18 September, 2018

નીલ આર્મસ્ટ્રોંગની મુંબઈ અને વાયા જયપુર દિલ્હી મુલાકાત


આ કમનસીબ ઘટના છે. અમેરિકાએ મેળવેલી એ સિદ્ધિ માટે જાણે તેઓ શરમ અનુભવી રહ્યા છે. આ તો ભયંકર બાબત કહેવાય. તમે નીલ આર્મસ્ટ્રોંગ અથવા ચંદ્ર પર એપોલો ૧૧એ ઉતરાણ કર્યું એ વાત યાદ કરો એટલે તમારા મગજમાં અમેરિકાનો ઝંડો આવવો જ જોઈએ. આ જ કારણથી હું એ ફિલ્મ નહીં જોઉં...

‘ફર્સ્ટ મેન’માં આર્મસ્ટ્રોંગની ભૂમિકામાં રયાન ગોસલિંગ

નિવેદન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. ચંદ્રની ધરતી પર જનારા પહેલા માનવી નીલ આર્મસ્ટ્રોંગના જીવન પર આધારિત 'ફર્સ્ટ મેન' ફિલ્મના વિરોધમાં તેમણે આ જાહેરાત કરી હતી. 'ફર્સ્ટ મેન' હજુ અમેરિકામાં રિલીઝ પણ નથી થઈ, ૧૨મી ઓક્ટોબરે થવાની છે. વાત એમ છે કે, ૨૯મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં 'ફર્સ્ટ મેન' પ્રદર્શિત કરાઈ અને કેટલાક વિવેચકોએ વાંધો ઉઠાવ્યો કે, નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર અમેરિકાનો ધ્વજ ફરકાવતા હોય એ દૃશ્ય ફિલ્મમાં હોવું જ જોઈએ, પણ નથી! આ વાતથી અનેક અમેરિકનોની લાગણી દુભાઈ. એ પછી ફિલ્મનો વિરોધ કરવા અનેક લોકોએ, નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી પર અમેરિકન ઝંડો ફરકાવતા હોય, એવી તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું શરૂ કર્યું. ટ્વિટર પર 'પ્રાઉડ ટુ બી એન અમેરિકન', 'એપોલો ૧૧', 'રોડ ટુ એપોલો ૫૦', 'જુલાઈ ૧૯૬૯', 'ઓનર' અને 'વન નેશન' જેવા હેશટેગનો ટ્રેન્ડ શરૂ થયો અને નીલ આર્મસ્ટ્રોંગની સિદ્ધિઓ વિશે ફરી એકવાર ચર્ચા છેડાઈ.

***

આ ફિલ્મ હજુ ભારતમાં રિલીઝ થઈ નથી, પરંતુ આપણે નીલ આર્મસ્ટ્રોંગે ભારતની મુલાકાત લીધી હતી એ વિશે એક-બે ઐતિહાસિક ઘટના યાદ કરીએ. 

૨૬મી ઓક્ટોબર, ૧૯૬૯ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઑલ્ડરિન અને માઈકલ કોલિન્સ વ્હાઈટ હાઉસના એક ખાસ વિમાનમાં મુંબઈની મુલાકાતે આવ્યા હતા. બપોરે આશરે ૨:૪૫ વાગ્યે તેમના વિમાને મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું ત્યારે મુંબઈ એરપોર્ટ પર વીસેક હજાર લોકો તેમને જોવા ઊમટી પડ્યા હતા. આર્મસ્ટ્રોંગ પછી ચંદ્રની ધરતી પર પગ મૂકનારા બીજા માણસ હતા, બઝ ઑલ્ડરિન. આર્મસ્ટ્રોંગ અને ઑલ્ડરિને ચંદ્ર પર બે કલાક અને એક મિનિટનો સમય વીતાવ્યો હતો. એ વખતે માઈકલ કોલિન્સે ચંદ્ર પર પાર્ક કરેલા અવકાશયાનનું સુકાન સંભાળ્યું હતું. મુંબઈમાં આ ત્રણેય અવકાશયાત્રીના સ્વાગતની જવાબદારી અમેરિકાના ભારતસ્થિત રાજદૂત કેનેથ કિટિંગને સોંપાઈ હતી. સુરક્ષાના પ્રશ્નો અત્યંત જટિલ હતા. અમેરિકા અને રશિયા વચ્ચે અવકાશી સિદ્ધિઓ મેળવવા ગળાકાપ હરીફાઈ ચાલી રહી હતી. અવકાશયાત્રીઓનું અપહરણ થઈ જવાનો પણ અમેરિકાને ડર હતો.


નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઑલ્ડરિન અને માઈકલ કોલિન્સ
અવકાશયાત્રીઓને ખુલ્લી કારમાં બેસાડીને મુંબઈમાં હોટેલ તાજ સુધી લઈ જવાયા
એ ‘લાઈફ’ મેગેઝિનની આર્કાઈવમાંથી લીધેલી દુર્લભ તસવીર

આ પ્રકારના જોખમો વચ્ચે પણ અમેરિકન પ્રમુખ રિચર્ડ નિક્સને ત્રણેય અવકાશયાત્રીને વિશ્વ પ્રવાસે મોકલવાનો નિર્ણય લીધો હતો. નિક્સન ઈચ્છતા હતા કે, અમેરિકાએ અવકાશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી દુનિયા વાકેફ થાય. નિક્સન રશિયનોને બતાવી દેવા માંગતા હતા કે, અવકાશ ક્ષેત્રે અમેરિકા સામે તમારો ગજ વાગી શકે એમ નથી. આ અવકાશયાત્રીઓ મુંબઈ આવતા પહેલાં દુનિયાના ૧૯ દેશનો પ્રવાસ કરી ચૂક્યા હતા. મુંબઈ એરપોર્ટ પરથી બહાર નીકળતા જ આર્મસ્ટ્રોંગ સહિત ત્રણેય અવકાશયાત્રીને ખુલ્લી કારમાં બેસાડીને માહિમ, પ્રભાદેવી, વરલી નાકા, હાજી અલી, કેમ્પ્સ કોર્નર, ચોપાટી, મરીન ડ્રાઈવ અને આઝાદ મેદાન થઈને હોટેલ તાજ લઈ જવાયા. રોડ શૉમાં આશરે દસ લાખ ભારતીયોએ ત્રણેય અવકાશયાત્રીનું અભિવાદન કર્યું, જેમાં ભારતના પરમાણુ બોમ્બના પિતામહ્ ગણાતા રાજા રામન્ના અને તેમના પુત્રી નિરુપા પણ સામેલ હતા. એ જ દિવસે સાંજે ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં રામન્ના અને આર્મસ્ટ્રોંગની મુલાકાત થઈ. એ વખતે એટમિક કમિશનના અધ્યક્ષ વિક્રમ સારાભાઈ હતા. તેમણે આર્મસ્ટ્રોંગને હાથીની મૂર્તિ ભેટમાં આપી હતી.

તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી આ પ્રકારનો મેગા શૉ રાજધાની દિલ્હીમાં થાય એમ ઈચ્છતા હતા, પરંતુ કદાચ અમેરિકાએ સુરક્ષાના કારણસર મુંબઈને પસંદ કર્યું હતું. મુંબઈ મુલાકાત પછી ત્રણેય અવકાશયાત્રીએ દિલ્હીની ઊડતી મુલાકાત લીધી હતી. એ પહેલાં બીજી પણ એક રસપ્રદ ઘટના બની. આ ત્રણેય અવકાશયાત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકા તેમના પ્રવાસનું ચોક્કસ આયોજન જ નહોતું કર્યું. વિશ્વના અનેક દેશોના સરકારી મહેમાન તરીકે જવાનું હોવા છતાં અમેરિકા છેલ્લી ઘડીએ તેમના પ્રવાસની તારીખો, સમય અને સ્થળ બદલી નાંખતુ. આ કારણસર તેઓ મુંબઈ પણ એક દિવસ વહેલા પહોંચ્યા હતા. મુંબઈની મહેમાનગતિ માણ્યા પછી ત્રણેય અવકાશયાત્રીને એક જ વિમાનમાં બેસીને દિલ્હીથી બીજા કોઈ દેશના પ્રવાસે જવાનું હતું. જોકે, અમેરિકાએ એ યોજના રદ કરી અને ત્રણેયને એક દિવસ રાજસ્થાન મોકલીને જયપુર રોકાવાની વ્યવસ્થા કરી.


