ક્રાંતિકારી એન્જિનિયરના 'ખેતીના પ્રયોગો'


દેશભરના ખેડૂતો સરકાર સામે રોષે ભરાયેલા છે, આત્મહત્યાઓમાં વધારો થઈ રહ્યો છે, વિજ્ઞાન-ટેક્નોલોજીનો ખેડૂતોને પૂરતો ફાયદો નથી મળી રહ્યો અને કૃષિજગતમાં સુધારા કરવા સરકારના હાથ પણ નાના પડી રહ્યા છે ત્યારે એક એવી વ્યક્તિની વાત કરીએ જે ખેડૂત બનીને ખેડૂતો સુધી પહોંચ્યો છે. એ વ્યક્તિએ એકલપંડે હજારો ખેડૂતોનું જીવન બદલી નાંખ્યું છે અને આ કામ હજુયે ચાલુ છે.

નામ એમનું આર. માધવન. દર વર્ષે દેશભરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી દ્વારા જુદી જુદી થીમ પર પાન-આઈઆઈટી ઈવેન્ટનું આયોજન થાય. આ કાર્યક્રમમાં દુનિયાભરમાં ફેલાયેલા આઈઆઈટીના વિદ્યાર્થીઓ આવે અને પોતાની વાત કરે. વર્ષ ૨૦૦૮ના પાન-આઈઆઈટી ઈવેન્ટની વાત છે. એ ઈવેન્ટમાં રૂરલ ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રામ્ય પરિવર્તનને લગતો એક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેટ રેટ રેસ છોડીને ગામડાંના લોકોનું જીવન પરિવર્તિત કરવા કંઈક નવા જ પ્રકારના કામ-ધંધા-વ્યવસાય અપનાવ્યા હોય એવા લોકોની વાત હતી. આ કાર્યક્રમના સ્ટાર હતા, વર્ષ ૧૯૮૬ની આઈઆઈટી-મદ્રાસ મિકેનિકલ એન્જિનિયરિંગની બેચના વિદ્યાર્થી આર. માધવન. માધવન દેશની પ્રીમિયમ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટયુટના વિદ્યાર્થી હતા અને દેશની અગ્રણી કંપનીમાં આરામની નોકરી છોડીને ખેડૂત બની ગયા હતા.

કલામની મુલાકાત પછી ઉત્સાહ વધ્યો

જોકે, માધવન કોઈ સામાન્ય ખેડૂત ન હતા. વર્ષ ૨૦૦૧માં અબ્દુલ કલામ પણ માધવન વિશે સાંભળીને તેમના ખેતરે પહોંચી ગયા હતા. કલામે માધવનના ખેતર પર બે કલાક વીતાવ્યા હતા. માધવનનું કામ નજરોજર જોઈને કલામે કહ્યું હતું કે, આજે દેશને એક નહીં પણ એક લાખ માધવનોની જરૂર છે. આ મુલાકાત પછી માધવને કહ્યું હતું કે, હું ફક્ત એક ખેડૂત માટે પ્રેરણા બની શકું તો પણ એ મારા માટે બહુ મોટી વાત હશે કારણ કે, ડૉ. કલામ પણ મારી પાસે આવી જ અપેક્ષા રાખી રહ્યા છે...

જોકે, માધવનના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા ત્યારે તેમને પણ ખ્યાલ ન હતો કે, તેઓ ભવિષ્યમાં એક સામાન્ય ખેડૂત જ નહીં, પણ અનેક સામાજિક કાર્યકર્તાઓ, કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો અને કૃષિ ક્ષેત્રે બદલાવ (ચેન્જ) લાવવા માંગતા અનેક લોકો માટે પ્રેરણા બનવાના છે.     

આર. માધવન

માધવનને નાનપણથી જ કુદરત અને કૃષિની દુનિયામાં ઊંડો રસ હતો. ખેતરોની દુનિયા તેમને હંમેશા આકર્ષતી. કિશોરવયે જ માધવને આંગણામાં બગીચો બનાવ્યો હતો, જેમાં તેમણે ઘરની જરૂરિયાત માટેના શાકભાજી પણ ઊગાડ્યાં હતાં. સ્કૂલનો અભ્યાસ કર્યા પછી માધવનને ખેડૂત બનવું હતું. એ માટે તેમણે માતા-પિતાને વાત પણ કરી, પરંતુ તેમનું કશું ચાલ્યું નહીં. છેવટે માધવને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન પાસ કરીને આઈઆઈટી-મદ્રાસમાં એડમિશન લીધું. જોકે, ટેકનિકલ બાબતોમાં ઊંડો રસ ધરાવતા માધવને મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ સારું એવું કાઠું કાઢ્યું. આ ડિગ્રી થકી જ માધવનને ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)માં ઉચ્ચ હોદ્દે નોકરી મળી.

