21 September, 2013

તણાવને નાથવા તેને સમજવો જરૂરી


ભાગદોડભરી અને વ્યસ્ત જીવનશૈલીના કારણે આજે વધુને વધુ લોકો તણાવ એટલે કે સ્ટ્રેસનો ભોગ બની રહ્યા છે. તણાવ જેવા માનસિક રોગોનું પ્રમાણ વિકસિત દેશોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એક અંદાજ મુજબ, ભારતમાં પણ તણાવના દર્દીઓનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તણાવ માનસિક રોગ છે અને આ બીમારી ધરાવતા દર્દીઓના આંકડાનો ફક્ત અંદાજ મેળવી શકાય છે, તેના ચોક્કસ આંકડા મળવા મુશ્કેલ છે. ભારત તો ઠીક વિકસિત દેશોમાં પણ તણાવના દર્દીઓના ચોક્કસ આંકડા મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જોકે તણાવના દર્દીઓના વધી રહ્યા છે એવું માનવાના મનોવિજ્ઞાનીઓ પાસે પૂરતા કારણો છે. તણાવથી દૂર રહેવા માટે આપણે આ ગંભીર બીમારી વિશે જાણવું જરૂરી છે.

અમેરિકન સાઈકોલોજિકલ એસોસિયેશનના તાજા આંકડા મુજબ, નોકરી, આર્થિક સ્થિતિ, આરોગ્ય, સંબંધો, કુપોષણ, અપૂરતી ઉંઘ અને ટેલિવિઝન, રેડિયો કે સોશિયલ નેટવર્કિંગના વ્યસન જેવા પરિબળો તણાવમાં જોરદાર વધારો કરે છે. તણાવ જેવી બીમારી માટે આમાંથી એક કે એકથી વધુ પરિબળો જવાબદાર હોઈ શકે છે. વિશ્વના સૌથી યુવાન દેશ ભારતમાં પણ તણાવના દર્દીઓમાં સતત વધારો કરવામાં આ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં આપણા દેશમાં નાઈટ જોબ કરતા યુવાનોની સંખ્યા વધી છે. આ યુવાનો વત્તે-ઓછે અંશે તણાવના દર્દીઓ હોઈ શકે છે. તણાવના કારણે બીજા પણ કેટલાક શારીરિક અને માનસિક રોગો થતા હોવાથી આ બીમારી બીજી બીમારીઓ કરતા વધુ ગંભીર ગણી શકાય.


સામાન્ય રીતે આપણે તણાવને ફક્ત એક માનસિક અને ભાવનાત્મક બીમારી ગણીએ છીએ પણ તણાવ શારીરિક પણ હોઈ શકે છે. શારીરિક તણાવ પણ માનસિક તણાવ જેટલો જ ગંભીર છે. શારીરિક કે માનસિક તણાવ વ્યક્તિની વિચારવાની ક્ષમતા અને વર્તન પર ઊંડી અસર કરે છે. આ બંને પ્રકારનો તણાવ શારીરિક ક્રિયાઓ પર પણ અસર પાડે છે. કારણ કે, આપણું મગજ અને શરીર સતત એકબીજાના સંપર્કમાં જ હોય છે. તણાવના કારણે શરીરમાં અમુક પ્રકારના હોર્મોનમાં અચાનક વધારો થાય છે. જ્યારે તમારું શરીર તણાવ અનુભવે છે ત્યારે હાયપોથેલેમસ નામનો મગજનો એક નાનકડો હિસ્સો એડરનલાઈન અને કોર્ટિસોલ નામના હોર્મોન પેદા કરે છે. તણાવ અને ડિપ્રેશન બિલકુલ અલગ રોગ છે. જોકે ડિપ્રેશન તણાવ કરતા વધુ ગંભીર છે, જેમાં મગજમાં ભારે રાસયણિક અસંતુલન તેમજ જનીનિક કારણોસર થતો રોગ છે. ખૂબ લાંબા ગાળાનો તણાવ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.

કુદરતે માનવ શરીરની બાહ્ય અને આંતરિક રચના કંઈ એવી રીતે કરી છે કે જેથી તે કોઈ પણ વિપરિત સંજોગોનો સામનો કરી શકે. હાયપોથેલેમસ નામના મગજના એ નાનકડા હિસ્સાના સંદેશને પગલે શરીરમાં એડરનલાઈન અને કોર્ટિસોલ નામના જે બે હોર્મોન પેદા થાય છે તે વ્યક્તિને શારીરિક-માનસિક દબાણ સામે લડવામાં મદદરૂપ થાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘ફાઈટ-ઓર-ફ્લાઈટ રિસ્પોન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. એડરનલાઈન હોર્મોન શરીરના ધબકારામાં વધારો કરે છે, લોહીનું દબાણ પણ વધારી દે છે અને માનવ શરીરને વધારાની ઊર્જા આપે છે. કોર્ટિસોલ પણ આવું જ ‘સ્ટ્રેસ હોર્મોન’ જ છે, જે લોહીમાં ગ્લુકોઝ છોડીને માનવ શરીરને હંગામી ધોરણે ઊર્જા પ્રદાન કરવાનું કામ કરે છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી માનસિક અને શારીરિક દબાણ સહન કરવાની શક્તિ મળે છે. આ દરમિયાન શરીરને જે પ્રક્રિયા તાત્કાલિક કરવાની જરૂર ના હોય તે બંધ થઈ જાય છે. જેમ કે, પાચનક્રિયા. વ્યક્તિ દબાણ હેઠળ હોય ત્યારે તેની પાચનક્રિયા થોડા સમય પૂરતી બંધ થઈ જાય છે.

સામાન્ય સંજોગોમાં તણાવ વખતે શરીર આપોઆપ નિયમન કરી લે છે. જેમ જેમ હોર્મોનનું પ્રમાણ ઘટે છે તેમ તેમ હૃદયની સ્થિતિ અને લોહીનું દબાણ પાછું સામાન્ય થઈ જાય છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, સારું જીવન જીવવા માટે થોડો ઘણો તણાવ જરૂરી છે. એક સાદું ઉદાહરણ જોઈએ તો મોટા ભાગના લોકો સવારે વહેલા ઉઠે છે કે આખો દિવસ સ્ફૂર્તિથી કામ કરે છે એ પાછળ થોડું દબાણ જવાબદાર હોય છે. એટલે કે, તણાવ પણ ચરબીની જેમ બે પ્રકારનો હોય છે, સારો અને ખરાબ. શરીરને નુકસાન કરતી ચરબી ટ્રાન્સફેટ તરીકે ઓળખાય છે. આ ચરબી જ શરીરમાં વિવિધ રોગોનું જોખમ વધારે છે. વધુ પડતો તણાવ વૈજ્ઞાનિક ભાષામાં ‘ક્રોનિક સ્ટ્રેસ’ તરીકે ઓળખાય છે. એવી જ રીતે, કોઈ વ્યક્તિ બહુ ઓછા પ્રમાણમાં તણાવ અનુભવતી હોય તો તેનાથી પણ માનસિક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તણાવનો બિલકુલ અનુભવ ના થતો હોય તે સ્થિતિ વૈજ્ઞાનિક ભાષામાં ‘અન્ડર-સ્ટિમ્યુલેટેડ’ તરીકે ઓળખાય છે.

જે લોકો બહુ લાંબો સમય તણાવ સહન કરતા હોય એનો અર્થ એ છે કે, તેમના શરીરમાં સતત સ્ટ્રેસ હોર્મોન કાર્યરત છે. આ હોર્મોનનું પ્રમાણ વધવાના કારણે જ વારંવાર માથું દુખવું, પાચનક્રિયા ખોરવાઈ જવી અને લોહીનું દબાણ જેવા રોગો થાય છે. સ્ટ્રેસ હોર્મોનના કારણે જ હૃદયરોગનો હુમલો આવે છે. તણાવના કારણે આ પ્રકારની શારીરિક બીમારીઓ થાય છે, પરંતુ તણાવના કારણે વ્યક્તિ અવિશ્વાસની લાગણી, ગુસ્સો, ચિંતા અને ડરની લાગણીથી પણ પીડાવા લાગે છે. આ પ્રકારની લાગણીઓના કારણે વ્યક્તિ લાંબા ગાળા સુધી ગૂમસૂમ અને એકલવાયી થઈ જાય છે. આ સ્થિતિમાંથી તેઓ વધુ ઝડપથી બહાર ના આવે તો તણાવના કારણે થતી શારીરિક અને માનસિક બીમારીઓનો ભોગ બની શકે છે. તણાવના કારણે જ વ્યક્તિ એન્ક્સિયટી ડિસઓર્ડર અને ડિપ્રેશનનો ભોગ બને છે.

જે વ્યક્તિ વારંવાર તણાવગ્રસ્ત થાય છે કે જે લોકો લાંબા ગાળા માટે તણાવ અનુભવે છે તેમની રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ નકારાત્મક અસર પડે છે. તાજેતરમાં થયેલા કેટલાક સંશોધનોએ પુરવાર કર્યું છે કે, તણાવના કારણે વાયરસને લગતા ચેપી રોગો થવાનું પ્રમાણ પણ વધી જાય છે. આ ઉપરાંત બીજા એક સંશોધન પ્રમાણે, નોકરીના ભારે તણાવથી પીડાતા લોકો ‘મેટાબોલિક સિન્ડ્રોમ’ એટલે કે ડાયાબિટિસ, હાઈ બ્લ્ડ પ્રેશર અને ઓબેસિટી (સ્થૂળતાપણું) જેવા ત્રણેય રોગોનો બહુ ઝડપથી ભોગ બને છે. તણાવગ્રસ્ત વ્યક્તિ આવા અનેક રોગોના ભોગ બનતા હોવાથી તેને ગંભીરતાથી લેવો જોઈએ.

