28 June, 2016

ઉડતા જાસૂસ: કલ, આજ ઓર કલ


એક સમયે ફક્ત લશ્કરી કે અન્ય હેતુથી વિકસાવેલી ટેક્નોલોજી સામાન્ય માણસના જીવનમાં એટલી ધસમસતી આવે છે કે પછી એને લગતા કાયદા-કાનૂન બનાવવા સરકારે રીતસરનું દોડવું પડે છે. આ વાતનું સૌથી તાજું ઉદાહરણ કોઈ હોય તો તે છે, ડ્રોન ટેક્નોલોજી. નજીકના ભૂતકાળનું આવુ વધુ એક ઉદાહરણ આપવું હોય તો સ્માર્ટફોનનું આપી શકાય. સ્માર્ટફોનથી ઘણાં મહત્ત્વના કામ થઈ શકે છે પણ કોઈને કલ્પનાય નહોતી કે, સ્માર્ટફોનનો સૌથી વધારે ઉપયોગ સેલ્ફી લેવા માટે થશે અને દુનિયાના અનેક દેશોએ બીજા અનેક કાયદાકાનૂનની સાથે સેલ્ફી માટે પણ નીતિનિયમો બનાવવા પડશે! ડ્રોન સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. સુરક્ષાના કારણસર ભારતમાં ડ્રોન ઉડાડવું ગેરકાયદે હોવા છતાં દેશમાં હજારો લોકો ડ્રોનની માલિકી ધરાવે છે. ભારતમાં મોટા ભાગના લોકોએ ડ્રોન ઓનલાઈન ખરીદ્યા છે. હજુ એપ્રિલ ૨૦૧૬માં જ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશને ડ્રોનને લગતી ડ્રાફ્ટ (ફાઈનલ નહીં) પોલિસી જાહેર કરી છે, જે અંતર્ગત તમે ડ્રોનની માલિકી ધરાવતા હોવ તો તેનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર મેળવવો જરૂરી છે.

ટેકનિકલ ભાષામાં ડ્રોન વિમાનો ‘અનમેન્ડ એરિયલ વ્હિકલ’ તરીકે ઓળખાય છે. બિનફળદ્રુપ ઈંડામાંથી જન્મેલી, ખૂબ અવાજ કરતી, કદરૂપી ડ્રોન’ નામની નર માખીઓના નામ પરથી આ વિમાનો ‘ડ્રોન’ નામે જાણીતા થયા છે. હવે અનમેન્ડ એરિયલ વ્હિકલ દુનિયાભરમાં ડ્રોન’ તરીકે જ ઓળખાય છે. હજુ ગઈ કાલ સુધી લશ્કરમાં સરહદે દેખરેખ રાખવા, જાસૂસી કરવા કે કામચલાઉ નકશા બનાવવા ડ્રોનનો ઉપયોગ થતો હતો. આજે દુનિયાના અનેક દેશોમાં પોલીસ, ફિલ્મમેકરો, ફોટોગ્રાફરો, રોડ કે રેલવે કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર કામ કરતા એન્જિનિયરો તેમજ કૃષિ અને ખાણકામ ક્ષેત્રે ડેટા ભેગા કરવા સર્વેયરો પણ ડ્રોનનો મોટા પાયે ઉપયોગ કરે છે. કાલે એવું પણ થઈ શકે છે કે, ઓનલાઈન ઓર્ડર કરેલું પુસ્તક આપવા તમારા ઘરે કોઈ માણસ નહીં પણ ડ્રોન આવે!



વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક કોમર્સ કંપની એમેઝોનના ભેજાબાજ સીઈઓ જેફ બેઝોસે વર્ષ ૨૦૧૩માં જ ડિલિવરી કરવા માણસ નહીં પણ ડ્રોન જશે એ વિચાર રજૂ કર્યો હતો. એ વખતે અનેક લોકોએ બેઝોસની વાત હળવેકથી લઈને ઉડાવી દીધી હતી. બેઝોસે હજુ તો આ વિચાર રજૂ કર્યો હતો ત્યાં એપ્રિલ ૨૦૧૬થી જાપાનમાં ટ્રાયલ બેઝ પર ડ્રોન ડિલિવરી કરવાનું શરૂ થઈ ગયું છે. આ તો જાપાનની વાત છે, ભારતમાં પણ ડ્રોનની ડ્રાફ્ટ પોલિસી જાહેર થઈ એનો અર્થ એ છે કે, અહીં પણ ડ્રોનના ખૂબ ઝડપથી સારા દિવસો આવશે! એક સમયે હવાઈ તુક્કા જેવી લાગતી ટેક્નોલોજી ક્યારે આપણા જીવનનો હિસ્સો બની જાય છે એનો અહેસાસ સુદ્ધાં થતો નથી એટલે ડ્રોન ટેક્નોલોજી વિશે પણ આવી આશા રાખી શકાય.

અત્યારે બેંગલુરુમાં નેશનલ ડિઝાઈન એન્ડ રિસર્ચ ફોરમ નામની સંસ્થા ૪૦ કિલોગ્રામ સુધીના આઈસબોક્સ  ૧૫૦ કિલોમીટર દૂર સુધી ડિલિવરી કરી શકે એવા ડ્રોન વિકસાવી રહી છે. કેમ? જો આવું ડ્રોન બની જાય તો બરફમાં મૂકેલા માનવ અંગો ટ્રાન્સપ્લાન્ટના હેતુથી એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં પહોંચાડી શકાય. અત્યારે કોઈ દર્દીનો જીવ બચાવવા એકમાંથી બીજી હોસ્પિટલમાંથી માનવ અંગ પહોંચાડવું હોય તો ડૉક્ટરોનો જીવ સતત અદ્ધર રહે છે. હોસ્પિટલ મેનેજમેન્ટે ટ્રાફિક પોલીસની મદદ લેવી પડે છે. આ મુશ્કેલીઓના કારણે એવી સુવિધાનો ઉપયોગ પણ ખૂબ જ મર્યાદિત છે, પરંતુ ૪૦ કિલોગ્રામ સુધીનું વજન લઈને ૧૫૦ કિલોમીટર દૂર જઈ શકે એવા ડ્રોન હોય તો આ તમામ મુશ્કેલીઓનો જ અંત આવી જાય! આવા હેતુથી વિકસાવાઈ રહેલા ડ્રોન માટે તબીબો પાસે પણ સૂચનો મંગાવાયા હતા, જેથી તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન તૈયાર કરી શકાય. જો નેશનલ ડિઝાઈન એન્ડ રિસર્ચ ફોરમ આવા ડ્રોન વિકસાવવામાં સફળ થશે તો મેડિકલ ઈમર્જન્સી ક્ષેત્રે એ ક્રાંતિકારી ઘટના હશે!

ભારતમાં છેલ્લાં પાંચેક વર્ષમાં જ સુરક્ષા અને દેખરેખ સિવાયના હેતુથી ડ્રોનનો ઉપયોગ કરવાનું પ્રમાણ વધ્યું છે. પ્રધાનમંત્રી બીમા ફસલ યોજનામાં દરેક ખેડૂતને વીમાનો યોગ્ય લાભ મળી રહે એ માટે જમીનો માપવાનું કામ ડ્રોનની મદદથી કરાયું હતું, એ જાણીતી વાત છે. આ વખતે તો ઉત્તરાખંડ સરકારે હરિદ્વારના અર્ધ કુંભ મેળામાં આવતી ભીડનું મેનેજમેન્ટ કરવા ડ્રોન તૈનાત કર્યા હતા. આ કામ પ્રાઈવેટ કંપનીના ડ્રોન એક્સપર્ટ્સને સોંપાયું હતું. ભારતના મંદિરો અને ધાર્મિક મેળાવડામાં દોડધામ થતાં મોટા પાયે જાનહાનિ થાય છે. આ મુશ્કેલીનો અંત લાવવા પણ ડ્રોન ટેક્નોલોજી અસરકારક નીવડી શકે એમ છે. હાલ દેશના ૧૩ નેશનલ પાર્કમાં શિકારીઓ પર બાજનજરરાખવા પણ ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વનો અભ્યાસ કરવા દહેરાદૂનની વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાએ વર્ષ ૨૦૧૪માં વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ સાથે જોડાણ કર્યું હતું. માટે તેઓ ૪૦ કિલોમીટરના વિસ્તારમાં ભ્રમણ કરી શકે એવા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતમાં જંગલોના ડેટા ભેગા કરવાનું મોટા ભાગનું કામ મેન્યુઅલી વધારે થાય છે. માટે જંગલોમાં રઝળપાટ પણ કરવી પડે છે. વળી, કેન્દ્રિય જંગલ ખાતામાં નિષ્ણાતો અને ક્લેરિકલ સ્ટાફની સખત અછત છે. આ સ્થિતિમાં મેન્યુઅલી થતા કામમાં ડ્રોન ટેક્નોલોજી ઘણી મદદરૂપ થાય છે. ભારત સરકારની જાણીતી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગેઈલ)એ તેની મધ્યપ્રદેશની ગેસ પાઈપલાઈનની ડ્રોનથી દેખરેખ રાખવા ટેન્ડર બહાર પાડ્યા હતા. બેંગલુરુની એક કંપનીએ નદીઓ, જળાશયો અને તળાવોમાં જમા થઈ જતી શેવાળનો કયાસ કાઢવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. દેશમાં તમામ ક્ષેત્રમાં ચોક્કસ આંકડા, વિગતો અને ભૌગોલિક સ્થિતિની માહિતી જાણવા પણ ડ્રોન જ ઉપયોગી નીવડવાના છે. કદાચ એટલે જ માર્ક ઝુકરબર્ગે ભારતના ગામે ગામ ઈન્ટરનેટ પહોંચાડવા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. 

હવે ક્રિકેટ મેચની લાઈવ એરિયલ ફોટોગ્રાફી માટે પણ ડ્રોનનો ઉપયોગ વધ્યો છે. ડ્રોન સહેલાઈથી ઉપલબ્ધ હોવાથી અત્યારે અનેક કંપનીઓ એરિયલ ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને ઈન્ડસ્ટ્રિયલ સર્વેની સર્વિસ આપે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે ઈમર્જન્સી રિસ્પોન્સ આપીને લોકોના જીવ બચાવવા સરકાર પણ ડ્રોન કંપનીઓની સર્વિસ લે છે. આ કંપનીઓ ડ્રોનની મદદથી નિશ્ચિત સમયમાં ડેટા ગેધરિંગથી માંડીને એરિયલ સર્વેની પણ સર્વિસ આપે છે, જેના માટે તેઓ પ્રતિ દિન રૂ. ૫૦ હજાર સુધીનો ચાર્જ વસૂલે છે. આ પ્રકારની કંપનીઓમાં સ્વાભાવિક રીતે જ રિમોટ કંટ્રોલથી ડ્રોન ઉડાડવાના નિષ્ણાતોની જરૂર પડે. આમ, ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપ વધશે તો રોજગારીનું પણ સર્જન થશે!

છેલ્લાં પાંચેક વર્ષમાં આવેલી હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ એરિયલ ફોટોગ્રાફી માટે ડ્રોનનો મોટા પાયે ઉપયોગ થયો છે. એક સમયે એરિયલ શોટ્સ લેવા હેલિકોપ્ટરોનો ઉપયોગ કરાતો, જેમાં જોખમ પણ વધારે રહેતું. જોકે, હવે ડ્રોનથી એનાથી પણ વધારે સારી અને સસ્તી એરિયલ ફોટોગ્રાફી થઈ શકે છે. થોડા સમય પહેલાં આવેલી તમાશામાં સિનેમેટોગ્રાફર રવિ વર્મને સંખ્યાબંધ શોટ્સ ડ્રોનથી લીધા હતા. નજીકના ભવિષ્યમાં ભારતમાં ડ્રોનનો ઉપયોગ ખૂબ જ વધશે એવું માનવાનું સૌથી મહત્ત્વનું કારણ છે, સસ્તી ટેક્નોલોજી. ડ્રોનમાં હાઈટેક સેન્સર્સની જરૂર નથી, તેનાથી બહુ જ મોટા વિસ્તારમાં સસ્તામાં કામ થઈ જાય છે. વળી, મેન્યુઅલી કામ કરીએ તેના કરતા ડ્રોનથી થયેલું કામ વધારે ચોક્કસ હોય છે. જેમ કે, જમીન-ખેતરોની માપણીનું કામ.

જોકે, કોમર્શિયલ હેતુથી ડ્રોનનો ઉપયોગ કરતી કંપનીઓએ સ્થાનિક પોલીસ અને બીજા વિભાગોની મંજૂરી લેવી પડે છે. આ કંપનીઓ લિગલી બિઝનેસમાં હોવાથી આવી મંજૂરી લઈ લે છે, પરંતુ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવેલા ડ્રોન વધુ ઊંચાઈએ ઉડી શકતા નહીં હોવાથી આવી મંજૂરી લેવાની જરૂર હોતી નથી. ડીજીસીએની નવી માર્ગદર્શિકા પ્રમાણે, જમીનથી ૨૦૦ ફૂટ ઊંચે ઊડતા ડ્રોનની જ મંજૂરી લેવી પડે છે. એટલું જ નહીં, શોખથી ઉડાડવામાં આવતા ડ્રોનને ચોક્કસ નીતિનિયમો અંતર્ગત કાયદેસરતા આપવાનું પણ વિચારાઈ રહ્યું છે.

એક સમયે આ ઉડતા જાસૂસની શોધ એકસાથે આટલા બધા ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે એવી કોઈએ કલ્પના સુદ્ધાં નહોતી કરી!

20 June, 2016

સાલેમન ગાનેમન, જુલાબ ગુલાબ અને આસમાની સુલતાની


તમે રોજ સવારે જે છાપું વાંચો છો એને અખબાર પણ કહેવાય છે. આ અખબારશબ્દ કેવી રીતે આવ્યો? જવાબ છે, ફારસી શબ્દ ખબરપરથી. ઈરાનની રાષ્ટ્રભાષા ફારસી છે અને ત્યાં અખબાર માટે ખબર-નામઃશબ્દ વપરાય છે.

આપણે થોડા સમયથી અનામતશબ્દ પણ ખૂબ વાંચીએ-સાંભળીએ છીએ. આપણા દેશમાં પીએચ.ડી.ના વિષયો જોતા કોઈ વિદ્યાર્થી ‘અનામત આંદોલન વખતે ગુજરાતી અખબારોમાં અનામત શબ્દના ઉપયોગનું તુલનાત્મક અધ્યયન’ જેવા વિષયમાં ડૉક્ટરેટની થઈ જાય તો પણ નવાઈ નહીં! ખેર, ‘અનામતશબ્દ ફારસી શબ્દ અમાનતપરથી આવ્યો છે, જેનો અર્થ વિશ્વાસુ હોવું, વિશ્વાસુપણું, થાપણ, સંભાળ માટે સોંપેલી વસ્તુ એવો થાય છે. અનામત આંદોલન વખતે ગુજરાતમાં અફરાતફરીનો માહોલ હતો. આપણે આ અફરાતફરીશબ્દથી પણ પરિચિત છીએ! આ શબ્દનું મૂળ પણ ફારસી શબ્દ ‘ઈફરાતો તફરીતમાં મળે છે. ફારસીમાં ફરત્ એટલે હદથી વધી જવું અને તફરીતએટલે પ્રમાણ કરતાં ઓછું થઈ જવું. આ બંને શબ્દને ભેગા કરીને ઈફરાતો તફરીતશબ્દ આવ્યો. જે રોજિંદા જીવનની સમસ્યાઓના બે અંતિમ છેડા બતાવવા એટલે કે ઊથલપાથલ, દોડધામ, ગભરાટ, ગોટાળો કે અવ્યવસ્થાના અર્થમાં વપરાય છે. આવી રીતે ગુજરાતીમાં શબ્દ મળ્યો, અફરાતફરી.

ગુજરાતીમાં આસમાની સુલતાનીશબ્દનો અર્થ ઘણી વાર ખોટી રીતે વપરાય છે. સાર્થ જોડણીકોશ પ્રમાણે આ શબ્દનો અર્થ ચડતીપડતી’, ‘અણધારી આફતકે કોપએવો થાય છે. તેનું મૂળ પણ ફારસીમાં છે. આસમાની એટલે આસમાનને લગતું અને સુલતાની એટલે સુલતાનને લગતું. અણધારી આફત બે જણ થકી જ આવે. એક આકાશમાંથી અને બીજી સુલતાન તરફથી. એના પરથી આવ્યો આસમાની સુલતાની એટલે કે અણધારી આફત.

‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોશ’- ભાગ-૧થી ૪માં ગુજરાતી અને ફારસીના ફ્યૂઝનની આવી જાતભાતની માહિતી મળે છે. ડૉ. છોટુભાઈ રણછોડજી નાયકે મહામહેનતે તૈયાર કરેલો આ મહામૂલો ગ્રંથ ગુજરાત યુનિવર્સિટીએ પ્રકાશિત કર્યો છે.  

***

ભારતની તમામ ભાષા-સંસ્કૃતિમાં ફારસી ભાષાની સૌથી વધારે અસર ગુજરાતી ભાષા પર છે. ઈતિહાસવિદો કહે છે કે, આર્યો મધ્ય એશિયામાં એટલે કે અત્યારના કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી ભ્રમણ કરીને ઈરાન પહોંચ્યા હતા. એ જ વખતે આર્યોએ ઋગ્વેદની રચનાની શરૂઆત કરી દીધી હતી. એ પછી તેઓ ઈરાન તરફથી ભારત તરફ આવ્યા. એટલે જ એવું કહેવાય છે કે, ઋગ્વેદનો અમુક ભાગ ઈરાનમાં રચાયો હતો. ઈરાનમાં આર્યોની ભાષા અવેસ્તાહતી. આ શબ્દનું મૂળ પણ વિદ્અથવા વેદછે. વેદ એટલે જાણવું. અવેસ્તા અને ઋગ્વેદ એ બંને શબ્દનો અર્થ જ્ઞાનપણ થાય છે. આ જ કારણસર ગુજરાતી અને ફારસીમાં એવા અનેક શબ્દો છે, જે બંને ભાષામાં એક જ અર્થમાં વપરાય છે. એક જ અર્થ એ વાત પર અહીં એટલે ભાર મૂક્યો છે કે, બે ભાષા એકબીજામાં ધીમે ધીમે ભળતી હોય ત્યારે એવા ઘણાં શબ્દો અસ્તિત્વમાં આવે છેજેના અર્થ બંને ભાષામાં ક્યારેક જુદા જુદા પણ થતા હોય છે.




જેમ કે, અરબસ્તાનમાં જુલાબ કે જુલ્લાબનો અર્થ ‘ગુલાબના ફૂલોનો અર્ક’ એવો થાય છે. એટલે ઈરાનમાં ગુલાબમાંથી બનેલા શરબત માટે પણ ‘જુલાબ’ શબ્દ વપરાય છે. આ શબ્દ ગુજરાતમાં આવ્યો ત્યારે તેનો અર્થ ગુલાબના રસની પ્રકૃતિના કારણે બદલાઈ ગયો. ગુલાબનું પાણી રેચક એટલે કે પેટ સાફ કરે એવું હોવાથી ગુજરાતી ભાષામાં જુલાબશબ્દનો ઉપયોગ ઝાડા થઈ જાય એવી દવાના અર્થમાં થવા લાગ્યો. આજે જુલાબ’ અને ‘ગુલાબનું શરબત’ એ શબ્દો કેટલા વિરોધાભાસી લાગે છે!

ભારત અને ગુજરાતમાં આરબ, મુસ્લિમ અને પારસી સંસ્કૃતિ જેમ જેમ ભળતી ગઈ તેમ તેમ તેમણે એકબીજાની ભાષામાં નવા નવા શબ્દો ઉમેર્યા. આ પ્રકારનું સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય ત્યારે શબ્દોના અર્થની સાથે તેના ઉચ્ચારણો પણ બદલાઈ જતા હોય છે.

એવો જ એક બીજો શબ્દ છે, ‘કેરબો’. કોઈ ગુજરાતીને પૂછવામાં આવે કે કેરબોએટલે શું? તો એ કહેશે કે, કેરબો એટલે નાના ઢાંકણાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો, જે મોટા ભાગે કાળા રંગનો હોય! જોકે, સાર્થ જોડણીકોશ પ્રમાણે કેરબોનો અર્થ એક નાચ, કારવો, એમાં ગવાતું ગાયન, એનો રાગ એવો અપાયો છે. શું કેરબાને કેબ્રે ડાન્સસાથે કોઈ સંબંધ હશે? સાર્થ જોડણીકોશમાં ફારસી વ્યુત્પત્તિ પ્રમાણે કેરબોનો અર્થ સુગંધી ગુંદર જેવો એક પદાર્થ (તેના પારા ફકીરો રાખે છે), એમ્બર એવો અપાયો છે.

હવે જોઈએ ફારસીમાં આ શબ્દનું મૂળ ક્યાં છે. ફારસીમાં કહરુબાનામનો શબ્દ છે. કહએટલે સૂકું ઘાસ, તણખલું અને રુબાએટલે ખેંચ, આકર્ષણ. એટલે કે, એક પ્રકારનો સૂકો ગુંદર કે જેને કાપડ જેવી વસ્તુ ઉપર ઘસીને તણખલા નજીક મૂકવામાં આવે તો તેને ખેંચે છે. બાળકોને ખરાબ નજરથી બચાવવા અપાતા એક પદાર્થ માટે પણ ફારસીમાં કહરુબા શબ્દ છે. આ પદાર્થ બાળકોને ગળામાં કે કાંડા પર બાંધીને પહેરાવાતો!

***

ગુજરાતી ભાષામાં અનેક ફારસી શબ્દો એટલા રૂઢ છે કે, આજે ખ્યાલ પણ ના આવે કે આ શબ્દનું મૂળ ઈરાન, ગ્રીસ કે અરબસ્તાનમાં છે! શબ્દો એક ભાષામાંથી બીજી ભાષામાં પ્રવેશે એનો દિલચસ્પ ઈતિહાસ હોય છે. હા, દિલચસ્પ પણ ફારસી શબ્દ છે. ફારસી શબ્દ ચસ્પનો અર્થ ચોંટી રહેવું, વળગી રહેવું, દિલ ચોંટાડી રાખનાર, દિલને ગમે એવું કે મનોહર એવો થાય છે. દિલચસ્પશબ્દનો ઉપયોગ ફારસી કે ઉર્દૂમાં આજે થતો નથી, પરંતુ ગુજરાતી અને હિન્દીમાં દિલચસ્પ’ શબ્દ વપરાય છે. ગુજરાતીમાં તો દિલચસ્પમાં પ્રત્યય જોડીને આવ્યો, દિલચસ્પી. શોખ, રુચિ કે રસ જેવા શબ્દો માટે દિલચસ્પીશબ્દ વપરાય છે.

સાર્થ જોડણીકોશ પ્રમાણે, ‘અફલાતૂનશબ્દનો ગુજરાતી અર્થ સુંદર, શ્રેષ્ઠ તેમજ ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની પ્લેટોએવો પણ થાય છે. ટૂંકમાં ગ્રીસમાંથી શ્રેષ્ઠતમ્ હોય એ માટે અરબી, ફારસીમાં વપરાતો પ્લેટોશબ્દ પ્લાટુ, પ્લાટુનમાંથી અપભ્રંશ થઈને આજનો અફલાતૂનથઈ ગયો.

તમે દાઉદખાનીઘઉં વિશે પણ સાંભળ્યું હશે! આજેય ગુજરાત સહિત ભારતના તમામ અનાજ બજારમાં દાઉદખાની ઘઉં સૌથી મોંઘા હોય છે. આ શબ્દનું મૂળ પણ દિલચસ્પ છે. ઈ.સ. ૧૭૬૦થી ૧૮૦૬માં ઈજિપ્તમાં શાહઆલમ નામનો બાદશાહ થઈ ગયો. એના કાળમાં દાઉદખાન નામનો એક માણસ ઈજિપ્તમાંથી ઊંચી જાતના ઘઉં ભારત લાવ્યો. એ સમયથી એ ઘઉંનું નામ પડ્યું, દાઉદખાની.
 
તમે લખતી વખતે જે ફકરો પાડો છો તેનો ફારસી અર્થ પીઠ તોડવી કે બરડો તોડવો એવો થાય છે. એનો ગુજરાતી અર્થ કંડિકા અને અંગ્રેજીમાં પેરેગ્રાફ થાય છે. એટલે કે, વાત બદલાય ત્યાંથી વાક્યનો પ્રવાહ તોડવામાં આવે એ. રૂમાલ પણ ફારસી શબ્દ છે, જેનો અર્થ ઘસવુંકે ગુંદવુંથાય છે. ફારસીમાં રૂનો અર્થ ચહેરો માલનો અર્થ ‘જરૂરી ચીજ’ અને ‘ઘસવું’ કે ‘સાફ કરવું’ એવો પણ થાય છે. એ પરથી આવ્યો રૂમાલ.

ગનીમત છે કે, આવા આદાનપ્રદાનથી ગુજરાતી હજુયે વધુને વધુ સમૃદ્ધ થઈ રહી છે. સાર્થ જોડણીકોશમાં જણાવ્યા પ્રમાણે, ગનીમત એટલે સદભાગ્ય, ઈશ્વરકૃપા. આ ગનીમત અરબી શબ્દ ગનેમમાંથી આવ્યો.  અરબીમાં ગનેમએટલે મફતમાં મેળવેલું, લૂંટનો માલ વગેરે. ગનેમશબ્દનો ફારસી અર્થ ‘પરિશ્રમ વિના ઓચિંતો મળેલો માલ’ એવો છે. પ્રાચીન અરબસ્તાનમાં લૂંટના ઇનામ તરીકે ગનમમળતા. અરબીમાં ગનમએટલે બકરો. એના ઉપરથી અરબીમાં લૂંટનો માલ એટલે ગનીમત એટલે કે ઈશ્વરની કૃપા. પાછળથી આ શબ્દ એટલો બધો પ્રચલિત થયો કે, આરબો પ્રવાસે જાય ત્યારે વિદાય આપતી વખતે તેમના સ્વજનો કહેતા કે, સાલેમન ગાનેમન. એટલે કે, સલામત આવજો અને લૂંટી લાવજો.

***

ફારસીમાં ગ્રીક, અરબી અને તૂર્કી શબ્દો અને એ બધું જ ગુજરાતીમાં આવ્યું એ પાછળ રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો જવાબદાર છે.

ઈ.સ. પૂર્વે ૩૩૧માં સિકંદરે ઈરાન જીતી લીધું અને ઈ.સ. ૨૨૬ સુધી લગભગ ૫૫૦ વર્ષ રાજ કર્યું. આ દરમિયાન ઈરાનની સ્થાનિક પાહલવી ભાષામાં ગ્રીક ભાષા ભળતી ગઈ. ઈ.સ. ૬૪૧માં ગ્રીક શાસનનો અંત આવ્યો અને આરબોનું શાસન શરૂ થયું. આરબોના મજબૂત રાજના કારણે પાહલવી ભાષાનું વ્યાપક અરબીકરણ થયું. ઈ.સ. ૬૬૧થી ૭૫૦ સુધી આરબોની ખિલાફતને ખતમ કરી ઈરાનનું શાસન અબ્બાસી ખલીફાઓએ સંભાળ્યું. આ ખલીફાઓએ તેમની ફોજમાં હજારો તુર્કોની ભરતી કરી. આ દરમિયાન ગઝનવી અને સલજૂક વંશના તુર્કી શાસનકાળમાં ઈરાની અને તુર્કી સંસ્કૃતિ-ભાષા એકબીજામાં ભળ્યા. છેવટે ૧૧મી સદીથી ઈરાનમાં આજની ફારસી અસ્તિત્વમાં આવી.

આરબોના ત્રાસથી ઈરાનના જરથોસ્તીઓ એટલે કે પારસીઓ ગુજરાતમાં આવ્યા એ જાણીતી વાત છે. જોકે, પારસીઓની સંખ્યા જૂજ હતી. વળી, તેઓ કિનારાના પ્રદેશ પર જ રહેતા હતા એટલે ગુજરાતી ભાષા પર તેમનો પ્રભાવ નહોતો, પરંતુ ભારતમાં આવેલા મુસ્લિમ શાસકો ઈરાનથી આવ્યા હતા. આ રીતે ઈસ્લામિક શાસન વખતે ભારતીય સંસ્કૃતિમાં ફારસી ભળતી ગઈ. ઈ.સ. ૧,૩૦૦માં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત જીત્યું ત્યારથી અહીં ફારસીનો પ્રચાર વધ્યો. બે સદી સુધી દિલ્હીના સુલતાનો સલ્તનત ચલાવતા રહ્યા. એ પછી લગભગ પોણા બસો વર્ષ મોગલ બાદશાહોએ શાસન કર્યું, જે ગુજરાત સહિતના પ્રદેશોમાં સૂબેદારોની મદદથી શાસન કરતા. મોગલ સલ્તનત નબળી પડતા તેની અંધાધૂંધીનો લાભ લઈ અનેક સૂબેદારો સ્વતંત્ર નવાબો થઈ ગયા. આ નવાબો અને તેમના સૈનિકો સાથે ગુજરાતમાં ફારસી પણ વસી ગઈ. આ દરમિયાન નવાબો ઈરાન અને અરબસ્તાનથી મુસ્લિમ સંતોને મજહબના પ્રચાર માટે આમંત્રિત કરતા. આ સંતોની ધર્મ ઉપદેશની ભાષા પણ ફારસી રહેતી. એ પછી ગાંધી યુગના વિવિધ આંદોલનોમાં જુસ્સો અને જોમ ધરાવતા ફારસી શબ્દોનો પ્રચંડ ઉપયોગ થયો.

આઝાદી કાળ પછી હિન્દી સિનેમાની લોકપ્રિયતાનો એક યુગ શરૂ થયો. એ યુગમાં હિન્દી ફિલ્મોના સંવાદો અને ખાસ કરીને ગીતોમાં ફારસી શબ્દોનો એટલો બધો ઉપયોગ થયો કે, આજેય એ શબ્દો મૂળ હિન્દી કે ઉર્દૂના લાગે. આ બંને ભાષાની ગુજરાતી સાહિત્ય પર પણ અસર પડી. આવી રીતે અનેક ફારસી શબ્દો સાર્થ જોડણીકોશમાં પણ સમાઈ ગયા.

સ્રોત : ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિ કોશ (ભાગ-૧થી ૪), લેખક- ડૉ. છોટુભાઈ રણછોડજી નાયક, પ્રકાશન- ગુજરાત યુનિવર્સિટી અને સાર્થ ગુજરાતી જોડણીકોશ, પ્રકાશક- પિયૂષ શાહ, કાર્યકારી કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ. 

13 June, 2016

દાન ધર્મ: ભારતનો અને અમેરિકાનો


બાયોકોન લિમિટેડના વડા કિરણ મજુમદાર શૉ ગિવિંગ પ્લેજપર સહી કરનારી બીજી ભારતીય હસ્તી બન્યા છે. વર્ષ ૨૦૧૦માં બિલ ગેટ્સ અને વૉરન બફેટે અમેરિકાના ૪૦ ધનવાન પરિવાર સાથે ગિવિંગ પ્લેજની સ્થાપના કરી હતી. ગિવિંગ પ્લેજમાં સહી કરનારા ધનવાનો જીવતે જીવ અથવા વસિયતમાં પોતાની ઓછામાં ઓછી ૫૦ ટકા સંપત્તિ સામાજિક ઉત્થાન માટે દાનમાં આપી દે છે. અત્યાર સુધી ગિવિંગ પ્લેજમાં ૧૬ દેશના ૧૫૪ ધનવાનોએ સહી કરી છે. ગિવિંગ પ્લેજનો હેતુ વૈશ્વિક સમાજના પાયાના પ્રશ્નો સામે લડવા ભંડોળ ઊભું કરવાનો છે. ગિવિંગ પ્લેજમાં સૌથી પહેલાં વિપ્રોના અઝીમ પ્રેમજીએ ૧૭ અબજ ડોલર સાથે નામ નોંધાવ્યું હતું. હવે કિરણ મજુમદારની સાથે શોભા ગ્રૂપના વડા પી.એન.સી. મેનને પણ ગિવિંગ પ્લેજ પર સહી કરી છે. દુનિયાને દાન ધર્મશીખવનારા ભારત-વર્ષમાંથી અત્યાર સુધી ફક્ત ત્રણ જ વ્યક્તિએ ગિવિંગ પ્લેજમાં નામ નોંધાવ્યું છે, જે ભારતનું નાગરિકત્વ ધરાવે છે. આ સમાચાર વાંચ્યા પછી એવો સવાલ થાય છે કે, શું ભારતના ધનવાનો અમેરિકનો જેવા ઉદાર નહીં પણ સ્વાર્થી છે? કે પછી ભારતના ઉદ્યોગ ગૃહો દેશ કે સમાજની મુશ્કેલી માટે બેદરકાર છે?

ચાલો, આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.

૨૧મી સદીના ભારતનો દાન ધર્મ

એવું ના કહી શકાય કે ગિવિંગ પ્લેજમાં નામ નોંધાવનારી વ્યક્તિ જ દાન ધર્મ કરે છે. ભારતમાં દાન કરવું એ નવી વાત નથી. મુશ્કેલી એ છે કે, ભારતમાં દાન પણ ધર્મ સાથે સંકળાયેલી બાબત છે. ભારતના ઉદ્યોગ ગૃહો પણ ટ્રસ્ટ કે ફાઉન્ડેશન બનાવીને ધર્મ, જાતિ કે સમાજની વાડાબંધી વિના સામાજિક ઉત્થાનનું કામ કરી જ રહ્યા છે. આજના ભારતનો યુવાન ઉદ્યોગપતિ શિક્ષણ, કળા અને સાહિત્યના વિકાસ માટે પણ કરોડો રૂપિયા ખર્ચી જાણે છે. વર્ષ ૨૦૧૫માં ફોર્બ્સ મેગેઝીને બહાર પાડેલા ફિલાનથ્રોપિસ્ટ લિસ્ટ (દાનવીરોની યાદી)માં સાત ભારતીયોની સાથે રોહન મૂર્તિનું પણ નામ હતું. ઈન્ફોસીસના સ્થાપક એન.આર. નારાયણમૂર્તિના પુત્ર રોહન મૂર્તિનું નામ ભારતના સૌથી યુવાન દાનવીર તરીકે લેવાય છે. જુનિયર મૂર્તિએ પાંચ કરોડ ડોલર ખર્ચીને મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઓફ ઈન્ડિયાયોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઉર્દૂ જેવી ભાષાઓના ક્લાસિક પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થઇ રહ્યો છે. આગામી ૧૦૦ વર્ષમાં આ તમામ પુસ્તકો હાવર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત કરાશે.

કિરણ મજુમદાર શૉ, આઝીમ પ્રેમજી અને પી.એન.સી. મેનન

આ યાદીમાં નંદન નીલકેણી, સેનાપથી ગોપાલક્રિશ્નન અને એસ.ડી. શિબુલાલ પણ હતા, જે ત્રણેય ઈન્ફોસીસના સ્થાપક સભ્યો છે. નંદન નીલકેણી અત્યાર સુધી વિવિધ સંસ્થાઓને રૂ. ૫,૩૦૯ કરોડનું દાન આપી ચૂક્યા છે. આઈઆઈટી બોમ્બેને તેમણે રૂ. ૧૭ કરોડનું દાન આપ્યું હતું. આ પણ અમેરિકન સંસ્કારછે. અમેરિકામાં પોતાની માતૃસંસ્થાને કરોડો રૂપિયાનું દાન આપનારા તમને હજારો વિદ્યાર્થીઓ મળશે. નીલકેણીએ યેલ યુનિવર્સિટીને પણ રૂ. ૨૭ કરોડનું દાન આપ્યું છે. આ પ્રકારની સંસ્થાઓનું વાતાવરણ અને તાલીમ જ વિદ્યાર્થીઓને કંઈક કરવા પ્રેરે છે. અનિલ અગ્રવાલ કે શિવ નાદર જેવી હસ્તીઓએ ગિવિંગ પ્લેજમાં સહી નથી કરી, પરંતુ ભારતીય દાનવીરોમાં તેમના નામ અચૂક મૂકવા પડે. વેદાંત રિસોર્સીસના સ્થાપક અનિલ અગ્રવાલ વેદાંત ફાઉન્ડેશન ઊભું કરીને અત્યાર સુધી રૂ. ૧,૭૦૦ કરોડથી પણ વધારેનું દાન કરી ચૂક્યા છે. ગિવિંગ પ્લેજમાં ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકો વિનોદ ખોસલા, રોમેશ વાઢવાણી, મનોજ ભાર્ગવ અને સની વાર્કી જેવા લોકો પણ નામ નોંધાવી ચૂક્યા છે. આ લોકોની કર્મભૂમિ ભારત નથી, પરંતુ તેઓ ભારતમાં જુદા જુદા ક્ષેત્રમાં બદલાવ લાવવા પ્રયત્નશીલ છે.

ફોર્બ્સની યાદીમાં મૂળ ચેન્નાઇના સુરેશ રામક્રિશ્નન અને મહેશ રામક્રિશ્નન નામના જોડિયા ભાઈઓના પણ નામ હતા. આ બંને યુવાનો લંડનમાં વ્હિટકોમ્બ એન્ડ શાફ્ટ્સબરી નામની કંપની સ્થાપીને ટેલરિંગ બિઝનેસ કરી રહ્યા છે. માઇકલ જેક્સનથી લઇને સચિન તેંદુલકર અને હોલિવૂડ સ્ટાર નિકોલસ કેજ, રિચર્ડ ગિયર વગેરે રામક્રિશ્નન બ્રધર્સના હેન્ડમેઇડસ્યૂટ પહેરી ચૂકી છે. આવી અનેક હસ્તીઓ જે સ્યૂટ પહેરે છે એ દક્ષિણ ભારતના સુનામી પીડિતો દ્વારા તૈયાર કરાયા હોય છે. દક્ષિણ ભારતમાં વર્ષ ૨૦૦૪માં આવેલા સુનામી પછી રામક્રિશ્નન બંધુઓએ રૂ. વીસ કરોડનો ખર્ચ કરીને ચાર હજાર સુનામી પીડિતોને સ્યૂટ સીવવાની તાલીમ આપી હતી.

આ રીતે દાન કરવું એ પણ મૂળ પશ્ચિમી વિચાર છે, જે અમેરિકા-યુરોપમાં ફિલાન્થ્રોકેપિટાલિઝમપ્રચલિત થઈ રહ્યો છે. ફિલાનથ્રોપી (દાન ધર્મ) અને કેપિટાલિઝમ (મૂડીવાદ) જેવા બે વિરોધાભાસી શબ્દો સાથે જીવી શકે છે એ વાત અમેરિકન ઉદ્યોગપતિઓ સાબિત કરી રહ્યા છે. ફિલાનથ્રોકેપિટાલિસ્ટને સાદી ભાષામાં સોશિયલ ઈન્વેસ્ટર કહી શકાય. આ પ્રકારના ઈન્વેસ્ટર ખર્ચ કરે ત્યારે વળતર (રિટર્ન)ની સાથે સામાજિક બદલાવ (સોશિયલ ચેન્જ)ની પણ અપેક્ષા રાખતા હોય છે.

ફિલાન્થ્રોકેપિટાલિઝમ અને મહાજન પરંપરા

આપણે જે ભારતીયોના ઉદાહરણ જોયા એ ટીપિકલ ઈન્ડિયન સ્ટાઈલમાં દાન નથી કરતા, પરંતુ તેઓ પશ્ચિમની દાન કરવાની પદ્ધતિથી પ્રભાવિત છે. ફિલાનથ્રોકેપિટાલિઝમ ભારતની મહાજન પરંપરાની યાદ અપાવે છે. ભગવદ્ગોમંડળમાં મહાજન, મહાજન પંચાયત, મહાજન સમાજવાદ, મહાજન સમાજવાદી, મહાજનસત્તાક જેવા શબ્દો છે પણ મહાજન પરંપરાજેવો શબ્દ નથી. ભગવદ્ગોમંડળમાં મહાજન પંચાયતનો અર્થ મોટા માણસોની પંચાયત એવો છે, જ્યારે મહાજન સમાજવાદનો અર્થ ખૂબ વિસ્તૃત અપાયો છે. વાંચો, એ નામનો એક રાજનૈતિક મત, જુદા જુદા ઉદ્યોગોમાં ઔદ્યોગિક મંડળોના એકત્ર બંધારણથી ઉદ્યોગો ચલાવવા, તે તંત્ર રાજકીય તંત્રથી બને એટલું સ્વતંત્ર રાખવું અને તે રીતે ઔદ્યોગિક અને રાજકીય એવાં બે તંત્રો દ્વારા દેશનો વ્યવહાર ચલાવવો એવો મત, ગિલ્ડ સોશિયાલિઝમ.

મહેશ રામક્રિશ્નન, સુરેશ રામક્રિશ્નન અને રોહન મૂર્તિ


ટૂંકમાં મહાજન પરંપરા શબ્દ થોડા દાયકા પહેલાં જ પ્રચલિત થયો હોવો જોઈએ. આ પરંપરા શું હતી એ સમજવા બહુ દૂર નજર કરવાની જરૂર નથી. મહાજન પરંપરાનું સૌથી ઉત્તમ ઉદાહરણ ગુજરાતના શેઠિયાઓએ આપ્યું છે. હાલના ગુજરાતમાં શિક્ષણ, કળા, વિજ્ઞાન અને સાહિત્ય સાથે સંકળાયેલી મોટા ભાગની સંસ્થાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા ગુજરાતી પરિવારોની દેન છે. આવા ૩૯ ગુજરાતી પરિવારે ગુજરાતના ઘડતરમાં કેવો જબરદસ્ત ફાળો આપ્યો છે એ વિશે લેખક-સંશોધક મકરંદ મહેતાના ગુજરાતના ઘડવૈયાપુસ્તકમાં એક્સક્લુસિવ માહિતી મળે છે. જોકે, ગુજરાત કે ભારતે આ પ્રકારના દાનવીરોનો કાળ બહુ ઓછો જોયો છે એ પણ હકીકત છે.

રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ મહાજન પરંપરા નિભાવવામાં ટાટા જૂથ અગ્રેસર છે. ટાટા સન્સે એક સદીથી પણ વધારે સમય પહેલાં ટાટા ટ્રસ્ટ બનાવ્યું હતું. ટાટા સન્સની કંપનીઓનું ૭૫ ટકા હોલ્ડિંગ ટાટા ટ્રસ્ટ પાસે છે. દેશના ૧૭ રાજ્યોના ૧૭૦ જિલ્લામાં ટાટાના સહકારથી સામાજિક વિકાસના કાર્યક્રમો ચાલે છે. અત્યાર સુધી ટાટા જૂથ શિક્ષણ, વિજ્ઞાન, કળા અને રમતગમત ક્ષેત્રનો યોગ્ય દિશામાં વિકાસ કરવા કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યું છે.

ટાટા ટ્રસ્ટ કે બિલ ગેટ્સનું ફાઉન્ડેશન દાન કરે છે ત્યારે તેમના હેતુમાં સ્વાર્થ નહીંવત હોય છે. ગેટ્સ ફાઉન્ડેશન આફ્રિકાના દેશોમાં પણ સામાજિક ઉત્થાનનું કામ કરે છે અને એઇડ્સ-કેન્સરની દવાઓના સંશોધન માટે પણ કરોડોની ફાળવણી કરે છે. આ પ્રકારનું દાન કરતી વખતે ચોક્કસ ધર્મ-જાતિ કે સમાજનું ભલું કરવાનો સંકુચિત ખ્યાલ નહીં પણ આખા સમાજનો વિકાસ થાય એવી અપેક્ષા હોય છે! આ પ્રકારનું દાન ધાર્મિક નહીં, પણ માનવીય હોય છે.

ભારતમાં દાનની ધાર્મિક પરંપરા

જોકે, ભારતીય સમાજના વિકરાળ પ્રશ્નો અને વસતીની સરખામણીએ ભારતમાં ધનવાનો દ્વારા બિનસરકારી વિકાસકાર્યોખૂબ ઓછા થઈ રહ્યા છે એ હકીકત છે. આપણે અહીં એક સરેરાશ ભારતીય પાપ ધોવા, ધાર્મિક વૃત્તિથી, દયાભાવથી કે પછી આવકવેરામાંથી થોડી ઘણી રકમ બાદ મેળવવા દાન આપે છે, એની નહીં પણ દેશ-સમાજના ઠોસ વિકાસ માટે યોગ્ય દિશામાં કરાતા દાનની વાત કરીએ છીએ.

ભારતમાં અયોગ્ય દિશામાં તો કરોડો રૂપિયાનું દાન થાય જ છે. કરોડો ભારતીયો મંદિર-મસ્જિદ બહાર બેઠેલા ભિખારીઓને દાન આપે છે, જેનાથી સામાજિક ઉત્થાન નથી થતું પણ પાપ ધોયાનો સંતોષ મળે છે. રસપ્રદ વાત એ છે કે, દયાભાવથી કરાતા કરોડો રૂપિયાના દાનથી ભિખારીઓની સંખ્યા ઘટવાના બદલે વધી છે. ભીખની લાલચે બાળકો સહિત લાખો લોકો ભીખના ધંધામાં આવ્યા છે અને મફતનું ધન ઘરભેગું કરવા ભિખારી માફિયાપણ અસ્તિત્વમાં આવ્યા છે, જે બાળકો-વૃદ્ધોનું અપહરણ કરીને તેમને ભીખના ધંધામાં જોતરી દે છે. ભિખારીનો છોકરો ભિખારી ના બને એ માટે આર્થિક રીતે સંપન્ન વર્ગે શું કર્યું? ધાર્મિક વૃત્તિથી કરાયેલું દાન પણ પથ્થરો કે સોનામાં રોકાઇ જાય છે, જે અર્થતંત્ર પર બોજ છે. અહંકાર સંતોષવા ઉછામણીમાં ઊંચા કરેલા હાથ કરતા બે-ચાર ગરીબ બાળકોના શિક્ષણ માટે લંબાવેલો હાથ વધારે મહાન છે.

આ બધી વાતો સરેરાશ ભારતીય સમજે છે, પરંતુ તેનો અમલ કરતા ડરે છે કારણ કે, તેમની પ્રાથમિકતા ફક્ત પાપ ધોવાની છે અને માનસિકતા ક્રાંતિકારી નહીં પણ ઉદાસીન છે. ભારતીયો ભગવાનને દાન કરે ત્યારે તેમનામાં શ્રદ્ધાની સરવાણી ફૂટે છે, પરંતુ એવી મજા સામાજિક ઉત્થાન માટે કામ કરતી સંસ્થાને દાન કરવામાં નથી આવતી. એનું કારણ ભારતીયોના દિલોદિમાગ પર ખોટી રીતે છવાયેલો ‘ધર્મ’ કે ભગવાનછે.

***

ભારતમાં છેલ્લાં દસ વર્ષમાં અબજોપતિઓની સંખ્યા ૩૩૦ ટકા વધી છે. એ સામે વિશ્વભરના ધનવાનોની સંખ્યા માંડ ૬૮ ટકાના દરે વધી છે. વર્ષ ૨૦૧૮ સુધી ભારતમાં ચાર લાખ મિલિયોનેર (ડૉલરમાં) હશે! આમ, ભારતમાં ધનવાનોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ એની સામે ઠોસ સામાજિક ઉત્થાન માટેના પ્રયાસ એકજૂટ નહીં પણ છૂટાછવાયા અને બિનઅસરકારક છે. આ માટે બીજું પણ એક મહત્ત્વનું કારણ જવાબદાર હોઈ શકે! ભારતના મોટા ભાગના શ્રીમંતો ઉદારીકરણના શરૂઆતના યુગમાં સફળ થયા છે. આ લોકોએ ભ્રષ્ટ રાજકીય સિસ્ટમના પડકારો વચ્ચે સફળતા મેળવી છે. ઉદારીકરણ પછી અસ્તિત્વમાં આવેલી ધનવાનોની આ પેઢીને તમામ મોજ-શોખ કરવા છે અને સારું જીવન જીવવું છે. આ વાતનો પુરાવો એ છે કે, છેલ્લાં ૧૪ વર્ષમાં ભારતમાંથી ૧૪ હજાર મિલિયોનેર સારું જીવન જીવવા બીજા દેશોમાં સ્થાયી થઈ ગયા છે.

ખેર, આ તમામ મુશ્કેલીઓ વચ્ચે એટલું યાદ રાખવાનું છે કે આપણે ધર્મ, જાતિ, સમાજ, સંપ્રદાયના વાડા ત્યજીને દાન કરવાનું શીખી જઈશું તો આગામી થોડા વર્ષોમાં દેશનું એકેય બાળક ભૂખ્યું નહીં સૂતું હોય!

06 June, 2016

...અને કેરી સામે કેળું હારી ગયું!


તમને કઈ કેરી સૌથી વધારે ભાવે? બીજા કોઈ ફળ વિશે આપણે આવું પૂછી શકતા નથી કારણ કે, સફરજન એ સફરજન છે, કેળું એ કેળું છે, જાંબુ એ જાંબુ છે અને તડબૂચ એ તડબૂચ છે. આ બધા ફળોમાં કેરી જેટલું જબરદસ્ત વૈવિધ્ય નથી. દુનિયાભરમાં કેરીની ,૨૦૦ જેટલી જાત નોંધાઈ છે, જેમાં સોના-ચાંદી જેવા ભાવ ધરાવતી કેરીથી માંડીને આમઆદમી ખાઈ શકે એવી કેરીનો સમાવેશ થઈ જાય છે. એટલે જ કેરી સ્ટેટસ સિમ્બોલ છે. આજેય ૪0 ડિગ્રી ગરમીમાં બે ગુજરાતી મળે ત્યારે સેન્સેક્સની સાથે કેસરના ટોપલા લઈ લીધા કે લેવાના છે?’ એવો સવાલ પૂછી લે છે!

વિજ્ઞાન કહે છે કે, કેરી એનાકેર્ડિયાસ એટલે કે કાજુ પરિવાર સાથે સંકળાયેલી મેન્ગિફેરા જાતિનું ફળ છે. જનીનિક મેપિંગ પ્રમાણે મેન્ગિફેરામાં કુલ ૬૯ જાતિનો સમાવેશ થાય છે, જે સાદી ભાષામાં જંગલી એટલે કે દેશી જાતિની કેરી તરીકે ઓળખાય છે. આ ૬૯ પૈકી ૨૭ જાતિના ફળ સીધેસીધા ખાઈ શકાય છે, જ્યારે બાકીની મોટા ભાગની જાતિના ફળ ખાટ્ટાં હોવાથી તે અથાણાં કે બીજા ઉત્પાદનોમાં વપરાય છે. કેરી એ ગરમ પ્રદેશનું ફળ છે. કેરીનો જન્મ કરોડો વર્ષ પહેલાં દક્ષિણ એશિયામાં થયો હતો અને ત્યાંથી તે આખી દુનિયામાં પહોંચી. એશિયાના વિવિધ પ્રદેશની આ દેશી કેરીઓમાં થયેલા જનીનિક ફેરફાર પછી જ આપણને આજની એક એકથી ચડિયાતી મધુર કેરીની જાતો મળી છે. દુનિયામાં કેરીની જાતોના સૌથી વધારે જનીનિક ફેરફારો ભારતીય ઉપખંડમાં નોંધાયા છે. એટલે જ ભારતમાં કેરીની એકાદ હજાર જાત મળે છે, જ્યારે પાકિસ્તાનમાં ૪૦૦ પ્રકારની કેરી થાય છે. એશિયાના ત્રણ દેશ ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ કેરી છે, જ્યારે બાંગલાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ આંબો છે.



વિશ્વના કુલ કેરી ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકાથી પણ વધારે છે. ભારતમાં દર વર્ષે સરેરાશ દોઢ કરોડ ટનથી પણ વધારે કેરીનું ઉત્પાન થાય છે. એ પછી ચીનનો નંબર આવે છે પણ ચીનમાં માંડ ૪૪.૫ લાખ ટન કેરી પાકે છે, જ્યારે ૩૧.૪ લાખ ટન સાથે થાઈલેન્ડ ત્રીજા નંબરે છે. વિશ્વમાં સૌથી વધારે નિકાસ ટોમી એટકિન્સ નામની અમેરિકન કેરીની થાય છે કારણ કે, તે ખૂબ લાંબો સમય સુધી બગડતી નથી. બાકી ગુજરાતની કેસર કે પાકિસ્તાનની કેરીઓ સામે તે સ્વાદ અને ગુણવત્તામાં અત્યંત નબળી છે. કેરીનું જંગી ઉત્પાદન કરતા પહેલાં પાંચ દેશમાં પાકિસ્તાનનો સમાવેશ નથી થતો, પરંતુ પાકિસ્તાનમાં ભારતની જેમ ઉત્તમ પ્રકારની કેરી થાય છે.

પાકિસ્તાનની અનવર રતૌલ વિશ્વ પ્રસિદ્ધ કેરી છે. આ કેરીનો જન્મ પણ ભારતના ઉત્તરપ્રદેશમાં બાગપત જિલ્લાના ખેકરા તાલુકાના રતૌલ ગામમાં થયો હોવાનું કહેવાય છે. આ ગામના એક ખેડૂતે રતૌલ નામની કેરીની જાત વિકસાવી હતી. ભારત પાકિસ્તાનના ભાગલા થયાના થોડા વર્ષો પહેલાં એ ખેડૂત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જઈને વસ્યો ત્યારે પોતાની સાથે નાના રોપા અને કેરી પણ લેતો ગયો હતો. ત્યાં જઈને તેણે આંબો વાવ્યો અને તેના પિતા અનવરના નામ પરથી એ કેરીને નામ આપ્યું, અનવર રતૌલ. પાકિસ્તાનના નેતાઓ ભારતના વડાપ્રધાનો, રાષ્ટ્રપતિ અને નેતાઓને કેસરના નહીં પણ અનવર રતૌલના ટોપલા મોકલાવે છે.

એકવાર ભારતની રતૌલ કેરીના ચાહકોએ કેરીને પણ રાજકીય રંગ આપ્યો હતો. વર્ષ ૧૯૮૧માં ઝિયા ઉલ હકે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડીને અનવર રતૌલના ટોપલા મોકલ્યા હતા. આ અહેવાલો મીડિયામાં છપાયા પછી રતૌલ ગામના રાષ્ટ્રવાદીખેડૂતોએ ગુસ્સે થઇને ઇન્દિરા ગાંધીને રતૌલના ટોપલા મોકલ્યા હતા. એ લોકોનું કહેવું હતું કે, આ જ અસલી રતૌલ કેરી છે, ‘અનવર રતૌલનહીં. ટૂંકમાં કેરી એ પ્રાદેશિક અભિમાન સાથે જોડાયેલું ફળ છે. આ તો બે દેશની વાત થઈ પણ મહારાષ્ટ્રમાં રહેનારી વ્યક્તિ રત્નાગીરી અને હાફૂસના વખાણ કરશે, જ્યારે ગુજરાતી કેસરને સૌથી ચડિયાતી કહેશે!

ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં કેરીને વિશિષ્ટ સ્થાન અપાયું છે અને એટલે જ ભારતની વિવિધ લોક સંસ્કૃતિઓમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે. હજારો વર્ષોથી હિંદુ સંસ્કૃતિમાં શૃંગાર રસનું વર્ણન કરવા કેરીનો પ્રતીકાત્મક ઉપયોગ કરાયો છે. સંસ્કૃત અને હિંદી સાહિત્યમાં પ્રેમ, ઈર્ષા અને દુશ્મનાવટને પ્રતીકાત્મક રીતે બતાવવા પણ કેરી અને આંબાનો ઉપયોગ કરાયો છે. વૈદિક સંસ્કૃતિમાં જેમને પ્રેમ, ફળદ્રુપતા, શૃંગાર અને આકર્ષણના દેવતા તરીકે મહિમા કરાયો છે એ કામદેવના વર્ણનોમાં પણ આંબાના મોરનો ઉલ્લેખ છે. કામદેવનું શસ્ત્ર ધનુષ છે. કામદેવના પાંચેય તીર અશોકના ફૂલો, સફેદ કમળ, ભૂરા કમળ, મલ્લિકા (જેસ્મીન) અને આંબાના મોર- એમ જુદા જુદા ફૂલોથી સજાવાયા છે. આ પાંચેય તીરનું લક્ષ્ય હંમેશા વિપરિત લિંગ હોય છે એટલે કે તે સ્ત્રી પર છોડવામાં આવે છે.

ગણેશના હાથમાં પણ પાકેલી કેરી દર્શાવાઈ છે, જે પ્રતીકાત્મક રીતે કંઈ પ્રાપ્ત કર્યું હોવાનું દર્શાવે છે. સરસ્વતીની પૂજા કરવા આંબાના મોરનો ઉપયોગ કરાયો છે. આયુર્વેદિક દવાઓમાં પણ આંબાના પાન, કેરીની છાલ અને ગોટલી સુધીની તમામ ચીજોનો ઉપયોગ થાય છે. કેરીની એક પણ ચીજ નકામી નહીં જતી હોવાથી જ પેલી હિન્દી કહેવત રચાઈ છે, ‘આમ કે આમ, ગુટલિયો કે ભી દામ’.

ઈ.સ. પૂર્વે સાતમી સદીમાં યાજ્ઞાવલ્કયે શતપથ બ્રાહ્મણમાં કેરીની ચર્ચા કરી છે. કેરી સાથેના આ પ્રાચીન સંબંધના કારણે જ ભારતની તમામ ભાષાના લોકગીતો અને આખ્યાનોમાં પણ તેનો મહિમા કરાયો છે. જૈનોની દેવી અંબિકા આંબાના વૃક્ષ નીચે બેસે છે, જ્યારે બૌદ્ધ સાહિત્યમાં ભગવાન બુદ્ધને એક આમ્રકુંજ ભેટ આપવાની વાત છે, જેથી તેઓ તેની શીતળ છાયામાં આરામ કરી શકે! ચોથી સદીમાં મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ્નાટકમાં આંબાના મોરને વસંતના આગમન અને આકર્ષણ સાથે પ્રતીકાત્મક રીતે દર્શાવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યોદ્ધા એલેક્ઝાન્ડરે પણ ભારત આવીને કેરીનો સ્વાદ ચાખ્યો હતો. એવી જ રીતે, પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુસાંગે પણ ભારતમાં જ કેરી ચાખી હતી. મોગલ સાહિત્યમાં પણ કેરીનો ઉલ્લેખ મળે છે. અકબરે બિહારના દરભંગામાં એક લાખ આંબા રોપાવ્યા હતા, જે આજે લાખી બાગ તરીકે ઓળખાય છે.

ગુજરાતી સહિતની દેશભરની ભાષાના આધુનિક સાહિત્યમાં પણ કેરીનો આકર્ષણના પ્રતીક તરીકે ઉપયોગ કરાયો છે. ભગવદ્ગોમંડળમાં જણાવ્યા પ્રમાણે, ભરજુવાન દેખાવડી સ્ત્રીને કાચી કેરીની ઉપમા આપવામાં આવે છે. આ સિવાય પણ બીજો એક શબ્દપ્રયોગ ધ્યાન ખેંચે છે. કેરી હિંડોળે ચડી છે, એટલે કે ઘેલછા આવી છે. વસંત ઋતુમાં ઘેલછા વધે છે અને એના પરથી કેરી હિંડોળે ચડે છે એમ કહેવાય છે અને તેના પરથી મગજના ભમેલા, ઘેલા કે ભ્રમિત માણસ વિશે પણ આ રૂઢિપ્રયોગ વપરાય છે...

સંસ્કૃતમાં કરાયેલા કેરીના વર્ણનોનો પ્રભાવ આવી રીતે ગુજરાતી સહિતની દેશની અનેક ભાષામાં ઝીલાયો છે. આ સાહિત્યની અસર બ્રિટીશકાળના અને અત્યારના સાહિત્ય પર પણ જોઈ શકાય છે. બ્રિટીશરાજના ભારતમાં આકાર લેતી ઈ.એમ. ફોસ્ટરની એ પેસજ ટુ ઈન્ડિયાનવલકથાને ટાઈમ સામાયિકની ઑલ ટાઈમ ગ્રેટ ૧૦૦ નોવેલની યાદીમાં સ્થાન મળ્યું છે. વર્ષ ૧૯૨૪માં લખાયેલી આ નવલકથાનું પાત્ર ડૉ. અઝીઝ ડૉ. ફિલ્ડિંગને કહે છે કે, ‘‘હું તમારા માટે કેરી જેવા સ્તન ધરાવતી સ્ત્રીની ગોઠવણ કરી શકું છું...’’ એ પછી અરુંધતી રોયથી બુકર પ્રાઈઝ વિજેતા ગોડ ઓફ સ્મોલ થિંગ્સથી લઈને અનિતા દેસાઈની ધ આર્ટિસ્ટ ઓફ ડિસઅપિયરન્સજેવી મૂળ ભારતીયોની અંગ્રેજીભાષી નવલકથાઓમાં પણ કેરીના પ્રતીકાત્મક ઉલ્લેખ મળે છે.

બિહેવિયરલ અને કલ્ચરલ સાયન્ટિસ્ટ કહે છે કે, કેરીને શારીરિક આકર્ષણ સાથે જોડવામાં આવી એનું કારણ તેનો આકાર છે. કેરીની અંદર ગોટલો હોવાથી તે હજારો વર્ષોથી ચૂસીને ખવાતી આવી છે. કેરી આવી રીતે ખવાતી હોવાથી તે શૃંગાર સાથે જોડાઈ ગઈ છે. ખ્રિસ્તી ધર્મનું સફરજન પણ કેરીનું સ્થાન નથી લઈ શક્યું એનું રહસ્ય આ છે. વળી, હજારો વર્ષો પહેલાંના સાહિત્યમાં પુરુષ અને સ્ત્રીના ગુપ્તાંગોને કેરીની મદદથી દર્શાવાયા છે. આ કારણસર આજેય કેરી પ્રતીકાત્મક રીતે સેક્સ અને ફર્ટિલિટી સાથે જોડાયેલું ફળ મનાય છે.

ભારતમાં કેરી જેવું જ જંગી ઉત્પાદન કેળાનું પણ થાય છે, પરંતુ સાહિત્યમાં કેળાનો ઉપયોગ મર્યાદિત છે. સ્ત્રી અને પુરુષ એ બંનેના તમામ અંગો દર્શાવવા કેળાનો ઉપયોગ થઈ શકતો નથી, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં  સ્ત્રીપુરુષના લગભગ બધા જ અંગઉપાંગ દર્શાવવા કેરીનો બખૂબી ઉપયોગ કરાયો છે. એટલે જ કેળું કેરીથી ચડિયાતું ફળ હોવા છતાં કેરી સામે હારી ગયું છે!