17 November, 2018

નવા વર્ષે કરાતા રિઝોલ્યુશનનું મનોવિજ્ઞાન


હિંદુ સંસ્કૃતિમાં દિવાળી પછીનો દિવસ નવા વર્ષ તરીકે ઊજવાય છે. હિંદુ પંચાગ પ્રમાણે, કારતક સુદ એકમથી થતું નવું વર્ષ ગુજરાતીમાં બેસતું વર્ષ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ મહિનાનો પહેલો દિવસ 'બેસતો મહિનો’ ગણાય છે એવી જ રીતે, નવું વર્ષ એટલે બેસતું વર્ષ. આપણું રોજિંદુ કામકાજ ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર પ્રમાણે ચાલે છે, પરંતુ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષની ઉજવણીનું મહત્ત્વ આજેય જીવંત છે. આપણે ન્યૂ યરમાં સદીઓ જૂની પરંપરાઓ ભૂલતા નથી અને બેસતા વર્ષને ન્યૂ યર સ્ટાઈલમાં ઊજવીએ છીએ.

આ જ તો છે, સાંસ્કૃતિક આદાનપ્રદાન. આ જ પ્રકારના આદાનપ્રદાનને પગલે આજની યુવા પેઢી બેસતા વર્ષે પશ્ચિમી દેશોના યુવાનોની જેમ ન્યૂ યર રિઝોલ્યુશન ઉર્ફ સંકલ્પ લે છે. ખેર, નવા વર્ષે લીધેલા સંકલ્પો ક્યારેક બે-ત્રણ મહિનામાં તો ક્યારેક ગણતરીના દિવસોમાં તૂટી જતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વિજ્ઞાનીઓના મતે સંકલ્પ લેનારા લોકો હંમેશાં દુ:ખી હોય છે. ઊલટાનું કોઈ પણ પ્રકારના સંકલ્પ નહીં રાખનારા વધારે સુખી હોય છે. આ પ્રકારના લોકો કંઈ જ વિચાર્યા વિના ફક્ત તેમનું કામ કરતા રહે છે.




વળી, સંકલ્પ રાખીને સફળ થનારા લોકોને જોઈને પણ તેઓ પોતાનામાં કોઈ પરિવર્તન નથી કરતા. આ વાતની સાબિતી આપતા એક નહીં અનેક સર્વેક્ષણો થઈ ચૂક્યા છે. આ સર્વેક્ષણોનું તારણ એ જ છે કે, નવા વર્ષે સંકલ્પો લેવાનો અર્થ છે, જાતને સજા કરવી. હા, જાતને સુધારવા માટે કોઈ નિર્ણય લેવો એ ખૂબ જ સારી વાત છે, પરંતુ આવા કોઈ નિર્ણયને સંકલ્પનું લેબલ મારવામાં આવે છે ત્યારે નિષ્ફળ જવાની તક અનેકગણી વધી જાય છે. સંકલ્પોનો વૈજ્ઞાનિક અભ્યાસ સૌથી પહેલાં 'સંકલ્પની ફેશન'ને જન્મ આપનારા અમેરિકામાં જ થયો હતો. આ પ્રકારનો અભ્યાસ કરવા સંશોધકોએ 'નવા વર્ષે ખર્ચ ઘટાડીશ'થી માંડીને 'સિગારેટ ઓછી કરીશ કે બંધ કરીશ' વગેરે જેવા સંકલ્પને ચાર કેટેગરીમાં વહેંચ્યા હતા.

આ ચાર કેટેગરીમાં મની (બચત કરીશ), હેલ્થ (નિયમિત જોગિંગ કરીશ), સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ (પોતાને વધુ સમય આપીશ) અને રિલેશનશિપ ઈમ્પ્રુવમેન્ટ (પત્ની-બાળકોને વધુ સમય આપીશ)નો સમાવેશ કરાયો હતો. આ ચારેય કેટેગરીમાં લગભગ દરેક પ્રકારના  સંકલ્પ આવી જાય છે. આપણામાંથી અનેક લોકો નવા વર્ષે આ ચાર કેટેગરીમાંથી જ કોઈને કોઈ સંકલ્પ લે છે, પરંતુ તેઓ મોટા ભાગે નિષ્ફળ જ જાય છે અને નવા વર્ષે ફરી એ જ સંકલ્પ લે છે. હવે આપણે એ સમજીએ કે સંકલ્પો લેનારા મોટા ભાગે નિષ્ફળ કેમ જાય છે?

