17 December, 2018

ફેસબૂકની દુનિયામાં ડીલિટ ડેટાનો પણ ધીકતો ધંધો


ફેસબૂક, ગૂગલ, ટ્વિટર કે એમેઝોન જેવી શૉપિંગ સાઈટ્સ યુઝર્સના ડેટા ચોરી લે છે એ તો જૂની વાત થઈ ગઈ. હવે બીજી એક મુશ્કેલી શરૂ થઈ છે. ઈન્ટરનેટ જગતની ફેસબૂક જેવી તમામ લોકપ્રિય કંપનીઓ યુઝર્સે ડીલિટ કરી દીધેલા ડેટાનો પણ ધીકતો ધંધો કરે છે. આ પ્રકારના ધંધાના પ્રકાર જ ફક્ત જુદા જુદા હોય છે. કમ્પ્યુટરમાં તમે તમારો ડીલિટ કરેલો ડેટા રિસાઇકલ બિનમાં જાય, અને, તમે ત્યાંથી પણ તેને ડીલિટ કરી દો તેનો અર્થ એ થાય કે એ ડેટા હવે હંમેશા માટે નેસ્તનાબૂદ થઈ ગયો. જોકે, આ વાત કમ્પ્યુટર સિસ્ટમ સુધી જ લાગુ પડે છે. જો તમે ફેસબૂક કે ગૂગલ કે ટ્વિટર જેવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર સક્રિય હોવ તો આ નિયમ લાગુ પડતા નથી.

દુનિયામાં અનેક આઈટી એન્જિનિયર્સ કે હેકરો સાબિત કરી ચૂક્યા છે કે, તમે સોશિયલ મીડિયામાં ફિડ કરેલો ડેટા ડીલિટ કરી દીધો હોય તો પણ એ જ ડેટા 'ગૂગલિંગ' કરતા બીજી વાર પણ દેખાઈ શકે છે. એરિક સ્મિટ્સ ગૂગલના ચેરમેન હતા ત્યારે એકવાર જાહેરમાં એવું બોલ્યા હતા કે, 'ઈન્ટરનેટની દુનિયામાં ડીલિટના બટનનો અભાવ એ ચિંતાનો વિષય છે.' સ્મિટ્સનું નિવેદન જ સાબિત કરે છે કે, યુઝર્સ ડેટા ડીલિટ કરીને ભ્રમમાં રહે છે. થોડું ઘણું ટેકનિકલ જ્ઞાન ધરાવતો કોઈ પણ યુઝર 'પ્રયોગો' કરીને ફેસબૂક જેવી સાઈટ પરથી ડીલિટ કરેલો ડેટા પાછો લાવી શકે છે. 





આપણે સોશિયલ મીડિયામાં કોઈ પણ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવીએ ત્યારે મોટા ભાગે 'પ્રાઈવેસી પોલિસી' વાંચતા નથી. ફેસબૂકની વાંચજો. ફેસબૂકે તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 'અમે ડીલિટ કરેલું કન્ટેન્ટ ચોક્કસ સમય સુધી બેકઅપ કોપી તરીકે સચવાયેલું હોઈ શકે છે...' આ વાક્યમાં ફેસબૂકે 'ચોક્કસ સમય' માટે 'રિઝનેબલ પીરિયડ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આ રિઝનેબલ પીરિયડ એટલે કેટલો સમય? આ વાતનો ફોડ પાડવાનું ફેસબૂકને જરૂરી નથી લાગતું. કેટલી ગંભીર વાત છે! સોશિયલ મીડિયાની સૌથી જાયન્ટ કંપની યુઝર્સનો ડેટા ડીલિટ નથી કરતી અને કહેતી પણ નથી કે, એ ડેટા તેમની પાસે ક્યાં સુધી રહેશે! એ ડેટાનું તેઓ શું કરે છે એ પણ આપણને ક્યારેય જાણવા મળતું નથી. જોકે, ફેસબૂક આપણી પર દયા કરતી હોય એમ લખે છે કે, 'જોકે, તમારો ડીલિટ કરેલો ડેટા બીજા માટે ઉપલબ્ધ નથી...'

ટૂંકમાં, ફેસબૂક આડકતરી રીતે એમ કહે છે કે, તમારો ડેટા બીજા નહીં જોઈ શકે પણ અમે તેનો 'ઉપયોગ' કરી શકીએ છીએ. ફેસબૂકની પ્રાઈવેસી પોલિસી કેટલી વિવાદાસ્પદ છે તેનું બીજું એક ઉદાહરણ જોઈએ. ફેસબૂક લખે છે કે, 'યુઝર્સ ફેસબૂક પરથી તેમનો ડેટા ડીલિટ કરે ત્યારે કેટલીક માહિતી અમારા સર્વર પરથી કાયમ માટે ડીલિટ થઈ જાય છે, પરંતુ કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે જ્યારે તમે તમારું ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો...

બોલો! કેટલીક માહિતી ડીલિટ નથી થતી તેનો અર્થ શું? કેટલીક એટલે કેટલી? ફેસબૂક કઈ માહિતી ડીલિટ નથી કરતું? આ કોઈ સવાલનો જવાબ આપણો પણ ફેસબૂકને જરૂરી નથી લાગતો. આ વાત પરથી એવી શંકા થાય છે કે, ફેસબૂક યુઝર્સની નહીંવત માહિતી જ ડીલિટ થવા દે છે, જ્યારે મોટા ભાગની માહિતીનો તે કાયમ માટે સંગ્રહ કરી લે છે! ફેસબૂક અહીં નથી અટકતી. એ બિન્દાસ કહે છે કે, કેટલીક માહિતી ત્યારે જ ડીલિટ થાય છે, જ્યારે તમે તમારું એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કરો. આ વાત સમજો. ફેસબૂક એકાઉન્ટ કાયમ માટે ડીલિટ કર્યા પછી પણ 'કેટલીક' માહિતી જ ડીલિટ થાય છે. વળી, ફેસબૂક એકાઉન્ટ તાત્કાલિક ડીલિટ થઈ શકતું નથી. તમે ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરો ત્યારે તે થોડા દિવસનો સમય લે છે. આ દરમિયાન યુઝર ફરી લોગ-ઇન કરે તો એકાઉન્ટ ડીલિટ થતું નથી.

પશ્ચિમી દેશોમાં ડેમોક્રેસી, પ્રાઈવેસી અને ફ્રિડમ ઓફ એક્સપ્રેશન જેવા મુદ્દે સોશિયલ મીડિયાને કેન્દ્રમાં રાખીને વિચારવાની ક્યારનીય શરૂઆત થઈ ગઈ છે. ફેસબૂકનો ઉદય થયા પછી પશ્ચિમી મીડિયા સતત એ સવાલ ઉઠાવી રહ્યું છે કે, ફેસબૂક એકાઉન્ટ ડીલિટ કરવાની પ્રક્રિયા આટલી ધીમી કેમ? જોકે, ફેસબૂક પર તેની કોઈ અસર નથી. ફેસબૂક અને બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું ડેટા ચોરી કૌભાંડ બહાર આવ્યા પછી માર્ક ઝકરબર્ગ પર તવાઈ આવશે એવું લાગ્યું હતું, પરંતુ એવું કશું થયું નથી. ફેસબૂક જેવા પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી ઘૂસણખોરી કરીને યુઝર્સનો ડેટા ચોરે ત્યારે આ મુદ્દો વધારે જટિલ થઈ જાય છે. જેમ કે, ફેસબૂક અને બ્રિટીશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનું કૌભાંડ. આ કંપનીએ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેસબૂક પર આવી અનેક થર્ડ પાર્ટી ડેટાની લાલચમાં વિચરતી હોય છે. 

કેમ્બ્રિજ એનાલિટિકા ફેસબૂક પર ઓનલાઈન સર્વે અને એપ સર્વિસ આપીને શું કરતી હતી એ વાત ફેસબૂક જાણતી જ ના હોય એવું હોઈ શકે? માર્ક ઝકરબર્ગ સામે તવાઈ આવી એટલે તેમણે ફેસબૂક પરથી કેમ્બ્રિજ એનાલિટિકાનું એકાઉન્ટ ડીલિટ કરવાનો આદેશ આપી દીધો અને એક સત્તાવાર નિવેદન ફટકારી દીધું કે, ફેસબૂકની ડિજિટલ ફોરેન્સિક ટીમ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીની એક્ટિવિટીનું ઓડિટ કરશે. બસ, રાત ગઈ, બાત ગઈ. એ પછી આ કેસમાં શું થયું એ વિશે શંકાસ્પદ રીતે કશું બહાર આવ્યું જ નહીં. 

આપણું ઓનલાઈન બિહેવિટર ગૂગલ કે ફેસબૂક પૂરતું મર્યાદિત નથી. આ બે પ્લેટફોર્મ સિવાય પણ આપણી ઓનલાઈન હાજરી હોય છે. આપણા મોબાઈલ નંબરો, બેંકોના ડેબિટ-ક્રેડિટ કાર્ડ, આધાર અને લાયસન્સ જેવા અનેક પુરાવાની મદદથી થર્ડ પાર્ટી ડેવલપર્સ કે એડવર્ટાઈઝર્સ સતત આપણો ડેટા ભેગો કરે છે. આ ડેટાનો તેઓ પોતે ઉપયોગ કરે છે અથવા વેચે છે. યાહૂ અને ટમ્બલર જેવી કંપનીઓ યુઝર્સનો ડેટા ડીલિટ કરવાની ખાતરી આપીને પોતાનું માર્કેટિંગ કરે છે, અને, આવી ખાતરી આપ્યા પછી પણ  તેઓ કહે છે કે, તમે ડીલિટ કરેલી માહિતીનો બીજા દ્વારા ઉપયોગ થતો હોઈ શકે છે. 

કોઈ પણ આઈટી કંપની થર્ડ પાર્ટી તમારા ડેટાનો ઉપયોગ નહીં કરે એવી ગેરંટી આપી શકતી નથી. પશ્ચિમી દેશો પણ આ દુષણને કાબૂમાં રાખી શકતા નથી કારણ કે, આ ૨૧મી સદીમાં અસ્તિત્વમાં આવેલા નવા પ્રકારના અનૈતિક કામ છે અને તેને રોકવાના કાયદા જ નથી. આ કંપનીઓ સાબિત કરી દે છે કે, ડેટા એનાલિસિસ કરવું એ અમારો હક છે અને કાયદો એ સાબિત નથી કરી શકતો કે, ડેટા એનાલિસિસ એ કાયદા વિરોધી છે. તમને જાણીને નવાઈ લાગશે. ઈન્ટરનેટની દુનિયામાંથી તમારો ડેટા ડીલિટ કરવાની સર્વિસ આપતી કંપનીઓ પણ છે. આ કંપનીઓનું કહેવું છે કે, અમારા ગ્રાહકો અમને ડેટા ડીલિટ કરવાના પૈસા નથી ચૂકવતા, પરંતુ ડેટા હંમેશા માટે ડીલિટ થઈ ગયો છે એવી ખાતરી આપવાના પૈસા ચૂકવે છે. 

આ પ્રકારના સર્વિસ પ્રોવાઈડર ફેસબૂક જેવી કંપનીઓની પ્રાઈવેસી પોલિસીને અદાલતોમાં પડકારીને ડેટા ડીલિટ કરાવી આપે છે. ભારત જેવા દેશોમાં લોકો પ્રાઈવેસીને લઈને ગંભીર નથી, પરંતુ અમેરિકા અને યુરોપિયન દેશોમાં એવું નથી. આ દેશોના નાગરિકો તો 'રાઈટ ટુ બી ફોરગોટન'ને લઈને પણ અતિ સંવેદનશીલ છે. રાઈટ ટુ બી ફોરગોટન એટલે ભૂલવાનો અધિકાર. હા, ગૂગલ અને ફેસબૂક જેવી વેબસાઈટો તમને તમારો ખરાબ ભૂતકાળ યાદ કરાવ્યા કરે તો તમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો. 

મારિયો કોસ્ટેજા ગોન્ઝાલેસ નામના એક સ્પેનિશે ૨૦૦૯માં ગૂગલ પર કેસ કર્યા પછી રાઈટ ટુ બી ફોરગોટનની બોલબાલા વધી ગઈ હતી. એકવાર મારિયો ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જાણવા મળ્યું કે, સોળ વર્ષ પહેલાં તે આર્થિક તંગી અનુભવતો હતો ત્યારે તેણે તેનું ઘર વેચી દીધું હતું. એ પછી તો મારિયોએ સારી એવી કમાણી કરી પણ ગૂગલમાંથી હજુ એ માહિતી ભૂંસાઈ ન હતી. એટલે તેણે સ્પેનના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કર્યો. યુરોપિયન ડેટા પ્રોટેક્શનની કલમ ૧૭ પણ તમામ વ્યક્તિને રાઈટ ટુ બી ફોરગોટન આપે છે. આ કેસનો ચુકાદો આપતી વખતે યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, લોકોનો ડેટા કંટ્રોલ કરતી ગૂગલ જેવી કંપનીઓ કોઈ વ્યક્તિની વિનંતી પછી ડેટા ડીલિટ નહીં કરે તો તેમને આકરો દંડ ફટકારવામાં આવશે.

પ્રાઈવેસી મુદ્દે અત્યંત સંવેદનશીલ અમેરિકા અને યુરોપિયન દેશોએ આ ચુકાદાને વધાવી લીધો હતો. જોકે, ફ્રી સ્પિચ અને ફ્રી ઈન્ફોર્મેશનના કટ્ટર સમર્થકોએ યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, જે માહિતી અખબારોમાં આવી ગઈ તેને ગૂગલ પરથી દૂર કરવાનો શું અર્થ? આ દલીલને ફગાવી દેતા યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસે કહ્યું હતું કે, આ પ્રકારની માહિતી અખબારોમાં ભલે આવી, એ માહિતી સહેલાઈથી મળતી નથી, પરંતુ ગૂગલ જેવા સર્ચ એન્જિન કોઈની જૂની અપ્રસ્તુત માહિતીને શોધવાનું કામ વધારે સરળ બનાવે છે. એટલે યુઝરની વિનંતી પછી તે દૂર કરવી જ જોઈએ. 

પશ્ચિમી દેશો આઈટી કંપનીઓને સાણસામાં લેવા એકબીજાના કાયદાનો અભ્યાસ કરીને નવા કાયદા ઘડવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં પણ ફેસબૂકના ૫૦ કરોડથી વધારે યુઝર્સ છે. અહીં પણ ફેસબૂક જેવા માધ્યમોની મદદથી લોકશાહી સાથે ખિલવાડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિદેશી કંપનીઓ ભારતીયોના ડેટા વેચી રહી છે, ચોરી રહી છે અને તેનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ આપણને કેમ ચિંતા નથી?

08 December, 2018

હીરાલાલ સેન: ભારતીય સિનેમાના અસલી હીરો


ભારતની પહેલી ફિલ્મ કઈ હતી અને એ કોણે બનાવી હતી? જનરલ નોલેજ તરીકે પૂછાતા આ પ્રશ્નોના જવાબ આપણને નાનપણથી ગોખાઈ ગયા છે કે, ભારતની પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' હતી, જે ધુંડીરાજ ગોવિંદ ફાળકેએ બનાવી હતી. ભારતીય સિનેમાના જનક ગણાતા એ ફિલ્મમેકરને આજે આપણે દાદાસાહેબ ફાળકે તરીકે ઓળખીએ છીએ. ફાળકે સાહેબે ત્રીજી મે, ૧૯૧૩ના રોજ દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં આવેલા વિખ્યાત કોરોનેશન એન્ડ વેરાયટી હૉલમાં ચાળીસ મિનિટ લાંબી એ મૂંગી ફિલ્મ રજૂ કરી હતી. આજના ધારાધોરણો પ્રમાણે 'રાજા હરિશ્ચંદ્ર' શોર્ટ ફિલ્મ ગણાય, પરંતુ ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને ભારતની પહેલી ફૂલ લેન્થ ફિચર ફિલ્મનું બહુમાન મળ્યું છે. આ તો જાણીતી વાત થઈ પણ તમને જાણીને નવાઈ લાગશે કે, ફાળકે સાહેબે પહેલી ફિલ્મ રજૂ કર્યાના વર્ષો પહેલાં એક બંગાળી યુવકે ૧૮૯૭થી ૧૯૧૩ વચ્ચે એક-બે નહીં પણ કુલ ૩૦ ફિલ્મ બનાવી હતી.

***

એ ફિલ્મ મેકર એટલે હીરાલાલ સેન.

ભારતીય અને વિદેશી ફિલ્મ ઈતિહાસકારો પણ સ્વીકારે છે કે, ભારતના પહેલાં ફિલ્મ મેકર તરીકેનું બહુમાન હીરાલાલ સેનને જ મળવું જોઈએ. જોકે, હીરાલાલે જે કંઈ સર્જન કર્યું તેને ફિલ્મોના ખાનામાં મૂકી શકાય કે નહીં એ ચર્ચાનો વિષય છે કારણ કે, તેમની મોટા ભાગની ફિલ્મો માંડ અમુક સેકન્ડો કે મિનિટની હતી. ઐતિહાસિક નોંધોમાં માહિતી મળે છે કે, દાદાસાહેબ ફાળકેની ફિલ્મ રિલીઝ થયાના વર્ષો પહેલાં, ૧૯૦૩માં, હીરાલાલ સેને 'અલીબાબા એન્ડ ફોર્ટી થિવ્સ' નામની બે કલાક લાંબી ફૂલ લેન્થ ફિચર ફિલ્મ બનાવી હતી. એમ તો દાદાસાહેબ ફાળકેએ ભારતમાં પહેલી ફિલ્મ રિલીઝ કરી તેના ૧૭ વર્ષ પહેલાં, સાતમી જુલાઈ ૧૮૯૬ના રોજ, બોમ્બેની વૉટ્સન હોટેલમાં ઓગસ્ટ અને લુઈ લુમિયરે રજૂ કરેલી કુલ છ ફિલ્મ માંડ એક-એક મિનિટની જ હતી. આમ છતાં, ભારતમાં રજૂ કરાયેલી પહેલી ફિલ્મોની વાત આવે ત્યારે ફ્રાંસના લુમિયર બંધુઓને જ યાદ કરાય છે ને?

લુમિયર બંધુઓ, હીરાલાલ સેન યુવાનીમાં અને નીચેની તસવીરમાં (ડાબેથી પહેલા) ટેન્ટમાં બેસીને ફિલ્મ જોતા વૃદ્ધ હીરાલાલ સેન


લુમિયર બંધુઓ પાસે તો ફિલ્મ દર્શાવવા ટેક્નોલોજિકલ સપોર્ટ હતો અને બજેટનો પણ કોઈ પ્રશ્ન ન હતો, જ્યારે હીરાલાલ સેને ૧૮૯૭માં ટાંચા સાધનો અને મર્યાદિત બજેટમાં પહેલી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે, લુમિયર બંધુઓએ ભારતમાં પહેલી ફિલ્મ રજૂ કરી તેના એક જ વર્ષ પછી હીરાલાલે ફિલ્મ બનાવવાના ક્રાંતિકારી પ્રયોગ કર્યા હતા. આ સિવાય પણ તેમના નામે અનેક સિદ્ધિઓ બોલે છે. ક્યારેક તો હીરાલાલે ફક્ત ડોક્યુમેન્ટરી બનાવવાના હેતુથી ઐતિહાસિક ઘટનાઓના શોટ્સ લીધા હતા. ૧૯૦૧માં તેમણે બંગાળના વિખ્યાત ક્લાસિક થિયેટરના અનેક નાટકોના મહત્ત્વના દૃશ્યોનું  શૂટિંગ કરી લીધું હતું. ૧૯૦૩માં ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાનો દિલ્હીમાં ભવ્ય રાજ્યાભિષેક થયો, એ ઘટનાના પણ હીરાલાલે 'કોરોનેશન સેરેમની એન્ડ દરબાર' નામની ડોક્યુમેન્ટરી માટે શોટ્સ લીધા હતા.

૧૯૦૪માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કરવાનો નિર્ણય કર્યો તેના વિરોધમાં હજારો લોકોએ રેલી કાઢી હતી. અંગ્રેજોના આ નિર્ણય સામે બંગાળીઓનો ગુસ્સો દર્શાવવા હીરાલાલે બહુમાળી ઈમારત પર કેમેરા ગોઠવીને જંગી રેલીના દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું. આ દરમિયાન બંગાળના ક્રાંતિકારી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ રેલીને સંબોધન કર્યું હતું. એ પ્રસંગની પણ હીરાલાલે વીડિયોગ્રાફી કરી હતી. આ નાનકડી ફિલ્મને ઈતિહાસકારો ભારતની પહેલી રાજકીય ડોક્યુમેન્ટરી ગણે છે. ૧૯૦૬માં બાળ ગંગાધર ટિળકે જાહેરમાં ગંગાસ્નાન કર્યું, એ દૃશ્યોનું શૂટિંગ કરીને પણ હીરાલાલે 'તિલક બાથિંગ એટ ધ ગંજીસ' નામે ડોક્યુમેન્ટરી બનાવી હતી. ૧૯૧૩માં તેમણે કુંભ મેળાના દૃશ્યોનું શૂટિંગ કરીને 'હિંદુ બાથિંગ ફેસ્ટિવલ એટ અલ્લાહાબાદ' નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી.

