03 November, 2012

વિજ્ઞાનીઓને પણ હંફાવતું વાવાઝોડું ‘સેન્ડી’


વિજ્ઞાનીઓ વચ્ચે વર્ષોથી મતભેદ છે કે, વાવાઝોડું, દરિયાની સપાટી ઊંચી આવવી અને ગ્લેશિયર પીગળવા જેવી વિવિધ પર્યાવરણીય મુશ્કેલીઓ પાછળ ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જ કારણભૂત છે કે નહીં? હાલ અમેરિકાના અનેક રાજ્યોમાં તારાજી સર્જનારા વાવાઝોડા ‘સેન્ડી’ અંગે પણ વિજ્ઞાનીઓ જાતભાતના મત ધરાવે છે. નવાઈની વાત તો એ છે કે, વિજ્ઞાનીઓ પણ આવી અનેક કુદરતી દુર્ઘટનાઓને સારી રીતે સમજી શક્યા નથી. પરંતુ ગુજરાતી છાપાના ‘નિષ્ણાત’ કટાર લેખકો દરેક વાવાઝોડા કે વરસાદી ઋતુચક્રમાં થતા ફેરફારો પાછળ ગ્લોબલ વૉર્મિંગ હોવાનું માને છે. ખેર, વિશ્વના બે અગ્રણી ક્લાઈમેટોલોજિસ્ટ કેરી ઈમાન્યુઅલ અને કેવિન ટ્રેનબર્થ આ વિશે શું માને છે એ  બને તેટલી સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. 

એમઆઈટીના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ કેરી ઈમાન્યુઅલ 
માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ કેરી ઈમાન્યુઅલ વાવાઝોડા સેન્ડીને હાઈબ્રિડ સ્ટોર્મ ગણાવી રહ્યા છે. જોકે, ક્લાઈમેટોલોજિસ્ટો સિવાયના મોટા ભાગના વિજ્ઞાનીઓ આ પ્રકારના વાવાઝોડા વિશે ખાસ કશું જાણતા નથી. હાઈબ્રિડ સ્ટોર્મ શું છે એ સરળ ભાષામાં કહીએ ‘ડેમેજિંગ રેઈનફૉલ’ છે. જે વરસાદી વાદળો વરસતા વરસતા રહી જાય અને તેની આડઅસરરૂપે આ પ્રકારની કોઈ દુર્ઘટના સર્જાય તેને વિજ્ઞાનની ભાષામાં ડેમેજિંગ રેઈનફૉલ કહી શકાય. વિજ્ઞાનીઓ કહે છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે થતું આવું નુકસાન ભવિષ્યમાં આપણને વધુ મોટા પાયે જોવા મળશે. જોકે, કેટલાક વિજ્ઞાનીઓ આ વાવાઝોડાનું કદ જોતા જણાવે છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે આ પ્રકારનું વાવાઝોડુ સર્જાઈ ના શકે. જ્યારે કેટલાક વિજ્ઞાનીઓ તમામ પ્રકારના વાવાઝોડાને ગ્લોબલ વૉર્મિંગની આડઅસર જ ગણાવી રહ્યા છે. (ગુજરાતી લેખકોની જેમ નહીં, પણ ચોક્કસ તાર્કિક કારણો સાથે) આ અંગે કેરી ઈમાન્યુઅલ કહે છે કે, “એ વાત સાચી છે કે કોઈ પણ પર્યાવરણીય ઘટનાને અન્ય ઘટના સાથે સહેલાઈથી જોડી શકાય છે. ભલે પછી તે ક્લાઈમેટ ચેન્જ, અલ નીનો જેવું વાવાઝોડુ હોય કે પછી સવારે તમારી દાદીના દાંત પડી ગયા હોય. તમે દરેક ઘટના માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ન ઠેરવી શકો. ખરેખર તો આ કુદરતની કમાલ છે.”

કેરીના મતે, સેન્ડી એક હાઈબ્રિડ સ્ટોર્મ છે. સેન્ડી વાવાઝોડુ બીજા વાવાઝોડા જેવા સિદ્ધાંત પર ઉદભવ્યું છે, પરંતુ તેમાં વિન્ટર સ્ટોર્મનો સિદ્ધાંત પણ એટલો જ લાગુ પડે છે. વાવાઝોડુ અને વિન્ટર સ્ટોર્મની શક્તિના સ્રોત અલગ અલગ છે. વાવાઝોડુ દરિયાના પાણીના બાષ્પીભવનમાંથી તાકાત એકઠી કરે છે. જ્યારે વિન્ટર સ્ટોર્મનો આકાર આડો (હોરિઝોન્ટલ) હોય છે અને તે વાતાવરણમાંથી શક્તિ ભેગી કરે છે. પરંતુ હાઈબ્રિડ સ્ટોર્મ આ બંને સ્રોતમાંથી શક્તિનો સંચય કરે છે અને એટલે તે આ બંનેથી વધુ શક્તિશાળી હોય છે. 

ક્લાઈમેટ ચેન્જની જેમ હાઈબ્રિડ સ્ટોર્મ વિશે પણ વિજ્ઞાનીઓ વચ્ચે મતમતાંતર છે. આમ તો, હરીકેન ક્લાઈમેટોલોજી વિશે આજનું વિજ્ઞાન ઘણું બધુ જાણે છે, પરંતુ વિજ્ઞાન હાઈબ્રિડ સ્ટોર્મ વિશે ખાસ કશું નથી જાણતુ. કેરી ઈમાન્યુઅલ કહે છે કે, “ક્લાઈમેટની હાઈબ્રિડ સ્ટોર્મ પર કેવી રીતે અસર થાય છે એ સમજવા હાલ વિજ્ઞાન પાસે સારું થિયોરેટિકલ અથવા મોડેલિંગ ગાઈડન્સ નથી. હું સ્પષ્ટપણે માનું છુ કે, તેથી તેના વિશે વધુ કંઈ કહી શકાય એમ નથી. બીજી તરફ, આવા કોઈ સવાલનો સીધી લીટીમાં જવાબ ના આપી શકાય. કારણ કે, આપણે ઘણું બધુ નથી જાણતા. હું એવું નથી કહેતો આ વાવાઝોડા પર ક્લાઈમેટની કોઈ અસર જ નથી. પરંતુ પ્રામાણિકતાથી કહું તો, આના વિશે અમે વધુ કંઈ નથી જાણતા.”

‘નાસા’ના જીયોસ્ટેશનરી ઓપરેશનલ એન્વાયર્મેન્ટલ સેટેલાઈટ-13એ
લીધેલી વાવાઝોડા ‘સેન્ડી’ની તસવીર 

પરંતુ અહીં એક સવાલ થવો સ્વભાવિક છે કે, શું વાતાવરણમાં જેમ જેમ ફેરફારો થતા જશે તેમ તેમ પૃથ્વી પર વાવાઝોડાનું પ્રમાણ પણ વધતુ જશે. હા, કેટલાક વિજ્ઞાનીઓ આવો ભય વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ મુદ્દે પણ કેરીનું કહેવું છે કે, “ખરેખર આ વિશે પણ વિજ્ઞાન ચોક્કસ કશું નથી જાણતુ.” કેરી અને તેમના જેવા અન્ય વિજ્ઞાનીઓ સંભાવનાની થિયરીને રજૂ કરતા કહે છે કે, આવું શક્ય છે પણ ખરું અને નહીં પણ. જોકે, છેલ્લાં ઘણાં વર્ષોમાં આવેલા વિવિધ વાવાઝોડામાં કોઈ મોટા ફેરફારો જોવા નથી મળ્યા. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે, તેમાં કોઈ ફેરફારો નથી થઈ રહ્યા. કારણ કે, પર્યાવરણીય ફેરફારો હજારો-લાખો વર્ષની સતત પ્રક્રિયાના અંતે થતા હોય છે.

