28 August, 2018

કાકા કાલેલકર: વરસાદી વાતો અને વિનોદવૃત્તિ


''વરસાદના દિવસ આવી ગયા છે! જ્યાં જ્યાં વરસાદ આવી ગયા છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનાં બાળકોને લઇ જઇને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી પાણી કેવી રીતે વહી જાય છે અને પાણી ઉચ્ચનીચનો ભેદભાવ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે એ બધું તેમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એમ નથી. જો છોકરાં બચપણમાં જ પાણીના વહેણનું અધ્યયન કરશે તો હિંદુસ્તાન માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો એટલે કે ભગીરથવિદ્યા- નદી નહેરોને કાબૂમાં લાવવાની વિદ્યા-નો તેઓ પ્રારંભ કરશે. હિંદુસ્તાન જેટલો દેવમાતૃક છે તેટલો જ નદીમાતૃક પણ છે. તેથી જ પર્જન્યવિદ્યા (મીટીઓરોલોજી) અને ભગીરથવિદ્યા (સાયન્સ ઓફ રિવર ટ્રેનિંગ) બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે...''

કાકા કાલેલકર

આશરે આઠ દાયકા પહેલાં દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉર્ફ કાકા કાલેલકરે 'ચોમાસું માણીએ!'  નામના લલિત નિબંધમાં આ શબ્દો લખ્યા હતા. ગુજરાતી ભાષામાં પ્રકૃતિ વિશે સૌથી વધારે અને ઉત્તમ કોણે લખ્યું હશે? જો આવો સવાલ પૂછાય તો એક ક્ષણનાયે ખચકાટ વિના કાકા કાલેલકરનું નામ આપી શકાય! ૨૧મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ કાકાની ૩૭મી પૂણ્યતિથિ ગઈ. એ નિમિત્તે કાકાના બે-ચાર વરસાદી લખાણો આજના સંદર્ભમાં યાદ કરીએ.

ઓછા શબ્દોમાં 'મોટી' વાત સરળતાથી અને વિનોદવૃત્તિથી કહેવાની કાકા પાસે જબરદસ્ત હથોટી હતી. લેખની શરૂઆતના ફકરામાં જ જુઓને. કાકાએ કેટલું બધું કહી દીધું છે! માબાપોએ સંતાનોને નજીકથી વરસાદ બતાવવો જોઈએ એવી સલાહ આપવાની સાથે તેમણે હળવેકથી એવું પણ કહી દીધું છે કે, પાણી ઉચ્ચનીચના ભેદભાવ રાખતું  નથી. આ ઉપરાંત તેમણે પર્જન્યવિદ્યા (હવામાન શાસ્ત્ર) અને ભગીરથવિદ્યા નામના બે નવા શબ્દ પણ આપ્યા છે.

***

આપણો કુદરત સાથેનો નાતો દિવસે ને દિવસે તૂટી રહ્યો છે ત્યારે કાકાના 'ક્લાસિક' લખાણો નવા નવા સ્વરૂપમાં આજની પેઢી સમક્ષ મૂકાવા જોઈએ. શહેરમાં રહેતા હોઈએ એટલે કુદરતની નજીક ના રહી શકાય એ આપણી સામૂહિક આળસવૃત્તિમાંથી પેદા થયેલી ગેરમાન્યતા છે. પ્રકૃતિનો આનંદ લેવા માટે ફક્ત દૃષ્ટિ અને રસ હોવો જરૂરી છે. નદી-ઝરણાંમાં ન્હાયા હોય, પર્વતો પર ઢીંચણ ટીચ્યા હોય, ઝાડ પર ચઢ્યા હોય, જંગલમાં રાત વીતાવીને બિહામણા અવાજ સાંભળ્યા હોય અને વડની વડવાઈઓ પર લટકીને હાથ છોલ્યા હોય એવા બાળકો લઘુમતીમાં આવતા જાય છે. વરસાદ પડે ત્યારે તો વનસ્પતિઓ ખીલી ઉઠે છે અને નવા નવા જીવજંતુના મેળા ભરાય છે. આ બધામાં બાળકો રસ લે એ માટે જાતે જ 'ઇન્સેક્ટ સફારીકરી શકાય. ગામડામાં કે નાના નગરમાં રહેતા હોઈએ તો વાંધો નથી, પરંતુ શહેરમાં હોઇએ તો આસપાસના બગીચા, નાનકડા વન-વગડાં જેવા વિસ્તારો, મેદાનો અને ખાડામાં ભરાયેલા પાણી તેમજ ખેતરોમાં જઈને વનસ્પતિઓ અને જીવજંતુઓને નજીકથી નિહાળવા જઈ શકાય.


જુદી જુદી પ્રજાતિની ચેલ્સિડ વાસ્પ


મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં પુરુષવાડી જેવા અનેક સ્થળે
આગિયાઓનું રંગીન વાવાઝોડું જોવાનો ઉત્તમ સમય મેથી જૂન

આ વિશે પણ કાકાએ 'ચોમાસું માણીએ!'માં સરસ વાત કરી છે. વાંચો એમના જ શબ્દોમાં. ''વનસ્પતિસૃષ્ટિની અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ થવી જોઈએ. વનસ્પતિવિદ્યા અને કીટવિદ્યા જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ પેદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપથી માંડીને 'જાદુઇ ટોર્ચ' સાથે રાખનાર આગિયા સુધીના બધા કીટકોનો આકાર, રંગ, એમનો સ્વભાવ, એમનો આહાર, એમનું કાર્ય- આ બધાનું નિરીક્ષણ કરવું જોઈએ. હિંદુસ્તાનની વનસ્પતિઓનું તો પૂછવું જ શું? શારદા અને અન્નપૂર્ણા, શાકંભરી અને જગધાત્રી બધી દેવીઓનું સ્મરણ કરીને વનસ્પતિવિદ્યાનો આ દિવસોમાં પ્રારંભ કરવો જોઈએ...''

આ પૃથ્વી પર કેટલી પ્રજાતિના જંતુ છે? જવાબ ચોંકાવનારો છે, આશરે એંશી લાખ. અને આજનું વિજ્ઞાન તેમાંથી કેટલા જંતુઓને ઓળખે છે? એ આંકડો તો એનાથીયે વધુ ચોંકાવનારો છે, ફક્ત ૧૩ લાખ. છેલ્લાં એકાદ દાયકામાં ભારતમાંથી જીવજંતુઓની અનેક નવી પ્રજાતિ મળી છે. જેમ કે, અંજીરના ફળમાં રહેતી ૩૦ નવી પ્રજાતિ અને મેટાલિક રંગની ચળકતી મધમાખીઓ (સાયન્ટિફિક નામ ચેલ્સિડ વાસ્પ અથવા ચેલ્સીડોઈડિયા). આ ઉપરાંત કીડી અને સાયકોડિડ ફ્લાય (રુંવાટી ધરાવતી ભૂખરી માખીઓ)ની ત્રણ-ત્રણ પ્રજાતિ.

ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ નાગાલેન્ડમાંથી વૉટર સ્ટ્રાઇડરની ૧૦૦થી પણ વધારે પ્રજાતિ શોધી કાઢી છે. અત્યાર સુધી આખા ભારતમાં ફક્ત પાંચ પ્રકારના જ વૉટર સ્ટ્રાઇડર જાણીતા હતા. આપણે અનેકવાર નદી, તળાવો, કેનાલો, કૂવા, પાણી ભરેલા ખેતરો, ખાબોચિયા અને સ્વિમિંગ પુલમાં વૉટર સ્ટ્રાઇડર્સ  જોયા હશે, જે શરીર કરતા ખૂબ જ લાંબા પગની મદદથી પાણીની સપાટી પર બેઠા હોય છે. કુદરતે તેને ત્રણ જોડી પગ આપ્યા હોવાથી પાણીમાં રહેતા બીજા જીવડાં કરતા અલગ તરી આવે છે. કેટલા બધા વૈવિધ્યપૂર્ણ જીવો રહે છે આપણી આસપાસ! પરંતુ આપણે માણસો તો એકબીજાને પણ માંડ ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ.

***

ભારત તો જંતુસૃષ્ટિને લઈને પણ અતિ સમૃદ્ધ છે, પરંતુ આપણા દેશમાં ક્યાંય ઈન્સેક્ટ મ્યુઝિમય નથી. હા, કોલકાતાના ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, કોઝિકોડના વેસ્ટર્ન ઘાટ રીજનલ સેન્ટર અને બેંગાલુરુના નેશનલ બ્યુરો ઓફ એગ્રિકલ્ચરલ ઈન્સેક્ટ રિસોર્સીસમાં ઘણાં જીવજંતુઓના નમૂના સચવાયેલા છે. આ ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા બેંગલુરુના અશોકા ટ્રસ્ટે પણ એકાદ હજાર પ્રજાતિના જીવજંતુઓના એક લાખ નમૂના ભેગા કર્યા છે. ત્યાં સુધી લાંબા થવાય તો ઠીક છે, નહીં તો વરસાદી માહોલમાં કાદવમાં જઈને પણ નવા નવા જીવજંતુઓની દુનિયા જોવી જોઈએ અને બાળકોને તો ખાસ બતાવવી જોઈએ. કાકાએ તો 'કાદવનું કાવ્ય' નામે પણ એક સુંદર નિબંધ લખ્યો છે. કાદવની વાત કરતા કાકા કહેતા કે, આપણે બધાનું વર્ણન કરીએ છીએ તો કાદવનું કેમ નહીં? કાદવ શરીર પર ઊડે એ આપણને ગમતું નથી અને તેથી આપણને તેના માટે સહાનુભૂતિ નથી. એ વાત સાચી પણ તટસ્થતાથી વિચાર કરતા કાદવમાં કંઈ ઓછું સૌંદર્ય નથી હોતું.


વૉટર સ્ટ્રાઈડર


કાદવે લખેલું કાવ્ય 

કાદવ વિશે વાંચો તેમના જ શબ્દોમાં : ''નદીકાંઠે કાદવ સુકાઈને તેના ચોસલાં પડે છે ત્યારે તે કેટલા સુંદર દેખાય છે! વધારે તાપથી તે જ ચોસલાં નંદવાય અને વાંકા વળી જાય ત્યારે સુકાયેલા કોપરા જેવા દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દૃશ્ય કંઈ ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલાં, ગીધ અને બીજા નાનાંમોટાં પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવા તેમના પદચિહ્નો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી કાદવ પર પડેલા જોઈ આ રસ્તે આપણે આપણો કાફલો (Caravan) લઈ જઈએ એમ આપણને થાય છે.’’

કાદવ વિશે આ બધી વાતો કરીને કાકા એક નવી જ વાત કરે છેઃ  ''કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે. અને તેટલાથી તૃપ્તિ ન થાય તો સીધા ખંભાવ જવું. ત્યાં મહી નદીના મુખ આગળ નજર પહોંચે ત્યાં સુધી બધે સનાતન કાદવ જ જોવાને મળે. આ કાદવમાં હાથી ડૂબી જાય એમ કહેતાં ન શોભે એવી અલ્પોક્તિ કરવા જેવું છે. પહાડના પહાડ એમાં લુપ્ત થાય એમ કહેવું જોઈએ.''

***

પહેલી ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ મહારાષ્ટ્રના સતારામાં મરાઠી પરિવારમાં જન્મેલા કાકાએ આશરે ૯૬ વર્ષના આયુષ્યમાં રાજકીય-સામાજિક વ્યસ્તતા વચ્ચે પ્રચુર માત્રામાં લખ્યું. માતૃભાષા મરાઠી હતી, પરંતુ લખ્યું ગુજરાતીમાં. મરાઠી અને હિન્દીમાં પણ થોડું લખ્યું, પરંતુ ગુજરાતીની સરખામણીએ નહીં બરાબર. એટલે જ ગાંધીજીએ તેમને 'સવાઇ ગુજરાતી' કહીને બિરદાવ્યા હતા. બલવંતરાય ઠાકોરે ૧૯૩૧માં 'આપણી કવિતાસ્મૃદ્ધિ'ની પ્રસ્તાવનામાં ગુજરાતી ભાષાના દસ શ્રેષ્ઠ ગદ્યકારોની યાદીમાં કાકા કાલેલકરના નામનો ઉલ્લેખ કર્યો છે. કાકાએ સેંકડો માઈલના પ્રવાસ કરીને તેમજ જીવનભર રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યવસ્તતા વચ્ચે પ્રચુર માત્રામાં લખ્યું. 'કાલેલકર ગ્રંથાવલિ' નામના ૧૫ દળદાર ગ્રંથમાં કાકાના કાવ્યાત્મક ગદ્યનો સમાવેશ કરાયો છે. ખૂબ જ નજીવી કિંમતે ઉપલબ્ધ આ પુસ્તકોનો સેટ આચાર્યશ્રી કાકા કાલેલકર ગ્રંથાવલિ સમિતિએ પ્રકાશિત કર્યો છે.


કાલેલકર ગ્રંથાવલિનો પહેલો ભાગ 

કાકાના લખાણોની પહોંચ પ્રવાસવર્ણનોથી લઈને ધર્મ, શિક્ષણ, પ્રવાસ, ચિંતન અને લલિત નિબંધો સુધી વિસ્તરેલી છે, પરંતુ ગ્રંથાવલિની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી નોંધે છે તેમ, ''કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં ખીલી ઊઠે છે. ભૂગોળના રસિયા તેવા જ ખગોળની સૌંદર્યસમૃદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશ્રીનું આકંઠ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેકવાર કાવ્યની કોટિએ પહોંચે છે. કાકાસાહેબને બીજી એક મોટી અને વિરલ એવી બક્ષિસ છે વિનોદવૃત્તિની...''

***

'કાદવનું કાવ્ય'માં જ વાંચો કાકાની વિનોદવૃત્તિનો એક નમૂનો ''આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોત તે કાદવનો તિરસ્કાર ન કરત. એક નવાઈની વાત તો જુઓ. પંક શબ્દ ઘૃણાસ્પદ લાગે છે અને પંકજ શબ્દ કાને પડતાં જ કવિઓ ડોલવા અને ગાવા માંડે છે. મલ(ળ) તદ્દન મલિન ગણાય પણ કમલ(ળ) શબ્દ સાંભળતા-વેંત પ્રસન્નતા અને આહ્લાદકત્વ ચિત્ત આગળ ખડાં થાય છે. કવિઓની આવી યુક્તિશૂન્ય વૃત્તિ તેમની આગળ મૂકીએ તો કહેવાના કે, તમે વાસુદેવની પૂજા કરો છો એટલે કંઈ વસુદેવને પૂજતા નથી, હીરાનું ભારે મૂલ આપો છો પણ કોલસાનું કે પથ્થરનું આપતા નથી, અને મોતીને ગળામાં બાંધીને ફરો છો પણ તેની માતુશ્રીને ગળામાં બાંધીને ફરતા નથી. કવિઓ સાથે ચર્ચા ન કરવી એ જ ઉત્તમ.''

