09 March, 2015

ફિફ્ટી શેડ્સ ઓફ 'ઈન્ડિયન રેપ કલ્ચર'


મહિલાઓએ સુરક્ષા માટે કડક સાવચેતી રાખવી. કોઈ જાણીતી અને વિશ્વાસુ વ્યક્તિના સંગાથ વિના રાત્રે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ના કરવો, સાંજે મનોરંજન માટે જાણીતી જગ્યાઓએ જવાનું પણ ટાળવું અને દિવસ સહિત કોઈ પણ સમયે ઓછી વસતી હોય ત્યાં જવાનું બિલકુલ ટાળવું. હોટેલનો રૂમ નંબર કોઈને આપવો નહીં અને રૂમ ડોર પર ચેઈન, ડેડ લોક્સ અને પીપ હોલ્સ હોય એની ખાતરી કરી લેવી. શક્ય હોય ત્યાં સુધી જૂથમાં કે મિત્રો સાથે જ ફરવું, એકલા નહીં...''

આ ટીપિકલ સલાહ કોઈ વડીલે નહીં પણ અમેરિકાએ ભારત આવતી અમેરિકન યુવતીઓને આપી છે. અમેરિકાનું કામકાજ એટલું પાક્કું છે કે, તેણે ભારત આવતી આફ્રિકન મૂળની મહિલાઓએ શું સહન કરવું પડી શકે એ બાબતે પણ ચેતવણી આપી છે. જેમ કે, અમેરિકન આફ્રિકન યુવતીઓએ ભારતમાં અશ્લીલ કમેન્ટ્સ, અટકચાળા અને ઈવ ટીઝિંગ (ઘૂરી ઘૂરીને જોવું) જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતમાં બજારો, રેલવે-બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે બોલાચાલી કે છેડતી પછી અચાનક હુમલો થઈ શકે છે. આ બાબતોથી બચવા અમેરિકાએ યુવતીઓને કપડાં પહેરવામાં થોડું રૂઢિચુસ્ત રહેવાની અને સ્થાનિક રીતભાત જાળવવાની સલાહ આપી છે. આ તો થઈ અમેરિકાની વાત પણ યુનાઈટેડ કિંગ્ડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુરોપિયન યુનિયનના અમુક દેશોએ પણ ભારત આવતી યુવતીઓ માટે ખાસ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. 

બીજી બાજુ, 'અતુલ્ય ભારત'નો અનુભવ લઈને સ્વદેશ પરત ફરેલા વિદેશીઓ પણ ફેસબુક, ટ્વિટર અને બ્લોગ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર ભારત આવતા લોકોને આવી ચેતવણી આપી રહ્યા છે.

વિદેશી યુવતી એટલે 'અવેલેબલ'?

છેલ્લાં ઘણાં સમયથી ભારત આવતી વિદેશી મહિલાઓ પરના જાતીય હુમલામાં અનેકગણો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં ‘પધારો મ્હારે દેશ' ફેઈમ રાજસ્થાનના પ્રવાસે આવેલી એક જાપાનીઝ યુવતીએ જયપુરમાં ટુરિસ્ટ ગાઈડની ઓળખ આપતા એક યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ યુવકે જાપાનીઝ યુવતીને ગેસ્ટ હાઉસ મૂકવા જવાનું કહીને છેતરપિંડી કરી હતી. એ પહેલાં નવેમ્બર ૨૦૧૪માં બિહારના બોધગયાના પ્રવાસે આવેલી એક જાપાનીઝ યુવતીએ કોલકાતાના છ અજાણ્યા યુવક સામે અપહરણ, લૂંટ અને બળાત્કારની ફરિયાદ કરી હતી. આ બનાવો પછી ભારતસ્થિત જાપાનીઝ દૂતાલયે ભારત આવતી જાપાનીઝ યુવતીઓએ ભારતમાં કેવી રીતે વર્તવું તેની સલાહ આપતો એક પરિપત્ર જારી કર્યો હતો. 

તાજેતરમાં દિલ્હીમાં એક નાઈજિરિયન  યુવતી પર સામૂહિક બળાત્કાર થયો. એ પહેલાં ડેનમાર્કની યુવતી, મધ્યપ્રદેશમાં સ્વિત્ઝર્લેન્ડની સાયકલિસ્ટ, પશ્ચિમ બંગાળમાં આયર્લેન્ડની ચેરિટી વર્કર અને તમિલનાડુમાં જર્મન કિશોરી બળાત્કારની ફરિયાદો નોંધાવી ચૂકી છે. આ તમામ દેશોએ ભારત આવતી યુવતીઓ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા અને ટ્રાવેલ બ્લોગરોના સલાહ-સૂચનો જોતા જણાય છે કે, ભારતમાં વિદેશી યુવતીઓએ બસ, ટ્રેન, જાહેર માર્ગો અને મૉલ-મલ્ટિપ્લેક્સ જેવા તમામ સ્થળે નાની-મોટી જાતીય સતામણીનો ભોગ બનવું પડે છે.



વિદેશી યુવતીઓ સામેની જાતીય હિંસા માટે વિદેશી યુવતી એટલે 'અવેલેબલ' જ હોય એવી માનસિકતા, લૂંટનો ઈરાદો અને વિકૃતિની હદ સુધીના હિંસક વંશીય ભેદભાવ જેવા અનેક કારણો જવાબદાર છે. આપણા પોલીસ સ્ટેશનોમાં બળાત્કારનો ભોગ બનનારી યુવતીઓ સાથે ગુનેગાર જેવું વર્તન થાય છે એટલે વિદેશી યુવતીને ઝડપથી ન્યાય મળે એ શક્ય જ નથી. વિદેશી યુવતીઓ પર બળાત્કારનો મુદ્દો દેશની સુરક્ષા વ્યવસ્થા સાથે વધારે જોડાયેલો છે. આ મુદ્દો 'રાષ્ટ્રીય શરમ'નો અને દેશના પ્રવાસન ઉદ્યોગ માટે પણ અત્યંત ગંભીર છે. આ પ્રકારની ગુનાખોરીને પબ્લિક પાર્ટરનશિપ વિના કાબૂમાં રાખવી અશક્ય છે.  

નિર્ભયા કાંડની નકારાત્મક અસર

દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કાંડ પછી દેશમાં ૨૩ અત્યંત ઘાતકી બળાત્કારો પોલીસ ચોપડે નોંધાયા છે. વર્ષ ૨૦૧૨માં નિર્ભયા કાંડે દેશને ઝકઝોર્યો એના ૧૧ જ દિવસ પછી રાજસ્થાનના જયપુરમાં સામૂહિક બળાત્કાર કરેલી હાલતમાં પાંચ વર્ષીય બાળકી મળી આવી, જેના જનનાંગોમાંથી બોટલ અને કાચના ટુકડા પણ મળ્યા હતા. મીડિયાનામાં 'ગુડિયા' નામે જાણીતી થયેલી આ બાળકી આજે પણ સામાન્ય જિંદગી જીવવા ઝઝૂમી રહી છે. ગુડિયાએ ઈન્ફેક્શનથી બચવા રોજેરોજ સારવાર લેવી પડે છે. ઉંમર વધવાની સાથે આ સારવાર તેને હંમેશા એ વાતની યાદ અપાવશે કે, નાનપણમાં તેના સાથે કંઈક ભયાનક બન્યું હતું. હાલ ગુડિયા નર્સરીમાં જવાને લાયક થઈ ગઈ છે પણ તે બળાત્કાર પીડિત હોવાથી કોઈ સ્કૂલ તેને પ્રવેશ આપવા તૈયાર નથી. સમાજનું આ વર્તન ગુડિયાને હંમેશા યાદ અપાવતું રહેશે કે, તે 'ગુનેગાર' છે. ખરેખર તો જેણે બળાત્કાર કર્યો છે તેની સાથે સમાજે ગુનેગાર જેવું વર્તન કરવું જોઈએ, પરંતુ જડસુ પુરુષ પ્રધાન અને સંવેદનહીન ભારતીય સમાજમાં એવા અચ્છે દિનની મંજિલ હજુ બહુ દૂર છે.