એન્જિનિયર થયા પછીયે જપ નહોતો

આ નોકરી વખતે પણ માધવનને વિચાર આવ્યા કરતા કે, હું મારા મિકેનિકલ એન્જિનિયરિંગના શિક્ષણનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરી શકું! કૃષિમાં સામાન્ય ખેડૂતને ખૂબ વૈતરું કરવાનું આવે છે, પૈસા ઓછા મળે છે અને અનેક લોકો ભૂખે મરે છે. આ બધું કેવી રીતે અટકાવી શકાય! આ પ્રકારના વિચારો વચ્ચે માધવને એક દિવસ ખેતી કરવા માટે પિતા પાસે થોડાઘણાં પૈસા માંગ્યા, પરંતુ માધવનની યોજના સાંભળીને જ પિતા ભડક્યા. છેવટે માધવને ઓએનજીસીમાં પોતાના બોસને વિનંતી કરીને દરિયા કિનારાની સાઇટ પર બદલી લઈ લીધી. આ પ્રકારની સાઇટ પર ૧૪ દિવસ સળંગ કામ કરવાનું રહેતું પણ એ પછી સળંગ ૧૪ રજા મળતી. માધવનનો ત્યાં જવાનો હેતુ નોકરી સિવાયના ૧૪ દિવસનો ઉપયોગ કરીને ખેતીનું શિક્ષણ મેળવવાનો તેમજ બચત કરવાનો હતો. દરિયાકિનારાની સાઇટ પર માધવને સળંગ નવ વર્ષ કામ કર્યું. જોકે, એ સ્થળે ચારેક વર્ષ કામ કરીને માધવન સારી એવી બચત કરી, જેમાંથી તેમણે ૧૯૮૯માં ચેન્નાઇ નજીક ચેંગેલપેટમાં છ એકર જમીન ખરીદીને ખેતી કરવાનું શરૂ કર્યું.

માધવને રોડ કનેક્ટિવિટી અને પાણીની સુવિધા બધું જ જોઈને હોંશે હોંશે જમીન ખરીદી હતી. એ દિવસોમાં માધવન જેવા એક શહેરી એન્જિનિયરને જોઈને આસપાસના ગ્રામજનો શંકાની નજરે જોતા કારણ કે, માધવન તેમના પેન્ટ-શર્ટ પહેરતા અને અસ્ખલિત અંગ્રેજી બોલતા. માધવન આસપાસના ગામના ખેડૂતોથી ‘જુદા’ હતા. ગ્રામજનો કદાચ એવું વિચારતા કે, અમારી જમીન હડપ કરી લેવાનું આ સરકારી કાવતરું તો નથી ને! માધવનને ખેતીને લગતું ટેકનિકલ જ્ઞાન જોઈતું હતું. એ માટે તેઓ આસપાસની કૃષિ યુનિવર્સિટીમાં ગયા પણ કોઈ જ મદદ ના મળી. ખેતીવાડીને લગતું પ્રાથમિક અને પ્રેક્ટિકલ જ્ઞાન ખેડૂતો પાસેથી જ મળે, પરંતુ એક પણ ગ્રામજન માધવનને કશું શીખવાડવા તૈયાર ન હતો. વળી, ગામડિયાં અને શહેરી ખેડૂત વચ્ચે મોટો ‘કોમ્યુનિકેશન ગેપ’ પણ હતો. આ સ્થિતિમાં માધવને છ એકર જમીન પર સૌથી પહેલા ડાંગર ઊગાડી, જેમાંથી તેમને માંડ બે ટન ચોખા મળ્યાં. માધવન સ્વાભાવિક રીતે જ સખત નિરાશ થયા, પરંતુ આ નિષ્ફળતા પછી તેઓ વધારે આક્રમક અને જિદ્દી બન્યા.

માધવનનું ‘ગાંડપણ’ જોઈને પિતા પણ તેમના પર બહુ ગુસ્સે હતા. તેઓ માધવનને મૂર્ખ કહેતા, પરંતુ માધવન અઠંગ એન્જિનિયરની અદામાં જવાબ આપતા કે, હું ભૂલમાંથી ઘણું શીખું છું. હજુ મારે 'ટ્રાયલ એન્ડ એરર' પદ્ધતિથી આ પ્રયોગ ચાલુ રાખવો છે. જોકે, માધવનનું 'ટ્રાયલ એન્ડ એરર' સળંગ ત્રણ વર્ષ ચાલ્યું અને તેઓ ઘણું નવું શીખ્યા. માધવન ૧૯૯૩માં જ નોકરી છોડીને ફૂલટાઇમ ખેડૂત બનીને ખેતીવાડીના ધંધામાં અસ્તિત્વ ટકાવતા શીખી ગયા હતા.

માધવન માટે ટર્નિંગ પોઈન્ટ બનેલી મુલાકાત

આ દરમિયાન વર્ષ ૧૯૯૬માં માધવને કૃષિ ટેક્નોલોજી વિશે માહિતી મેળવવા ઇઝરાયેલની મુલાકાત લીધી. માધવને ઇઝરાયેલમાં જોયું કે, આ દેશ પાણી અને સિંચાઈને લગતી ટેક્નોલોજીમાં ઘણો જ ઈનોવેટિવ છે. જેમ કે, ઇઝરાયેલી ખેડૂતો એક એકરમાં સાત ટન મકાઇનો પાક લેતા, જ્યારે ભારતમાં એક એકરમાં એક ટનથી પણ ઓછી મકાઇ પાકતી. ઇઝરાયેલ એક એકરમાં ૨૦૦ ટન ટામેટાનો પાક લેતું, જ્યારે ભારતીય ખેડૂતો માંડ છ ટન. ઈઝરાયેલમાં શાકભાજી-ફળોના વૃક્ષ-વેલા તેમજ જમીનના નાનકડા ટુકડાનું પણ મોટા બિઝનેસ પ્રોજેક્ટની જેમ ધ્યાન રખાતું. ભારતમાં પાણી પણ વધારે વપરાતું અને પાક ઓછો ઉતરતો. ઈઝરાયેલ ટપક સિંચાઇ પદ્ધતિથી પાક લેતું અને પાણીનો બિલકુલ વ્યય ન થતો, જ્યારે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે, ભારતના ખેતરોમાં એક લિટર પાણીની જરૂર હોય ત્યાં ૭૫૦ લિટર પાણી વપરાઈ જતું. 

આ પ્રકારની આંકડાકીય માહિતી આઈઆઈટિયન એન્જિનિયર માધવન માટે આઘાતજનક હતી. ઇઝરાયેલની ઇનોવેટિવ કૃષિ અને સહકારી પદ્ધતિનો ઊંડો અભ્યાસ કરવા માધવન ૧૫ દિવસ ઇઝરાયેલમાં રહ્યા. ઇઝરાયેલની મુલાકાતના બીજા જ વર્ષે, ૧૯૯૭માં, માધવન થોડા ઘણાં સંપર્ક-સરનામાં લઈને ખેતીનું શિક્ષણ મેળવવા અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં તેઓ કેલિફોર્નિયામાં ખેતી કરતા ડૉ. લક્ષ્મણનને મળ્યા. લક્ષ્મણન ૫૦થી ૬૦ હજાર એકરમાં ખેતી કરવાનો ૩૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા હતા. આ મુલાકાત માધવનની તો ઠીક, ભારતના હજારો ખેડૂતોની તકદીર બદલી નાંખવાની હતી. લક્ષ્મણન પાસેથી માધવન પાક ફેરબદલી, સિંચાઈ અને જમીનને લગતું ઊંડું ટેકનિકલ જ્ઞાન લઈને ભારત પરત ફર્યા. આ સિવાય પણ ભારતની સ્થિતિને ધ્યાનમાં રાખીને લક્ષ્મણને માધવનને ઘણાં બધા સૂચનો કર્યા. એ દિવસને વીસે વર્ષ થઈ ગયા છે, પરંતુ માધવન હજુયે ઇ-મેઇલ, સ્કાયપ અને ગૂગલ ટૉકની મદદથી લક્ષ્મણન પાસે ખેતીવાડીના પાઠ શીખી રહ્યા છે.     