પંક એટલે કાદવ અને પંકજ એટલે કમળ. વાસુદેવ એટલે કૃષ્ણ, જ્યારે વસુદેવ એટલે કૃષ્ણના પિતા. એવી જ રીતે, મોતીની માતા એટલે એક પ્રકારની માછલી. જો કાકાની સિક્સરો બાઉન્સર ગઇ હોય તો આ શબ્દો સમજીને બીજી વાર વાંચી જુઓ.


પાછલી ઉંમરે ઉમાશંકર જોશી અને જ્યોત્સના જોશી સાથે કાકા 

'પહેલો વરસાદ' નામના નિબંધમાં પણ કાકાની રમૂજવૃત્તિ કમળની જેમ ખીલી છે. વાંચો: ''વરસાદને થયું કે ધ્વનિ જો બધે પ્રસરે છે, તો હું પણ આ માનવી કીટોના દરમાં શા માટે ન પેસું? દુર્વાસાની જેમ 'અયં અહં ભો:' કરીને એણે બેચાર ટીપાં અમારી ઓરડીઓમાં નાખ્યાં. અમે બહાદુરીથી પાછળ હઠ્યા. સરસ્વતીના કમળો પાણીમાં રહ્યાં છતાં પાણીથી અલિપ્ત રહી ભીંજાતાં નથી, પણ સરસ્વતીના પુસ્તકોને એ કળા હજી પ્રાપ્ત થઈ નથી. તેમને તો દરવાજા પાસેથી ભગાડવા એ જ ઇષ્ટ હતું. પુસ્તકોને દૂર ખૂણામાં મૂકી મનમાં કહ્યું: 'કઠિણ સમય યેતાં કોણ કામાસા યેતો' એટલે કે કઠણ વખત આવી પડ્યે કોણ કામ આવે? ખૂણો (કોણ) કામ આવે ખરો! જોતજોતામાં વરસાદે હુમલો જોશમાં ચડાવ્યો. આખી ઓરડી એણે ભીની કરી મૂકી જ પણ તદ્દન ભીંતે અડીને પાથરેલી પથારીને મળવા આવવાનું પણ તેને મન થઈ આવ્યું. મેં પણ કાંબળો ઓઢીને પ્રસન્ન મને તેનું સ્વાગત કર્યું. વર્ષાની શરૂઆતની આ પહેલી સલામીની કદર કરવાનું મન કોને ન થાય?''

આટલું લખીને કાકાના શબ્દો શાંત થયા હોય એવું લાગે છે, પરંતુ બીજા જ ફકરામાં તેઓ ફરી એકવાર સૂક્ષ્મ હાસ્યથી વાચકને નવડાવી દે છે: વાંચો. ''વરસાદ ગયો કે તરત જ પાથરણાના એક કકડાથી જમીન લૂછી લીધી અને સરકારના લેણદારની જેમ ઊમરા ઉપર ઓશીકું મૂકીને નિરાંતે સૂઈ ગયો. તફાવત એટલો જ કે લેણદાર ઊમરાની બહારની બાજુએ પડી રહે છે જ્યારે હું તેની અંદરની બાજુએ સૂતો.''

***

'કુદરત મારું પ્રિય પુસ્તક છે' એવું કહેનારા કાકાએ વરસાદ કે કાદવની જેમ વાદળ, ધુમ્મસ, વીજળી, મેઘગર્જના, મેઘનૌકા, સૂરજ, ચંદ્ર, તારા, નદી, પહાડો, પથ્થર, દરિયો, પરોઢ, જુદી જુદી ઋતુઓની સવાર-સંધ્યા અને રાત્રિ, વનસ્પતિઓ, કોયલ અને ચામાચીડિયાં વિશે પણ લખ્યું છે. કાકા વિશે આપણા વિદ્વાન સાહિત્યકાર અને ગુજરાતી વિશ્વકોષના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરે લખ્યું હતું કે: એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરુષભર્યું તેજ પણ છે, ગૌરવ છે એટલો જ પ્રસાદ છે.

22 August, 2018

૪૨ને ફાંસી, ૧૧૪ને 'સજા એ કાલાપાની' અને...


ભારતને બ્રિટીશ રાજમાંથી મુક્ત કરાવવા ગદર પાર્ટીના સભ્યોએ અમેરિકાની ધરતી પર ગુપ્ત યોજના  ઘડી હતી. જોકે, થોડા સમયમાં આ કાવતરાનો પર્દાફાશ થઈ ગયો, અને, બ્રિટીશ રાજના દબાણ પછી અમેરિકન સરકારે ૨૦મી નવેમ્બર, ૧૯૧૭ના રોજ ૧૭ ક્રાંતિકારીને જેલની સજા ફટકારી. હિંદુસ્તાનને ગુલામીની જંજીરોમાંથી છોડાવવાનો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ ક્રાંતિકારીઓના એ અભૂતપૂર્વ કારનામાએ ભારતમાં બીજા હજારો ક્રાંતિકારીઓને બ્રિટીશ રાજ સામે શિંગડા ભરાવવાની પ્રેરણા આપી હતી.

ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં એ કાવતરું ક્યારે, કેવા સંજોગોમાં, કોણે ઘડ્યું હતું અને એ 'ગુના' બદલ કોને સજા થઈ હતી એ વિશે વિગતે વાત કરી. આજે ઈતિહાસના એ ગૂમનામ પ્રકરણ વિશે બીજી થોડી વાત.

અમેરિકામાં ચાંપેલી આગ ભારત પહોંચી

અમેરિકામાં ઘડેલા કાવતરા પ્રમાણે ગદર પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ ભારત આવી ગયા હતા. તેઓ બેઠકો, ભાષણો, સાહિત્ય સર્જન અને તેનું વિતરણ તેમજ પત્રવ્યવહાર કરીને બીજા યુવાનોને પણ બ્રિટીશ રાજ સામે શસ્ત્રો ઊઠાવવાની પ્રેરણા આપતા. આ ઉપરાંત તેમણે કેનેડા, મેક્સિકો, જાપાન, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં સ્થાયી થયેલા હજારો ભારતીય યુવાનોને પણ  બ્રિટીશરો સામે યુદ્ધ છેડવા ભારત આવી જવા પ્રોત્સાહિત કરવાનું મહત્ત્વનું કામ કર્યું હતું. આ દરમિયાન ક્રાંતિકારી નેતાઓએ બ્રિટીશ સેનામાં ફરજ બજાવતા ભારતીય સૈનિકોની ઉશ્કેરણી કરવાની યોજના પણ અમલમાં મૂકી હતી. આ ઉશ્કેરણીના કારણે જ બ્રિટીશ સેનાની અનેક છાવણીઓમાં મોટા પાયે ભાંગફોડ થઈ હતી.


સોહન સિંહ ભકના (જમણેથી બીજા) ૧૯૩૮માં ૬૮ વર્ષની ઉંમરે પંજાબના
અમૃતસર રેલવે સ્ટેશન પર બ્રિટીશ પોલીસના હાથે ઝડપાયા ત્યારે 

કરતાર સિંહ સરાભા અને ભગત સિંહ

અમેરિકન કાયદાની છટકબારીઓના કારણે સેન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયેલા ક્રાંતિકારીઓ ઘણો લાંબો સમય સુધી બચવામાં સફળ રહ્યા, અને, પકડાયા પછી પણ તેમને વધુમાં વધુ બે વર્ષની જેલ થઈ. જોકે, ભારતમાં તો બ્રિટીશરોનું રાજ હતું. અમેરિકન સરકાર ક્રાંતિકારીઓ વિરુદ્ધ પગલાં લે એ પહેલાં બ્રિટીશ પોલીસે ભારતમાં ૨૯૧ 'કાવતરાખોર'ની ધરપકડ કરી લીધી હતી. આ તમામ સામે સંખ્યાબંધ આરોપો મૂકાયા, જેની સુનવણી ૧૯૧૫માં ૧૩થી ૨૪ સપ્ટેમ્બર સુધી કુલ ૧૨ દિવસ ચાલી. તમામ ક્રાંતિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં બ્રિટીશરોએ કોઈ કસર ના છોડી, જેમાં ૨૯૧ ક્રાંતિકારી પૈકી ૪૨ને ફાંસી, ૧૧૪ને આંદામાનની જેલમાં 'સજા એ કાલાપાની' અને ૯૩ને નાની-મોટી જેલની સજા ફટકારાઈ. અમુક લોકો નિર્દોષ પણ છૂટ્યા. આ કેસની તપાસ માટે લાહોરમાં ખાસ પંચ નિમાયું હતું, જેથી આ ઘટના ક્રમ ઈતિહાસમાં ‘લાહોર કોન્સ્પિરેસી કેસ ટ્રાયલ’ તરીકે દર્જ થયેલો છે.

લાહોરમાં ફાંસીની સજા પામનારા ૪૨ ક્રાંતિકારીઓમાં વિષ્ણુ ગણેશ પીંગળે, કરતાર સિંહ સરાભા, હમાર સિંઘ સિઆલકોટી, બક્ષિશ સિંઘ, ભાઈ બલવંત સિંઘ, બાબુ રામ, હરમામ સિંઘ, હાફિઝ અબ્દુલ્લા અને રૂર સિંઘ જેવા અગ્રણી યુવા નેતાઓનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન બનારસ, સિમલા, દિલ્હી અને ફિરોઝપુરમાં પણ નાના-મોટા કાવતરાનો બ્રિટીશરોએ પર્દાફાશ કર્યો, ધરપકડો કરી અને ક્રાંતિકારીઓને આકરામાં આકરી સજા સંભળાવી. એક થિયરી પ્રમાણે, ગદર પાર્ટીએ ચાંપેલી આગ આખા હિંદુસ્તાનમાં ભડકી ઉઠશે એવા ડરના કારણે જ પંજાબમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો હતો.

ભગત સિંહ ખિસ્સામાં કોની તસવીર રાખતા?

આ ક્રાંતિકારીઓ સામે લાહોરમાં સુનવણી ચાલતી હતી ત્યારે કરતાર સિંઘ સરાભાએ અદાલતમાં બ્રિટીશ રાજના અન્યાય સામે છટાદાર અને જુસ્સાભેર ભાષામાં આક્રમક રજૂઆતો કરી. એ વખતે તેમની ઉંમર હતી, ફક્ત ૧૯ વર્ષ. તેઓ પણ ગદર પાર્ટીના સભ્યોએ ઘડેલા કાવતરાનો અમલ કરવા સેન ફ્રાન્સિસ્કોથી ભારત પરત ફર્યા હતા. કરતાર સિંઘ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા, પરંતુ દેશભક્તિના રંગે રંગાયેલા એ પંજાબી યુવકે માંડ ૧૭ વર્ષની ઉંમરે અગ્રણી ક્રાંતિકારીઓ સાથે મળીને ગદર પાર્ટીની સ્થાપનામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ ટીમમાં તેઓ સૌથી નાના હોવાથી ગદર પાર્ટીના પહેલા પ્રમુખ અને સ્થાપક સભ્ય સોહન સિંઘ ભકના તેમને લાડમાં 'બાબા જનરલ' કહેતા હતા. લાહોર પંચની તપાસમાં સોહન સિંઘ ભકનાને પણ ફાંસીની સજા ફટકારાઈ હતી, જે પાછળથી જનમટીપમાં પરિવર્તિત થઈ હતી.
૨૪મી માર્ચ, ૧૯૧૪ના રોજ પ્રસિદ્ધ ‘હિંદુસ્તાન ગદર’ની ઉર્દૂ આવૃત્તિ,
જેની નીચે વાંચી શકાય છેઃ અંગ્રેજી રાજ કા દુશ્મન
૧૯૧૬માં પંજાબી ભાષામાં પ્રકાશિત ‘ગદર દી ગુંજ’

ગદર પાર્ટી દ્વારા 'હિંદુસ્તાન ગદર' નામનું એક અઠવાડિક અખબાર પણ પ્રકાશિત કરાતું. આ અખબારના નામ નીચે એક લટકણિયું મૂકાતું, 'અંગ્રેજી રાજ કા દુશ્મન'. કરતાર સિંઘે કિશોરવયે જ તેની પંજાબી આવૃત્તિનું તંત્રીપદ સંભાળી લીધું હતું, જેમાં તેઓ દેશદાઝથી છલોછલ કવિતાઓ અને લેખો લખતા. આ અખબારમાં નાટ્યાત્મક શૈલીમાં 'ગદર' ઉર્ફે 'ક્રાંતિ'ની જાહેરો ખબર પણ છપાતી. વાંચો એક ઉદાહરણઃ ગદરે ભારતમાં ક્રાંતિ જાહેર કરી છે. જોઈએ છેઃ બહાદુર સૈનિકો. પગારઃ સજા એ મૌત, વળતરઃ શહીદી, પેન્શનઃ આઝાદી અને યુદ્ધનું મેદાનઃ ભારત. હવે ખૂબ ઓછા સમયમાં પેન અને શાહીનું સ્થાન બંદૂકો અને લોહી લેશે... 

ભગત સિંહની ધરપકડ થઈ ત્યારે તેમના ખિસ્સામાંથી કરતાર સિંઘની તસવીર મળી હતી. ભગત સિંઘના માતાએ કહ્યું હતું કે, મારો પુત્ર ઘણીવાર મને એ તસવીર બતાવીને કહેતો કે, વ્હાલી મા, આ જ મારો અસલી હીરો, મિત્ર અને સાથીદાર છે... 'ગદર' અખબારને 'ગેરકાયદે' રીતે દુનિયાભરમાં પહોંચાડવામાં પણ કરતાર સિંઘે જબરદસ્ત આયોજનો કર્યા હતા. 



આ અખબારની ઉર્દૂ
, હિંદી, બંગાળી, પશ્તુ અને ગુજરાતી આવૃત્તિ પણ પ્રસિદ્ધ થતી. 'ગદર'ની ગુજરાતી આવૃત્તિનું સુકાન એક કચ્છી ગુજરાતી ક્રાંતિકારી સંભાળતા હતા. એમનું નામ છગન ખેરાજ વર્મા. કમનસીબે, આજેય આપણી પાસે તેમના વિશે ખાસ કોઈ જાણકારી નથી, પરંતુ જાણીતા ઈતિહાસકાર વિષ્ણુ પંડ્યાએ સખત મહેનત કરીને છગન ખેરાજ વર્મા વિશે ઘણી અધિકૃતિ (એક તસવીર સહિત) માહિતી ભેગી કરી છે. ગદર પાર્ટીના સભ્યો સમાજવાદ, દેશપ્રેમ અને ક્રાંતિકારી સાહિત્યના ફેલાવા માટે ‘ગદર દી ગુંજ’ અને ‘તલવાર’ જેવા ચોપાનિયા-પત્રિકાઓ પણ પ્રસિદ્ધ કરતા હતા. 

ગદર પાર્ટીની રચનામાં ગુજરાતીની ભૂમિકા

અમેરિકામાં ગદર પાર્ટીની સ્થાપના ૧૯૧૩માં થઈ હતી. જોકે, એના ઘણાં સમય પહેલાં વિદેશી ધરતી પર  બ્રિટીશ રાજ વિરોધી સંસ્થાકીય પ્રવૃત્તિ શરૂ થઈ હતી. વિદેશમાં બ્રિટીશ વિરોધી 'રાષ્ટ્રવાદ'નો પાયો નાંખવામાં મૂળ કચ્છના શ્યામજી કૃષ્ણ વર્માનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. ભારતને સ્વરાજ અપાવવાના હેતુથી તેમણે લંડનમાં ૧૯૦૫માં 'ઈન્ડિયન હોમ રૂલ સોસાયટી' સ્થાપી હતી. આ સોસાયટીએ લંડનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ રહી શકે એ માટે 'ઈન્ડિયા હાઉસ' રૂ કર્યું હતું. શ્યામજી કૃષ્ણ વર્મા 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામની એક જર્નલ પણ પ્રકાશિત કરતા. તેમની સોસાયટીને મેડમ ભીકાઇજી કામા, દાદાભાઇ નવરોજી, સરદારસિંહ રાવજી રાણા, વીર સાવરકર, વી. એન. ચેટરજી, લાલા હરદયાલ અને મદન લાલ ધીંગરા જેવા અનેક આક્રમક નેતાઓનો સાથ હતો.


શ્યામજી કૃષ્ણ વર્મા અને મદનલાલ ધીંગરા

‘ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ’નો સપ્ટેમ્બર ૧૯૦૮નો અંક, જેના કવરપેજ પર
મદનલાલ ધીંગરા (ક્લોકવાઈઝ), વી. વી. સુબ્રમણ્યમ ઐયર, વીર સાવરકર,
પાંડુરંગ મહાદેવ બાપટ, મોડ ગોન મેકબ્રાઈટ (ક્રાંતિકારી આઈરિશ મહિલા),
એમ.પી. તિરુમાલ આચાર્ય, અનંત લક્ષ્મણ કનહરે અને સી. પી. વેંકટ
જેવા જુવાળવાદી નેતાઓની તસવીર પ્રકાશિત કરાઈ હતી 

સેન ફ્રાન્સિસ્કોમાં આવેલા ગદર પાર્ટીના વડા મથક  યુગાંતર આશ્રમની 
૧૯૫૧માં ટી.એસ. સીબિયા નામના ફોટોગ્રાફરે લીધેલી તસવીર 

ધીંગરાએ લંડનમાં બ્રિટીશ ભારતીય લશ્કરી અધિકારી વિલિયમ હુટ કર્ઝન વેઇલીની હત્યા કરતા સ્કોટલેન્ડ યાર્ડે હોમ રૂલ સોસાયટી સાથે સંકળાયેલા નેતાઓ પર ધોંસ બોલાવી હતી. એ પછી અનેક નેતાઓ ફ્રાંસ અને જર્મની જેવા દેશોમાં જતા રહ્યા. એવું કહેવાય છે કે, ધીંગરાએ કરેલી હત્યા એ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનું પહેલું ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી ૧૯૧૦ સુધી હોમ રૂલ સોસાયટીની પ્રવૃત્તિઓનો તબક્કાવાર અંત આવ્યો, પરંતુ એ પહેલાં શ્યામજી કૃષ્ણ વર્માનો ભેટો લાલા હરદયાલ અને અબ્દુલ હાફિઝ મોહમ્મદ બરકતુલ્લાહ જેવા નેતાઓ સાથે થઈ ગયો હતો. બરકતુલ્લાહે તો ઈન્ડિયન હોમ રૂલ સોસાયટીની તર્જ પર ન્યૂ યોર્કમાં પાન આર્યન એસોસિયેશનની પણ સ્થાપના કરી હતી.

એવી જ રીતે, તારકનાથ દાસ ન્યૂ યોર્કમાં 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ'ની મિરર ઈમેજ જેવી 'ફ્રી હિંદુસ્તાન' નામની જર્નલ પ્રકાશિત કરતા હતા. શ્યામજી કૃષ્ણ વર્માથી પ્રેરિત આવા અનેક યુવાનો બાદમાં ગદર પાર્ટીના અગ્રણી નેતાઓ તરીકે ઊભર્યા. વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી ફંડ ઉઘરાવીને આશરે બત્રીસેક ક્રાંતિકારીઓએ સેન ફ્રાન્સિસ્કોની હિલ સ્ટ્રીટમાં ‘યુગાંતર આશ્રમ’ની સ્થાપના કરીને ગદર પાર્ટીની શરૂઆત કરી હતી. 

***  

ગદર પાર્ટી સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક હતી. ગદરના સભ્યોએ જાહેર કર્યું હતું કે, અમારો ધર્મ ફક્ત એક જ છે, દેશપ્રેમ. આ પાર્ટીના સ્થાપક મંડળમાં મંગુરામ મુગોવાલિયા નામના એક દલિત યુવાન પણ હતા, જે પાછળથી પંજાબના અગ્રણી દલિત નેતા તરીકે લોકપ્રિય થયા હતા. આઝાદીના આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ ઈન્દિરા ગાંધીએ તેમનું સન્માન કરીને પેન્શન જાહેર કર્યું હતું.

ઈતિહાસકારોના મતે, ગદર પાર્ટીએ કરેલા આંદોલનને કોઈ જ એક જ વ્યક્તિ કે સંસ્થાનું કેન્દ્રિય નેતૃત્વ ન હતું. દુનિયાભરમાંથી ભારત આવેલા ક્રાંતિકારીઓ પોતપોતાના જૂથોમાં આક્રમક રીતે સક્રિય જરૂર હતા, પરંતુ તેઓ એક હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ એકજૂટ ન હતી. ક્રાંતિકારીઓ દ્વારા કરાતી છુટીછવાઈ ભાંગફોડની બ્રિટીશરો પર ખાસ કોઈ અસર નહોતી થતી. આ ઉપરાંત ગદર આંદોલનના એપિસેન્ટર ગણાતા પંજાબ અને બંગાળ જેવા પ્રદેશોમાં લાખો લોકો બ્રિટીશ રાજની કૃષિલક્ષી નીતિઓથી ખુશ હતા. બ્રિટીશ સેનામાં પણ બ્રિટીશ રાજ તરફી ભારતીય સૈનિકો હતા. આ લોકોએ 'ગદર'ને નિષ્ફળ બનાવવા બ્રિટીશ રાજના જાસૂસો તરીકે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નોંધઃ આ લેખનો ભાગ-૧ અહીં 

17 August, 2018

ગદર : એક અમેરિકન કથા


અમેરિકાની સેન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ દિવસે ખાસ્સી ચહલપહલ હતી. દિવસ હતો, ૨૦મી નવેમ્બર, ૧૯૧૭. ભારતથી હજારો કિલોમીટર દૂર અમેરિકાની એ અદાલતમાં આરોપીઓ તરીકે ૧૭ ભારતીય, નવ જર્મન અને નવ અમેરિકનને હાજર કરાયા હતા. ભારતીયો પર બ્રિટીશ રાજ સામે સશસ્ત્ર બળવાનું કાવતરું ઘડવાનો અને જર્મનો-અમેરિકનો પર તેમને મદદ કરવાનો આરોપ હતો. ઠાંસોઠાંસ ભરાયેલી અદાલતમાં દેશદાઝથી લાલઘૂમ સંખ્યાબંધ ભારતીયો ઊડીને આંખે વળગી રહ્યા હતા કારણ કે, તેમના માથા પર રંગબેરંગી પાઘડીઓ હતી. એમ પણ, એ દિવસે અદાલતમાં શીખોની સંખ્યા વધારે હતી. આ સુનવણી ૨૪મી એપ્રિલ ૧૯૧૮ સુધી એટલે કે કુલ ૧૫૫ દિવસ સુધી ચાલી, જેમાં તમામ ભારતીયોને ૨૨ મહિનાથી લઈને બે વર્ષ સુધીની જેલની સજા થઈ. એટલું જ નહીં, તે અમેરિકાના ઈતિહાસની સૌથી મોંઘી અદાલતી કાર્યવાહી સાબિત થઈ. એ જમાનામાં આ કેસની તપાસ માટે અમેરિકાને ૪.૫૦ લાખ ડૉલર અને બ્રિટનને અઢી મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ થયો હતો.

ભારતના સ્વતંત્રતા સંગ્રામનું આ અત્યંત મહત્ત્વનું પ્રકરણ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયું છે. હાલમાં જ અમેરિકાના ઓરેગન સ્ટેટે ભારતની આઝાદી સાથે સંકળાયેલા આ ઘટનાક્રમને સ્કૂલ અભ્યાસક્રમમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. શીખ ઈતિહાસકારોએ તો આ આંદોલન વિશે અઢળક સંશોધન કર્યું છે, પરંતુ આજેય એક સરેરાશ ભારતીય આ તવારીખથી પૂરતો વાકેફ નથી.

શું હતું એ કાવતરું? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં થોડું બેકગ્રાઉન્ડ.

કાવતરું ઘડાયું એ વખતનું ભારત

ઇસ. ૧૯૦૦ સુધીમાં બ્રિટીશ રાજ સામેના સ્વાતંત્ર્ય સંગ્રામનું સુકાન મહદ્અંશે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના હાથમાં આવી ગયું હતું. આ દરમિયાન ૨૮મી જુલાઈ, ૧૯૧૪ના રોજ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયું. એ વખતે કોંગ્રેસના નેતાઓ બે ભાગમાં વહેંચાયેલા હતા, જુવાળવાદી (એક્સ્ટ્રિમિસ્ટ) અને મવાળવાદી (મોડરેટ). કોંગ્રેસમાં મવાળવાદી નેતાઓનું વર્ચસ્વ હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન્દ્રનાથ બોઝની આગેવાનીમાં નક્કી કર્યું કે, પહેલા વિશ્વ યુદ્ધમાં બ્રિટીશરોને સાથ આપવો, પરંતુ કોંગ્રેસના જ અનેક જુવાળવાદી નેતાઓ આ યુદ્ધને બ્રિટીશરો સામે જંગ છેડવાની સુવર્ણ તક તરીકે જોતા હતા. તેઓ માનતા હતા કે, અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોની સંખ્યા સારી એવી છે. જો તેમને 'બળવો' કરાવવામાં સફળતા મળે તો દેશને બ્રિટીશ રાજમાંથી મુક્તિ અપાવી શકાય.

ભૂપેન્દ્રનાથ બોઝ 

પેરિસ પહોંચેલા શીખ સૈનિકો પૈકી એકના યુનિફોર્મમાં ગુલાબનું ફૂલ ખોસીને સ્વાગત કરતી
ફ્રેન્ચ મહિલા (ક્લોક વાઇઝ), જેરુસલેમમાં હોવિત્ઝર તોપો સાથે રાજપૂતાના સૈનિકો,
નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પર ગોરખા રાયફલ્સના સૈનિકો અને છેલ્લે
ફ્રાંસના સોમમાં બ્રિટીશરોની મદદે પહોંચેલા ભારતના બાયસિકલ ટ્રૂપ્સ.

જોકે, એવું ના થયું. ઊલટાનું પહેલા વિશ્વ યુદ્ધના ચારેક વર્ષના ગાળામાં બ્રિટીશ રાજ વતી ૧૩ લાખ ભારતીય સૈનિકો-મજૂરોએ યુરોપ, આફ્રિકન અને ખાડી દેશોમાં સેવા આપી. યુદ્ધના અંતે ૪૭,૭૪૬  ભારતીય સૈનિક શહીદ થયા અને ૬૫,૧૨૬ ઘાયલ થયા. યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી હતી. દુનિયાભરમાં આમ આદમી બેહાલ હતા અને ભારતીયો પણ તેમાંથી બાકાત ન હતા. યુદ્ધ પૂરું થયા પછી અંગ્રેજો ભારતીય અર્થતંત્રને પાટે ચઢાવવામાં નિષ્ફળ રહ્યા. તેઓ ભારતને અનુદાન (ગ્રાન્ટ) પણ આપી  ના શક્યા અને કોંગ્રેસના નરમપંથી નેતાઓના ભ્રમ ભાંગી ગયા. આ સ્થિતિએ બ્રિટીશરો પાસેથી પૂર્ણ સ્વરાજ મેળવવાના આંદોલનનો જન્મ થયો, જેના આગેવાન હતા મોહનદાસ કરમચંદ ગાંધી. પહેલું વિશ્વયુદ્ધ વિશ્વયુદ્ધ ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પૂરું થયું, જ્યારે 'બારિસ્ટર ગાંધી' નવમી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ આફ્રિકાથી ભારત પરત આવી ગયા હતા.

અંગ્રેજો પહેલા વિશ્વયુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે દેશભરમાં અનેક નાના-મોટા ક્રાંતિકારી નેતાઓએ તેમને પરેશાન કરવામાં કશું બાકી ના રાખ્યું. બ્રિટીશ રાજ વિરોધી પ્રવૃત્તિના એપિસેન્ટર પંજાબ અને બંગાળ હતા.  જોકે, આ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિની બ્રિટીશ રાજ પર ખાસ કંઈ અસર નહોતી થતી, પરંતુ અરાજકતાના એ માહોલમાં ક્રાંતિકારી નેતાઓને દેશભરમાં લોકપ્રિયતા અને સામાન્ય માણસોનો સાથ મળ્યો. બ્રિટીશ રાજ વિરોધી પ્રવૃત્તિને અંગ્રેજો પોલીસ અને જાસૂસી તંત્રની મદદથી અત્યંત કડક હાથે ડામી દેતા. આ દરમિયાન અનેક ક્રાંતિકારી નેતાઓ ભારત છોડીને અમેરિકા, કેનેડા, મેક્સિકો, જાપાન, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં વિખરાઈ ગયા હતા. એ દેશોમાં રહીને ઉચ્ચ અભ્યાસ અને નોકરી-ધંધો કરતા અનેક યુવકો ભારતમાં બ્રિટીશ રાજ સામે ક્રાંતિ કરવા નાની-મોટી પ્રવૃત્તિઓ કર્યા કરતા.

આ સ્થિતિને પારખીને જ બ્રિટીશ રાજે ક્રાંતિકારીઓને કડક હાથે ડામી દેવા માર્ચ ૧૯૧૫માં ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૧૫ની રચના કરી હતી.

...અને હજારો ગદરો ચૂપચાપ ભારત આવ્યા

પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયાના પાંચેક મહિના પહેલાં, ફેબ્રુઆરી ૧૯૧૫માં, અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ બ્રિટીશ રાજ સામે સશસ્ત્ર જંગ છેડવાનું અભૂતપૂર્વ કાવતરું ઘડ્યું. આ યુવાનો ગદર પાર્ટી નામની રાજકીય સંસ્થા હેઠળ એકજૂટ હતા. આ યોજનાનો અમલ કરવા ગદરના અગ્રણી સભ્યોને જર્મનીની બર્લિન સમિતિ, સેન ફ્રાન્સિસ્કોમાં આવેલું જર્મન દૂતાવાસ અને ભારત સહિત વિવિધ દેશોમાં રહીને ભૂગર્ભ પ્રવૃત્તિ કરતા ક્રાંતિકારીઓની પણ મદદ મળી હતી.

કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભગવાન સિંહ જ્ઞાનીના બે રૂપ

વિષ્ણુ ગણેશ પીંગળે (ક્લોકવાઈઝ), લાલા હર દયાલ (સૌથી મોટી તસવીર),
પંડિત કાંશી રામ અને ભાઈ પરમાનંદ

પહેલા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટન અને તેના સાથી દેશોની જર્મની સામેની દુશ્મનાવટ ચરમસીમાએ હતી. આ સ્થિતિનો લાભ લઈને ગદરના સભ્યોએ ભારતીય ક્રાંતિકારીઓને શસ્ત્રો અને દારૂગોળાનો જંગી જથ્થો આપવા જર્મનોને મનાવી લીધા. જર્મનીની મંજૂરી મળતા જ અમેરિકામાં ગદર પાર્ટીના નેતાઓ વિષ્ણુ ગણેશ પીંગળે, કરતાર સિંઘ, સંતોક સિંઘ, પંડિત કાંશી રામ અને ભગવાન સિંઘ જ્ઞાની સહિત કુલ આઠ હજાર ક્રાંતિકારીઓ વિવિધ દેશોમાંથી તબક્કાવાર ભારત આવી ગયા. એ લોકોએ ભારતીય યુવાનો તેમજ અંગ્રેજોની સેનામાં નોકરી કરતા ભારતીય સિપાઈઓમાં ક્રાંતિ માટે ચેતના જગાવવાની જવાબદારી લીધી હતી. આ માટે તેઓ બેઠકો, ભાષણો અને સાહિત્યના વિતરણનું કામ કરતા. આ ઉપરાંત તેઓ સરકારી શસ્ત્રોની લૂંટ, અંગ્રેજ સેનામાં કાર્યરત ભારતીય સૈનિકોની ઉશ્કેરણી, બોમ્બ બનાવવાનું શીખવું અને બીજાને શીખવાડવું તેમજ અંગ્રેજ સેનાની છાવણીઓમાં ગાઢ સંપર્ક બનાવવા જેવી પ્રવૃત્તિઓમાં પણ જોરશોરથી કરતા.

આ જ ક્રાંતિકારી નેતાઓએ અંગ્રેજ સેનાની સિંગાપોર છાવણીમાં ૮૫૦ ભારતીય સૈનિકની ઉશ્કેરણી કરીને ભાંગફોડ કરાવી હતી. ગદર ચળવળનો સૌથી મહત્ત્વનો હિસ્સો બોમ્બ બનાવવાનો હતો, પરંતુ ક્રાંતિકારીઓને તેનું કોઈ જ્ઞાન ન હતું. આ કામમાં તેઓને કેલિફોર્નિયામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રનાથ બોઝની મદદ મળી હતી, જે તારકનાથ દાસ નામના બીજા એક બંગાળી બૌદ્ધિકના સાથીદાર હતા. આ સમગ્ર આયોજનમાં અમેરિકાસ્થિત ગદર પાર્ટીના સભ્યો ભારતના ક્રાંતિકારીઓને ભંડોળ પૂરું પાડતા. આ ઉપરાંત બ્રિટીશરોના કટ્ટર વિરોધી જર્મન નેતાઓ અને દુનિયામાં ફેલાયેલા બીજા ક્રાંતિકારીઓ સાથે સંવાદ સાધવામાં પણ અમેરિકાસ્થિત ક્રાંતિકારીઓની ભૂમિકા મહત્ત્વની રહેતી. બ્રિટનને આ વાત ખૂંચતી. તેઓ અમેરિકાને ગદર પાર્ટીના સભ્યોની પ્રવૃત્તિ પર રોક લગાવવાનું દબાણ કરતા, પરંતુ ક્રાંતિકારીઓ અમેરિકા વિરોધી પ્રવૃત્તિ નહીં કરતા હોવાથી બચી જતા. વળી, અમેરિકામાં કયા કાયદા હેઠળ તેમને રોકવા એ પ્રશ્ન તો હતો જ!

આ દરમિયાન બ્રિટન સરકારને લાગ્યું કે, જો અમેરિકા પહેલા વિશ્વયુદ્ધમાં આપણું સાથીદાર બને તો તેમને બ્રિટીશ રાજ વિરુદ્ધ ભાંગફોડ પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં લેવા મનાવી શકાય. છેવટે પહેલું વિશ્વ યુદ્ધ ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પૂરું થયું તેના માંડ છ મહિના પહેલાં, છઠ્ઠી એપ્રિલ ૧૯૧૭ના રોજ, અમેરિકાએ બ્રિટનને સાથ આપીને જર્મનો સામેના યુદ્ધમાં ઝંપલાવ્યું. ત્યાં સુધી અમેરિકા 'તટસ્થ' હતું. અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવવાની તૈયારી કરી એ જ ગાળામાં, માર્ચ ૧૯૧૭માં, અમેરિકામાં ગદર પાર્ટીના સભ્યોની ધરપકડ શરૂ કરાઈ.

કાવતરું ઘડવા બદલ કોને સજા થઈ?

ગદર ચળવળનો ગૂમનામ ઈતિહાસ વાંચતી વખતે એવા અનેક ક્રાંતિકારીઓ સામે આવતા રહે છે, જેમના વિશે આપણી પાસે ખૂબ જ ઓછી અથવા નહીંવત માહિતી છે. આ ઉપરાંત એવા પણ નામો વાંચવા મળે છે, જે આપણે ક્યારેક સાંભળેલા છે પણ તેમણે વિદેશમાં રહીને દેશ માટે આપેલા બલિદાનોનો આપણને અંદાજ નથી. જે કોઈ ક્રાંતિકારીઓ વિશે માહિતી છે, તેમના વિશે પૂરતી માહિતી આપવા એક લેખ પણ ઓછો પડે!
બ્રિટીશ ઈન્ટેલિજન્સની નજર ચૂકવીને જાપાન જતા રહેલા રાશ બિહારી બોઝ
તેમની જાપાનીઝ પત્ની તોશિકો બોઝ સાથે અને ઈનસેટ તસવીરમાં જતીન મુખરજી

જેમ કે, તારકનાથ દાસ. ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાનું શીખવાડનારા આ બંગાળી બાબુ ગદરની થિંક ટેન્ક પૈકીના એક હતા. એક સમયે તેમણે લિયો ટોલ્સટોય સાથે પોતાની યોજનાઓની ચર્ચા કરી હતી. અતિ વિદ્વાન એવા તારકનાથ વિદેશમાં રહીને અનેક ભારતીય યુવાનોમાં દેશદાઝના સંસ્કાર રોપવામાં તેઓ સફળ રહ્યા હતા. આવું જ બીજું એક મહત્ત્વનું પાત્ર એટલે લાલા હરદયાલ. અમેરિકાના પેસિફિક કોસ્ટના કાંઠે ઉતરતા હજારો શીખ યુવાનોને ભારતમાં અંગ્રેજ શાસન સામે એકજૂટ કરવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેઓ ગદર પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. ભારતમાં સંસ્કૃત વિષયમાં માસ્ટર ડિગ્રી લીધા પછી લાલા હરદયાલને કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી હતી. એ પછી તેઓ 'કંઈક' કરવા માટે બ્રિટનથી લઈને ફ્રાંસ, અલ્જિરિયા જેવા દેશોમાં ફર્યા. આઈડેન્ટિટી ક્રાઈસીસની પીડામાં તેમણે હિંદુ-બૌદ્ધ ધર્મનો પણ ઊંડો અભ્યાસ કર્યો. એ વખતે તેમનો ભેટો વિખ્યાત આર્ય સમાજી ભાઈ પરમાનંદ સાથે થયો. તેઓ પણ ગદર પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. પરમાનંદના આદેશથી લાલા હરદયાલ આર્ય સંસ્કૃતિનો પ્રચાર કરવા અમેરિકા જવા રવાના થયા અને ગદર ચળવળની થિંક ટેન્ક તરીકે ઊભર્યા.

ભારતસ્થિત હજારો ક્રાંતિકારીઓની મદદ વિના આ કાવતરાનો અમલ કરવો શક્ય ન હતો, પરંતુ ગદર પાર્ટીનું આંદોલન ભૂલાઈ જવાના કારણે ભારતમાં તેમને મદદ કરનારા અનેક ક્રાંતિકારીઓ પણ ભૂલાઈ ગયા. જેમ કે, જતીન મુખરજી. બંગાળમાં 'યુગાંતર' નામે ચાલતી ભૂગર્ભ ચળવળના તેઓ આગળ પડતા યુવા નેતા હતા. અમેરિકાથી આવેલા વિષ્ણુ ગણેશ પીંગળે અંગ્રેજો સામે સશસ્ત્ર બળવો કરવા સૌથી પહેલાં જતીન મુખરજીને જ મળ્યા હતા. બ્રિટીશ રાજ સામે ક્રાંતિ કરવાના સપનાં જોતા એ ‘નવાસવા’ યુવાનો યોગ્ય લાગતા જ જતીન મુખરજીએ તેમની મુલાકાત રાશ બિહારી બોઝ સાથે કરાવી હતી. એ પછી અમેરિકાની ધરતી પર ઘડાયેલા કાવતરાનો ભારતમાં અમલ કરવામાં રાશ બિહારી બોઝે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

***

આ કાવતરું ઘડવા બદલ તારકનાથ અને ભગવાન સિંઘ જ્ઞાનીને સૌથી વધારે બે વર્ષની જેલ થઈ. બ્રિટન ઈચ્છતું હતું કે, આ તમામને અમેરિકા ડિપોર્ટ કરી દે, જેથી તેઓ સામે ભારતમાં કેસ ચલાવી શકાય. જોકે, અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેને કાયદા વિરુદ્ધનું ગણાવ્યું. આ કેસમાં જેલની સજા પામનારા અન્ય ૧૫ સભ્યમાં બિશન સિંઘ હિંદી, ચંદર કાન્તા ચક્રવર્તી, ધીરેન્દ્ર કુમાર સરહા, ગોવિંદ બિહારી લાલ, ગોધા રામ, ગોપાલ સિંઘ, ઈમામ દિન, મહાદેવ અબાજી નાંદેકર, મુન્શી રામ, નિરંજન દાસ, નિધારા સિંઘ, સુંદર સિંઘ ઘલ્લી, સંતોક સિંઘ, રામ સિંઘ અને રામ ચંદ્ર જેવા ક્રાંતિકારીઓ સામેલ હતા


અમેરિકામાં સજા પામનારા એ 17 ભારતીયો અને સુનવણી દરમિયાન વારંવાર ચમકેલા બીજા ચાળીસેક નામની યાદી

આ કેસની અમેરિકન મીડિયામાં 'હિંદુ જર્મન કોન્સ્પિરેસી' અને 'ગદર મ્યુટિની' તરીકે વ્યાપક નોંધ લેવાઈ હતી. ખાસ કરીને સુનવણીના છેલ્લા દિવસે રામ સિંઘ નામના ગદર પાર્ટીના એક સભ્યે પોતાના જ સાથીદાર રામ ચંદ્રની ભરચક અદાલતમાં ગોળી મારીને હત્યા કરી દેતા સનસનાટી મચી ગઈ હતી. એ પછી અદાલતમાં ઊભેલા એક પોલીસ જવાને પણ રામ સિંઘને તાત્કાલિક ગોળી મારી દીધી. રામ સિંઘને શંકા હતી કે, રામ ચંદ્રે ગદરના ભંડોળનો દુરુપયોગ કર્યો છે. આ કેસની ૧૫૫ દિવસની સુનવણીમાં લાલા હરદયાલ અને રાશ બિહારી બોઝ સહિત કુલ ૪૦ નામો વારંવાર ચમક્યા, પરંતુ તેમાંના મોટા ભાગના અમેરિકામાં ન હોવાથી બચી ગયા. આ ઘટના બ્રિટીશરો માટે મ્યુટિની (બળવો) હતી, આપણા માટે નહીં. ભારત માટે એ આઝાદીનું આંદોલન હતું.

ગદર પાર્ટીની રચનાનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આ પાર્ટીના સભ્યોને પ્રેરિત કરવામાં એક ગુજરાતીએ  પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગદર પાર્ટી એક અખબાર પણ પ્રકાશિત કરતી હતી, જેની ગુજરાતી આવૃત્તિનું તંત્રીપદ એક ગુજરાતી ક્રાંતિકારીને સોંપાયું હતું.

આવી બીજી ઘણી બધી વાતો આવતા અઠવાડિયે. 

નોંધઃ તમામ તસવીરો ગૂગલ પરથી લીધી છે, જ્યારે સત્તર ભારતીયો સહિત બીજા ચાળીસેક આરોપીઓના નામની યાદી બતાવતી તસવીર સાઉથ એશિયન અમેરિકન ડિજિટલ લાઇબ્રેરીની (ઓપન સોર્સ) છે.