24 September, 2015

શરણાર્થીઓની વાત છે તો ‘વર્લ્ડ લીડર’ ભારત છે


સીરિયન દંપત્તિના ત્રણ વર્ષીય પુત્ર આયલાન કૂર્દીની ભૂમધ્ય મહાસાગરના દરિયા કિનારે પડેલી લાશની તસવીર પ્રકાશિત થયા પછી આખું વિશ્વ હચમચી ગયું છે. આ તસવીર પ્રકાશિત થતા જ દુનિયાને ભાન થયું છે કે, મધ્ય પૂર્વના સીરિયા અને ઈરાક, આફ્રિકાના નાઈજિરિયા, સુદાન, ગામ્બિયા, સોમાલિયા, દક્ષિણ પૂર્વીય યુરોપના કોસોવો, અલ્બેનિયા, સર્બિયા, બોસ્નિયા, મેસેડોનિયા તેમજ દક્ષિણ એશિયાના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોના લોકોની હાલત આતંકવાદના કારણે કેટલી બદતર છે! આતંકથી ત્રસ્ત લોકો જીવન ગુજારવા બિસ્તરા-પોટલાં બાંધીને, સ્વદેશમાં મિલકતો નોંધારી મૂકીને, રસ્તામાં જ રામ રમી જાય એવી દરિયાઈ-જમીની મુસાફરી ખેડીને તેમજ સરહદો પર નિરાધાર થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોવા છતાં બીજા દેશોની સરહદો સુધી આવી રહ્યા છે કારણ કે, આ લોકોને આશા છે કે એક દિવસ તેમને શરણાર્થી વસાહતોમાં આશરો મળી જશે! આ શરણાર્થીઓમાં મોટા ભાગના લોકો 'સિવિલ વોર માઈગ્રન્ટ્સ' એટલે કે ઘરઆંગણે ગૃહયુદ્ધ કે આતંકવાદથી ત્રસ્ત થઈને વતન છોડનારા લોકો છે. આ દેશોમાં સામાન્ય લોકોની હાલત આતંકના કારણે કેવી હશે એ સમજવા આટલી જાણકારી પૂરતી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યૂજીઝના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૪માં વિશ્વમાં છ કરોડ લોકો સ્વદેશમાં જ વિસ્થાપિત તરીકે અથવા વિદેશમાં શરણાર્થી છાવણીઓમાં જીવી રહ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, દુનિયાના દર ૧૨૨ વ્યક્તિમાંથી એક શરણાર્થી છે.

પશ્ચિમી દેશોને ભય છે કે, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા જેવા આતંકવાદી જૂથના આતંકવાદીઓ શરણાર્થીના રૂપમાં આવીને સ્લિપર સેલ ઊભા કરી શકે છે. આ દેશોને રોગચાળો અને ઈસ્લામિક આતંકવાદના ગઢ જેવી શરણાર્થીઓની ઝૂંપડપટ્ટીઓ (ઘેટ્ટો) ઊભી થવાનો પણ ડર છે. જોકે, વેરાન રણપ્રદેશમાં કુંડ મળે એવી ટાઢક આપનારી વાત એ છે કે, શરૂઆતમાં આવા કારણોસર થોડા ખચકાટ પછીયે અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશો વધુને વધુ શરણાર્થીઓને આશરો આપવા તૈયાર થઈ રહ્યા છે. આ દેશોએ યુનાઈટેડ નેશન્સ રેફ્યૂજી કન્વેન્શન અને પ્રોટોકોલ પર સહી કરી છે, જે અંતર્ગત શરણાર્થી છાવણીઓની સ્થિતિથી લઈને તેમની સાથે કેવી રીતે વર્તન કરવું એના નીતિનિયમો બનાવાયા છે. આ દેશોની વિદેશ નીતિમાં શરણાર્થીઓની નીતિ મહત્ત્વનો મુદ્દો હોય છે અને એટલે જ ચૂંટણીઓમાં પણ આ મુદ્દો ચગાવાય છે. કેનેડામાં ૧૯મી ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ યોજાનારા ફેડરલ ઈલેક્શનમાં પણ આયલાન કૂર્દીનું મોત મહત્ત્વના મુદ્દા તરીકે છવાઈ ગયું છે.

આયલાન કુર્દીની એ પ્રખ્યાત તસવીર અને આ તસવીર લેનારા નિલોફર દેમિર

હજુયે હજારો શરણાર્થીઓની હાલત કફોડી છે એ વાત ખરી પણ પશ્ચિમી મીડિયામાં શરણાર્થીઓ સાથે માનવતાભર્યું વર્તન કરવાની વાત ભારપૂર્વક કહેવાઈ રહી છે. શરણાર્થીઓ યુરોપનું અર્થતંત્ર બચાવવામાં મદદરૂપ થઈ શકે એમ છે એવી થિયરી પણ રજૂ કરાઈ રહી છે. અનેક ખામીઓ છતાં પશ્ચિમી દેશોમાં શરણાર્થીઓને સમાવવાની સિસ્ટમ છે. અહીં શરણાર્થીઓને કાયદેસરનું 'રેફ્યૂજી સ્ટેટસ' મળે છે અને એટલે જ એ ત્યાં ભાગેડુની જેમ નહીં પણ સામાન્ય વ્યક્તિની જેમ જીવી શકે છે. યુરોપિયન યુનિયનના મતે, વર્ષ ૨૦૧૬ના અંત સુધી યુરોપિયન દેશોએ દસ લાખ શરણાર્થીઓને પોતાના દેશોમાં સમાવી લીધા હશે! એપ્રિલ ૨૦૧૫થી મીડિયામાં 'યુરોપિયન રેફ્યુજી ક્રાઈસીસ-૨૦૧૫' કે 'યુરોપિયન માઈગ્રન્ટ ક્રાઈસીસ-૨૦૧૫' નામના શબ્દો ઊછળી રહ્યા છે, જેના માટે આ સ્થિતિ જવાબદાર છે.


અત્યારે વિવિધ દેશો પોતાની ક્ષમતા અને સ્વાર્થ ખાતર 'આઉટસાઈડર્સ' મતલબ 'બહારના'ને પોતાની જમીન પર શરણું આપી રહ્યા છે. હિટલરના આતંકના અપરાધભાવથી પીડાતા જર્મનીમાં શરણાર્થીઓને હૂંફાળો આવકાર મળી રહ્યો છે. ઝીણું કાંતનારા એવું કહી શકે છે કે, જર્મની પણ વિશ્વ સમક્ષ પોલિટિકલી કરેક્ટ રહેવા અને સ્વાર્થ ખાતર શરણાર્થીઓને આવકારી રહ્યું છે. જોકે, આખા જંગલમાં આગ લાગી હોય ત્યારે આવું વિચારવાનો સમય એ જ લોકો પાસે હોય છે જે પોતાના વતનના ઘરમાં 'સુરક્ષિત' બેઠા હોય છે. અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોએ શરણાર્થીઓને સમાવવાનો ક્વૉટા વધારી દીધો છે. શરણાર્થીઓ મુદ્દે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે એવી સ્થિતિ ધરાવતા ઈઝરાયેલમાં પણ શરણાર્થીઓ સાથે યોગ્ય વર્તન કરવાની માગ થઈ રહી છે.

આયલાન કૂર્દીનો પરિવાર ભૂમધ્ય મહાસાગરમાં મુસાફરી કરીને કેનેડામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનું મોત થયું હતું. આયલાનના મોત પછી કેનેડા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાનો સામનો કરી રહ્યું છે. કદાચ આ અપરાધભાવના કારણે જ કેનેડિયન મીડિયામાં અપીલ થઈ રહી છે કે, શરણાર્થીઓ મામલે કેનેડાએ બધાથી સારું કામ કરીને 'વર્લ્ડ લીડર' બનવાની તક ઊપાડી લેવી જોઈએ. કેનેડિયન મીડિયામાં રાજકારણીઓ, પત્રકારો અને લેખકો આંકડાકીય માહિતી આપીને કહી રહ્યા છે કે, દુનિયામાં શરણાર્થીઓ સંખ્યાની રીતે આપણે બહુ ઓછું કામ કરી રહ્યા છીએ. અહીં એ નોંધવા જેવું છે કે, આયલાન કૂર્દીના માતા-પિતાએ કેનેડામાં રેફ્યૂજી સ્ટેટસ મેળવવા કાયદેસરની અરજી પણ કરી નહોતી અને છતાં આયલાનના પિતા અબ્દુલ્લા કુર્દી આયલાન, આયલાનના પાંચ વર્ષીય ભાઈ ગાલિબ અને પત્ની રેહાનાના મોત માટે કેનેડા સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. આમ છતાં, કેનેડિયન મીડિયામાં 'કેનેડાએ શું કરવું જોઈએ' એવા હકારાત્મક અહેવાલો પ્રગટ થઈ રહ્યા છે.

આયલાન, ગાલિબ અને બાજુની તસવીરમાં બંને બાળકોની માતા રેહાના

શરણાર્થીઓ મુદ્દે વિકસિત અને અગ્રણી દેશો 'વર્લ્ડ લીડરબનવા તલપાપડ છે ત્યારે ભારતનું સ્થાન ક્યાં છે એ જાણવું પણ જરૂરી છે. વિશ્વમાં આંગળીના વેઢે ગણાય એટલા દેશોએ યુનાઈટેડ નેશન્સ રેફ્યૂજી કન્વેન્શન અને પ્રોટોકોલ પર સહી નથી કરીજેમાં સૌથી મોટો દેશ ભારત છે. ભારતમાં પણ જુદા જુદા કારણોસર વતન છોડીને આવેલા હજારો શરણાર્થીઓ વસે છે. અહીં બાંગ્લાદેશના ચિત્તગોંગમાં વિસ્થાપિત થયેલા ભુતાનીઝ બૌદ્ધોથી લઈને મ્યાંમારના રોહિંગ્યા મુસ્લિમોતિબેટિયનોશ્રીલંકાના તમિળ વિસ્થાપિતોપાકિસ્તાની હિંદુઓ-શીખોઅફઘાનિસ્તાનના મુસ્લિમો તેમજ આફ્રિકાના સુદાન-સોમાલિયા જેવા દેશોના શરણાર્થીઓ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યૂજીઝના આંકડા પ્રમાણેવર્ષ ૨૦૧૧માં ભારતમાં શરણાર્થી હોય તેમજ ભારતમાં આશ્રય મેળવવા અરજી કરી હોય એવા કુલ ૨,૦૪,૬૦૦ લોકો હતા. શરણાર્થીઓને લગતા આંતરરાષ્ટ્રીય કરારો પર સહી નહીં કરી હોવાથી ભારત પોતાના ખર્ચે (યુએનની આર્થિક મદદ વિના) અને જોખમે શરણાર્થી યોજનાઓ ચલાવી રહ્યું છે. કોઈ કરારો નહીં કર્યા હોવા છતાં ભારતનો શરણાર્થીઓ સાથેનો વ્યવહાર આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે જ છે.

મહત્ત્વનો સવાલ એ છે કેઆખા દક્ષિણ એશિયામાં શરણાર્થીઓની સૌથી વધારે વસતી ભારતમાં છે. આમ છતાંભારત સરકાર રેફ્યૂજી કન્વેન્શન અને પ્રોટોકોલ પર કેમ સહી નથી કરતુંયુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યૂજીઝની વેબસાઈટ પર જે તે દેશોએ સહી કેમ નથી કરી એના કોઈ કારણો નથી અપાયા. જોકેજાણકારોનું માનવું છે કેભારતે મુખ્યત્વે સુરક્ષાના કારણોસર રેફ્યૂજી સંધિ પર સહી નથી કરી. ભારતની પાકિસ્તાનબાંગ્લાદેશનેપાળભુતાનમ્યાંમાર અને શ્રીલંકા સહિતની સરહદો વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિના કારણે અભેદ્ય છે. જો ભારત સરકાર કોઈ રેફ્યૂજી સંધિ પર સહી કરે તો આતંકવાદગૃહયુદ્ધ કે કુદરતી આફત જેવી સ્થિતિમાં ભારતમાં સામૂહિક સ્થળાંતર શરૂ થઈ શકે છે. જો આવું થાય તો સરહદો નજીક માળખાગત સુવિધાઓના અભાવના કારણે અંધાધૂંધી ફેલાઈ શકે છે. ભારતમાં ધાર્મિક અને જાતિગત કારણોસર સામૂહિક નરસંહાર ફેલાવાનો પણ ભય છે. કદાચ એટલે જ ભારત ચૂપચાપ શરણાર્થીઆને આશ્રય આપી રહ્યું છે. ભારતમાં વૈવિધ્યતાના કારણે મુશ્કેલીઓનું વૈવિધ્ય પણ દુનિયામાં ક્યાંય જોવા ના મળે એવું છે. અહીં વસતીવિષયક સંતુલન ના ખોરવાય એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કારણ કેબધા હળીમળીને રહે અને એકબીજાના ધર્મ-સંસ્કૃતિનું સન્માન કરે એ બધી માત્ર પુસ્તકિયા વાતો છે. આ બધી મુશ્કલીઓ વચ્ચે પણ ભારત પોતાની ધરતી પર વિવિધ દેશધર્મ અને જાતિના શરણાર્થીઓને સાચવી રહ્યું છે.

વર્ષ ૨૦૧૩માં યુએનના તત્કાલીન હાઈ કમિશનર ઓફ રેફ્યૂજીસ એન્ટોનિયો ગુટરેસે પણ કહ્યું હતું કેભારતે તેના ઈતિહાસસંસ્કૃતિ અને પરંપરાઓના આધારે તમામ લોકો માટે પોતાની સરહદો ખુલ્લી કરીને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. અહીં તિબેટિયનોઅફઘાનો અને મ્યાંમારના લોકો શરણાર્થી તરીકે સુરક્ષિત જીવન જીવી રહ્યા છે. તમામ લોકો સાથે સંબંધ રાખવામાં ભારતનું વલણ ઉમદા છે. ભારત શરણાર્થીઓ માટે લાંબા ગાળાના વિઝા મંજૂર કરી રહ્યું છે અને તેમને વર્ક પરમિટ આપી રહ્યું છે એ આ વાતની સાબિતી છે. અમે ખરેખર ભારતને બહુ વિશ્વાસુ ભાગીદાર તરીકે જોઈએ છીએ અને જેમને મદદ જોઈએ છે તેમને ગેરંટી આપીએ છીએ કેઅહીં તમને મદદ મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કેઆજે શરણાર્થીઓ માટે વિશ્વની મોટા ભાગની સરહદો બંધ છેલોકોને સુરક્ષા આપવાની ના પડાય છે પણ ભારત ઉદાર દેશ છે...

ભારત હજારો વર્ષોથી લોકોને પોતાનામાં સમાવતું આવ્યું છે. ભારત પોતાની જમીન પર લોકોને કેવી રીતે સમાવી લે છે એનું ઉત્તમ ઉદાહરણ પારસીઓ છે. એવી જ રીતેનવા દેશમાં ગયા પછી પોતાનો ધર્મ-સંસ્કૃતિ-વારસો સાચવીને કેવી રીતે પારકાને પોતાના બનાવી લેવા એનું ઉત્તમ ઉદાહરણ પણ પારસીઓ જ છે. એવું પણ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કેશરણાર્થીઓ મુદ્દે અત્યારે કોઈ 'વર્લ્ડ લીડરહોય તો તે ભારત છે.

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment