31 December, 2013

સંશોધનોના નામે સાયન્સ જર્નલોમાં ચાલતું ધુપ્પલ


તાજેતરના વર્ષોમાં ઘણાં વિજ્ઞાનીઓએ જાહેરમાં કબૂલ્યું છે કે, વિજ્ઞાન જગતમાં પણ ‘લોબિંગ’ જેવું દુષણ ઘૂસી ગયું છે. આ સંજોગોમાં ક્યારેક સારા આઈડિયા પર નકામા આઈડિયા પણ હાવી થઈ જાય છે. કારણ કે, સારા આઈડિયા ધરાવનારા વિજ્ઞાનીઓ પોતે જે કંઈ કામ કર્યું છે તે કેટલું બધું મહત્ત્વનું છે એવો પ્રચાર કરવાની તેમજ ‘સ્વપ્રચાર’ કરવાની તરકીબ જાણતા ના પણ હોય એવું બની શકે છે. એવું કહેવાય છે કે, ધારદાર ટીકા વિજ્ઞાનના વિકાસ માટે અત્યંત જરૂરી છે, પણ કદાચ ઘણાં સમય પછી વિજ્ઞાન જગત ધારદાર ટીકાનો સામનો કરી રહ્યું છે, અને આ ટીકા નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાની દ્વારા થઈ રહી છે. વર્ષ 2013નું મેડિસિનનું નોબલ પ્રાઈઝ જીતનારા વિજ્ઞાની રેન્ડી શેકમેને તાજેતરમાં જાહેરમાં નિવેદન કર્યું છે કે, તમે જેને આપણે સામાન્ય રીતે, અતિ પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલો ગણીએ છીએ તે ‘સેલ’, ‘નેચર’ કે ‘સાયન્સ’ જેવી જર્નલને હું ‘લક્ઝરી જર્નલ’ કહું છું. નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીના આવા આકરા નિવેદનને લઈને વિજ્ઞાન જગતમાં ઘર કરી ગયેલા દુષણો પર ફરી એકવાર ચર્ચા (યોગ્ય રીતે) છેડાઈ ગઈ છે.

વિજ્ઞાન જગતનો સીધોસાદો નિયમ છે, વિશ્વાસ કરો પણ તેની ખરાઈ કરો. વિજ્ઞાનમાં કોઈ સાચી લાગતી વાતને પણ સાબિત કરવા પ્રયોગો કરતા રહો. આ સીધાસાદા નિયમમાં વિશ્વાસ કરીને જ આધુનિક વિજ્ઞાન અહીં સુધી પહોંચી શક્યું છે. સદીઓ પહેલાં આધુનિક વિજ્ઞાનનો પાયો નંખાયો ત્યારથી અત્યાર સુધી વિજ્ઞાનના કારણે દુનિયા ધરમૂળથી બદલાઈ ચૂકી છે અને આ વિકાસગાથા હજુ વણથંભી છે. પરંતુ અત્યારના સંશોધકો વિજ્ઞાનમાં વિશ્વાસ તો બહુ કરી રહ્યા છે પણ તેની સંપૂર્ણ ખરાઈ કરવાની તસદી બહુ ઓછી લેવાય છે. પ્રો. રેન્ડી શેકમેન જેવો મુદ્દો આ પહેલાં પણ અનેક વિજ્ઞાનીઓ ઉઠાવી ચૂક્યા છે. પરંતુ પ્રો. શેકમેન અને તેમની સાથે સંયુક્ત રીતે મેડિસિનનું નોબલ જીતનારા બે વિજ્ઞાનીઓએ 10મી ડિસેમ્બરે નોબલ પ્રાઈઝ અંતર્ગત મળનારા ચંદ્રકો અને ચેક સ્વીકાર્યા એ દરમિયાન જાહેરમાં જ આ નિવેદન કર્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યું છે. 

પ્રો. શેકમનની તર્કબદ્ધ દલીલો

પ્રો. શેકમેને કરેલી ટીકાઓ પણ એક વિજ્ઞાનીને છાજે એવી તાર્કિક છે. તેઓ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના પૂર્વ એડિટર ઈન ચિફ રહી ચૂક્યા છે. હાલ તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રોફેસર તેમજ પ્રતિષ્ઠિત જર્નલ ‘ઈ-લાઈફ’ના એડિટર-ઈન-ચિફ તરીકે કાર્યરત છે. આ કારણોસર તેમણે પ્રતિષ્ઠિત જર્નલો પર કરેલા પ્રહાર વધુ મજબૂત અને તાર્કિક છે.

પ્રો. રેન્ડી શેકમેન

પ્રો. શેકમેનનું કહેવું છે કે, જે પહેલેથી જ વિજ્ઞાન જગતમાં સારી એવી નામના ધરાવે છે તેવી જર્નલો પોતાની શાખ જાળવી રાખવા માટે અનેક સારા સંશોધન પેપરોનો પણ અસ્વીકાર કરીને ‘કૃત્રિમ નિયંત્રણ’ ઊભું કરે છે. આ જર્નલો વિખ્યાત અખબારોમાં આવી માહિતી પણ આપતી રહે છે. પ્રો. શેકમેને વિજ્ઞાન જર્નલોના વલણની સરખામણી ફેશનની દુનિયા સાથે કરતા કહ્યું છે કે, કેટલાક ડિઝાઈનરો પોતે ડિઝાઈન કરેલા ડ્રેસ, હેન્ડબેગ કે રિસ્ટ વૉચ ‘લિમિટેડ એડિશન’ છે એવી જાહેરાત કરીને કૃત્રિમ અછત ઊભી કરતા હોય છે. આવી જાહેરાત પાછળ એવો છુપો ઈરાદો હોય છે કે, પોતે ડિઝાઈન કરેલી ચીજવસ્તુઓ બને એટલી ઝડપથી વેચાઈ જાય. આટલું કહ્યા પછી પ્રો. શેકમેન જણાવે છે કે, વિજ્ઞાન જર્નલોના આવા વર્તન પાછળ વધુને વધુ લવાજમ ઉઘરાવવાની ગુપ્ત લાલસા હોય છે, નહીં કે ઉત્તમ સંશોધન પેપરોને પ્રકાશિત કરવા.

છેલ્લાં ત્રણેક દાયકામાં પ્રો. શેકમેનની ઉપરોક્ત દલીલ માનવાના અનેક કારણો વિજ્ઞાન જગતને મળી ચૂક્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં દુનિયાભરની વિજ્ઞાન જર્નલોમાં હજારો સંશોધન પેપરો પ્રકાશિત થયા છે પણ સમય જતાં આવા અનેક પેપરો નકામા સાબિત થયા છે. આ પ્રકારના સંશોધન પેપરોની મદદથી કોઈ વેન્ચર કેપિટાલિસ્ટ કંપની તેનો અમલ કરવા જાય ત્યારે આ પ્રકારના સંશોધનોની પોલ ખૂલી જાય છે. જેમ કે, બાયોટેક્નોલોજી ક્ષેત્રે કાર્યરત વેન્ચર કેપિટાલિસ્ટો કોઈ સંશોધનોને વ્યવહારમાં મૂકવાનો પ્રયાસ કરે ત્યારે ખ્યાલ આવે કે, આ સંશોધનો તો હજુ ઘણાં અધૂરા છે અને તેનો વ્યવહારુ અમલ પણ લગભગ અશક્ય છે. જાણીતી બાયોટેક કંપની ‘એમજિન’ના સંશોધકોએ કેન્સર ક્ષેત્રે થયેલા ‘અત્યંત મહત્ત્વ’ના 57 સંશોધનોને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે, આમાંથી ફક્ત છ સંશોધન જ ખરું મહત્ત્વ ધરાવે છે.   

વિજ્ઞાનીઓને વિકૃત પ્રોત્સાહન

આ સ્થિતિમાં વિજ્ઞાનીઓ પોતાના સંશોધનો મહત્ત્વની જર્નલોમાં છપાય છે એને જાણ્યે-અજાણ્યે ખૂબ મહત્ત્વ આપવા માંડે છે. પરિણામે સંશોધકોને ‘વિકૃત પ્રોત્સાહન’ મળી રહ્યું છે. આ પ્રકારની જર્નલોમાં જે સંશોધકોના પેપર છપાય છે એ લોકો બઢતી, પગાર વધારો અને વ્યવસાયિક ધોરણે મળતા સન્માનોની અપેક્ષા રાખે છે. સંશોધકોની દુનિયામાં એવો વિચાર મજબૂત થઈ ગયો છે કે, જો તેમના સંશોધન પેપરો નહીં છપાય તો તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી જશે. પ્રો. શેકમેન કહે છે કે, સંશોધન જગતમાં ‘પબ્લિશ ઓર પેરિશ’નો વણલખ્યો સિદ્ધાંત અમલી થઈ રહ્યો છે. તેમનો કહેવાનો અર્થ એ છે કે, તમારા સંશોધનો પ્રકાશિત કરો, કરાવડાવો અથવા તો ખતમ થઈ જાઓ. કારણ કે, અનેક વિજ્ઞાનીઓ પણ પોતાનું સંશોધન કોઈ પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થાય એને જ સફળતાનો એકમાત્ર માપદંડ માનવા માંડે છે.

આવા સંશોધનોથી વિજ્ઞાન જગતને બીજું પણ એક નુકસાન ભોગવવું પડે છે. જેમ કે, માનવશરીર વિજ્ઞાન ક્ષેત્રે કોઈ અધૂરા અને અસ્પષ્ટ સંશોધનો પ્રકાશિત કરાય ત્યારે કેટલીક કંપનીઓ તેમાં રસ લઈને માણસો પર પ્રયોગો પણ કરે છે. આ સંજોગોમાં અનેક માણસોના જીવ જોખમાય છે, પૈસાનો વ્યય થાય છે અને અન્ય કેટલાક સંશોધકોનો મહત્ત્વનો સમય બરબાદ થાય છે. નવાઈની વાત તો એ છે કે, અનેક સંશોધકો ફક્ત અખબારોની હેડલાઈનોમાં ચમકવા માટે ‘બનાવટી સહસંબંધ’ સાબિત કરતા સંશોધનો કરે છે અને જર્નલોમાં તે છપાય પણ છે. જેમાં કોફીના શોખીનોને વધુ સારી પત્ની મળે છે, વીડિયો ગેમ રમતા બાળકો જીવનમાં વધુ સફળ હોય છે અને ચોકલેટ ખાવાથી આયુષ્ય વધે છે એવા સંશોધનો પણ સામેલ હોઈ શકે છે. ખરેખર વૈજ્ઞાનિક રીતે આવી કોઈ વાત સાબિત થઈ શકતી નથી. એટલું જ નહીં, આ પ્રકારના સંશોધનોથી વિજ્ઞાન જગત કે સમાજને પણ કોઈ જ ફાયદો હોતો નથી.

એવી જ રીતે, જૂના સંશોધનો ખોટા પુરવાર થયા હોય એવા સંશોધનો વિજ્ઞાન જગતમાં ખૂબ જ મહત્ત્વના ગણાય, પરંતુ આ પ્રકારના સંશોધનોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. વિજ્ઞાન જગતમાં શું સાચું છે એની જાણકારી જેટલું જ મહત્ત્વ શું ખોટું છે એનું પણ હોવું જોઈએ.  

મુશ્કેલીનો ઉપાય 

આ મુશ્કેલી દૂર કરવા સૌથી પહેલાં પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલોએ જ સંશોધન પેપરોના ધારાધોરણ અત્યંત ઊંચા રાખવા પડશે. આ ઉપરાંત અન્ય સંશોધકોની મદદથી એ જ ક્ષેત્રે થયેલા સંશોધનોના ડેટા સાથે સરખામણી કરીને જ નવા સંશોધનો છાપવાના નિયમો પણ ઘડવા જોઈએ. જેમ કે, જનીનશાસ્ત્રામાં મોટા ભાગે આ જ પદ્ધતિ અનુસરવામાં આવે છે. આ સિવાય દરેક ક્ષેત્રના વિજ્ઞાનીઓ માટે રિસર્ચ પ્રોટોકોલની પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય. આ પ્રોટોકોલ દરેક જર્નલ ઓનલાઈન જાહેર કરી જ શકે છે. ખાસ કરીને દવાઓના ક્લિનિકલ ટ્રાયલમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, તેનો અમલ કેટલો થાય છે એ પણ એક સવાલ છે. આ તમામ સંશોધનો અને તે કેવી રીતે થયા છે તેની વિસ્તૃત જાણકારી અન્ય સંશોધકોને સરળતાથી ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થા કરવી પણ અત્યંત જરૂરી છે. આમ કરવાથી નકામા સંશોધનો પેપરો પ્રકાશિત કરવા ઉત્સાહી સંશોધકો અને જર્નલો પર ટીકાનું આડકતરું દબાણ રાખીને તેમને કાબૂમાં રાખી શકાશે. સંશોધન પેપરો પ્રકાશિત થયા પછી તેનું સાચું મૂલ્યાંકન કરવા અન્ય સંશોધકોની કમેન્ટ છાપવાનો નિયમ પણ જાણીતો છે.

આ પ્રકારના સંશોધનો પર કાબૂ રાખવા વિવિધ દેશોની સરકારો અને સંશોધન માટે ભંડોળ આપતી સંસ્થાઓએ નિષ્ણાતોની મદદથી જ ભંડોળ આપવાના નિયમો બનાવવા જોઈએ. જોકે, આ મુશ્કેલી વિકસિત દેશોની છે, જ્યારે ભારત જેવા દેશોમાં તો વૈજ્ઞાનિક સંશોધનો માટે સૌથી પહેલાં વધુ ભંડોળ આપવાની જરૂરિયાત છે. વિકસિત દેશોમાં થતાં સંશોધનો સમગ્ર વિશ્વના સમાજ પર અસરકર્તા હોય છે એટલે તેઓની જવાબદારી ખૂબ વધી જાય છે.

પ્રતિષ્ઠિત વિજ્ઞાન જર્નલોમાં જથ્થાબંધના ધોરણે પ્રકાશિત થતાં સંશોધન પેપરોને લઈને પ્રો. શેકમેનની ચિંતા વાજબી છે. આ મુદ્દે અનેક વિજ્ઞાનીઓએ તેમને સમર્થન આપ્યું છે. આ મુશ્કેલીના ઉપાય અનેક વિજ્ઞાનીઓને ઈ-જર્નલમાં જુએ છે. પ્રો. શેકમેન પણ ઓનલાઈન જર્નલ ‘ઈ લાઈફ’ના એડિટર ઈન ચિફ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે વાંચવા માટે વાચકોને કોઈ લવાજમ ભરવાની જરૂર નથી, તેમાં સંશોધન પેપરો પબ્લિશ કરવા માટે અન્ય પ્રતિષ્ઠિત જર્નલોની જેમ જગ્યાની પણ કોઈ મુશ્કેલી નથી તેમજ યોગ્ય સંશોધનો દુનિયા સમક્ષ મૂકવા સંશોધકોને વર્ષોવર્ષ રાહ જોવડાવવાની પણ જરૂર નથી. વળી, ઈ જર્નલોમાં અધૂરા સંશોધનો છપાય ત્યારે વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલાં સંશોધકો તેના પર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપી તેનું મૂલ્યાંકન કરી શકે છે.

27 December, 2013

દક્ષિણ સુદાન ‘દેશ’ બનવાને લાયક નથી


દક્ષિણ સુદાનની એક દેશ તરીકે રચના થયાને હજુ માંડ ત્રણ વર્ષથી પણ ઓછો સમય થયો છે ત્યાં જ આખો દેશ કોમવાદ અને જાતિવાદના અજગરી ભરડામાં સપડાઈ ચૂક્યો છે. અહીં કોમી હત્યાકાંડોમાં અત્યાર સુધી હજારો લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આ વખતે બળવાખોરોએ કરેલા એક હુમલામાં યુનાઈટેડ નેશન્સના પાંચ ભારતીય શાંતિદૂતો પણ માર્યા ગયા છે. આ પાંચેય ભારતીયો યુ.એન.ના અન્ય શાંતિદૂતો સાથે સુદાનમાં જીવના જોખમે પણ શાંતિ સ્થાપવા પ્રયત્નશીલ હતા. આફ્રિકન બાબતોના નિષ્ણાતોએ વિશ્વને ચેતવણી આપી છે કે, સુદાનમાં થઈ રહેલો હત્યાકાંડ એથનિક ક્લિનઝિંગ/વંશીય હત્યાકાંડમાં  ફેરવાઈ શકે છે. આમ તો સુદાનમાં વિવિધ જાતિઓ વચ્ચે વર્ષોથી લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. છેલ્લાં અનેક વર્ષોથી દક્ષિણ સુદાનની આવી વિવિધ જાતિઓ અંદરોદર તો લડી જ રહી છે અને થોડાં સમયથી તેઓ ઉત્તર સુદાન સરકાર સામે પણ બળવો કરી રહી છે.

સુદાનની સ્થિતિ સમજવા માટે થોડો ઈતિહાસ જોઈએ. રિપબ્લિક ઓફ ધ સુદાન ઉત્તર આફિક્રામાં આવેલો આરબ દેશ છે. સુદાનની ઉત્તરીય સરહદ ઈજિપ્ત, લાલ સમુદ્ર અને એરિટ્રિયા નામના નાનકડા દેશ અને પૂર્વીય સરહદ ઈથોપિયા સાથે વહેંચાયેલી છે. સુદાનની દક્ષિણ સરહદ દક્ષિણ સુદાન નામના હાલમાં જ નવા નવા બનેલા દેશ સાથે વહેંચાયેલી છે અને સુદાનની મુશ્કેલીની શરૂઆત જ અહીંથી થાય છે. જ્યારે સુદાનની દક્ષિણ પશ્ચિમી સરહદ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને પશ્ચિમી સરહદ ચાડ, લિબિયા જેવા દેશો સાથે વહેંચાયેલી છે. સુદાનની આસપાસ આવેલા તમામ દેશોમાં વત્તેઓછે અંશે અરાજકતા પ્રવર્તે છે. જુલાઈ 2011 સુધી સુદાનની ગણના આફ્રિકા અને આરબ વિશ્વના સૌથી મોટા દેશ તરીકે થતી હતી. પરંતુ નવમી જુલાઈ, 2011ના રોજ સુદાન સરકારે લોકમત મેળવીને 98.83 ટકા મતોની બહુમતી સાથે દેશનો દક્ષિણ ભાગ સ્વતંત્ર જાહેર કર્યો, જે દક્ષિણ સુદાન તરીકે ઓળખાય છે. હવે ઉત્તર સુદાનની રાજધાની ખાર્ટુમ અને દક્ષિણ સુદાનની રાજધાની જુબા છે.

દક્ષિણ સુદાન યુનાઈટેડ નેશન્સ અને આફ્રિકન યુનિયનનું સભ્ય રાષ્ટ્ર છે. પરંતુ આ દેશ તેની રચના થઈ ત્યારથી આંતરિક સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ સુદાનની રચના પછી સુદાન- ઉત્તર સુદાન તરીકે ઓળખાય છે. ઉત્તર સુદાન પણ યુ.એન., આફ્રિકન યુનિયન, આરબ લિગ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશનનું સભ્ય છે. હવે આ બંને દેશોમાં પ્રમુખીય લોકશાહી છે અને દેશનો વહીવટ સંસદ દ્વારા થાય છે. છેલ્લાં અનેક વર્ષોથી દક્ષિણ સુદાનમાં અનેક જાતિઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ એક દેશ તરીકે રચના થયા પછી દક્ષિણ સુદાનની અનેક જાતિઓ અને બળવાખોર જૂથો દક્ષિણ સુદાનની સરકાર સામે પણ એક થઈને મેદાને પડ્યા છે. દક્ષિણ સુદાનમાં આજે પણ નાની-મોટી જાતિઓ-કબીલાઓનું વર્ચસ્વ છે અને તેઓ પોતપોતાના વિસ્તારોમાં ‘સમાંતર સરકાર’ ચલાવે છે. આ સ્થિતિમાં તેને એક દેશ કહી શકાય કે નહીં એ પણ એક પ્રશ્ન છે.

સાલ્વા કીર માયારદીત

રિક માચર 

ઉત્તર અને દક્ષિણ સુદાનમાં મોટા ભાગની વસતી મુસ્લિમોની છે, પરંતુ મુસ્લિમોની નૂર, દિનકા, બારી, મૂરલે અને ઝાંડે ભાષા બોલતી અનેક જાતિઓ વચ્ચે વર્ષોથી વેરભાવ છે. સમગ્ર સુદાનમાં કુલ 60 ભાષા બોલતા લોકો વસે છે. દક્ષિણ સુદાન સરકાર ખનીજતેલના ભંડારો સહિતના કુદરતી સ્રોતોનો ઉપયોગ કરીને યોગ્ય રીતે પ્રશાસન ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અહીંની અનેક શક્તિશાળી જાતિઓના આગેવાનોને સરકારથી વાંધો છે. કારણ કે, તેમને પણ ખનીજતેલના ભંડારો પર પોતાનું વર્ચસ્વ જોઈએ છે. આ સ્થિતિમાં વિવિધ જાતિઓના નેતાઓ તેમજ સરકારી અધિકારીઓ અને લશ્કર વચ્ચે વર્ચસ્વ માટે સંઘર્ષ ચાલતો રહે છે. દક્ષિણ સુદાનમાં બેકારીનું પ્રમાણ પણ ખૂબ ઊંચું છે અને સરકાર મહત્તમ લોકોને સરકારી નોકરી આપવાનો પ્રયાસ કરી રહી છે. આ સ્થિતિમાં જે લોકો વંચિત રહી જાય છે તેઓ હિંસક બળવાખોરોના જૂથોમાં જોડાઈ જાય છે. જે દેશના યુવાનો બેકાર હોય, કોમવાદી પરિબળો વર્ચસ્વ જમાવવા પ્રયત્નશીલ હોય અને સરકાર માટે વિકાસ કરવા વિદેશી તાકાતોની મદદ લેવી પડતી હોય ત્યારે દેશ કેવી દારૂણ સ્થિતિમાં ફસાઈ જાય એનું ઉત્તમ ઉદાહરણ દક્ષિણ સુદાન છે.

આ વખતે દક્ષિણ સુદાનના બળવાખોર જૂથોએ વિવિધ દેશોના શાંતિદૂતો (શાંતિ સ્થાપવા મોકલેલું લશ્કર)ની હાજરી હોવા છતાં રાજધાની જુબા પર કબ્જો જમાવીને વિશ્વને આંચકો આપ્યો છે. આ વિસ્તાર ખનીજતેલના ભરપૂર ઉત્પાદન માટે જાણીતો છે. છેલ્લાં કેટલાક વર્ષોથી દક્ષિણ સુદાનમાં અમેરિકા-બ્રિટનના લશ્કરી અધિકારીઓ તેમજ યુ.એન.ના ઉચ્ચ અધિકારીઓએ અડ્ડો જમાવ્યો હતો. પરંતુ અન્ય આરબ રાષ્ટ્રોની જેમ દક્ષિણ સુદાનમાં પણ પશ્ચિમી દેશો દ્વારા તેમના દેશમાં થતી ચંચુપાત સામે સ્થાનિક પ્રજા અને શાસકોના મનમાં ભારે ગુસ્સો ધરબાયેલો છે. વળી, તેઓ અંદરોદર પણ લડી રહ્યા છે. આ સ્થિતિમાં દક્ષિણ સુદાનની સ્થિતિ સુધારવા આવેલા અમેરિકન અને બ્રિટિશ નાગરિકો ખાસ ફ્લાઈટમાં પોતપોતાના દેશોની વાટ પકડી લીધી છે. દક્ષિણ સુદાનમાં અમેરિકા, બ્રિટન કે ભારતના શાંતિદૂતોને પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ પોતાના દેશોમાં ભાગવું પડે એ વાત સાબિત કરે છે કે, દક્ષિણ સુદાનમાં કેવું આતંકરાજ પ્રવર્તતું હશે!

આવી સ્થિતિમાં પણ યુ.એન.ના મહામંત્રી બાન કી-મૂને દક્ષિણ સુદાનની મુશ્કેલીઓનો અંત લાવવા માટે રાજકીય વાટાઘાટો પર ભાર મૂક્યો છે. દક્ષિણ સુદાનની સ્થિતિ વિશે બાન કી-મૂને સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “આ યુવાન દેશના સારા ભવિષ્ય અને તે અરાજકતામાં ના ફેરવાઈ જાય એ માટે હાલની સરકારે શક્ય એ તમામ પ્રયાસ કરવા જોઈએ. જો આપણે આવું નહીં કરી શકીએ તો તે એક વિશ્વાસઘાત ગણાશે કારણ કે, આ દેશની સ્વતંત્રતા માટે નાગરિકોએ ખૂબ લાંબો સંઘર્ષ કર્યો છે.” દક્ષિણ સુદાનના લશ્કરે શરૂઆતમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાની બડાઈ મારી હતી, પરંતુ હવે લશ્કરે પણ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે દેશ પર પોતાનો કાબૂ ગુમાવી દીધો છે. હાલ, દક્ષિણ સુદાનનો સૌથી મોટો ડર વંશીય કત્લેઆમનો છે. કારણ કે, સરકાર સામે લડતા બળવાખોર જૂથો જ અંદરોદર બાખડવા માંડે તો તેમની લડાઈમાં નિર્દોષ નાગરિકોની ભયાનક કત્લેઆમ થવાની સંભાવના છે.

સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટના જણાવ્યાનુસાર, “દક્ષિણ સુદાનના પ્રમુખ સાલ્વા કીર માયારદીતના દિનકા પ્રજાતિના એક સુરક્ષાકર્મીએ નૂર પ્રજાતિના એક સુરક્ષાકર્મીના શસ્ત્રો છીનવી લીધા હતા. જુબામાં આ કારણોસર છુટાછવાયા કોમી છમકલાં થયા અને ધીમે ધીમે કોમી દાવાનળ આખા દેશમાં ફેલાઈ ગયો છે.” સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટ દક્ષિણ સુદાનનું સત્તાવાર લશ્કર છે અને દેશના રાજકાજમાં તેનું સારું એવું વર્ચસ્વ છે. કારણ કે, દક્ષિણ સુદાનની સ્વતંત્રતા ઈચ્છતા કેટલાક લોકોએ વર્ષ 1983માં સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટ નામના સશસ્ત્ર જૂથની રચના કરી હતી. આ જૂથે દક્ષિણ સુદાનને એક સ્વતંત્ર દેશ બનાવવામાં લોહિયાળ જંગ ખેલ્યો હતો. સુદાન પીપલ્સ લિબરેશન મુવમેન્ટે દેશની અરાજકતા માટે આડકતરી રીતે પ્રમુખ અને ઉપ-પ્રમુખને જવાબદાર ઠેરવ્યા હતા.

આ વાત માનવાના કેટલાક ચોક્કસ કારણો પણ છે. પ્રમુખ સાલ્વા કીરે કોમી હિંસા માટે ઉપ-પ્રમુખ રિક માચર પર દોષનો ટોપલો ઢોળતા કહ્યું છે કે, “ઉપ-પ્રમુખ રિક માચર દેશમાં બળવો કરાવવા ઈચ્છતા હતા.” આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોના મતે, રિક માચર નૂર પ્રજાતિના હોવાથી સાલ્વા કીરની વાતમાં સત્યતાનો અંશ હોઈ શકે છે. જે દેશના પ્રમુખ અને ઉપ-પ્રમુખ જેવા હોદ્દે બેઠેલા રાજકારણીઓ પણ જાતિવાદી માનસિકતાથી પીડાઈ રહ્યા હોય ત્યારે તેમના સુરક્ષાકર્મીઓની આવી માનસિકતા ના હોય તો જ નવાઈ. જોકે, રિક માચરે પ્રમુખ સાલ્વા કીરના આક્ષેપોને ફગાવતા કહ્યું છે કે, “હું ફક્ત સાલ્વા કીરને સત્તાથી દૂર કરવા માગુ છું. કારણ કે, તેઓ લોકોને એક નથી કરી શકતા અને માણસોને માખીઓની જેમ મારે છે.” વિધિની વક્રતા તો એ છે કે, માણસોને માખીઓની જેમ મરતા બચાવવા ઈચ્છતા રિક માચરે દક્ષિણ સુદાનની આઝાદી માટે અત્યંત લોહિયાળ સંઘર્ષમાં અનેક નિર્દોષોને મોતને ઘાટ ઉતારી ચૂક્યા છે.

કદાચ આ રાજકીય અરાજકતામાં પણ વધુ કેટલાક નિર્દોષોએ હોમાવું પડશે. તાજા અહેવાલ છે કે, યુનાઈટેડ નેશન્સે દિનકા જાતિના વિસ્થાપિતો માટે ઊભી કરેલી શિબિરોમાં નૂર જાતિનો એક સશસ્ત્ર બળવાખોર ઘૂસી ગયો હતો. નૂર જાતિના સૈનિકો દિનકા અને દિનકા જાતિના સૈનિકો નૂર લોકોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. દક્ષિણ સુદાનમાં જીવ બચાવવા 40 હજારથી પણ વધુ લોકોએ યુ.એન.ની શિબિરોમાં આશ્રય લેવો પડ્યો છે. જોકે, યુ.એન.ની કામગીરી જોતા એવી આશા રાખી શકાય કે દક્ષિણ સુદાનમાં સ્થિતિ ખૂબ ઝડપથી સામાન્ય થઈ જશે.  

21 December, 2013

કિમ જોંગ ઉનઃ પ્લે સ્ટેશનથી સરમુખ્યાર સુધી...


અમેરિકા સહિતના રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો મુદ્દે ઈરાન સાથે વાટાઘાટો કરીને ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યા છે એ જ સમયે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશના બીજા નંબરના સૌથી મજબૂત નેતા અને  પોતાના સગા ફુવાને મોતની સજા ફટાકારતા તે ફરી એકવાર ચર્ચામાં છેપશ્ચિમી દેશોનું માનવું છે કે છેલ્લાં કેટલાક સમયથી કિમ જોંગ ઉન પણ પરમાણુ શસ્ત્રો વિકસાવવા તરફ ધ્યાન આપી રહ્યા છે અને ચીન જેવો ખંધો દેશ પણ ઉત્તર કોરિયાને પાછલા બારણે મદદ કરી રહ્યો છે. અમેરિકા અને તેના મિત્ર રાષ્ટ્રો માટે ઉત્તર કોરિયાના અંગત મામલામાં ચંચુપાત કરવા આટલું કારણ પૂરતું છે.

ઉત્તર કોરિયાએ પીઢ નેતા જાંગ સોન્ગ થેક પર રાજદ્રોહ સહિતના આરોપો લગાવીને 12મી ડિસેમ્બરે તેમને સજા--મોત આપી દીધી છે. 67 વર્ષીય જાંગ સોન્ગ થેક પર આરોપ હતો કે, ડિસેમ્બર 2011માં કિમ જોંગ દ્વિતીયનું અવસાન થયું એ પછી તેમનામાં સર્વોચ્ચ સત્તા હાંસલ કરવાની લાલસા જાગી હતી. જાંગ સોન્ગ થેક પર ભ્રષ્ટાચાર, અનેક સ્ત્રીઓ સાથે અવૈધ સંબંધો, જુગારમાં સંપત્તિનો વેડફાટ તેમજ ડ્રગ્સ સેવનના આરોપો પણ મૂકાયા હતા. એશિયાઈ બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે, કિમ જોંગ દ્વિતીયના પુત્ર કિમ જોંગ ઉન હજુ 30 જ વર્ષના છે અને પોતાના સગા ફુવાનીહત્યાકરાવીને તેઓ ઉત્તર કોરિયાના રાજકીય વર્તુળમાં સંદેશ આપવા માગે છે કે, પોતાની ઈચ્છા વિરુદ્ધ વિચાર સુદ્ધાં કરનારા પારિવારિક સભ્યને પણ તેઓ કચડી નાંખશે. જાંગ સોન્ગ થેકે કિમ જોંગ દ્વિતીયના બહેન કિમ ક્યોંગ હુઈ સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, તેમણે ઉત્તર કોરિયાના સરમુખત્યાર તરીકે યુવાન ભત્રીજા કિમ જોંગ ઉનને આરૂઢ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, કિમ જોંગે ફુવાની હત્યા કરાવીને એ સંદેશ આપવાનો પણ પ્રયાસ કર્યો છે કે, હવે તેઓ દેશનું સુકાન સંભાળવા માટે કાબેલ છે, મજબૂત છે અને દેશની પ્રજાનું રક્ષણ કરવા પણ સક્ષમ છે.

જાંગ સોન્ગ થેક અને  યુવા સરમુખત્યાર કિમ જોંગ થેક 

જાંગ સોન્ગ થેક ઉત્તર કોરિયામાં પણ ચીન જેવા આર્થિક સુધારાના હિમાયતી હતા અને ચીન માટે તેઓ ઉત્તર કોરિયામાં રહેલી મહત્ત્વની વ્યક્તિ હતા. જોકે, ચીને હંમેશાંની જેમ પોતાના સ્વાર્થ ખાતર આ વાતને ઉત્તર કોરિયાનો અંગત મામલો ગણાવીને કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું છે. સામ્યવાદી ચીનની લોખંડી દીવાલોની પેલે પાર શું ચાલે છે એની વિશ્વને બહુ ઓછી માહિતી મળતી હોય છે. એવી જ રીતે, સરમુખત્યારશાહી ધરાવતા ઉત્તર કોરિયામાં પણ જે કંઈ ચાલી રહ્યું છે તે વાત સરકાર ઈચ્છે એટલી જ જાહેર થાય છે. ઉત્તર કોરિયાની તમામ ન્યૂઝ એજન્સીઓ, રેડિયો અને છાપા પર સરકારનો સીધો કાબૂ છે. આ સ્થિતિમાં ઉત્તર કોરિયાની સંપૂર્ણ સાચી હકીકતો બહાર આવે એવી શક્યતા બહુ ઓછી હોય છે. એશિયાઈ બાબતોના નિષ્ણાતો કહે છે કે, કિમ જોંગ દ્વિતીયના મૃત્યુ પછી જાંગ સોન્ગ થેકમાં સત્તા હડપવાની ઈચ્છા જાગી હોઈ શકે છે. જો આ વાત સાચી હોય તો ઉત્તર કોરિયાના રાજકીય વર્તુળમાં તેમના બીજા પણ કેટલાક સાથીદારો હશે અને એ તમામની કિમ જોંગ ઉને હત્યા કરાવી દીધી હોઈ શકે છે.

એક મત છે કે, ઉત્તર કોરિયામાં પણ કિમ જોંગ ઉનની નીતિઓથી જુદો મત ધરાવતો તેમજ સ્પષ્ટ વિચારો ધરાવતોવિરોધ પક્ષઅસ્તિત્વમાં આવ્યો હોઈ શકે છે. જાંગ સોન્ગ થેક અને તેમના અનુયાયીઓનું પણ માનવું હતું કે, કિમની નીતિઓ ઉત્તર કોરિયાને અંધકારની ખાઈમાં ધકેલી રહી છે. કિમ જોંગ ઉન વિશ્વના તમામ દેશોના શાસકોમાં સૌથી યુવાન છે અને તેઓ સરમુખત્યારશાહી માટે વિશ્વનું સૌથી આદર્શ મોડેલ ઘડીનેઆધુનિક સરમુખત્યારહોવાનો દેખાવ કરી રહ્યા છે. કિમ જોંગ ઉન કિશોરવયથી જ સ્વિત્ઝર્લેન્ડની ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને અહીં તેમનો મોટા ભાગનો સમય પ્લે સ્ટેશન રમવામાં વીતતો હતો. પ્લે સ્ટેશન રમતો આ યુવાન ઉત્તર કોરિયામાં પાછો આવીને જે રીતે રાજકાજ ચલાવી રહ્યો છે તે જોતા એવું બિલકુલ નથી લાગી રહ્યું કે, તે ઉત્તર કોરિયાનેઆદર્શ સરમુખ્તયાર રાષ્ટ્રબનાવી શકે.

કિમ જોંગ ઉન પણ ઉત્તર કોરિયાનું શાસન અન્ય સરમુખત્યારોની જેમ જ કોઈ માફિયાની જેમ ચલાવી રહ્યા છે. તેઓ વિશ્વકક્ષાએ અને ઘરઆંગણે પોતાનું વજન વધારવા જ પરમાણુ શસ્ત્રો વિકસાવવાની વાતો કરી રહ્યા છે. કિમ જોંગ પણ બીજા સરમુખત્યારોની જેમ પ્રજાને સતત ભયના ઓથાર તળે રાખીને સત્તા ટકાવી રાખવામાં પાવરધા છે. રાજકીય તંત્ર અને લશ્કરમાં પણ સરમુખત્યારનો ભય સતત છવાયેલો રહે એ માટે તેઓ પોતાના વિરોધીઓની જાહેરમાં જ ક્રૂરતાપૂર્વક હત્યા કરાવે છે. કિમ જોંગ ઉને ડિસેમ્બર 2011માં સત્તા સંભાળ્યાના એક જ વર્ષમાં ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર કિમ ચોલને તોપથી ઉડાવવાનો હુકમ કર્યો હતો. કારણ કે, તેમના પિતાના મૃત્યુ બાદ યોજાયેલી શોકસભામાં કિમ ચોલે સ્વ. કિમ જોંગ દ્વિતીયને સન્માન નહોતું આપ્યું. આ અંગે પાડોશી દેશ દક્ષિણ કોરિયાના મીડિયામાં અહેવાલ હતા કે, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનું લશ્કર જ્યાં નિયમિત કૂચ કરે છે એ રણપ્રદેશમાં કિમ ચોલને તોપથી ફૂંકી મરાયા હતા. કિમ જોંગ ઉને આદેશ કર્યો હતો કે, “તેમના વાળ પણ બચવા ના જોઈએ...”

હજુ ગયા અઠવાડિયે જ દક્ષિણ કોરિયાની સરકારે બીજી એક ચોંકાવનારી વિગતો જાહેર કરી છે કે, ઉત્તર કોરિયાની સરમુખત્યાર સરકારે ફિમેલ મ્યુઝિકલ ગ્રૂપ ઉન્હાસુ ઓરકેસ્ટ્રાના તમામ સભ્યોને જાહેરમાં ગોળીએ વીંધી નંખાવ્યા છે. આ ગ્રૂપના સભ્યોમાં કિમ જોંગ ઉનની પૂર્વ પ્રેમિકાનો પણ સમાવેશ થતો હતો. આ ગ્રૂપ પર પોર્નોગ્રાફી જોવાનો અને પોતાનું નગ્ન રેકોર્ડિંગ કરવાનો આરોપ હતો. કિમની હાલની પત્ની રિ સોલ-જૂ પણ આ જ ગ્રૂપની ગાયિકા રહી ચૂકી છે. કિમ જોંગ ઉન આધુનિક દેખાવા પશ્ચિમી સંસ્કૃતિનું કઢંગુ અનુકરણ કરે છે. ઉત્તર કોરિયાએમોરાનબોંગ બેન્ડનામે સ્પાઈસ ગર્લનું ઉત્તર કોરિયાઈ વર્ઝન રજૂ કર્યું હતું, જેની પાંચેય ગાયિકાને ખુદ કિમ જોંગ ઉને પસંદ કરી હતી. ઉત્તર કોરિયાના કોન્સર્ટમાં યુવતીઓ મિની સ્કર્ટ અને હિલ પહેરીને પર્ફોર્મ કરતી હોય છે. જુલાઈ 2012માં આવા જ એક કોન્સર્ટમાં કિમ જોંગ ઉન પર્ફોર્મરો સાથે જાહેરમાં સ્ટેજ પર ગયા હતા. આ તમામ પર્ફોર્મરોએ મિકી માઉસ અને વિની ધ પૂહના કોસ્ચ્યુમ્સ પહેર્યા હતા. તેઓ  સિન્ડ્રેલા અને ટોમ એન્ડ જેરીની ધૂમ પર નાચી રહ્યા હતા, પરંતુ આ ધૂનની વચ્ચે અચાનક મિલિટરી ઓપરેશન અને મિસાઈલોના અવાજ આવવા માંડે છે અને સ્ટેજ પરના જાયન્ટ ટીવી સ્ક્રીન પર અમેરિકાના વ્હાઈટ હાઉસ અને ન્યૂયોર્ક પર પરમાણુ હુમલો થતો દર્શાવાય છે. જોકે, આ ફૂટેજ કમ્પ્યુટર જનરેટેડ હોય છે. આવી રીતે તેઓ પ્રજાના માનસમાં અમેરિકા વિરુદ્ધ સતત ઝેર ભરતા રહે છે.

કિમ જોંગ ઉનના શાસનમાં બધું આગોતરું આયોજન થયેલું હોય છે. તેમના બધા જ કાર્યક્રમો સારી રીતેકોરિયોગ્રાફ્ડહોય છે. તેઓ લોકો સાથે હળતા મળતા હોય ત્યારે અચાનક તેમને તેમની પર્સનલ બોટમાં લઈ જવાય છે. આ દરમિયાન અનેક લોકો પાણીમાં કૂદે છે અને કહે છે કે, “પ્લીઝ અમને છોડીને ના જાઓ... લોંગ લિવ કિમ જોંગ, લોંગ લિવ...” જોકે, કિમ જોંગ ઉન બીજા સરમુખત્યારો જેવા જ છે અને અંદરથી ભયભીત છે. તેમની વિચિત્ર હેર સ્ટાઈલ વિશે પણ એવું કહેવાય છે કે, તેઓ હેર સ્ટાઈલિસ્ટથી ડરતા હોવાથી પોતાના વાળ જાતે જ કાપે છે. પરંતુ ઉત્તર કોરિયામાં આ હેર સ્ટાઈલયૂથકેએમ્બિશનહેરકટ તરીકે ઓળખાય છે. લોકોનો નેતા હોવાનો દાવો કરનારા કિમ જોંગ ઉને ગયા વર્ષે વીસ લોકોની જાહેરમાં હત્યા કરાવી હતી અને આ વર્ષે આ આંકડો એંશીએ પહોંચી ગયો છે. નવાઈની વાત તો એ છે કે, જાહેરમાં થતા આવા ઘાતકી કૃત્યો જોવા નાગરિકોએ ફરજિયાત આવવાનું હોય છે, જેમાં સાત વર્ષથી મોટા બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઉત્તર કોરિયાની જેલોમાં કેદીઓ માનસિક સંતુલન ગુમાવીને કિમ જોંગ ઉન કે સરકાર વિરુદ્ધ બોલે ત્યારે તેમના મ્હોંમાં પથ્થરો ખોસી દેવાય છે. આવા કેદીઓને જાહેરમાં જ બાંધીને ત્રણ વ્યક્તિની ફાયરિંગ સ્ક્વૉડ તેમના ચહેરા સુદ્ધાં ગોળીઓથી વીંધી નાંખે છે. ઉત્તર કોરિયાનીપ્રજા વિરુદ્ધનો ગુનોકરનારાને તો સજા અપાય જ છે, પણ તેમની ત્રણ પેઢી એટલે કે તેમના દાદા-દાદી અને બાળકોને પણ ભયાનક જેલો (પ્રિઝન કેમ્પ)માં ધકેલી દેવાય છે. આ પ્રકારના કેમ્પોમાં આજે પણ હજારો કેદીઓ સડી રહ્યા છે, જે ઉત્તર કોરિયામાં ક્વાન-લિ-સો એટલે કે, લેબર કોલોની તરીકે ઓળખાય છે. ઉત્તર કોરિયામાં સરકાર દ્વારા જાહેરમાં  જ આવા ઘાતકી કૃત્યો રોજિંદી ઘટના છે.

ખેર, પશ્ચિમી દેશોએ કિમ જોંગ ઉનને બાળક ગણીને કદાચ ઓછા આંક્યા હતા પણ એક જ વર્ષમાં તેઓ પણ બીજા સરમુખત્યારોની જેમ ક્રૂર શાસક બની ગયા છે. જોકે, તેમના હાલહવાલ પણ ઈરાકના સદ્દામ હુસેન, લિબિયાના મુઅમ્મર ગદ્દાફી કે ઈજિપ્તના હોશની મુબારક જેવા થશે કે નહીં એ તો સમય જ કહેશે

20 December, 2013

કલમ 377 મુદ્દે સર્વોચ્ચ અદાલતની ટીકા અયોગ્ય

સર્વોચ્ચ અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ 377ને યોગ્ય ઠેરવી છે એ વાતને એક અઠવાડિયું થઈ ગયું છે પણ આ મુદ્દે લોકોનો આક્રોશ દિવસે ને દિવસે વધુ તીવ્ર થઈ રહ્યો છે. દંડ સંહિતાની કલમ 377 મુજબ, ભારતીય કાયદા મુજબ પુરુષ કે સ્ત્રીના સમલૈંગિક જાતીય સંબંધો અકુદરતી છે અને કાનૂની રીતે પણ ગુનો છે. સર્વોચ્ચ અદાલતના કોઈ ચુકાદાનો આ પહેલાં ક્યારેય આટલો સજ્જડ વિરોધ નથી થયો એટલો આ મુદ્દાને લઈને થઈ રહ્યો છે. આ સંવેદનશીલ મુદ્દામાંસેક્સનું તત્ત્વ તો કેન્દ્રસ્થાને હતું જ અને આ વિરોધવંટોળમાં સેલિબ્રિટીઓ જોડાતા તેમાં ગ્લેમરનું તત્ત્વ પણ ભળ્યું છે. આ કારણોસર મીડિયામાં આ ચુકાદાની અયોગ્ય રીતે ટીકા થઈ રહી છે અને સાચો મુદ્દો હંમેશાંની જેમ ભૂલાઈ ગયો છે.

હવે, સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ જી. એસ. સિંધવીની ખંડપીઠે આપેલો ચુકાદો બંધારણીય રીતે યોગ્ય કેમ છે તેની વાત કરીએ. સર્વોચ્ચ અદાલતે આપેલા કુલ 92 પાનાંના ચુકાદાનો અભ્યાસ કરતા જણાય છે કે, આ ચુકાદો સમલૈંગિક વિરોધી નથી. કદાચ તેને આપણેજૂનાપુરાણા વિચારોથી પ્રભાવિત કહીએ તો એ વાત કદાચ અંશતઃ સાચી છે. કારણ કે, સર્વોચ્ચ અદાલતે એલજીબીટી સમુદાય એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરોના હકો મુદ્દે કંઈ કહેવાનું હતું જ નહીં. વાત એમ છે કે, વર્ષ 2003માં નાઝ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરીને દંડ સંહિતાની કલમ 377ને દૂર કરવાની માગ કરી હતી. આ સંસ્થા પુરુષ સમલૈંગિકોમાં (ગે સમુદાય) એચઆઈવી/એઈડ્સ અટકાવવા કાર્યરત છે. આ અરજીમાં નાઝ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, આ કલમના કારણે ગે સમુદાયને પોલીસનો ભારે ત્રાસ સહન કરવો પડે છે અને આ કલમનો ડર બતાવીને પોલીસ તેમનું બ્લેકમેઇલિંગ કરે છે, તેમની પર અત્યાચાર કરે છે વગેરે. પરિણામે આસેક્સ્યુઅલ માઈનોરિટીને સમાજથી અળગા થઈને રહેવું પડે છે.


દિલ્હી હાઈકોર્ટે આ અરજી સ્વીકારી ત્યારે પણ આ મુદ્દાને રાષ્ટ્રીય મીડિયામાં સ્થાન મળ્યું હતું. આ કલમ આજકાલની નહોતી પણ 150 વર્ષ પહેલાં ભારતીય દંડ સંહિતામાં તેનો સમાવેશ કરાયો હતો. પરંતુ દિલ્હી હાઈકોર્ટમાં આ મુદ્દે અરજી થયા પછી એચઆઈવી/એઈડ્સ ક્ષેત્રે કામ કરતા સામાજિક કાર્યકરો, માનવાધિકારવાદીઓ અને ઉદાર વિચારો ધરાવતા લોકોએ કલમ 377ની આકરી ટીકા કરી હતી. સમલૈંગિકોના હક માટે લડતા લોકોનું કહેવું છે કે, આ કલમના કારણે જ તેમની સાથે ભેદભાવભર્યું વલણ અપનાવવામાં સરકારી તંત્રને મદદ મળે છે. નવાઈની વાત તો એ છે કે, કલમ 377ની મદદથી 150 વર્ષમાં માંડ 200 લોકોને દોષિત સાબિત થઈ શક્યા છે. પરંતુ નાઝ ફાઉન્ડેશનની અરજી પછી 150 વર્ષ જૂનો આ કાયદો રાતોરાત જાણીતો થઈ ગયો અને જેની પહેલાં ક્યારેય ચર્ચા પણ નહોતી થતી તે એલજીબીટી સમુદાયની મૂળભૂત સ્વતંત્રતાનો વિરોધી ગણાવા લાગ્યો.

જોકે, દિલ્હી હાઈકોર્ટના ચુકાદાથી પણ કેટલાકના પેટમાં તેલ રેડાયું અને આ વાત સર્વોચ્ચ અદાલતમાં પહોંચી. કલમ 377ના કારણે સમલૈંગિકો સાથે સરકારી તંત્ર કે પોલીસ દ્વારા ભેદભાવયુક્ત વલણ અપનાવવામાં આવે છે એ મુદ્દે નાઝ ફાઉન્ડેશન સર્વોચ્ચ અદાલતમાં પુરાવા રજૂ ના કરી શક્યું. વળી, આ કલમના કારણે સમલૈંગિકોના જીવનને ભય હોય એવું પણ નહોતું. તેથી સર્વોચ્ચ અદાલતે આ અરજીને ‘’ઓછા શબ્દોમાં વ્યક્ત કરેલીગણાવતા કહ્યું છે કે, અરજીકર્તાએ એચઆઈવી/એઈડ્સ ક્ષેત્રે તેઓ જે કંઈ કામ કરી રહ્યા છે એ મુદ્દે માહિતી આપી છે. કલમ 377ના કારણે સમલૈંગિકોના માનવાધિકારોનો ભંગ થતો હોય, જાહેરમાં તેમના પર હુમલો, અત્યાચાર થતા હોય કે કોઈ સરકારી તંત્ર દ્વારા તેમની સાથે ભેદભાવયુક્ત વલણ રખાતું હોય એ ક્યાંય સાબિત નથી થતું.

સર્વોચ્ચ અદાલતનું કામ કાયદાનું અર્થઘટન કરવાનું છે, કાયદો બનાવવાનું નહીં. મૂળ વાત એ છે કે, જો દેશમાં બાબા આદમના જમાનાના કાયદા અમલમાં હોય તો તેને દૂર કરવાનું કે કાયદાનું વિસ્તરણ કરવાનું કામ અદાલતોનું નહીં પણ સંસદનું છે. જો પોલીસ સહિતના સરકારના કોઈ પણ વિભાગ દ્વારા કાયદાના દુરુપયોગના પુરાવા જ ના હોય તો સર્વોચ્ચ અદાલતમાં તે કાયદો દૂર કરવાની દલીલ ટકી કેવી રીતે શકે? ટૂંકમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદોકાયદાકીય રીતેએકદમ યોગ્ય છે. કમનસીબે આ વાતને અયોગ્ય રીતે ચગાવાઈ રહ્યો હોવાથી આ સંવેદનશીલ મુદ્દાની સાચી દિશામાં ચર્ચા થવાના બદલે લોકો અયોગ્ય રીતે સર્વોચ્ચ અદાલતની જ ટીકા કરવા માંડ્યા છે.

આ સંવેદનશીલ મુદ્દે કાયકાદીય સુધારા જરૂરી 

દેશભરમાં સર્વોચ્ચ અદાલત સામે ટીકાનો વરસાદ વરસતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખોટો સંદેશ પહોંચ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રે (યુએન) પણ ભારતની ટીકા કરતા કહ્યું છે કે, સમલૈંગિકોના અધિકારો પર પ્રતિબંધ એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા બરાબર છે. કારણ કે, ભારતે પણ સંયુક્ત રાષ્ટ્રના એ કરારનામામાં સહી કરી છે જેમાં સમજૂતીપૂર્વકના સમલૈંગિક સંબંધોને વ્યક્તિગત ગણી આવા સંબંધો ધરાવતા લોકોના નાગરિક અને રાજકીય અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ખેર, સર્વોચ્ચ અદાલતે તો તેના સ્તરે જે કરવાનું હતું તે કરી દીધું છે હવેનું કામ સંસદનું છે. કારણ કે, ઉપર કહ્યું તેમ કાયદો ઘડવાનું કે બંધારણની કલમોમાં સુધારા કરવાનું કામ અદાલતનું નહીં પણ સંસદનું છે.

વળી, એલજીબીટી સમુદાયની જાતીયતાને લગતો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. ભલે, કરોડોની વસતી ધરાવતા આ દેશમાં તેમનું પ્રમાણ ગમે તેટલું ઓછું હોય પણ તેમને બંધારણીય હકો આપવા કાયદાનું વિસ્તરણ કરવું અત્યંત જરૂરી છે. વિશ્વના તમામ પ્રગતિશીલ સમાજોમાં એલજીબીટીને સ્વીકાર્ય ગણવામાં આવ્યા છે. એશિયાના 22 અને આફ્રિકાના 38 દેશોમાં આ બાબત સ્વીકાર્ય નથી અને હવે ભારતનો પણ તેમાં સમાવેશ થઈ ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રના કરારનામામાં ભારતે સમલૈંગિકોના અધિકારોનો સ્વીકાર કર્યો છે એ બાબત જોતા એવું માનવું પડે છે, આ મુદ્દે ભારત સરકારનું વલણ ઉદાર છે. પરંતુ હવે આ મુદ્દાની ચર્ચાએ જોર પકડ્યું છે તો સરકારે 150 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરીને સમલૈંગિકોને પણ નાગરિક અને રાજકીય અધિકારો આપવાની પહેલ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતમાં પોલીસ સહિતના સરકારી તંત્ર દ્વારા થતા ભેદભાવના પુરાવા રજૂ થઈ ના શક્યા એ અલગ વાત છે. જોકે, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આ કલમ હેઠળનિર્દોષ સમલૈંગિકને પણ આજીવન કેદની સજા ફટકારી શકાય છે, અને આ કલમનો દુરુપયોગ કરીને પોલીસ સમલૈંગિકો પર અત્યાચાર નહીં કરે એવું આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી. હવે, કલમ 377માં સુધારાનો નિર્ણય કરીને સંસદે આ વિવાદ પર હંમેશાં માટે પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ

નોંધઃ વિરોધ પ્રદર્શનની પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

10 December, 2013

માનવશરીર વાયરસ સામે કેવી રીતે લડે છે?


આજે પણ વિશ્વમાં વાયરલ ઈન્ફેક્શન એટલે કે ચેપી રોગોના કારણે દર વર્ષે લાખો લોકોના મૃત્યુ થાય છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં કુપોષણ, ગંદકી અને સ્વચ્છતાના પ્રશ્નોના કારણે પણ વાયરલ ઈન્ફેક્શનના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધારે છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં લોકો વાયરલ ઈન્ફેક્શનનો ભોગ બને છે. વાયરલ ઈન્ફેક્શન લાગે ત્યારે માનવશરીર આપોઆપ જ સક્રિય થઈ જાય છે અને આપમેળે એ વાયરસ સામે લડે છે. જોકે, દરેક શરીર વિવિધ વાયરસ સામે જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે અને દરેકની વાયરસ સામે લડવાની ક્ષમતા પણ જુદી જુદી હોય છે.

વાયરસ સામેની લડાઈ

કોઈ પણ વ્યક્તિને વાયરલ ઈન્ફેક્શન લાગે છે ત્યારે શરીર આપમેળે એક પદ્ધતિસરની ડિફેન્સ સિસ્ટમ ઊભી કરે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘ઈમ્યુન રિસ્પોન્સ’ કહેવાય છે. આ ઈમ્યુન સિસ્ટમ એટલે બીજું કંઈ નહીં પણ રોગપ્રતિકારક તંત્ર. આ તંત્ર શરીરની તંદુરસ્તી માટે જરૂરી કોષોને ઓળખવા સક્ષમ હોય છે. તેની મદદથી શરીર વાયરસ જેવા હુમલાખોરોને શરીરમાં આવતા અટકાવે છે. હુમલાખોરો સામે લડવા માટે માનવશરીરમાં ‘સુરક્ષા કોષો-ડિફેન્સ સેલ્સ’નું મોટું લશ્કર હોય છે, જેમાં જુદા જુદા પ્રકારના શ્વેતકણોનો પણ સમાવેશ થાય છે. માનવશરીરના બોનમેરોમાં રોજેરોજ આવા અબજો કોષ બનતા રહે છે. હાડકાની અંદરના ભાગમાં આવેલી સ્થિતિસ્થાપક (ફ્લેક્સિબલ) પેશીઓને બોનમેરો કહેવાય છે.

શ્વેતકણો દુશ્મનોને ઓળખીને તેમનો નાશ કરતા હોય છે. જોકે, વાયરસ શરીરમાં ઘૂસીને ઈન્ફેક્શન કરી શકે એટલી મજબૂતાઈ હાંસલ કરવાનું શરૂ કરી દે તો ‘ટી’ અને ‘બી’ લિમ્ફોસાઈટ્સ નામના શ્વેતકણોને લડાઈ માટે ઉતારવામાં આવે છે. આ લડાઈમાં ‘બી’ લિમ્ફોસાઈટ્સ એન્ટિબોડી નામનું ખાસ પ્રકારનું પ્રોટીન બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે ઈમ્યુનોગ્લોબ્યુલિન તરીકે ઓળખાય છે. ‘વાય’ આકારના આ પ્રોટીનની મદદથી જ ઈમ્યુન સિસ્ટમ શરીરને નુકસાન કરે એવા વાયરસ અને બેક્ટેરિયાને શોધી કાઢે છે. આ પ્રોટીન વાયરસને એકસાથે બાંધી દે છે, જેથી તેઓ પોતાના જેવા બીજા વાયરસ ઉત્પન્ન કરીને તાકાત વધારી ના શકે. આ દરમિયાન એન્ટિબોડી નુકસાન પામેલા કોષોને શોધી-શોધીને તેમને ‘ટેગ’ કરતું જાય છે. ટેગ કરવાના કારણે રક્તકણો શરીર માટે હાનિકારક વાયરસને ઝડપથી ઓળખે છે અને તેનો નાશ કરે છે.


જ્યારે ‘ટી’ લિમ્ફોસાઈટ્સ થોડી જુદા પ્રકારની ભૂમિકા ભજવે છે. માનવશરીર પર વાયરસનો હુમલો થાય ત્યારે કેટલાક ‘ટી’ કોષો ચોકીદારી કરતા કૂતરા જેવી ભૂમિકા ભજવે છે. વાયરસ આવે ત્યારે તેઓ ‘એલાર્મ’ વગાડવાનું કામ કરે છે અને કેટલાક ‘ટી’ કોષો વાયરસનો ચેપ લાગ્યો હોય એવા કોષોને મારવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં, તેઓ એન્ટિબોડી ઉત્પન્ન કરવા માટે ‘બી’ કોષોને પણ મદદ કરે છે. એકવાર તમામ વાયરસ મરી જાય પછી કેટલાક સ્પેશિયાલિસ્ટ ‘બી’ અને ‘ટી’ કોષો નાશ કરાયેલા કોષોને યાદ રાખી લે છે.  

આપણા કોષો નુકસાનકર્તા વાયરસ સામે આવું જડબેસલાક કામ કરતા હોવાથી તંદુરસ્ત રહેવા ઈમ્યુન સિસ્ટમ અત્યંત મહત્ત્વની છે. વળી, નુકસાન કરે એવા વાયરસની કોષો નોંધ પણ કરી લે છે અને એટલે જ એ વાયરસ શરીરને બીજી વાર નુકસાન નથી કરી શકતા. આ પ્રક્રિયા ‘એક્વાયર્ડ ઈમ્યુનિટી’ તરીકે ઓળખાય છે. જેમ કે, નાનપણમાં એકવાર ગાળપચોળિયું થાય તો તેના વાયરસ સામે શરીરના કોષો આપણને જીવનભર રક્ષણ આપે છે. આ રક્ષણ આપણને ‘એક્વાયર્ડ ઈમ્યુનિટી’ના લીધે મળે છે. વિજ્ઞાનીઓ માનવશરીરની આ કુદરતી પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજીને નવા નવા રોગોની ‘રસી’ વિકસાવવાની મથામણ કરતા રહે છે. 

જોકે હજુ પણ કેટલાક રોગોનો ઉપચાર વિજ્ઞાન શોધી શક્યું નથી. આ રોગો સામે માનવશરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેમજ તેના વાયરસને કેવી રીતે નાથી શકાય છે- એ દિશામાં સંશોધન કરીને જ વિજ્ઞાનીઓ કેન્સર અને એઈડ્સ જેવા રોગોની રસી પણ શોધી રહ્યા છે. રસી આપવા માટે વિકસાવેલી દવા એ બીજું કંઈ નહીં પણ માનવશરીરને ઈન્ફેક્શન કરી શકે એવા વાયરસ જ હોય છે. જોકે, આ વાયરસ મૃત કે પ્રમાણમાં નબળા હોય છે, જે શરીરમાં સિંરિજ દ્વારા દાખલ કરાય છે. આ વાયરસથી મૃત્યુ કે ચેપનો ભય નથી હોતો. આ વાયરસ શરીરમાં જતા જ ઈમ્યુન સિસ્ટમ તેને ઓળખી કાઢે છે અને પછી શરીરને જીવનભર તે વાયરસથી બચાવે છે.

અમુક વાયરસ કેમ હઠીલા હોય છે?

આ સવાલનો જવાબ જાણતા પહેલાં જાણી લઈએ કે, ઘણાં બધા પ્રકારના વાયરસ માણસને ફ્લૂ જેવી બીમારીઓનો ભોગ બનાવે છે. આ વાયરસ પોતાના જેવા બીજા વાયરસ અત્યંત ઝડપથી પેદા કરી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન નવા પેદા થતા દરેક વાયરસના જનીનો તેને પેદા કરનારા વાયરસથી થોડા અલગ હોય છે. આ નાનકડું પરિવર્તન વાયરસનું જીવન ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. હવે, અન્ય વ્યક્તિને વાયરલ ઈન્ફેક્શન/ચેપ લાગે ત્યારે પણ તેમાં થોડો ઘણો બદલાવ આવતો રહે છે. આ પ્રક્રિયામાં વાયરસનો દેખાવ બદલાઈ જાય છે અને એટલે માનવશરીરની ઈમ્યુન સિસ્ટમને નવા વાયરસ ઓળખવામાં મુશ્કેલી પડે છે અથવા તો તે ભૂલ કરે છે. આ સ્થિતિમાં વાયરસને શરીરમાં ઘૂસીને નુકસાન કરવાનો છૂટો દોર મળી જાય છે. આપણને એટલે જ વારંવાર તાવ કે શરદી જેવી બીમારી થાય છે. કારણ કે, સતત નવા વિકસી રહેલા વાયરસને ઈમ્યુન સિસ્ટમ ઓળખી શકતી નથી.

ફ્લૂના વાયરસને બીજો પણ એક લાભ મળે છે. આ વાયરસ માણસો અને પશુ-પક્ષીને પણ ચેપ લગાડવા માટે સક્ષમ છે. બર્ડ ફ્લૂ કે સ્વાઈન ફ્લૂ જેવા રોગો માટે આવા હોશિયાર વાયરસ જવાબદાર છે. આ પ્રકારના વાયરસ વિવિધ પશુઓમાં પ્રસરે ત્યારે પણ પોતાની ઓળખ સતત બદલતા રહે છે. આ સ્થિતિમાં કોઈ પણ ઈમ્યુન સિસ્ટમ માટે તેમને ઓળખવા મુશ્કેલ બની જાય છે. જો આ પ્રકારનો વાયરસ માનવશરીરમાં ફરી હુમલો કરે તો તે ખૂબ જ ઝડપથી પ્રસરવા માંડે છે. કારણ કે, તેણે પોતાની ઓળખ સંપૂર્ણપણે બદલી નાંખી હોય છે.

ફ્લૂથી વિપરિત શરદી ફક્ત એક વાયરસના કારણે નથી થતી, પરંતુ એકસાથે હજારો પ્રકારના વાયરસના કારણે થાય છે. આ વાયરસ ફ્લૂના વાયરસ જેવો પરિવર્તનશીલ નથી અને એટલે જ આપણી ઈમ્યુન સિસ્ટમ દરેક વખતે તેના પર કાબૂ રાખી શકે છે. છતાં શરદી વારંવાર થાય છે. કારણ કે, એકસાથે હજારો વાયરસથી થતાં શરદી જેવા રોગોમાં ઈમ્યુન સિસ્ટમે દર વખતે જુદા જુદા દુશ્મનોને ઓળખવાના હોય છે અને તેમની સામે લડવાનું હોય છે. આ ઉપરાંત અછબડાં જેવા રોગો પણ વાયરસના કારણે જ થાય છે. ઈમ્યુન સિસ્ટમ આ વાયરસનો ખાતમો બોલાવે એ પહેલાં તે નિષ્ક્રિય અને શરીરમાં સુષુપ્તાવસ્થામાં પડ્યા રહે છે. બાદમાં શારીરિક કે માનસિક તણાવ વખતે સક્રિય થાય છે. નાનપણમાં અછબડાંનો ભોગ બન્યા હોય એવા દસમાંથી એક વ્યક્તિને પુખ્તવયે એકવાર આ રોગ બીજી વાર થાય છે. જોકે, તેની તીવ્રતા ઓછી-વત્તી હોઈ શકે છે. એવી જ રીતે, ચાંદા, ફોલ્લા અને તાવ લાવનારો હર્પીસ સિમ્પ્લેક્સ નામનો એક વાયરસ ઈમ્યુન સિસ્ટમના મજ્જાતંતુમાં જઈને છુપાઈ જાય છે. આ વાયરસ હોર્મોન્સની મદદથી અથવા માનસિક તણાવ થાય ત્યારે સક્રિય થાય છે. આ વાયરસ ચામડીના કોષોને મારવાનું શરૂ કરે છે અને તેના કારણે ચાંદા પડવા, તાવ આવવો વગેરે રોગો થાય છે. આ વાયરસ હોઠ કે તેની આસપાસ ચાંદા પાડે છે અને તેમાંથી બહાર આવીને ચેપ લગાડે છે.

આવા વિવિધ વાયરસ જુદી જુદી પદ્ધતિની મદદથી જીવન ટકાવી રાખે છે. જો વાયરસને શરીરમાં થતો કોઈ ફેરફાર પોતાના અસ્તિત્વ માટે જોખમી લાગે તો તે સુરક્ષિત રહેવા નવું શરીર શોધવા માંડે છે.

શું શરદીની દવા ક્યારેય નહીં શોધાય?

આજે પણ અમેરિકા અને યુરોપમાં એવી એન્ટિ-વાયરલ દવા શોધવાની મથામણ ચાલી રહી જે એકસાથે અનેક વાયરસને મારી શકે. જેમ કે, એન્ટિબાયોટિક્સ એકસાથે બહુ બધા બેક્ટેરિયાને મારી શકે છે. જોકે, અત્યારે એચઆઈવી અને હિપેટાઈટિસ જેવા વાયરસથી થતા રોગોની દવા શોધવા વધુ સંશોધનો થઈ રહ્યા છે. કારણ કે, આ દિશામાં સંશોધનો કરવા પૂરતું ભંડોળ મળી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાની માસાચ્યુસેટ્સ યુનિવર્સિટી, ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ એવી દવા વિકસાવી છે જે એકસાથે 15 પ્રકારના વાયરસ પર અસર કરી શકે છે. શરદી જેવા રોગોની દવા શોધવા માટે વિજ્ઞાનીઓ ‘વાયરિંગ ટુગેધર’ નામની પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ પદ્ધતિમાં બે જુદા જુદા કુદરતી પ્રોટીન પર પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી એક પ્રોટીન વાયરસ પ્રવેશે ત્યારે તેને ઓળખે અને બીજું પ્રોટીન નુકસાન પામેલા કોષોને મારવાનું કામ કરે. આ પ્રક્રિયા બોલવામાં જેટલી સરળ છે એના કરતા અનેકગણી વધારે જટિલ છે. હાલ આ દિશામાં વિશ્વના અનેક દેશોના વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે.

એચઆઈવી કેમ હાવી થઈ જાય છે?

એઈડ્સ થવા પાછળ હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાયરસ એટલે કે એચઆઈવી જવાબદાર હોય છે. આ વાયરસ ઈમ્યુન સિસ્ટમના ‘ટી’ લિમ્ફોસાઈટ્સ નામના કોષોને નકામા કરી દઈને આખી સિસ્ટમ નકામી કરવા સક્ષમ છે. ‘ટી’ લિમ્ફોસાઈટ્સ એ કોષો છે જે અન્ય ચેપી કોષોને મારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ‘ટી’ કોષો વિના ઈમ્યુન સિસ્ટમના ‘બી’ કોષો પણ સારી રીતે કામ કરી શકતા નથી. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને ખરાબ કોષોનો પ્રતિકાર કરતા કોષો સતત નાશ પામતા રહે છે. છેવટે, જે રોગ થાય છે તે એઈડ્સ તરીકે ઓળખાય છે.

01 December, 2013

પ્રાચીનકાળમાં પર્વત જેવા પથ્થરો કેવી રીતે ખસેડાતા હતા?


ઈજિપ્તના પિરામિડો, ઈંગ્લેન્ડની પ્રખ્યાત સ્ટોનહેન્જ સાઈટ કે કંબોડિયામાં આવેલું વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર જોઈને એવો વિચાર આવવો સ્વાભાવિક છે કે, આટલા વર્ષો પહેલાં પર્વત જેવા મહાકાય પથ્થરોને જે તે સ્થળ સુધી કેવી રીતે પહોંચાડાયા હશે? વિશ્વમાં અનેક સ્થળોએ પ્રાચીન સમયમાં બનેલા આવા આકારો જોવા મળે છે અને એ અસ્તિત્વમાં આવ્યા ત્યારે હાઈડ્રોલિક ક્રેન કે ભારે વજન વહન કરી શકે એવા ટ્રક પણ ન હતા. તો પછી આજના આધુનિક માનવો જેના વખાણ કરતા થાકતા નથી એવા મંદિરો અને પૂતળાનું બાંધકામ કરવા એ સમયે પથ્થરો બાંધકામ સ્થળે કેવી રીતે પહોંચાડાતા હતા? આ પ્રશ્નોના જવાબ અત્યાર સુધી ઘણાં વિજ્ઞાનીઓ આપી ચૂક્યા છે, પરંતુ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ જર્નલમાં પહેલીવાર આ દિશામાં પદ્ધતિસરનો અભ્યાસ લેખ પ્રકાશિત કરાયો છે.

અહીં આપણે અંગકોર વાટનું મંદિર, ઈજિપ્તના પિરામિડો અને ઈંગ્લેન્ડમાં સ્ટોનહેન્જની જાણકારી મેળવીશું તેમજ તેનું સર્જન કરવા મહાકાય પથ્થરોની હેરફેર કેવી રીતે કરાઈ હશે એ મુદ્દો આ વૈજ્ઞાનિક અભ્યાસના આધારે સમજીશું. 

અંગકોર વાટનું મંદિર

કંબોડિયામાં નવમીથી 15મી સદી દરમિયાન મેર સામ્રાજ્યમાં અંગકોર વાટનું વિશાળ હિંદુ મંદિર બાંધવામાં આવ્યું હતું. આ મંદિરના કારણે કંબોડિયા વિશ્વભરમાં જાણીતું બની ગયું છે. આવા ઐતિહાસિક સ્થળોનો અભ્યાસ કરીને ઘણી બધી માહિતી મેળવી શકાય છે. ફ્રેન્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર એશિયન સ્ટડીઝ ઈન બેંગકોકના આર્કિયોલોજિસ્ટ અને પ્રાચીન શહેરોના નિષ્ણાત ક્રિસ્ટોફર પોટિર જણાવે છે કે, “અંગકોર વાટ એ બીજા લોકો માટે ફક્ત એક મંદિર છે. પરંતુ આ સૌથી મોટુ મંદિર છે અને તેની ડિઝાઈનમાં ભારત અને ચીનની સંસ્કૃતિની બહુ મોટી અસર જોવા મળે છે. એનો અર્થ એ છે કે, ભારત અને ચીન વચ્ચે મેર સામ્રાજ્ય વખતે પણ વેપારી સંબંધો હતા. અંગકોર વાટ બે સમૃદ્ધ સંસ્કૃતિઓનો સુભગ સમન્વય છે, તેને બંને સંસ્કૃતિઓનો લાભ મળ્યો છે.”

કંબોડિયામાં આવેલું અંગકોર વાટનું મંદિર

પોટિરનું માનવું છે કે, આ મંદિરોની રચના કેવી રીતે થઈ એ સારી રીતે સમજવા અંગકોર વાટને સારી રીતે સમજવું જોઈએ. જેમ કે, અંગકોર વાટના મંદિરની સ્થાપના પાછળ ભારતીય ધર્મે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ મહેલ નથી, તેમાં કોઈ રહેતું ન હતું, તે ભગવાનનું ઘર છે. આ મંદિર બંધાતું હતું ત્યારે મેર સામ્રાજ્યના લોકોની માન્યતા હતી કે, તેમના ભગવાન માઉન્ટ મેરુ (એક પૌરાણિક પર્વત) પર રહે છે. આ માન્યતાના કારણે જ અંગકોર વાટનું એક જ પથ્થરમાંથી બાંધવામાં આવ્યું છે, જે પર્વતનું પ્રતીક છે. વળી, તેનું બાંધકામ કાંપ ધરાવતી વિશાળ જમીન પર કરાયું છે. નવમી સદીમાં આ મંદિરનું બાંધકામ શરૂ કરાયું હશે ત્યારે તેમણે આસપાસની જમીનની માટી ખોદીને જ ઈંટો બનાવી હતી અને દસમી સદીમાં તેમણે પથ્થરના બ્લોકનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.

વિજ્ઞાનીઓની મુશ્કેલી હવે શરૂ થાય છે. આ પથ્થરો જે ખાણોમાંથી તોડાતા હતા તે બાંધકામ સ્થળથી 50થી 70 કિલોમીટર દૂર હતી. અંગકોર વાટમાં ઉપયોગમાં લીધેલા પથ્થરના 95 ટકા બ્લોક 200થી 300 કિલોના છે. આ દિશામાં ઊંડા સંશોધનો કર્યા પછી વિજ્ઞાનીઓને માલુમ પડ્યું છે કે, ખાણથી બાંધકામ સ્થળ સુધી પથ્થરો લાવવા માટે તેમણે પાણીનો ધસમસતો પ્રવાહ ધરાવતી કેનાલનો ઉપયોગ કર્યો હતો. આ કામ માટે તેઓ મોટા ભાગે ચોમાસાની ઋતુ પસંદ કરતા હતા. જ્યારે ચોમાસા સિવાયની ઋતુમાં પથ્થરોના બ્લોકની કોતરણી અને તેમને એકબીજા સાથે જોડવાનું કામ કરાતું હતું. પથ્થરના બ્લોકને બાંધકામ સ્થળે પહોંચાડ્યા પછી કારીગરો ગોળાકાર લાકડા પર બ્લોકને ગગડાવીને આગળ લઈ જતા હતા. જ્યારે ભારેખમ બ્લોકને ચોક્કસ સ્થિતિમાં મૂકવા માટે તેઓ પાલખી અને ગરગડી જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા.

ઈજિપ્તના પિરામિડો

ઈજિપ્તના પિરામિડો રેતાળ જમીન પર આવેલા છે અને ઘણાં વર્ષો સુધી સંશોધકોને એ સવાલ સતાવતો હતો કે, રણપ્રદેશની વચ્ચે ચૂનાના અને રેતીના હજારો ટન વજન ધરાવતા પથ્થરો બાંધકામ સ્થળે કેવી રીતે પહોંચ્યા હશે? ફાયુમના રણમાં બાંધવામાં આવેલા પિરામિડો બાંધવા બાસાલ્ટ ખાણના પથ્થરોનો ઉપયોગ થયો છે, જે બાંધકામ સ્થળથી 60 કિલોમીટર દૂર છે. પિરામિડો બાંધવા માટે આ ખાણોમાં તૈયાર થતાં બ્લોકનું વજન દસ ટન જેટલું છે. સ્વિત્ઝર્લેન્ડની આર્કિયોલોજી એન્ડ કન્ઝર્વેશન સર્વિસના જિયો-આર્કિયોલોજિસ્ટ અને ઈજિપ્તની પ્રાચીન ખાણોના નિષ્ણાત પેર સ્ટોમેર કહે છે કે, “આ પથ્થરો લાવવા તેમણે પણ કદાચ નાઈલ (નદી)નો ઉપયોગ કર્યો હોવો જોઈએ. કારણકે પ્રાચીન ઈજિપ્તમાં પથ્થરની ખાણો નાઈલ નદીની આસપાસ હતી અને રેતાળ પ્રદેશો સુધી પથ્થરો પહોંચાડવાનો એ જ સૌથી ટૂંકો રસ્તો હતો. જોકે, ખાણો પિરામિડના બાંધકામ સ્થળેથી હજારો કિલોમીટર દૂર હતી. એટલે પ્રાચીન ઈજિપ્તિયનોએ પાણી માર્ગ, માનવબળ તેમજ રોલર અને સ્લેજગાડી જેવા સાધનોની મદદથી આ કામ પાર પાડ્યું હોવું જોઈએ.”

ઈજિપ્તના પિરામિડો

પિરામિડોનું બાંધકામ આજથી ચાર-પાંચ હજાર વર્ષ પહેલાં થયું હતું. આ સમયે કોઈ ટેક્નોલોજી ન હતી એટલે કારીગરોએ ખાણ નજીક સાતેક માઈલ એક સાંકડો રસ્તો તૈયાર કર્યો હતો, જે નાઈલ નદી સાથે જોડાયેલા એક તળાવ સુધી જતો હતો. જોકે, હાલ આ તળાવ સૂકાઈ ગયું છે. જોકે, સંશોધકો કબૂલે છે કે, તળાવમાંથી નદી અને નદીથી બાંધકામ સ્થળ સુધી વજનદાર બ્લોક તેઓ કેવી રીતે પહોંચાડતા હતા તે જાણવું અઘરું છે. ગોળાકાર લાકડામાંથી બનાવેલા સાધનો ટૂંકા અંતર માટે અકસીર છે, પણ લાંબા અંતર માટે તેઓ ચોક્કસપણે બીજી પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. સંશોધકોનું અનુમાન છે કે, પથ્થરોના વહન માટે તેમણે રેલવે જેવું કોઈ વાહન તૈયાર કર્યું હોઈ શકે છે. જોકે, આ રેલવે આજની રેલવે જેવી નહીં પણ લાકડામાંથી બનાવેલી સ્લેજગાડી જેવું કોઈ વાહન હોઈ શકે છે, જેના પર પથ્થર મૂકીને ઢસડીને લઈ જઈ શકાય. આ માટે તેઓ માનવબળ, દોરડા અને પશુઓનો ઉપયોગ કરતા હશે. ટૂંકમાં પથ્થરની ખાણોથી બાંધકામ સ્થળ સુધીનું બહુ મોટું અંતર કાપવા તેમણે કેનાલ, તળાવ અને નદીનો ઉપયોગ કર્યો હતો.

ઈંગ્લેન્ડના સ્ટોનહેન્જ

પ્રાચીન ઈંગ્લેન્ડમાં પણ આવું જ એક રહસ્યમય સર્જન છેલ્લાં ઘણાં દાયકાથી પુરાતત્ત્વવિદોને મૂંઝવતું હતું. ઈંગ્લેન્ડના વિલ્ટશાયર નામના પ્રદેશમાં વિશાળ પથ્થરોને ચોક્કસ આકારમાં ગોઠવવામાં આવ્યા છે, જે સ્ટોનહેન્જ તરીકે ઓળખાય છે. સ્ટોનહેન્જની અંદરનો ગોળાકાર ભાગ બ્લુસ્ટોન અને બહારનો ભાગ સાર્સેન તરીકે ઓળખાતા પથ્થરોનો છે. ઈંગ્લેન્ડની બર્નમાઉથ યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્ ટિમોથી ડાર્વિલ કહે છે કે, વિલ્ટશાયરમાં આ પથ્થરો આશરે 50 કિલોમીટર દૂરથી લાવવામાં આવ્યા હતા. આ પથ્થરો લાવવા માટે સ્લેજગાડી જેવા વાહનનો ઉપયોગ કરાયો હશે એવું કહી શકાય.

ઇંગ્લેન્ડમાં આવેલા સ્ટોનહેન્જ

સ્ટોનહેન્જના કેટલાક પથ્થરો 40 ટન જેટલું વજન ધરાવે છે અને જો સ્લેજગાડી જેવા વાહનનો ઉપયોગ કરવામાં આવે તો પણ તેને ખેંચવા માટે આશરે 150 માણસો જોઈએ. આ માટે તેમણે જાતભાતના પ્રયોગો પણ કરી જોયા હશે. યુનિવર્સિટી કોલેજ લંડનના પુરાતત્ત્વવિદ માઈકલ પાર્કર પિયર્સને નોંધ્યું છે કે, આ પથ્થરોને ખેંચવા માટે તો ‘રોલર’ પદ્ધતિ પણ અકસીર સાબિત ના થઈ શકે. કારણ કે, સ્ટોનહેન્જનો નાનામાં નાનો પથ્થર પણ વીસ ટન વજન ધરાવે છે. આટલું વજન લાકડાના રોલરને નુકસાન કરવા માટે પૂરતું છે. એવી જ રીતે, પથ્થરોને ચોક્કસ પ્રકારના લાકડાના ગોળાકાર સાધનો બનાવીને ગગડાવીને અહીં સુધી પહોંચાડ્યા હોય એ માનવું પણ અઘરું છે.

સ્ટોનહેન્જના પથ્થરોની હેરફેર અંગે પિયર્સને નવી થિયરી આપવાનો પ્રયાસ કર્યો છે. પિયર્સનનું માનવું છે કે, આ પથ્થરોને સ્લેજગાડી જેવા વાહનો પર રાખ્યા હશે અને ત્યારે પાણીનો પણ ઉંજણ (લુબ્રિકન્ટ) તરીકે ઉપયોગ કરાયો હશે. કારણ કે, ઈજિપ્તના પિરામિડો ઊભા કરવા આવી પદ્ધતિનો ઉપયોગ કર્યાના પુરાવા મળ્યા છે. જોકે, ટિમોથી ડાર્વિલે નોંધ્યા મુજબ બ્લુસ્ટોન વેલ્સથી 250 કિલોમીટર દૂર મળી આવે છે. આ કારણોસર પ્રાચીન ઈંગ્લેન્ડના લોકોએ એકથી વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરીને મહાકાય પથ્થરોને અહીં સુધી પહોંચાડ્યા હશે. જેમાં પ્રાચીન નદી કે દરિયાઈ માર્ગનો પણ સમાવેશ થતો હોઈ શકે.

જ્યારે પિયર્સને સાબિત કર્યું છે કે, બ્રિટનમાં એ સમયે આઈસ રૂટ (બર્ફીલી જમીન પરનો રસ્તો)નો વિકલ્પ હતો જ નહીં. આ પદ્ધતિનો ઉપયોગ મધ્યયુગીન ચીનમાં થતો હતો, પરંતુ ઈંગ્લેન્ડમાં એ સમયે આવું વાતાવરણ ન હતું. ઊલટાનું એ વખતનું વાતાવરણ અત્યાર કરતા થોડું ગરમ હતું. ટૂંકમાં સ્ટોનહેન્જના પથ્થરોને વિલ્ટશાયર સુધી લાવવા માટે પાણી અને રોલર પદ્ધતિનો જ ઉપયોગ થયો હોવાની પૂરેપૂરી સંભાવના છે.

જોકે, આ દિશામાં હજુ પણ સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ આ પહેલાં વિજ્ઞાનીઓને આટલા મજબૂત પુરાવા હાથ લાગ્યા નહીં હોવાથી તેનું મહત્ત્વ વધારે છે.