31 August, 2015

તમને 'મધુશાલા' કોના મોંઢે સાંભળવી ગમશે? બચ્ચન કે સોનિયા?


આ વખતે રાહુલ ગાંધીના કારણે એક અલગ જ પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે. સંસદના છેલ્લા સત્રમાં રાહુલ ગાંધી હાથમાં 'હોમ વર્ક' કરેલી કાપલી લઈને જતા હતા ત્યારે એક પ્રેસ ફોટોગ્રાફરના લેન્સે ચડી ગયા. આ કાપલીમાં તેઓ સંસદમાં જે કંઈ બોલવાના હતા તે વાક્યો અને મુદ્દા હિન્દી ભાષામાં રોમન લિપિમાં લખ્યા હતા. તેમાં ‘LOG PM MODI KO SUNNA CHAHTE HAI’ અને UNKI RAI JANNA CHAHTE HAI’ જેવા વાક્યોની સાથે ‘THREE MONKIES OF GANDHIJI’ જેવા સંદર્ભો પણ હતા. આવી 'પૂરેપૂરી તૈયારી' સાથે સંસદમાં એન્ટ્રી મારી રહેલા રાહુલ ગાંધીની કાપલી સાથેની તસવીર ઝડપાયા પછી તેઓ સોશિયલ મીડિયાના જમાનામાં હાંસીને પાત્ર ના બને તો જ નવાઈ.  ટ્વિટર અને ફેસબુક પર રાહુલ ગાંધીના છાજિયા લઈ રહેલા લોકો સોનિયા ગાંધીને પણ આ મુદ્દામાં ઢસડી લાવ્યા કારણ કે, તેઓ પણ હિન્દી વાંચવા રોમન લિપિનો ઉપયોગ કરે છે. આ પહેલાં પણ સોનિયા ગાંધીના વિદેશી કુળનો મુદ્દો ઉઠાવવામાં તેમના 'કાચા હિન્દી'ની વાતને રાજકીય હેતુથી ચગાવાઈ હતી.

રાહુલ ગાંધીની કાપલી સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે, હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર માટે દેવનાગરી લિપિ ફગાવીને રોમન લિપિ જ અપનાવી લેવી જોઈએ!  સોશિયલ મીડિયા તો ઠીક, મેઈનસ્ટ્રીમ મીડિયામાં પણ હિન્દી ભાષા માટે દેવનાગરી લિપિ ફગાવીને રોમન લિપિ અપનાવી લેવી જોઈએ એવી માગ થઈ રહી છે. ભારતમાં ઈન્ટરનેટનો પ્રભાવ વધ્યો એ પછી ખાસ કરીને યુવા વર્ગ આવા અભિપ્રાયો આપી રહ્યો છે. બ્લોગિંગ અને ટ્વિટર, ફેસબુક જેવી માઈક્રો બ્લોગિંગ સાઈટ્સની લોકપ્રિયતા વધ્યા પછી નેટિઝને (ઈન્ટરનેટ સિટીઝન) દેવનાગરી અને રોમન એ બે શબ્દોમાંથી બનાવેલો 'રોમનગરી' નામનો શબ્દ પણ ચલણમાં મૂક્યો છે. રોમન લિપિમાં લખાતા હિન્દી લખાણને 'રોમનગરી' કહે છે. રોમનગરીની ભાષા હિન્દી છે પણ તેની લિપિ રોમન છે. રોમનગરી એક સ્લેન્ગ છે. સમાજના નિશ્ચિત વર્ગમાં-અમુક ક્ષેત્રના લોકોમાં જે શબ્દોનો ભરપૂર ઉપયોગ થતો હોય તેને સ્લેન્ગ કહે છે. સ્લેન્ગ સામાન્ય રીતે લખાણોમાં વપરાતા નથી પણ બોલચાલમાં વપરાય છે. સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાથી અનૌપચારિક લખાણોમાં સ્લેન્ગનો ઉપયોગ સતત વધી રહ્યો છે.



રોમનગરી શબ્દ હિન્દી ભાષીઓનું બ્લોગિંગ વધ્યું એ પછી વધુ પ્રચલિત થયો છે. હિન્દી સહિતની અનેક ભાષાઓ લખવા માટે કમ્પ્યુટર-મોબાઈલ જેવા ડિવાઈઝમાં રોમન લિપિનો ઉપયોગ શરૂ થયો એ પાછળનું કારણ ટાઈપિંગ સુવિધાનો અભાવ હતો. અત્યારે કમ્પ્યુટરથી લઈને સ્માર્ટફોનમાં હિન્દી ટાઈપિંગની સુવિધા હોય છે પણ રોમન લિપિમાં લખવું વધારે સરળ હોવાથી રોમનગરી વધુ લોકપ્રિય છે. દેશભરમાં ઈન્ટરનેટ અને તેની સાથે જોડાયેલી દુનિયા એટલે કે વોટ્સએપ, ફેસબુક કે ટ્વિટરનો ઉપયોગ જેમ જેમ વધી રહ્યો છે એમ વિવિધ ભાષા રોમન લિપિમાં લખનારાની સંખ્યા વધી રહી છે. જેમ કે, ગુજરાતીઓ વોટ્સએપમાં વાત કરવા ગુજરાતી ભાષાનો સૌથી વધારે ઉપયોગ કરે છે પણ એ ભાષા રોમન લિપિમાં લખે છે. એવી જ રીતે, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ કે મણિપુરી ભાષામાં વાત કરનારા લોકો પણ રોમન લિપિનો ભરપૂર ઉપયોગ કરે છે. મરાઠી, નેપાળી અને સંસ્કૃત ભાષા પણ દેવનાગરી લિપિમાં લખાય છે. આ કારણોસર આ ત્રણેય ભાષા વત્તેઓછે અંશે રોમન લિપિમાં લખાતી થઈ ગઈ છે.

હિન્દી સહિતની વધુ બોલાતી ભાષાઓ માટે રોમન લિપિની તરફેણ કરનારાની દલીલ છે કે, ભાષા અને લિપિ વચ્ચે અતૂટ સંબંધ નથી, આવો અતૂટ સંબંધ ના હોવો જોઈએ. ભાષા તો સંવાદ કરવાની બોલચાલની રીત છે, જ્યારે લિપિ એ ભાષા વાંચવા-સમજવા તૈયાર કરાયેલા જુદા જુદા ચિહ્નો-સંજ્ઞાઓ છે. આ ચિહ્નોની મદદથી ભાષાને દૃશ્ય સ્વરૂપ આપી શકાય છે. કોઈ પણ ભાષા માટે રોમન જેવી પ્રચલિત અને સહેલી લિપિ અપનાવી લેવામાં આવે તો તે ભાષાનો પ્રચાર વધે. જોકે, હોશિયારીપૂર્વક કરાતી આ દલીલ પાયાવિહોણી છે. ભાષા સંવાદ કરવાની બોલચાલની રીત છે એ વાત ખરી, પણ લિપિ સાથે ઉચ્ચારોની દુનિયા જોડાયેલી હોય છે. ભાષામાં ઉચ્ચારોનું મહત્ત્વ સૌથી વધારે છે કારણ કે, ઉચ્ચાર છે તો સંવાદ છે અને સંવાદ છે તો જ પ્રત્યાયન (કોમ્યુનિકેશન) છે. આખરે ભાષા કોમ્યુનિકેશન માટે છે. ભાષા સાંભળવાની પણ એક મજા હોય છે. હરિવંશરાય બચ્ચનની કવિતાઓ અમિતાભ બચ્ચનના મોંઢે સાંભળવાની જે મજા છે એ સોનિયા ગાંધીમાં ના આવે! ભાષા લિપિથી બોલાય છે અને એમાં જે તે પ્રદેશની સંસ્કૃતિની સુગંધ હોય છે. હજારો વર્ષોના સાંસ્કૃતિક આદાનપ્રદાનથી ભાષા અને લિપિનો પિંડ બંધાતો હોય છે. ભાષામાં કે લિપિમાં કાળક્રમે થતાં ફેરફારો રોકી શકાતા નથી એ વાત સાચી પણ એ ફેરફારો આપમેળે થાય એ જ હિતાવહ છે.

જેમ કે, ગુજરાતી ભારતીય-આર્યન ભાષા છે, જે ભાષા વિજ્ઞાન પ્રમાણે ભારતીય-યુરોપિયન કુળની ગણાય છે. ભારતીય-યુરોપિયન ભાષા કુળની પેટા શાખામાં ભારતીય-આર્યનની જેમ ભારતીય-ઈરાનિયન, ગુજરાતી અને પશ્ચિમીનો પણ સમાવેશ થાય છે. અત્યારની ગુજરાતી ભાષાની પૂર્વજ જૂની ગુજરાતી ભાષા છે, જે ૧૬મી સદી સુધી ગુજરાતી 'ભાખા' તરીકે ઓળખાતી. આ 'ભાખા' પાછી સંસ્કૃતમાંથી વિકસી હતી. ભાષાવિજ્ઞાનીઓ જૂની ગુજરાતીને 'જૂની પશ્ચિમી રાજસ્થાની' તરીકે પણ ઓળખે છે કારણ કે, સંશોધનો પ્રમાણે આ બંને ભાષામાં નહીંવત તફાવત છે. ૧૯મી સદી સુધીમાં જૂની ગુજરાતી એક નવી જ 'મધ્યકાલીન ગુજરાતી' ભાષા તરીકે વિકસી ગઈ હતી. મધ્યકાલીન ગુજરાતી ભાષા પર રાજસ્થાની ભાષાનો જબરદસ્ત પ્રભાવ હતો પણ રાજસ્થાની કરતા તે ઘણી અલગ થઈ ગઈ હતી. આજની ગુજરાતી ભાષા આ મધ્યકાલીન ગુજરાતીમાંથી ઉતરી આવી છે. ગુજરાતી મૂળ ગુજ્જરો (ગુર્જરો)ની ભાષા હતી, જે ગુજરી કે ગોજરી તરીકે ઓળખાતી હતી. ગુજરાતી હજારો વર્ષોથી ગુજરાતી લિપિમાં જ લખાય છે. ગુજરાતી લિપિના ચિહ્નો-સંજ્ઞાઓ દેવનાગરીમાં ઉતરી આવ્યા છે. દેવનાગરી લિપિમાં શબ્દ ઉપર જે લીટી કરાતી હતી એ ગુજરાતી લિપિમાંથી નીકળી ગઈ હતી અને તેમાં સમયાંતરે નવા વ્યંજનો ઉમેરાયા હતા. આ ઉપરાંત ગુજરાતી લિપિના આંકડા પણ દેવનાગરી લિપિની જ ભેટ છે.

હાલ ગુજરાતી સહિત કચ્છી, સંસ્કૃત અને પારસીઓની અવેસ્તન ભાષા લખવા માટે પણ ગુજરાતી લિપિ વપરાય છે. અવેસ્તન મૂળ પૂર્વીય ઈરાનની ભાષા છે પણ પારસીઓ ઈરાનથી ગુજરાતના દરિયા કિનારે આવ્યા પછી તેમણે કાળક્રમે ગુજરાતી લિપિ અપનાવી લીધી હતી. એ પહેલાં પારસી ભાષા ફક્ત પાહલવી લિપિમાં લખાતી હતી. કોઈ પણ ભાષામાં લિપિનું મહત્ત્વ નથી એ માટે એવી પણ દલીલ કરાય છે કે, એક ભાષા એકથી વધારે લિપિમાં લખવામાં શું વાંધો છે? આપણે જમાના પ્રમાણે ભાષામાં ફેરફારો કરવા જોઈએ. ગોવામાં બોલાતી કોંકણી ભાષા દેવનાગરી, કન્નડ અને રોમન એમ ત્રણ લિપિમાં લખાય છે. એવી જ રીતે, રોમન લિપિનો ઉપયોગ જર્મન, ફ્રેંચ અને મિઝો ભાષા લખવા માટે પણ થાય છે. ઈન્ટરનેટ યુગમાં તો મોટા ભાગના લોકો હિંગ્લિશ (હિન્દી-ઈંગ્લિશ) જેવી બેશુદ્ધ ભાષાનો ઉપયોગ કરતા થઈ જ ગયા છે. વોટ્સએપ જેવા ચેટિંગ એપ્સ અને ફેસબુક-ટ્વિટર પર પણ કોઈ પણ ભાષાની વ્યક્તિ રોમન લિપિમાં જ લખે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતથી જ રોમન લિપિનો પ્રભાવ રહ્યો છે. જેમ કે, હિન્દી નામ ધરાવતી ફિલ્મોના પોસ્ટર પર રોમન લિપિમાં હિન્દી નામ લખ્યું જ હોય છે. હિન્દી ફિલ્મોના અનેક કલાકારોને આજેય હિન્દી સંવાદો રોમન લિપિમાં આપવા પડે છે.

તર્કના એરણે ચકાસ્યા વિના ફક્ત સામેની વ્યક્તિને 'ચૂપ' કરવા કરાયેલી આ બધી જ દલીલો બકવાસ છે. જે ભાષા એકથી વધારે લિપિમાં લખાય છે એ ભાષાના ઉત્ક્રાંતિ કાળમાં થયેલા ફેરફારોને આધીન છે. આખા દેશમાં આજેય ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો માંડ ૨૫ ટકા છે. આ બધા લોકો હિન્દી કે ગુજરાતી રોમન લિપિમાં લખે તો પણ આ ભાષાઓ ખતમ નહીં થાય. આ તમામ લોકો રોમન લિપિની તરફેણ કરતા હોય એવું પણ માની ના લેવાય. રહી વાત હિન્દી ફિલ્મોની. હિન્દી ફિલ્મો તો ઉલટાની હિન્દી ભાષાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવામાં મદદરૂપ થઈ છે. ફિલ્મોના પોસ્ટરો દાયકાઓથી રોમન લિપિમાં છે તો શું થયું? એના કારણે લોકો હિન્દી રોમન લિપિમાં લખતા નથી થયા. ઊલટાનું હિન્દી ફિલ્મોની સૌથી મોટી સફળતા જેના પર ટકેલી છે એ હિન્દી ગીતો હિન્દી-દેવનાગરીનો પ્રચાર કરી રહ્યા છે, નહીં કે રોમન લિપિનો. જે કલાકારોને હિન્દી સંવાદો રોમન લિપિમાં લખીને આપવા પડે છે એ આપણી કમનસીબી છે. જોકે, આવા કલાકારો કેટલા? આ લોકોએ હિન્દી શીખી લેવું જોઈએ કે આપણે હિન્દીને રોમન લિપિમાં લખવાનું શરૂ કરવાનું? સોશિયલ મીડિયામાં વિચરતી દલીલબાજ નામની પ્રજાતિને આવા કોઈ સવાલો થતા નથી. આ મુંહફટ જમાત કોઈ પણ મુદ્દે અભિપ્રાયો આપવામાં ઉતાવળી અને બરછટ હોય છે. 

આ દલીલબાજોને એટલું જ કહેવાનું કે, બધી જ ભાષાઓ હજારો વર્ષોના સાંસ્કૃતિક આદાનપ્રદાન પછી આજના સ્વરૂપમાં આવી છે. આ કોઈ પણ ભાષાની લિપિ ઈરાદાપૂર્વક બદલવામાં નથી આવી. અત્યારે હિન્દી, ગુજરાતી કે મરાઠી ભાષા શીખતા વિદ્યાર્થીઓને રોમન લિપિમાં જ આ બધી ભાષા શીખવવામાં આવે મૂંઝવણ કેવી વધી જાય! ભાષાને સહેલી બનાવવાના નામે તેની હત્યા કેવી રીતે કરી શકાય? એવી જ રીતે, ભાષાને બચાવવાની વાત કરતા પહેલાં એ પણ યાદ રાખવું જોઈએ કે, ભાષા અને લિપિને પણ ઉત્ક્રાંતિનો નિયમ લાગુ પડે છે. આ ઉત્ક્રાંતિ કાળમાં ભાષાઓ-લિપિઓ વિકસતી રહે છે અને ભૂંસાતી રહે છે. આ કુદરતી પરિવર્તન સ્વીકારવું જ પડે કારણ કે, તે કોઈ પણ સમાજ કે સંસ્કૃતિના કાબૂમાં નથી હોતું. પરંતુ ભાષામાં સરળતા ખાતર કે તેનો પ્રચાર-પ્રસાર કરવાના નામે બેહુદા ફેરફારો કરવામાં આવે તો તેનો નાશ નક્કી છે.

26 August, 2015

બ્રિટીશ રાજના 'વફાદારો' અને ભારતના 'જમાઈઓ'


બ્રિટીશરોએ ભારત પર રાજ ના કર્યું હોત તો? સામાન્ય રીતે બ્રિટીશ રાજમાં ભારતને થયેલા આર્થિક નુકસાનની વિકરાળતા દર્શાવવા આ સવાલ પૂછવામાં આવે છે. જોકે, બ્રિટીશરો ભારતમાં આવ્યા ના હોત તો અખંડ હિંદુસ્તાનને કેટલાક ખાસ લાભ મળ્યા છે એ પણ ના મળ્યા હોત- એવી થિયરીમાં માનનારા લોકો પણ ક્યારેક આવો સવાલ કરતા હોય છે. હિંદુસ્તાન તો અંદરોદર તલવારો ખેંચીને દાયકાઓ ખર્ચી કાઢનારા રજવાડામાં વહેંચાયેલો દેશ હતો, જેને ખરેખર 'નેશન' એટલે કે દેશ અથવા 'સ્ટેટ' એટલે કે શાસનપ્રણાલી ના કહી શકાય. વર્ષ ૧૮૫૭ના બળવા પછી બ્રિટીશરોએ પોતાના સ્વાર્થ ખાતર ભારતનું આધુનિકીકરણ કરવાનું શરૂ કર્યું. બ્રિટીશરોનો હેતુ ભારતમાં બને એટલી સરળતાથી રાજ કરવાનો હતો. આ પ્રક્રિયાના ભાગરૂપે જ ભારતને કાયદો- વ્યવસ્થા તંત્ર, વહીવટી માળખું અને મજબૂત રેલવે નેટવર્ક મળ્યું. ભારતનું વહીવટી તંત્ર મજબૂત કરવા બ્રિટીશરોએ ઈન્ડિયન સિવિલ સર્વિસની શરૂઆત કરી હતી. જોકે, આપણે આ વહીવટી માળખામાં સમય-સ્થિતિ-સંજોગો પારખીને ફેરફાર ના કર્યો અને એટલે જ 'સરકારી નોકરો'  ગણાતા ઉચ્ચ સરકારી અધિકારીઓ ધીમે ધીમે સરકારી જમાઈ કે ધોળા હાથી બની ગયા.

આઈએએસની પૂર્વજ આઈસીએસની શરૂઆત

ભારત પર રાજ કરી રહેલા બ્રિટીશ રાજે વર્ષ ૧૮૫૮માં વહીવટી સરળતા ખાતર ઈન્ડિયન સિવિલ સર્વિસીસ (આઈસીએસ)ની શરૂઆત કરી હતી, જે ઈમ્પેરિયલ સિવિલ સર્વિસીસ નામે પણ ઓળખાતી હતી.  આ શૈક્ષણિક સંસ્થા પર સ્વાભાવિક રીતે જ બ્રિટનનો કાબૂ હતો, જેનો હેતુ ભારતનું રાજકાજ સરળતાથી કરી શકાય એ માટે અત્યંત કાબેલ અમલદારો (બ્યુરોક્રેટ્સ) તૈયાર કરવાનો હતો. જોકે, રંગભેદથી ખદબદતું બ્રિટીશ રાજ ક્યારેય નહોતું ઈચ્છતું કે, આવા મહત્ત્વના હોદ્દા પર ભારતીયો બિરાજમાન થાય. આઈસીએસ પાસ કરનારા પહેલાં એક હજાર વિદ્યાર્થી બ્રિટીશ હતા. છેક વર્ષ ૧૯૪૮ સુધી આઈસીએસ થનારા ભારતીયો માંડ ૩૨૨ હતા, જ્યારે બ્રિટીશરોની સંખ્યા ૬૮૮ હતી. વર્ષ ૧૯૩૦ સુધી બ્રિટીશરોએ આઈસીએસમાં એકહથ્થું શાસન કર્યું હતું. બ્રિટીશરોએ વર્ષ ૧૮૮૦ સુધી ફક્ત રંગભેદના જોરે ભારતીયો આઈસીએસ થાય જ નહીં એનું પૂરતું ઘ્યાન રાખ્યું હતું.

ઈન્ડિયન નેશનલ એસોસિયેશનના સ્થાપક સુરેન્દ્રનાથ બેનરજી

જોકે, વર્ષ ૧૮૭૬માં સ્વાતંત્ર્ય સેનાની સુરેન્દ્રનાથ બેનરજીએ ઈન્ડિયન નેશનલ એસોસિયેશનની સ્થાપના કરીને આઈસીએસમાં ભારતીયો સામે થતા અન્યાય સામે ધીમું પણ મક્કમ આંદોલન શરૂ કરી દીધું હતું. આ આંદોલન માટે યુવાન સુરેન્દ્રનાથ સાથે થયેલો અન્યાય નિમિત્ત બન્યો હતો. દસમી નવેમ્બર, ૧૮૪૮ના રોજ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સુરેન્દ્રનાથ બેનરજીએ ફક્ત ૨૧ વર્ષની વયે આઈસીએસ પાસ કરી હોવા છતાં બ્રિટીશરોએ ઉંમર મુદ્દે સવાલો ઊભા કરીને તેમને નોકરી નહોતી આપી. તેથી સુરેન્દ્રનાથે વર્ષ ૧૮૭૧માં બીજી વાર પરીક્ષા પાસ કરી અને બ્રિટીશ સરકારે હાલના બાંગલાદેશમાં આવેલા જલાલાબાદના આસિસ્ટન્ટ મેજિસ્ટ્રેટ તરીકે તેમની નિમણૂક કરવી પડી. આ નિમણૂકના થોડા જ સમયમાં રંગભેદથી ખદબદતા બ્રિટીશ રાજે તેમની નોકરી છીનવી લીધી. ત્યાર પછી સુરેન્દ્રનાથ મજબૂત દલીલો સાથે ઈંગ્લેન્ડની કોર્ટમાં ગયા પણ તેમને સફળતા ન મળી. છેવટે વર્ષ ૧૮૭૬માં સુરેન્દ્રનાથે ઈન્ડિયન નેશનલ એસોસિયેશનની સ્થાપના કરીને આઈસીએસમાં ભારતીયો સાથે અન્યાય સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. સમયાંતરે અન્ય લોકોએ પણ આ બદી સામે લડત  શરૂ કરી અને આઈસીએસમાં ભારતીયોની સંખ્યા વધતી ગઈ. 

ઈન્ડિયન બ્રિટીશર પેદા કરવાનું કારખાનું?

આઈસીએસ પાસ કરીને ઉચ્ચ સરકારી અધિકારી બનેલા ભારતીય સરકારી બાબુઓમાં વિચિત્ર પ્રકારની 'અંગ્રેજિયત' આવી જતી હતી. એ અંગ્રેજિયત પાછળનું કારણ બ્રિટીશ શિક્ષણ વ્યવસ્થા, અંગ્રેજી ભાષાનું શિક્ષણ અને બ્રિટીશરો દ્વારા આઈસીએસને અપાતી તાલીમ પણ હોઈ શકે! આ અંગ્રેજોતેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પ્રત્યે મજબૂત હક્ક જમાવતા અને પોતાને બીજા કરતા ઊંચા ગણતા. આ પ્રકારની ગુરુતાગ્રંથિ આજના આઈએફએસ, આઈએએસ અને આઈપીએસમાં પણ આવી ગઈ છે, જે પોતાને પ્રજાના સેવકો નહીં પણ રાજાઓ સમજે છે. જોકે, બ્રિટીશ કાળના ભારતીય સરકારી બાબુઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને નહીં પણ અંગ્રેજોને વફાદાર હતા એ વાત યાદ રાખીને કેટલાક મુદ્દા નોંધવા જેવા છે.

બ્રિટિશ રાજના પહેલા ભારતીય
આઈસીએસ સત્યેન્દ્રનાથ ટાગોર

બ્રિટન વિરોધી આઝાદી કાળમાં પણ અંગ્રેજો ભારતીય યુવાનોમાં આઈસીએસનું આકર્ષણ ઊભું કરી શક્યા હતા. રસપ્રદ વાત એ છે કે, બ્રિટીશરો સામે સ્વાતંત્ર્યોત્તર આંદોલન ચાલુ હતું ત્યારે પણ ઉચ્ચ શિક્ષિત પરિવારોમાં 'બ્રિટીશ રાજના સનદી અધિકારી' બનવાનું આકર્ષણ હતું અને આઈસીએસ પાસ કરવી બહુ મોટી સિદ્ધિ ગણાતી. સુભાષચંદ્ર બોઝ પણ આઈસીએસમાં ચોથા ક્રમાંકે પાસ થયા હતા. જોકે, વર્ષ ૧૯૨૧માં તેમણે બળવાખોર સ્વભાવને પગલે બ્રિટીશ રાજની સેવાનહીં કરવાનો નિર્ણય લઈને રાજીનામું આપી દીઘું હતું. આ સરકારી બાબુઓ નિષ્ઠાપૂર્વક કામ કરતા અને 'રાજ'ને વફાદાર રહેતા. એ લોકો માટે સરકારી કામકાજ ગંભીર બાબત હતી. આ સરકારી બાબુઓ રાજ સામે બળવાખોરી ના થાય એમાં પણ આડકતરી રીતે મદદરૂપ થતા. જેમ કે, રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર બ્રિટીશ રાજની આઈસીએસમાં જોડાનારા પહેલા આઈસીએસ હતા. સત્યેન્દ્રનાથ જાણીતા લેખક, ભાષાશાસ્ત્રી અને સંગીતકાર હતા પણ ભારતીય સ્ત્રીઓની દયનીય હાલત જોઈને તેમના માટે કંઈક કરવા આઈસીએસમાં જોડાયા હતા. એનો અર્થ એ છે કે, એ વખતે પણ દેશસેવા કરવા આઈસીએસનો વિકલ્પ ધ્યાનમાં લેવાતો હશે! ટૂંકમાં દેશનું મજબૂત વહીવટી માળખું આપવાની સાથે સાથે ભારતીયો બ્રિટીશરોને સ્વીકારી લે અને પ્રજામાં બળવાખોરી ના થાય એમાં પણ આઈસીએસનો ફાળો અમૂલ્ય હતો.

સરદાર પટેલે પણ આઈસીએસની નોંધ લેતા સંસદમાં કહ્યું હતું કે, આઝાદી પછી દેશને એક રાખવામાં અમલદારોની ભૂમિકા મહત્ત્વની છે. જો તેઓ ના હોત તો દેશ પડી ભાંગ્યો હોત...

... અને સરકારી નોકરો 'ધોળા હાથી' બની ગયા

વર્ષ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા થતા આઈસીએસનું પણ વિભાજન થયું અને ભારતના મળેલો ભાગ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે આઈએએસ તરીકે ઓળખાયો, જ્યારે પાકિસ્તાનને મળેલો ભાગ સિવિલ સર્વિસીસ ઓફ પાકિસ્તાન તરીકે ઓળખાયો. ભાગલા વખતે કુલ ૯૮૦ આઈસીએસ  હતા, જેમાં ૪૬૮ યુરોપિયન, ૩૫૨ હિંદુ, ૧૦૧ મુસ્લિમ, ૨૫ ભારતીય ખ્રિસ્તી, ૧૩ પારસી, દસ શીખ, પાંચ એંગ્લો ઈન્ડિયન અને બે શિડયુલ કાસ્ટના હતા. આઝાદી કાળથી દેશને સુવ્યવસ્થિત વહીવટી માળખું પ્રદાન કરવામાં આ 'સરકારી નોકરો'નું પ્રદાન મહત્ત્વનું હતું. જોકે, ભાગલા પછી મોટા ભાગના યુરોપિયનો ભારત છોડીને સ્વદેશ જતા રહ્યા, જ્યારે હિંદુ-મુસ્લિમો ભારત પાકિસ્તાનમાં વહેંચાઈ ગયા. આ સ્થિતિમાં દેશનો વહીવટ કરવામાં અનેક પડકારો સામે આવ્યા અને સ્વતંત્રતા આંદોલનના નેતાઓને પણ ભારતીય અમલદારોનું મહત્ત્વ સમજાઈ ગયું.

ભારત સરકાર બ્રિટીશ રાજની જેમ સમય, સ્થિતિ અને સંજોગો પારખીને આઈએએસનું મજબૂત માળખું વિકસાવવામાં ઢીલી (નિષ્ફળ નહીં) પડી. આઝાદીના ૬૯ વર્ષ પછીયે આપણે સિવિલ સર્વિસીસમાં સુધારા કરી શક્યા નથી. બ્રિટીશ રાજના આઈસીએસ કમસેકમ 'રાજ'ને વફાદાર હતા પણ અત્યારના આઈએએસ સરકાર અને પ્રજા માટે 'ધોળા હાથી' છે. બ્રિટીશ રાજમાં બધા આઈસીએસ દૂધે ધોયેલા હતા એવું ના હોઈ શકે પણ આઝાદી પછી નૈતિકતા અને જાહેર મૂલ્યો ઘટતા ગયા એ કડવી હકીકત છે. બ્રિટિશ રાજમાં 'પ્રામાણિક' અમલદારોના જીવને જોખમ નહોતું કારણ કે, એ વખતના રાજકારણીઓ અને અમલદારો માફિયાઓના 'બિઝનેસ પાર્ટનર' નહોતા. આજે કોઈ પણ પ્રામાણિક સનદી અધિકારીને સહેલાઈથી મીડિયા એટેન્શન મળી જાય છે કારણ કે, આવા અધિકારીઓને દીવો લઈને શોધવા જવું પડે છે.

ભ્રષ્ટાચારના મૂળમાં ઊંડે ઉતરતા જણાય છે કે, છેલ્લાં દોઢ દાયકામાં થયેલા મસમોટા કૌભાંડોમાં રાજકારણીઓ અને સરકારી જમાઈઓની મિલિભગતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આઈએએસ પાસ કરનારા તો દેશના સૌથી સારું શિક્ષણ મેળવેલા કાબેલ વિદ્યાર્થીઓ હોય છે અને છતાં તેઓ ભ્રષ્ટ બની જાય છે. એનું કારણ આપણી ખાડે ગયેલી શિક્ષણ પદ્ધતિ અને નૈતિક મૂલ્યોમાં સમયાંતરે થયેલો ઘટાડો છે. વર્ષ ૨૦૧૧ના સત્તાવાર અહેવાલો પ્રમાણે, ૨૦૦૭ પછીના ત્રણ જ વર્ષમાં સીબીઆઈએ સરકારી બાબુઓ સામે ૪૫૦ ચાર્જશીટ કરી છે અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ૯૪૩થી પણ વધુ કેસ નોંધાયા છે.

જોકે, ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર માનતો આપણો સમાજ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી 'અંગ્રેજો' જુદા જુદા રૂપમાં આપણા પર રાજ કરતા રહેશે. વ્યાપમ કૌભાંડમાં ડફોળ પુત્ર-પુત્રી માટે ડમી વિદ્યાર્થીઓ બેસાડવાના ચાર-પાંચ લાખ રૂપિયા વિદ્યાર્થીઓના માતા-પિતાએ જ ખર્ચતા હતા ને?

એટલે જ કોઈએ ‘જેવો રાજા એવી પ્રજા’ના બદલે ‘જેવી પ્રજા તેવો રાજા’ એમ કહ્યું હશે!

13 August, 2015

રસીલા રસગુલ્લા અસ્તિત્વમાં આવ્યા કેવી રીતે?


યાકૂબ મેમણની ફાંસીને લઈને ટ્વિટનો ધોધ વરસી રહ્યો હતો ત્યારે જગન્નાથ પુરીની રથયાત્રા પણ ચાલી રહી હતી. એ વખતે કેટલાક ઓડિયા યુવાનોએ પણ રસગુલ્લા સહિતની અમુક ચીજવસ્તુઓને પ્રમોટ કરવા ટ્વિટર પર આક્રમક અભિયાન શરૂ કર્યું હતું. આ યુવાનોનો દાવો છે કે, રસગુલ્લા ઓડિશાએ (અગાઉ ઓરિસ્સા નામે અને એ પહેલાં કલિંગા નામે જાણીતું) વિશ્વને આપેલી ભેટ છે. જોકે, બંગાળીઓએ પણ ટ્વિટર પર 'આક્રમક ટહુકા' કરીને દાવો કર્યો છે કે, 'રોસોગોલ્લા' એ ઓડિશાની નહીં પણ બંગાળે ભારત અને વિશ્વને આપેલી રસીલી ભેટ છે. ઓડિયા લોકોનું કહેવું છે કે, રસગુલ્લા કોલકાતા પહોંચ્યા એ પહેલાં તે ઓડિશાના વિખ્યાત જગન્નાથ પૂરીના મંદિરમાં છપ્પનભોગમાં બનાવાતા હતા. આ મુદ્દે ટ્વિટર પર થોડા જ સમયમાં પાંચસો-હજાર નહીં પણ ૨૫ હજાર ટ્વિટ થયા હતા અને હજુયે આ મુદ્દે ટ્વિટ થઈ રહ્યાં છે.

આ વિવાદની શરૂઆત થઈ કેવી રીતે?

ઓડિશા સરકારે કટક અને ભુવનેશ્વર વચ્ચે આવેલા પહાલા નામના ગામને રસગુલ્લા માટે જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (જીઆઈ) આપવાનું નક્કી કર્યું એ પછી આ વિવાદ શરૂ થયો હતો. કોઈ પણ સ્થળ સાથે જોડાયેલી ખાસ ચીજવસ્તુને જીઆઈ ટેગ અપાય છે. બંગાળની જેમ પહાલાના રસગુલ્લા પણ વિશ્વવિખ્યાત છે. પહાલાને જીઆઈ ટેગ મળવાથી રસગુલ્લા માટે બંગાળનું પ્રદાન ભૂલાવાનું નથી. આ મુદ્દે ગેરસમજ સતત વધી રહી હોવાથી ઓડિશા સરકારના લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગ વિભાગે ખુલાસો કર્યો છે કે, ''રસગુલ્લા માટે ફક્ત પહાલા ગામને જ જીઆઈ આપવાનું વિચારાઈ રહ્યું છે, નહીં કે આખા ઓડિશાને. ઓડિશા સરકાર ત્યાં રસગુલ્લા ક્લસ્ટર સ્થાપવા જઈ રહી છે અને તેને જીઆઈ આપવાથી એક રસગુલ્લા બ્રાન્ડ ઊભી થાય એ અમારો હેતુ છે...''

સૌથી પહેલી વાત એ કે, જીઆઈ મળે એનો અર્થ એ નથી કે, જે તે ચીજવસ્તુની શોધ ત્યાં થઈ છે. જેમ કે, પાટણને પટોળા અને દાર્જિલિંગને 'દાર્જિલિંગ ટી' માટે જીઆઈ મળેલું છે. એનો અર્થ એ નથી કે, ચ્હાની શોધ દાર્જિલિંગે કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચોક્કસ ચીજવસ્તુની બ્રાન્ડ ઊભી કરવા માટે જીઆઈ અપાતું હોય છે. જીઆઈ મળ્યા પછી બ્રાન્ડને, સ્થળને અને એ બ્રાન્ડ સાથે સંકળાયેલા મજૂરો-કર્મચારીઓને થોડો-ઘણો આર્થિક લાભ મળતો હોય છે. પહાલાને પણ રસગુલ્લાનું જીઆઈ મળ્યા પછી આનાથી વિશેષ લાભ થવાનો નથી. ઊલટાનું જીઆઈ મળ્યા પછી સ્વાદ, પેકેજિંગ અને કાચા માલમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો જાળવવા પડે છે. બંગાળની જેમ ઓરિસ્સામાં પણ દાયકાઓ જૂના રસગુલ્લાના વેપારીઓ છે. હાલ ઓરિસ્સાના રસગુલ્લા બિઝનેસનું ટર્નઓવર રૂ. ૧૦૦ કરોડનું છે, જેમાં હજારો લોકોને રોજગારી મળે છે.

રસગુલ્લા ઓડિશાના હોવાનો દાવો કેટલો સાચો?

જગન્નાથ મંદિરનો દાવો છે કે, ''આ મંદિર ૧૨મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી રસગુલ્લા રથયાત્રાના પ્રસાદની ધાર્મિક વિધિનો એક ભાગ છે.'' 

જોકે, અનેક ઐતિહાસિક પુરાવા આ દાવાની વિરુદ્ધમાં છે. જેમ કે, આજના રસગુલ્લા દૂધમાંથી મેળવાયેલા તાજા દહીંના છેનામાંથી બનાવાય છે. છેના મૂળ હિંદી શબ્દ છે, જે ઓડિયા ભાષામાં છના તરીકે ઓળખાય છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છન્ના શબ્દ પણ પ્રચલિત છે. છેના, છના કે છન્ના એટલે દહીંમાંથી મેળવાયેલી તાજી ચીઝ. દહીંને કપડામાં બાંધીને પાણી છૂટું પાડતા જે કંઈ બચે એને છેના કહેવાય છે. ગુજરાતમાં બોલચાલાની ભાષામાં છેનાને મસ્કો પણ કહે છે, જ્યારે વિદેશમાં તે ક્રીમ કે કોટેજ પનીરના નામે ઓળખાય છે. કોટેજ પનીરમાં પનીરનો અંશ પણ નથી હોતો એટલે ભારતમાં બોલચાલની ભાષામાં તેને દેશી ચીઝ (અનપ્રોસેસ્ડ ચીઝ) પણ કહે છે.

રસગુલ્લા 

આ દેશી ચીઝને લાડુડી આકારમાં તૈયાર કરીને હલકી ચાસણીમાં ઉકાળીને બનાવાતી મીઠાઈ એટલે રસગુલ્લા. આ પ્રક્રિયામાં દૂધનું વિભાજન થાય છે, જે હિંદુ ધર્મની વિવિધ સંસ્કૃતિઓમાં અપવિત્ર મનાય છે. હિંદુ ધર્મની અનેક વિધિઓમાં દૂધ અને દહીંનો ઉપયોગ થાય છે પણ ચીઝનો નહીં કારણ કે, ભગવાનની પૂજાઅર્ચનામાં દૂધ-દહીં પવિત્ર મનાયું છે, ચીઝ નહીં. 

બસ, આ જ કારણસર જગન્નાથ પૂરીના મંદિરમાં રસગુલ્લાનો જન્મ નહીં થયો હોય એ માન્યતાને બળ મળે છે. ૧૨મી સદીની બ્રાહ્મણ પરંપરામાં પણ ચીઝના ઉપયોગના ઉલ્લેખ મળતા નથી. ૧૭મી સદીના ઉત્તરાર્ધ સુધી ભારતમાં ચીઝનો વપરાશ થતો હોવાના કોઈ જ પુરાવા નથી એમ સાંસ્કૃતિક ઈતિહાસકારો એકસૂરે સ્વીકારે છે. ભારતીય આધ્યાત્મિક-પૌરાણિક સાહિત્યમાં કૃષ્ણ ભગવાન વૃંદાવન (ઉત્તરપ્રદેશ)માં પાલક માતા-પિતા સાથે રહેતા હતા ત્યારે પશુપાલનના સંખ્યાબંધ ઉલ્લેખો મળે છે. એ વખતના લોકો દૂધ, માખણ અને ઘીનો પણ ભરપૂર ઉપયોગ કરતા હતા એવી પણ હજારો સાબિતી છે, પરંતુ એ કાળના સમગ્ર સાહિત્યમાં છેના, છના કે છન્નાના કોઈ ઉલ્લેખ નથી.

આધ્યાત્મિક સાહિત્ય તો ઠીક મધ્યકાલીન ભારતના ઈતિહાસમાં પણ દેશી ચીઝના ઉપયોગના ઉલ્લેખો નથી મળતા. એ વખતના અનેક રાજાઓ મીઠાઈના શોખીન હતા પણ તેઓ રસગુલ્લા ખાતા હતા એવા પણ કોઈ પુરાવા નથી. આ મીઠાઈઓ મોટા ભાગે જાડા દૂધમાંથી બનતી હતી પણ તેમાંય છેનાથી બનતી મીઠાઈની નોંધો મળતી નથી. મધ્યકાલીન બંગાળમાં આજની સંદેશ કે સોંદેશ જેવી મીઠાઈ પ્રચલિત થઈ ગઈ હતી પણ તે ઘટ્ટ દૂધમાંથી બનતી હતી, નહીં કે દેશી ચીઝમાંથી. છેક હવે આ મીઠાઈઓમાં દેશી ચીઝનો ઉપયોગ વધ્યો છે.

તો જગન્નાથ મંદિરે આવો દાવો કેમ કર્યો?

જગન્નાથ મંદિરમાં સદીઓથી રથયાત્રા વખતે રસગુલ્લા નહીં પણ ખીરમોહન (અથવા ખીરોમોહન)નો પ્રસાદ તૈયાર કરાતો હતો, જે રસગુલ્લાની પૂર્વજ જેવી મીઠાઈ છે. આ વિવાદ પણ એટલે જ થયો છે.  

આજકાલ જગન્નાથ રથયાત્રામાં રસગુલ્લાનો પ્રસાદ અપાય છે પણ તેની શરૂઆત ચોક્કસ ક્યારે થઈ એ અટકળોનો વિષય છે. જગન્નાથ મંદિરના પૂજારીઓ અને કર્તાહર્તા ખીરમોહનને જ રસગુલ્લા કહેતા હોય એ વાતમાં કોઈ શંકા નથી કારણ કે, ભગવાન કૃષ્ણને ધરાવવામાં આવતા છપ્પન ભોગમાં ખીરમોહન જેવી મીઠાઈનો ઉલ્લેખ છે પણ આજના રસગુલ્લા કે 'એવી જ રીતે બનાવાતી' કોઈ મીઠાઈના ઉલ્લેખ નથી. પૂરીની રથયાત્રામાં અત્યાર સુધી ઘણાં સાંસ્કૃતિક બદલાવ આવ્યા છે, જેમાં ખીરમોહનની જગ્યાએ રસગુલ્લા આવી ગયા છે. આજે પણ ઓડિશામાં ઠેર ઠેર ખીરમોહન પ્રચલિત છે પણ રથયાત્રા વખતે ખીરમોહનના બદલે રસગુલ્લાનો પ્રસાદ હોય છે. કદાચ આ જ કારણથી ઓડિશાના લોકો વર્ષો જૂની ખીરમોહનને રસગુલ્લા સમજીને એવો દાવો કરી રહ્યા છે કે, રસગુલ્લાનો જન્મ સદીઓ પહેલાં ઓડિશામાં થયો હતો.

તો રસગુલ્લા અસ્તિત્વમાં આવ્યા કેવી રીતે?

હાલ બજારમાં ઉપલબ્ધ ખીરમોહન અને રસગુલ્લામાં ઘણો તફાવત છે. સદીઓ પહેલાં ખીરમોહન કેવી રીતે બનાવાતી હતી એ કહેવું મુશ્કેલ છે પણ અત્યારે તે દૂધ અને પનીરમાંથી બનાવાય છે. પનીર બનાવવા માટે દૂધને ફાડવું પડે છે અને એ માટે તેમાં ખટાશ ઉમેરવી પડે છે. જોકે, દૂધ ફાડવાની રીત ભારતમાં ઘણી પછીથી આવી હોવાથી સદીઓ પહેલાં ખીરમોહન પનીરમાંથી નહીં પણ ઘટ્ટ દૂધમાંથી બનાવાતી હશે! એવી જ રીતે, અત્યારે રસગુલ્લા છેનામાંથી બનાવાય છે. જો આજે બજારમાં મળતા રસગુલ્લા અસ્તિત્વમાં ક્યારે આવ્યા એ જાણવું હોય તો ભારતમાં છેના ક્યારે આવ્યું હશે એ ઐતિહાસિક તથ્યો સમજવા પડે.

સાંસ્કૃતિક ઈતિહાસ પર નજર કરતા જણાય છે કે, બંગાળીઓને છેના કે દેશી ચીઝનો ઉપયોગ પોર્ટુગીઝોએ શીખવ્યો હતો. પોર્ટુગીઝો  ૧૬મી અને ૧૭મી સદી દરમિયાન બંગાળના ચિત્તગોંગમાં આવ્યા હતા. એટલે જ સ્વભાવિક રીતે જ પોર્ટુગીઝ અને બંગાળી સંસ્કૃતિનો દાયકાઓ સુધી સમન્વય થતો રહ્યો. પોર્ટુગીઝો ભારતમાં ડેરી ટેક્નોલોજીની પણ સાથે લઈને આવ્યા હતા. ભારતમાં બ્રિટિશ કાળ  શરૂ થયો એના ઘણાં સમય પહેલાંથી બંગાળમાં રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન શરૂ થઈ ગયું હતું.  ઓરિસ્સા તો ઘણું પાછળ હતું અને એટલે જ પાડોશી રાજ્ય ઓરિસ્સાના રસોઈયા-કંદોઈ રોજગારીની તકમાં બંગાળમાં સ્થાયી થયા હતા. ઉચ્ચ બંગાળી બ્રાહ્મણ પરિવારોમાં ઓડિયા રસોઈયા નોકરી કરતા હોવાની અનેક ઐતિહાસિક નોંધો છે. એ વખતે બંગાળીઓ ઓડિયા રસોઈયા પાસેથી ખીરમોહન બનાવવાનું શીખ્યા હોઇ શકે! બીજી તરફ, પોર્ટુગીઝો પણ સદીઓથી ઉત્તમ કોટિના કંદોઈ ગણાય છે. તેઓ દૂધ, અને દેશી ચીઝમાંથી જાતભાતની મીઠાઈ બનાવવામાં નિષ્ણાત હતા. બંગાળી કંદોઈઓએ દહીંમાંથી છેના કે મસ્કો કાઢવાની રીત તેમના પાસેથી જ શીખી હતી. શાહજહાંના સૌથી મોટા પુત્ર દારા શિકોહના અંગત ડોક્ટર ફ્રાંકોઈઝ બાર્નિયરે નોંધ્યું છે કે, બંગાળમાં પોર્ટુગીઝોના વસવાટના સ્થળો મીઠાઇઓ માટે ખાસ જાણીતા છે. પોર્ટુગીઝો મીઠાઈ તૈયાર કરવામાં નિષ્ણાત હોય છે અને બંગાળીઓ તેમની સાથે ઘણી ચીજવસ્તુઓનો વેપાર કરે છે...

એ પછી બંગાળમાં છેનામાંથી બનતી મીઠાઈઓનો ઉપયોગ સતત વધ્યો હતો. આજે છેનામાંથી બનતા રસગુલ્લા આવી રસપ્રદ 'ઉત્ક્રાંતિ' પછી અસ્તિત્વમાં આવ્યા છે. આજેય દેશભરમાં ખવાતી પંજાબી, કોન્ટિનેન્ટલ અને ચાઈનીઝ વાનગીઓ પણ જે તે સ્થળે પહોંચ્યા પછી તે સ્થળની આગવી ‘સુગંધ’ તેમાં ઉમેરાઈ જાય છે. જેમ કે, અમદાવાદ કે મુંબઈમાં મળતા ઈટાલિયન પીઝાનો સ્વાદ ઈટાલીના પીઝા કરતા ઘણો જુદો હોય છે. ઓથેન્ટિક ઈટાલિયન ફૂડ સર્વ કરતી ગમે તેવી ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ઇટાલિયન સ્વાદની વધુમાં વધુ નજીક હોય એવો સ્વાદ આપી શકે, મૂળ ઈટાલીનો નહીં. અમદાવાદમાં મળતી ચાઈનીઝ વાનગીઓ ચીનના લોકોએ જીવનમાં ક્યારેય ખાધી જ ના હોય એની પણ પૂરેપૂરી ગેરંટી. કારણ કે, કોઈ પણ વાનગીની ઓળખ સ્થાનિક શાકભાજી-ફળફળાદિ, મરીમસાલા અને તે બનાવવાની રીતથી પણ ઊભી થતી હોય છે. આ પ્રકારની વાનગીઓની ઉત્ક્રાંતિ પણ અવિરત ચાલ્યા કરે છે. 

ટૂંકમાં, ઓડિશા કે બંગાળના- ‘રસગુલ્લા અમારા છે’ એ પ્રકારના દાવા હાસ્યાસ્પદ છે. એટલું ખરું કે, ઈસ. ૧૮૬૪માં બંગાળના જાણીતા કંદોઈ, વેપારી અને ઉદ્યોગસાહસિક નોબિન ચંદ્ર દાસના જાતભાતના પ્રયોગોના કારણે આજના રસગુલ્લાને વિશ્વવિખ્યાત બન્યા હતા. એટલે જ નોબિન ચંદ્ર દાસ આજેય વિશ્વભરમાં 'કોલમ્બસ ઓફ રોસોગોલ્લા' તરીકે જાણીતા છે.

05 August, 2015

ભારતીય બાળસાહિત્યનું ભૂલાયેલું 'ક્લાસિક' પુસ્તક


આપણે ક્યારેક બહુ 'વજનદાર' કહી શકાય એવા પુસ્તકો પણ એક જ બેઠકમાં પૂરા કરી દેતા હોઈએ છીએ. આવા પુસ્તકો જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ 'આ પુસ્તક પૂરું જ ના થાય તો કેવું સારું' એવી લાગણી થતી જાય છે. આવો જ અનુભવ કરાવતું એક હલકુંફૂલકું નાનકડું પુસ્તક એટલે 'ગે-નેકઃ ધ સ્ટોરી ઓફ એ પીજન'. નામ વાંચીને ખાસ કંઈ જિજ્ઞાસા ના થાય એવું શુષ્ક શીર્ષક ધરાવતું આ પુસ્તક વળી બાળકો અને કિશોરોને ધ્યાનમાં રાખીને લખાયું છે. બાળ સાહિત્યમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ અંગ્રેજી ભાષાના આ પુસ્તકના લેખકને અમેરિકન લાઈબ્રેરી એસોસિયેશનનો પ્રતિષ્ઠિત 'જ્હોન ન્યૂબેરી મેડલ' પણ મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, અંગ્રેજી બાળ સાહિત્યમાં ક્લાસિકની કેટેગરીમાં આવતા આ પુસ્તકના લેખક બંગાળી છે. આ બંગાળી એટલે અમેરિકા જઈને અંગ્રેજી ભાષાના લેખક તરીકે સફળ થનારો પહેલવહેલો ભારતીય યુવક ધન ગોપાલ મુખરજી.

અમેરિકામાં બાળ-નવલકથાના ખાનામાં મૂકાયેલા આ પુસ્તકની વાર્તા 'ગે નેક' જેવું વિચિત્ર નામ ધરાવતા 'મેસેન્જર પીજન'ની આસપાસ ફરે છે. કબૂતરનું નામ 'ગે નેક' કેમ છે એ વાત લેખકે પહેલાં જ પ્રકરણમાં સુંદર રીતે ગૂંથી લીધી છે. તેઓ કહે છે કે, ‘...ચિત્ર એટલે 'ગે' રંગથી ચિતરેલું અને ગ્રિવા એટલે ગળું. એટલે કે ચિત્રગ્રિવા, જેને અંગ્રેજીમાં એક શબ્દમાં ગે-નેક કહી શકાય. ક્યારેક અમે તેને ‘ઈરિડેસન્સ-થ્રોટેડ’ (Iridescence Throated) નામે પણ બોલાવતા.’ 

અંગ્રેજીમાં એકથી વધુ તેજસ્વી રંગોના ઝગમગાટ માટે 'ગે-Gay' શબ્દ છે, જ્યારે ઈરિડેસન્સ એટલે મેઘધનુષ્ય જેવી રંગઆભા અને થ્રોટેડ એટલે ગળું. દાચ ગ્લોબલ અપીલ મેળવવા લેખકે કબૂતરનું નામ ગે નેક રાખ્યું હશે! પેગ્વિને ૧૯૨માં પ્રકાશિત કરેલું આ પુસ્તક લેખકે વિદેશમાં (મોટા ભાગે ફ્રાન્સના બ્રિટની પ્રાંતમાં) લખ્યું હતું. 

વર્ષ 1944માં પફિન સ્ટોરી બુક્સે પ્રકાશિત કર્યું ત્યારનું કવરપેજ અને બાજુમાં ધન ગોપાલ મુખરજી

પુસ્તકની પ્રસ્તાવનામાં જ લેખક નિખાલસતાથી કહે છે કે, ‘બેસ્ટ ફોર એજીસ ૯ ટુ ૧૪’. જોકે, લેખક પોતે આવું માનતા હોય તો પણ આ પુસ્તક દરેક ઉંમરના લોકોને જકડી રાખે એવું છે. વાર્તાની શરૂઆતના પ્રકરણોમાં ચિત્રગ્રિવા ઈંડામાંથી બહાર આવે છે ત્યારથી માંડીને તેના માતા-પિતાની મદદથી તે ઉડવાની શરૂઆત કેવી રીતે કરે છે એ વાત કરાઈ છે. આ પ્રકરણો વાંચતી વખતે વાચક કબૂતર અને અન્ય પક્ષીઓના કૌટુંબિક-સામાજિક વ્યવહાર અને તેમની આદતો વિશે માહિતી મેળવતો જાય છે. કબૂતર ઘરમાં માળો બાંધે ત્યારે શું ના કરવું જોઈએ, એ પણ વાચકો (ખાસ કરીને બાળકો દયા-અનુકંપાના પાઠ) શીખતા જાય છે. આ દરમિયાન કબૂતરના બચ્ચાંનો વિકાસ અને તેનામાં થતાં જૈવિક ફેરફારોનું પણ જ્ઞાન મળે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ બધી જ વાત કંટાળો આવે એવી શૈક્ષણિક શૈલીમાં નહીં પણ અત્યંત રસાળ રીતે વાર્તામાં ગૂંથી લેવાઈ છે. આ બધું જ વર્ણન જબરદસ્ત સંશોધન સાથે થયું હોય છતાં વાર્તાનો દરેક ફકરો ખૂબ ઝડપથી પૂરો થતો જાય છે.

જેમ કેચિત્રગ્રિવાનો જન્મ થયો એની વાત કરતા એક જગ્યાએ લેખક કહે છે કે, ‘અલબત્ત, ચિત્રગ્રિવા ઈંડામાંથી બહાર આવ્યું ત્યારે મેઘધનુષ્ય જેવું તેજસ્વી ગળું નહોતું ધરાવતું. તેના પીંછામાં પણ દર અઠવાડિયે થોડો થોડો વધારો થતો. અરે, ત્રણ મહિનાનું થયું ત્યાં સુધી તો એવી આશા પણ નહોતી કે, તે ચમકદાર રંગો ધરાવતા ગળાનું માલિક બનશે, પરંતુ આખરે એ સિદ્ધિ મેળવીને તે ભારતમાં મારા શહેરનું સૌથી સુંદર કબૂતર બન્યું. મારા કોલકાતા શહેરના યુવાનોએ જ આશરે ચાળીસેક હજાર કબૂતર પાળ્યા હતા.’ 

આ પુસ્તક લેખકના બાળપણના અનુભવો પર આધારિત છે. ધન ગોપાલ મુખરજીએ નોંધ્યું છે કે, ‘એ વખતે ડઝનેક કબૂતરોના માલિક હોવું એ હિંદુ યુવકોમાં નવી વાત ન હતી.’ નવલકથામાં ચિત્રગ્રિવાને તાલીમ આપનારા યુવક લેખક પોતે છે. તેમનો જન્મ છઠ્ઠી જુલાઈ, ૧૮૯૦ના રોજ બ્રિટિશ ભારતના કોલકાતા નજીકના એક ગામમાં થયો હતો, જ્યારે નવલકથામાં ચિત્રગ્રિવાનો જન્મ પણ કોલકાતામાં થયો છે. તે કોઈ સામાન્ય કબૂતર નથી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેણે ફ્રાંસમાં મેસેન્જર પીજન તરીકે ઘણું શૌર્ય દાખવ્યું હતું. પુસ્તકના અમુક પ્રકરણો ચિત્રગ્રિવાના મોંઢે કહેવાયા છે. એટલે કે ચિત્રગ્રિવા પહેલો પુરુષ એકવચનમાં વાચકોને વાર્તા કહે છે. આ પુસ્તકમાં કબૂતરના જીવનની શરૂઆત અને તેને અપાયેલી યુદ્ધની તાલીમના વર્ણનો સાચુકલા છે. એ રીતે, ૧૯મી સદીના અંતથી ૦મી સદીની શરૂઆત સુધી બંગાળ પ્રેસિડેન્સીમાં ઉચ્ચ વર્ગીય પરિવારોના યુવાનોના કબૂતર પાળવાના શોખ તેમજ એ વખતે કબૂતરોને યુદ્ધમાં ‘સંદેશાવાહક’ તરીકે કેવી રીતે તાલીમ અપાતી હતી- એ રસપ્રદ માહિતી મેળવવા પણ આ પુસ્તક મહત્ત્વનું છે

ચિત્રગ્રિવા ઉત્તમ મેસેન્જર પીજન કેમ બની શક્યું એનું કારણ લેખકે ઉત્તમ ફિલ્મ લેખકની જેમ શરૂઆતમાં જ આપી દીધું છે. તેઓ કહે છે કે, ‘...ચિત્રગ્રિવાના પિતા ઉત્તમ  ટમ્બલર (જિમ્નાસ્ટ) હતા. તેમણે એ વખતની સૌથી સુંદર કબૂતરી સાથે લગ્ન કર્યા હતા, જે મેસેન્જર પીજનની પેઢીમાંથી આવતી હતી. એટલે જ ચિત્રગ્રિવા યુદ્ધ અને શાંતિના સમયમાં પોતાને સર્વોત્તમ મેસેન્જર સાબિત કરી શક્યું હતું. માતા પાસેથી તેને શાણપણ મળ્યું હતું, જ્યારે પિતા પાસેથી બહાદુરી અને ચપળતા. ક્યારેક તો તે બાજ જેવા શિકારી પક્ષીના માથા નજીક જઈને છેલ્લી ઘડીએ ગુલાંટ મારી પલાયન થઈ જતું...’

જોકે, ચિત્રગ્રિવાના પિતા એક વાવાઝોડામાં મૃત્યુ પામે છે, જ્યારે માતા બાજનો શિકાર થઈ જાય છે. આમ, કેટલીક નાટ્યાત્મક ઘટનાઓ પછી ચિત્રગ્રિવા તેના માલિકને છોડીને હિમાલયના જંગલોમાં જતું રહે છે. એ પછી તેનો માલિક તેના મિત્ર 'ધોન્ડ ધ હંટર' અને 'રાજા ધ પ્રિસ્ટ'ની સાથે તેનો પીછો કરે છે. આ દરમિયાન હિમાલયના પશુ-પક્ષીઓ અને વનસ્પતિ-સૃષ્ટિના અત્યંત ઉત્કૃષ્ટ કાવ્યાત્મક વર્ણનો આવે છે. ચિત્રગ્રિવા જંગલમાંથી હેમખેમ પાછું મળે છે એ પહેલાં જીવિત રહેવા તેણે જંગલી હાથીથી માંડીને સમડી, ગીધ અને બાજનો સામનો કરવો પડે છે. ચિત્રગ્રિવા ડરી ગયું હોવા છતાં બધી જ મુશ્કેલીઓને પાર કરીને બૌદ્ધ સાધુઓના મઠમાં પહોંચી જાય છે, જ્યાં લામા તેની સારવાર કરે છે. અહીં લેખકે બૌદ્ધ તત્ત્વજ્ઞાાન અને અલૌકિક શક્તિ ધરાવતા લામાની વાત પણ એકદમ હળવી શૈલીમાં વણી લીધી છે. આ દરમિયાન લેખક બાળકોને શીરાની જેમ ગળે ઉતરી જાય એ રીતે હિમાલયની ભવ્યતા અને 'અખંડ પવિત્રતા'ના આધારે હિંદુ ધર્મના પાયાના તત્ત્વજ્ઞાનની પણ વાત કરે છે.

છેવટે ગે નેક માલિકના ઘરે પરત ફરે છે પણ હવે તેને લાંબી મુસાફરીએ (યુદ્ધમાં મેસેજન્જર પીજન તરીકે) જવાનું છે. આ વર્ણનોમાં ધન ગોપાલ મુખરજીની વ્યથા પણ છે કારણ કે, શ્રીમંત મુખરજી પરિવારે ધન ગોપાલના ક્રાંતિકારી વિચારોથી ડરીને તેમને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલી દીધા હતા. ગે નેક પણ ધન ગોપાલ મુખરજીની જેમ નવા દેશ ફ્રાંસ જાય છે. ત્યાં ગે નેકે 'ધોંડ ધ હંટર'ના માર્ગદર્શન હેઠળ યુદ્ધમાં મેસેન્જર પીજન તરીકે ફરજ બજાવવાની હોય છે. યુદ્ધમાં તેનો સામનો જર્મનીના મહાકાય મશીન-ઈગલ (ફાઈટર પ્લેન), ગોળા-બારુદ અને આગ સાથે થાય છે. આ દરમિયાન ગે નેકનું એક સાથી કબૂતર ગોળી વાગતા મૃત્યુ પામે છે પણ તે આઘાતમાં સરી પડે છે. આખરે, ચિત્રગ્રિવા અને 'ધોંડ ધ હંટર' ભારતમાં બૌદ્ધ આશ્રમમાં પરત ફરે છે, જ્યાં બૌદ્ધ સાધુ તેમને નફરત અને ડરમાંથી બહાર લાવીને 'સ્વચ્છ' કરે છે.

આ પુસ્તકમાં લેખકે પશુ-પક્ષીઓના પરસ્પરના અને માણસજાત સાથેના સંબંધોનું અત્યંત ઝડપથી ઊંડું અને વાસ્તવિક ચિત્રણ કર્યું છે. કબૂતરના પ્રેમ, વફાદારી અને ડર પર વિજય મેળવવાના વર્ણનોથી લેખક બાળકોને સરળતાથી સંદેશ આપે છે. આધ્યાત્મિક ઉપદેશોની સાથે સાથે જીવનની કરુણ વાસ્તવિકતાનો પણ લેખક બાળકોને સરળતાથી પરિચય કરાવે છે. જેમ કે, એકવાર ચિત્રગ્રિવા કહે છે, ‘મને કહો કે, પક્ષીઓ અને પશુઓ એકબીજાને મારીને પારાવાર વેદના કેમ આપતા હશે? મને નથી લાગતું કે, તમે માણસો એકબીજાને દુઃખ પહોંચાડતા હોવ. શું તમે આવું કરો છો?’ 

કમનસીબે, કબૂતર આવું પૂછે છે એના થોડા જ સમયમાં વિશ્વ યુદ્ધ ફાટી નીકળે છે. આમ, પુસ્તકના ફકરે ફકરે સંતોષના ઓડકાર આવે છે. એક સમયે ગે નેકના ચાહકોએ આ પુસ્તકનું નામ બદલી નાંખવાનું સૂચન કર્યું હતું. જોકે, આ પુસ્તક વૈશ્વિક બાળસાહિત્યનો પણ ઉજ્જવળ ઈતિહાસ છે અને એટલે તેને જેવું છે એ જ સ્વરૂપમાં સાચવવું જોઈએ, એવું કહીને મોટા ભાગના લોકોએ આ માંગ ફગાવી દીધી. ધન ગોપાલ મુખરજીએ ૧૯૧૭માં અમેરિકા જઈને લખવાનું ચાલુ કર્યા પછી વીસેક પુસ્તક લખ્યાં, જેમાંના ૧૫થી વધુ બાળ સાહિત્યનાં છે. જીવનભર બાળકોને પ્રેરણા આપનારા આ સિદ્ધહસ્ત લેખકે ૧૪મી જુલાઈ, ૧૯૩૬ના રોજ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ધન ગોપાલ મુખરજીને વિદેશ કેમ જવું પડ્યું હતું?

ધન ગોપાલ મુખરજીની બીજી પણ એક ઓળખ આપવી જરૂરી છે. ધન ગોપાલ એટલે જાણીતા બંગાળી ક્રાંતિકારી જદુ ગોપાલ મુખરજીના નાના ભાઈ. જદુ ગોપાલ અને તેમના મિત્રો અંગ્રેજ શાસન વિરુદ્ધ આંદોલન ચલાવતા હતા. આ કારણસર તેમણે અદાલતી ટ્રાયલ વિના ૧૯૨૩થી ૧૯૨૭ વચ્ચે જેલમાં રહેવું પડ્યું હતું. જોકે, ધન ગોપાલ તેના મોટા ભાઈ જદુગોપાલ અને તેના મિત્રોથી પ્રભાવિત છે, એવો અણસાર આવતા જ માતા-પિતાએ તેમને વિદેશ મોકલી દીધા હતા.  

કોલકાતા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ધન ગોપાલે જાપાનની યુનિવર્સિટી ઓફ ટોકિયો અને પછી અમેરિકામાં કેલિફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આમ, ધન ગોપાલના જાપાન અને અમેરિકામાં થયેલા ઉચ્ચ અભ્યાસ માટે તેમના ભાઈ અને ક્રાંતિકારી વિચારો નિમિત્ત બન્યા હતા. વર્ષ ૧૯૨૪માં તેમણે 'માય બ્રધર્સ ફેસ' નામનું જદુ ગોપાલ સાથેના સંસ્મરણોનું પુસ્તક પણ લખ્યું હતું.