ગુડિયા કાંડ માંડ ભૂલાયો ત્યાં ફરી એક જઘન્ય બળાત્કારનો કિસ્સો ચમક્યો. સિંગાપોરમાં નિર્ભયાએ અંતિમ શ્વાસ લીધાના બે મહિના પછી દિલ્હીના બદરપુરમાં સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય કિશોરીનું અપહરણ અને સામૂહિક બળાત્કારના સમાચાર આવ્યા. એ છોકરીની સ્કૂલમાં ભણતા ચાર સિનિયરે જ આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ ચારેય યુવકે દિવસો સુધી બળાત્કાર કર્યા પછી કિશોરીને જીવતી સળગાવી દીધી. થોડા દિવસ પછી તેની ૧૦૦ ટકા બળી ગયેલી લાશ મળી. આ કિશાોરીની ઓળખ કરતા પરિવારજનોને બે દિવસ લાગ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૫માં હરિયાણાના રોહતકમાં નેપાળની ૨૮ વર્ષીય ફિઝિકલી ચેલેન્જ્ડ યુવતી પરના બળાત્કારમાં પણ ગુનેગારોએ અત્યંત ઘાતકી કૃત્ય આચર્યું હતું. આ યુવતી અપહરણ કરાયાના પાંચમા દિવસે મળી ત્યારે વારંવાર સામૂહિક બળાત્કાર ગુજારીને તેનું લોહીથી લથપથ શરીર ઝાડીઓમાં ફેંકી દેવાયું હતું. આ યુવતીના શરીરમાંથી હૃદય અને ફેફસા ગાયબ હતા, કૂતરા-ઉંદરડા તેનું અડધુ માથું ખાઈ ગયા હતા. તેના જનનાંગોમાંથી તૂટેલી લાકડી, પથ્થરો અને ૩૦ કોન્ડોમ મળ્યા હતા. એ પહેલાં ઓક્ટોબરમાં રોહતકમાં જ એક યુવતી પર સામૂહિક બળાત્કાર પછી જનનાંગમાં એસિડ નાંખવાના સમાચાર આવ્યા હતા.

નિર્ભયા કાંડ પછી જ બળાત્કાર પીડિતાઓને મદદરૂપ થવા કાયદાકીય સુધારા થયા છે અને છ નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાઈ છે. સરકારી હોસ્પિટલોમાં 'વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર' અને 'નિર્ભયા સેન્ટર' નામે ટ્રોમા સેન્ટરો ઊભા કરવાની દરખાસ્તો થઈ છે, જેને સર્વાનુમતે આવકારાઈ છે. નાણા મંત્રી અરુણ જેટલીએ વર્ષ ૨૦૧૫ના બજેટમાં મહિલાઓની સુરક્ષા માટે વધારાના રૂ. એક હજાર કરોડના નિર્ભયા ફંડની જાહેરાત કરી છે. આમ છતાં, નિર્ભયા કાંડ પછી જ બળાત્કારીઓ યુવતીને વધુને વધુ નુકસાન પહોંચાડવાની જાણે હરીફાઈ કરી રહ્યા છે એ સૌથી વધારે ચિંતાનો વિષય છે. 

નિર્ભયાકાંડ પછી કાયદાકીય કડકાઈ કરવામાં સૌથી મોટું ભયસ્થાન પણ બાળકીઓ કે યુવતીઓને જ છે કારણ કે, વિકૃત માનસિકતા ધરાવતો ગુનાખોર એવું વિચારે છે કે, આને જીવતી રાખીશું તો ફરિયાદ કરશે ને. તેઓ એવું નથી વિચારતા કે, આવું જઘન્ય કૃત્ય કરીને તેઓ છટકી નહીં શકે. 