ઓમકારસિંઘની (જમણે) ડેવિડ રોજર્સ અને નીલ આર્મસ્ટ્રોંગ સાથે
તેમના ઘરની દીવાલ પર શોભતી તસવીર (સૌજન્યઃ સંગીતા પ્રવીણેન્દ્ર)
રાજસ્થાનના એક ખેતરમાં (વચ્ચે ડાર્ક ટી-શર્ટમાં )  નીલ આર્મસ્ટ્રોંગ
(સૌજન્યઃ અમેરિકન દૂતાવાસ, દિલ્હી)

આ દરમિયાન જયપુરમાં એક આઈએએસ અધિકારીને આર્મસ્ટ્રોંગ સાથે 'ક્વૉલિટી ટાઈમ' વીતાવવાની તક મળી હતી. એ સરકારી અધિકારી એટલે રાજસ્થાન કૃષિ વિભાગના તત્કાલીન ઉપ સચિવ ઓમકારસિંઘ ઠાકુર. અત્યારે તેમની ઉંમર ૯૮ વર્ષ છે, પરંતુ યાદશક્તિ એટલી મજબૂત છે કે આર્મસ્ટ્રોંગ સાથેની મુલાકાત વિશે તેઓ મીડિયાકર્મી સાથે વિગતવાર વાત કરી શકે છે. ઓમકાર સિંહ અને આર્મસ્ટ્રોંગની મુલાકાત રસપ્રદ રીતે થઈ હતી. એ જમાનામાં અમેરિકાએ વિકાસશીલ દેશોમાં ખેતી, પશુપાલન અને માછીમારી જેવા ઉદ્યોગો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું હતું. પીસ કોર્પ્સ નામની સંસ્થાની મદદથી અમેરિકા રાજસ્થાનમાં પણ આ કામ કરતું હતું. રાજસ્થાનના વિવિધ જિલ્લામાં પીસ કોર્પ્સના ૧૧ કાર્યકર હતા, જેમના વડા બ્રેડમેન નામના એક અમેરિકન હતા. બ્રેડમેને જ ઓમકારસિંઘને ફોન કરીને કહ્યું હતું કે, સાંજે તૈયાર રહેજો, એક ખાસ મહેમાનને મળવાનું છે. એ મહેમાન કોણ એ બ્રેડમેન કહેવા નહોતા માંગતા, પરંતુ ઓમકારસિંઘની જિદ સામે તેઓ ઝૂકી ગયા. નીલ આર્મસ્ટ્રોંગનું નામ સાંભળતા જ ઓમકારસિંઘ ચોંક્યા. તેમણે બ્રેડમેનને તુરંત જ પૂછ્યું કે, આ વિશે કોણ જાણે છે? બ્રેડમેને કહ્યું: કોઈ નહીં, તમે પણ કોઈને ના કહેતા...

જોકે, આર્મસ્ટ્રોંગને ગૂપચૂપ મળવાના સપનાં જોતા ઓમકારસિંઘ એક વાતથી પરેશાન હતા. આર્મસ્ટ્રોંગ સરકારી મહેમાન હતા અને પોતે ઉચ્ચ સરકારી અધિકારી. એટલે જ્યાં સુધી રાજસ્થાનના તત્કાલીન મુખ્ય મંત્રી મોહનલાલ સુખડિયા કે તેમના મુખ્ય સચિવનું આમંત્રણ ના મળે ત્યાં સુધી આર્મસ્ટ્રોંગને મળી ના શકે. ચાલાક બ્રેડમેને તેનો પણ રસ્તો કાઢ્યો. બ્રેડમેને આર્મસ્ટ્રોંગ સાથેની મુલાકાત માટે પોતાનું ઘર પસંદ કર્યું અને નક્કી કર્યું કે, મુખ્ય મંત્રી અને મુખ્ય સચિવ સાથે આર્મસ્ટ્રોંગની ઉડતી મુલાકાત કરાવીને વિદાય કરી દેવા અને ત્યાર પછી ઓમકારસિંઘને બોલાવીને શાંતિથી વાતો કરવી. આ યોજના ધાર્યા પ્રમાણે સફળ રહી. મોહનલાલ સુખડિયા આર્મસ્ટ્રોંગ સાથે થોડો સમય વીતાવીને નીકળી ગયા અને મુખ્ય સચિવ રાજસ્થાનમાં હાજર નહીં હોવાથી આવી ન શક્યા. 

મુલાકાતમાં બ્રેડમેને પીસ કોર્પ્સ-તહેરાનના વડા ડેવિડ રોજર્સને પણ સામેલ કર્યા હતા. આર્મસ્ટ્રોંગ અમેરિકાથી પોતાની સાથે બર્બન વ્હિસ્કી લાવ્યા હતા. આર્મસ્ટ્રોંગ સાથે બ્રેડમેન, ઓમકારસિંઘ અને રોજર્સે ગપ્પા મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન બીજા પણ કેટલાક મહેમાનો હતા, જે બધા સામે બ્રેડમેનના પત્નીએ કથ્થક નૃત્ય રજૂ કર્યું. તેઓ જયપુર ઘરાનાના વિદ્યાર્થિની હતા. એ નૃત્ય જોઈને આર્મસ્ટ્રોંગ ખુશખુશાલ થઈ ગયા હતા. અહીં એ સવાલ થવો સ્વાભાવિક છે કે, આર્મસ્ટ્રોંગ જેવા 'સેલિબ્રિટી' અવકાશયાત્રી પીસ કોર્પ્સના અધિકારી બ્રેડમેનનું અને બ્રેડમેન ઓમકારસિંઘનું આટલું સન્માન કેમ કરતા હતા? રસપ્રદ વાત એ છે કે, આર્મસ્ટ્રોંગ પણ એક સમયે પીસ કોર્પ્સ’માં કામ કરતા હતા અને તેથી ભારતમાં ચાલતી વિવિધ કૃષિલક્ષી યોજનાઓમાં તેમને ખાસ રસ હતો, જ્યારે બ્રેડમેન અને ઓમકારસિંઘ ખાસ મિત્રો હતા. ઓમકારસિંઘ પહેલાંના કૃષિ સચિવ સાથે બ્રેડમેનને જામતું નહી, યોજનાઓ અટવાઈ જતી, પરંતુ ઓમકારસિંઘના હકારાત્મક વલણથી બ્રેડમેન ખુશ હતા. 
ઈન્દિરા ગાંધી સાથે નીલ આર્મસ્ટ્રોંગ

જયપુરમાં ઓમકારસિંઘ સાથે બહુ બધી વાતો કર્યા પછી આર્મસ્ટ્રોંગની જયપુર જોવાની પણ ઈચ્છા હતી, જે પૂરી ના થઈ. તેમણે એ જ દિવસે દિલ્હી જવા નીકળવું પડ્યુંઓમરકારસિંઘે પાછલી જિંદગીમાં બે વાર અમેરિકાની મુલાકાતે ગયા, પરંતુ આર્મસ્ટ્રોંગને એક પણ વાર મળી ના શક્યા. અમેરિકાની બીજી મુલાકાત વખતે ઓમકારસિંઘે વૉશિંગ્ટન મ્યુઝિયમની મુલાકાત લઈને સંતોષ માન્યો હતો, જ્યાં આજેય એપોલો- પ્રદર્શિત કરાયેલું છે, જેમાં બેસીને આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ગયા હતા. 

આર્મસ્ટ્રોંગની સેન્સ ઓફ હ્યુમર કેટલી તેજ હતી, એ વાતની સાબિતી આપતો એક કિસ્સો જોઈએ. દિલ્હીમાં આર્મસ્ટ્રોંગની મુલાકાત વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને વિદેશ મંત્રી નટવર સિંઘ સાથે થઈ. આ મુલાકાત વખતે નટવર સિંઘે વાતવાતમાં આર્મસ્ટ્રોંગને કહ્યું કે, ૨૦મી જુલાઈ, ૧૯૬૯ના રોજ તમે ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવાના હતા એ દૃશ્ય જોવા અમારા 'મેડમ' પરોઢિયે સાડા ચાર વાગ્યા સુધી જાગ્યા હતા. આ વાત સાંભળીને આર્મસ્ટ્રોંગે સિક્સર ફટકારતા કહ્યું કે, 'તમને તકલીફ પડી એ બદલ મેડમ પ્રાઈમ મિનિસ્ટર હું તમારી માફી માંગુ છું. હવે બીજી વાર ચંદ્ર પર જઈએ ત્યારે અમે પૃથ્વી પરના સમયને ધ્યાનમાં રાખીશું.' ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ (જન્મઃ પાંચમી ઓગસ્ટ, ૧૯૩૦) નું અવસાન થયા પછી ખુદ નટવરસિંઘે આ વાત કરી હતી.

આ મહાન અવકાશયાત્રીએ પાછલી જિંદગી ઓહાયોમાં એક ફાર્મ ખરીદીને પશુપાલન કરવામાં વીતાવી હતી. એ સિવાય તેઓ ફક્ત શિક્ષણ ક્ષેત્રમાં રસ લેતા. નીલ આર્મસ્ટ્રોંગે નવેમ્બર ૧૯૭૦માં પણ ફરી એકવાર દિલ્હીની મુલાકાત લીધી હતી. એ વખતે તેમણે બલૂનિંગ ક્લબ ઓફ ઈન્ડિયાનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી નવેમ્બર ૧૯૯૫માં તેઓ છેલ્લીવાર ભારતમાં મુંબઈના મહેમાન બન્યા હતા. 

1 comment: