23 February, 2013

ઉંદરો પરના પ્રયોગોઃ સમય અને પૈસાનો બગાડ?


માણસજાતે આદિમાનવમાંથી અત્યારના સુધરેલા સામાજિક પ્રાણી બનવાની લાખો વર્ષની પ્રક્રિયામાં પૃથ્વી ગ્રહ પર વસતા અન્ય જીવોને જાણ્યે અજાણ્યે ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. કુદરતી ચક્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અનેક જીવો લુપ્ત થઈ ગયા છે અને કેટલાક વિનાશને આરે છે. પૃથ્વી પર સહ-અસ્તિત્વનો જેને પૂરેપૂરો હક્ક છે એવા અનેક જીવોનો વૈજ્ઞાનિક શોધો માટે માણસ ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. આવી શોધોના પ્રયોગો માટે સુસંસ્કૃત માણસોએ સૌથી વધુ ઉપયોગ ઉંદરોનો કર્યો છે. પરંતુ ઉંદરો પર કોઈ દવાનો પ્રયોગ સફળ થાય એનો અર્થ એ નથી કેતે દવા માનવીય રોગોમાં પણ અસરકારક નીવડશે. તાજેતરમાં વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કેકેટલાક રોગોમાં ઉંદરો પર કરેલા પ્રયોગો વિજ્ઞાનીઓને ગેરમાર્ગે દોરી શકે છે.

આ દિશામાં સંશોધન કરી રહેલા વિજ્ઞાનીઓએ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સનામની જર્નલના તાજા અંકમાં આ મુદ્દે ઊંડી છણાવટ કરી છે. આ જર્નલમાં જણાવાયું છે કે, “આમ તો વિજ્ઞાનીઓ ઘણાં લાંબા સમયથી ઉંદરો પર સફળ પ્રયોગો કરતા આવ્યા છે. પરંતુ સેપ્સિસ (લોહીમાં સડો થઈ જાય એ પ્રકારનો રોગ), બર્ન્સ (દાઝી જવું) અને ટ્રોમા (માનસિક આઘાત)ની દવાઓના ઉંદરો પર કરેલા પ્રયોગો વિજ્ઞાનીઓને 100 ટકા ગેરમાર્ગે દોરે છે.અત્યાર સુધી આવા ખોટા પ્રયોગો પાછળ અનેક વર્ષો અને કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ જર્નલમાં સંશોધન પેપરના લેખક અને માસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સેપ્સિસ રિસર્ચર ડૉ. એચ. શૉ વૉરેન કહે છે કે, “શક્ય છે કે આ લેખથી કમસે કમ અત્યારની સ્થિતિ વિશે લોકોને જાણ થાય.

ડૉ. એચ. શૉ વૉરેન

જોકે વિજ્ઞાનીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ અભ્યાસ એમ નથી કહેતો કે દવાઓ માટે ઉંદરો પર પ્રયોગ કરવા અયોગ્ય વૈજ્ઞાનિક મોડેલ છે, પરંતુ ઈમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક તંત્ર અને હૃદયને લગતા રોગોમાં તેમને કંઈક ખામીઓ જોવા મળી છે. જેમાં કેન્સરનો પણ સમાવેશ થાય છે. આ સંશોધન માટે છેલ્લાં કેટલાક સમયમાં સેપ્સિસની 150 દવાનું ઉંદરો પર પરીક્ષણ કરાયું હતું, જે તમામ દવા ઉંદરો માટે સારી પરંતુ માનવશરીર માટે બિનઅસરકારક સાબિત થઈ હતી. આ પ્રયોગ એવા ઉંદરો પર કરાયા હતા જેમને સેપ્સિસ નામનો રોગ હતો.

આ સંશોધન સાથે નહીં સંકળાયેલા મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે, આ પ્રયોગ પછી સમગ્ર વિશ્વમાં સંશોધનની પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે, જે ઘોર નિરાશાજનક સ્થિતિ છે. સેપ્સિસ લોહીમાં થતો એક પ્રકારનો સડો છે, જેના કારણે ચામડી પણ સડવા માંડે છે. આ રોગનો પ્રતિકાર કરવા માનવ શરીર ખૂબ જ પ્રયાસ કરે છે. ફક્ત અમેરિકામાં વર્ષે 7,50,000 લોકો આ રોગના ભોગ બને છે, જેમાંના ચોથાથી અડધા ભાગના લોકો મોતને ભેટે છે. આ લોકોની સારવાર માટે અમેરિકન સરકારને વાર્ષિક 17 મિલિયન ડૉલરનો ખર્ચ થાય છે. ઈન્ટેસિવ કેર યુનિટમાં સૌથી વધુ લોકો આ રોગથી મરી જાય છે.

મહાસત્તા અમેરિકાને હંફાવતા સેપ્સિસ જેવા ગંભીર રોગ પર થયેલા સંશોધનોથી અનેક વિજ્ઞાનીઓને આશ્ચર્ય થયું છે. લોસ એન્જલસની પબ્લિક રિસર્ચ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સેપ્સિસ નિષ્ણાત ડૉ. મિશેલ ફિન્ક આ સંશોધન વિશે જણાવે છે કે, “આ સંશોધન ગેમ ચેન્જર છે.જ્યારે વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનલ મેડિસિનના પૂર્વ અધ્યક્ષ અને ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના પૂર્વ એડિટર ડૉ. રિચર્ડ વેન્ઝેલ જણાવે છે કે, “આ આશ્ચર્યજનક છે.યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સેપ્સિસ પર સંશોધન કરી રહેલા ડૉ. ક્લિફોર્ડ ડચમેન પણ આ સંશોધન સંપૂર્ણ સાચું હોવાની શક્યતા જુએ છે. ડૉ. ડચમેન કહે છે કે, માનવશરીરના રોગપ્રતિકારક તંત્રમાં માનસિક આઘાત કે દાઝી જવાના કારણે નુકસાન પામેલા કોષોમાંથી બેક્ટેરિયા, વાયરસ, ફંગસ કે પ્રોટીન જેવા ઝેરી તત્ત્વો છૂટે અને મગજને ખતરાનો સંદેશ મળે ત્યારે રોગપ્રતિકારક તંત્ર જોરદાર પ્રતિક્રિયા આપે છે, અને કદાચ તે જ પ્રતિભાવ માણસ માટે જીવલેણ સાબિત થાય છે.

આવી સ્થિતિમાં માનવશરીરનું રોગપ્રતિકારક તંત્ર જેનો પ્રતિકાર કરી ન શકાય એટલી મોટી માત્રામાં પોતાનું પ્રોટીન છોડવાનું ચાલુ કરે છે. જેના કારણે સૂક્ષ્મ રક્તકોશિકાઓ ફાટી જાય છે. કોશિકાઓ ફાટવાથી ખૂબ મોટી માત્રામાં ગળતર (લિકેજ) શરૂ થાય છે અને લોહીના અંશો નાનકડી કોશિકાઓમાંથી બહાર આવવાના શરૂ થઈ જાય છે. તેની સૌથી પહેલી અસર હૃદય પર થાય છે, અને બ્લડપ્રેશર ખૂબ જ ઘટી જાય છે. શરીરના મહત્ત્વના અંગોને લોહીનો પુરવઠો પહોંચતો બંધ થઈ જાય છે. આવા દર્દીને ઈન્ટેસિવ કેર યુનિટમાં રખાયો હોવા છતાં ડૉક્ટરો કોઈ સંજોગોમાં ગળતર કે નુકસાન પામી રહેલા કોષોને રોકી શકતા નથી. છેવટે એક પછી એક અંગ કામ કરતા બંધ થઈ જાય છે.

રોનાલ્ડ ડેવિસ
સેપ્સિસ વિશે આટલી લાંબી ચર્ચા કરવાનું કારણ એટલું જ છે કે, 39 સંશોધકોએ સતત દસ વર્ષ સુધી વિવિધ દેશમાં કરેલા આ સંશોધનમાં સેપ્સિસ, બર્ન અને ટ્રોમાથી પીડાતા હજારો દર્દીઓના લોહીમાં રહેલા શ્વેતકણોની ઊંડી તપાસ કરી હતી. સંશોધકો જાણવા માગતા હતા કે, ખતરાનો સંદેશ મળે ત્યારે શ્વેતકણો કયા જનીનોનો ઉપયોગ કરે છે. આ અંગે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના મોલેક્યુલર બાયોલોજીના નિષ્ણાત અને આ સંશોધન પેપરના લેખક રોનાલ્ડ ડેવિસ કહે છે કે, આ સંશોધનમાં ખૂબ રસપ્રદ પેટર્ન જોવા મળી છે અને અમે ખૂબ મોટા પાયે આવા ડેટા એકત્રિત કર્યા છે. કેટલીક પેટર્ન એવી છે કે જેને જોઈને કહી શકાય કે, કયો દર્દી બચી જશે અને કયો દર્દી ઈન્ટેસિવ કેર યુનિટમાં દમ તોડી નાંખશે. ખેર, આ સંશોધન દરમિયાન એકત્રિત કરાયેલો ડેટા ઉંદરો પર સંશોધન કરાયેલા ડેટા સાથે મેળ ખાતો નથી. એટલે કે, ઉંદરોના જનીન માણસના જનીનોની જેમ પ્રતિભાવ નથી આપતા. આ અંગે ડેવિસ કહે છે કે, “વિજ્ઞાનીઓ મોટે ભાગે ઉંદરો પર પ્રયોગ કરવા ટેવાયેલા છે, પરંતુ તેઓ વિચારે છે કે, હવે તેઓ પોતાના પ્રયોગોને કેવી રીતે પુષ્ટિ આપી શકશે. વિજ્ઞાનીઓ ઉંદરોની સારવાર કરવામાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે, માણસોની સારવાર કરવાનું જ ભૂલી ગયા. આ વાતે અમને વિચારતા કરી મૂક્યા છે. ઉંદરનું શરીર માનવશરીરની જેમ જ પ્રતિક્રિયા આપે છે કે નહીં?”

વિજ્ઞાનીઓ માનતા હતા કે માણસ અને ઉંદર પર થતા પ્રયોગો પછીની પ્રક્રિયામાં કંઈક તો સામ્યતા જોવા મળશે. પરંતુ વિવિધ ડેટાનું વિશ્લેષણ કરાયું ત્યારે કોઈ સામ્યતા જોવા ન મળતા સંશોધકો ચોંકી ગયા હતા. આ બધા પ્રયોગો પછી માલુમ પડ્યું કે, ઉંદરો પર આ બધી જ દવાઓની કોઈ અસર થતી નથી. આ ઉપરાંત ઉંદર પર કામ કરી ગયેલી દવાએ તેના જનીનને નિષ્ક્રિય કરી દીધા હતા, પરંતુ આ જ દવાનો માણસ પર ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે. ડૉ. એચ. શૉ વૉરેન કહે છે કે, આશ્ચર્યની વાત તો એ છે કે સેપ્સિસ, બર્ન્સ અને ટ્રોમાની દવાઓનો ઉંદરો પર પ્રયોગ કર્યો ત્યારે દરેક વખતે જુદા જુદા જનીન જૂથોનો ઉપયોગ થતો હતો. જોકે, માણસમાં ત્રણેય પ્રકારના રોગમાં એક જ પ્રકારના જનીનોનો ઉપયોગ થતો હતો.  એનો અર્થ એ થયો કે, જો કોઈ સંશોધક આમાંના એક રોગને કાબૂમાં રાખતી દવા શોધે તો તે આ ત્રણેય રોગમાં અકસીર સાબિત થાય.

ટૂંકમાં આ સંશોધન પેપરનો સાર એ છે કે, કોઈ દવાનો પ્રયોગ કરતી વખતે માણસ અને ઉંદરનું શરીર એક સરખો જનીનિક પ્રતિભાવ (જિનેટિક રિસ્પોન્સ) નથી આપતું. આ શોધથી વિશ્વભરમાં થતા ઉંદરો પરના પ્રયોગોની શૈલીમાં ક્રાંતિકારી ફેરફાર કરવા પડી શકે છે. સ્વાભાવિક રીતે જ આ શોધથી અનેક વિજ્ઞાનીઓએ પોતાની થિયરીને નવેસરથી રજૂ કરવાની જરૂર પડી શકે છે. આમ તો, ઉંદર અને માણસના શરીરની સરખામણી થઈ શકે કે નહીં એ મુદ્દો ઘણીવાર ચર્ચામાં આવી ચૂક્યો છે. કોઈ બેક્ટેરિયલ ઈન્ફેક્શનની મદદથી ઉંદરને મારવો અઘરો છે. માણસની સરખામણીમાં ઉંદરને મારવા માટે લાખો ગણા વધારે બેક્ટેરિયાની જરૂર પડે છે.

ડૉ. ડેવિસ કહે છે કે, “ઉંદર કચરો અને સડી ગયેલી ચીજવસ્તુઓ ખાઈ શકે છે. પરંતુ માણસ નહીં. કારણ કે, આપણે ખૂબ સંવેદનશીલ છીએ.પરંતુ હવે સંશોધકો કહે છે કે, જો તેઓ એવું શોધી શકે કે, ઉંદરોમાં આટલી રોગપ્રતિકારક કેવી રીતે હોય છે, તો આ શોધનો ઉપયોગ વિજ્ઞાનીઓ માણસની રોગપ્રતિકારક શક્તિ વધારવા કરી શકે એમ છે.

સંશોધન પેપરને ફગાવી દેવાયું

આ સંશોધન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓએ વધુને વધુ સંશોધકો સુધી આ સંશોધન પહોંચાડવા સાયન્સ એન્ડ નેચરનામના વિશ્વ પ્રતિષ્ઠિત જર્નલનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ સંશોધન પેપરને સતત બે વાર ફગાવી દેવાયું હતું. આ સંશોધનથી સ્વાભાવિક રીતે જ વિશ્વભરના વિજ્ઞાનજગતમાં ભૂકંપ સર્જાયો છે. આટલા મહત્ત્વના સંશોધનને ફગાવી દેવા અંગે સાયન્સ એન્ડ નેચરના સત્તાધારીઓએ એમ કહીને સંતોષ માની લીધો છે કે, “નકારી કાઢેલા સંશોધન પેપરો વિશે કોઈ ટિપ્પણી નહીં કરવાની અમારી નીતિ છે.જોકે, ‘સાયન્સ એન્ડ નેચરજર્નલના રિસર્ચ રાઈટર જિન્જર પિનહોલસ્ટર કહે છે કે, “દર વર્ષે અમને 13 હજાર જેટલા પેપર મળે છે, પરંતુ જર્નલ ફક્ત સાતેક ટકા પેપર્સ જ સ્વીકારી શકે છે. તેથી કોઈ પેપરનો અસ્વીકાર થયો હોય તો તે બહુ મોટી વાત નથી.

જોકે, ડૉ. ડેવિસ કહે છે કે, એક પણ સમીક્ષકે અમારી કોઈ વૈજ્ઞાનિક ભૂલ દર્શાવી ન હતી. તેમનું કહેવું ફક્ત એટલું જ હતું કે, “આ ખોટું હોઈ શકે છે. અમે નથી જાણતા કે, તે ખોટું કેવી રીતે હોઈ શકે, પરંતુ તે ખોટું હોઈ શકે છે.છેવટે સંશોધકોએ નેશનલ એકેડેમી ઓફ સાયન્સની વાટ પકડી અને ડૉ. ડેવિસે તેમના સંશોધનની સમીક્ષા કરવાનું સૂચન કર્યું. તેઓ કહે છે કે, “જો તેમને આ પસંદ ના પડે, તો હું એટલું જ જાણવા માગતો હતો કે કેમ? જોકે, આ જર્નલના એડિટોરિયલ બોર્ડે અમારું પેપર છાપવાનો નિર્ણય લીધો હતો.’’

No comments:

Post a Comment