26 November, 2015

‘સ્લો’ ફૂડ ખાઓ, પર્યાવરણ બચાવો


આ વર્ષની યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ૩૦મી નવેમ્બરથી ૧૧મી ડિસેમ્બર દરમિયાન ફ્રાંસના પેરિસમાં યોજાવાની છે. આ બેઠક યોજાઈ એના થોડા જ દિવસ પહેલાં - ત્રીજી નવેમ્બરથી મેઘાલયની રાજધાની શિલોંગમાં પાંચ દિવસનો 'સ્લો ફૂડ મુવમેન્ટ' કાર્યક્રમ યોજાઈ ગયો. દુનિયાના બધા જ દેશોના પ્રતિનિધિઓ જ્યાં ભેગા થઈને વૈશ્વિક તાપમાન બે ડિગ્રી સુધી ઘટાડવાની 'વાતો' કરવાના છે, એ જ પેરિસ શહેરમાં વર્ષ ૧૯૮૦માં આ ચળવળ શરૂ થઈ હતી.  દુનિયાના કરોડો લોકોની ખાણી-પીણીની આદતો વૈશ્વિક પર્યાવરણ પર કેવી અસર કરે છે એ વાતની સમજ આપવા કાર્લો પેત્રિનીએ આ ચળવળ શરૂ કરી હતી. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની વાત કરતી વખતે આપણે ઔદ્યોગિકીકરણ તેમજ ખનીજ તેલ અને તેની આડપેદાશોના બેફામ ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરીએ છીએ પણ ખાણીપીણીને તો યાદ પણ નથી કરતા. આ ચળવળનો હેતુ લોકોને આ વાત યાદ કરાવીને પર્યાવરણ પ્રત્યે થોડા જાગૃત કરવાનો છે.

આપણે જ્યારે હોટેલ-રેસ્ટોરન્ટમાં જમીએ છીએ ત્યારે ટેબલ પર પડેલી એ પ્લેટ તમારા સુધી પહોંચતા પહેલાં પર્યાવરણને કેટલું નુકસાન કરી ચૂકી હોય છે એવું આપણે ક્યારેય વિચારતા નથી. એવું નથી કે, આ સંસ્થા બધાના ધંધાપાણી બંધ કરાવી દેવા માગે છે પણ એનો હેતુ લોકોને 'કોન્શિયસ કન્ઝપ્શન' એટલે કે 'સભાનપણે ઉપભોગ' કરતા કરવાનો છે. આ માટે તો ભારતીય સંસ્કૃતિ જગજાહેર છે પણ લોકોને ઢંઢોળવા સ્લો ફૂડ મુવમેન્ટ પર્યાવરણના નુકસાનને કેન્દ્રમાં રાખીને વિચારો રજૂ કરે છે. આ સંસ્થાની શરૂઆત ફૂડ ચેઈન મેકડોનાલ્ડના વિરોધમાંથી થઈ હતી એટલે લોકો સ્લો ફૂડને મેકડોનાલ્ડ વિરોધી સંસ્થા માની લે છે. ખરેખર સ્લો ફૂડ મુવમેન્ટ તમામ પ્રકારના ફાસ્ટ ફૂડ-ફાસ્ટ લાઈફનો વિરોધ કરે છે કારણ કે, ફાસ્ટ ફૂડ, મૉલ શોપિંગ કલ્ચરમાં લોકો પોતાની પરંપરાગત ખાણી-પીણીની આદતો ભૂલતા જાય છે. આ જ કારણથી દુનિયાના અનેક દેશોમાં પરંપરાગત વાનગીઓ અને તે બનાવવાની કળા ભૂલાતી જાય છે. સ્લો ફૂડ મુવમેન્ટ દરેક દેશના 'ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે' યુનિટની મદદથી આવા ઈવેન્ટ કરે છે અને લોકોને આરોગ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ સ્લો ફૂડનું મહત્ત્વ સમજાવે છે. ટેરા માદ્રેનો અર્થ 'ધરતી માતા' થાય છે.

કાર્લો પેત્રિની

દરેક દેશના શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારોમાં લોકોની ખાણી-પીણીની આદતોની માહિતી મેળવવા અને લોકો સુધી પહોંચાડવા સ્લો ફૂડ મુવમેન્ટે ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે નેટવર્ક ઊભું કર્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓની મદદથી સ્લો ફૂડ મુવમેન્ટ આ પ્રકારના યુનિટ ઊભા કરીને સાડા ત્રણ દાયકામાં ૧૬૦ દેશમાં પહોંચી ગઈ છે. મેઘાલયમાં યોજાયેલો સ્લો ફૂડ ઈવેન્ટ પણ ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે-ઈન્ડિયાએ યોજ્યો હતો, જેમાં ૪૧ ગામોને ભાગીદાર બનાવાયા હતા. મેઘાલય હાઉસમાં યોજાયેલા આ પાંચ દિવસના કાર્યક્રમમાં જિનેટિકલી મોડિફાઈડ બિયારણો, ટકાઉ વિકાસ, પાણી પર સમાન અધિકાર અને વૈશ્વિકરણના કારણે પરંપરાગત ખાદ્ય સંસ્કૃતિને થયેલી અસરો જેવા વિષયો પર એક એકથી ચડિયાતા સેમિનારો યોજાયા હતા. અમદાવાદની 'સૃષ્ટિ' સંસ્થા પણ દર વર્ષે 'વિસરાતી વાનગીઓનો મેળો' નામે અફલાતૂન ઈવેન્ટ યોજે છે, જેનો હેતુ ભૂલાઈ રહેલી વાનગીઓને ફરી એકવાર જાણીતી કરવાનો અને તે કેટલી પૌષ્ટિક છે એનો પ્રચાર કરવાનો છે.

આપણે જે પ્રકારની આહારની રીત અપનાવી છે કે ધીમે ધીમે અપનાવી રહ્યા છીએ તેનાથી દુનિયાના બીજા કરોડો લોકોને શું ભોગવવું પડે છે એવી પણ આ ઈવેન્ટમાં સમજ અપાય છે. ખેતરમાં પાકતા અનાજના એક એક દાણા પાછળ સૂર્યપ્રકાશ, પાણી, વીજળી અને ખાતરના રૂપમાં મહત્ત્વના કુદરતી સ્રોતો ખર્ચાયા હોય છે. આપણે જ્યારે થાળીમાં એંઠું મૂકીએ છીએ ત્યારે અન્નના દાણાની સાથે આવા ઘણાં બધા કુદરતી સ્રોતોનો પણ બગાડ કરતા હોઈએ છીએ. યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૧૩માં પહેલીવાર અન્નના બગાડથી પર્યાવરણને કેટલું નુકસાન થાય એનું સાયન્ટિફિક એનાલિસિસ કરીને 'ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટ: ઈમ્પેક્ટ ઓન નેચલ રિસોર્સીસ' નામનો એક અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલ પ્રમાણે, દર વર્ષે આપણે ૧.૩ અબજ ટન અન્નનો બગાડ કરીએ છીએ અને આટલા અન્નનો બગાડ હવામાં ૩.૩ અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ ભળવા બરાબર છે. એટલે આપણી થાળીમાંથી અન્નનો એક દાણો ગટરમાં જાય છે ત્યારે આપણે પર્યાવરણને થતાં નુકસાનમાં યથાશક્તિ ફાળો આપતા હોઈએ છીએ. આઘાતજનક વાત તો એ છે કે, આ ગણતરીમાં માછલી જેવા દરિયાઈ ખોરાકનો તો સમાવેશ પણ નહોતો કરાયો.

આ પ્રકારનો બગાડ જેમની પાસે જેમની ખરીદશક્તિ વધારે છે એ લોકો સૌથી વધારે કરે છે. મોટી હોટેલો-રેસ્ટોરન્ટોમાં જ સૌથી વધારે અન્નનો બગાડ થાય છે. જે દેશમાં એક બાજુ ભૂખથી લોકો મરતા હોય અને બીજી બાજુ લાખો ટન અનાજ બગડી જતું હોય એ દેશ માટે સ્લો ફૂડ મુવમેન્ટનો પ્રચાર થવો આ રીતે પણ ખાસ જરૂરી છે. ભારત જેવા દેશમાં સ્લો ફૂડ મુવમેન્ટ બીજી પણ એક રીતે ખૂબ મહત્વની છે. દેશમાં હરિયાળી ક્રાંતિ થયા પછી આપણે વધારે લોકો સુધી અન્ન પહોંચાડી શક્યા છીએ. આ માટે રાસાયણિક ખાતરો અને વિદેશી બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો છે. રાસાયણિક ખાતર કેટલો બધો પાક આપે છે એવો પ્રચાર તો કર્યો પણ એનો સભાનપણે ઉપયોગ ના થાય તો કેવા પરિણામો ભોગવવા પડશે એ તો વિચાર્યું જ નહીં. હરિયાળી ક્રાંતિ પછી પંજાબે દેશની 'કેન્સર કેપિટલ'નું બિરુદ મેળવ્યું છે, જેના માટે એન્ડોસલ્ફેન અને ડીડીટી જેવી જંતુનાશક દવાઓ પણ જવાબદાર હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. વિદેશી બિયારણોના ઉપયોગથી આપણા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોના વૈવિધ્યને પણ જોરદાર ફટકો પડયો છે.

નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સના આંકડા પ્રમાણે, ૧૬૭ ધાન્યો, ૩૨૦ જંગલી ધાન્યો અને ગાય-બળદ સહિતના સંખ્યાબંધ પ્રાણીઓની પ્રજાતિનું જન્મસ્થાન ભારત છે. આ તો ભારતીય કૃષિ વૈવિધ્યની નાનકડી ઝલક છે. હવે વાંચો. જનીનીક એટલે કે જુદા જુદા અનાજ-ફળોની જિનેટિકલ ડાઇવર્સિટી કેવી છે! જેમ કે, ભારતમાં ચોખાની જ ૫૦ હજાર જાત છે અને એક હજારથી પણ વધારે જાતની તો કેરી છે. દેશના અનેક રાજ્યોમાં એક જ પ્રકારનો પાક જુદી જુદી ઋતુમાં લેવાય છે. આ કારણસર તેની જાત બદલાઈ જાય છે. જેમ કે, ચોખા એટલે ચોખા પણ તેનો પાક જુદી ઋતુમાં, જુદી રીતે લેવાયો હોય તો તેની જાત બદલાઈ જાય. દક્ષિણના રાજ્યોમાં હજારો વર્ષોથી જુદી જુદી જાતના ચોખાનો પાક લેવાય છે. એટલે કે, આ બધી જાતોનો જન્મ લેબોરેટરીમાં નહીં પણ ઉત્ક્રાંતિકાળમાં માણસનો 'વિકાસ' થયો એવી રીતે થયો છે. કેરળ કે ઓરિસ્સામાં સંખ્યાબંધ જાતના ચોખાનો પાક લેવાય છે એવી જ રીતે, મધ્યપ્રદેશ અને તમિલનાડુ બાજરાની અનેક જાત માટે જાણીતું છે. હરિયાળી 'ક્રાંતિ' વખતે જંતુનાશકોનો એટલો બેફામ ઉપયોગ થયો છે કે, જુદી જુદી કૃષિ પેદાશોની અનેક જાતો લુપ્ત થઈ ગઈ છે. જંતુનાશકોથી જમીનની ગુણવત્તા પણ સમયાંતરે ઘટી જાય છે. જે કૃષિ પેદાશે જમીન-વાતાવરણ સાથે તાલમેલ સાધી લીધો હોય એ જમીન જ ના રહે તો એ જાતિનો નાશ જ થાય ને!

હવે તો આપણી પાસે બીટી કોટનના વાવેતર પછી પાક કેવી રીતે નિષ્ફળ ગયા અને ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કર્યા એના પણ પુરાવા છે. આ રીતે કાર્લો પેત્રિનીની સ્લો ફૂડ મુવમેન્ટમાં દમ છે. પૂર્વ ભારતના અનેક પ્રદેશોમાં હિમાલયના કારણે સમગ્ર વાતાવરણ ભારે અનિશ્ચિત છે. એટલે જ ત્યાં હજારો વર્ષોના ઉત્ક્રાંતિકાળમાંથી પસાર થયેલા પાક ટકી જતા હતા પણ અત્યારના 'રોકડિયા પાક' નિષ્ફળ જાય છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોને પણ આ વાત લાગુ પડે છે. સ્લો ફૂડનો અર્થ ફાસ્ટ ફૂડના વિરોધથી ઘણો વિશાળ છે. સ્લો ફૂડની વ્યાખ્યામાં પરંપરાગત વાનગીઓથી લઈને પરંપરાગત કૃષિ પદ્ધતિ સુધીની ઘણી મોટી વાતો સમાવી લેવાઈ છે. સ્લો ફૂડ એટલે આપણા અને પર્યાવરણના એમ બંનેના આરોગ્ય માટે સારું હોય એવું અન્ન.

આ વર્ષે પહેલીવાર ભારતમાં સ્લો ફૂડ મુવમેન્ટ ઈવેન્ટ યોજાયો હતો. આપણી આહાર સંસ્કૃતિ, આપણા ખેડૂતો, આપણું પર્યાવરણ અને આપણા આરોગ્ય માટે પણ આ મુવમેન્ટને આપણે વધાવી લેવી જોઈએ.

11 November, 2015

તહેવારો એટલે વરુની પેઠે ખાવું...


રાજકીય એકતા ટકાવવી હોય તોપણ સાંસ્કૃતિક એકતાને મજબૂત અને સમૃદ્ધ કર્યે જ છુટકો. એ કામ ત્યારે જ બની શકે જ્યારે આપણે એકબીજાના તહેવારો ઊજવી શકીશું. ભેદના તત્ત્વો ગૌણ કરી શકીશું, અને બધા ધર્મોમાં, સંસ્કૃતિના નવા નવા આવિષ્કારોમાં, અને ભિન્ન ભિન્ન ભાષાના સાહિત્યમાં, કૌટુંબિક ભાવ ખીલવી શકીશું. આપણે ત્યાં દુનિયાના લગભગ બધા જ ધર્મો આવીને વસ્યા છે. એમની વચ્ચે સંઘર્ષ રહે એ કોઈ કાળે ચલાવી ન લેવાય. બધા ધર્મો વચ્ચે કૌટુંબિક ભાવ સ્થાપન કરીએ. આ કામમાં તહેવારો, જો સુંદર અને ઉદાર રીતે ગોઠવાયેલા હોય તો, ઉત્તમમાં ઉત્તમ મદદ કરી શકશે.

***   

'જીવતા તહેવારો' પુસ્તકની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે આ ધાંસુ શબ્દો લખ્યા છે. આ તો કાકાના ભારતીય સમાજ અને સંસ્કૃતિના ચિંતનની એક નાનકડી ઝલક છે. આવતીકાલે હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક સુદ એકમથી બેસતું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે 'જીવતા તહેવારો'માં કરાયેલી વાતો યોગાનુયોગે અત્યારના રાજકીય-સામાજિક માહોલમાં કદાચ ઘણી વધારે મહત્ત્વની છે. આ પુસ્તકના ૩૫૦ પાનામાં આવી ઢગલાબંધ ચિંતન કણિકાઓ વિખરાયેલી છે. કાકા કહે છે કે, ''...સંભવ છે કે તહેવારોની ઉજવણીની પદ્ધતિઓ સુધારીને આપણે સર્વધર્મસમભાવ અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય એકતા વધારે મજબૂત કરી શકીશું...''  

‘જીવતા તહેવારો’ના પ્રકાશક ‘નવજીવને’ પણ આ પુસ્તકના પ્રકાશકીય નિવેદનમાં કહ્યું છે કે, ''... જૂનું ધાર્મિક વાચન સમાજમાં રૂઢ હોત તો સમાજને કીમતી લોકકેળવણી મળી હોત... આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાર્કિક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે...''


તો ચાલો 'જીવતા તહેવારો'માં દિવાળીના તહેવારો વિશે કહેલી વાતોનો 'ગમતાનો ગુલાલ' કરીએ. આ સાથે કાકા કહે છે એમ બેસતા વર્ષથી બધા જ તહેવારોની ઉજવણીની રીત બદલવાનો સંકલ્પ કરીએ. જોકે, ઉજવણીની રીત બદલવાની કેવી રીતે? જેમ કે, આ વર્ષે દિવાળી સહિતના તમામ તહેવારોની ઉજવણીની થીમ 'પુસ્તક અને વાચન' રાખીએ.  લેટ્સ સ્ટાર્ટ.

'જીવતા તહેવારો' વાંચતી વખતે સમજાય છે કે, પરિવર્તન સંસારનો નિયમ છે. શહેરીકરણ વધતા તહેવારોની ઉજવણીની રીતો ધીમે ધીમે બદલાઈ ગઈ છે. કાકા લખે છે કે, ''ધનતેરસ દિવાળીની તૈયારીનો તહેવાર છે. લોકવાર્તાઓ પ્રમાણે, ધનતેરસ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે... જુવાનોના અકાળ મૃત્યુની સંખ્યા સમાજમાં વધતી જાય છે એના કારણો તપાસી તે દૂર કરવાની યોજના સમાજના આગેવાનો આ દિવસે વિશેષે કરીને ચર્ચે, અને યુવાનોને જે બોધ આપવા જેવો હોય તે આપે... ગાયોના ધણની પૂજા પણ આ દિવસને માટે કહેલી છે. તે વિશે જે કરી શકાય તે કરીએ.'' કાકા 'ધનતેરશ અથવા ધણતેરશ' શીર્ષક હેઠળ આવી માહિતી આપે છે.

ભારતીય સમાજ કૃષિપ્રધાન હોવાથી તેના તહેવારોની ઉજવણીનો આધાર એક સમયે કૃષિ-પશુપાલન હતો. જોકે, હવે સમય બદલાઈ ગયો છે. ધનતેરસ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે, એ વાત પણ ભૂલાઈ ગઈ છે. પરંતુ આપણે યુવાનોની આત્મહત્યાથી લઈને યુવકો દ્વારા સ્ત્રીહિંસા જેવી નવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. તો આ દિવસોમાં આ મુદ્દા પર ફોકસ કરતી સાહિત્ય કૃતિઓનું વાચન કે એ વિશે વાત કરી શકે એવા વિદ્વાનોને બોલાવીને નાનકડા ગેટ-ટુ-ગેધરનું આયોજન કરી શકાય. આ પ્રકારના કાર્યક્રમો કંટાળાજનક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.  શૈક્ષણિક સંસ્થાઓ કે ક્લબો દ્વારા પુરુષોએ સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ એની સમજ આપતા ઈનોવેટિવ સેશન્સ પણ ગોઠવી શકાય. ગિફ્ટમાં આવા જ મુદ્દા પર લખાયેલા સુંદર પુસ્તકની ભેટ આપી શકાય. એ બહાને સારી કૃતિઓનું પણ વાચન વધશે. 

પહેલાં ગાયોના ધણની પૂજા થતી હતી કારણ કે, ઢોરઢાંખર જ 'ધન' હતું. એટલે જ ધનતેરસનું બીજું નામ 'ધણતેરસ' છે. શહેરી સંસ્કૃતિમાં ગાયોના ધણની પૂજાનું મહત્ત્વ ઘટી જવું સ્વાભાવિક છે એટલે આપણે ધનની પૂજા કરીએ છીએ. જોકે, આ દિવસે સોના-ચાંદીની સાથે સાથે દર વર્ષે પસંદ કરેલા ૧૧, ૧૦૧, ૧૫૧, ૫૦૧ કે ૧૦૦૧ પુસ્તકોની પસંદગી કરીને તેની પૂજા કેમ ના કરી શકીએ?

ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ ઊજવાય છે. કૃષિ પ્રધાન સમાજમાં તહેવારોની ઉજવણીના પાયામાં કૃષિ સંસ્કૃતિનું મહત્ત્વ વધારે હતું. કાકા લખે છે કે, ''આ દિવસે ઉકરડા કાઢીને તેનું ખાતર ખેતરમાં નાખવું, અથવા ખાડામાં દાટી દેવું. ત્યાર પછી તેલથી માલિશ કરીને ગરમ પાણીએ નાહવું. પહેલેથી તૈયાર કરાવી ધોળાયેલા મકાન પર ચૂના હળદર કે બીજા રંગની આછી લીટીઓ દોરવી. દીવાલો ચિતરામણથી શણગારવી...'' એટલે જ કાળી ચૌદશે કકળાટના રૂપમાં દિલોદિમાગમાંથી બધી જ 'ઈલ ફિલિંગ્સ' કાઢવાનું મહત્ત્વ છે. કૃષિપ્રધાન સમાજ ઉકરડો કાઢતો હતો પણ હવે શહેરી સમાજે મન-મગજમાં ઘર કરી ગયેલો પૂર્વગ્રહ, ઈર્ષા અને લાલચરૂપી ઉકરડો દૂર કરવાનો છે. સમજદાર વ્યક્તિ તો લાલચ અને ઈર્ષા જેવા 'ઉકરડા'ને પણ દોડતા રહેવાની પોઝિટિવ એનર્જીમાં પરિવર્તિત કરી શકે છે. આ દિવસે ટોપ ૧૦ પ્રેરણાત્મક પુસ્તકોની વાત કરી શકાય અને એકાદ પુસ્તકના પસંદીદા પ્રકરણો કે લખાણોનું વાચન પણ કરી શકાય. આ પ્રકારના પુસ્તકોની અત્યારે બોલબાલા છે પણ ક્લાસિકની કેટેગરીમાં આવતા પુસ્તકો બહુ જાણીતા ના પણ હોય! એ માટે જાતે જ ગૂગલિંગ કરીને કે ફેસબુક, વોટ્સએપ પર બીજા વાચકોની મદદથી ધાંસુ પુસ્તકોની યાદી બનાવી શકાય.



કાકા કાલેલકર

કાળી ચૌદશ પછી આવે છે દિવાળી. કાકા લખે છે કે, ''શાસ્ત્રોમાં દરેક તહેવારનું માહાત્મ્ય અને કથા આપેલાં હોય છે. દિવાળી વિશે એટલી બધી કથાઓ છે કે 'દિવાળીમાહાત્મ્ય' લખવા જઈએ તો એક મોટું પુરાણ થઈ જાય...'' આ પુસ્તકમાં કાકાએ બળિનું રાજ્ય, દિવાળી, મોતનો ઉત્સવ, નાના ભાઈ વગર દિવાળી અને દિવાળી (ફરી એ જ શીર્ષક) એમ કુલ પાંચ ભાગમાં દિવાળીનું મહત્ત્વ સમજાવ્યું છે. 'દિવાળી' શીર્ષક હેઠળ કાકા કહે છે કે, ''દીવાનખાનામાં એકાદ સુંદર વસ્તુ રાખવાનો રિવાજ દરેક ઘરમાં હોય છે. બહારનો કોઈ માણસ આવે એટલે સહેજે તે પર એની નજર જાય છે અને તે બોલી ઊઠે છે:કેવી મઝાની વસ્તુ! તમે આ ક્યાંથી મેળવી?...'' હવે આપણે પુસ્તકની થીમ પણ દિવાળી ઊજવતા હોઈએ તો ડ્રોઈંગ રૂમથી લઈને બેડરૂમ સુધી બધે જ પુસ્તકો અને સામાયિકોની સ્ટાઈલિશ ગોઠવણી કરીને ઘર સજાવી શકાય. ઘરમાં ગુજરાતીથી લઈને વિશ્વભરના સાહિત્યકારોના ક્વોટ્સ સાથેના સ્ટાઈલિશ પોસ્ટરો પણ મૂકી શકીએ. રંગોળીથી લઈને તોરણો પણ પુસ્તક થીમના આધારે ડિઝાઈન કરી શકાય. આ દિવસે પુસ્તકોથી જોજનો દૂર હોય એવા મહેમાનોને સાહિત્યકાર અને તેની કૃતિઓની માહિતી આપીને પરિચય પુસ્તિકાઓ, જીવન ચરિત્ર કે આત્મકથાની ભેટ આપી શકાય.

પછી આવે બેસતું વર્ષ. આ તહેવાર વિશે કાકાએ ખૂબ જ ટૂંકમાં માહિતી આપતા કહે છે કે, ''આ દિવસ મુખ્યત્વે મિત્રોને મળવાનો તેમજ ગુરુજનોને મળી તેમનો આશીર્વાદ લેવાનો દિવસ છે. નવા વરસનો નવો સંકલ્પ અને આખા વરસની કંઈક નિશ્ચિત યોજના પણ આ દિવસે કરાય. જે વિચાર કરી શકે છે તે એકબે કલાક શાંતિથી એકાંતમાં બેસી પ્રાર્થનાપૂર્વક નવા વરસનો સંકલ્પ અને એ પાર પાડવાની વિગતો મનમાં ગોઠવે અને જેની આગળ નવો સંકલ્પ જાહેર કરવો ઘટે તેને જણાવે અને પોતાની પાસે અવશ્ય લખી રાખે.''

ટૂંકમાં આ દિવસે રિઝોલ્યુશન કરવાની પરંપરા વર્ષો પુરાણી છે. આપણી ઉજવણીની થીમ પુસ્તકો છે એટલે આ દિવસે ગૂગલિંગ કરીને વિશ્વના શ્રેષ્ઠ ૧૦૦ વાંચવા જેવા ફિક્શન, નોન-ફિક્શન, ક્લાસિક પુસ્તકોથી લઈને ઉત્તમ જીવનચરિત્રો, આત્મકથાઓ, સાયન્સ ફિક્શન, ટ્રાવેલ, ઈતિહાસ, તત્ત્વજ્ઞાાન, અધ્યાત્મ, બાળ સાહિત્ય તેમજ અંગ્રેજી સહિતની ભાષામાં જે લેખકોના પુસ્તકો પરથી સૌથી વધારે ફિલ્મો બની હોય એવી જાતજાતની માહિતીના દરિયામાં ધુબાકા મારીને મલ્ટિ ડાયમેન્શિયલ યાદી બનાવીએ અને તે વાંચવાનો સંકલ્પ લઈએ. આ માટે ન્યૂયોર્ક ટાઈમ્સ, બીબીસી જેવી સંસ્થાઓએ સમયાંતરે તૈયાર કરેલી જાતભાતના બેસ્ટ સેલર્સ તેમજ ટોપ ૧૦૦ પુસ્તકોની યાદી પર પણ નજર ફેરવીને વાચનનો દૃષ્ટિકોણ જરા વિશાળ કરવાનો સંકલ્પ પણ લેવા જેવો ખરો! 

બેસતું વર્ષ પછી ઉજવણી થાય ભાઈબીજની. કાકાએ 'ક્યાં છે ભાઈબીજ?' અને 'ભાઈબીજ' એમ બે શીર્ષક હેઠળ ભાઈબીજનું મહત્ત્વ સમજાવ્યું છે. પહેલાં પ્રકરણમાં કાકા હિંદુ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ જેવી હોવી જોઈએ તેવી નથી એમ કહીને આવું કેમ થયું એ મુદ્દે વિષદ્ છણાવટ કરે છે. કાકા ફરિયાદ કરતા લખે છે કે, ''... યુગો થયા ભારતવાસીઓ દર વર્ષે ભાઈબીજનો તહેવાર ઊજવતા આવ્યા છે, છતાં એકે કવિને ભાઈબહેનના સંબંધને પ્રાધાન્ય આપીને મહાકાવ્ય લખવાનું સૂઝ્યું નથી. નિરાશ થયેલું મન જ્યારે હતાશ દૃષ્ટિ લોકસાહિત્ય તરફ ફેંકે છે ત્યારે તે સાનંદાશ્ચર્યથી ભીની થાય છે. ભાઈબહેનનો સંબંધ અનાદિ છે, હૃદયસહજ છે, સાર્વભૌમ છે. લોકહૃદય તેને કેમ ભૂલે? લોકગીતો અને લોકવાર્તાઓમાં જ્યાં જુઓ ત્યાં ભાઈબહેનના મીઠા સંબંધનાં સંભારણાં વેરાયેલાં છે. ભવિષ્યનો સામાજિક આદર્શ ઘટનારા આજના કવિઓ! આ અણખેડેલા ક્ષેત્ર તરફ દૃષ્ટિ નાખો, અને સ્ત્રીપુરુષ વચ્ચેના આ એકમાત્ર નિર્વિકારી, નિષ્કામ અને સમાન સંબંધને ચીતરવામાં તમારું શક્તિસર્વસ્વ ખરચો.'' જો આવું છે તો પછી પુસ્તકાલયમાં જઈને જાતે જ લોકગીતો-વાર્તાઓમાંથી ગીત, વાર્તા કે અવતરણો શોધી કાઢો. બહેનને ભેટ આપતી વખતે આ માહિતીનો ગિફ્ટમાં સ્ટાઈલીશ રીતે ઉપયોગ કરો અને જો કવિ હોવ તો કાકાએ કહ્યું છે એમ આ અણખેડેલા ક્ષેત્ર તરફ દૃષ્ટિ નાખો...

આ તો દિવાળીના તહેવારો ઉજવવાનો એક નવો આઈડિયા-એક થીમ આપી. આ બેસતા વર્ષથી આપણે આખા વર્ષના બધા તહેવારો આવી જુદી જુદી થીમ સાથે ઉજવીએ અને સાંસ્કૃતિક એકતા થકી સામાજિક અને રાજકીય એકતા તરફ આગળ વધીએ.

છેલ્લે કાકાના જ શબ્દો સાથે નવા સંકલ્પો સાથે નવું વર્ષ, નવું જીવન શરૂ કરીએ.:

વરુની પેઠે ખાવું, બિલાડીની પેઠે બગાસાં ખાવાં, અને અજગરની પેઠે પડ્યાં રહેવું એ તહેવારનું મુખ્ય લક્ષણ થઈ પડ્યું છે. એક તહેવાર એટલે ત્રણ દિવસનો બગાડ એટલું તો ખરું જ. આવી હાલતમાંથી તહેવારોને બચાવવા એ આપણું મુખ્ય કામ છે...

નોંધઃ આ લેખમાં કાકાના અવતરણોની જોડણી પુસ્તકમાં છે એમ જ રાખી છે. 

બાળકો પરના બળાત્કાર કેવી રીતે અટકાવી શકાય?


વર્ષ ૧૯૨૬માં અમદાવાદ ટેક્સ્ટાઈલ ઉદ્યોગના મહારથી અંબાલાલ સારાભાઈએ મિલોના કમ્પાઉન્ડમાં રખડતા ૬૦ જેટલા કૂતરાને મરાવી દીધા હતા. શેઠ અંબાલાલ જેવી વ્યક્તિ વગરવિચાર્યે આવું કૃત્ય તો કરે નહીં એટલે તેમણે કૂતરા મારવાની મંજૂરી આપતા પહેલાં ગાંધીજી સાથે ચર્ચા કરી હતી. આ કૂતરાઓનો ત્રાસ વધી ગયો હોવાથી ગાંધીજીએ જ તેમને આ કામની મંજૂરી આપી હતી. આમ છતાં, કૂતરા મરાવ્યા પછી અંબાલાલને સ્વાભાવિક રીતે જ જોરદાર પસ્તાવો થયો એટલે તેઓ ફરી એકવાર ગાંધીજીને મળવા ગયા. જોકે, 'અહિંસાના પૂજારી' એવા ગાંધીજી પછીયે પોતાની વાતને વળગી રહ્યા. એટલું જ નહીં, વર્ષ ૧૯૨૬માં 'યંગ ઈન્ડિયા'માં ગાંધીજીએ રખડતા કૂતરાના નાશને મંજૂરી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદાનું સમર્થન પણ કર્યું. જે ગાંધીજીના જન્મદિવસને દુનિયા 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે ઊજવે છે તેમણે શેઠ અંબાલાલને આપેલી મંજૂરી આજેય એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ માટે ચર્ચા અને વિવાદનો મુદ્દો બની શકે છે. તો પણ આ વાત ગાંધીજીએ સમજી-વિચારીને જ કરી હશે એમાં કોઈ શંકા નથી.

***

નાઉ કટ ટુ ઓક્ટોબર ૨૦૧૫.

દિલ્હીમાં અઢી અને પાંચ વર્ષની બે બાળકી પર બળાત્કારો થયા. આ ઘટના પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લાગ જોઈને તરત જ મોદી સરકાર સામે રાજકીય નિવેદનો ફટકારવાનું શરૂ કર્યું હતું. કેજરીવાલનું કહેવું હતું કે, દિલ્હી પોલીસનો કંટ્રોલ અમને સોંપો પછી જુઓ...  કેજરીવાલ એવું કહેવા માગતા હતા કે, મારી પાસે પોલીસ હશે તો બળાત્કારો જ નહીં થાય? ખરેખર એવું શક્ય જ નથી. શહેરના દરેકે દરેક બાળકને તો જ્યાં લૉ એન્ડ ઓર્ડર જડબેસલાક છે એવા દેશોમાંય સુરક્ષા આપવી શક્ય નથી. એ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી લઈને કડકમાં કડક કાયદા-કાનૂન બનાવવા જ પડે. આ મુદ્દે કેજરીવાલ સરકાર રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત હતી ત્યાં જ બે બાળકીઓના બળાત્કારોના સમાચારો પર છોટા રાજન, બિહાર ચૂંટણીની બેલગામ નિવેદનબાજી અને લેખકોની એવોર્ડ વાપસીના 'હાઈ ન્યૂઝ વેલ્યૂ' ધરાવતા સમાચારોએ કબજો લઈ લીધો.

...પણ આ ચર્ચા બંધ થયાના થોડા જ દિવસમાં મદ્રાસ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ એન. કિરુબકરમે એક બ્રિટીશરના બાળક પરના જાતીય શોષણના કેસમાં 'બાળકોના બળાત્કારીઓ'ને નપુંસક બનાવી દેવાનું સૂચન કરતા ફરી એકવાર બાળકો પર થતા બળાત્કારોનો મુદ્દો સપાટી પર આવ્યો છે. આ ચુકાદો આપતી વખતે કિરુબકરમે નોંધ્યું છે કે, ''બાળકો પરના બળાત્કારો અટકાવવા હું બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન કરું છું. આ પ્રકારના કાયદા 'જાદુઈ પરિણામો' આપી શકે છે. અત્યારના જૂના કાયદા આ દુષણને અટકાવવા પૂરતા કડક નથી. રસાયણોની મદદથી આવા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાના કાયદા અમેરિકા સહિતના અનેક વિકસિત દેશોએ સ્વીકાર્યા છે. અત્યારેય બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતા કાયદા છે અને આપણે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ-૨૦૧૨ પણ બનાવ્યો છે. તો પણ વર્ષ ૨૦૧૨માં ૩૮,૧૭૨ બાળકો સામે જાતીય હિંસા આચરાયાના કિસ્સા નોંધાયા હતા, જ્યારે ૨૦૧૪માં આ આંકડો વધીને ૮૯,૪૨૩એ પહોંચી ગયો છે...'' જસ્ટિસ એન. કિરુબકરમે ચુકાદો આપતી વખતે દિલ્હીની બે બાળકીઓના બળાત્કારની ઘટનાને પણ યાદ કરી હતી અને આ ઘટનાઓને 'લોહીથી લથબથ અને ભયાવહ' ગણાવી હતી.



બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન એન. કિરુબકરમે લાગણીમાં આવી જઈને નહીં પણ વિવિધ તર્કના આધારે જ કર્યું હતું. આમ છતાં, આ સૂચનને વિવાદાસ્પદ કહીને ભૂલાવી દેવાનો પ્રયાસ થયો હતો. જો ગાંધીજીએ ત્રાસ ફેલાવતા કૂતરા મારવાની મંજૂરી આપી હતી તો પછી બાળકો પર આટલું જઘન્ય, હલકું અને ક્રૂર કૃત્ય કરનારા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવામાં શું વાંધો હોવો જોઈએ? એવી કલ્પના નહીં કરતા કે, બળાત્કારી પર આરોપ સાબિત થાય એટલે તેને હિંસક રીતે નપુંસક બનાવી દેવાતો હશે! જે દેશોમાં આવા કાયદા છે ત્યાં બળાત્કારીને પીડા ના થાય એવી કેમિકલની મદદથી આ કામ પાર પડાય છે. આ ઓપરેશન પછી વ્યક્તિના મન પર સેક્સના વિચારો બળાત્કારો કરવા પ્રેરાય એટલા હાવી થઈ શકતા નથી. આ પ્રકારના 'અહિંસક' કાયદાનો વિરોધીઓનું કહેવું છે કે, શું આપણે 'આંખના બદલામાં આંખ' લે એવા સમાજની રચના કરવી છે?, આવી સજા કરવાથી બળાત્કારો ઓછા થઈ જશે?, શું આપણે આવા ગુના અટકાવવા સામાજિક શિક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ? આ દલીલો કરનારાને એટલું જ કહેવાનું કે, દિલ્હીના બહુચર્ચિત સામૂહિક બળાત્કાર કેસ પછી ઘણાં કાયદાકીય સુધારા થયા છે. શું આ સુધારાનો લાભ મહિલાઓને નથી મળ્યો? અને કાયદાથી ગુનાખોરી નહીં અટકે એ દલીલ પણ અર્ધસત્ય અને છેતરામણી છે. કાયદા હોવા છતાં વધતી જતી ગુનાખોરીના આંકડા આપી દેવાથી આ દલીલ સાચી નથી ઠરતી. એનો અર્થ એ નથી કે કાયદાકીય સુધારા કરવાના જ નહીં અથવા કડક કાયદા હોવા જ ના જોઈએ. લોકો જેવા હોય એવા કાયદા બનાવવા જ પડે.

રહી વાત શિક્ષણ અને સામાજિક જનજાગૃતિની- તો અમેરિકા, યુરોપિયન દેશો અને જાપાન, દક્ષિણ કોરિયા જેવા વિકસિત દેશોમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે. ભારતમાં પણ સદીઓથી શિક્ષણ અપાય જ છે. આમ છતાં, આવા કિસ્સા વધી રહ્યા છે એટલે જ આ દેશોએ પણ બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદા સ્વીકાર્યા છે, સ્વીકારવા પડ્યા છે. ડેનમાર્ક, નોર્વે, સ્વિડન જેવા સ્કેન્ડેનેવિયન દેશો તેમજ સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપોર અને જાપાન જેવા દેશોમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ ઓછું છે, તો ત્યાં કદાચ આવા કાયદાની જરૂર ના હોય. એનો અર્થ એ નથી કે, આપણે પણ એમની અક્કલ વિનાની નકલ કરવાની. વિશ્વના સૌથી વધુ વિકસિત દેશોમાં સ્થાન ધરાવતો દક્ષિણ કોરિયા એશિયાનો પહેલો દેશ છે, જેણે વર્ષ ૨૦૧૧માં બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનો કાયદો બનાવ્યો છે. અમેરિકાના સાત રાજ્યમાં આવા કાયદા છે અને બીજા રાજ્યોમાં પણ આ કાયદાની માગ થઈ રહી છે. ઈન્ડોનેશિયામાં ટૂંક જ સમયમાં આવો કાયદો અમલી થવાનો છે. પોર્ટુગલમાં ખુદ બળાત્કારીને નપુંસક બની જવાનો વિકલ્પ અપાય છે. એટલે કે, તેની મરજી વિરુદ્ધ નહીં પણ જો તે ઈચ્છે તો તેને નપુંસક બનાવી દેવાય છે. ઈઝરાયેલ કે આર્જેન્ટિનામાં જે તે ગુનાની ક્રૂરતાને ધ્યાનમાં રાખીને નપુંસક બનાવવાની સજા અપાય છે.

બાળકો સાથે આવું કૃત્ય થાય ત્યારે ફરિયાદ કરશો તો ન્યાય ચોક્કસ મળશે અને બળાત્કારીનો ગુનો સાબિત થતા જ તેને આકરામાં આકરી સજા ફટકારાશે એવો સંદેશ આપવા પણ અત્યારના કાયદામાં ધરખમ સુધારા જરૂરી છે. નવી દિલ્હીમાં જ દર અઠવાડિયે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના સરેરાશ ચાર બાળક (છોકરા-છોકરી બંને) પર બળાત્કાર થાય છે, જેમાં એક, બે અને ત્રણ વર્ષની બાળકીઓ પણ સામેલ હોય છે. વળી, આ તો પોલીસ ચોપડે નોંધાતા આંકડા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે બાળકી પર બળાત્કારના હોબાળા પછી અરવિંદ કેજરીવાલ સરકારે કેટલાક રાષ્ટ્રીય અખબારોમાં જાહેરખબર આપીને બાળકોના બળાત્કારીઓને સજા આપવા જનમત માગ્યો છે. આ જાહેરખબરમાં પહેલો જ સવાલ એ છે કે, શું બાળકો સાથે જઘન્ય અપરાધ કરનારાને ઓછામાં ઓછી 'આજીવન કારાવાસ' કે 'ફાંસી' થવી જોઈએ? આ જાહેરખબરમાં બળાત્કાર જેવા ગુનામાં બાળ-ગુનેગારની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૫ વર્ષ કરવા અંગે પણ સૂચન મંગાયું છે. જો ૧૨-૧૪ વર્ષનો સ્કૂલે જતો હટ્ટોકટ્ટો બચ્ચો કોઈ બાળકી સાથે આવું કૃત્ય કરે તો તેને બાળ-ગુનેગાર કેવી રીતે માની શકાય? દિલ્હી સરકારે આપેલી જાહેરખબર જ સાબિત કરે છે કે, અરવિંદ કેજરીવાલને પણ કડક કાયદા બદલવા 'જનસમર્થન' જોઈએ છે.

બળાત્કાર એ બળાત્કાર છે એની સરખામણી ના થઈ શકે પણ મહિલા અને બાળક પરના બળાત્કારના ગુનાના કેટલાક પાયાના તફાવત સમજવા જરૂરી છે. સ્ત્રીઓ પરના બળાત્કારમાં તે હિંમત દાખવીને પોલીસ-અદાલતમાં ન્યાય માટે જઈ શકે છે, જ્યારે દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર બળાત્કારના કિસ્સામાં તેઓ  ફરિયાદ સુદ્ધાં નથી કરી શકતા. મોટા ભાગના કિસ્સામાં બાળકો ખૂબ જ ડરી ગયા હોય છે. આ કારણોસર પોલીસ અને અદાલતે અપહરણ થયું હોય તો તેના પુરાવા, બાળક પર આચરાયેલી દેખીતી હિંસા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે બળાત્કારી સામે કેસ કરવો પડે છે. બળાત્કાર પછી સ્ત્રીને જીવનભર ઘોર અપમાન અને અન્યાયનો ડંખ રહી જાય છે. અનેક કિસ્સામાં પરિવારજનો પણ 'યુવતી જ ગુનેગાર' હોય એવું વર્તન કરે છે. આ સ્થિતિમાં બળાત્કારીઓ (અને એસિડ ફેંકનારા પણ) પુરાવાના અભાવે છૂટી જઈને કોર્ટ રૂમમાંથી હસતા હસતા બહાર આવે ત્યારે યુવતીની સ્થિતિ શું હોય એ સમજાવવા ગમે તેવા શબ્દો ઓછા પડે! એવી જ રીતે, બાળકે કોઈ વ્યક્તિ સામે આવી ફરિયાદ કરી હોય તો ખુદ માતાપિતા ‘એ તો મસ્તી’ કરતા હશે એવું કહીને બાળકને વાત ભૂલાવવાનો પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ બાળક સામે છૂટથી હરીફરી રહી હોય અને આ બાળક સિવાય કોઈ આ વાત જાણતું ના હોય એવું પણ હોઈ શકે છે. બળાત્કાર કે ખૂબ લાંબા સમય સુધી થયેલા જાતીય શોષણના કારણે બાળકના કુમળા માનસને ભયાનક માનસિક આઘાત લાગ્યો હોય છે.

આ મુશ્કેલીના મૂળમાં પણ કડક કાયદાનો અભાવ સૌથી મોટું પરિબળ છે. પોલીસ-અદાલતના શરણે જઈને પણ ન્યાય મળવાની શક્યતા નહીંવત હોવાથી જ માતા-પિતા ફરિયાદ કરતા ખચકાય છે. સમાજના ડર અને બાળકનું ભવિષ્ય બગડશે એવું મન મનાવીને પણ ફરિયાદ નથી થતી. બળાત્કારીને સજા જ ના થઇ હોય ત્યારે બાળકની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ માનસિક આઘાતમાંથી બહાર આવવાના બદલે વધુને વધુ અન્યાય, અપમાન અને જબરદસ્ત આક્રોશની લાગણીથી પીડાય એવી શક્યતા અનેકગણી વધારે હોય છે. આ સ્થિતિ એક નવા 'ગુનેગાર'ને જન્મ આપી શકે છે. વર્ષ ૨૦૧૪માં ૮૯,૪૨૩ બાળકો જાતીય શોષણનો ભોગ બન્યા પણ તેમાંથી ન્યાય કેટલાને મળ્યો કે મળશે? કદાચ એટલે જ જાતીય શોષણનો ભોગ બનેલા બાળકો માટે કામ કરતી ગોવાની 'સ્ટોપ ચાઈલ્ડ એબ્યુસ નાઉ' જેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ જસ્ટિસ એન. કિરુબકરમના સૂચનને આવકાર્યું છે. 

છેલ્લાં એક દાયકામાં બાળકો પરના બળાત્કારમાં ૩૩૬ ટકાનો વધારો થયો હોવા છતાં કડક કાયદા બનાવવા દિલ્હીના સામૂહિક બળાત્કાર જેવી કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી હોય એ હદે તંત્ર ઉદાસીન છે!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.

02 November, 2015

‘સરસ્વતીચંદ્ર’નો અનુવાદ: ૧૨૮ વર્ષ પછી થયેલું મહાકાર્ય


જે નવલકથા ગાંધીજીએ ધ્યાનથી વાંચીને છાતી ગજ ગજ ફૂલી જાય એવી નોંધ કરી હોય, જે નવલકથા વિશે 'દર્શક' મનુભાઈ પંચોળી કહ્યું હોય કે, ''ભારતના ઉજવણી પર્વમાં ગુજરાત પાસે આપવા જેવી બે ભેટ છે, એક મહાત્મા ગાંધી અને બીજી આ નવલકથા'', જે નવલકથાને ધુરંધર કવિ ન્હાનાલાલે વિશ્વ સાહિત્યની સર્વકાલીન મહાન વિભૂતીઓ જ્હોન વુલ્ફગાંગ વોન ગોથે (જર્મન કવિ) અને વિક્ટર હ્યુગો (ફ્રેંચ નવલકથાકાર, નાટયકાર અને કવિ)ની સાહિત્ય કૃતિઓ સાથે સરખાવી હોય, જે નવલકથા ૧૯મી સદીના ગુજરાતનો ઐતિહાસિક દસ્તાવેજ ગણાતી હોય, જે નવલકથા ગુજરાતના સર્વકાલીન એકથી દસ મહાન પુસ્તકોની યાદીમાં અચૂક સ્થાન પામતી હોય, જે નવલકથા ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા ગણાતી હોય, જે ગુજરાતી નવલકથાની ગણના ૧૯મી સદીના ભારતના કોઈ પણ ભાષામાં લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકમાં થતી હોય- એવી મહાન નવલકથા 'સરસ્વતીચંદ્ર'નો પહેલો 'સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ' કરીને વિશ્વ સમક્ષ વહેંચવામાં 'ગુજરાતે' ૧૨૮ વર્ષ લાંબો સમય લઈ લીધો છે.

જાણીતા ગાંધીવાદી વિચારક અને સાબરમતી આશ્રમના ડિરેક્ટર ત્રિદિપ સુહૃદે આઠ વર્ષની સતત અને સખત મહેનત કરીને આ અત્યંત કપરું કામ પૂરું કર્યું છે. સરસ્વતીચંદ્રના અંગ્રેજી અનુવાદનો પહેલો ભાગ પ્રકાશિત થઈ ગયો છે, જ્યારે બાકીના ત્રણ ભાગ આગામી દોઢ વર્ષમાં વાચકોના હાથમાં પ્રકાશિત થશે. ૧૯મી સદીમાં લખાયેલી આ નવલકથામાં કુટુંબ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, જીવનમાં ધર્મનું મહત્ત્વ અને ધર્મ થકી વ્યક્તિગત-સામાજિક મુક્તિની વાત આલેખાઈ છે. ભારતમાં અસહિષ્ણુતા, વાડાબંધી, ભ્રષ્ટાચાર અને કુશાસન સતત વધી રહ્યું છે ત્યારે 'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ થયો એ અનોખો યોગાનુયોગ છે. હા, દરેક કાળમાં આ પ્રકારની મુશ્કેલીઓ હોય છે એ વાત ખરી પણ એની સામે બૌદ્ધિકોનો આક્રોશ 'ક્લાસિકલ ફોર્મ'માં પ્રગટ થવો જરૂરી છે. આ આક્રોશ લેખનથી લઈને ચિત્ર, નાટક અને ફિલ્મ સહિતની કોઈ પણ કળાના સ્વરૂપમાં હોઈ શકે છે. જો આક્રોશ પણ ‘ગણતરીપૂર્વક’ વ્યક્ત કરાય કે પછી આક્રોશના નામે પૂર્વગ્રહયુક્ત ઝેર જ ઓકવામાં આવે તો સમાજ પર તેની અસર નહીંવત થાય છે. જોકે, દીર્ઘદૃષ્ટા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ આવા તમામ નકારાત્મક પરિબળોથી સલામત અંતર રાખીને ઘૂઘવતો આક્રોશ વ્યક્ત કરવા કુલ ચાર ભાગમાં 'સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલકથા લખી હતી.

અંગ્રેજીમાં અનુવાદિત ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-1નું કવર

‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ 'બુદ્ધિધનનો કારભાર' ઈસ. ૧૮૮૭માં પ્રગટ થયો ત્યારે ગોવર્ધનરામની ઉંમર હતી, ફક્ત ૩૨ વર્ષ. એ પછી ઈસ. ૧૮૯૩માં 'ગુણસુંદરીનું કુટુંબજાળ' (હા, ગુણસુંદરીનું-'ની' નહીં.)૧૮૯૭માં 'રત્નનગરીનું રાજ્યતંત્ર' અને ૧૯૦૧માં 'સરસ્વતીનું મનોરાજ્ય' એમ દોઢ દાયકાના કાળખંડમાં ગોવર્ધનરામે એક ક્લાસિક ગુજરાતી નવલકથા પૂરી કરી. આ નવલકથા વિશે ખુદ ગોવર્ધનરામે એક રસપ્રદ વાત કરતા કહ્યું છે કે, હું તો ફક્ત નિબંધ લખવા માગતો હતો... જો  ગોવર્ધનરામ ફક્ત એક નિબંધ લખવા માગતા હતા તો આટલું બધું શું લખી નાંખ્યું? પહેલા ભાગની વાર્તા ઈસ. ૧૮૮૭ની આસપાસના કાળખંડમાં શરૂ થાય છે. એટલે કે, એ ગુજરાતી સમાજ ઈસ. ૧૮૫૭નું આઝાદીનું આંદોલન જોઈ ચૂક્યો હોય છે. રાજા-રજાવાડા ખતમ થઈ રહ્યા હોય છે અને યુનિવર્સિટી શિક્ષણની શરૂઆત થઈ ગઈ હોય છે. આ બધી જ વાત એક બ્રાહ્મણ પરિવારની આસપાસ ગૂંથાયેલી છે. આ ભાગમાં સત્તાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ થાય ત્યારે મૂલ્યોનું સંપૂર્ણપણે ધોવાણ કેવી રીતે થાય છે એ વાત કહેવાઈ છે. બીજા ભાગની વાર્તા આધુનિક-શિક્ષિત ગુજરાતી પરિવારની આસપાસ ફરે છે, જેમાં શિક્ષિત દંપત્તિના વિચારો શિક્ષણના કારણે કેવી રીતે બદલાય છે એ વાત છે. આ ઉપરાંત તેમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં વ્યક્તિની અંગત આઝાદી છીનવાઈ જાય છે કે પછી વ્યક્તિને સુરક્ષા મળે છે?- એ મુદ્દો પણ છેડાયો છે. આ ભાગમાં ગોવર્ધનરામ આવી વાતો કરતા કરતા મોડર્ન-સ્ટાઈલિશ લાઈફ સ્ટાઈલ વિશે પણ ઘણું બધું કહેતા જાય છે.

નવલકથા ત્રીજા ભાગથી નવું રૂપ ધારણ કરે છે. અહીં ગોવર્ધનરામ રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ એની વાત કરીને 'રાજધર્મ'ની ઊંડી છણાવટ કરે છે. આ ભાગમાં વાચકને 'મહાભારત'નું પ્રતિબિંબ જોવા મળે છે. આટલું લખ્યા પછીયે ગોવર્ધનરામને ઘણું બધું કહેવું છે એટલે તેઓ ચોથો ભાગ પણ લખે છે. આ ભાગમાં તેઓ સમાજ માટે ધર્મની જરૂર કેટલી હોઈ શકે એ વાત કરે છે. અહીં તેઓ સમાજનો પુનરોદ્ધાર કરવા ધર્મ કેટલો ઉપયોગી નીવડી શકે? તેમજ આધુનિક જીવનમાં સંન્યાસી જીવનનું મહત્ત્વ શું?- એવા સવાલો ઊભા કરીને તેના જવાબ આપે છે. આ ઉપરાંત તેઓ આધુનિક સાધુ જીવનની કલ્પના કરે છે, જેમાં સ્ત્રીઓની હાજરી સામે વાંધો નથી. આ ભાગમાં તેઓ સાબિત કરે છે કે, ધર્મની ગેરહાજરીમાં સમાજનો પુનરોદ્ધાર શક્ય નથી. આ સાથે જ ચોથો ભાગ અને 'સરસ્વતીચંદ્ર' નવલકથા પણ પૂરી થાય છે. ધર્મની હાજરીનો અર્થ અહીં ઘણો વિશાળ છે. સમાજમાં ધર્મની હાજરીનો અર્થ આખો સમાજ ધર્મભીરુ અને ચરિત્રવાન હોય- એવો પણ થાય છે. જો સમાજ જ ઉચ્ચ નીતિમૂલ્યો ધરાવતો હોય તો સત્તા પણ સતત સાવચેત રહે અને સત્તા પણ સુશાસન માટે સતત પ્રયત્નશીલ રહે. જોકે, નવલકથા વાંચતી વખતે દરેક વખતે નવા નવા અર્થો મળતા જાય છે. એટલે જ આનંદશંકર ધ્રુવે 'સરસ્વતીચંદ્ર'ને 'કલિયુગનું પુરાણ' કહી છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી

આ નવલકથામાં ગોવર્ધનરામ આદર્શ કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મ એમ ચારેય વ્યવસ્થાની સમજ આપવા ભર્તુહરિ, કાલિદાસ, ભવભૂતિ, ભગવદ્ ગીતા, મહાભારત, પંચતંત્રના સંસ્કૃતપ્રચુર અવતરણોની સાથે વિલિયમ શેક્સપિયર, ઓલિવર ગોલ્ડસ્મિથની નવલકથાઓ, નાટકો તેમજ વિલિયમ વર્ડ્સવર્થ, જ્હોન કિટ્સ, વિલિયમ કૂપર અને પર્સી શેલીની કવિતાઓ જેવા ક્લાસિક પશ્ચિમી સાહિત્યના પણ ઉલ્લેખો કરતા જાય છે. એ રીતે પશ્ચિમી સાહિત્યના તત્કાલીન ગુજરાતી સાહિત્ય પરના પ્રભાવને સમજવા પણ આ કૃતિ મહત્વની છે. ૧૯મી સદીમાં જન્મેલી અને પશ્ચિમી સંસ્કૃતિથી વાકેફ ગાંધીજી સહિતના અનેક હસ્તીઓએ 'સરસ્વતીચંદ્ર' વિશે અભિપ્રાયો આપ્યા હતા. મહાદેવ દેસાઈની ૨૫મી માર્ચ, ૧૯૩૨ની ડાયરીમાં ગાંધીજીએ 'સરસ્વતીચંદ્ર' વિશે આપેલા અભિપ્રાયની નોંધ છે. ગાંધીજીએ નવલકથા વાંચીને કહ્યું હતું કે, ''પહેલા ભાગમાં એમણે પોતાની બધી જ કળા ઠાલવી દીધી છે. આ વાર્તા સૌંદર્યરસથી ભરપૂર છે. પાત્રાલેખન બેજોડ છે. બીજામાં હિંદુ સમાજ સરસ રીતે આલેખાયો છે, ત્રીજામાં એમની કળા વધુ ઊંડી ગઈ છે અને તેઓ જે કંઈ આપવા માગતા હતા એ ચોથા ભાગમાં ઠાલવી દીધું છે.''

૧૯મી સદીના ગુજરાતી સમાજ પર 'સરસ્વતીચંદ્ર'એ ઘેરી છાપ છોડી હતી એ વાતમાં કોઈ શંકા નથી. આ કૃતિ અંગ્રેજીમાં નહીં હોવા છતાં વર્ષ ૧૯૬૮માં ગોવિંદ સરૈયાએ મનીષ અને નૂતનને લઈને 'સરસ્વતીચંદ્ર' ફિલ્મ બનાવી હતી, જેને બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. આ કારણોસર 'સરસ્વતીચંદ્ર' નવલકથા ગુજરાત બહાર પણ થોડી ઘણી જાણીતી હશે એવું માની શકાય.  ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં 'સરસ્વતીચંદ્ર'ના પાઠ આવે છે એવી જ રીતે, દિલ્હી અને કોલકાતામાં પણ તે ભણાવાઈ રહી છે. જો નવલકથા અંગ્રેજી કે બીજી ભાષામાં ભાષામાં અનુવાદિત નથી થઈ તો ભણાવાઈ છે કેવી રીતે? રસપ્રદ વાત એ છે કે, આ બંને રાજ્યોમાં 'સરસ્વતીચંદ્ર' ભણાવવા 'સ્ક્રેપ બુક્સ- ભાગ-૧,,'નો ઉપયોગ થઈ રહ્યો છે. આ સ્ક્રેપ બુક એટલે ગોવર્ધનરામે ઈસ. ૧૮૮૮થી ૧૯૦૬ દરમિયાન અંગ્રેજીમાં લખેલી રોજનીશી. આ સ્ક્રેપ બુકનો પહેલો ભાગ વર્ષ ૧૯૫૭માં અને બાકીના બે ભાગ ૧૯૫૯માં પ્રકાશિત થયા હતા.

જોકે, અત્યારના વિદ્યાર્થીઓ કે નવલકથા રસિયાઓને ૨,૨૦૦ પાનાંમાં ફેલાયેલી, ૧૫૦ પાત્રો ધરાવતી, સંસ્કૃતપ્રચુર ગુજરાતીમાં સામાજિક નિસબત સાથે લખાયેલી અને ક્લાસિક સંસ્કૃત-પશ્ચિમી સાહિત્યકૃતિઓનું શિક્ષણ આપતી જતી 'સરસ્વતીચંદ્ર' નવલકથા ધીમી અને કંટાળાજનક લાગી શકે છે! પરંતુ ૧૨૮ વર્ષ પહેલાં લખાયેલી આ કૃતિને એ જમાનાના ગુજરાતી, ભારતીય અને વિશ્વ સાહિત્યના સંદર્ભમાં મૂલવવાની હોય. વળી, આ કૃતિમાં ગોવર્ધનરામે સમાજની વિવિધ મુશ્કેલીઓને ઝીલીને એક 'આદર્શ સમાજ'ની રચના કેવી રીતે થઈ શકે એ કહેવાનો પ્રયાસ કર્યો છે. ઈસ. ૧૮૭૩માં ગોવર્ધનરામે માત્ર ૧૮ વર્ષની ઉંમરે અંગ્રેજીમાં ભાષણ આપવાના હેતુથી બે લેખ લખ્યા હતા. આ લેખના શીર્ષક હતાઃ 'ઈઝ ધેર એની ક્રિયેટર ઓફ ધ યુનિવર્સ?' અને 'ધ સ્ટેટ ઓફ હિંદુ સોસાયટી ઈન બોમ્બે પ્રેસિડેન્સી'. ગોવર્ધનરામની વિદ્વતાનો આ નાનકડો પુરાવો છે. 

એ રીતે આ નવલકથા એક માઇલસ્ટોન છે, ગુજરાતની અંગ્રેજી માધ્યમમાં ભણતી નવી પેઢી અને વિશ્વભરના વાચકો સુધી ‘સરસ્વતીચંદ્ર’ને પહોંચાડવા અંગ્રેજી અનુવાદની અનિવાર્યતા વિશે હવે વધુ કહેવાની જરૂર ખરી

સાહિત્ય પ્રજાથી જીવે છે, અકાદમીથી નહીં!

ત્રિદિપ સુહૃદ
'સરસ્વતીચંદ્ર'નો અંગ્રેજીમાં અનુવાદ કરનારા ત્રિદિપ સુહૃદે આ પુસ્તક ફક્ત દસ વર્ષની ઉંમરે વાંચ્યું હતું. આ પુસ્તકનો અને ગુજરાતી સાહિત્યનો પરિચય તેમને તેમની માતાએ કરાવ્યો હતો. આ અનુવાદ કરતા પહેલાં પણ ત્રિદિપ સુહૃદ આ કૃતિ અનેકવાર વાંચી ચૂક્યા છે. આટલી મહાન કૃતિનો અત્યાર સુધી અનુવાદ કેમ ના થયો એ અંગે તેઓ કહે છે કે, ૧૨૮ વર્ષમાં 'સરસ્વતીચંદ્ર'ના પાંચેક વાર અનુવાદ થઈ જવા જોઈતા હતા. ગાંધી સાહિત્યનો અંગ્રેજીમાં ભરપૂર અનુવાદ થયો છે કારણ કે, ગાંધીની આસપાસ એવા પ્રતિબદ્ધ લોકો હતા, જેમને ગાંધીની વાત વિશ્વને પહોંચાડવી હતી. વળી, એ વખતના સાક્ષરો એકથી વધારે ભાષામાં ઊંડો રસ લેતા હતા. આજે હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, મલયાલમ અને તમિલ જેવી ભાષાઓનું સાહિત્ય અંગ્રેજીમાં અનુવાદિત થઈને વિશ્વ સમક્ષ મૂકાય જ છે પણ ગુજરાતીમાં એવું થતું નથી. એ પ્રક્રિયા અટકી ગઈ છે એમાં કોઈ શંકા નથી. આપણી પાસે અખો, નરસિંહ મહેતા, મેઘાણી અને મુનશીનું ક્લાસિક સાહિત્ય છે પણ એનોય અનુવાદ નથી થયો. મેઘાણીના ૮૮ સુંદર પુસ્તકો છે, જેમાંથી માંડ ત્રણેકનો અંગ્રેજી અનુવાદ થયો છે. ભદ્રંભદ્રજેવી સુંદર હાસ્ય નવલકથા પણ ગુજરાતીઓ પાસે છે પણ એનોય અનુવાદ નથી થયો.

અત્યારે તો અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધી રહી છે. ગુજરાતી વિષય તરીકે પણ ભણાવવાનું ઘટી રહ્યું છે તો ભવિષ્યમાં ઉત્તમ ગુજરાતી સાહિત્ય લખાવાનું તો ઠીક એના અનુવાદનું કામ પણ અટકી નહીં જાય? એવી ચિંતાનો જવાબ આપતા ત્રિદિપ સુહૃદ કહે છે કે, અંગ્રેજી માધ્યમમાં ભણીને પણ ગુજરાતી ભાષામાં રસ લઈ શકાય છે. અત્યારે તો ઉત્તમ સાહિત્યના અનુવાદની બહુ જ મોટી તક છે કારણ કે, ગુજરાતનો બહુ જ મોટો વર્ગ વિદેશ જઈને વસ્યો છે અને હજુ થોડા વર્ષો પછી એ લોકોએ પોતાના મૂળિયાને જોવા-જાણવા ઉત્તમ ગુજરાતી પુસ્તકોના અનુવાદનો જ સહારો લેવો પડશે. આજેય બંગાળીઓ પોતાની પાસે જે કંઈ પણ સારું હોય એ તરત જ વિશ્વ સમક્ષ મૂકે છે, ઘણી ભાષાઓમાં આવું સતત થતું હોય છે પણ ગુજરાતીમાં એવું નથી કારણ કે, સાહિત્ય એ સંસ્થાઓ કે અકાદમીઓથી નહીં પણ પ્રજાથી જીવે છે.