બળાત્કારોમાં ઘાતકીપણું કેમ વધ્યું?

સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે, નિર્ભયા કાંડ પછી બળાત્કારોમાં ઘાતકીપણું વધવાનું સૌથી મોટું કારણ બળાત્કારોના સનસનીખેજ સમાચારો પણ છે. મીડિયામાં બળાત્કારોના સમાચાર આપવા જરૂરી છે પણ હાલના સંજોગોમાં તેની રજૂઆત કેવી રીતે કરવી એ ચર્ચા માગી લેતો મુદ્દો છે. ગુનાખોર માનસિકતા ધરાવતી વ્યક્તિ સમાચારોમાંથી પ્રેરણા પણ ગુનાની જ લે છે એવી દલીલ પણ કરાય છે, જેની સાથે સહમત થવાના મજબૂત કારણો પણ છે. જેમ કે, અન્ડરવર્લ્ડ માફિયાઓની ફિલ્મ બનાવતા હિન્દી ફિલ્મ ડિરેક્ટરો ઓડિયન્સને ધ્યાનમાં રાખીને ગુનેગારને જ ગ્લોરિફાય કરે છે. આવી ફિલ્મોમાં ગુનો કરવાની શું કિંમત ચૂકવવી પડે છે એ વાત કરતા ગુનેગાર પાસે કેટલો 'પાવર' હોય છે એ વાતનું વધારે ગ્લોરિફિકેશન કરાયું હોય છે. આ વાત કદાચ બળાત્કારોના સમાચારોને પણ લાગુ પડે છે. કદાચ એટલે જ આપણે તેના પરિણામો ભોગવી રહ્યા છીએ. જો લશ્કરને લગતા નકારાત્મક સમાચારોની સેન્સરશિપ રાખી શકાતી હોય તો બળાત્કારો માટે પણ આ દિશામાં વિચારવાનો સમય થઈ ગયો છે.

ફિલ્મ કે ટેલિવિઝનની નકારાત્મક બાજુની હંમેશા વધુ ચર્ચા થાય છે કારણ કે, આ માધ્યમ સરળતાથી ઉપલબ્ધ છે અને તેને સ્વીકારનારો વર્ગ ઘણો મોટો છે. ઈન્ટરનેટના જમાનામાં 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' જેવી ઈરોટિક-રોમેન્ટિક ડ્રામા ભારતમાં અનસેન્સર્ડ રિલીઝ થવી જોઈએ કે નહીં એના કરતા હિન્દી, ભોજપુરી અને દક્ષિણ ભારતની વધુ સરળતાથી ઉપલબ્ધ ફિલ્મોમાં સ્ત્રીને કેવી ભદ્દી રીતે રજૂ કરાય છે એ વાત વધુ ચિંતાજનક છે. હોલિવૂડ કરતા હિન્દી ફિલ્મોમાં સ્ત્રીને વધારે બિભત્સ રીતે દર્શાવવામાં આવે છે એ વાત આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણોમાં પણ સાબિત થઈ ચૂકી છે. ભારતીય સમાજમાં સ્ત્રી લક્ષ્મી નહીં પણ 'માલ' છે એવું સમાજનું પ્રતિબિંબ ફિલ્મોમાં બતાવવું બહુ જરૂરી છે? હકીકતમાં સ્ત્રી શું કરી શકે છે કે કરી રહી છે- એવું પણ ફિલ્મોમાં બતાવી જ શકાય છે. ભારતીય અને અમેરિકન સમાજ તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં આસમાન-જમીનનો ફર્ક છે એટલે આ દિશામાં વિચારવું 'આઉટ ઓફ ફેશન' નથી.

એક બાજુ ફિલ્મો અને ટેલિવિઝનની નકારાત્મક અસરો અને બીજી બાજુ કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિએ ઘાતકી બળાત્કારોમાં અનેકગણો વધારો કર્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કૌટુંબિક લડાઈમાં બદલો લેવા પણ પાશવી બળાત્કાર ગુજારાય છે. કોઈ યુવતી તાબે નથી થતી તો પણ બળાત્કાર અને શહેરી યુવાનોમાં બ્રેક-અપ પછી પોતાનો અહંકાર સંતોષવા પણ બળાત્કાર ઝડપથી વધી રહ્યા છે. ઉત્તરપ્રદેશના બદાયુ બળાત્કાર કેસમાં જુબાની આપવા કોઈ તૈયાર નહીં હોવાથી ગુનેગારો હજુયે આઝાદ છે. 

આ પ્રકારના સમાચારો નબળા તંત્રને લપડાક મારવા પ્રકાશિત કરાય છે પણ તેનાથી ગુનેગારોની હિંમત વધે છે!

એક્શન પ્લાનની તાત્કાલિક જરૂર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા પ્રમાણે, ભારતમાં પોલીસ ચોપડે રોજના ૯૨ બળાત્કાર નોંધાય છે. નિર્ભયા કાંડ થયો એ વર્ષ ૨૦૧૨માં દિલ્હીમાં જ ૫૮૫ બળાત્કારો નોંધાયા હતા પણ ૨૦૧૪માં આ આંકડો ૨,૪૪૧એ પહોંચ્યો. આ તો પોલીસ ચોપડે નોંધાયેલા બળાત્કારો છે. 

ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં વિવિધ કારણોસર બળાત્કારોને પ્રોત્સાહન મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં સંડાસના અભાવે દૂરસુદુરના વિસ્તારમાં કુદરતી હાજતે જતી યુવતીઓ બળાત્કારોનો ભોગ બને છે. વીજ અછત ધરાવતા વિસ્તારોમાં પ્રકાશના અભાવે પણ જાતીય હિંસા થાય છે. શહેરોમાં જાતીય શિક્ષણના અભાવે થયેલું વિકૃત માનસ, છિન્ન-ભિન્ન કૌટુંબિક સંબંધો, પ્રેમસંબંધમાં નિષ્ફળતા, પૈસાના જોરે સ્વેચ્છાએ અપનાવેલી બેરોજગારી અને આવા વિવિધ કારણોસર સર્જાયેલું ખંડનાત્મક (ડિસ્ટ્રક્ટિવ) વ્યક્તિત્વ ગંભીર જાતીય હિંસાને પ્રોત્સાહન આપે છે. કામના સ્થળોએ નાની-મોટી જાતીય હિંસાનો ભોગ પણ શહેરી સ્ત્રીઓ વધુ બને છે અને તેની ફરિયાદ કોઈને કરી શકાતી નથી.

હવે વધારે રાક્ષસી બળાત્કારોની રાહ જોયા વિના વિદેશી, ગ્રામીણ અને શહેરી મહિલાઓ સામેની જાતીય હિંસાના કારણો તપાસીને દરેક સ્તરે તેને કાબૂમાં લેવા અત્યારથી જ એક્શન પ્લાન બનાવવો જોઈએ.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

2 comments:

  1. Very well said Vishal. I saw the 50 shades and I found nothing wrong for Indian adult viewers. It's meant for adults. I also think India should emphasis more in Women safety rather than doing inappropriate bans.

    ReplyDelete
  2. આ એક અતિ જટિલ સમસ્યા છે. સામાજિક પાંસાઓ અને પ્રશ્નો તો રહેવાના પણ કાયદાની ધાક જ્યાં સુધી ગુનેગારના મનમાં નહીં બેસે ત્યાં સુધી આવી ગુનાખોરી પર નિયંત્રણ ખૂબ મુશ્કેલ છે. દુબઈ અને આરબ કંટ્રીઝમાં ક્રાઇમ કંટ્રોલમાં છે, કારણ ત્યાં તત્કાલ સજા થાય છે. આવા અતિગંભીર કેસોને તત્કાલ નિયંત્રણમાં રાખવા આપખુદશાહી કાયદાનો આશરો લેવો જરૂરી લાગે છે..

    ReplyDelete