***

હીરાલાલ સેન જમાનાથી કેટલા આગળ હતા એની વધુ એક સાબિતી તેમણે જાહેરખબર ક્ષેત્રે કરેલા પ્રયોગો પરથી મળે છે. તમે જબકુસુમ હેર ઓઈલનું નામ સાંભળ્યુ હશે! હીરાલાલે ૧૯૦૫માં આ હેર ઓઈલની એડવર્ટાઈઝ બનાવવા હુગલી નદીના કિનારે એક ભવ્ય બંગલૉમાં સેટ ડિઝાઈન કરાવ્યો હતો. એ જમાનામાં કોઈ પ્રોડક્ટની જાહેરખબર માટે ડિરેક્ટર સેટ ડિઝાઈન કરાવે એ પ્રયોગ જ નવતર હતો. એ જ વર્ષે તેમણે એડવર્ડ્'સ એન્ટિ મેલેરિયા ડ્રગની જાહેરખબર પણ બનાવી હતી. આટલા વર્ષો પહેલાં તેમણે દવા વેચવા અઠંગ એડગુરુ જેવી કમાલ કરી બતાવી હતી. આમ, દેશની પહેલી ફિલ્મ અને રાજકીય ડોક્યુમેન્ટરી જ નહીં, પહેલી એડવર્ટાઈઝમેન્ટ બનાવવાનો શ્રેય પણ હીરાલાલને જ જાય છે.

હીરાલાલ સેને ઉપયોગમાં લીધેલા કેમેરા, જે ફિલ્મ ઈતિહાસકાર અંજન બોઝના પરદાદા  અને
વિખ્યાત ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની અરોરા ફિલ્મ્સના સ્થાપક  અનાદિનાથ બોઝે ખરીદી લીધા હતા. 


ભારતીય સિનેમાના ઈતિહાસમાં હીરાલાલ સેનનું પ્રકરણ સુવર્ણ અક્ષરોમાં લખાવું જોઈએ, પરંતુ આજે સિનેમાના વિદ્યાર્થીઓ અને ઈતિહાસકારો સિવાય ભાગ્યે જ કોઈને તેમના વિશે પૂરતી જાણકારી છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૨૦૧૨થી તંબૂઓ ઊભા કરીને મૂંગી ફિલ્મો દર્શાવાય છે. ફિલ્મ રસિયા વીસમી સદીના માહોલનો અનુભવ કરી શકે માટે આ રીતે ફિલ્મો રજૂ કરાય છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલે આ પ્લેટફોર્મને 'હીરાલાલ સેન મંચ' નામ આપ્યું છે. આ મહાન ફિલ્મ સર્જકને મળેલી સૌથી મોટી ઓળખ એટલે આ મંચ. આ સિવાય તેમના નામે કોઈ નાનો-મોટો એવોર્ડ કે પ્રમાણપત્ર સુદ્ધાં અપાતું નથી. આ વર્ષે દસમીથી ૧૭મી નવેમ્બર દરમિયાન યોજાયેલા ૨૪મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હીરાલાલ સેનની બાયોપિક 'હીરાલાલ' પણ પ્રદર્શિત થઈ. અરુણ રોયે બનાવેલી આ ફિલ્મ  બંગાળીમાં છે, પરંતુ આ ફિલ્મના કારણે હીરાલાલ સેને ભારતીય સિનેમાને કરેલું પ્રદાન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે.

***

હીરાલાલનો સિનેમા સાથેનો નાતો ખૂબ રસપ્રદ રીતે શરૂ થયો હતો. હીરાલાલનો જન્મ બીજી ઓગસ્ટ, ૧૮૬૬ના રોજ બંગાળના માણિકગંજ (હાલ બાંગ્લાદેશમાં) જિલ્લાના બાગજુરી ગામના જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના જમીનદાર પિતા ચંદ્રમોહન સેન સફળ એડવોકેટ હતા. હીરાલાલને નાનપણથી જ પેઈન્ટિંગ અને સ્ટિલ ફોટોગ્રાફીમાં ભારે રસ હતો. જોકે, ફક્ત શ્રીમંતો અને અંગ્રેજો જ આવા મોંઘેરા શોખ રાખી શકતા હતા, અને, હીરાલાલ એ નસીબદારો પૈકીના એક હતા. ઈસ. ૧૮૮૭માં હીરાલાલે ભારતની સૌથી મોટી બુર્ન એન્ડ શેફર્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ મેડલ જીત્યો હતો. એ વખતે સ્ટિલ ફોટોગ્રાફીના સાધનોના સૌથી મોટા ડીલર તરીકે બુર્ન એન્ડ શેફર્ડ નામના ધરાવતી કંપની હતી.

કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી હીરાલાલ સ્ટિલ ફોટોગ્રાફીની સ્પર્ધાઓમાં કૌવત બતાવી ચૂક્યા હતા. આ દરમિયાન પ્રો. સ્ટિવન્સન નામના એક અંગ્રેજે કોલકાતાના સ્ટાર થિયેટરમાં 'ધ ફ્લાવર ઓફ પર્શિયા' નામની ફિલ્મનો શૉ યોજ્યો. એ શૉમાં હીરાલાલે પહેલીવાર ફિલ્મ જોઈ, અને, ફક્ત સ્ટિલ ફોટોગ્રાફી જાણતા હીરાલાલ 'મોશન પિક્ચર્સ' જોઈને જ ચોંકી ગયા. એ પછી તેમણે પણ અંગ્રેજી જર્નલોનો અભ્યાસ શરૂ કરીને પોતાનું 'ચલચિત્ર' બનાવવાનો પડકાર ઝીલી લીધો. એકસમાન શોખ ધરાવતા પ્રો. સ્ટિવન્સન અને હીરાલાલની દોસ્તી પણ જામી ગઈ. હીરાલાલે પ્રો. સ્ટિવન્સનના કેમેરા પર હાથ અજમાવવાનું શરૂ કર્યું અને તેમની ફિલ્મ 'ધ ફ્લાવર ઓફ પર્શિયા'માંથી થોડા દૃશ્યો લેવાની મંજૂરી પણ મેળવી લીધી.

કોલકાતાનું ઐતિહાસિક સ્ટાર થિયેટર, જ્યાં પ્રો. સ્ટિવન્સને યોજેયા શૉમાં
હીરાલાલ સેને પહેલીવાર ‘મોશન પિક્ચર’ જોયું હતું 


એ વર્ષ હતું, ૧૮૯૮. એ વર્ષે હીરાલાલે પ્રો. સ્ટિવન્સનની ફિલ્મમાંથી થોડા દૃશ્યો લઈને પોતાની પહેલી ફિલ્મ રજૂ કરી, 'ડાન્સિંગ સીન્સ ફ્રોમ ધ ફ્લાવર ઓફ પર્શિયા'. આઈએમડીબીએ પણ હીરાલાલની પહેલી ફિલ્મ તરીકે આ જ ફિલ્મની નોંધ કરી છે. એ પછી હીરાલાલે લંડનની વૉરવિક ટ્રેડિંગ કંપનીમાંથી સિનેમેટોગ્રાફ મશીન મંગાવ્યું. એ મશીન ખરીદવા હીરાલાલના પિતાએ એ જમાનામાં પુત્રને રૂ. પાંચ હજાર આપ્યા હતા. બંગાળમાં કળા અને સાહિત્ય ક્ષેત્રે આવેલી ક્રાંતિથી પ્રભાવિત એવા ચંદ્રમોહન સેનને પોતાનો પુત્ર સિનેમાની કળામાં રસ લે એમાં વાંધો ન હતો. ત્યાર પછી હીરાલાલે તેમના ભાઈ મોતીલાલ સેન સાથે રોયલ બાયોસ્કોપ કંપની શરૂ કરી. એ વળી ભારતની પહેલી ફિલ્મ કંપની ગણાય છે. આ કંપનીના બેનર હેઠળ તેઓ અમુક સેકન્ડની ફિલ્મો બનાવતા તેમજ યુરોપથી ફિલ્મો આયાત કરીને શ્રીમંતોની પાર્ટીઓ-લગ્નોમાં શૉ કરીને કમાણી કરતા.

***

એ જમાનામાં બંગાળના ફક્ત બે જ વિસ્તારમાં વીજળી પહોંચતી, હાવરા બ્રિજ અને મૈદાન. આ વિસ્તારોમાં પણ સતત વીજળી મળતી નહીં, એટલે હીરાલાલ ચુના અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરીને ફિલ્મના પડદામાં ઉજાસ લાવતા. આ કામમાં તેમને કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ફાધર ઈ. જે. લેફોન્ટે મદદ કરી હતી. ફાધર લેફોન્ટ વિદ્યાર્થીઓના ક્લાસ લેતી વખતે ફોનોગ્રાફ અને ચુના પર પ્રક્રિયા કરીને જલાવેલા ફાનસનો ઉપયોગ કરતા. જે જમાનામાં અમુક સેકન્ડોની ફિલ્મ રિલીઝ કરવી મોટી સિદ્ધિ ગણાતી, એ સમયે હીરાલાલે સિનેમા ક્ષેત્રે ઈનોવેશન કર્યા હતા. હીરાલાલ ખરા અર્થમાં સર્જક હતા. તેમણે એકાદ-બે ફિલ્મો બનાવીને સંતોષ માનવાના બદલે રંગભૂમિ અને રાજકીય ઘટનાઓનું શૂટિંગ કરી લીધું હતું એ વાત જ કેટલી રોમાંચક છે! હીરાલાલે એક જગ્યાએ કેમેરા ફિક્સ કરીને શૂટિંગ કરવાના બદલે ક્લોઝ અપ, પેનિંગ અને ટિલ્ટ જેવી ટેક્નિક્સથી શૂટિંગ કર્યું હતું.

હીરાલાલ સેનની બાયોપિક બનાવનારા (ક્લોકવાઈઝ) અરુણ રોય, મુખ્ય ભૂમિકામાં બંગાળી અભિનેતા કિંજલ નંદા
અને ગુજરાતી પારસી ફિલ્મ ઉદ્યોગસાહસિક જમશેદજી ફરામજી માદનની ભૂમિકામાં શાશ્વત ચેટરજી 

જોકે, હીરાલાલ નાની ઉંમરમાં જ ગળાના કેન્સરનો ભોગ બન્યા હતા. એ પછી ૧૯૧૩માં રોયલ બાયોસ્કોપ કંપનીએ નાદારી નોંધાવી, અને, હીરાલાલે કેમેરા સહિતના બધા જ સાધનો વેચી દીધા. ત્યાર પછી ૨૪મી ઓક્ટોબર, ૧૯૧૭ના રોજ હીરાલાલને સમાચાર મળ્યા કે, પશ્ચિમ બંગાળના ચિતપુરમાં આવેલા તેમના ભાઈના ગોડાઉનમાં આગ ફાટી નીકળી છે. એ ગોડાઉનમાં હીરાલાલે બનાવેલી બધી જ ફિલ્મોની પ્રિન્ટ બળીને ખાક થઈ ગઈ હતી. કદાચ આ જ કારણસર તેઓ ઈતિહાસમાં ગૂમનામ થઈ ગયા. આ ઘટનાના થોડા સમય પછી તેમનું પણ મૃત્યુ થઈ ગયું.

આશા રાખીએ કે, હીરાલાલની બાયોપિક હિન્દી સહિતની બીજી ભાષાઓમાં પણ રિલીઝ થાય અને આ મહાન ફિલ્મ સર્જકે ભારતીય સિનેમા માટે કરેલા પ્રદાનની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે!

નોંધઃ 

- હીરાલાલની ફિલ્મો બળી ગઈ એ માટે અરુણ રોયે ‘હીરાલાલ’માં જમશેદજી ફરામજી માદન જવાબદાર  હોવાનો સંકેત આપ્યો છે. આ વિશેના કોઈ સત્તાવાર પુરાવા નથી, પરંતુ ઐતિહાસિક તવારીખના આધારે  ફક્ત શંકાના આધારે તેમણે ફિલ્મમાં જમશેદજીને વિલન બતાવ્યા છે. 

- પશ્ચિમ બંગાળની વિખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બાગાને ૧૯૧૧માં પહેલીવાર અંગ્રેજોની ઈસ્ટ યોર્કશાયર ફૂટબોલ ટીમને હરાવી હતી. એ મેચથી ફૂટબોલની રમતમાં અંગ્રેજોની જીતની અતૂટ પરંપરા તૂટી હતી. આ ઘટનાને કેન્દ્રમાં રાખીને પણ અરુણ રોયે ‘ઈગારો’ (એટલે અગિયાર) નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ યૂ-ટ્યૂબ પર જોઈ શકાય છે. 

07 December, 2018

દુનિયાના પાંચ ટકા સુપર રિચ માટે અનોખા ક્રેડિટ કાર્ડ


દુનિયાભરની વસતીની સરખામણીમાં સુપર રિચ પરિવારો કેટલા હશેમાંડ પાંચેક ટકા. આ પરિવારના સભ્યો બાઈક કે કાર છોડાવતા હોય એમ સુપર યોટ કે જેટ પ્લેનની ખરીદી કરતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કેઆ પ્રકારના અતિ ધનવાન લોકો જંગી બિલની ચૂકવણી હંમેશા ચેકથી નથી કરતાપરંતુ ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરે છે. 




નાઆપણા જેવા ક્રેડિટ કાર્ડ નહીં. આ પ્રકારના ક્રેડિટ કાર્ડને અલ્ટ્રા પ્રીમિયમ કાર્ડ કહેવાય છે. મોટા માણસના ખર્ચા પણ મોટા હોય. એટલે પૈસાની તંગી તેમને પણ પડે. આ મુશ્કેલીને એન્કેશ કરવા બેંકો હાજર જ છે. આંતરરાષ્ટ્રીય બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ અતિ ધનવાન લોકોને પર્સનલાઈઝ્ડ સેવા આપવા માટે આંગળીના વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં આવા હાઈ એન્ડ ક્રેડિટ કાર્ડ ડિઝાઈન કરે છેજે ફક્ત 'બાય ઈન્વાઇટ ઓન્લીજ ઉપલબ્ધ હોય છે. એટલે કેબેંક તમારી ક્રેડિટ જોઈને તમને સામેથી ક્રેડિટ કાર્ડ ખરીદવા કૉલ કરે તો જ તમે તેના ગ્રાહક બની શકોસામેથી એપ્લાય કરીને આવા કાર્ડ મળતા નથી. 

કોણ-કોને આપે છે આવા ક્રેડિટ કાર્ડ

દુનિયાભરમાં આવા ક્રેડિટ કાર્ડ પણ આંગળીના વેઢે ગણી શકાય એટલી સંખ્યામાં છે. જેમ કેજેપી મોર્ગન ચેઝ પેલેડિયમ કાર્ડદુબઈ ફર્સ્ટ રોયલ માસ્ટર કાર્ડકુટ્સ વર્લ્ડ સિલ્ક કાર્ડસ્ટ્રેટસ રિવોર્ડ્સ વિઝા કાર્ડ અને અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન કાર્ડ. આ પ્રકારના કાર્ડ ડિઝાઈન કરતી સૌથી જાણીતી કંપની છેઅમેરિકન એક્સપ્રેસ. અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન કાર્ડ તેના રંગ પરથી 'બ્લેક કાર્ડતરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના ક્રેડિટ કાર્ડ પર 'સુપર શોપિંગકરી શકાય એ માટે 'લક્ઝરી સ્ટેમ્પહોય છે. અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન ક્રેડિટ કાર્ડની હરીફાઈમાં સિટી બેંકે થોડા વર્ષ પહેલાં અલ્ટિમા ઈન્ફિનિટ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું. એ ક્રેડિટ કાર્ડમાં પણ બિલિયોનેર ગ્રાહકોને એક એકથી ચડિયાતી એક્ઝિક્યુટિવ ઓફર્સ કરાઈ હતી. જોકેએ કાર્ડ પણ ઈન્વાઈટ ઓન્લી છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ સામેથી આ કાર્ડ માટે એપ્લાય કરી શકતી નથી. 

આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ભારતમાં પણ કેટલાક સુપર રિચ પરિવારો અને સેલિબ્રિટીઝને સામેથી આમંત્રિત કરીને આવા કાર્ડની સુવિધા આપે છેજેમાં ઓબરોયમુંજાલગોદરેજ અને બચ્ચન પરિવારનો પણ સમાવેશ થાય છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ બીજા પણ કેટલાક કોર્પોરેટ પરિવારોને આવી સેવા આપી રહી છેપરંતુ તેમના નામ જાહેર કરાતા નથી.  આ પ્રકારના કાર્ડના ગ્રાહક બનવા ફોર્મ ભરતી વખતે જ સાત-આઠ હજાર ડૉલરનો 'ટોકન ચાર્જવસૂલાય છે. ત્યાર પછી દર વર્ષે ત્રણેક હજાર ડૉલર સુધીની રકમ ભરીને આ સેવા લઈ શકાય છે. 

ધનિકોને પણ લાલચ થાય એવી ઓફર્સ

એકવાર અમેરિકાના ટેક મિલિયોનેર વિક્ટર શ્વેસ્કીએ અમેરિકન એક્સપ્રેસના સેન્ચુરિયન ક્રેડિટ કાર્ડની મદદથી ૫૨ (બાવન) મિલિયન ડોલરની કિંમતનું પ્રાઈવેટ જેટ ખરીદ્યું હતું. ક્રેડિટ કાર્ડની મદદથી કરાયેલી એ અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી છે. અમેરિકામાં તો એક અમેરિકન સેન્ચુરિયન કાર્ડ હોલ્ડરે ક્રેડિટ કાર્ડની મદદથી ત્રણ લાખ ડોલરની બેન્ટલી કાર ખરીદી હતી. આ કાર્ડને એક જ વાર સ્વાઈપ કરીને એકાદ મિલિયનનો ખર્ચ કરી શકાય છે. તમને પ્રશ્ન થશે કેએક જ સ્વાઈપમાં આટલો જંગી ખર્ચ કરી નાંખ્યા પછી ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ખલાસ ના થઈ જાયએનો જવાબ છે ના. કારણ કેઅલ્ટ્રા પ્રીમિયમ કાર્ડ પર કેટલી રકમ ખર્ચ કરવાની કોઈ મર્યાદા જ નથી હોતી! જોકેઆ ખર્ચ કર્યા પછી તમામ રકમ દર મહિને નિશ્ચિત તારીખ પહેલાં ચૂકવી દેવી પડે છે. 

ક્રેડિટ કાર્ડ કંપનીઓ અલ્ટ્રા પ્રીમિયમ કાર્ડની મદદથી કોર્પોરેટ હસ્તીઓસેલિબ્રિટીઝ અને રાજવી પરિવારના સભ્યોને જાતભાતની આકર્ષક ઑફર્સ કરતા હોય છે. જેમ કેકોઈ ફરકતું ના હોય એવા અજાણ્યા સ્થળોએ ટ્રાવેલિંગ તેમજ એ સ્થળોએ આવેલી હોટેલ્સ કે રિસોર્ટમાં ડિસ્કાઉન્ટ જેવી લાલચ આપે છે. આ વાત સાબિત કરે છે કેજંગી ખર્ચ કરી શકતા અતિ ધનવાનોને પણ 'ડિસ્કાઉન્ટ'ની લાલચ હોય છે. જોકેઆ ક્રેડિટ કાર્ડ કંપનીઓ જે કંઈ ઓફર કરે છે તે બધું જ 'દુર્લભહોય છે. આવું કાર્ડ ધરાવતા લોકોને કંપનીઓ ન્યૂ યોર્ક કે પેરિસમાં આયોજિત ફેશન શો અને ઈટાલીના કોઈ બિચ પર ઓપન એર થિયેટરમાં કપલ બોક્સની ટિકિટ પણ આપે છે. એ સિવાય પણ જાતભાતની ધ્યાનાકર્ષક ઓફર્સ કરાતી હોય છે. 

જેમ કેએકવાર સિટી બેંકે તેના સુપર રિચ ગ્રાહકો માટે વ્હાઈટ હાઉસની પર્સનલ ટૂર અને નાસાના વિખ્યાત ખગોળશાસ્ત્રી સાથે લંચનું આયોજન કર્યું હતું. આ ગ્રાહકોને એરપોર્ટ પરથી રિસિવ કરવા અને મૂકવા જવા લિમ્બોર્ગિનીબેન્ટલી અને ફોર્મુલા વન રેસિંગમાં ઉપયોગમાં લેવાતી કાર સર્વિસ અપાતી હતી. 

અફવામાંથી સુપર રિચ કાર્ડનો જન્મ

અત્યારે દુનિયામાં સૌથી લોકપ્રિય અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન કાર્ડની શરૂઆત ૧૯૯૦માં થઈ હતી. આ કાર્ડના જન્મનો ઈતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. અમેરિકન એક્સપ્રેસે અલ્ટ્રા એક્સક્લુસિવ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું એ પહેલાં એવી અફવા ફેલાઈ હતી કેઆ કંપની તેના સુપર રિચ ગ્રાહકોને ખાસ પ્રકારના ક્રેડિટ કાર્ડની સુવિધા આપી રહી છે. 

આ વાત અમેરિકન એક્સપ્રેસના ટોપ મેનેજમેન્ટ સુધી પહોંચી અને એ પછી તેમને આવું અલ્ટ્રા પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ ડિઝાઈન કરવાનો વિચાર આવ્યો હતો. આમસુપર રિચ લોકોને ક્રેડિટ કાર્ડ આપીને કમાણી કરવાની શરૂઆત એક અફવામાંથી થઈ હતી. એ પહેલાં કોઈ કંપનીએ આવું ક્રેડિટ કાર્ડ લૉન્ચ કરવાનું સાહસ કર્યું ન હતું કારણ કેગમે તેવા બિલિયોનેર પણ 'નાદારીનોંધાવી શકે છે. આ કાર્ડ ખરીદ્યા પછી જન્મદિવસ કે લગ્નની તિથિ પહેલાં મોબાઈલ ફોન અને ઈ મેઈલ પર શોપિંગને લગતી હાઈ એન્ડ ઓફર્સ આવે છે. આ માટે કંપનીએ અન્ય બ્રાન્ડ સાથે જોડાણ કર્યું હોય છે. 

જુઓ એક ઉદાહરણ. સિટી બેંક ટોક્યો (જાપાન)ની મુલાકાતે જતા તેના સુપર રિચ ગ્રાહકોને ગ્રાન્ડ હયાત ટોક્યોમાં 'યામાઝાકી ૧૮ યર્સનામની વ્હિસ્કીની ત્રણ બોટલ પહોંચાડવાની સેવા આપે છે. આ કંપની તેમના મહેમાન હોટેલ પહોંચે એના દસ દિવસ પહેલાં ત્યાં આ મોંઘેરી વ્હિસ્કી પહોંચાડી દે છે. જો તમે સ્પોર્ટ્સના શોખીન હોવ તો સિટી બેંક ટેનિસ પ્રીમિયર લિગની ટિકિટ પણ તમને એક દિવસ પહેલાં પહોંચાડી દે છે. 

ધનવાનોને પેટ્રોલ પૂરાવવા પણ ક્રેડિટ કાર્ડ

અલ્ટ્રા પ્રીમિયમ કાર્ડના ગ્રાહકોને વિશ્વના કોઈ પણ એરપોર્ટની લક્ઝુરિયસ લોન્જમાં તેમજ વિશ્વના તમામ ફાઈવ સ્ટાર રિસોર્ટ-હોટેલમાં એક્સક્લુસિવ લંચ કે ડિનરની સુવિધા પણ મળે છે. જોકેઆવા સુપર રિચ ગ્રાહકો માટે આ બધું કંઈ નવું નથી હોતું પણ અમેરિકન સેન્ચુરિયન જેવી કંપનીઓ સુપર યોટ અને પ્રાઈવેટ જેટમાં પેટ્રોલ પૂરાવવા માટે પણ ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા આપે છેજેનું બિલ આશરે એકાદ લાખ ડોલર જેટલું થતું હોય છે. 

જોકેકોઈ કંપની તમને આવું કાર્ડ ઓફર કરે એ પહેલાં તમારા ઘરે આવીને કે છુપાઈને તમારી લાઈફ સ્ટાઈલ કેવી છે એ જાણી લે છે. એકવાર સિટી બેંકે તેમના અલ્ટ્રા રિચ ગ્રાહક એવા ભુતાનના રાજવી પરિવાર સાથે રોયલ ડિનરનું આયોજન કર્યું હતું. ક્રેડિટ કાર્ડ કંપનીઓનું કહેવું છે કેઅમે ગ્રાહકોના રસ જાણીને તેમને વધારે સારી સુવિધા અને ક્યારેક સરપ્રાઈઝ આપવા તેમની સાથે પર્સનલ ડિનર કે લંચનું આયોજન કરીએ છીએ. 

થોડા ઓછા ધનવાનો માટે પણ ખાસ કાર્ડ 

આ તો થઈ સુપર રિચ લોકોની વાત પણ સિટી પ્રેસ્ટિજ નામના ક્રેડિટ કાર્ડ વિશ્વભરમાં ફેલાયેલા ધનવાન ભારતીયો માટે લોન્ચ કરાયું છે. આ ક્રેડિટ કાર્ડ પર પણ હાઈ એન્ડ સર્વિસ અને લાઈફ સ્ટાઈલ ઓફર્સ મળે છે. જેમ કેસિટીએ તેના એક ક્રેડિટ કાર્ડ યુઝર્સની પુત્રીના જન્મદિવસની ઉજવણી કરવા હોંગકોંગના ડિઝનીલેન્ડમાં ડિઝનીના વિવિધ પાત્રો સાથે એક ભવ્ય બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. વળીસિટીએ તેના ગ્રાહક માટે આ પાર્ટી ક્રિસમસ વેકેશન હોવા છતાં ગોઠવી આપી હતી. આ ક્રેડિટ કાર્ડના યુઝર્સને પણ રોજર ફેડરર અને નોવાક દોજોવિકની ટેનિસ મેચ જોવા વીઆઈપી બોક્સની સુવિધા મળે છે. 

એચડીએફસી ઈન્ફિનિયા નામના ક્રેડિટ કાર્ડ યુઝર્સને એન્ટરટેઇનમેન્ટ પ્લાનિંગગિફ્ટિંગ અને સ્પેશિયલાઈઝ્ડ શોપિંગની ઓફર્સ મળે છે. એવી જ રીતેઅમેરિકન એક્સપ્રેસ પ્લેટિનમ કાર્ડ હોલ્ડર્સને આર્ટ કે ફેશન શોમાં 'બાય ઈન્વિટેશન ઓન્લીએન્ટ્રીની સુવિધા મળે છે. જો તમે ટ્રાવેલિંગના શોખીન હોવ તો સિટીના પ્રેસ્ટિજ કાર્ડના ગ્રાહકોને વિશ્વના ૬૦૦ એરપોર્ટની વીઆઈપી લોન્જમાં ગપ્પા મારવા મળે છે. આ સુવિધા એચડીએફસી ઈન્ફિનિયા અને અમેરિકન એક્સપ્રેસ પ્લેટિનમમાં પણ મળે છે. આ તમામ કાર્ડ પર ઈન્ટરનેશનલ ગોલ્ફ કોર્સમાં પણ એન્ટ્રી મળે છે. 

વિજય માલ્યાઓનીરવ મોદીઓ અને લલિત મોદીઓ કાગળ પર 'નાદારથઈ ગયા પછીયે અલ્ટ્રા રિચ લાઈફ સ્ટાઈલ જીવતા હોય છે. શુ આ લોકો પણ આ પ્રકારના ક્રેડિટ કાર્ડના ગ્રાહકો હશે

17 November, 2018

નવા વર્ષે કરાતા રિઝોલ્યુશનનું મનોવિજ્ઞાન


હિંદુ સંસ્કૃતિમાં દિવાળી પછીનો દિવસ નવા વર્ષ તરીકે ઊજવાય છે. હિંદુ પંચાગ પ્રમાણે, કારતક સુદ એકમથી થતું નવું વર્ષ ગુજરાતીમાં બેસતું વર્ષ તરીકે પણ ઓળખાય છે. ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ મહિનાનો પહેલો દિવસ 'બેસતો મહિનો’ ગણાય છે એવી જ રીતે, નવું વર્ષ એટલે બેસતું વર્ષ. આપણું રોજિંદુ કામકાજ ગ્રેગોરિયન કેલેન્ડર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર પ્રમાણે ચાલે છે, પરંતુ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષની ઉજવણીનું મહત્ત્વ આજેય જીવંત છે. આપણે ન્યૂ યરમાં સદીઓ જૂની પરંપરાઓ ભૂલતા નથી અને બેસતા વર્ષને ન્યૂ યર સ્ટાઈલમાં ઊજવીએ છીએ.

આ જ તો છે, સાંસ્કૃતિક આદાનપ્રદાન. આ જ પ્રકારના આદાનપ્રદાનને પગલે આજની યુવા પેઢી બેસતા વર્ષે પશ્ચિમી દેશોના યુવાનોની જેમ ન્યૂ યર રિઝોલ્યુશન ઉર્ફ સંકલ્પ લે છે. ખેર, નવા વર્ષે લીધેલા સંકલ્પો ક્યારેક બે-ત્રણ મહિનામાં તો ક્યારેક ગણતરીના દિવસોમાં તૂટી જતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વિજ્ઞાનીઓના મતે સંકલ્પ લેનારા લોકો હંમેશાં દુ:ખી હોય છે. ઊલટાનું કોઈ પણ પ્રકારના સંકલ્પ નહીં રાખનારા વધારે સુખી હોય છે. આ પ્રકારના લોકો કંઈ જ વિચાર્યા વિના ફક્ત તેમનું કામ કરતા રહે છે.




વળી, સંકલ્પ રાખીને સફળ થનારા લોકોને જોઈને પણ તેઓ પોતાનામાં કોઈ પરિવર્તન નથી કરતા. આ વાતની સાબિતી આપતા એક નહીં અનેક સર્વેક્ષણો થઈ ચૂક્યા છે. આ સર્વેક્ષણોનું તારણ એ જ છે કે, નવા વર્ષે સંકલ્પો લેવાનો અર્થ છે, જાતને સજા કરવી. હા, જાતને સુધારવા માટે કોઈ નિર્ણય લેવો એ ખૂબ જ સારી વાત છે, પરંતુ આવા કોઈ નિર્ણયને સંકલ્પનું લેબલ મારવામાં આવે છે ત્યારે નિષ્ફળ જવાની તક અનેકગણી વધી જાય છે. સંકલ્પોનો વૈજ્ઞાનિક અભ્યાસ સૌથી પહેલાં 'સંકલ્પની ફેશન'ને જન્મ આપનારા અમેરિકામાં જ થયો હતો. આ પ્રકારનો અભ્યાસ કરવા સંશોધકોએ 'નવા વર્ષે ખર્ચ ઘટાડીશ'થી માંડીને 'સિગારેટ ઓછી કરીશ કે બંધ કરીશ' વગેરે જેવા સંકલ્પને ચાર કેટેગરીમાં વહેંચ્યા હતા.

આ ચાર કેટેગરીમાં મની (બચત કરીશ), હેલ્થ (નિયમિત જોગિંગ કરીશ), સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ (પોતાને વધુ સમય આપીશ) અને રિલેશનશિપ ઈમ્પ્રુવમેન્ટ (પત્ની-બાળકોને વધુ સમય આપીશ)નો સમાવેશ કરાયો હતો. આ ચારેય કેટેગરીમાં લગભગ દરેક પ્રકારના  સંકલ્પ આવી જાય છે. આપણામાંથી અનેક લોકો નવા વર્ષે આ ચાર કેટેગરીમાંથી જ કોઈને કોઈ સંકલ્પ લે છે, પરંતુ તેઓ મોટા ભાગે નિષ્ફળ જ જાય છે અને નવા વર્ષે ફરી એ જ સંકલ્પ લે છે. હવે આપણે એ સમજીએ કે સંકલ્પો લેનારા મોટા ભાગે નિષ્ફળ કેમ જાય છે?

સુષુપ્ત મગજ પર વિપરિત અસર

નવા વર્ષે લીધેલા મોટા ભાગના સંકલ્પો બ્લેક અથવા વ્હાઈટ હોય છે. એટલે કે હું સિગારેટ પીવાની ઓછી કરી દઈશ એના બદલે એવો સંકલ્પ લેવાય છે કે, હું નવા વર્ષે સિગારેટ પીવાનું બંધ કરી દઈશ. આ પ્રકારના સંકલ્પને સંશોધકો 'વ્હાઈટ' સંકલ્પ કહે છે. એવી જ રીતે, સિગારેટ પીવાની ઓછી કરીશ તે 'ગ્રે' સંકલ્પ કહી શકાય. વ્હાઈટ સંકલ્પ રાખનારાની નિષ્ફળ જવાની સંભાવના વધારે હોય છે. કદાચ તેમણે સિગારેટ નહીં પીવાના બદલે સિગારેટ ઓછી પીવાનો સંકલ્પ રાખ્યો હોત તો તેઓ નિષ્ફળ ના જાત. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ ખૂબ જ મહત્ત્વની વાત છે કારણ કે, આપણે સંકલ્પ લઈને નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણું સુષુપ્ત (સબકોન્સિયસ) મગજ પણ એ વાત દોહરાવે છે કે, હું નિષ્ફળ ગયો. કદાચ આ જ કારણસર વારંવાર સંકલ્પ લેનારા વહેલા થાકી જાય છે.

બીજી એક રસપ્રદ વાત. સંકલ્પ લેનારા જાતને છેતરવામાં પાવરધા હોય છે. હકીકતમાં તેઓ અંદરથી સમજી ગયા હોય છે કે, સંકલ્પ લેવા કરતા વર્તન સુધારવું અને જાત પર કાબૂ રાખવો જરૂરી છે, પરંતુ તેઓ એવું કરી શકતા નથી અને નવા વર્ષે સંકલ્પ કરીને થોડો દંભ કરી લે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાનીઓના મતે, સંકલ્પ લઈને નિષ્ફળ જવા કરતા સંકલ્પ લીધા વિના નિષ્ફળ જવું વધુ સારું. જેમ કે, હું છ મહિનામાં વીસ કિલો વજન ઉતારીશ એવો સંકલ્પ કરવાના બદલે પોષણયુક્ત આહાર લેવો અને નિયમિત જોગિંગ કરવા જવું વધુ સારું.

ટૂંકમાં, જીવનમાં સુખી થવા શિસ્તબદ્ધ જીવન જીવવાનો પ્રયાસ કરવો વધુ હિતાવહ છે. જો તમે નિયમિત જોગિંગ કરશો અને ક્યારેક ફાસ્ટફૂડ ખાઈ લેશો તો પણ તમને અપરાધભાવ (ગિલ્ટ) સહન નહીં કરવો પડે. બરાબર ને?

લાગણીથી નહીં, ચોક્કસ સંકલ્પ લો

સંકલ્પો વિશે ઘણાં સંશોધનો કરાયા, જેમાં એક મહત્ત્વનું તારણ નીકળ્યું છે. નવું વર્ષ કે બેસતું વર્ષ તો ઠીક છે. જીવનમાં કોઈ પણ ધ્યેય હાંસલ કરવા કોઈ પણ સમયે ચોક્કસ ચોક્કસ સંકલ્પ લેનારી વ્યક્તિ વધુ સફળ થાય છે. ટૂંકમાં, ચોક્કસ ધ્યેય રાખીને આગળ વધનારા સફળ થતા જ હોય છે, પરંતુ કેટલાક કામ એવા પણ હોય છે જેમાં આપણે નિષ્ફળ જઈએ તો પણ તે કામ કરવાનું બંધ નથી કરતા.

જેમ કે, આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માગતો વિદ્યાર્થી એકવાર એન્ટ્રન્સ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેનો અર્થ એ નથી કે, તે બીજી વાર ટેસ્ટ નહીં આપે. બિઝનેસ સ્કૂલમાં કે મોટા ભાગની કોર્પોરેટ જોબ્સમાં 'રિયલ ગોલ્સ' એચિવ કરવાનું શીખવવામાં આવે છે. આ પ્રકારના ધ્યેય સ્પેસિફિક (ચોક્કસ), મેઝરેબલ (કયાસ કાઢી શકાય એવા), એક્શનેબલ (પાર પાડી શકાય એવા), રિયાલિસ્ટિક (વાસ્તવિક) અને ટાઈમ બેઝ્ડ (સમયને અનુરૂપ) હોય છે. આ ટાઈમ બેઝ્ડ એટલે શું ખબર પડી? કોઈ પ્રીમિયમ ઈન્સ્ટિટ્યૂટની એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ ના થતા હોઈએ તો તેની પાછળ જિંદગીનો મહામૂલો સમય બગાડ્યે ના રખાય! સફળ  થવા માટે આપણને આપણી શક્તિની સાથે મર્યાદાઓ શું છે તેનું પણ ભાન હોવું જોઈએ. અમુક વાર વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં પણ સફળતા છુપાયેલી હોય છે.

મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે, સામાન્ય માણસે નવા વર્ષે બિહેવિયર બેઝ્ડ (વર્તન આધારિત) સંકલ્પ લેવા જોઈએ, નહીં કે ગોલ બેઝ્ડ (ધ્યેય આધારિત). જેમ કે, આઈઆઈટીમાં જવા ઈચ્છતા વિદ્યાર્થીએ પોતાની ક્ષમતાનો કયાસ કાઢીને નક્કી કરી લેવું જોઈએ કે, તેણે પાસ થવા કેટલા કલાક મહેનત કરવી પડે એમ છે. બાદમાં રોજેરોજ એટલા કલાક અભ્યાસ કરવાનો સંકલ્પ રાખી લેવો જોઈએ. આ પ્રકારનું વર્તન કરીને આપણે પોતાની જાતને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. એવી જ રીતે, માર્કેટિંગમાં કામ કરતો એક્ઝિક્યુટિવ આર્થિક  સ્થિતિ સુધારવા પોતાની ખામીઓ શોધીને પર્ફોર્મન્સ સુધારવાનો સંકલ્પ રાખશે તો તેની સફળ થવાની તકો વધી જશે. સંશોધકોએ આ પ્રકારના ધ્યેયને ચોક્કસ અને વાસ્તવિક ગણે છે. પરંતુ 'હું એક વર્ષમાં આટલું બેંક બેલેન્સ ઊભું કરીશ' એવા સંકલ્પમાં વાસ્તવિકતા ઓછી અને લાગણી વધારે હોય છે.

ધ્યેય પાર પાડવા સંશોધકોએ રોજ રાત્રે સૂતા પહેલાં પોતાને સંકલ્પ યાદ અપાવવાની વાત પર પણ ભાર મૂક્યો છે. જેમ કે, રોજ રાત્રે જાતને સવાલ પૂછો કે, શું આજે મેં મારા સંકલ્પને અનુરૂપ વર્તન કર્યું? અને આ સવાલનો જવાબ પણ લખો. ફક્ત આટલું કરવાથી કોઈ પણ વ્યક્તિ જીવનમાં શિસ્ત લાવી શકે છે.

સંકલ્પો સાથે સંકળાયેલી બાબતોનું ધ્યાન રાખો

આપણે કોઈ પણ સંકલ્પ લઈએ છીએ ત્યારે તેની સાથે બીજી પણ ઘણી બાબતો સંકળાયેલી હોય છે. જો આપણે વજન ઉતારવાનો સંકલ્પ રાખીએ તો તેની સાથે કસરત, ફાસ્ટ ફૂડ ખાવાની આદતો અને સ્વાદપ્રિયતા જેવી અનેક બાબતો સંકળાયેલી હોય, જ્યારે કેટલાક મુદ્દા એવા હોય છે જેમાં આખા વર્ષ દરમિયાન તમે શું કર્યું તેના પર તેની સફળતા-નિષ્ફળતાનો આધાર હોય. એક વર્ષમાં ચોક્કસ બચત ભેગી કરવા માટે આખું વર્ષ થોડી થોડી બચત કરવી પડે. એ માટે વધારાના ખર્ચ પર કાપ પણ મૂકવો પડે અને કદાચ બીજી વ્યક્તિઓને પણ કરકસર કરવાનું શીખવવું પડે. સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ કેટેગરીમાં આવતા વિવિધ સંકલ્પમાં પણ વર્તન સુધારવાની જરૂરિયાત ઘણી વધારે હોય. આ પ્રકારના સંકલ્પમાં જાત સાથે ઢીલ બિલકુલ ના ચાલે.

એટલે જ સંકલ્પને સફળતાપૂર્વક પાર પાડવા એક યાદી બનાવવી જોઈએ અને દિવસમાં એકાદ વાર તેના પર નજર કરી લેવી જોઈએ. જોકે, એકાદ દિવસ સંકલ્પ પાળવામાં નિષ્ફળ જઈએ એનો અર્થ એ નથી કે, આપણો સંકલ્પ પણ નિષ્ફળ. કારણ કે, વર્તનમાં સુધારો રોજિંદી પ્રેક્ટિસ પછી જ આવે છે. સંબંધોમાં પણ આવી જ રીતે સુધારો કરી શકાય છે કારણ કે, સંબંધો સુધારવા માટે લીધેલા સંકલ્પ હંમેશાં વર્તન આધારિત હોય છે. આ પ્રકારના સંકલ્પમાં આપણે એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે, કોઈ પણ વ્યક્તિ માટે બીજાના વર્તનને કાબૂમાં રાખવા કરતા પોતાની જાત પર કાબૂ રાખવો વધુ સહેલો છે. જેમ કે, ઓફિસમાં બોસ બીજા લોકોને કાબૂમાં ચોક્કસ રાખી શકે છે, પરંતુ પોતાના વર્તનમાં સુધારો લાવીને પોતાને તો ઠીક બીજાને પણ વધુ સારી રીતે કાબૂમાં રાખી શકશે. ટૂંકમાં, જો તમે સંબંધ આધારિત સંકલ્પમાં સફળતા મેળવવા માગતા હશો તો તમારે સૌથી પહેલાં પોતાની જ ખામીઓ શોધવી પડશે.

આવી અનેક બાબતોનો વિચાર કરીને એવું કહી શકાય કે, લાંબા કે ટૂંકા ગાળાના ધ્યેય પૂરા કરવા માટે વર્તનમાં સુધારો કરવો જરૂરી છે.

સંકલ્પોમાં નિષ્ફળતા મળ્યા પછી શું કરવું?

દુનિયાભરમાં થયેલા અનેક સર્વેક્ષણો પછી માલુમ પડ્યું છે કે, નવા વર્ષે ઉત્સાહથી સંકલ્પ લઈને નિષ્ફળ જનારા લોકો થોડા કે લાંબા સમય સુધી તણાવ અનુભવે છે, પરંતુ સંશોધકો તેને વૈજ્ઞાનિક રીતે સમજાવતા કહે છે કે, જો તમને સંકલ્પ સિદ્ધ કરવામાં વારંવાર નિષ્ફળતા મળી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.

સૌથી પહેલાં સંકલ્પમાં સફળ થવા વર્તનમાં શું ફેરફાર કરવો જરૂરી છે તે નક્કી કરો અને પછી તેનો અમલ કરવાનો પ્રયાસ કરો. આદતો બદલવા માટે મજબૂત મનોબળ રાખો અને સાથે એ પણ યાદ રાખો કે, બહુ હઠીલી આદતો બદલતા સમય પણ લાગી શકે છે. આદતો બદલવાથી વર્તન સુધરશે અને વર્તન સુધારવાથી સફળતા મળશે. સફળતા મેળવવા શું કરવું પડે એ વાત પોતાને યાદ અપાવતા રહો. ફક્ત આટલું કરવાથી સુષુપ્ત મનમાં નકારાત્મકતા નહીં આવે અને મનોબળ વધુને વધુ મજબૂત થતું જશે. 

05 November, 2018

ચાઈનીઝ ફૂડ, ઈન્ડિયન સ્ટાઈલ: સ્વિટ કોર્ન સૂપ, ચાઈનીઝ સમોસા અને સ્પ્રિંગ રોલ


ભારત અને ચીનની સંસ્કૃતિ એકબીજાથી ખાસ્સી જુદી. એમાંય બંને દેશની ખાણીપીણીની રીતરસમ તો બિલકુલ અલગ. ચીનના ભોજનની વાત આવે એટલે આપણી નજર સામે એવું એવું દેખાય કે જે ગુજરાતીઓ સપનામાં પણ ખાવાનું વિચારી ના શકે. આમ છતાં, આજેય ગુજરાત સહિત આખા દેશમાં સૌથી વધુ વેચાતું વિદેશી ફૂડ હોય તો તે છે, ચાઈનીઝ. દિલ્હીથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ફાઈવ સ્ટાર હોટેલો, નાની-મોટી રેસ્ટોરન્ટ્સ અને લારીઓના મેન્યૂમાં વેજ કે નોન-વેજ ચાઈનીઝ ફૂડ સરળતાથી મળી જાય છે. ગુજરાતીઓના તો લગ્નોમાં પણ સ્વિટ કોર્ન, હોટ એન્ડ સોર કે ચો મીન સૂપ, નુડલ્સ, ચાઈનીઝ કે અમેરિકન ચોપ્સી, મન્ચુરિયન અને ચુન જુઆન (સ્પ્રિંગ રોલ) સામાન્ય થઈ ગયા છે. હા, ચાઈનીઝ સમોસા અને કટલેટ પણ ખરા. આ બંને તો કોઈ ગુજરાતી રસોઇયાનું સર્જન હોવું જોઈએ! જોકે, આ બધું જ ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ નહીં હોવાથી ફૂડ એક્સપર્ટ તેને ઈન્ડિયન ચાઈનીઝ કે ઈન્ડો-ચાઈના કેટેગરીમાં મૂકે છે.

સવાલ એ છે કે, ચીનમાં ક્યાંય જોવા નહીં મળતી અને આખાયે ભારતમાં જોવા મળતી ચાઈનીઝ વાનગીઓનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો હશે! દુનિયાના કોઈ પણ પ્રદેશના ભોજનની રીતભાતો સાંસ્કૃતિક આદાનપ્રદાનથી જ વિકસતી હોય છે, જેને આપણે ફૂડ કલ્ચર કહીએ છીએ. આ ફૂડ કલ્ચર નાનોસૂનો શબ્દ નથી. ખાણીપીણીની સંસ્કૃતિ ખુદ એક ઈતિહાસ છે. ભારતમાં પણ ચાઈનીઝ ફૂડ સાથે સમૃદ્ધ રાજકીય અને સામાજિક ઈતિહાસ જોડાયેલો છે. આપણે ત્યાં ચાઈનીઝ ફૂડ ખાવાની શરૂઆત ૧૮મી સદીના કોલકાતા (એ વખતનું કલકત્તા)માં થઈ હતી. અંગ્રેજોએ કોલકાતામાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયન કંપનીનું થાણું શરૂ કરીને ભારત જ નહીં, ચીન સાથે પણ વેપાર શરૂ કર્યો, એ પછી તેના બીજ રોપાયા. અંગ્રેજ વેપારીઓ ચા અને સિલ્ક જેવી ચીજવસ્તુઓ વાયા કોલકાતા બ્રિટન મોકલતા.




ફ્રોમ ચાઈના, વિથ લવ ;)

આ દરમિયાન ઈસ. ૧૭૭૮માં ચીનનો યાંગ એચ્યુ નામનો વેપારી કોલકાતા આવ્યો. તેણે એક વેપારી કરાર હેઠળ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયાના ગવર્નર વૉરન હેસ્ટિંગ્સને ચાનો બહુ મોટો જથ્થો આપીને હુગલી નદીના કાંઠે ૬૫૦ વીઘા જમીન મેળવી. એ જમાનામાં આટલી જમીનનું ભાડું હતું, વાર્ષિક રૂ. ૪૫. યાંગ એચ્યુએ ત્યાં સુગર મિલની સ્થાપના કરી. ત્યાર પછી સ્થાનિકોમાં તે 'આચિ સાહેબ' તરીકે જાણીતો થયો અને આ વિસ્તારનું નામ પડ્યું, આચિપુર. હાલના પશ્ચિમ બંગાળમાં દક્ષિણ ૨૪ પરગણાં જિલ્લાના બજ બજ નામના નગર નજીક આચિપુર નામનું ગામ આવેલું છે, જ્યાં આજેય એક ચાઈનીઝ શૈલીનું મંદિર અને યાંગ એચ્યુની કબર છે. બ્રિટીશરો સાથે વેપાર કરવા યાંગ એચ્યુ ચીનથી થોડા ઘણાં મજૂરો પણ લાવ્યો અને પછી તો ચીનના ઘણાં કામદારો બજ બજમાં આવીને વસ્યા. આ નગર સાથે બીજી પણ એક મહત્ત્વની ઐતિહાસિક તવારીખ જોડાયેલી છે. ઈસ. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ શિકાગોનું પ્રખ્યાત ભાષણ કરીને જળ માર્ગે પરત ફર્યા ત્યારે બજ બજના ફેરી ઘાટ પર ઉતર્યા હતા.

ભારત સરકારના વસતી વિષયક આંકડા પ્રમાણે, કોલકાતામાં ૧૯૦૧માં ૧,૬૪૦ ચાઈનીઝ વસતા હતા. બીજા વિશ્વ યુદ્ધના અંત પછી આ આંકડો આશરે ૨૭ હજારે પહોંચ્યો. આજેય કોલકાતામાં આશરે બે હજાર ચાઈનીઝ વસે છે. ચીનના લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળતા, પરંતુ સદીઓ પહેલાં કેટલાકે ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો હતો. આ પ્રકારના સાંસ્કૃતિક આદાનપ્રદાનનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે, કોલકાતાનું 'નામ સૂન' નામનું ચાઈનીઝ ચર્ચ. ભારત અને ચીનના ભોજનમાં થયેલું સાંસ્કૃતિક આદાનપ્રદાન સમજવા એ જાણવું જરૂરી છે કે, ચીનના કયા પ્રદેશોના લોકો કોલકાતા આવીને વસ્યા હતા? જવાબ છે, ચીનના ગુઆંગઝાઉ ઉર્ફ કેન્ટોન પ્રાંતના સુથારો, હક્કા હાન (હક્કા લોકો બનાવતા હતા એ હક્કા નુડલ્સ આજેય દુનિયાભરમાં લોકપ્રિય છે) વંશના જૂતાના કારીગરો અને ચામડાના વેપારીઓ, હુબેઈ પ્રાંતના દાંતના તબીબો અને શેડોંગ પ્રાંતના સિલ્કના કારીગરો. આ તમામ પ્રાંતના લોકો તેમની સાથે પોતપોતાની વાનગીઓ અને ખાણીપીણીની રીતભાતો લઈને આવ્યા. ચીન પણ ભારતની જેમ સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવે છે અને ત્યાં પણ ભારતની જેમ દરેક પ્રાંતનું આગવું ફૂડ કલ્ચર છે.

યાંગ એચ્યુએ કોલકાતામાં આચિપુરમાં બનાવેલું મંદિર, જ્યાં તેણે વતનથી સાથે લાવેલી
બે મૂર્તિની સ્થાપના કરી હતી. તેનું મૂળ નામ યાંગ દાઝાઓ હતું, પરંતુ અપભ્રંશ થયા પછી
તે યાંગ કે તોંગ એચ્યુ અને પછી ‘આચિ સાહેબ’ તરીકે જાણીતો થયો હતો 

આચિપુર નજીક યાંગ એચ્યૂની કબર 

ચીનના લોકો સદીઓ પહેલાં પોતાની સાથે ચાઈનીઝ વાનગીઓ લઈને આવ્યા, પરંતુ ભારતની પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ કોલકાતામાં છેક ૧૯૨૪માં ખૂલી. નામ એનું નાનજિંગ ચાઈનીઝ રેસ્ટોરન્ટ. એ પછી આ રેસ્ટોરન્ટ બંધ પણ થઈ ગઈ, પરંતુ વિક્ટોરિયન શૈલીનું સ્થાપત્ય ધરાવતી બે માળની આ ઐતિહાસિક  રેસ્ટોરન્ટની આસપાસ ડિસેમ્બર ૨૦૧૩માં કચરાના ઢગ ખડકાયા ત્યારે મીડિયાએ તેની ભરપૂર નોંધ લીધી. રાજ કપૂર, દીલિપ કુમાર અને સુનિલ દત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ પણ ચાઈનીઝ ફૂડની લિજ્જત માણવા નાનજિંગની મુલાકાત લેતા. ચાઈનીઝ ફૂડના શોખીન બંગાળીઓ સહિત ભારતના અન્ય પ્રદેશોના ઉચ્ચ વર્ગીય પરિવારો યુરોપિયનોની પણ તે પ્રિય રેસ્ટોરન્ટ હતી. એ પછી પશ્ચિમ બંગાળથી લઈને દેશની આર્થિક રાજધાની મુંબઈ સુધી સંખ્યાબંધ ચાઈનીઝ રેસ્ટોરન્ટ ખૂલી. જોકે, ચાઈનીઝ ફૂડને ઈન્ડિયન ટેસ્ટ અપાયો, કોલકાતામાં.

ચીનના હક્કા હાન વંશના લોકો પૂર્વ કોલકાતામાં આવેલા તાન્ગરામાં આવીને વસ્યા હતા. તેમના કારણે જ આજેય આ પ્રદેશમાં પરંપરાગત ચર્મ ઉદ્યોગના કારખાના અને કારીગરો જોવા મળે છે. સૌથી પહેલાં અહીં વસતા ચાઈનીઝ લોકોએ નાનકડી દુકાનો અને ખુમચા શરૂ કરીને ચાઈનીઝ ફૂડ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. જોકે તેમના ગ્રાહકોમાં ચાઈનીઝ લોકોની સાથે ભારતીય મજૂરો પણ સામેલ હતા. આ ભારતીય ગ્રાહકોના ચટાકાને સંતોષવા તેમણે ચાઈનીઝ ફૂડમાં લીલા મરચાનો ભરપૂર ઉપયોગ શરૂ કર્યો. મૂળ ચાઈનીઝ વાનગીઓ મરચાંથી ખૂબ મોળી હોય છે. ત્યાર પછી તાન્ગરાની ચાઈનીઝ ઉર્ફ ઈન્ડો-ચાઈનીઝ વાનગીઓની સુગંધ પહેલાં કોલકાતામાં અને પછી મુંબઈ સુધી વિસ્તરી.


કોલકાતાની સૌથી પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ નાનજિંગના હાલ-બેહાલ

ટિપિકલ ઈન્ડો-ચાઈનીઝ  ફૂડ સર્વ કરતી યુ ચ્યૂનું પ્રવેશદ્વાર
 કોલકાતાની સૌથી જૂની રેસ્ટોરન્ટ્સ પૈકીની એક 

એ પછી ઈસ. ૧૯૨૪માં મુંબઈની વિખ્યાત તાજ મહેલ હોટેલમાં ભારતની પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ ખૂલી, જ્યાં ચીનના સિચુઆન પ્રાંતથી પ્રભાવિત ઈન્ડો-ચાઈનીઝ વાનગીઓ પીરસાતી. એ પહેલાં કોઈએ તીખું તમતમતું ચાઈનીઝ ફૂડ ચાખ્યું ન હતું. આ હાઈ એન્ડ રેસ્ટોરન્ટની અનેક ફૂડ બિઝનેસમેને નકલ કરી અને મુંબઈમાં સ્પાઈસી ચાઈનીઝ ફૂડના શોખીનો અસ્તિત્વમાં આવ્યા. આ સ્વાદ રસિયાઓના ચટાકાએ બીજાને પણ પ્રભાવિત કર્યા અને દેશમાં  અનેક સ્થળે ઈન્ડો-ચાઈનીઝ ફૂડ પીરસતી રેસ્ટોરન્ટ ખૂલી. ભારતમાં ઈન્ડો-ચાઈનીઝ ફૂડની લોકપ્રિયતાનું સૌથી મહત્ત્વનું કારણ છે ભારતીય સ્વાદ પ્રમાણેની ગ્રેવી, ચિલી-ગાર્લિક-જિંજર સોસ અને ભારતીય મસાલા. ચાઈનીઝ ફૂડમાં ભારતીય સ્વાદ પ્રમાણેની ગ્રેવીને ઘટ્ટ કરવા મકાઈના લોટનો ઉપયોગ કરાય છે. એ પછી ચાઈનીઝ ફૂડ દેશના ખૂણે ખૂણે પહોંચતું ગયું અને જે તે પ્રદેશોના સ્વાદ-સુગંધ પ્રમાણે ચાઈનીઝ વાનગીઓમાં 'ભારતની માટી'ની સુગંધ પણ ભળતી ગઈ. આ બધા કારણસર આપણને મેક્સિકનઈટાલિયન કે ફ્રેન્ચ ડિશીઝ કરતા ચાઈનીઝ ફૂડ વધારે ફેમિલિયર લાગે છે. હાલમાં જ ચીનની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે, હાઈબ્રિડ ચાઈનીઝ ફૂડની લોકપ્રિયતાના કારણે દેશમાં સૌથી વધુ ફૂડ સેન્સિટિવ ગણાતા ગુજરાતીઓને પણ અમુક ચાઈનીઝ ડિશ પોતીકી કેમ લાગવા માંડી છે? જેમ કે, નુડલ્સ, મન્ચુરિયન, ફ્રાય રાઈઝ કે રાઈઝ બેડ તૈયાર કરાતા કોઈ પણ પ્રકારના વેજિટેરિયન સિઝલર્સ.

આવી જ ઈન્ડો-ચાઈનીઝ હાઈબ્રિડ વાનગીઓ એટલે વેજ કે નોન વેજ મન્ચુરિયન ડિશીઝ. સૌથી પહેલા નેલ્સન વાંગ નામના સોફિસ્ટિકેટેડ કૂકે ચાઈનીઝ સ્ટાઈલ મન્ચુરિયનને ભારતીય સ્વાદ આપ્યો હતો. તેઓ કોલકાતામાં આવીને વસેલા એક ચાઈનીઝ વેપારીના પુત્ર હતા. તાજ હોટેલની એક ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં કૂક તરીકે જોડાઈને કારકિર્દી શરૂ કરનારા વાંગે ૧૯૭૦માં મન્ચુરિયન બનાવવા એક અનોખો પ્રયોગ કર્યો. ભારતીયોને ગ્રેવી સાથેની વાનગીઓ ખાસ પસંદ હતી એટલે તેમણે લીલા મરચાં, આદુ અને લસણના સૂપમાં (ચિલી-ગાર્લિક-જિંજર સોસ) સોયા સોસ અને મકાઈનો લોટ નાંખીને ભારતીય મરીમસાલા ભભરાવીને ઘટ્ટ ગ્રેવી બનાવી. આ ગ્રેવીમાં તેમણે મન્ચુરિયન બનાવ્યા અને એ પ્રયોગ ક્રાંતિકારી સાબિત થયો. આજે પણ આખા દેશમાં કહેવાતા વેજ કે નોન-વેજ ચાઈનીઝ ફૂડમાં આ બધી જ ચીજવસ્તુનો ઉપયોગ કરાય છે.

હોલિવૂડ સ્ટાર ગોલ્હી હૉનને આવકારતા ‘ચાઈના ગાર્ડન’ના માલિક અને ભારતમાં
સૌથી લોકપ્રિય ઈન્ડો-ચાઈનીઝ ડિશ ચિકન મન્ચુરિયનના શોધક નેલ્સન વાંગ.

‘ચાઈના ગાર્ડન’માં શમ્મી કપૂર અને રણધીરકપૂર 
એ જ રેસ્ટોરન્ટમાં પરમેશ્વર ગોદરેજ, ઈમરાન ખાન અને (પાછળ) શશી કપૂર

આ પ્રયોગ પછી નેલ્સન વાંગે મુંબઈમાં ઘણાં ફૂડ જોઈન્ટ્સ શરૂ કર્યા, જેમાંથી તેઓ ખૂબ નામ અને દામ કમાયા. મુંબઈની હાઈ સોસાયટીના લોકો કહેવાતા 'ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ' માટે વાંગની સૌથી જાણીતી મુંબઈના કેમ્પ્સ કોર્નર વિસ્તારમાં આવેલી 'ચાઈના ગાર્ડન' રેસ્ટોરન્ટની મુલાકાત લેતા. હોલિવૂડની અભિનેત્રી ગોલ્ડી હૉન, પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન આજેય લોકપ્રિય ગણાતી આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ ચૂક્યા છે. શમ્મી કપૂર અને રણધીર કપૂર પણ ત્યાં ચાઈનીઝ ફૂડ ખાતા ખાતા કલાકો વીતાવતા. છેક નેવુંના દાયકા સુધી ચાઈનીઝ 'સેલિબ્રિટી ફૂડ' ગણાતું, પરંતુ આજે તેનો વ્યાપ એટલો છે કે ભારતમાં સામાન્ય માણસો પણ સરળતાથી સારી ગુણવત્તાનું ઈન્ડો-ચાઈનીઝ ફૂડ ખાઈ શકે છે, જ્યારે હાઈ સોસાયટી માટે હાઈ એન્ડ રેસ્ટોરન્ટ્સમાં ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ પણ ઉપલબ્ધ છે.

જોકે, ચાઈનીઝ ફૂડના શોખીનોએ એ બાબતનું પણ ધ્યાન રાખવું કે, ઠેર ઠેર ખૂલી ગયેલી ચાઈનીઝ ફૂડ ઈટરીમાં સ્વાદ મોનોસોડિયમ ગ્લુટામેટ (ગુજરાતીમાં તે આજીનોમોટો નામે ઓળખાય છે, પરંતુ તે એક જાપાનીઝ નામ છે. તેનો અર્થ થાય છે, એસેન્સ ઓફ ટેસ્ટ) નામના ફૂડ એન્હાન્સરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું ફૂડ ટાળવું અને સારું ફૂડ પીરસતી રેસ્ટોરન્ટમાં જ ચાઈનીઝ ફૂડનો સ્વાદ માણવો. હાલ દેશની મોટા ભાગની ચાઈનીઝ રેસ્ટોરન્ટના માલિક અને કૂક ભારતીયો છે કારણ કે, ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી હજારો ચાઈનીઝને શંકાની નજરે જોવાતા. આ દરમિયાન અનેકને ચીન મોકલી દેવાયા અથવા રાજસ્થાનના ડિટેન્શન કેમ્પોમાં ધકેલી દેવાયા. ત્યાર પછી અનેક ચાઈનીઝ અમેરિકા, કેનેડા અને યુરોપના બીજા દેશોમાં જતા રહ્યા, પરંતુ તેઓ જતા જતા ભારતની ખાણીપીણી સંસ્કૃતિ સમૃદ્ધ કરતા ગયા.

આપણા અને ચીનના ચાઈનીઝ ભોજનમાં આસમાન જમીનનો તફાવત છે એ વાત ખરી, પરંતુ તમે ફૂડને લઈને વધારે પડતા ચૂઝી (ચીકણા) ના હોવ અને બધા પ્રકારના ટેસ્ટ કરવાની આભડછેટ ના રાખતા હોવ તો ચીનમાં પણ તમને તકલીફ નહીં પડે, એ વાતની ગેરંટી.