આ થિયરીના આધારે એટલું તો કહી શકાય કે, સેન્ડી જેવા હાઈબ્રિડ સ્ટોર્મ પાછળ પણ ક્લાઈમેટ ચેન્જ થોડું ઘણું તો કારણભૂત હશે જ! આ મુદ્દો સમજાવતા કેરી કહે છે કે, સેન્ડી માટે જવાબદાર સૌથી મોટું પરિબળ કોઈ હોય તો તે છે, દરિયાઈ પાણી. આ વર્ષે અમેરિકામાં દરિયાનું પાણી કોઈ કારણોસર દર વર્ષ કરતા વધુ ગરમ હતું. એનો અર્થ એ છે કે, આ વર્ષે બાષ્પીભવન પણ વધુ થયું છે અને એટલે જ આ વાવાઝોડામાં વધુ વરસાદ પડ્યો છે. હા, ક્લાઈમેટ રિસર્ચના અંતે એટલું ચોક્કપણે જાણવા મળ્યું છે કે, દરેક પ્રકારના વાવાઝોડા આગળ વધવા માટે વરસાદી શક્તિનો ઉપયોગ કરે છે. એટલે ગ્લોબલ વૉર્મિંગના કારણે વધુ બાષ્પીભવન થઈ શકે છે અને તેના કારણે વાવાઝોડું વધુ શક્તિશાળી બની શકે છે.

આ પ્રક્રિયા પરથી સમજી શકાય છે કે, વાવાઝોડું વરસાદ અને વરસાદ પૂર જેવી દુર્ઘટનાઓ સર્જી શકે છે. જેમ કે, વર્ષ 1998માં આવેલા ‘મિચ’ વાવાઝોડાના કારણે પૂર આવ્યું હતું. જોકે, વાવાઝોડામાં તો ખાસ કંઈ નુકસાન નહોતુ થયું પરંતુ પૂરના કારણે મધ્ય અમેરિકામાં 11 હજાર લોકો તણાઈ ગયા હતા. તેથી વાવાઝોડાની વરસાદી શક્તિની અવગણના ના કરવી જોઈએ. આપણે વાવાઝોડાની વાત કરીએ છીએ ત્યારે મોટે ભાગે પવનની ગતિને જ ધ્યાનમાં લઈએ છીએ, પરંતુ તેની વરસાદી શક્તિને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

કેવિન ટ્રેનબર્થ
જોકે, નેશનલ સેન્ટર ફોર એટમોસફેરિક રિસર્ચના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ કેવિન ટ્રેનબર્થ સ્પષ્ટપણે માને છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે જ આ વાવાઝોડાને આટલી પ્રચંડ શક્તિ મળી છે. તેમના મતે, દરિયાની સપાટીમાં થયેલો થોડા ઈંચનો વધારો પણ આવા વાવાઝોડા માટે કારણભૂત છે. આ અંગે કેવિન ટ્રેનબર્થ કહે છે કે, “તમે ઘણી વાર સાંભળ્યુ હશે કે, દરિયાની સપાટી દર વર્ષે ત્રણ મીલિમીટર વધી રહી છે. તમે દરિયા કિનારે જઈને ઊભા રહો અને પછી જુઓ કે, તમારા અંગૂઠા ડૂબ્યા છે કે પછી તમારી ઘૂંટી? ખેર, હું કહેવા માંગુ છુ કે ક્લાઈમેટ ચેન્જ આવી રીતે કામ નથી કરતું. દરિયાઈ સપાટીમાં બહુ મોટા ફેરફારોને પણ આપણે સહેલાઈથી નથી જાણી શકતા. જેવી સપાટી વધે કે તુરંત જ સેન્ડી જેવા વાવાઝોડા નથી ત્રાટકતા.” પરંતુ કેવિન ચોક્કસપણે માને છે કે, સેન્ડી જેવી દુર્ઘટનાઓ વાતાવરણમાં થતા ફેરફારોને જ આભારી છે. તેઓ કહે છે કે, “સેન્ડી પાછળ પણ ક્લાઈમેટ ચેન્જ કારણભૂત હોવાની પ્રબળ સંભાવના છે.” તેમની જેમ અનેક વિજ્ઞાનીઓ કહે છે કે, જે વર્ષે દરિયાનું પાણી ગરમ હોય, દરિયા પરની હવા ગરમ હોય અને ભેજ વધુ હોય ત્યારે જ વાવાઝોડા ત્રાટકે છે. કોઈ પણ વાવાઝોડાને આ ત્રણેય ઊર્જા આપવાનું કામ કરે છે. વળી, આવું વાવાઝોડું વરસાદ અને પૂર જેવી દુર્ઘટનાઓને પણ સાથે લઈને આવે છે. કેવિન કહે છે કે, “કોઈ પણ વાવાઝોડા આવવાનું કારણ પર્યાવરણીય ફેરફારો જ હોય છે. પર્યાવરણીય ફેરફારોની સાથે વાવાઝોડાના પ્રકાર પણ બદલાય છે. જેમ કે, અત્યારે સમુદ્રનું તાપમાન ઊંચુ હોય છે અને વાતાવરણમાં ભેજ વધુ છે. આ સ્થિતિ અત્યંત શક્તિશાળી વાવાઝોડુ સર્જવા પૂરતી છે.” પરંતુ કેવિન અને તેમના જેવા અન્ય વિજ્ઞાનીઓ એ નથી જાણતા કે, આ સ્થિતિમાં વાવાઝોડુ આખરે કયા સમયે સર્જાઈ શકે. 

આ વાત સમજાવતા કેવિન કહે છે કે, “જ્યારે સમુદ્રની સપાટી ગરમ હોય, વાતાવરણમાં ભેજ વધુ હોય ત્યારે વરસાદ વધુ આવે. આવી સ્થિતિમાં વરસાદ પાંચથી દસ ટકા જેટલો વધુ હોય. પરિણામે સમુદ્રની સપાટી પણ થોડી ઊંચી આવે. અત્યારના આંકડા મુજબ, દર સો વર્ષે સમુદ્રની સપાટી એક ફૂટ ઊંચી આવે છે, એટલે કે વીસ વર્ષમાં સમુદ્રની સપાટી 2 1/4 જેટલી ઊંચી આવે. આમ તો તે બહુ મોટો ફેરફાર ન કહેવાય, પરંતુ ટાપુઓ અને દરિયા કિનારાના શહેરો પર તેની બહુ મોટી અસર થાય છે. હવે, સેન્ડી જેવા વાવાઝોડા પાછળ આવા અનેક પરિબળો કારણભૂત હોય છે.”

શું સેન્ડી જેવા પ્રચંડ શક્તિશાળી વાવાઝોડા વરસાદ લાવીને સમુદ્રની સપાટી વધારવામાં પણ અસર કરતા હોય છે? આ વાતનો જવાબ આપતા કેવિન કહે છે કે, દરિયાકિનારાનું પાણી સામાન્ય રીતે પાંચ ડિગ્રી ફેરનહીટ ગરમ હોય છે. જો તેમાં એકાદ ડિગ્રીનો વધારો થાય તો આપણે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ઠેરવી શકીએ! આવી રીતે ગરમ થયેલું પાણી વરસાદી વાવાઝોડું સર્જી શકે છે. બીજી તરફ, એટલાન્ટિકનું પાણી પણ દરિયાના પાણીમાં વધારો કરે છે. આવા વિવિધ કારણોસર દરિયાની સપાટી ઊંચી આવે છે, અને તે વાવાઝોડા સર્જી શકે છે.

સેન્ડી જેવા શક્તિશાળી વાવાઝોડા માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે. પરંતુ એક વાત નક્કી છે કે, આધારભૂત આંકડાઓ મુજબ, ગઈ સદીમાં સમુદ્રની સપાટી છ ઈંચ વધી હતી. એવી જ રીતે, છેલ્લાં કેટલાક દાયકાના આંકડા તપાસીએ તો સમુદ્રની સપાટી અગાઉ કરતા ઘણી ઊંચી આવી છે. આવા ફેરફારોના કારણે દરિયા કિનારાના ગામો, શહેરો ડૂબી રહ્યા છે એ નિર્વિવાદિત સત્ય છે.

No comments:

Post a Comment