18 April, 2016

વ્હાઈટ ટાઈગર, સફેદ જૂઠ


રાજકારણીઓ રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા પ્રજાને કેવી રીતે ઉલ્લુ બનાવતા હોય છે અને મીડિયા પણ એ વાતોમાં કેવી રીતે આવી જતું હોય છે એનું વધુ એક તાજું ઉદાહરણ ત્રીજી એપ્રિલે જોવા મળ્યું. એ દિવસે દેશભરના મીડિયામાં 'મધ્યપ્રદેશમાં દેશનો પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક ખૂલ્લો મૂકાયો' કંઈક એવા મથાળા સાથેના સમાચારો છપાયા અને બતાવાયા. મધ્યપ્રદેશ સરકારના દાવા પ્રમાણે, સતના જિલ્લાના મુકુંદપુરમાં દેશનો પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક ખૂલ્લો મૂકાયો છે. એ વખતે કેટલાકને સવાલ થયો હશે કે, જો મુકુંદપુર પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક છે તો તેનાથી ૧૮ કલાકના અંતરે આવેલો ઓરિસ્સાનો નંદનકાનન વ્હાઈટ ટાઈગર નેશનલ પાર્ક શું છે એકરમાં પથરાયેલો ઓરિસ્સાનો નંદનકાનન ઝુલોજિકલ પાર્ક એક વિશિષ્ટ પ્રકારનું ઝૂ છે, જેની સાથે બોટનિકલ ગાર્ડન પણ જોડાયેલો છે અને તેનો અમુક હિસ્સો નેશનલ પાર્ક જાહેર કરાયો છે. હાલ આ ઝૂ તેમજ જંગલમાં ૪થી પણ વધારે સફેદ વાઘ છે. આ પાર્ક હજુયે ચાલુ છે. વર્ષેદહાડે વીસ લાખ લોકો આ પાર્કની મુલાકાત લે છે અને વ્હાઈટ ટાઈગર સફારીની પણ મજા માણે છે. ઓરિસ્સા પ્રવાસન વિભાગ પ્રવાસીઓને આકર્ષવા વર્ષોથી નંદનકાનન વ્હાઈટ ટાઈગર સફારી પાર્કની જાહેરખબરો કરે છે. તો પછી મધ્યપ્રદેશે આવો દાવો કેમ કર્યોતમને જાણીને નવાઈ લાગશે કે, ફક્ત રાજકારણીઓએ અંગત મહત્ત્વાકાંક્ષા સંતોષવા મુકુંદપુરને દેશનો પહેલો વ્હાઈટ સફારી પાર્ક બનાવી દીધો છે!

મધ્યપ્રદેશમાં વ્હાઈટ સફારી ટાઈગર પાર્ક ઊભો કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા જનસંપર્ક મંત્રી રાજેન્દ્ર શુક્લએ નિભાવી છે એવો 'સ્ક્રોલ' વેબસાઈટના અહેવાલમાં દાવો કરાયો છે. તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના વિશ્વાસુ મંત્રી છે. શુક્લને મધ્યપ્રદેશમાં વ્હાઈટ સફારી ટાઈગર પાર્ક ઊભો કરવામાં કેમ રસ પડયો એ વિગતે સમજીએ. મુકુંદપુરના ૨૫ હેક્ટર જંગલ વિસ્તારમાં સફેદ વાઘને વસાવવાના વિચાર સાથે મધ્યપ્રદેશ સરકારે ફેબ્રુઆરી ૨૦૧૨માં જ આ સૂચિત પાર્કનો પાયો નાંખ્યો હતો. એ પછી મધ્યપ્રદેશ જંગલ વિભાગે ઓરિસ્સાના નંદનકાનન ઝુલોજિકલ પાર્ક પાસે સફેદ વાઘ માગ્યા, પરંતુ ઓરિસ્સા સરકારે સફેદ વાઘ આપવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. છેવટે મુખ્યમંત્રી શિવરાજસિંહે ઓરિસ્સાના મુખ્યમંત્રી  નવીન પટનાયક પાસે લેખિતમાં સફેદ વાઘની માગ કરી. એ માગ પણ ફગાવી દેવાઈ. બીજી બાજુ, મધ્યપ્રદેશ મંત્રીમંડળના સભ્ય રાજેન્દ્ર શુક્લ કોઈ પણ ભોગે મધ્યપ્રદેશનું ગૌરવ પાછું અપાવવા માગતા હતા. શુક્લની આ માનસિકતાનું કારણ એ છે કે, તેમનો જન્મ રેવામાં થયો છે.

નંદનકાનન નેશનલ પાર્ક

મધ્યપ્રદેશ રેવા, ભોપાલ, ઈન્દોર, જબલપુર એમ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલું છે. આ દરેક વિભાગને જુદા જુદા જુદા જિલ્લામાં વહેંચી દેવાયા છે. જેમ કે, રેવા વિભાગના ચાર જિલ્લા છે- રેવા, સતના, સીધી અને સિંગરોલી. આ સમગ્ર રેવા પ્રદેશમાં એકાદ સદી પહેલાં સફેદ વાઘ વિચરતા હતા, જે સમયાંતરે નામશેષ થઈ ગયા અને રેવાની એ ગૌરવવંતી ઓળખ ભૂંસાઈ ગઈ. જોકે, પાડોશી રાજ્ય ઓરિસ્સામાં સફેદ વાઘ હતા એટલે શુક્લ જેવા અનેક 'પ્રદેશપ્રેમી' નેતાઓ દૃઢપણે માનતા હતા કે, રેવામાં પણ સફેદ વાઘ હોવા જ જોઈએ! મુકુંદપુર વ્હાઈટ ટાઈગર સફારી પાર્કનો પાયો નંખાયો ત્યારથી મધ્યપ્રદેશ સરકાર સફેદ વાઘ માટે ફાંફા મારતી હતી. છેવટે શિવરાજસિંહ ચૌહાણ અને રાજેન્દ્ર શુક્લની મહત્ત્વાકાંક્ષા 'ભાજપના ભાઇચારા'થી સંતોષાઈ.

ઓરિસ્સા સફેદ વાઘ આપવા ટસનું મસ થતું નહોતું એટલે મધ્યપ્રદેશે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ તરફ નજર દોડાવી. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. મધ્યપ્રદેશે આ રાજ્યો પાસે સફેદ વાઘ માગ્યા. આ વર્ષે મહારાષ્ટ્રે તેના ઔરંગાબાદ ઝૂમાંથી બે સફેદ વાઘ મધ્યપ્રદેશને સોંપ્યા અને ગયા વર્ષે ભીલાઈ સ્થિત મૈત્રીબાગ ઝૂમાંથી છત્તીસગઢે પણ મધ્યપ્રદેશને બે સફેદ વાઘ આપ્યા. હવે મુકુંદગઢના ૨૫ હેક્ટર વિસ્તારમાં ચાર સફેદ વાઘ વિચરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુકુંદપુરમાં આવી રીતે 'દેશનો સૌથી પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક' ખૂલ્લો મૂકાયો છે. આ પાર્ક ખૂલ્લો મૂકાયા પછી રાજેન્દ્ર શુક્લ હાથી પર બેસીને મુકુંદપુર સફારીની લટારે નીકળ્યા- એવા સ્થાનિક અખબારોમાં અહેવાલો છપાયા હતા.

મધ્યપ્રદેશ સરકારની સત્તાવાર વેબસાઈટ પર શુક્લના રસના વિષયોમાં 'ટ્રાવેલિંગ' નહીં પણ 'ટુરિઝમ'નો ઉલ્લેખ છે. આ લટાર માર્યા પછી તેમણે મીડિયાને કહ્યું હતું કે, અહીં વાઘ નથી દેખાતા એવી માન્યતા હવે ખોટી પડી રહી છે. હવે તો પ્રવાસીઓને પણ વાઘ દેખાવા લાગ્યા છે... ભારત દેશમાં આવું બધું કરીને પણ પ્રજાને ભોળવી શકાય છે અને મત ઉઘરાવી શકાય છે. આ ઘટનાની સૌથી રસપ્રદ વાત એ છે કે, મધ્યપ્રદેશે કરેલા દાવામાં આખો દેશ છેતરાઈ ગયો છે! દરેક નાની-મોટી વાતમાં ટ્વિટર પર ટ્રોલ કરતા હરખપદૂડાઓએ પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના આ ટ્વિટરિયા દાવા સામે સવાલો નહોતા કર્યા.

મધ્યપ્રદેશમાં સફેદ વાઘ લાવવાનો નિર્ણય સંપૂર્ણ રાજકીય છે એનો વધુ એક પુરાવો જોઈએ. બે વર્ષ પહેલાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ પણ મધ્યપ્રદેશ સરકારની મુકુંદપુરમાં સફેદ વાઘ વસાવવાની અરજી ફગાવી દીધી હતી કારણ કે, બીજા પ્રાણીઓની જેમ સફેદ વાઘનું સંવર્ધન કરી શકાતું નથી. ભારતના મોટા ભાગના વાઈલ્ડ લાઈફ નિષ્ણાતો સફેદ વાઘનું કૃત્રિમ ગર્ભાધાન કરાવીને તેનો ઉછેર કરવાના વિરોધી છે. સફેદ વાઘમાં એક જ પરિવારનું અંદરોદર કૃત્રિમ સમાગમ કરાવવાથી કિડનીની ખામી અને કરોડરજ્જુની જન્મજાત મુશ્કેલી ધરાવતા સફેદ વાઘ જન્મે છે. આ પ્રકારના વાઘ ફક્ત સુશોભનના નમૂના તરીકે સારા હોય છે. અમેરિકામાં દાયકાઓથી વાઈલ્ડ લાઈફ બ્રિડર સફેદ વાઘનું સંવર્ધન કરાતું હતું. એ લોકોનો એકમાત્ર હેતુ સફેદ વાઘ વેચીને પૈસા કમાવવાનો હતો. જોકે, અમેરિકન ઝુલોજિકલ એસોસિયેશને વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવીને તારણ કાઢ્યું છે કે, સફેદ વાઘનું કૃત્રિમ રીતે સંવર્ધન કરવાથી તેમનામાં વિકૃતિ આવે છે અને જેમ જેમ કૃત્રિમ રીતે તેમની સંખ્યા વધારીએ છીએ એમ તેઓ નબળા પડતા જાય છે. આ કારણસર વર્ષ ૨૦૦૮થી અમેરિકાએ પણ સફેદ વાઘના સંવર્ધન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જોકે, ભારતમાં સૌથી પહેલાં સફેદ વાઘનો જન્મ કુદરતી રીતે થયો હતો. ડિસેમ્બર ૧૯૧૫માં રેવાના મહારાજા ગુલાબ સિંહને બે વર્ષનો સફેદ બાળ વાઘ મળ્યો હતો, જેને મહારાજાએ પાંચ વર્ષ સુધી મહેલમાં ઉછેર્યો. આ વાઘના મૃત્યુ પછી મહારાજાએ બ્રિટીશ રાજ પ્રત્યેની વફાદારીની પ્રતીકાત્મક ભેટ તરીકે તેનું મમી ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાને મોકલ્યું હતું. એ ઘટનાના ૩૬ વર્ષ પછી મહારાજા ગુલાબસિંહના પુત્ર માર્તંડસિંહ જુદેવે ૨૭મી મે, ૧૯૫૧ના રોજ એક સફેદ વાઘ પકડ્યો. એ વાઘને મહારાજાએ 'મોહન' નામ આપ્યું હતું. આજેય દેશભરમાં અનેક લોકો પહેલો સફેદ વાઘ મોહન હોવાનું માને છે પણ એ ભૂલ છે. અત્યારના બધા જ રોયલ બેંગાલ વ્હાઈટ ટાઈગરનો 'પિતા' મોહન હોવાથી એ ગેરસમજ થઇ હોઇ શકે છે. મોહનનો રાધા નામની વાઘણ સાથે સમાગમ કરાવાયો એ પછી ૩૦મી ઓક્ટોબર, ૧૯૫૮ના રોજ ચાર સફેદ વાઘનો જન્મ થયો હતો.

નિષ્ણાતોનો દાવો છે કે, એક સમયે ભારતમાં કુદરતી રીતે જન્મેલા સફેદ વાઘની ઘણી વસતી હશે કારણ કે, વર્ષ ૧૯૨૦થી ૧૯૩૦ વચ્ચે ફક્ત બિહારમાં જ ૧૫ સફેદ વાઘનો શિકાર કરાયો હતો. આ તો બહુ જૂની વાત થઈ. એ પછી વર્ષ ૧૯૮૦માં ઓરિસ્સાના નંદનકાનન ઝુલોજિકલ પાર્કમાં ત્રણ સફેદ વાઘ જન્મ્યા હતા. આ ત્રણેય સફેદ વાઘના પિતા દીપક અને માતા ગંગા કેસરી વાઘ હતા. આપણે જેને બેંગાલ ટાઈગર તરીકે ઓળખીએ છીએ એ પ્રજાતિના વાઘમાં ફિયોમેલેનિન નામના રંગદ્રવ્યની ઉણપ હોય ત્યારે સફેદ વાઘ જન્મે છે. (અહીં રોયલ બેંગાલ વ્હાઈટ ટાઈગરની વાત થઈ રહી છે, પણ એ સિવાયની પ્રજાતિમાં પણ સફેદ વાઘ જોવા મળે છે.) એટલે કે, સફેદ વાઘ એ કોઈ અલગ પ્રજાતિ નહીં પણ કુદરતી ખામીથી જન્મેલા વાઘ છે. માતા-પિતાના જનીનિક કોડમાં ખાસ પ્રકારનું મેચિંગ થાય ત્યારે ભ્રૂણમાં એ રંગદ્રવ્યની ખામી સર્જાય છે અને સફેદ વાઘ જન્મે છે. આશરે દસ હજારે માંડ એકવાર આવો કિસ્સો જોવા મળે છે.

ખેર, ઓરિસ્સાના પ્રવાસન ઉદ્યોગમાં નંદનકાનનના સફેદ વાઘ ઘણાં મહત્ત્વના છે. શું આ વાતથી મધ્યપ્રદેશ સરકાર કે તેના જંગલ વિભાગના અધિકારીઓ અજાણ હોઈ શકેઆ સફેદ જૂઠ માટે શિવરાજસિંહ ચૌહાણ સરકારને ખરેખર દાદ આપવી પડે!

No comments:

Post a Comment