જોકે, તણાવથી બહુ ગભરાવવાની પણ જરૂર નથી. કારણ કે, આ રોગમાંથી વ્યક્તિ આપોઆપ ખૂબ જ સહેલાઈથી બહાર આવી શકે છે. ઘણાં બધા રોગની જેમ આ રોગ પણ નિયમિત કસરત અને મનગમતા કામ કરવાથી કાબૂમાં રાખી શકાય છે. તણાવનો સંબંધ મગજ સાથે વધુ હોવાથી દરેક વ્યક્તિએ પોતે જ પોતાના તણાવનું કારણ શોધીને જીવનમાં હકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. તણાવને લગતા અનેક સંશોધનો પરથી સાબિત થયું છે કે, વ્યક્તિને ખુશ રાખવા પાછળ મગજના એન્ડોર્ફિન નામનો હિસ્સો મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને કસરત કરવાથી તે સક્રિય થાય છે. આ ઉપરાંત નિયમિત કસરત આત્મવિશ્વાસ અને મૂડમાં પણ સુધારો કરે છે, ઉંઘ વધુ ગુણવત્તાયુક્ત બનાવે છે અને તણાવના કારણે થતા હૃદયરોગ, ડાયાબિટિસ જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

તણાવગ્રસ્ત વ્યક્તિ તણાવ દૂર કરવા બિનઆરોગ્યપ્રદ આદતો અપનાવતા જોવા છે. જેમાં વધુ પડતી ચ્હા-કોફી, દારૂ, સિગારેટ કે તમાકુના વ્યસનનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત ખૂબ ઓછું ભોજન લેવું કે અકરાંતિયાની જેમ ખાધા કરવું એ પણ તણાવનું જ લક્ષણ છે. આજે ઘણાં યુવાનો ગૂમસૂમ રહે છે, મિત્રો-પરિવાર સાથે ભાગ્યે જ વાત કરે છે અને કલાકો સુધી ઈન્ટરનેટ સર્ફિંગ અને સોશિયલ મીડિયામાં રચ્યાપચ્યાં રહે છે. આ પ્રકારના લોકો મોટેભાગે તણાવ અનુભવતા હોય છે. જોકે કોઈ પણ વ્યક્તિ પોતાને કયા કારણોસર તણાવ થાય છે એ જાતે જ સમજીને તેને ભગાડી શકે છે. નિયમિત કસરત, મનગમતી પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું તેમજ હકારાત્મક અને રમૂજી વ્યક્તિઓ સાથે હળવા-મળવાની આદત તણાવની ઉત્તમ દવા સાબિત થઈ શકે છે.

તણાવની સારી-નરસી અસરો

કોઈ પણ વ્યક્તિ જીવનમાં આવતી હંગામી કે કાયમી મુશ્કેલીઓથી તણાવ અનુભવે છે. આ મુશ્કેલીઓ માનસિકથી લઈને શારીરિક અને નોકરીથી લઈને મોંઘવારી સુધીની હોઈ શકે છે. તણાવના કારણે જ દરેક વ્યક્તિને જીવનમાં ‘કંઈક’ કરવાનું બળ મળે છે. મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે કે, કેટલીકવાર તો વધુ પડતો તણાવ પણ હકારાત્મક અસર કરે છે. જો કોઈ દિશાહીન યુવકના માતા કે પિતાનું અવસાન થાય અને તે લાંબો સમય તણાવ રહે તો એ યુવકને જીવનમાં દિશા મળી શકે છે. આવી વ્યક્તિને જીવનમાં કંઈક કરી બતાવવાનું બળ મળી શકે છે. એવી જ રીતે, મનોવિજ્ઞાનીઓ છૂટાછેડા લીધેલી વ્યક્તિનું પણ ઉદાહરણ આપે છે. કારણકે, સંબંધોને લઈને એકવાર તણાવ ભોગવી ચૂકેલી (ઠોકર ખાઈ ચૂકેલી) વ્યક્તિ બીજા સંબંધોમાં વધુ સમજદારીથી વર્તે છે. એવી જ રીતે, નોકરીમાં ભૂલોના કારણે અનુભવેલો તણાવ પણ બીજીવારની નોકરી વખતે વ્યક્તિના વ્યક્તિત્વ પર હકારાત્મક અસર કરી શકે છે. તણાવનો અનુભવ થોડો કે લાંબા ગાળાનો હોઈ શકે છે. લાંબા સમય સુધી અનુભવાતા તણાવને વૈજ્ઞાનિક ભાષામાં ‘ક્રોનિક સ્ટ્રેસ’ કહેવાય છે. દા. ત. ઘણાં લાંબા સમય સુધી બેકાર બેસી રહેલા યુવાનની થોડી ઘણી ચિંતા લાંબા ગાળે ક્રોનિક સ્ટ્રેસનું રૂપ લઈ શકે છે. સતત તણાવમાં રહેતા લોકો સંબંધોમાં પણ નિષ્ફળ જાય છે અને છેવટે તેઓ વધુ તણાવ અનુભવે છે. જોકે, દરેક વ્યક્તિ જુદા જુદા લોકો વચ્ચે રહેતી હોય છે, જુદી જુદી રીતે શિક્ષણ પામેલી હોય છે અને જુદી જુદી આદતો ધરાવતી હોય છે. તેથી વિવિધ સંજોગો પણ તેમની પર જુદી જુદી રીતે અસર કરે છે.

18 September, 2013

મુઝફ્ફરનગરમાં સમાજવાદી પક્ષ જાણી જોઈને નિષ્ફળ ગયો છે


ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં છેલ્લાં કેટલાક દિવસોથી વ્યાપેલી કોમી તંગદિલી માટે એક યુવતીની છેડતી જવાબદાર હતી. એક યુવતીની છેડતીના કારણે કોમી તોફાનો થઈ જાય તે શક્ય છે. પરંતુ થોડા સમયમાં ચાળીસથી વધુ લોકોના મોત થઈ જાય અને ચાળીસેક હજાર લોકોને સ્થળાંતર કરવાનો વખત આવે તો રાજ્ય સરકારને એકસો ટકા કઠેડામાં ઊભી કરવી પડે. એક બાજુ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં કોમી રાજકારણ ખેલવામાં કુખ્યાત સમાજવાદી પક્ષની સત્તા છે ત્યારે શંકા-કુશંકા થવી સ્વાભાવિક છે. બિનસાંપ્રદાયિકતા એકમાત્ર બંધારણીય સિદ્ધાંત છે. દેશના મોટા ભાગના પક્ષોને બિનસાંપ્રદાયિકતા સાથે કોઈ લેવાદેવા નથી અને મત મેળવવા માટે કોઈ પણ પક્ષ કોમવાદી રાજકારણ ખેલતા ખચકાતો નથી.

ઉત્તરપ્રદેશમાં પણ આ જ સ્થિતિ છે. અહીં પણ રાજકીય હેતુઓ પાર પાડવા માટે અને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોમી તણાવ ઘટે એવા પ્રયાસ કરવાના બદલે તેને વધારવાના અથવા ‘જાણી જોઈને નિષ્ક્રિય’ રહીને મતબેંક ઉસેટવાના હોશિયારીપૂર્વકના પ્રયાસ કરાયા હતા. ભારતમાં મોટા ભાગના પક્ષોએ મુસ્લિમ મતોને અંકે કરવા માટે તેમને સતત ડરાવતા રહેવું પડે છે. મુસ્લિમ મતો પર સૌથી વધુ પ્રભાવ ધરાવતો સમાજવાદી પક્ષ સારી રીતે જાણે છે કે, મુસ્લિમ મત કબજે કરવા હશે તો લઘુમતી સમાજમાં સતત ડર વ્યાપેલો રહે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે, સમાજવાદી પક્ષની નીતિરીતિ સવર્ણોને બહુ માફક આવતી નથી. આ બધી વાત સમાજવાદી પક્ષ સારી રીતે જાણે છે અને એટલે જ મુઝફ્ફરનગરને સળગતું રાખવામાં તેઓ પોતાનું હિત જુએ છે. આમ ઉત્તરપ્રદેશ સરકાર ફક્ત રાજકીય લાભ મેળવવા માટે દેશ અને સમાજ માટે ખતરનાક સાબિત થઈ શકે એવી રમત રમી રહ્યા છે.



સૈદ્ધાંતિક રીતે કોઈ પણ સરકાર ધર્મથી અલિપ્ત હોવી જોઈએ. રાજકારણીનો અંગત ધર્મ કે માન્યતા કોઈ પણ હોય પણ શાસનધુરા સંભાળ્યા પછી લગભગ બધા રાજકીય પક્ષો અને રાજકારણીઓનો એક જ ધર્મ હોય છે, મત બેંક. સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવ અને રાજ્યના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ આ વાત સાબિત કરી છે. લગભગ દરેક પક્ષો બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યા પોતપોતાની રીતે કરે છે અને તેમાંથી જુદી જુદી રીતે ‘રસ-કસ’ કાઢે છે. રાજકારણ ખરેખર ભલભલાને બદલી નાંખે છે. અંગત રીતે બિનસાંપ્રદાયિકતામાં માનતી વ્યક્તિ પણ સત્તા મેળવવા માટે ગમે તેટલું ખતરનાક રાજકારણ ખેલતા ખચકાતી નથી અથવા તો પોતાના જ પક્ષના નેતાઓની આવી ખતરનાક નીતિ સામે આંખમીંચામણા કરે છે.

મુઝફ્ફરનગરની ઘટનામાં પણ મુલાયમસિંઘે એવું જ વિચાર્યું હતું કે, એકવાર આગ લાગે પછી સંજોગો પારખીને નિર્ણયો લઈશું. આમ પણ રાજકારણ શક્ય બનાવવાની કળા છે. એટલે કે મુઝફ્ફરનગરની ઘટનાને લઈને ઉત્તરપ્રદેશ સરકાર નિષ્ફળ નથી ગઈ પણ જાણી જોઈને નિષ્ફળ જઈ રહી છે. મુઝફ્ફરનગરની ઘટના પહેલાં આપણે દુર્ગાશક્તિ નાગપાલની બદલીની ઘટના જોઈ. આ ઘટનામાં પણ રાજકારણીઓએ ફક્ત એક જ વાતનું રટણ કર્યે રાખ્યું કે, આ મહિલા અધિકારીએ બેજવાબદાર રીતે હુકમ કરીને મસ્જિદની દીવાલ તોડી પડાવી હતી અને તેમના કારણે કોમી તંગદિલી સર્જાઈ શકી હોત. જો રાજકારણીઓ કોમી તંગદિલી ના ફેલાય એ માટે આટલા બધા જવાબદાર હોય તો પછી મુઝફ્ફરનગરની કોમી આગ ઠરવાનું નામ કેમ નથી લેતી?

ઉત્તરપ્રદેશ સરકારે મુઝફ્ફરનગરમાં પણ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે. 27મી ઓગસ્ટના રોજ રાજ્ય પોલીસ વડા અરુણકુમારે મુઝફ્ફરનગરની મુલાકાત લીધી ત્યારે તેમણે મીડિયાને પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. અરુણકુમાર આરુષી હત્યા કેસ સફળતાપૂર્વક ઉકેલવા માટે જાણીતા છે. હવે સ્થિતિ કાબૂમાં હોવા છતાં મુઝફ્ફરનગરના વહીવટમાં રાજકારણીઓ લખનઉથી ‘કંટ્રોલિંગ’ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવ સરકારને સુભાષચંદ્ર દુબે નામના એક યુવાન આઈપીએસ અધિકારી ભારે પડી રહ્યા હતા. આ અધિકારીએ રાજકારણીઓનું ‘રિમોટ કંટ્રોલ’ બનવાની ના પાડતા ઉત્તરપ્રદેશ સરકારે ચાર દિવસ પછી તેમની ચૂપચાપ બદલી કરી દીધી હતી. આ સિવાય પણ સરકારે બીજા કેટલાક અધિકારીઓની ચૂપચાપ બદલી કરી દીધી છે. આ દરમિયાન સમાજવાદી પક્ષના નેતાઓને મુઝફ્ફરનગરની એટલી ચિંતા હતી તેઓ હેલિકોપ્ટરથી ચક્કરો માર્યે રાખ્યા હતા.

કમનસીબે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ આપણે આવી અનેક ઘટનાઓ સાંભળીશું. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર પણ આ ઘટનામાં મત બેંકની ચિંતા કરતા કરતા જ આગળ વધી રહી છે. આ ઘટના પછી કોંગ્રેસના નેતાઓએ મુઝફ્ફરનગરની ચિંતા કરવાના બદલે ફક્ત તેમનો જ પક્ષ લઘુમતીઓની ચિંતા કરી રહ્યો છે તેવું સાબિત કરવાના ખોખલા પ્રયાસ કર્યા છે. આમ કોંગ્રેસે પણ મુઝફ્ફરનગરની ઘટનામાં રાજકીય રોટલા શેકવાનો બખૂબી લાભ લીધો છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓને આશા છે કે, આ ઘટના પછી સમાજવાદી પક્ષના મુસ્લિમ મતો કોંગ્રેસને મળશે. આમ સમાજવાદી પક્ષ હોય કે કોંગ્રેસ બંને ભેગા મળીને કોમી રાજકારણમાંથી જેટલો રસ-કસ કઢાય એટલો કાઢી રહ્યા છે. કહેવાનો અર્થ એટલો જ છે કે, તેઓ બિનસાંપ્રદાયિકતાની આડમાં ગંદુ રાજકારણ રમી રહ્યા છે.

જોકે આ વખતની સ્થિતિ થોડી અલગ છે અને સદનસીબે ઉત્તરપ્રદેશના મુસ્લિમો યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે ભડક્યા છે અને આ બધા માટે તેઓ સરકાર અને સમાજવાદી પક્ષને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. મુસ્લિમ સમાજની આગેવાની ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, જમિયત ઉલેમા એ હિંદ અને ઑલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસ એ મશરવત નામના ત્રણ મુસ્લિમ સંગઠનોએ લીધી છે. આ ત્રણેય સંસ્થા મુસ્લિમ સમાજમાં પ્રભુત્વ ધરાવે છે અને તેમણે ઉત્તરપ્રદેશની સમાજવાદી પક્ષની સરકારને કોમવાદી ગણાવીને તાત્કાલિક અસરથી બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી છે. આ સંસ્થાઓના નેતાઓએ સ્પષ્ટ જાહેર કર્યું છે કે, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ સમાજવાદી પક્ષે આવું રાજકારણ ખેલ્યું છે. આ અંગે તેમણે વડાપ્રધાન સમક્ષ પણ રજૂઆત કરી છે.

ટૂંકમાં, રાજકારણીઓ તો સત્તા માટે ગમે તે તકનો ફાયદો ઉઠાવવાના જ છે. દરેક નાગરિકે અને સામાજિક આગેવાનોએ આવી સમજદારી દાખવીને તકવાદી રાજકારણ ખેલતા નેતાઓને પાઠ ભણાવવાનું શીખી લેવું જોઈએ. ટૂંકમાં હવે રાજકારણીઓએ નહીં લોકોએ સમજવાનું છે.

યોગાનુયોગ કે પછી...

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુસ્લિમ પ્રભાવિત વિસ્તારોમાં કોમી તંગદિલીના બનાવોમાં અચાનક વધારો થઈ જાય એને યોગાનુયોગ માનવો એ ભોળપણ ઓછું અને મૂર્ખતા વધારે છે. આવા કેટલાક બનાવો પર એક નજર...

25 ઓગસ્ટે આસામના સિલાચરમાં મંદિરમાં ગૌમાંસ મળ્યાની અફવામાં કોમી તણાવ સર્જાયો અને 30 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.

20મી ઓગસ્ટે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક નહેર નજીક કપાયેલી હાલતમાં ગાય મળતા કોમી તંગદિલી સર્જાઈ અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા.

10મી ઓગસ્ટે બિહારના નવાડા, બેત્તિઆહમાં યુવાનોના બે જૂથ વચ્ચે કોમી તણાવ સર્જાયો અને બે વ્યક્તિ મૃત્યુ પામ્યા.

નવમી ઓગસ્ટે, જમ્મુમાં ઈદની નમાજ વખતે પાકિસ્તાન તરફી નારા લાગ્યા અને કોમી તણાવ સર્જાયો. આ ઘટનામાં ત્રણના મૃત્યુ અને 60 લોકો ઈજાગ્રસ્ત થયા.

છઠ્ઠી એપ્રિલે, ઉત્તરપ્રદેશના મેરઠમાં કોઈએ ધાર્મિક લાગણીઓને ઠેર પહોંચે એવી ફેસબુક પોસ્ટ મૂકીને કોમી તણાવ ઊભો કર્યો. આ ઘટનામાં બે લોકો માર્યા ગયા અને 12 ઘાયલ થયા.

જાન્યુઆરીથી મે દરમિયાન આસામમાં નાની-મોટી ચૂંટણીઓમાં સર્જાયેલા કોમી તણાવમાં 31 લોકોના મૃત્યુ થયા.

12 September, 2013

જો દેશ કે કામ ના આયે, વો બેકાર જવાની હૈ


વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ચાર કરોડ, ત્રીસ લાખ યુવાનો પહેલીવાર મત આપવાના હતા. આ યુવા મતદારોએ 15મી લોકસભામાં 79 સાંસદો એવા ચૂંટ્યા હતા, જેમની ઉંમર 40 વર્ષ કરતા ઓછી હતી. આ યુવા સાંસદોને લઈને લોકોમાં તો ઠીક મીડિયામાં પણ ખાસ્સોઉત્સાહદેખાતો હતો. દેશના યુવા મતદારોને આ યુવા નેતાઓની આંખમાં કદાચ આશાનું કિરણ દેખાયું હશે. આ ઉપરાંત વર્ષ 2009ની ચૂંટણી વખતે સરેરાશ યુવા મતદારોમાં ખડ્ડુસ રાજકારણીઓ, ભ્રષ્ટાચાર અને વાહિયાત સિસ્ટમ પ્રત્યેની નફરતનો પણ યુવા નેતાઓને લાભ મળ્યો હોઈ શકે છે. હવે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીની આવી રહી છે ત્યારે આશરે 11 કરોડ યુવાનો પહેલીવાર મત આપવાના છે, પણ વર્ષ 2009માં જીતેલા તમામ યુવા નેતાઓ હવે કદાચ અઠંગરાજકારણીબની ગયા છે અને એટલે જ આ યુવા સાંસદોએ ચાર વર્ષમાં શું કર્યું છે તેનોહિસાબકરવાનો સમય થઈ ગયો છે.

એક આંકડા મુજબ હાલ ભારતની 65 ટકા વસતીની ઉંમર 35 વર્ષથી ઓછી છે. આ યુવાનો યુવા સાંસદો પાસેથી શું અપેક્ષા રાખે છે એ સવાલનો જવાબ સમજવા માટેરોકેટ સાયન્સભણવાની જરૂર નથી. વર્ષ 2009થી યુવા સાંસદો સંસદમાં હાજરી આપવાથી લઈને જરૂરી સવાલો પૂછવામાં કે ગંભીર ચર્ચામાં ભાગ લેવામાં ઊણા ઉતર્યા છે. કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીની જ સંસદમાં 50 ટકાથી પણ ઓછી હાજરી છે. આ ઉપરાંત ચાર વર્ષમાં તેમણે સંસદમાં એક સવાલ સુદ્ધાં નથી કર્યો અને ફક્ત એક જ વાર ચર્ચામાં ભાગ લીધો છે. 15મી લોકસભામાં 36 સાંસદો એવા છે જેમણે અત્યાર સુધી એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. જોકે રાહુલ ગાંધી તો સત્તાધારી પક્ષના ઉપપ્રમુખ છે અને એટલે તેમનું માઈક્રો સ્કેનિંગ થઈ રહ્યું છે, પણ લગભગ તમામ પક્ષના અનેક યુવા સાંસદો 15મી લોકસભામાં પ્રશ્નો પૂછવામાં અને ગંભીર ચર્ચામાં ભાગ લેવામાં ઉણાં ઉતર્યા છે.


લોકસભામાં યુવા સાંસદોના મૌન માટે શું તેમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી શકાય? કેટલાક ઉદાર રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, સંસદના દરેક સત્રમાં ખૂબ ઓછા સમયમાં અનેક ખરડા પસાર કરવાના હોય છે અને એટલે ચર્ચાનો અવકાશ જ નથી હોતો. આ ઉપરાંત દરેક પક્ષ લોકસભામાં તેના સભ્યોના પ્રમાણમાં ચોક્કસ સમય ફાળવે છે. એવી જ રીતે, કોઈ સાંસદ કોઈ મુદ્દે જરૂરી વાત કરવા માગતા હોય ત્યારે તેમને સમય ઓછો ફાળવવામાં આવે એવું પણ બને છે. આ પ્રકારના મુદ્દે મીડિયાનું ધ્યાન પણ નહિવત હોય છે. જોકે, આ વાત સાચી હોય તો પણ આવા ઉદાહરણો ખૂબ ઓછા છે. વર્ષ 2009થી અત્યાર સુધીનું યુવા સાંસદોનું સરવૈયું જોતા કહી શકાય કે, દેશના સળગતા પ્રશ્નો ઉકેલવામાં, તેની ચર્ચા કરવામાં કે નીતિવિષયક નિર્ણયોમાં આગવા વિચારો રજૂ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

લોકસભામાં થતી ચર્ચા અલગ વાત છે, પરંતુ અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કે નવી દિલ્હીની સામૂહિક બળાત્કારની ઘટનામાં આખા દેશના યુવાનોમાં રોષ હતો ત્યારેય યુવા સાંસદોએ યુવાનોની લાગણીમાં સામેલ થવાનુંજોખમલીધું ન હતું. ઊલટાનું રાજકારણીઓએ તો મીણબત્તી લઈને શાંતિથી પોતાની લાગણી વ્યક્ત કરતા યુવાનોને ઉતારી પાડતાટ્વિટકર્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવ્યો ત્યારે પણ યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવે જ તેનો વિરોધ કર્યો હતો. ઓનર કિલિંગની સરેઆમ સરાહના કરતી ખાપ પંચાયતો મુદ્દે હરિયાણાના બે યુવા સાંસદો નવીન જિંદાલ અને દિપેન્દરસિંગ હુડા ચૂપ છે. સામાન્ય માણસને રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો હક મળે એ માટે જિંદાલે સતત નવ વર્ષ સુધી કાયદાકીય લડત કરી હતી. આ લડતના કારણે તેઓ હરિયાણામાં જ નહીં, સમગ્ર દેશમાં લોકપ્રિય થયા હતા. જોકે જિંદાલ ખાપ પંચાયતોની વિરુદ્ધ એક શબ્દ ઉચ્ચારતા નથી. જિંદાલનું મૌન તો સમજી શકાય એમ છે, પણ નવાઈ તો એ વાતની છે કે તેઓ ખાપ પંચાયતોને ટેકો આપે છે. એવી જ રીતે, જાટ મત બેંકને ધ્યાનમાં રાખીને હુડા પણ ખાપ પંચાયતો મુદ્દે મૌન ધારણ કરી લે છે અને મગનું નામ મરી નથી પાડતા.

સુપરપાવર દેશ બનવાની વાતો કરવાના બદલે તકવાદી રાજકારણના ભૂતકાળમાંથી બોધપાઠ લેવો સમાજના હિતમાં છે. રાજકારણીઓ વચનો આપે છે પરંતુ તે પૂરા કરતા નથી એ નવી વાત નથી. સામે પક્ષે યુવા મતદારોએ પણ એ વિચાર કરવો જોઈએ કે, આખરે રાજકારણીને મત બેંકની આટલી ચિંતા કેમ થાય છે? ઝીણું કાંતતા રાજકીય વિશ્લેષકો કહે છે કે, ‘સમાજના હિતમાં લેવાયેલું અપ્રિય પગલુંતેમને રાજકીય નુકસાન પહોંચાડી શકે છે. હાલ પૂરતું આ દલીલ માન્ય રાખીએ તો પણ યુવા સાંસદોની રાજકીય કારકિર્દીના બીજા એવા ઘણાં પાસાં છે જેમના પર તેમનો સંપૂર્ણ કાબૂ છે. જેમ કે, કુશળ વહીવટ, ભ્રષ્ટાચારમુક્ત શાસન અને લોકોના નેતા તરીકેનું ઉદાહરણ પૂરું પાડવા જેવા મુદ્દે પણ યુવા સાંસદો સરેઆમ નિષ્ફળ ગયા છે. વર્ષ 2009થી અત્યાર સુધી અનેક યુવા સાંસદો પર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આરોપો લાગી ચૂક્યા છે.

દ્રવિડ મુનેત્ર કઝગમના 49 વર્ષીય સાંસદ એ. રાજા અને કરુણાનિધિની 45 વર્ષીય પુત્રી કનિમોઝીનું નામ આ યાદીમાં ટોચ પર મૂકી શકાય. 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં આ બંને સાંસદો જેલની હવા ખાઈ આવ્યા છે. આ બંને સાંસદો પર આમ તો ઘણાં આરોપો છે, જેમાંનો એક આરોપ રૂ. 214 કરોડની લાંચ લેવાનો પણ છે. કોંગ્રેસના 43 વર્ષીય સાંસદ નવીન જિંદાલ હરિયાણાના કુરુક્ષેત્ર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. કોલસા કૌભાંડમાં જિંદાલ પર પણ સીબીઆઈના આરોપ લાગી ચૂક્યા છે. ખાણ ઉદ્યોગમાં લાભ મેળવવા માટે ખોટી માહિતી આપવાના કેસમાં પણ જિંદાલ આરોપી છે. એનસીપીના વડા શરદ પવારના 44 વર્ષીય પુત્રી સુપ્રિયા સુળે પર કોઈ આરોપો નથી, પરંતુ આઈપીએલથી લઈને લવાસા પ્રોજેક્ટમાં તેમની ભૂમિકા શંકાસ્પદ છે. કેશ-ફોર-વૉટ કૌભાંડમાં ભાજપના 44 વર્ષીય સાંસદ અશોક અરગલે વરવી ભૂમિકા ભજવી હતી. ઝારખંડના 42 વર્ષીય સ્વતંત્ર સાંસદ મધુ કોડા તો રૂ. ચાર હજાર કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયા હતા.

સંસદના સત્તાવાર ડેટાની મદદથી આપણે ફક્ત એટલું જ જાણી શકીએ છીએ કે, જે તે સાંસદે સંસદમાં હાજરી આપી કે નહીં? આ આંકડા મુજબ, અનેક સાંસદો સંસદમાં હાજરી આપે છે, પરંતુ સંસદના રજિસ્ટરમાં તેમની સહી ફક્ત તેમનીહાજરીદર્શાવે છે, આ સાંસદોએ સંસદમાં કેટલો સમય વીતાવ્યો તેની કોઈ માહિતી નથી મેળવી શકાતી. હા, સાંસદોએ કેટલા પ્રશ્નો પૂછ્યા અને કેટલી ચર્ચામાં ભાગ લીધો તે જાણીને આપણે સાંસદોની વ્યક્તિગત હાજરીની ગુણવત્તાનું અંશતઃ માપ કાઢી શકીએ છીએ. સંસદની નીતિરીતિથી સારી રીતે વાકેફ કેટલાક પત્રકારોનું અવલોકન છે કે, અનેક યુવા સાંસદો સંસદમાં માંડ વીસેક મિનિટ હાજરી આપે છે, અને પછી તેઓ કેન્ટિનમાં ચ્હા કે કોફી પીતા પીતા ગપાટા મારતા જોવા મળે છે. બપોર સુધીમાં તો કેન્ટિન પણ સૂમસામ થઈ જાય છે.

યુવા સાંસદોને લઈને બીજો એક મહત્ત્વનો પ્રશ્ન સંપત્તિનો છે. આજે સંસદમાં એવા પણ અનેક સાંસદો છે જેમની સંપત્તિમાં વર્ષ 2004થી વર્ષ 2009 સુધીમાં એક હજારથી લઈને 1500 ગણો વધારો થયો છે. ‘પોલિટિક્સ ઈઝ લુક્રેટિવ બિઝનેસ’, એ વાતને યુવા સાંસદોએ સાચી સાબિત કરી છે. કર્ણાટકના ચિત્રદુર્ગા મતવિસ્તારના ભાજપના 45 વર્ષીય સાંસદ જનાર્દન સ્વામી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના વિદ્યાર્થી છે. એક સમયે જનાર્દનની ગણના ભાજપનારાઈઝિંગ સ્ટારમાં થતી હતી. પરંતુ આ આશા પણ ઠગારી નીવડી. કારણ કે, મુખ્યમંત્રી ક્વૉટાની ચાર હજાર સ્ક્વેર ફૂટ જમીનનો લાભ લેવા તેમણે ખોટો દાવો કર્યો હતો કે, મારી પાસે ઘર નથી... આ શિક્ષિત યુવા સાંસદ એટલે યાદ આવ્યા કે તેઓ કર્ણાટકની જ નહીં, દક્ષિણ ભારતના રાજકારણમાં મજબૂત યુવા નેતાગીરીના પ્રતીક સમાન હતા. એવી જ રીતે, ભાજપ જેમને રાહુલ ગાંધીનોજવાબમાનતું હતું તે હિમાચલ પ્રદેશના હમીરપુરના 38 વર્ષીય યુવા સાંસદ અનુરાગ સિંગ ઠાકુર હાલ વિજિલન્સ ઈન્ક્વાયરીનો સામનો કરી રહ્યા છે. ક્રિકેટના શોખીન આ યુવા સાંસદે ક્રિકેટ સ્ટેડિયમ અને ક્રિકેટરો માટે લક્ઝુરિયસ હોટેલ બાંધવા ધર્મશાલામાં જમીન કેવી રીતે મેળવી તેની તપાસ ચાલી રહી છે.

જેમની સામે પોલીસ ચોપડે ગુના નોંધાયા હોય એવા યુવા સાંસદોની પણ કોઈ કમી નથી. જો પચાસ વર્ષથી નીચેની ઉંમરના સાંસદોને યુવા ગણીએ તો કુલ 225 યુવા સાંસદોમાંથી 75 સાંસદો પર નાના મોટા ગુના નોંધાયા છે, જ્યારે 37 યુવા સાંસદો પર તો ગંભીર ગુના છે. એટલે કે, કુલ યુવા સાંસદોમાંથી 33 ટકા પર આરોપો છે અને 16 ટકા પર ગંભીર ગુનાના આરોપ છે. વર્ષ 2009માં વિવિધ ઉમેદવારોએ ફાઈલ કરેલી એફિડેવિટ મુજબ, લોકસભાના 543માંથી 162 સાંસદો પર ફોજદારી કેસ પેન્ડિંગ છે. આ કેસની રેન્જ ડબલ મર્ડર, ખંડણી અને હેટ સ્પિચ સુધી વિસ્તરેલી છે. ભાજપના વરુણ ગાંધી (33), ઑલ ઈન્ડિયા મજલિસ--ઈત્તેહાદુલ મુસ્લિમિનના સાંસદ અસાઉદ્દીન ઓવૈસી (44), ટીડીપીના વેણુગોપાલ રેડ્ડી (47), સમાજવાદી પક્ષના ઘનશ્યામ અનુરાગી (40), બીજુ જનતા દળના કલિકેશ સિંઘ (39) અને તૃણમૂલ કોંગ્રેસના સુવેન્દુ અધિકારી (42) સહિતના તમામ યુવા સાંસદો પર હત્યા, અપહરણ, કોમી વૈમનસ્ય ભડકાવવું, અશ્લીલતા, લૂંટફાટ જેવા વિવિધ આરોપો છે.

જોકે, યુવા સાંસદો એક વાર ગાદીએ આવી જાય પછી થોડા કેસમાં નિર્દોષ જાહેર થાય છે, કોઈ કેસ પાછા ખેંચી લેવાય છે, કોઈમાં શંકાનો લાભ મેળવવાના હકદાર બને છે તો કોઈમાં સાક્ષીઓ ફરી જાય છે. આ ચમત્કારો કેવી રીતે થાય છે એ સમજાવવાનીસ્માર્ટફોન જનરેશનને જરૂર નથી. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ યુવા સાંસદો અને યુવા મતદારોએ દેશ ખાતર, સમાજ ખાતર પોતાનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

09 September, 2013

કોફી કેટલા પ્રમાણમાં પીવી જોઈએ?


આપણે છાપાંઓમાં જાતભાતના સંશોધનો વિશે વાંચીએ છીએ કે, ચોકલેટ ખાવાથી મગજ સતેજ રહે છે, ચોકલેટ ખાવાથી ફિગર સારી રહે છે, ચ્યુઈંગમ ચાવવાથી મગજ તેજ થાય છે કે પછી રેડ વાઈનના કારણે ફ્રેન્ચોની તંદુરસ્તી સારી હોય છે વગેરે. એવી જ રીતે, કોફી વિશે પણ આપણે જાતભાતના સંશોધનો વાંચી-સાંભળી ચૂક્યા છીએ. જેમ કે, રોજના ચાર કપ કોફી પીવાથી બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે, લીવર સ્વસ્થ રહે છે, આંતરડાના કેન્સરમાં કોફી લાભદાયી છે, કોફી પીવાથી પ્રોસ્ટેટનું કેન્સર મટી જાય છે, કોફીથી તણાવ ઘટે છે અને વધુ પડતી કોફી મૃત્યુ નોંતરી શકે છે વગેરે. આ પ્રકારના સમાચારો વાંચીને સામાન્ય માણસને મૂંઝવણ થવી સ્વાભાવિક છે. વિશ્વભરના અખબારોમાં આવા અધકચરા સંશોધનો પ્રસિદ્ધ થયા કરે છે. આ માટે અનેક લોકોમીડિયા મેનેજમેન્ટના ખાં ગણાતા પશ્ચિમી જગતના મૂડીવાદીઓ તરફ પણ આંગળી ચીંધે છે.

હવે અમેરિકાના કેટલાક વિજ્ઞાનીઓએ કોફીની અસરો પર ઊંડું સંશોધન કરીને અનેક જૂના સંશોધનોનો છેદ ઉડાવી દીધાનો દાવો કર્યો છે. આ અંગેના સમાચારો ગુજરાતી અખબારો સહિત વિશ્વભરના અખબારોમાં છપાયા હતા. કોફીની માનવશરીર પર કેવી અસર થાય છે એ જાણવા માટે અમેરિકાની જ્હોન ઓશનર હાર્ટ એન્ડ વાસ્ક્યુલર ઈન્સ્ટિટ્યુટના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ચિપ લેવી તેમજ સાઉથ કેરોલિના યુનિવર્સિટીની આર્નોલ્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના આસિસ્ટન્ટ પ્રોફેસર ઝૂમેઈ સૂઈએ આશરે 50 હજાર માણસો પર સંશોધન કરીને સાબિત કર્યું છે કે, દિવસના ચારેક કપ કોફી ખૂબ જ નુકસાનકારક છે અને આટલી કોફીથી માણસ ધીમે ધીમે મૃત્યુની નજીક પહોંચે છે. આ સંશોધન મુજબ દિવસના ચાર કપ કોફી પીવાથી સૌથી વધુ નુકસાન 55 વર્ષથી ઓછી વયના લોકોને થાય છે.


ડૉ. ચિપ લેવી અને પ્રો. ઝૂમેઈ સૂઈનું સંશોધન પેપર માયો ક્લિનિક પ્રોસિડિંગ્સ નામના જર્નલમાં પ્રકાશિત થયું છે. કોફીની માનવશરીર પર પડતી અસર અંગે થયેલા અત્યારના મોટા ભાગના સંશોધન કરતા આ સંશોધન વધુ ઊંડું અને પ્રમાણિત ગણાય છે. કારણ કે, આ સંશોધન માટે બંને વિજ્ઞાનીઓએ વિવિધ ઉંમરના 50 હજાર લોકો પર ઊંડો અભ્યાસ કર્યો છે. વળી, આ તમામ લોકોના શરીર પર થતી અસરો જાણવા માટે તેમનો ઝીણામાં ઝીણો મેડિકલ ડેટા નોંધી લેવાયો હતો. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિની કોફી પીવાની આદતમાં ફેરફાર થાય તો સંશોધકો તેની પણ નોંધ કરી લેતા હતા. જોકે, કેટલાક વિજ્ઞાનીઓ દૃઢપણે માને છે કે, આ પ્રકારના સંશોધનો પછી પણ રોજના કેટલા કપ કોફી પીવી જોઈએ?, કેટલી કોફી પીવાથી મૃત્યુ થઈ શકે? તેમજ કઈ ઉંમરના લોકોને કોફીથી વધુ નુકસાન થાય? વગેરે પ્રશ્નોના ચોક્કસ જવાબ આપવા મુશ્કેલ જ નહીં અશક્ય છે. આ માટેના તાર્કિક કારણો પણ છે.

હા, આપણે એટલું કહી શકીએ કે વધુ પડતી કોફી મૃત્યુ નોતરી શકે છે કે ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ દરેક માનવ શરીર જુદી જુદી સ્થિતિમાં જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે. એવી જ રીતે, કોફીના દરેક કપમાં કેફિનનું પ્રમાણ પણ જુદું જુદું હોઈ શકે છે. કાફે ચેઈનમાં ત્રણ શૉટમાં બનાવેલી મશીન કોફી અને અડધી ચમચી કોફી નાંખીને ઘરમાં તૈયાર કરેલા એક કોફી કપમાં કેફિનનું પ્રમાણ એકસરખું ના હોય. નવાઈની વાત એ છે કે, કોફીની અસરો પર ઊંડો અભ્યાસ કરવાનો દાવો કરનારા વિજ્ઞાનીઓ આ મુદ્દો ભૂલી ગયા છે. એવી જ રીતે, સંશોધકોએ માની લીધું છે કે, ચોક્કસ ઉંમરના લોકોમાં કોફી પીવાની આદત પણ નિશ્ચિત હોય છે. આ વિજ્ઞાનીઓના મતે, પુખ્યવયના લોકોમાં કોફી પીવાની આદત લગભગ સ્થિર હોય છે, પરંતુ વિજ્ઞાનીઓનો આ દાવો પણ તર્કહીન છે.

ડૉ. ચિપ લેવી

કારણ કે એવા પણ અનેક લોકો હોય છે જે આરોગ્ય સહિતના અનેક કારણોસર કોફી પીવાનું ધીમે ધીમે ઘટાડતા હોય છે. દાખલા તરીકે, સામાન્ય સંજોગોમાં વધુ કામ કરનારા લોકો કોફી વધુ પીતા હોય છે, પરંતુ કામમાંથી લાંબો સમય બ્રેક લેનારા કે પછી નિવૃત્તિકાળમાં કોફી પીવાનું ધીમે ધીમે ઘટી જાય છે. યાદ રાખો, અહીં કોફીની આદત હોય એવા લોકોની વાત થાય છે. આમ છતાં સંશોધકોએ એટલું તો સાબિત કર્યું જ છે કે, વધુ પડતી કોફી હાનિકારક છે. કોઈ પણ પ્રકારની કોફીમાં કેફિનનું વત્તે-ઓછે અંશે પ્રમાણ હોય જ છે. કોફીમાં રહેલું કેફિન શરીર પર હકારાત્મક અસર કરતું હોય છે, પરંતુ રોજિંદી 250 મિલિગ્રામની મર્યાદામાં લેવામાં આવે તો જ. આ ઉપરાંત ચ્હા, ઠંડા પીણાં અને અમુક દવાઓ (ખાસ કરીને એલર્જીની દવાઓમાં)માં પણ કેફિન હોય છે. એટલે એવું કહી શકાય કે, વ્યક્તિ નિયમિત ઠંડા પીણાં પીતી હોય કે એલર્જીના દર્દીની દવા ચાલતી હોય તો શરીરમાં કેફિનનું પ્રમાણ વધી શકે છે, જે નુકસાનકારક છે.

આ સંશોધનમાં કોફી પીનારા અને ક્યારેય કોફી નહીં પીનારા લોકોનું ઊંડું વિશ્લેષણ કરાયું હોવાથી તે અન્ય સંશોધનોથી થોડું અલગ તરી આવે છે. જેમ કે, સંશોધકોએ નોંધ્યું છે કે, કોફીનું વ્યસન ધરાવતા મોટા  ભાગના લોકોને સિગારેટનું પણ વ્યસન હોય છે અને આ લોકો બ્લડ પ્રેશરથી પણ પીડાતા હોય છે. પરંતુ ડૉ. ચિપ લેવી અને પ્રો. ઝૂમેઈ સૂઈએ પોતાના સંશોધનોમાં કોફીનો વ્યસની પુરુષ છે કે સ્ત્રી, તેઓ કેફિન ધરાવતા અન્ય પીણાં કે દારૂ કેટલા પ્રમાણમાં પીએ છે, શારીરિક કસરત કરે છે કે નહીં અને તેમનો બોડી માસ ઈન્ડેક્સ કેટલો છે વગેરે બાબતો ધ્યાનમાં લીધી છે. અત્યાર સુધીના મોટા ભાગના સંશોધનોમાં આવા વિવિધ મુદ્દાને ભૂલી જવાય છે તેથી આ અત્યાર સુધીનું સૌથી પ્રમાણિત સંશોધન ગણાય છે. આ સંશોધનમાં કોફીનું વ્યસન કરનારી વ્યક્તિ પર કેફિનની કેવી અસર થાય છે એની સચોટ જાણકારી મેળવવા ડાયાબિટિસ, હાયપર ટેન્શન, કોલેસ્ટેરોલ અને હૃદયરોગનો દર્દી હોય તો તેની મેડિકલ ફેમિલી હિસ્ટરીની પણ નોંધ કરાઈ છે.

પ્રો. ઝૂમેઈ ઝૂઈ

સંશોધકોએ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોફીની જે તે વ્યક્તિ પર કેવી અસર થાય છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. આમ છતાં, આ સંશોધનના આધારે ચોક્કસ ઉંમરની વ્યક્તિ પર કોફીની ચોક્કસ કેવી અસર થાય છે તે જાણવું અશક્ય છે. આ સંશોધન પ્રસિદ્ધ થયા પછી વિશ્વભરના અખબારોમાં સમાચાર હતા કે, 55 વર્ષથી નીચેની વયના લોકો પર કોફીની ઘાતક અસર થાય છે, પરંતુ જુદી જુદી ઉંમરના લોકોની આદતો એકસરખી હોય અને તે આદતોની તેમના શરીર પર એકસરખી અસર થતી હોય એવું શક્ય નથી. કહેવાનો અર્થ એ છે કે, આ તમામ લોકો પર વધુ પડતી કોફીની જુદી જુદી અસર થાય છે. સંશોધકો સરખી ઉંમરના, સરખા લક્ષણો ધરાવતા અને સરખી તંદુરસ્તી ધરાવતા લોકોને એક ખાનામાં મૂકીને તેમના પર કોફીની કેવી અસર થઈ તેના આધારે વિશ્લેષણ કરે તો કોફીની ચોક્કસ અસરો જાણી શકાય, જે શક્ય નથી.

ટૂંકમાં દરેક વ્યક્તિ પર કોફીની જુદી જુદી અસર થતી હોય છે. દારૂ, ધુમ્રપાનની આદત ધરાવતી વ્યક્તિને દિવસની બે કપ કોફી પણ વધુ નુકસાન કરી શકે છે, જ્યારે કોફી સિવાય કોઈ વ્યસન નહીં ધરાવતી અને નિયમિત કસરત કરતી વ્યક્તિને કદાચ તેનું ઓછું નુકસાન થતું હોઈ શકે. એવી જ રીતે, કેફિન ધરાવતી દવાઓ લેતા દર્દી માટે પણ કોફીનું વ્યસન ઘાતક બની શકે છે. આ સંશોધનના અંતે બંને સંશોધકોએ કોફીની આદતથી કેટલા લોકોનું મૃત્યુ થયું એ વાત નોંધી છે, પરંતુ તેમનું મૃત્યુ વહેલું થયું એ માટે બીજા કેટલાક પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે. આમ છતાં, એક વાત યાદ રાખવી કે વધુ પડતી કોફીથી શરીરમાં કેફિન જાય છે અને રોજનું 250 મિલિગ્રામથી વધુ કેફિન શરીરમાં જાય તો કેન્સર જેવા જીવલેણ રોગ થઈ શકે છે. ચોકલેટ, કોકો પાવડર, વજન ઓછું કરવાની દવાઓ અને ઠંડા પીણામાં પણ કેફિન હોય છે

કોફી અંગેના વૈજ્ઞાનિક સંશોધનો કેટલા ચોક્કસ છે તે અલગ વાત છે, પણ બધા વિજ્ઞાનીઓ એકમતે સ્વીકારે છે કે, શરીરમાં કેફિનનું વધુ પડતું પ્રમાણ શારીરિક અને માનસિક બીમારીઓને આમંત્રણ આપે છે. ભારતના યુવાનોમાં પણ પશ્ચિમી દેશોની જેમ કોફી પીવાનો ટ્રેન્ડ જોર પકડતો જાય છે ત્યારે કોફી સિવાય કોઈ વ્યસન નહીં હોવાનું ગૌરવ લેતા યુવાનો માટે આ સંશોધન લાલ બત્તી સમાન છે.

કેફિનની શરીર પર થતી ઘાતક અસરો

જો રોજના 250 મિલિગ્રામથી વધુ કેફિન લેવામાં આવે તો બ્લડ પ્રેશર વધે છે અને હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. આજકાલ કેફિન વિનાની કોફી પણ મળે છે, પરંતુ કોફીમાંથી કેફિન કાઢવા માટે વપરાતા રસાયણોથી સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ)નું કેન્સર થાય છે. કેફિન લોહીનું કેન્સર પણ કરી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ કેફિન જોખમી છે. કેફિન કામચલાઉ ધોરણે સ્ફુર્તિ આપતું હોવાથી લાંબા ગાળે માનસિક મુશ્કેલીઓ ઊભી થાય છે. કેફિન હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટાડવામાં પણ કારણભૂત છે. કારણ કે, તેનાથી લોહી બનાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. વધુ પડતું કેફિન નપુંસકતા માટે જવાબદાર હોવાનું પણ સાબિત થયું છે. કોફીમાં શરીરનું પાણી શોષવાનો ગુણ હોવાથી ચામડીના રોગો થાય છે તેમજ જઠર, છાતી અને આંતરડામાં બળતરા થાય છે. આપણે જાણીએ છીએ કે, કોફી આંતરડાનો મળ સૂકાવવામાં મદદરૂપ થાય છે, એટલે વધુ પડતી કોફી કબજિયાત, હરસ, મસા અને ભગંદરને પણ આમંત્રણ આપે છે. ટૂંકમાં કોફી ઓછી પીતા હો તો સારું અને ના પીતા હો તો વધુ સારું.

કઈ વસ્તુમાં કેફિનનું કેટલું પ્રમાણ

43 ગ્રામની દૂધની એક ચોકલેટમાં 10 મિલિગ્રામ
કોફી મશીનમાં બનાવેલી 207 મિલિગ્રામ કોફીમાં 80થી 135 મિલિગ્રામ
કેફિન વિનાની 207 મિલિગ્રામ કોફીમાં પાંચથી 15 મિલિગ્રામ
44થી 60 મિલિગ્રામના એક એસપ્રેસો કોફી કપમાં 100 મિલિગ્રામ
બ્લેક, ગ્રીન અને અન્ય પ્રકારની 177 મિલિલિટર ચ્હામાં 22થી 74 મિલિગ્રામ
350 મિલિલિટર કોકાકોલાની બોટલમાં 34 મિલિગ્રામ
રેડ બુલ જેવા 250 મિલિલિટર એનર્જી ડ્રિંકમાં આશરે 80 મિલિગ્રામ

06 September, 2013

અદાલતોમાં ટેક-ક્રાંતિના પ્રણેતા જસ્ટિસ ભરુકા


હિન્દી ફિલ્મોની પૂરતી જાણકારી નહીં ધરાવતા લોકો પણ જાણે છે કે, ભારતની અદાલતોની કાર્યવાહી એટલી મંથર ગતિએ ચાલે છે કે, ન્યાયાધીશો બદલાઈ જાય છે પણ ‘તારીખ પે તારીખ’ અટકવાનું નામ નથી લેતી. સર્વોચ્ચ અદાલતના તાજા આંકડા પ્રમાણે દેશમાં ત્રણ કરોડથી પણ વધારે કેસો ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીની એક પણ સરકારે અદાલતી કાર્યવાહીનું ભારણ ઘટાડવાના પૂરતા પ્રયાસ કર્યા નથી. દેશને કેટલાક પ્રામાણિક અને નિષ્ઠાવંત ન્યાયાધીશો મળ્યા છે જેમણે અદાલતી કાર્યવાહીમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે, પણ સામે પક્ષે અદાલતોમાં કેસોનું ભારણ, ન્યાયાધીશોની અપૂરતી સંખ્યા અને ન્યાયતંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે ગમે તેટલા નિષ્ઠાપૂર્વક કરાયેલા પ્રયાસોનું લગભગ કોઈ ફળ મળતું નથી. પરંતુ આ બધા વચ્ચે નિવૃત્ત ન્યાયાધીશ જી. સી. ભરુકાના પ્રયાસો બીજા કરતા અલગ અને વિશિષ્ટ પ્રકારના છે. ભરુકા ટેક્નોલોજીની મદદથી અદાલતી કાર્યવાહીમાં ક્રાંતિ લાવવા પ્રયત્નશીલ છે.

અદાલતી પ્રક્રિયામાં રાતોરાત સુધારા ના આવી શકે એવું કહેનારા લોકોને પણ ભરુકાના કામમાં રસ પડ્યો છે. બેંગલુરુમાં કર્ણાટક હાઈકોર્ટના એક્ટિંગ ચિફ જસ્ટિસ ફરજ બજાવતા જી. સી. ભરુકાએ વર્ષ 2008માં નિવૃત્ત થઈને જીસીબી જ્યુડિશિયલ ટેક્નોલોજીસ લિમિટેડ નામની કંપની હેઠળ વર્લ્ડજ્યુડિસિયરી.ઓઆરજી (Worldjudiciary.org) નામના પોર્ટલની રચના કરી છે. ભરુકાનું માનવું છે કે, અદાલતી કાર્યવાહીમાં ફક્ત ટેક્નોલોજીની મદદથી જ પ્રાણ ફૂંકી શકાય છે. જો અદાલતોને વેબ આધારિત સિસ્ટમથી સાંકળી લેવામાં આવે તો ‘પેપર વર્ક’ ઘટી જાય અને આખા દેશની અદાલતોનું એકબીજા સાથેનું સંકલન અત્યંત સરળ થઈ જાય. જો આવું શક્ય બને તો અદાલતોને ઝડપથી ચુકાદા આપવામાં સરળતા રહે, તારીખ પે તારીખની બબાલ ઓછી થઈ જાય અને પેન્ડિંગ કેસોનું ભારણ પણ આપોઆપ ઘટી જાય. કંઈક આ પ્રકારનો વિચાર કરીને ભરુકાએ આ કંપની શરૂ કરી છે.

નિવૃત્ત ન્યાયાધીશ જી. સી. ભરુકા

વર્લ્ડજ્યુડિસિયરી.ઓઆરજી એ બીજું કંઈ નહીં પણ ઈન્ટરનેટ આધારિત મેનેજમેન્ટ સિસ્ટમ છે. અમેરિકાએ પણ તેના તંત્રને વધુ સક્ષમ બનાવવા આ જ સિસ્ટમ અપનાવી છે. આ સિસ્ટમની મદદથી કોઈ પણ અદાલતમાં ચાલી રહેલા કેસની માહિતી બીજી અદાલતમાં ફરજ બજાવતા ન્યાયાધીશ પણ સતત જોઈ શકે છે. જોકે, ન્યાયાધીશો પોતાના કેસોની માહિતી સહેલાઈથી વેબ પર મૂકી શકે એ માટે ‘યુઝર ફ્રેન્ડ્લી’ સિસ્ટમ ડિઝાઈન કરાઈ રહી છે. આ માહિતી ક્લાઉડ કમ્પ્યુટિંગની મદદથી તમામ ન્યાયાધીશો અને અન્ય સ્ટાફના કમ્પ્યુટર પર જોઈ શકાશે. આ માહિતી એક અદાલતમાંથી બીજી અદાલતમાં આટલી ઝડપથી પહોંચશે તો ચુકાદા પણ ઝડપથી આવશે, અને અત્યાર કરતા ચાર ગણી ગતિથી કેસોનો નિકાલ આવવા માંડશે. ન્યાયતંત્ર કોઈ પણ કેસ પર ઓનલાઈન જ દેખરેખ રાખી શકશે. ભારત જેવા વિશાળ અને જટિલ અદાલતી કાર્યવાહી ધરાવતા દેશમાં આ કામ કરવું ઘણું અઘરું છે. બિહારની ત્રણ નીચલી અદાલતોમાં પ્રયોગાત્મક ધોરણે આ સિસ્ટમ અમલી થઈ ગઈ છે.

ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા પછી એક ટેક્નોલોજી કંપની શરૂ કરવાની પ્રેરણા તમને કેવી રીતે મળી એ પ્રશ્નનો જવાબ આપતા ભરુકા કહે છે કે, “હું હાઈસ્કૂલ વિદ્યાર્થી હતો ત્યારથી મેં મારા ગામમાં લોકોને પીડાતા જોયા છે, ગ્રામ્ય અદાલતોમાં લોકોને ધક્કા ખાતા જોયા છે. એ વખતે મને આશ્ચર્ય થતું હતું અને હું વિચારતો હતો કે કદાચ દેશ માટે કંઈ કરી શકું...” એક વકીલ તરીકે, એક ન્યાયાધીશ તરીકે ભરુકાને સતત એવું લાગ્યા કરતું હતું કે, ટેક્નોલોજીની મદદથી ઘણી મુશ્કેલીઓ હળવી કરી શકાય એમ છે. આપણે કોઈ પણ દેશની અદાલતી પ્રક્રિયામાં ટેક્નોલોજીની મદદથી ઓછામાં ઓછા ખર્ચે સુધારા લાવી શકીએ છીએ. કારણ કે, આપણી પાસે ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેક્નોલોજી ઉપલબ્ધ છે.

આજે દેશના ત્રણ કરોડ પેન્ડિંગ કેસોમાંથી 95 ટકા કેસો તો નીચલી અદાલતોમાં જ છે. વળી, આ 95 ટકામાંથી મોટા ભાગના કેસો ગોકળગાય ગતિએ આગળ વધે છે. હાલ અદાલતી પ્રક્રિયામાં દરેક સ્તરે ચોક્કસ સમય નક્કી કરાયો હોય છે, પણ આ નીતિનિયમોનો ખુલ્લેઆમ ભંગ થાય છે અથવા તો તેનો અમલ કરવો અશક્ય હોય છે. અદાલતી પ્રક્રિયામાં સુધારો લાવવા માટે મૂળમાં જવું પડે અને આ કામમાં ટેક્નોલોજીનો વ્યવહારુ ઉપયોગ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. ભરુકાની કંપનીના મતે, દેશની તમામ નીચલી અદાલતોના ન્યાયાધીશો અને તેમના સ્ટાફને કમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા આપવામાં આવે તો આ કામ ઘણું સરળ થઈ જાય. એક આંકડા મુજબ, ન્યાયતંત્રમાં 65 ટકા જેટલો સ્ટાફ વહીવટી કામ કરે છે. વળી, આમાંના મોટા ભાગના લોકોની ઉંમર 35 વર્ષ કરતા ઓછી છે, એટલે કે આમાંના મોટા ભાગના લોકો ટેક્નોલોજી ફ્રેન્ડ્લી છે. વિશ્વના સૌથી યુવાન દેશ તરીકેનું ગૌરવ લીધા કરવાથી કંઈ ના થાય. ખરેખર એ યુવા ધનનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જરૂરી છે. 

કેટલાક લોકો એવી પણ શંકા વ્યક્ત કરે છે કે, જો અદાલતોમાં ચાલી રહેલા કેસોને લગતી બધી જ માહિતી જાહેર કરી દેવામાં આવે તો તેનો દુરુપયોગ થઈ શકે છે. આજે પણ દેશમાં જાહેરહિતની અરજી કરનારાઓને ધમકાવાય છે, અપહરણ કરાય છે કે પછી ખુલ્લેઆમ હત્યા કરી દેવાય છે. જો આવા અરજદારોની માહિતી ઓનલાઈન જાહેર થઈ જાય તો? જોકે, આ તમામ શંકા પાયાવિહોણી છે. કારણ કે, પહેલેથી જરૂર પૂરતી માહિતી અપલોડ કરવાનો વિકલ્પ છે જ. ઊલટાનું કાયદા પ્રમાણે જાહેર જનતા માટે ઉપયોગી માહિતીને ઓનલાઈન આપી દેવામાં આવે તો ઘણી સરળતા થઈ જાય. ભરુકા માટે આ કંપની વ્યવસાયિક સાહસ નથી. આ અંગે તેઓ કહે છે કે, “મેં મારી જાતને કેટલાક વચન આપ્યા છે અને હું એના માટે કામ કરું છું. હું એકલો આખા દેશમાં આ સિસ્ટમ અમલી કરી ના શકું. મેં મારી સાથે કેટલીક આઈટી કંપનીઓ પણ જોડી છે, પણ તેમણે ફક્ત સોફ્ટવેર સિસ્ટમના અમલ અને મેઇન્ટેનન્સનું કામ સંભાળવાનું છે.”

નવાઈની વાત તો એ છે કે, આટલા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ભરુકા વ્યવસાયિક કરારોથી પણ દૂર રહે છે. જોકે, આ પ્રોજેક્ટ પર કોઈ અસર ના પડે એ માટે તેમની સાથે કામ કરી રહેલી પ્રોફેશનલ આઈટી કંપનીઓ પર તેઓ કોઈ પ્રતિબંધો નથી લાદતા. કારણ કે, તેમની પ્રાથમિકતા આ સિસ્ટમનો અમલ કરાવવાની છે. આ પ્રોજેક્ટમાં ભરુકાને કોઈ આર્થિક ફાયદો થશે તો એ પૈસાની મદદથી તેઓ બીજુ કંઈક સારું કામ કરવા ઈચ્છે છે. તેઓ કહે છે કે, “હું કોમર્શિયલ માણસ નથી...”

નેવુંના દાયકાથી સતત પ્રયત્નશીલ

દેશની વિવિધ અદાલતોના રોજેરોજના કેસો, હુકમો અને ચુકાદા જોવા માટે વેબસાઈટ બનાવી છે જ, પરંતુ આ વેબસાઈટ નિયમિત અપડેટ થતી નથી. આ કંગાળ સિસ્ટમથી સારી રીતે પરિચિત ભરુકા કંઈક ક્રાંતિકારી કરવા માગતા હતા. છેક નેવુંના દાયકાથી ભરુકા અદાલતોનું કમ્પ્યુટરાઈઝેશન કરવા પ્રયત્નશીલ છે. વર્ષ 1990માં જી. સી. ભરુકાની બિહારની પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ ત્યારે તેમણે હાઈકોર્ટનું કમ્પ્યુટરાઈઝેશન કર્યું. બાદમાં ભરુકાને કર્ણાટક હાઈકોર્ટમાં ખસેડાયા અને અહીં પણ તેમણે કમ્પ્યુટરાઈઝેશન કર્યું. છેવટે વર્ષ 2005માં કેન્દ્ર સરકારે અદાલતોનું કમ્પ્યુરાઈઝેશન કરવા માટે એક યોજના બનાવી અને તેના વડા તરીકે જી. સી. ભરુકાની નિમણૂક કરી. આ દરમિયાન ભરુકાએ દેશના દરેક ન્યાયાધીશને લેપટોપ, પ્રિન્ટર અને બેઝિક ઈન્ટરનેટની સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારને મનાવી લીધી હતી. આ ઉપરાંત ભરુકા કેન્દ્ર સરકારે બનાવેલી ઈ-કોમર્સ કમિટીના અધ્યક્ષપદે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ કમિટીનું કામ અદાલતી કાર્યવાહીને ટેક્નોલોજીની મદદથી કેવી રીતે સરળ બનાવી શકાય એ માટે સૂચનો કરવાનું હતું. આમ ભરુકા છેલ્લાં ઘણાં વર્ષોથી ટેક્નોલોજીની મદદથી અદાલતી પ્રક્રિયામાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

03 September, 2013

ટામેટાંને ગળ્યા ‘કરી દેવાની’ મથામણ


આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે, આજના ઘી-દૂધ અને શાકભાજી પહેલાં જેવા નથી રહ્યા. પહેલાંના ઘી-દૂધ ઘણાં પૌષ્ટિક હતા, શાકભાજી પણ મીઠાં અને પૌષ્ટિક હતા. ઔદ્યોગિક ક્રાંતિ પછી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા હવા, પાણી અને જમીનના પ્રદૂષણના કારણે પૃથ્વી પરના તમામ જીવોના આરોગ્ય પર ખૂબ માઠી અસર પડી છે. જોકે, વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસના કારણે સર્જાયેલી મુશ્કેલીઓનો ઉકેલ શોધવા આપણે વિજ્ઞાનનો જ સહારો લેવો પડે છે. એવી જ રીતે, વધુ પૌષ્ટિક અને સ્વાદમાં પણ સારા હોય એવા અનાજ, શાકભાજી અને ફળો પકવવા માટે હાલ પ્રયોગો થઈ જ રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાની ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ ફ્લાન્ટ ઈનોવેશનના વિજ્ઞાનીઓ એ પ્રકારના ટામેટાં વિકસાવી રહ્યા છે જે હાલના ટામેટાં કરતા વધુ પૌષ્ટિક અને સ્વાદમાં ગળ્યાં હશે.

જોકે, વિજ્ઞાનીઓએ ટામેટાંની જ પસંદગી કેમ કરી?, એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ટામેટાંની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, ટામેટાં એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફળ છે. હા, વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ ટામેટાં એક ફળ છે, પરંતુ વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં તેની ગણના એક શાકભાજી તરીકે પણ થાય છે. અમેરિકામાં થયેલા એક વિવાદ અંતર્ગત અમેરિકાની સર્વોચ્ચ અદાલત પણ ટામેટાંનો એક શાકભાજી તરીકે સ્વીકાર કરી ચૂકી છે. વિશ્વનો એક પણ દેશ એવો નથી જ્યાં ટામેટાંનો ઉપયોગ ના થતો હોય. સલાડથી લઈને ગ્રેવી, સોસ અને કેટલાક પીણાં બનાવવા માટે ટામેટાંનો વિશ્વભરમાં વ્યાપક ઉપયોગ થાય છે. આ ઉપરાંત એનિમલ જિનેટિક્સ સમજવા માટે જેમ ઉંદરો પર પ્રયોગો કરાય છે, એમ પ્લાન્ટ જિનેટિક્સમાં સંશોધનો કરવા ટામેટાંનો જ મહત્તમ ઉપયોગ થાય છે.


પૃથ્વી પર ટામેટાંની 7,500 જેટલી પ્રજાતિ છે, જેમાંની મોટા ભાગની સ્વાદમાં ફિક્કી થઈ ગઈ છે. આ ફિક્કા ટામેટાં સલાડના શોખીનો કરતા વનસ્પતિશાસ્ત્રીઓ માટે વધુ માથાના દુઃખાવા સમાન છે. કારણ કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં વનસ્પતિશાસ્ત્રીઓએ વધુ લાલઘુમ ટામેટાં પકવવા માટે બ્રિડિંગ પદ્ધતિની મદદ લીધી પણ તેના સ્વાદમાં ખાસ સુધારો થઈ ના શક્યો. વિજ્ઞાનીઓ ટામેટાંની પૌષ્ટિકતા ખાસ્સી સુધારી શક્યા, પણ સ્વાદ નહીં. આ ઉપરાંત રેફ્રિજરેશન, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય કેટલાંક કારણોસર પણ તેના સ્વાદમાં કમી આવતી રહે છે. પરંતુ ફ્લોરિડા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. હેરી જે. લીએ એકાદ દાયકા પહેલાં ફ્લોરિડા યુનિવર્સિટી અંતર્ગત ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાન્ટ ઈનોવેશન નામની સંસ્થા સ્થાપીને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શાકભાજી કે ફળફળાદિ કેવી રીતે ઉગાડી શકાય એ માટે સંશોધન કરવાનું બીડું ઝડપ્યું.

અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. ડૉ. લી ટામેટાંના જિનેટિક એન્જિનિયરિંગને લગતા પ્રયોગો કરીને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળ વિકસાવવાની મથામણ કરી રહ્યા છે. પરંતુ જિનેટિક એન્જિનિયરિંગને લગતા પ્રયોગોનો હેતુ વધુ સારું બ્રિડિંગ કેવી રીતે કરી શકાય એ છે. એટલે જ ડૉ. લી ભારપૂર્વક કહે છે કે, આ લેબમાં પાકેલા ટામેટાંને જિનેટિકલી મોડિફાઈડ ના કહી શકાય. સામાન્ય રીતે, ટામેટાંના સ્વાદ માટે ત્રણ તત્ત્વો મહત્ત્વના છેઃ ખાંડ, એસિડ અને અન્ય રસાયણો. આ અન્ય રસાયણો દરેક પ્રજાતિના ટામેટાંમાં જુદા જુદા હોઈ શકે છે અને તે મોટે ભાગે હવામાં ઉડી જતા હોય છે. આ રસાયણોના કારણે જ કોઈ પણ ફળ કે શાકભાજીની આપણને જુદી જુદી અને વિશિષ્ટ પ્રકારની સુગંધ આવતી હોય છે. વળી, આપણી જીભને તે સ્વાદ સારો કે ખરાબ લાગવામાં પણ એ સુગંધ જવાબદાર હોઈ શકે છે. ટામેટાંમાં આવા 400થી પણ વધારે રસાયણો હોય છે અને ડૉ. લી અને તેમની ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, ટામેટાંના સ્વાદ માટે આમાંથી કયું રસાયણ સૌથી મહત્ત્વનું છે. આ રસાયણો કેવી રીતે ઉત્પન્ન થાય છે એને ઊંડાણપૂર્વક સમજવા પણ જિનેટિક એન્જિનિયરિંગને લગતા પ્રયોગો કરવા પડે એમ છે.

પ્રો. હેરી જે. લી

પ્રો. લિન્ડા બોર્ટુશેક

આ વાત સમજાવતા ડૉ. લી કહે છે કે, “મને લાગે છે કે, આશરે પાંચેક જનીનો ટામેટાંના સ્વાદનો સ્વાદ સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ટામેટાંના સ્વાદનો ધીમે ધીમે વિકાસ કરતા ત્રણ જનીનો પણ અમે શોધ્યા છે. અમારું હવે પછીનું લક્ષ્ય ટામેટાંના છોડ પર વધુ ટામેટાં ઉગાડવામાં મદદરૂપ થાય એ જનીનો શોધવાનું છે.” લોકોને કેવું ટામેટું સ્વાદિષ્ટ લાગે છે એ જાણવા વિજ્ઞાનીઓ અત્યાર સુધી અનેક ટામેટાંનુંડિસેક્શનકરી ચૂક્યા છે તેમજ અનેક લોકોને ટામેટાં ચખાડીને તેમને કેવા ટામેટાંની સુગંધ અને સ્વાદ સૌથી વધુ પસંદ છે તે નોંધી ચૂક્યા છે. આ આંકડાનું સચોટ વિશ્લેષણ કરવા ડૉ. લીએ ફ્લોરિડા યુનિવર્સિટીના હ્યુમન રિસર્ચ વિભાગના સેન્ટર ફોર સ્મેલ એન્ડ ટેસ્ટના ડિરેક્ટર અને જાણીતા મનોવિજ્ઞાની લિન્ડા બાર્ટોશુકની મદદ લીધી છે. આ વિભાગમાં તમામ આંકડાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરીને આદર્શટામેટાંમાં કેવા કેવા રસાયણો હોય છે એ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વિજ્ઞાનીઓ તો ઠીક, સામાન્ય માણસ પણ જાણે છે કે સુપરમાર્કેટમાંથી ખરીદેલું મોંઘું ટામેટું દેખાવમાં સારું હોઈ શકે છે, પરંતુ પૌષ્ટિકતાની દૃષ્ટિએ તે ઉત્તમ ના પણ હોય.

સામાન્ય રીતે મોટા ભાગના લોકોને વધુ ગળ્યું ટામેટું વધુ પસંદ હોય છે. આ દિશામાં પ્રયોગો કરતા ડૉ. લી અને તેમની ટીમ ચોંકી ગઈ જ્યારે તેમને ખબર પડી કે, ટામેટાંના ગળપણ માટે ફક્ત ખાંડ નહીં પણ બીજા કેટલાક રસાયણોનું ચોક્કસ પ્રમાણ પણ જવાબદાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ડૉ. લી તેમના પ્રયોગ આગળ ધપાવી રહ્યા છે. ટોમેટાંનું બ્રિડિંગ કરતા વિજ્ઞાનીઓ ટામેટાંમાં ખાંડ વધારવાના પ્રયોગો કરી જ ચૂક્યા છે, પણ બીજી તરફ તેઓ છોડ પર વધુને વધુ મોટા ટામેટાં પાકે એવી રીતે તેનું બ્રિડિંગ કરે છે. આ સ્થિતિમાં વધુ ખાંડ ઉત્પન્ન કરવા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પૂરતી ઊર્જાનો (સૂર્યપ્રકાશ) ઉપયોગ થઈ શકતો નથી. ડૉ. લીનું કહેવું છે કે, “આપણે વધુ ગળ્યા ટામેટાં બહુ સહેલાઈથી ઉત્પન્ન કરી શકીએ, પરંતુ ખરો પડકાર એક છોડ પર વધુ પ્રમાણમાં ટામેટાં ઉગાડવાનો છે.”

આ પ્રયોગો દરમિયાન એવું કોઈ રસાયણ મળી શકે છે જેનાથી ખાદ્યપદાર્થમાં ગળપણ ઉમેરાય પણ કેલરી નહીં. આ મુદ્દે અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ જિયોવાનીનું કહેવું છે કે, “આ પ્રયોગો ક્રાંતિકારી છે.” વર્ષ 2012માં જ પ્રો. જિયોવાનીનુંસિક્વન્સિંગ ઓફ ધ ટોમેટો જિનોમનામનું રિસર્ચ પેપર પ્રસિદ્ધ થયું છે. (પ્રો. લી જિનેટિક એન્જિનિયરિંગની મદદથી ઉત્તમ બ્રિડિંગ થઈ શકે છે એમ સાબિત કરવા જઈ રહ્યા છે.) ઈન્સ્ટિટ્યૂટ ફોર પ્લાન્ટ ઈનોવેશનમાં ફક્ત ટામેટાં નહીં પણ વધુ સુગંધ આપે એવું ગુલાબ, વધુ સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી અને બ્લુબેરી વિકસાવવાના પ્રયોગો પણ ચાલી રહ્યા છે. પ્રો. લી કહે છે કે, “ટામેટાંમાં સ્વાદ પાછો લાવવાના પ્રયોગો એક બહુ મોટા પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ છે.”

વધુ સારા ટામેટાં વિકસાવવા અશક્ય?

કુદરતી ખાદ્યોમાં જનીનીક ફેરફારો કરીને તેને વધુ સારા બનાવવાની પદ્ધતિ લોકમાનસમાં સ્વીકૃત નથી. એવી જ રીતે, આર્થિક રીતે પણ તે અસ્વીકૃત હોઈ શકે છે. જેમ કે, ટામેટાં પકવતા ખેડૂતને સારા સ્વાદથી નહીં પણ વધુ પાક આપે એવા ટામેટાં પસંદ હોય છે. વિજ્ઞાનીઓ દ્વારા પ્રયોગો કરાતા હોય ત્યારે આ પ્રકારના પરિબળો પણ ધ્યાનમાં રાખવા પડે છે. ડૉ. લી એટલે જ કહે છે કે, ગળ્યું ટામેટું વિકસાવવા કરતા એક છોડ પર વધુ (ગળ્યાં) ટામેટાં પાકે એવી પદ્ધતિ શોધવી જરૂરી છે. જોકે, કેટલાક વિજ્ઞાનીઓ તો ડૉ. લી દ્વારા થતા સંશોધનોનો જ છેદ ઉડાડી દે છે. અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ ફ્રાન્સિસ કહે છે કે, “મને નથી લાગતું કે, ટામેટાંનો સ્વાદ મોલેક્યુલર બાયોલોજિસ્ટો બદલી શકે. કારણ કે, સ્વાદ ખૂબ જ જટિલ બાબત છે, જે એક બે જનીનોમાં ફેરફાર કરવાથી ના બદલી શકાય.” પ્રો. ફ્રાન્સિસ બ્રિડિંગ ટેકનિકની મદદથી ટામેટાંની અનેક પ્રજાતિઓ વિકસાવી ચૂક્યા છે.

જોકે પ્રો. લી માને છે કે, આ દિશામાં સંશોધનો કરીને માણસજાતને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળોની ભેટ આપવી. કારણ કે, સુપરમાર્કેટમાં મળતા ટામેટાં ફિક્કા હોવાથી તેપૌષ્ટિકહોવા છતાં અનેક લોકો ટામેટાં ખાતા નથી, પરંતુ આપણે સ્વાદિષ્ટ ટામેટાં વિકસાવવાની પદ્ધતિ શોધી લઈશું તો આપણે લોકોના આરોગ્યમાં પણ આડકતરી રીતે સુધારો લાવી શકીશું.

ટામેટાંના ‘ગળપણ’નો ઈતિહાસ

વર્ષ 1980માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્લાન્ટ જિનેટિસિસ્ટ (વનસ્પતિ જનીનશાસ્ત્રી) ડેવિસ સુપરમાર્કેટમાં મળતા ફિક્કા ટામેટાંને લઈને ખૂબ દુઃખી હતા. ગળ્યાં ટામેટાં નહીં મળવાના કારણે તેઓ આ દિશામાં પ્રયોગો કરવા પ્રેરાયા અને વર્ષ 1994માં તેમણેકેલજિનનામની બાયોટેક્નોલોજી કંપનીની સ્થાપના કરી. આ કંપનીએ પહેલીવાર સુપરમાર્કેટમાં જિનેટિકલી એન્જિનિયર્ડ ટામેટું મૂક્યું. ડીએનએ સાથે છેડછાડ કરીને ઉત્પન્ન કરાયેલું આ ટામેટું અત્યંત રસાળ હતું. જોકે, આ ટામેટાં બજારમાં સારી રીતે વેચાવા લાગ્યા એ પછી કેલજિન કંપનીએઈન્ડસ્ટ્રિયલ એગ્રિકલ્ચરમાં ઝંપલાવ્યું. બાદમાં કેલજિન કંપનીને વિશ્વવિખ્યાત અને વિવાદાસ્પદ કંપની મોન્સાન્ટોએ ખરીદી લીધી, પરંતુ કેટલાક વિવાદો વચ્ચે મોન્સાન્ટોએ પણ આ પ્રકારના બીજ વેચવાનું બંધ કરવું પડ્યું. આ કારણોસર જ ડૉ. લીએ જિનેટિકલી એન્જિનિયર્ડ ટામેટાંના પ્રયોગો ફક્ત સ્વાદ માટે કર્યા છે. કારણ કે, અમેરિકામાં આ પ્રકારના ખાદ્યપદાર્થ વેચવા માટે કાયદાકીય મંજૂરી લેવી પડે છે. આ માટે 15 મિલિયન ડૉલરનો ખર્ચ થઈ શકે છે, અને આટલો ખર્ચ યુનિવર્સિટીને પરવડી શકે એમ નથી. આ ઉપરાંત પરંપરાગત બ્રિડિંગ ટેકનિકથી ઉત્પન્ન કરેલા ટામેટાંને લોકો પણ ઝડપથી સ્વીકારે છે. કદાચ એટલે જ ડૉ. લીએ જિનોમિક્સની મદદ ફક્ત બ્રિડિંગ ટેકનિક વિકસાવવા માટે લીધી છે.