24 August, 2017

જિનકો થા જબાં પે નાઝ, ચૂપ હૈ વો જબાં-દરાજ


અયુબ ખાન જાલિબને વારંવાર જેલમાં ધકેલી દેતા પણ જાલિબ વધુ દૃઢ મનોબળ લઈને જેલમાંથી બહાર આવતા. ફક્ત સરકાર વિરોધી કવિતાઓ લખવાના કારણે ૬૪ વર્ષની જિંદગીમાંથી ત્રીસેક વર્ષ જાલિબે જેલમાં વીતાવવા પડ્યા હતા. સરમુખત્યારો જાલિબની કવિતાઓથી એટલા ડરતા હતા કે, જેલમાં તેમને કાગળ-પેન ના પહોંચી જાય તેનું પણ ધ્યાન રાખતા. એકવાર જાલિબને જેલમાં કવિતા લખતા રોકાયા તો તેમણે જેલરને કહ્યું કે, તમે મને કાગળ-પેન નહીં આપો તો કંઈ નહીં. હું તમારી જેલનું રક્ષણ કરતા પહેરેદારોને મારી કવિતા સંભળાવીશ. એ લોકો ચાર રસ્તે જઈને મારી કવિતાઓ ગાશે અને પછી એ શબ્દો લાહોર પહોંચી જશે...

વર્ષ ૧૯૮૧માં ઝિયા ઉલ હકના જુલમી શાસનનો વિરોધ કરવા લાહોરમાં યોજાયેલી
એક રેલીમાં પાકિસ્તાની સેનાના જવાનોએ જાલિબને ધક્કે ચઢાવ્યા અને માર માર્યો એ ક્ષણ. 


એકવાર જાલિબે અયુબ ખાનની સાથે સાથે પાકિસ્તાનની પ્રજાની પણ મજાક ઉડાવી હતી. કેવી રીતે? વિખ્યાત નજમ 'મુશીર' લખીને. આ નજમની શરૂઆત જુઓ.

મૈને ઉસસે યે કહા
યે જો દસ કરોડ હૈ, જૈહલ કા નિચોડ હૈ
ઈનકી ફિક્ર સો ગઈ, હર ઉમ્મીદ કિ કિરન
જુલ્મતો મેં ખો ગઈ, યે ખબર દુરસ્ત હૈ
ઈનકી મૌત હો ગઈ, બે શઉર લોગ હૈ
જિંદગી કા રોગ હૈ, ઔર તેરે પાસ હૈ
નકે દર્દ કી દવા...

જાલિબ અયુબ ખાનને સંબોધીને કહે છે કે, આ દસ કરોડ (પાકિસ્તાનની વસતી) લોકો અવગણનાઓનો નિચોડ છે. તેમની ચિંતાઓ, સપનાં અંધકારમાં ખોવાઈ ગયા છે. આ સાચા સમાચાર છે. આ બધી જીવતી લાશો છે, મગજ વિનાના લોકો છે. આ લોકોનું જીવન જ રોગ છે. ફક્ત તારી પાસે આ લોકોના દર્દની દવા છે...

જાલિબ લોકપ્રિય હતા એ બરાબર, પણ સાચા સર્જક-વિચારકના નસીબમાં હંમેશા સામા પાણીએ તરવાનું  હોય છે. આપણે દરેક કાળમાં જોયું છે કે, સત્યવાદીને રાજાનો તો ઠીક, પ્રજાનો સાથ ના હોય એવું પણ બને! સામાન્ય માણસો હંમેશા સરકારના પ્રોપેગેન્ડાનો શિકાર થઈ જાય છે અને ક્રાંતિની મશાલ લઈને નીકળનારા સર્જકો બદનામ થઈ જતા હોય છે. આ પ્રકારના દુ:ખમાંથી 'મુશીર' જન્મી હતી. આ નજમના આગળના શબ્દો વાંચો.

મૈને ઉસસે યે કહા
તુ ખુદા કા નૂર હૈ, અકલ કે શઉર હૈ
કૌમ તેરે સાથ હૈ, તેરે હી વજુદ સે,
મુલ્ક કી નજાત હૈ, તુ હૈ મેહરે સુબ્હે નૌ
તેરે બાદ રાત હૈ, બોલતે જો ચંદ હૈ
સબ યે શર પસંદ હૈ, ઈનકી ખીંચ લે જબાં, ઈનકા ઘોંટ દે ગલા...

આ કડીમાં જાલિબ અયુબ ખાન અને પાકિસ્તાનની પ્રજાને એકસાથે આડે હાથ લીધી છે. દુર્જનોની સક્રિયતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ખતરનાક સાબિત થતી હોય છે. આ વાત જાલિબ જબરદસ્ત રીતે રજૂ કરે છે. અયુબ ખાનને સંબોધીને જાલિબ કહે છે કે, તુ જ ઈશ્વરનું કિરણ છુ. ડહાપણ અને જ્ઞાનની મૂર્તિ છુ. દેશની પ્રજા તારી સાથે છે. હવે ફક્ત તારી કૃપાથી જ આ દેશ બચી શકશે. તુ જ નવી સવારનું કિરણ છુ. તારા પછી અંધકાર જ છે. જે લોકો ઓછું બોલે છે. એ બધા જ ઘાતક ઉપદ્રવીઓ છે. એ લોકોની જીભ ખેંચી લે. ગળુ ઘોંટી દે...

આમ, જાલિબ હિંસાનું કામ અયુબ ખાનને સોંપીને તેમના પર પણ વ્યંગ કરે છે. વિચાર અને વ્યંગની ફટકાબાજીમાં જાલિબે મહારત હતી. જાલિબના મિત્ર અને ઉર્દૂના મશહૂર શાયર હાફિઝ જલંધરી અયુબ ખાનના સલાહકાર હતા. જલંધરી સાહેબ એટલે પાકિસ્તાનના રાષ્ટ્રગીતના રચિયતા. પાકિસ્તાનમાં તેમના માનપાન પણ વધારે. એકવાર તેમણે જાલિબને આડકતરી રીતે ફરિયાદ કરી કે, '... આજકાલ તો હું અયુબ ખાનના સલાહકાર તરીકે કામ કરું છું. બહુ કામ રહે છે. રાત્રે ત્રણ વાગે પણ ફોન કરીને જગાડે છે...'

જલંધરી સાહેબ ઉત્તમ સર્જક ખરા, પરંતુ તેમનામાં જાલિબ જેવી નિસબત અને હિંમત ન હતી. આ વાત સાંભળીને જાલિબ 'મુશીર'ની પાછળની કડીઓમાં અયુબ ખાન અને જલંધરી પર પણ ફટકાબાજી કરે છે. વાંચો અને સાંભળો. 

મૈને ઉસસે યે કહા
જિનકો થા જબાં પે નાઝ, ચૂપ હૈ વો જબાં-દરાજ
ચૈન હૈ સમાજ મેં, બે-મિસાલ ફર્ક હૈ
કલ મેં ઓર આજ મેં અપને ખર્ચ પે હૈ કેદ
લોગ તેરે રાજ મેં, આદમી હૈ વો બડા
દર પે જો રહે પડા, જો પનાહ માંગ લે, ઉસકી બક્ષ દે ખતા... 



જાલિબ ઓછા શબ્દોમાં બહુ મોટી વાત કરી દે છે. જાલિબ અયુબ ખાનને સંબોધીને જલંધરી પર ઈશારો કરતા કહે છે કે, જેમને પોતાની વાકપટુતા પર ગર્વ હતો, એવા તોછડા લોકોની જીભ શાંત છે. સમાજમાં શાંતિ છે, પણ કાલની અને આજની શાંતિના ઉદાહરણોમાં ફર્ક છે. તારા રાજમાં કેટલાક લોકો પોતાના ખર્ચા-પાણીના ગુલામ છે. એ પણ મોટા માણસ જ છે, જે તારા દરવાજે પડ્યા રહે છે. જે તારા શરણે આવી જાય, તેમની ભૂલોને તુ માફ કરી દેજે...

હાફિઝ જલંધરી રાષ્ટગીતના રચયિતા હોવાના કારણે પાકિસ્તાનીઓને યાદ છે, પરંતુ જાલિબની કવિતાઓ  પાકિસ્તાનના 'લાલ બેન્ડ'ના યુવાન રોકસ્ટાર ગાઈ રહ્યા છે. જાલિબના શબ્દોનો ખૌફ હજુયે એવો છે. આ બેન્ડ પર પણ અવારનવાર પ્રતિબંધ મૂકાય છે, તેમનું ફેસબુક પેજ બ્લોક કરાય છે અને જાહેર ચર્ચામાં ભાગ લેતા રોકાય છે. તેમનો વાંક એટલો જ છે કે, તેઓ પ્રોગ્રેસિવ છે. લાલ બેન્ડ જાલિબ અને ફૈઝ અહેમદ ફૈઝના ક્રાંતિકારી શબ્દોને સંગીતમાં મઢીને ઘરે ઘરે પહોંચાડીને ચર્ચા જગાવે છે કે, રાજકારણમાં લશ્કરની દખલગીરી ના હોવી જોઈએ, સ્ત્રીઓને પણ પુરુષો જેટલા જ હક હોવા જોઈએ વગેરે. જાલિબ ખરા અર્થમાં જીવે છે, જ્યારે જલંધરી અપ્રસ્તુત છે.     

અયુબ ખાને વિરોધને પગલે ૧૯૬૫માં ચૂંટણીઓ યોજવી પડી હતી, જેમાં જાલિબ ફાતિમા ઝીણાની તરફેણમાં હતા. જાલિબ જાણતા હતા કે, ચૂંટણી ફક્ત નામની છે, જીત તો અયુબ ખાનની જ થશે. અયુબ ખાને અમેરિકાને સોવિયેત યુનિયન સામે લડવા પાકિસ્તાનમાં એરબેઝ ઊભા કરવાની મંજૂરી આપી હતી. આ રીતે અયુબ ખાને અમેરિકાને પણ પટાવી લીધું અને પાકિસ્તાની સેનાના હિંસાચારની વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભો થયેલો અવાજ પણ ધીમો પાડી દીધો. આ દરમિયાન અયુબ ખાને ફાતિમા ઝીણાની વિરુદ્ધમાં જડસુ માનસિકતા ધરાવતા પુરુષો અને મૌલાનાઓને ઊભા કર્યા. આ પુરુષો જાહેરમાં મૌલાનાઓને સવાલ કરતા કે, એક ઔરત દેશની હુકુમત ચલાવી શકે? આવા સવાલોના જડસુ જવાબો સાંભળીને જાલિબે મૌલાનાઓ પર પ્રહાર કરતી 'મૌલાના' નામની કવિતા લખી. આ વ્યંગબાણ પણ સાંભળો. 




હકીકત ક્યાં હૈ આપ જાને ઔર ખુદા જાને
સુના હૈ જિમી કાર્ટર આપકા હૈ પીર મૌલાના
જમીનેં હો વડેરો કી, મશીને હો લૂટેરો કી
ખુદાને લિખ કે દી હૈ આપકો તહરીર મૌલાના.

જાલિબ જિમી કાર્ટરને મૌલાનાઓના પીર ગણાવે છે અને પછી કહે છે કે, મૌલાનાઓ પાસે જમીનો વડવાઓની છે, લૂંટારુઓના હથિયાર છે. ખુદાએ તમને મિલકતો લખીને આપી દીધી છે... આજેય પાકિસ્તાનમાં ઈશ નિંદા કરનારાને સીધી ફાંસી થાય છે, જ્યારે જાલિબે અયુબ ખાનના પાકિસ્તાનમાં આ શબ્દો લખ્યા હતા. 'મુસલમાનો પર ખતરો છે' એવો પ્રચાર કરીને હિંસાને પ્રોત્સાહન આપતા લોકો સામે પણ જાલિબે 'ઈસ્લામ ખતરે મેં' નામની નજમ લખી હતી.

ખતરા હૈ દરબારો કો, શાહો કે ગમખારો કો, નવાબો ગદ્દારો કો
ખતરે મેં ઈસ્લામ નહીં

જાલિબ કહે છે કે, હવે પાકિસ્તાનમાં ઈસ્લામ નહીં પણ દરબારીઓ, રાજાઓના હમદર્દો અને નવાબો સાથે ગદ્દારી કરે એ લોકો પર ખતરો છે. જાલિબને સપ્ટેમ્બર ૧૯૭૮થી ઓગસ્ટ ૧૯૮૮ વચ્ચે ઝિયા ઉલ હકના શાસનમાં સૌથી વધારે અત્યાચાર સહન કરવો પડ્યો. કટ્ટર ઈસ્લામિક રાજના તરફદાર એવા ઝિયાનું શાસન બૌદ્ધિકો માટે ગૂંગળાવનારું હતું. ઝિયાએ જાલિબને દસ વર્ષ જેલમાં ધકેલી દીધા હતા. એ ગાળામાં જાલિબે એક 'માસ્ટરપીસ'નું સર્જન કર્યું.

ઝુલ્મત કો ઝિયા, સર સર કો સબા, બંદે કો ખુદા ક્યાં લિખના
પત્થર કો ગુહર, દીવાર કો દર, કર્ગસ કો હુમા ક્યાં લિખના
ઈક હશ્ર બપા હૈ ઘર ઘર મૈં, દમ ઘુંટતા હૈ ગુમ્બદ-એ-બે-દર મૈં
ઈક શખ્સ કે હાથોં મેં મુદ્દત સે રુસ્વા હૈ વતન દુનિયા ભર મૈં
એ દીદા-વરો ઈસ જિલ્લત કો કિસ્મત કા લિખા ક્યાં લિખના
ઝુલ્મત કો ઝિયા...

જાલિબની કલમમાંથી આ શબ્દો કેમ નીતર્યા હતા એ સમજીએ. ઝિયાના શાસનમાં પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ આતંકી સંગઠનોને જબરદસ્ત પ્રોત્સાહન અપાતું. પાકિસ્તાનની ગલીએ ગલીએ કાલાશ્નિકોવ કલ્ચર અને ડ્રગ માફિયાનું રાજ ચરમસીમાએ પહોંચી ગયું હતું. ઘર ઘરમાં યુવા પેઢીની બરબાદી થઈ ગઈ હતી અને છતાં ઝિયા ઈચ્છતા હતા કે, સાહિત્યકારો સરકારના વખાણ કરે. આ સ્થિતિને બયાં કરવા જાલિબ શબ્દોની સુંદર કરામત કરે છે. 'ઝિયા' શબ્દનો અર્થ પ્રકાશનું કિરણ, તેજસ્વિતા એવો થાય. એટલે જાલિબ ઝુલ્મત કો ઝિયા’ નજમમાં પહેલી જ લીટીથી ઝિયા પર શાબ્દિક ફટકાબાજી કરે છે. આ પણ વાંચો અને સાંભળો. 




જુલ્મની રાતને હું પ્રકાશનું કિરણ (ઝિયા) કેવી રીતે કહું?
ઝેરી ધુમાડાને સવારની તાજી હવા કેવી રીતે કહું?
હું શેતાનને ભગવાન કેવી રીતે કહું?
પથ્થરને રત્ન, દીવાલને દરવાજો અને ગીધડાંને એક સુંદર પક્ષી કેવી રીતે કહું?
ઘરે ઘરે આફત આવી છે, દીવાલો વિનાના ગુંબજમાં પણ ગૂંગળામણ થાય છે
એક માણસના કારણે મારું વતન દુનિયાભરમાં બદનામ છે
હે ચક્ષુઓ, આ અપમાનને હું નસીબની બલિહારી કેવી રીતે કહું?

***

લાલ બેન્ડના કારણે આજેય આ પાકિસ્તાની યુવાનોમાં લોકપ્રિય છે. અખંડ ભારતમાં પંજાબના હોશિયાપુરમાં ૨૪મી માર્ચ, ૧૯૨૮ના રોજ હબીબ જાલિબનો જન્મ થયો હતો, પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જાલિબનો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો. તેમના પિતા પણ  પંજાબી ભાષામાં લખતા કવિ, શાયર હતા. જાલિબને પિતા પાસેથી શાયરાના મિજાજ અને ડાબેરી કર્મશીલો પાસેથી ક્રાંતિકારી વિચારો મળ્યા.

જાલિબે  'ડેઈલી ઈમરોઝ' નામના અખબારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ યુવાકાળથી જ પ્રગતિશીલ ડાબેરી લેખક સંગઠનના સભ્ય હતા. ડાબેરી વિચારોના પ્રભાવના કારણે જાલિબ જીવનભર અમેરિકાની નીતિઓ અને મૂડીવાદને વખોડતા રહ્યા. એશિયાઈ દેશો અમેરિકાને સાથે આપી અંદરોદર ઝઘડતા ત્યારે જાલિબે 'કામ ચલે અમેરિકા કા' નજમ લખી.

નામ ચલે હરનામદાસ કા, કામ ચલે અમેરિકા કા
મૂરખ ઈસ કોશિષ મેં હૈ, સૂરજ ન ઢલે અમેરિકા કા
નિર્ધન કિ આંખો મેં આંસુ આજ ભી હૈ ઓર કલ ભી થે
બિરલા કે ઘર દીવાલી હૈ, તેલ જલે અમેરિકા કા...

અહીં બિરલા એક પ્રતીક માત્ર છે. જાલિબે 'સરકારી કવિઓ' સાથે પણ અંગત દ્વેષ-વેર નહોતું રાખ્યું. ભારત પ્રત્યે પણ તેમને ઊંડો લગાવ હતો. દુ:ખદર્દના દિવસોમાં શક્તિ મેળવવા જાલિબ લતા મંગેશકરને સાંભળતા. જાલિબે તેમની પ્રશંસા કરતી એક કવિતા પણ લખી હતી.  
 
ક્યાં ક્યાં તુને ગીત હૈ ગાયે, સુર જબ લાગે મન ઝુક જાયે
તુજકો સુનકર જી ઉઠતે હૈ, હમ જૈસે દુ:ખ દર્દ કે મારે
તેરે મધુર ગીતો કે સહારે, બીતે હૈ દિન-રૈન હમારે...     

***

આખરે ૧૨મી માર્ચ, ૧૯૯૩ના રોજ ૬૪ વર્ષની વયે જાલિબનું મૃત્યુ થયું અને પાકિસ્તાનના રૂઢિચુસ્ત શાસકો, લશ્કરી અધિકારીઓ અને મૌલાનાઓએ હાંશકારો અનુભવ્યો. જોકે, જાલિબના શબ્દો તો હજુયે પ્રસ્તુત છે. જૂન ૨૦૦૧થી ઓગસ્ટ ૨૦૦૮ દરમિયાન જનરલ મુશર્રફના શાસનનો વિરોધ કરવા કરાચી, લાહોર, ઈસ્લામાબાદ અને પંજાબના પ્રગતિશીલ મુસ્લિમોને જાલિબની કવિતાઓમાંથી શક્તિ મેળવી હતી. ૨૩મી માર્ચ, ૨૦૦૯ના રોજ આસિફ અલી ઝરદારી સરકારે જાલિબને પાકિસ્તાનના સર્વોચ્ચ પુરસ્કાર 'નિશાન-એ-ઈમ્તિયાઝ' (મરણોત્તર)થી નવાજ્યા હતા.

જ્યારે પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ઘોંટાય, સરકાર હિંસા-દ્વેષને પ્રોત્સાહન આપે, ગરીબના આંસુની કોઈને પડી ના હોય અને મૂડીવાદીઓનું પેટ વધુને વધુ મોટું થયા કરે ત્યારે સમજવું કે જાલિબ હજુયે પ્રસ્તુત છે.

આશા રાખીએ, જાલિબ જેવા કવિઓ ઝડપથી અપ્રસ્તુત થાય! (પૂર્ણ)

નોંધઃ પહેલા વીડિયોમાં ‘મુશીર’ નજમ સાંભળી શકાશે, બીજામાં મૌલાનાઓની ખબર લીધી એ વીડિયો છે, જ્યારે ત્રીજો વીડિયો લાલ બેન્ડે ગાયેલી જાલિબની માસ્ટર પીસ નજમ ‘દસ્તૂર’નો છે. આ લેખનો ભાગ-1

23 August, 2017

મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ, જબ હમ કરતે હૈ ફરિયાદ


૨૫ મી માર્ચ, ૧૯૬૯થી ૨૦મી ડિસેમ્બર ૧૯૬૯. આ સમયગાળામાં પાકિસ્તાનમાં યાહ્યા ખાનનું ખૌફનાક લશ્કરી શાસન હતું. આ ગાળામાં એક દિવસ રાવલપિંડીના મરી નામના સુંદર હિલ સ્ટેશન પર ભવ્ય મુશાયરાનું આયોજન કરાયું હતું. પાકિસ્તાનના દિગ્ગજ કવિઓ, શાયરો અને ગઝલકારો પોતાની રચનાઓ સાંભળવા ખાસ રાવલપિંડી આવ્યા હતા. રાવલપિંડી એટલે પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈનું વડું મથક. રાવલપિંડીની હવામાં લશ્કરી બેન્ડની ડણક ગૂંજી રહી હતી. મુશાયરાના સ્ટેજની પાછળ કોઈ સર્જકની નહીં પણ યાહ્યા ખાનની તસવીર લગાવાઈ હતી. યાહ્યા ખાનના શાસનમાં અખબારોએ શું છાપવું, લેખકોએ શું લખવું, કોલમકારોએ પ્રજાને કેવી રીતે ભરમાવવા અને કવિઓએ કેવી કવિતા કરવી, એ બધું જ પાકિસ્તાની લશ્કર નક્કી કરતું.

મુશાયરામાં એક યુવાન કવિ પણ હાજર હતો. એ કવિ સ્ટેજ પર આવ્યો એ પહેલાં અનેક શાયરો-ગઝલકારો પોતાની રચનાઓ રજૂ કરીને વાહવાહી મેળવી ચૂક્યા હતા. લશ્કરી અધિકારીઓના ઈશારે એ યુવા કવિને કવિતા સંભળાવવા સૌથી છેલ્લે થોડો ઘણો સમય અપાયો હતો. મુશાયરો હોવા છતાં ગજબની શાંતિ હતી, વાતાવરણ ભારેખમ હતું. જાણે યાહ્યાખાનના ખૌફથી પાંદડું પણ હલતું ન હતું. જોકે, પેલા મસ્ત કવિએ તો સ્ટેજ પર યાહ્યા ખાનની તસવીર સામે ખુમારીભરી નજર નાંખીને થોડા ઘોઘરા અને જિંદાદિલ અવાજમાં એક શેર લલકાર્યો.     

હબીબ જાલિબ

તુમસે પહેલે વો જો શખ્સ યહાં તખ્ત નશીં થા
ઉસે ભી અપના ખુદા હોને કા ઇતના હી યકીં થા
કોઈ ઠહરા હો જો કિ લોગો કો બતાઓ
વો કહાં હૈ, કે જિન્હે નાઝ અપને તઇં થા.     

આ શેર લલકારનાર કવિ એટલે જીવનભર લશ્કરી શાસનનો વિરોધ કરીને લોકશાહીનું સમર્થન કરનારા હબીબ જાલિબ. આ શેરની પહેલી લીટી તો સમજાય એવી છે, પણ બીજી લીટીમાં જાલિબ કહે છે કે, એવો કયો સરમુખત્યાર છે જે લાંબો સમય ટક્યો છે. હોય તો કહો. જેમને પોતાના પર નાઝ હતા એ બધા ખોવાઈ ગયા, જોઈ લો. યાહ્યા ખાનની તસવીર ધરાવતા સ્ટેજ પરથી ગોફણની જેમ વછૂટેલો આ શેર ગૂંજતા જ લશ્કરના ચાંપલૂસ કવિઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને સ્વાભાવિક રીતે જ 'મુશાયરો પૂરો થઈ ગયો છે' એવું જાહેર કરી દેવાયું. કોઈ દોઢડાહ્યા કવિએ જાલિબને કહ્યું પણ ખરું કે, યે સબ કહેને કા યે મૌકા નહીં થા. ત્યારે જાલિબે જવાબ આપ્યો કે, મેં મૌકાપરસ્ત (તકવાદી) નહીં હું.

જાલિબે પાકિસ્તાનના અત્યંત મજબૂત લશ્કરી શાસકોના દૌરમાં કલમથી ક્રાંતિની ચિનગારી જીવિત રાખી હતી. જાલિબ જે કંઈ લખતા તે સામાન્ય લોકોના હોઠ પર રમવા લાગતું. એટલે જ મૂરીના મુશાયરામાં યાહ્યા ખાનની ટીમે જાલિબને દિલાવર ફિગારની કવિતાઓ પૂરી થઈ જાય એ પછી બોલવાની તક અપાઈ હતી. ફિગાર પાકિસ્તાનના અત્યંત લોકપ્રિય ઉર્દૂ કવિ અને હાસ્યકાર હતા. લશ્કરી અધિકારીઓને એમ હતું કે, ફિગાર કાવ્યપઠન કરીને જબરદસ્ત જમાવટ કરી દેશે એ પછી જાલિબની કવિતાઓમાં કોઈને રસ નહીં પડે. વળી, અયુબ ખાનના શાસનમાં જાલિબ સીધાદોર થઈ જ ગયા છે, એટલે વાંધો નથી. હવે તેઓ ગમે તેવી કવિતાઓ લલકારે તો પણ કશું જોખમ નથી. જોકે, જાલિબે આ બધી ધારણા ખોટી પાડી.

યાહ્યા ખાનની ટીમના આ અનુમાનો પાછળ કેટલાક કારણો જવાબદાર હતા. વાત એમ હતી કે, મૂરીના મુશાયરામાં જાલિબને આશરે દસ વર્ષ પછી કાવ્યપઠનની તક મળી હતી. પાકિસ્તાનમાં યાહ્યા ખાને ફક્ત ત્રણ વર્ષ રાજ કર્યું, પરંતુ એ પહેલાં ૧૯૫૮થી ૧૯૬૯ દરમિયાન જનરલ અયુબ ખાન પાકિસ્તાનમાં જુલમી શાસન કરી ચૂક્યા હતા. અયુબ ખાને દસ વર્ષના શાસનમાં જાલિબને વારંવાર જેલમાં ધકેલીને ખૂબ જ પજવ્યા હતા. આટલું ઓછું હોય તેમ અયુબ ખાને જાલિબ પર દસ વર્ષનો પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો. એટલે યાહ્યા ખાનનું શાસન શરૂ થયું ત્યાં સુધી તો મોટા ભાગના લેખકો-કવિઓ લશ્કરી શાસનની દેખરેખ હેઠળ સર્જન કરવા ટેવાઈ ગયા હતા. એ બધા જ સર્જકો સમજી-વિચારીને લખતા, બોલતા અથવા ચૂપ રહેતા.



જોકે, જાલિબે તો દસ વર્ષના પ્રતિબંધ પછીયે એ જ જૂના અંદાજમાં ક્રાંતિકારી કવિતાઓ લલકારતા હતા. યાહ્યા ખાન પહેલાં જાલિબની આગઝરતી કલમનો સૌથી વધુ લાભ અયુબ ખાનને મળ્યો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલાને એકાદ દાયકા જેટલો સમય થયો હતો ત્યાં ઓક્ટોબર ૧૯૫૮માં અયુબ ખાને પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું. લશ્કરી અધિકારીમાંથી રાજકારણી બનેલા અયુબ ખાને જાહેર કર્યું કે, પાકિસ્તાનની પ્રજા લોકશાહી માટે પરિપક્વ નથી એટલે આપણે કાર્યવાહક પ્રમુખ ચૂંટી લેવા જોઈએ. કહેવાની જરૂર નથી કે, અયુબ ખાન લશ્કરી શાસનને સુંદર કપડાં પહેરાવીને લોકશાહીનું ગળું ઘોંટવાની તૈયારી કરી રહ્યા હતા. અને હા, અયુબ ખાન એટલે પાકિસ્તાનના પહેલા મિલિટરી શાસક, ફાઈવ સ્ટાર રેન્ક આર્મી જનરલ અને ફિલ્ડ માર્શલનું બિરુદ મેળવનારા પાકિસ્તાનના એકમાત્ર લશ્કરી અધિકારી. 

એ પછી અયુબ ખાને નવું લશ્કરી બંધારણ પણ જાહેર કર્યું. આ ઘટનાથી વ્યથિત થઈને જાલિબે 'દસ્તૂર' (બંધારણ) નામની મશહૂર નજમ (કવિતાનો અરબી પ્રકાર) લખી, જે પાકિસ્તાનના રાષ્ટ્રગીત જેટલી જ મશહૂર છે. વાંચો શરૂઆતના શબ્દો.

દીપ જિસકા મહલ્લાત હી મેં જલે,
ચંદ લોગો કિ ખુશિયો કો લેકર ચલે
વો જો સાયેં મેં હર મસલહત કે પલે
એસે દસ્તૂર કો સુબ્હે બેનૂર કો
મૈં નહીં માનતા, મૈ નહીં માનતા...

આ કવિતામાં જાલિબ ફક્ત મહેલોમાં દીવો પ્રગટાવવા આતુર શાસકો સામે બળાપો કાઢે છે. થોડા ઘણાં લોકોનું વિચારીને આગળ વધતા શાસકો સામે જાલિબને રોષ છે. તેઓ કહે છે કે, સ્વાર્થ અને અંગત હિતોના પડછાયામાં સુરક્ષિત છે એવા લોકોએ ઘડેલા બંધારણની અંધારી સવારને (સુબ્હે બેનૂર, નૂર વિનાની) હું નથી માનતો. આ શબ્દો પછીની કડીમાં જાલિબ અયુબ ખાનને સીધો પડકાર ફેંકે છે...

મૈં ભી ખાયફ નહીં તખ્ત એ દાર સે
મૈં ભી મન્સૂર હું કહ દો અગિયાર સે
ક્યૂં ડરાતે હો જિન્દો કિ દીવાર સે
જુલ્મ કિ બાત કો, જેહલ કિ રાત કો
મૈં નહીં માનતા, મૈં નહીં માનતા...



જાલિબ કહે છે કે, હું ફાંસીના ફંદાથી નથી ડરતો. બધા જ દુશ્મનોને કહી દો કે હું પણ વિજયી છું. મને જેલની દીવાલોથી કેમ ડરાવો છો. જુલમો સિતમથી કે અવગણનાઓના અંધકારને હું નથી માનતો... આ કવિતા આજેય પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકશાહીના સમર્થકોનો અવાજ છે. પ્રજાને હિંમત અને દિશા આપવા શબ્દો ખૂટી જાય ત્યારે બૌદ્ધિકો પણ જાલિબની કવિતાઓ વાંચે છે. એક કવિ માટે આ નાનાસૂનો એવોર્ડ છે? 'દસ્તૂર' નજમમાં જાલિબે લીટીએ લીટીએ ચિનગારીઓ ગૂંથી છે. જાલિબ જાહેરમાં આ નજમ ગાતા ત્યારે લોકોના રૂંવાડા ઊભા થઈ જતા. જાલિબનો એ જિંદાદિલ અવાજ યૂ ટ્યૂબ પર સાંભળી શકાય છે.

સાહિત્યના નોબલ પુરસ્કાર માટે ચાર વાર નોમિનેટ થનારા  પાકિસ્તાનના ઉર્દૂ-પંજાબી કવિ ફૈઝ અહેમદ ફૈઝ કહેતા કે, પાકિસ્તાનનો એક જ કવિ છે, જે ખરેખર લોકોનો કવિ છે અને એ છે, હબીબ જાલિબ. 'મૈં નહીં માનતા' કવિતા લોક જીભે ચઢી ગઈ એના બીજા જ વર્ષે, ૧૯૫૯માં, પણ જાલિબે અયુબ ખાનને બરાબરના ઠમઠોર્યા હતા. અયુબ ખાનના રાજમાં પાકિસ્તાન રાઈટર્સ ગિલ્ડ પણ સત્તાની સાથે હતું અને જાલિબ જેવા થોડાઘણાં કવિઓ એકલા પડી ગયા હતા. આ દરમિયાન રાવલપિંડી રેડિયો પર એક મુશાયરો પ્રસારિત થયો. મુશાયરામાં મોટા ભાગના કવિઓએ ઈશ્ક-મહોબ્બતની વાતો કરી, પાકિસ્તાન સરકારના ભરપેટ વખાણ કર્યા અને પ્રજાને ઘેનમાં રાખવામાં સરમુખત્યાર સરકારને મદદ કરી. સાહિત્યકારોની આ નાપાક હરકતથી અયુબ ખાન ચૈનથી સૂઈ શકતા હતા. જોકે, આ મુશાયરામાં એક ભૂલ થઈ હતી. આયોજકોએ જાલિબને પણ બોલાવ્યા હતા.

જાલિબે તો લશ્કરની માર્ગદર્શિકાની ઐસીતૈસી કરીને અયુબ ખાનના હત્યાકાંડ, દહેશતના માહોલ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં નહીં માનતી સરકારના ધજિયા ઊડાવતો શેર રજૂ કર્યો.

કહીં ગેસ કા ધુંઆ હૈ, કહીં ગોલિયો કિ બારિશ
શબ-એ-અહદ-એ-કમનિગાહી તુજે કિસ તરહ સુનાએ

અયુબ ખાન અને યાહ્યા ખાન 

પહેલી લીટીમાં જાલિબ પાકિસ્તાનની સ્થિતિનો ચિતાર આપે છે અને પછી કહે છે કે, રાત્રિના અંધકારમાં કરેલા દૃઢ સંકલ્પો આ વક્રબુદ્ધિ ધરાવનારા લોકોને કેવી રીતે સંભળાવું... સ્વાભાવિક રીતે જ આ શેર પાકિસ્તાનની પ્રજાએ સાંભળી લીધા પછી અયુબ ખાનના લશ્કરના હોશકોશ ઊડી ગયા. રેડિયો સ્ટેશન ડિરેક્ટરને સજા થઈ અને જાલિબને પણ જેલમાં મોકલી દેવાયા. અયુબ ખાન હિંસાચાર છુપાવવા માટે મૂડીવાદના બહુ મોટા સમર્થક તરીકે ઊભરી રહ્યા હતા. આમ છતાં, લશ્કરી શાસનમાં મોંઘવારી કાબૂમાં આવતી ન હતી. પાકિસ્તાનનો આમ આદમી પરેશાન હતો અને પાંચ-પચીસ પરિવારો વધુ ધનવાન થઈ રહ્યા હતા. એટલે જાલિબે દેશના સદ્ર (સર્વોચ્ચ) વડા અયુબ ખાનને સંબોધીને ધારદાર વ્યંગ કર્યો. 

વાંચો એ ધારદાર વ્યંગબાણોની નાનકડી ઝલક... 


બીસ ઘરાને હૈ આબાદ
ઓર કરોડો હૈ નાશાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ
આજ ભી હમ પર જારી હૈ
સદિયોં કે બેદાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ

બીસ રૂપિયા મન આટા 
ઈસ પર ભી હૈ સન્નાટા
ગૌહર, સહગલ આદમજી
બને હૈ બિરલા ઔર ટાટા
મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ
જબ હમ કરતે હૈ ફરિયાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ

કયો સરમુખત્યાર આવા વ્યંગ સહન કરી શકે? જાલિબ ફરી જેલમાં ધકેલાયા. રાજકારણીઓના એક હાંકોટાથી ડરી જતા પત્રકારો, કોલમકારો અને ફિલ્મકારો માટે જાલિબ પ્રેરણાનો ધસમસતો સ્રોત છે. શબ્દોની તાકાત શું હોઈ શકે એ જાલિબે સાબિત કરી બતાવ્યું હતું. કેટલાક લોકો નાનપણમાં પુસ્તકોમાં ભણાવાયેલી નૈતિકતા અને સિદ્ધાંતોને સાચા માની લે છે. કોઈ તેમને ગમે તેટલી 'પ્રેક્ટિકલબનવાની સલાહો આપે, પરંતુ તેમને ફર્ક નથી પડતો. સત્યનિષ્ઠા સામે મોત પણ આવી જાય તો આ પ્રકારના લોકો પીછેહટ નથી કરતા. જાલિબ તેમાંના એક હતા. જોકે, જાલિબે ફરી એકવાર જેલમાંથી બહાર આવીને જુલમની સત્તા સામે કવિતા લખી.

એ પછી શું થયું? વાંચો ૨૩મી ઓગસ્ટના અંકમાં.

નોંધઃ પહેલા વીડિયોમાં ખુદ જાલિબ ‘દસ્તૂર’ નજમ લલકારે છે, જ્યારે બીજા વીડિયોમાં પાકિસ્તાનના જાણીતા લાલ બેન્ડના ગાયક અમર રશીદ ‘દસ્તૂર’ લલકારી રહ્યા છે... આ લેખનો ભાગ-2.

લદાખ : યે દિલ માંગે નો મોર ટુરિસ્ટ્સ


લદાખ સર્ચ કરતા જ ગૂગલ ૦.૮૭ સેકન્ડમાં જ ૧.૩૦ કરોડ રિઝલ્ટ્સ બતાવે છે. આ બધા જ રિઝલ્ટ્સ લદાખ ટુર પેકેજ, બજેટ ટ્રાવેલ, લદાખ કેવી રીતે પહોંચવું, હોટેલ, સાઇટ સીઇંગ, ટ્રેકિંગ, ફોટોગ્રાફીબાઇક રાઇડિંગ, સાયકલિંગ અને ઈકો ટુરિઝમ વગેરેના લગતા છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે શરૂ કરેલા અભિયાનની ટેગ લાઇન છે, અતિથિ દેવો ભવ. પરંતુ જમ્મુ કાશ્મીરના ૮૬,૯૦૪ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા લદાખમાં વધુને વધુ અતિથિ વિનાશ નોંતરી શકે છે. હિમાચલ પ્રદેશમાં કુલુ, મનાલી અને સિમલા જેવા અત્યંત સુંદર સ્થળોએ બેજવાબદાર પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો એ પછી તેના શું હાલ થયા એ આપણે જાણીએ છીએ. હિમાચલના અનેક સુંદર વિસ્તારોમાં જળ, જમીન અને વાયુ પ્રદૂષણે માઝા મૂકી છે. અનેક સ્થળે કચરો અને પ્લાસ્ટિકના ઢગ ખડકાય છે, પરંતુ તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થતો નથી. મનાલીમાંથી વહેતી બિયાસ નદીના કાંઠે ઊભેલો પ્રવાસી ફેફસામાં ઊંડો શ્વાસ ભરી શકતો નથી કારણ કે, નદી કિનારાના વાતાવરણમાં માથું ફાટી જાય એવી દુર્ગંધના હવાઈ કિલ્લા બંધાયેલા છે.

કેન્દ્રિય પ્રવાસન મંત્રાલયે લદાખમાં પ્રવાસીઓ આકર્ષવા ૨૦૧૦માં અભિયાન શરૂ કર્યું હતું. કાગળ પર તો આ અભિયાનને બહુ મોટી સફળતા મળી છે, પણ જરા બીજી આંકડાકીય વિગતો પર પણ નજર કરીએ. લદાખમાં ૧૯૭૪માં વર્ષે માંડ ૫૨૭ પ્રવાસી આવ્યા હતા, જ્યારે સરકારી સ્ટાઈલના અભિયાન પછી ૨૦૧૬માં આ આંકડો બે લાખ, ૩૦ હજારને પાર થઈ ગયો છે. હવે લદાખમાં મોજશોખ કરીને પર્યાવરણનો કચ્ચરઘાણ કાઢતા પ્રવાસીઓ માટે બધી જ સુવિધા ઉપલબ્ધ છે. વર્ષ ૧૯૮૪માં આખા લદાખમાં માંડ ૨૪ હોટેલ હતી અને અત્યારે ૬૭૦ છે. આ ૬૭૦ હોટેલમાંથી આશરે ૬૦ ટકા હોટેલ એકલા લેહમાં જ છે. જેટલી વધારે હોટેલ્સ એટલા વધારે બાથરૂમ અને ટોઈલેટ. લદાખ જમીનથી ૯,૮૦૦ ફૂટની ઊંચાઈએ છે અને ત્યાં પાણીની જબરદસ્ત તંગી છે.




જોકે, પ્રવાસીઓ વધવાથી લદાખના લોકોને રોજગારી પણ મળી છે. આ કારણથી પ્રવાસન વિભાગ ખુશખુશાલ છે. જેમ કે, લેહમાં આશરે ૩૦ હજારની વસતી છે, જેમાંના ૭૫ ટકા લોકોને હોટેલ-ગેસ્ટ હાઉસમાંથી જ રોજીરોટી મળી જાય છે. આ લોકોએ પોતપોતાના મકાનો, જમીનો પર જ 'રૂ' આપવાનો ધંધો શરૂ કરી દીધો છે. આપણી મુશ્કેલી જ આ છે. દેશમાં ચારધામ યાત્રા કરનારા વધ્યા પછી કેદારનાથમાં પણ નદી કિનારાની જમીન પર આડેધડ બાંધકામો કરી દેવાયા હતા. સરકારને પણ આવક હતી તેથી કોઈ વાંધો લેતું ન હતું. એ પછી ઉત્તરાખંડમાં પૂર આવ્યું અને 'દેવભૂમિ'ના કેવા હાલ કર્યા એ આપણે જાણીએ છીએ. આ તાજા ઈતિહાસમાંથી પણ આપણે કોઈ બોધપાઠ લીધો નથી.

લદાખની મુશ્કેલી કેદારનાથથી થોડી અલગ છે પણ મૂળ પ્રશ્ન પ્રવાસનના કારણે પર્યાવરણ પર ભારણ વધી રહ્યું છે, એ જ છે. લદાખમાં પણ વગરવિચાર્યે કરેલા પ્રવાસીઓ આકર્ષવાના અભિયાનના કારણે બેજવાબદાર ધંધાદારીઓ ફૂટી નીકળ્યા છે. લોકોને તો રોજગારી જોઈએ, જે તેમણે આપમેળે મેળવી લીધી. સરકાર યોગ્ય દિશા-માર્ગ ચીંધવામાં નિષ્ફળ ગઈ. હવે શું? હવે જળ, જમીન અને વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. પાણીની જોરદાર અછત છે અને ખેતીના ભાગનું પાણી પણ પ્રવાસનના કારણે છૂ થઈ જાય છે. લદાખની હોટેલોના પાણીની જરૂરિયાત સંતોષવા જમીન નીચેનું પાણી ખેંચવામાં આવે છે, જેથી ભૂગર્ભ જળની સપાટી નીચી જઈ રહી છે. આઘાતજનક વાત એ છે કે, પર્યાવરણીય દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા લદાખ જેવા હિમાલયન વિસ્તારમાં હજુયે બોરવેલ ખોદવાના નીતિનિયમો લાગુ કરાયા નથી.

લદાખના ટૂર ઓપરેટરોએ આ મુશ્કેલીઓનો ઉપાય આપતા રજૂઆત કરી છે કે, જમ્મુ-કાશ્મીર સરકારે બધા જ પ્રવાસીઓ પાસેથી પર્યાવરણ વેરો ઉઘરાવવો જોઈએ! બોલો, છે ને સરકારી ઉપાય. આ ઉપાય અમલમાં મૂકાશે તો ખતરનાક સાબિત થશે કારણ કે, એકવાર સરકારને પર્યાવરણ વેરાની આવક મળશે તો ટૂર ઓપરેટરોના ગોરખધંધાને ઉની આંચ પણ નહીં આવે. તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ. દેશની આર્થિક, નાણાકીય, વિદેશ અને લશ્કરી નીતિની જેમ પ્રવાસન નીતિ પણ અત્યંત સમજણપૂર્વક તૈયાર થયેલી હોવી જોઈએ. આ નીતિમાં પર્યાવરણની સાથે સાંસ્કૃતિક અને સામાજિક પાસાંનો પણ વિચાર થયેલો હોવો જોઈએ.

જમ્મુ કાશ્મીરમાં આવેલું લદાખ આગવી સંસ્કૃતિ ધરાવે છે. આશરે એકાદ હજાર વર્ષથી લદાખ પર બૌદ્ધ પરંપરાનો પ્રભાવ રહ્યો છે. લદાખમાં પ્રાચીન સમયમાં બંધાયેલા બૌદ્ધ મઠ આવેલા છે. એટલે લદાખ સદીઓથી બૌદ્ધ શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યું છે. જોકે, ૧૯૭૦માં લદાખ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું ત્યારથી ત્યાં સ્વની ખોજ માટે આવતા પ્રવાસીઓ કરતા 'વેફર ટુરિસ્ટ્સ'ની સંખ્યા વધી ગઈ. શરૂઆતમાં તો વાંધો ના આવ્યો, પરંતુ છેલ્લાં બે દાયકાથી લદાખના પર્યાવરણની ઘોર ખોદાવાની શરૂ થઈ.

લદાખ ઈકોલોજિકલ ડેવપલમેન્ટ ગ્રૂપના આંકડા પ્રમાણે, એક લદાખી રોજનું સરેરાશ ૨૧ લિટર પાણી વાપરે છે, જ્યારે એક પ્રવાસીને સરેરાશ ૭૫ લિટર પાણી જોઈએ છે. ટૂર ઓપરેટરોનું વલણ તો 'વર મરો, કન્યા મરો પણ મારું તરભાણું ભરો' પ્રકારનો છે. લદાખમાં આશરે બે લાખ, ૭૫ હજારની વસતી છે, જ્યારે અહીં વર્ષે માંડ દસ સેન્ટિમીટર વરસાદ પડે છે. વળી, લદાખનું મોટા ભાગનું વરસાદી પાણી બરફના સ્વરૂપમાં હોય છે. આમ છતાં, અત્યાર સુધી લદાખમાં પાણીની અછત ન હતી કારણ કે, અહીંના લોકો હજારો વર્ષ જૂની પદ્ધતિથી બનાવેલી નહેરોમાંથી પાણી મેળવી લેતા. આ નહેરો નાના-મોટા ગ્લેશિયરો સાથે જોડાયેલી હોય છે, જેનો બરફ પીગળે એટલે દરેક ઘરની પાણીની જરૂરિયાત સંતોષાઈ જાય. લદાખમાં આ નહેરો 'ટોકપો' તરીકે ઓળખાય છે.

કુદરત માણસજાતની જરૂરિયાત સંતોષી શકે છે, પરંતુ લાલચ નહીં. અત્યાર સુધી જે કામ આટલું સરળ હતું તે હવે ઘણું અઘરું થઈ ગયું છે. પ્રવાસીઓ વધ્યા પછી એકલા લેહને જ રોજનું ૩૦ લાખ લિટર પાણી જોઈએ છે. આ પાણી મુખ્યત્વે ત્રણ સ્રોતમાંથી મેળવાય છે. સીધેસીધુ સિંધુ નદીમાંથી, બોરવેલોમાંથી અને નાની નાની નહેરોમાંથી. આ નહેરોમાં નદીઓ કે ગ્લેશિયરોનું જ પાણી હોય છે. હજુ ડિસેમ્બર ૨૦૧૬ સુધી લેહની માંડ ૫૦ ટકા વસતીને સીધું નળ વાટે પાણી મળતું હતું. એ પણ દિવસના ફક્ત બે જ કલાક. હવે પ્રવાસન વધ્યું હોવાથી ૨૪ કલાક નળમાં જ પાણી અપાય એવી માગ થઈ રહી છે. એક સમયે લદાખના ખેડૂતોની જરૂરિયાત ગ્લેશિયરના પાણીથી પૂરી થઈ જતી હતી, પરંતુ હવે તેમને પણ પાણીના ફાંફા છે.

ક્લાઇમેટ ચેન્જના કારણે હિમાલય વિસ્તારોમાં ગ્લેશિયર પીગળવાનો સમય અને વહેણ બદલાઈ ગયા છે. દુર્ગમ સ્થળોએ આવેલા ગ્લેશિયરોનું પાણી ખૂબ જ ઝડપથી સિંધુ ખીણમાં વહી જાય છે. સોનમ વાંગચુક નામના ઈનોવેટર લદાખના પાણીની જરૂરિયાત સંતોષવા આઈસ સ્તૂપના આઈડિયા પર સફળતાપૂર્વક કામ શરૂ કર્યું છે. 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મમાં ફૂનસૂક વાંગડુનું પાત્ર તેમના પરથી જ પ્રેરિત હતું. આઈસ સ્તૂપ કૃત્રિમ ગ્લેશિયર છે. શિયાળામાં બરફ પડે ત્યારે આ પ્રકારના કૃત્રિમ ગ્લેશિયર બનાવી દેવાય અને ઉનાળામાં પાઈપલાઈનની મદદથી તે ગ્લેશિયરનું પાણી જરૂર પડે ત્યાં લઈ જઈ શકાય. આ આઈડિયા માટે ડિસેમ્બર ૨૦૧૬માં સોનમ વાંગચુકને રોલેક્સ એવોર્ડ મળ્યો ત્યારે આ કોલમમાં આઈસ સ્તૂપ વિશે વિગતવાર લખ્યું હતું.

આ પ્રકારના કૃત્રિમ ગ્લેશિયરથી લદાખના અનેક વિસ્તારોમાં પાણીની જરૂરિયાત સંતોષી શકાય એમ છે, પરંતુ અઠવાડિયાના સાતેય દિવસ અને ૨૪ કલાક પાણીનો અવિરત પ્રવાહ આવતો હોય ત્યાં જ કૃત્રિમ ગ્લેશિયર બનાવી શકાય છે. આ તેની મર્યાદા છે. લદાખમાં પ્રવાસન અને પાણીનો પ્રશ્ન બીજી પણ એક દૃષ્ટિએ વિચારવા જેવો છે. ભારતીય સેનાનો આશરે એક લાખ અધિકારીઓ, જવાનોનો સ્ટાફ પણ લદાખમાં ફરજ બજાવી રહ્યો છે. ચીન અને પાકિસ્તાન બંને દેશની રીતે ભારત માટે લદાખ વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વનો વિસ્તાર છે. સરકારે ગમે તેવા વિપરિત સંજોગોમાં પણ ભારતીય સેનાની પાણીની જરૂરિયાત સંતોષવાની છે. કદાચ એટલે જ પર્યાવરણવિદો એક દાયકાથી લદાખના બેફામ પ્રવાસન મુદ્દે સરકારને ચેતવી રહ્યા છે.

પ્રવાસનમાં ફક્ત આંકડાકીય વિગતો પર નજર ના કરવાની હોય. પ્રવાસન પણ સસ્ટેઇનેબલ એટલે કે ટકાઉ હોવું જોઈએ. આગામી પેઢીઓ માટે પણ લદાખ જેવા સ્થળોની સુંદરતા જળવાઈ રહે એ આપણી ફરજ છે. હોટેલના નળમાંથી પાણી ટપકતું ના હોય કે હોટેલ સંચાલકો કચરો-ગટરનું પાણી સીધું નદીઓમાં ના ઠાલવતા હોય એ જવાબદારી સરકારની જેમ પ્રવાસીઓની પણ છે. આ કામમાં સરકારે નેચર ટ્રાવેલર્સની મદદ લેવા યોજના ઘડવી જોઈએ.

અફાટ કુદરતી સૌંદર્ય ધરાવતા લદાખમાં સરકારે પ્રવાસીઓના આંકડા કરતા એડવેન્ચર, નેચર અને ઈકો ટુરિઝમ પર વધુ ભાર મૂકવો જોઈએ. પહાડી વિસ્તારોમાં આવેલા સર્પાકાર રસ્તાના કારણે 'લેન્ડ ઓફ હાઈ પાસીસ' તરીકે ઓળખાતા લદાખમાં તો તેની ઉજ્જવળ તકો પણ રહેલી છે. દેશની સુરક્ષાની દૃષ્ટિએ પણ આ ડહાપણભર્યો નિર્ણય સાબિત થાય એમ છે!