કૃષિ ભારતની બરબાદીનો જવાબ

અમેરિકાથી પાછા આવતા જ તેમણે લક્ષ્મણન પાસેથી શીખેલી પાક ફેરબદલ પદ્ધતિથી ખેતી કરવાનું ચાલુ કર્યું. જેમ કે, માધવને ઓગસ્ટમાં ડાંગર વાવી અને ડિસેમ્બરમાં લણણી કરી. ડિસેમ્બરમાં શાકભાજીનો પાક લીધો અને ફેબ્રુઆરી સુધી તગડી કમાણી પણ કરી લીધી. એ પછી મગફળી અને તલ જેવા રોકડિયા પાકો લીધા કારણ કે, મે મહિનો આવતા સુધીમાં તો ચેન્નાઇમાં પાણીની તંગી હોય, પરંતુ આ બંને પાક ઓછા પાણીએ પણ લેવાઈ જતા. એ પછી તો માધવનનો આત્મવિશ્વાસ એવો વધ્યો કે, તેમણે ૧૯૯૯માં બીજી ચાર એકર જમીન ખરીદી. હવે તેઓ કુલ દસ એકર કૃષિલાયક જમીનના માલિક છે અને દર વર્ષે પ્રતિ એકર સરેરાશ એકાદ લાખ રૂપિયા કમાઈ લેતા. આટલા વર્ષોની અથાક મહેનત અને કારકિર્દી જોખમમાં મૂકીને ખેતીવાડી શીખ્યા પછી માધવન બે દાયકાથી દેશભરના ખેડૂતોનું જીવન બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માધવન નાના અને સીમાંત ખેડૂતોનું એક જૂથ તૈયાર કરીને તેમને ભાડાપટ્ટે જમીન અપાવે છે. આ જૂથના સભ્યોને માધવન વાવણી, લણણી, જંતુનાશક દવાઓનો છંટકાવ અને માર્કેટિંગ જેવા કામની વહેંચણી કરી દે છે. માધવન દરેક સભ્યના દિલોદિમાગમાં એક વાત ઠસાવી દે છે કે, તમારું જૂથ જેટલું મોટું, એટલો તમને ફાયદો. તમે જેટલા વધારે હશો, એટલી વધારે મોટી જમીન ભાડાપટ્ટે લઈ શકશો અને જેટલી જમીન વધારે લેશો એટલો તમને વધારે ફાયદો. આવું એક જૂથ સ્વનિર્ભર થઈ જાય પછી માધવન બીજા કોઈ સ્થળે જઈને નવું જૂથ બનાવે છે. માધવને તમિલનાડુમાં ૧૦,૮૦૦ નાના ખેડૂતોનું જૂથ તૈયાર કર્યું છે, જ્યારે કેરળના એક જૂથમાં ૪,૫૦૦ ખેડૂતો છે. આ તમામ ખેડૂતો સારી કમાણી કરે છે અને બીજા ખેડૂતોને પણ મજબૂત બનાવી રહ્યા છે. આ જૂથના લોકોને લોન કેવી રીતે લેવી અને પોતાનું જ પ્રોસેસિંગ યુનિટ કેવી રીતે ઊભું કરવું એ પણ શીખવવામાં આવે છે. માધવન પોતાના ઉત્પાદનો પોતે જ જીપ લઈને મિલ સુધી વેચવા જતા. હવે તેઓ ખેડૂતોના જૂથોને પણ કૃષિપેદાશો વેચવાનું શીખવે છે, જેથી શોષણખોર વચેટિયા જ નીકળી જાય છે.

***

આર. માધવન એક ક્રાંતિ છે. ગ્રામીણ ભારતની બરબાદી, વચેટિયાઓના શોષણ, નાના ખેડૂતોની આત્મહત્યાઓ, પંચવર્ષીય યોજનાઓ તેમજ કૃષિ યુનિવર્સિટીઓ અને ખેડૂત પરિવારો વચ્ચેની ખાઈનો જવાબ પણ માધવન છે. આજેય માધવન પ્રતિ એકર દસેક ટકા જમીન પર ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિમાં વિશ્વાસ રાખીને સંશોધનો કરી રહ્યા છે, જેનો લાભ ફક્ત તેઓ નથી લેવા માગતા પણ આ પ્રયોગો કરીને તેઓ ભારતના દરેક ખેડૂતનું જીવન બદલવા માગે છે.

માધવનનું કહેવું છે કે, ખેતીમાંથી મને સારી એવી કમાણી થઈ એ વાત ખરી, પરંતુ આ કામમાંથી મને ઘણો આનંદ અને સુખ મળ્યાં છે. પૈસા માટે કામ કરવું અને આનંદ માટે કામ કરવું એ બેમાં ફર્ક છે. ખેતીમાંથી મને બંને મળે છે. આનાથી વધુ મોટી વાત કઈ હોઈ શકે! હું ઇચ્છું છું કે, આપણે કૃષિ વિજ્ઞાનની મદદથી ખેડૂતોને સદ્ધર બનાવી શકીએ છીએ. એ માટે શિક્ષિત યુવાનોએ કૃષિમાં કારકિર્દી બનાવવી જોઈએ અને ભૂખથી પીડાતા દેશમાંથી અન્નની નિકાસ થાય એ માટે રાષ્ટ્રીય સ્તરનું આંદોલન છેડવું જોઈએ...