સુષુપ્ત મગજ પર વિપરિત અસર

નવા વર્ષે લીધેલા મોટા ભાગના સંકલ્પો બ્લેક અથવા વ્હાઈટ હોય છે. એટલે કે હું સિગારેટ પીવાની ઓછી કરી દઈશ એના બદલે એવો સંકલ્પ લેવાય છે કે, હું નવા વર્ષે સિગારેટ પીવાનું બંધ કરી દઈશ. આ પ્રકારના સંકલ્પને સંશોધકો 'વ્હાઈટ' સંકલ્પ કહે છે. એવી જ રીતે, સિગારેટ પીવાની ઓછી કરીશ તે 'ગ્રે' સંકલ્પ કહી શકાય. વ્હાઈટ સંકલ્પ રાખનારાની નિષ્ફળ જવાની સંભાવના વધારે હોય છે. કદાચ તેમણે સિગારેટ નહીં પીવાના બદલે સિગારેટ ઓછી પીવાનો સંકલ્પ રાખ્યો હોત તો તેઓ નિષ્ફળ ના જાત. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ ખૂબ જ મહત્ત્વની વાત છે કારણ કે, આપણે સંકલ્પ લઈને નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણું સુષુપ્ત (સબકોન્સિયસ) મગજ પણ એ વાત દોહરાવે છે કે, હું નિષ્ફળ ગયો. કદાચ આ જ કારણસર વારંવાર સંકલ્પ લેનારા વહેલા થાકી જાય છે.

બીજી એક રસપ્રદ વાત. સંકલ્પ લેનારા જાતને છેતરવામાં પાવરધા હોય છે. હકીકતમાં તેઓ અંદરથી સમજી ગયા હોય છે કે, સંકલ્પ લેવા કરતા વર્તન સુધારવું અને જાત પર કાબૂ રાખવો જરૂરી છે, પરંતુ તેઓ એવું કરી શકતા નથી અને નવા વર્ષે સંકલ્પ કરીને થોડો દંભ કરી લે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાનીઓના મતે, સંકલ્પ લઈને નિષ્ફળ જવા કરતા સંકલ્પ લીધા વિના નિષ્ફળ જવું વધુ સારું. જેમ કે, હું છ મહિનામાં વીસ કિલો વજન ઉતારીશ એવો સંકલ્પ કરવાના બદલે પોષણયુક્ત આહાર લેવો અને નિયમિત જોગિંગ કરવા જવું વધુ સારું.

ટૂંકમાં, જીવનમાં સુખી થવા શિસ્તબદ્ધ જીવન જીવવાનો પ્રયાસ કરવો વધુ હિતાવહ છે. જો તમે નિયમિત જોગિંગ કરશો અને ક્યારેક ફાસ્ટફૂડ ખાઈ લેશો તો પણ તમને અપરાધભાવ (ગિલ્ટ) સહન નહીં કરવો પડે. બરાબર ને?

લાગણીથી નહીં, ચોક્કસ સંકલ્પ લો

સંકલ્પો વિશે ઘણાં સંશોધનો કરાયા, જેમાં એક મહત્ત્વનું તારણ નીકળ્યું છે. નવું વર્ષ કે બેસતું વર્ષ તો ઠીક છે. જીવનમાં કોઈ પણ ધ્યેય હાંસલ કરવા કોઈ પણ સમયે ચોક્કસ ચોક્કસ સંકલ્પ લેનારી વ્યક્તિ વધુ સફળ થાય છે. ટૂંકમાં, ચોક્કસ ધ્યેય રાખીને આગળ વધનારા સફળ થતા જ હોય છે, પરંતુ કેટલાક કામ એવા પણ હોય છે જેમાં આપણે નિષ્ફળ જઈએ તો પણ તે કામ કરવાનું બંધ નથી કરતા.

જેમ કે, આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માગતો વિદ્યાર્થી એકવાર એન્ટ્રન્સ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેનો અર્થ એ નથી કે, તે બીજી વાર ટેસ્ટ નહીં આપે. બિઝનેસ સ્કૂલમાં કે મોટા ભાગની કોર્પોરેટ જોબ્સમાં 'રિયલ ગોલ્સ' એચિવ કરવાનું શીખવવામાં આવે છે. આ પ્રકારના ધ્યેય સ્પેસિફિક (ચોક્કસ), મેઝરેબલ (કયાસ કાઢી શકાય એવા), એક્શનેબલ (પાર પાડી શકાય એવા), રિયાલિસ્ટિક (વાસ્તવિક) અને ટાઈમ બેઝ્ડ (સમયને અનુરૂપ) હોય છે. આ ટાઈમ બેઝ્ડ એટલે શું ખબર પડી? કોઈ પ્રીમિયમ ઈન્સ્ટિટ્યૂટની એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ ના થતા હોઈએ તો તેની પાછળ જિંદગીનો મહામૂલો સમય બગાડ્યે ના રખાય! સફળ  થવા માટે આપણને આપણી શક્તિની સાથે મર્યાદાઓ શું છે તેનું પણ ભાન હોવું જોઈએ. અમુક વાર વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં પણ સફળતા છુપાયેલી હોય છે.

મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે, સામાન્ય માણસે નવા વર્ષે બિહેવિયર બેઝ્ડ (વર્તન આધારિત) સંકલ્પ લેવા જોઈએ, નહીં કે ગોલ બેઝ્ડ (ધ્યેય આધારિત). જેમ કે, આઈઆઈટીમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીએ પોતાની ક્ષમતાનો કયાસ કાઢીને નક્કી કરી લેવું જોઈએ કે, તેણે પાસ થવા કેટલા કલાક મહેનત કરવી પડે એમ છે. બાદમાં રોજેરોજ એટલા કલાક અભ્યાસ કરવાનો સંકલ્પ રાખી લેવો જોઈએ. આ પ્રકારનું વર્તન કરીને આપણે પોતાની જાતને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. એવી જ રીતે, માર્કેટિંગમાં કામ કરતો એક્ઝિક્યુટિવ આર્થિક  સ્થિતિ સુધારવા પોતાની ખામીઓ શોધીને પર્ફોર્મન્સ સુધારવાનો સંકલ્પ રાખશે તો તેની સફળ થવાની તકો વધી જશે. સંશોધકોએ આ પ્રકારના ધ્યેયને ચોક્કસ અને વાસ્તવિક ગણે છે. પરંતુ 'હું એક વર્ષમાં આટલું બેંક બેલેન્સ ઊભું કરીશ' એવા સંકલ્પમાં વાસ્તવિકતા ઓછી અને લાગણી વધારે હોય છે.

ધ્યેય પાર પાડવા સંશોધકોએ રોજ રાત્રે સૂતા પહેલાં પોતાને સંકલ્પ યાદ અપાવવાની વાત પર પણ ભાર મૂક્યો છે. જેમ કે, રોજ રાત્રે જાતને સવાલ પૂછો કે, શું આજે મેં મારા સંકલ્પને અનુરૂપ વર્તન કર્યું? અને આ સવાલનો જવાબ પણ લખો. ફક્ત આટલું કરવાથી કોઈ પણ વ્યક્તિ જીવનમાં શિસ્ત લાવી શકે છે.

સંકલ્પો સાથે સંકળાયેલી બાબતોનું ધ્યાન રાખો

આપણે કોઈ પણ સંકલ્પ લઈએ છીએ ત્યારે તેની સાથે બીજી પણ ઘણી બાબતો સંકળાયેલી હોય છે. જો આપણે વજન ઉતારવાનો સંકલ્પ રાખીએ તો તેની સાથે કસરત, ફાસ્ટ ફૂડ ખાવાની આદતો અને સ્વાદપ્રિયતા જેવી અનેક બાબતો સંકળાયેલી હોય, જ્યારે કેટલાક મુદ્દા એવા હોય છે જેમાં આખા વર્ષ દરમિયાન તમે શું કર્યું તેના પર તેની સફળતા-નિષ્ફળતાનો આધાર હોય. એક વર્ષમાં ચોક્કસ બચત ભેગી કરવા માટે આખું વર્ષ થોડી થોડી બચત કરવી પડે. એ માટે વધારાના ખર્ચ પર કાપ પણ મૂકવો પડે અને કદાચ બીજી વ્યક્તિઓને પણ કરકસર કરવાનું શીખવવું પડે. સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ કેટેગરીમાં આવતા વિવિધ સંકલ્પમાં પણ વર્તન સુધારવાની જરૂરિયાત ઘણી વધારે હોય. આ પ્રકારના સંકલ્પમાં જાત સાથે ઢીલ બિલકુલ ના ચાલે.

એટલે જ સંકલ્પને સફળતાપૂર્વક પાર પાડવા એક યાદી બનાવવી જોઈએ અને દિવસમાં એકાદ વાર તેના પર નજર કરી લેવી જોઈએ. જોકે, એકાદ દિવસ સંકલ્પ પાળવામાં નિષ્ફળ જઈએ એનો અર્થ એ નથી કે, આપણો સંકલ્પ પણ નિષ્ફળ. કારણ કે, વર્તનમાં સુધારો રોજિંદી પ્રેક્ટિસ પછી જ આવે છે. સંબંધોમાં પણ આવી જ રીતે સુધારો કરી શકાય છે કારણ કે, સંબંધો સુધારવા માટે લીધેલા સંકલ્પ હંમેશાં વર્તન આધારિત હોય છે. આ પ્રકારના સંકલ્પમાં આપણે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે, કોઈ પણ વ્યક્તિ માટે બીજાના વર્તનને કાબૂમાં રાખવા કરતા પોતાની જાત પર કાબૂ રાખવો વધુ સહેલો છે. જેમ કે, ઓફિસમાં બોસ બીજા લોકોને કાબૂમાં ચોક્કસ રાખી શકે છે, પરંતુ પોતાના વર્તનમાં સુધારો લાવીને પોતાને તો ઠીક બીજાને પણ વધુ સારી રીતે કાબૂમાં રાખી શકશે. ટૂંકમાં, જો તમે સંબંધ આધારિત સંકલ્પમાં સફળતા મેળવવા માગતા હશો તો તમારે સૌથી પહેલાં પોતાની જ ખામીઓ શોધવી પડશે.

આવી અનેક બાબતોનો વિચાર કરીને એવું કહી શકાય કે, લાંબા કે ટૂંકા ગાળાના ધ્યેય પૂરા કરવા માટે વર્તનમાં સુધારો કરવો જરૂરી છે.

સંકલ્પોમાં નિષ્ફળતા મળ્યા પછી શું કરવું?

દુનિયાભરમાં થયેલા અનેક સર્વેક્ષણો પછી માલુમ પડ્યું છે કે, નવા વર્ષે ઉત્સાહથી સંકલ્પ લઈને નિષ્ફળ જનારા લોકો થોડા કે લાંબા સમય સુધી તણાવ અનુભવે છે, પરંતુ સંશોધકો તેને વૈજ્ઞાનિક રીતે સમજાવતા કહે છે કે, જો તમને સંકલ્પ સિદ્ધ કરવામાં વારંવાર નિષ્ફળતા મળી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

સૌથી પહેલાં સંકલ્પમાં સફળ થવા વર્તનમાં શું ફેરફાર કરવો જરૂરી છે તે નક્કી કરો અને પછી તેનો અમલ કરવાનો પ્રયાસ કરો. આદતો બદલવા માટે મજબૂત મનોબળ રાખો અને સાથે એ પણ યાદ રાખો કે, બહુ હઠીલી આદતો બદલતા સમય પણ લાગી શકે છે. આદતો બદલવાથી વર્તન સુધરશે અને વર્તન સુધારવાથી સફળતા મળશે. સફળતા મેળવવા શું કરવું પડે એ વાત પોતાને યાદ અપાવતા રહો. ફક્ત આટલું કરવાથી સુષુપ્ત મનમાં નકારાત્મકતા નહીં આવે અને મનોબળ વધુને વધુ મજબૂત થતું જશે. 

05 November, 2018

ચાઈનીઝ ફૂડ, ઈન્ડિયન સ્ટાઈલ: સ્વિટ કોર્ન સૂપ, ચાઈનીઝ સમોસા અને સ્પ્રિંગ રોલ


ભારત અને ચીનની સંસ્કૃતિ એકબીજાથી ખાસ્સી જુદી. એમાંય બંને દેશની ખાણીપીણીની રીતરસમ તો બિલકુલ અલગ. ચીનના ભોજનની વાત આવે એટલે આપણી નજર સામે એવું એવું દેખાય કે જે ગુજરાતીઓ સપનામાં પણ ખાવાનું વિચારી ના શકે. આમ છતાં, આજેય ગુજરાત સહિત આખા દેશમાં સૌથી વધુ વેચાતું વિદેશી ફૂડ હોય તો તે છે, ચાઈનીઝ. દિલ્હીથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ફાઈવ સ્ટાર હોટેલો, નાની-મોટી રેસ્ટોરન્ટ્સ અને લારીઓના મેન્યૂમાં વેજ કે નોન-વેજ ચાઈનીઝ ફૂડ સરળતાથી મળી જાય છે. ગુજરાતીઓના તો લગ્નોમાં પણ સ્વિટ કોર્ન, હોટ એન્ડ સોર કે ચો મીન સૂપ, નુડલ્સ, ચાઈનીઝ કે અમેરિકન ચોપ્સી, મન્ચુરિયન અને ચુન જુઆન (સ્પ્રિંગ રોલ) સામાન્ય થઈ ગયા છે. હા, ચાઈનીઝ સમોસા અને કટલેટ પણ ખરા. આ બંને તો કોઈ ગુજરાતી રસોઇયાનું સર્જન હોવું જોઈએ! જોકે, આ બધું જ ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ નહીં હોવાથી ફૂડ એક્સપર્ટ તેને ઈન્ડિયન ચાઈનીઝ કે ઈન્ડો-ચાઈના કેટેગરીમાં મૂકે છે.

સવાલ એ છે કે, ચીનમાં ક્યાંય જોવા નહીં મળતી અને આખાયે ભારતમાં જોવા મળતી ચાઈનીઝ વાનગીઓનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો હશે! દુનિયાના કોઈ પણ પ્રદેશના ભોજનની રીતભાતો સાંસ્કૃતિક આદાનપ્રદાનથી જ વિકસતી હોય છે, જેને આપણે ફૂડ કલ્ચર કહીએ છીએ. આ ફૂડ કલ્ચર નાનોસૂનો શબ્દ નથી. ખાણીપીણીની સંસ્કૃતિ ખુદ એક ઈતિહાસ છે. ભારતમાં પણ ચાઈનીઝ ફૂડ સાથે સમૃદ્ધ રાજકીય અને સામાજિક ઈતિહાસ જોડાયેલો છે. આપણે ત્યાં ચાઈનીઝ ફૂડ ખાવાની શરૂઆત ૧૮મી સદીના કોલકાતા (એ વખતનું કલકત્તા)માં થઈ હતી. અંગ્રેજોએ કોલકાતામાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયન કંપનીનું થાણું શરૂ કરીને ભારત જ નહીં, ચીન સાથે પણ વેપાર શરૂ કર્યો, એ પછી તેના બીજ રોપાયા. અંગ્રેજ વેપારીઓ ચા અને સિલ્ક જેવી ચીજવસ્તુઓ વાયા કોલકાતા બ્રિટન મોકલતા.




ફ્રોમ ચાઈના, વિથ લવ ;)

આ દરમિયાન ઈસ. ૧૭૭૮માં ચીનનો યાંગ એચ્યુ નામનો વેપારી કોલકાતા આવ્યો. તેણે એક વેપારી કરાર હેઠળ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયાના ગવર્નર વૉરન હેસ્ટિંગ્સને ચાનો બહુ મોટો જથ્થો આપીને હુગલી નદીના કાંઠે ૬૫૦ વીઘા જમીન મેળવી. એ જમાનામાં આટલી જમીનનું ભાડું હતું, વાર્ષિક રૂ. ૪૫. યાંગ એચ્યુએ ત્યાં સુગર મિલની સ્થાપના કરી. ત્યાર પછી સ્થાનિકોમાં તે 'આચિ સાહેબ' તરીકે જાણીતો થયો અને આ વિસ્તારનું નામ પડ્યું, આચિપુર. હાલના પશ્ચિમ બંગાળમાં દક્ષિણ ૨૪ પરગણાં જિલ્લાના બજ બજ નામના નગર નજીક આચિપુર નામનું ગામ આવેલું છે, જ્યાં આજેય એક ચાઈનીઝ શૈલીનું મંદિર અને યાંગ એચ્યુની કબર છે. બ્રિટીશરો સાથે વેપાર કરવા યાંગ એચ્યુ ચીનથી થોડા ઘણાં મજૂરો પણ લાવ્યો અને પછી તો ચીનના ઘણાં કામદારો બજ બજમાં આવીને વસ્યા. આ નગર સાથે બીજી પણ એક મહત્ત્વની ઐતિહાસિક તવારીખ જોડાયેલી છે. ઈસ. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ શિકાગોનું પ્રખ્યાત ભાષણ કરીને જળ માર્ગે પરત ફર્યા ત્યારે બજ બજના ફેરી ઘાટ પર ઉતર્યા હતા.

ભારત સરકારના વસતી વિષયક આંકડા પ્રમાણે, કોલકાતામાં ૧૯૦૧માં ૧,૬૪૦ ચાઈનીઝ વસતા હતા. બીજા વિશ્વ યુદ્ધના અંત પછી આ આંકડો આશરે ૨૭ હજારે પહોંચ્યો. આજેય કોલકાતામાં આશરે બે હજાર ચાઈનીઝ વસે છે. ચીનના લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળતા, પરંતુ સદીઓ પહેલાં કેટલાકે ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો હતો. આ પ્રકારના સાંસ્કૃતિક આદાનપ્રદાનનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે, કોલકાતાનું 'નામ સૂન' નામનું ચાઈનીઝ ચર્ચ. ભારત અને ચીનના ભોજનમાં થયેલું સાંસ્કૃતિક આદાનપ્રદાન સમજવા એ જાણવું જરૂરી છે કે, ચીનના કયા પ્રદેશોના લોકો કોલકાતા આવીને વસ્યા હતા? જવાબ છે, ચીનના ગુઆંગઝાઉ ઉર્ફ કેન્ટોન પ્રાંતના સુથારો, હક્કા હાન (હક્કા લોકો બનાવતા હતા એ હક્કા નુડલ્સ આજેય દુનિયાભરમાં લોકપ્રિય છે) વંશના જૂતાના કારીગરો અને ચામડાના વેપારીઓ, હુબેઈ પ્રાંતના દાંતના તબીબો અને શેડોંગ પ્રાંતના સિલ્કના કારીગરો. આ તમામ પ્રાંતના લોકો તેમની સાથે પોતપોતાની વાનગીઓ અને ખાણીપીણીની રીતભાતો લઈને આવ્યા. ચીન પણ ભારતની જેમ સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે અને ત્યાં પણ ભારતની જેમ દરેક પ્રાંતનું આગવું ફૂડ કલ્ચર છે.

યાંગ એચ્યુએ કોલકાતામાં આચિપુરમાં બનાવેલું મંદિર, જ્યાં તેણે વતનથી સાથે લાવેલી
બે મૂર્તિની સ્થાપના કરી હતી. તેનું મૂળ નામ યાંગ દાઝાઓ હતું, પરંતુ અપભ્રંશ થયા પછી
તે યાંગ કે તોંગ એચ્યુ અને પછી ‘આચિ સાહેબ’ તરીકે જાણીતો થયો હતો 

આચિપુર નજીક યાંગ એચ્યૂની કબર 

ચીનના લોકો સદીઓ પહેલાં પોતાની સાથે ચાઈનીઝ વાનગીઓ લઈને આવ્યા, પરંતુ ભારતની પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ કોલકાતામાં છેક ૧૯૨૪માં ખૂલી. નામ એનું નાનજિંગ ચાઈનીઝ રેસ્ટોરન્ટ. એ પછી આ રેસ્ટોરન્ટ બંધ પણ થઈ ગઈ, પરંતુ વિક્ટોરિયન શૈલીનું સ્થાપત્ય ધરાવતી બે માળની આ ઐતિહાસિક  રેસ્ટોરન્ટની આસપાસ ડિસેમ્બર ૨૦૧૩માં કચરાના ઢગ ખડકાયા ત્યારે મીડિયાએ તેની ભરપૂર નોંધ લીધી. રાજ કપૂર, દીલિપ કુમાર અને સુનિલ દત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ પણ ચાઈનીઝ ફૂડની લિજ્જત માણવા નાનજિંગની મુલાકાત લેતા. ચાઈનીઝ ફૂડના શોખીન બંગાળીઓ સહિત ભારતના અન્ય પ્રદેશોના ઉચ્ચ વર્ગીય પરિવારો યુરોપિયનોની પણ તે પ્રિય રેસ્ટોરન્ટ હતી. એ પછી પશ્ચિમ બંગાળથી લઈને દેશની આર્થિક રાજધાની મુંબઈ સુધી સંખ્યાબંધ ચાઈનીઝ રેસ્ટોરન્ટ ખૂલી. જોકે, ચાઈનીઝ ફૂડને ઈન્ડિયન ટેસ્ટ અપાયો, કોલકાતામાં.

ચીનના હક્કા હાન વંશના લોકો પૂર્વ કોલકાતામાં આવેલા તાન્ગરામાં આવીને વસ્યા હતા. તેમના કારણે જ આજેય આ પ્રદેશમાં પરંપરાગત ચર્મ ઉદ્યોગના કારખાના અને કારીગરો જોવા મળે છે. સૌથી પહેલાં અહીં વસતા ચાઈનીઝ લોકોએ નાનકડી દુકાનો અને ખુમચા શરૂ કરીને ચાઈનીઝ ફૂડ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. જોકે તેમના ગ્રાહકોમાં ચાઈનીઝ લોકોની સાથે ભારતીય મજૂરો પણ સામેલ હતા. આ ભારતીય ગ્રાહકોના ચટાકાને સંતોષવા તેમણે ચાઈનીઝ ફૂડમાં લીલા મરચાનો ભરપૂર ઉપયોગ શરૂ કર્યો. મૂળ ચાઈનીઝ વાનગીઓ મરચાંથી ખૂબ મોળી હોય છે. ત્યાર પછી તાન્ગરાની ચાઈનીઝ ઉર્ફ ઈન્ડો-ચાઈનીઝ વાનગીઓની સુગંધ પહેલાં કોલકાતામાં અને પછી મુંબઈ સુધી વિસ્તરી.


કોલકાતાની સૌથી પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ નાનજિંગના હાલ-બેહાલ

ટિપિકલ ઈન્ડો-ચાઈનીઝ  ફૂડ સર્વ કરતી યુ ચ્યૂનું પ્રવેશદ્વાર
 કોલકાતાની સૌથી જૂની રેસ્ટોરન્ટ્સ પૈકીની એક 

એ પછી ઈસ. ૧૯૨૪માં મુંબઈની વિખ્યાત તાજ મહેલ હોટેલમાં ભારતની પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ ખૂલી, જ્યાં ચીનના સિચુઆન પ્રાંતથી પ્રભાવિત ઈન્ડો-ચાઈનીઝ વાનગીઓ પીરસાતી. એ પહેલાં કોઈએ તીખું તમતમતું ચાઈનીઝ ફૂડ ચાખ્યું ન હતું. આ હાઈ એન્ડ રેસ્ટોરન્ટની અનેક ફૂડ બિઝનેસમેને નકલ કરી અને મુંબઈમાં સ્પાઈસી ચાઈનીઝ ફૂડના શોખીનો અસ્તિત્વમાં આવ્યા. આ સ્વાદ રસિયાઓના ચટાકાએ બીજાને પણ પ્રભાવિત કર્યા અને દેશમાં  અનેક સ્થળે ઈન્ડો-ચાઈનીઝ ફૂડ પીરસતી રેસ્ટોરન્ટ ખૂલી. ભારતમાં ઈન્ડો-ચાઈનીઝ ફૂડની લોકપ્રિયતાનું સૌથી મહત્ત્વનું કારણ છે ભારતીય સ્વાદ પ્રમાણેની ગ્રેવી, ચિલી-ગાર્લિક-જિંજર સોસ અને ભારતીય મસાલા. ચાઈનીઝ ફૂડમાં ભારતીય સ્વાદ પ્રમાણેની ગ્રેવીને ઘટ્ટ કરવા મકાઈના લોટનો ઉપયોગ કરાય છે. એ પછી ચાઈનીઝ ફૂડ દેશના ખૂણે ખૂણે પહોંચતું ગયું અને જે તે પ્રદેશોના સ્વાદ-સુગંધ પ્રમાણે ચાઈનીઝ વાનગીઓમાં 'ભારતની માટી'ની સુગંધ પણ ભળતી ગઈ. આ બધા કારણસર આપણને મેક્સિકનઈટાલિયન કે ફ્રેન્ચ ડિશીઝ કરતા ચાઈનીઝ ફૂડ વધારે ફેમિલિયર લાગે છે. હાલમાં જ ચીનની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે, હાઈબ્રિડ ચાઈનીઝ ફૂડની લોકપ્રિયતાના કારણે દેશમાં સૌથી વધુ ફૂડ સેન્સિટિવ ગણાતા ગુજરાતીઓને પણ અમુક ચાઈનીઝ ડિશ પોતીકી કેમ લાગવા માંડી છે? જેમ કે, નુડલ્સ, મન્ચુરિયન, ફ્રાય રાઈઝ કે રાઈઝ બેડ તૈયાર કરાતા કોઈ પણ પ્રકારના વેજિટેરિયન સિઝલર્સ.

આવી જ ઈન્ડો-ચાઈનીઝ હાઈબ્રિડ વાનગીઓ એટલે વેજ કે નોન વેજ મન્ચુરિયન ડિશીઝ. સૌથી પહેલા નેલ્સન વાંગ નામના સોફિસ્ટિકેટેડ કૂકે ચાઈનીઝ સ્ટાઈલ મન્ચુરિયનને ભારતીય સ્વાદ આપ્યો હતો. તેઓ કોલકાતામાં આવીને વસેલા એક ચાઈનીઝ વેપારીના પુત્ર હતા. તાજ હોટેલની એક ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં કૂક તરીકે જોડાઈને કારકિર્દી શરૂ કરનારા વાંગે ૧૯૭૦માં મન્ચુરિયન બનાવવા એક અનોખો પ્રયોગ કર્યો. ભારતીયોને ગ્રેવી સાથેની વાનગીઓ ખાસ પસંદ હતી એટલે તેમણે લીલા મરચાં, આદુ અને લસણના સૂપમાં (ચિલી-ગાર્લિક-જિંજર સોસ) સોયા સોસ અને મકાઈનો લોટ નાંખીને ભારતીય મરીમસાલા ભભરાવીને ઘટ્ટ ગ્રેવી બનાવી. આ ગ્રેવીમાં તેમણે મન્ચુરિયન બનાવ્યા અને એ પ્રયોગ ક્રાંતિકારી સાબિત થયો. આજે પણ આખા દેશમાં કહેવાતા વેજ કે નોન-વેજ ચાઈનીઝ ફૂડમાં આ બધી જ ચીજવસ્તુનો ઉપયોગ કરાય છે.

હોલિવૂડ સ્ટાર ગોલ્હી હૉનને આવકારતા ‘ચાઈના ગાર્ડન’ના માલિક અને ભારતમાં
સૌથી લોકપ્રિય ઈન્ડો-ચાઈનીઝ ડિશ ચિકન મન્ચુરિયનના શોધક નેલ્સન વાંગ.

‘ચાઈના ગાર્ડન’માં શમ્મી કપૂર અને રણધીરકપૂર 
એ જ રેસ્ટોરન્ટમાં પરમેશ્વર ગોદરેજ, ઈમરાન ખાન અને (પાછળ) શશી કપૂર

આ પ્રયોગ પછી નેલ્સન વાંગે મુંબઈમાં ઘણાં ફૂડ જોઈન્ટ્સ શરૂ કર્યા, જેમાંથી તેઓ ખૂબ નામ અને દામ કમાયા. મુંબઈની હાઈ સોસાયટીના લોકો કહેવાતા 'ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ' માટે વાંગની સૌથી જાણીતી મુંબઈના કેમ્પ્સ કોર્નર વિસ્તારમાં આવેલી 'ચાઈના ગાર્ડન' રેસ્ટોરન્ટની મુલાકાત લેતા. હોલિવૂડની અભિનેત્રી ગોલ્ડી હૉન, પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન આજેય લોકપ્રિય ગણાતી આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ ચૂક્યા છે. શમ્મી કપૂર અને રણધીર કપૂર પણ ત્યાં ચાઈનીઝ ફૂડ ખાતા ખાતા કલાકો વીતાવતા. છેક નેવુંના દાયકા સુધી ચાઈનીઝ 'સેલિબ્રિટી ફૂડ' ગણાતું, પરંતુ આજે તેનો વ્યાપ એટલો છે કે ભારતમાં સામાન્ય માણસો પણ સરળતાથી સારી ગુણવત્તાનું ઈન્ડો-ચાઈનીઝ ફૂડ ખાઈ શકે છે, જ્યારે હાઈ સોસાયટી માટે હાઈ એન્ડ રેસ્ટોરન્ટ્સમાં ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ પણ ઉપલબ્ધ છે.

જોકે, ચાઈનીઝ ફૂડના શોખીનોએ એ બાબતનું પણ ધ્યાન રાખવું કે, ઠેર ઠેર ખૂલી ગયેલી ચાઈનીઝ ફૂડ ઈટરીમાં સ્વાદ મોનોસોડિયમ ગ્લુટામેટ (ગુજરાતીમાં તે આજીનોમોટો નામે ઓળખાય છે, પરંતુ તે એક જાપાનીઝ નામ છે. તેનો અર્થ થાય છે, એસેન્સ ઓફ ટેસ્ટ) નામના ફૂડ એન્હાન્સરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું ફૂડ ટાળવું અને સારું ફૂડ પીરસતી રેસ્ટોરન્ટમાં જ ચાઈનીઝ ફૂડનો સ્વાદ માણવો. હાલ દેશની મોટા ભાગની ચાઈનીઝ રેસ્ટોરન્ટના માલિક અને કૂક ભારતીયો છે કારણ કે, ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી હજારો ચાઈનીઝને શંકાની નજરે જોવાતા. આ દરમિયાન અનેકને ચીન મોકલી દેવાયા અથવા રાજસ્થાનના ડિટેન્શન કેમ્પોમાં ધકેલી દેવાયા. ત્યાર પછી અનેક ચાઈનીઝ અમેરિકા, કેનેડા અને યુરોપના બીજા દેશોમાં જતા રહ્યા, પરંતુ તેઓ જતા જતા ભારતની ખાણીપીણી સંસ્કૃતિ સમૃદ્ધ કરતા ગયા.

આપણા અને ચીનના ચાઈનીઝ ભોજનમાં આસમાન જમીનનો તફાવત છે એ વાત ખરી, પરંતુ તમે ફૂડને લઈને વધારે પડતા ચૂઝી (ચીકણા) ના હોવ અને બધા પ્રકારના ટેસ્ટ કરવાની આભડછેટ ના રાખતા હોવ તો ચીનમાં પણ તમને તકલીફ નહીં પડે, એ વાતની ગેરંટી.