15 July, 2015

સંજય ગાંધીની બાયોપિકઃ મંજિલ બહોત દૂર હૈ...


ભારતમાં દર વર્ષે સરેરાશ ૭૦૦ ફિલ્મો બનતી હોવા છતાં ફિલ્મની વાર્તા અને પટકથામાં વૈવિધ્યતાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. વિશ્વના કોઈ દેશમાં ભારતમાં બને છે એટલી ફિલ્મો બનતી નથી એ વાત સાચી પણ આપણી નેવું ટકાથી પણ વધુ ફિલ્મોની ગુણવત્તાનો પારો કંગાળજનક રીતે નીચો હોય છે. ભારતીય ફિલ્મોની વાર્તા-પટકથા પણ બીબાંઢાળ હોય છે. જેમ કે, ભારતમાં રોમાન્સ, એક્શન, ક્રાઈમ કે કોમેડી જોનરની ફિલ્મો વધારે બને છે અને એ બધીની વાર્તા 'લગભગ એકસરખી' હોય છે. જોકે છેલ્લાં ઘણાં સમયથી નવા જોનરની ફિલ્મો આવી રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આવો જ એક પ્રકાર છે, બાયોપિકનો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ નેવુંના દાયકાથી ઢગલાબંધ બાયોપિક બની છે અને દર્શકોએ તેને પસંદ પણ કરી છે.

હવે જાણીતા ફિલ્મ ડિરેક્ટર હંસલ મહેતાએ સંજય ગાંધીની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. સંજય ગાંધીના જીવનકવન પરથી બની રહેલી ફિલ્મને પબ્લિસિટીનો ખર્ચ કર્યા વિના પબ્લિસિટી ના મળે તો જ નવાઈ. આ ફિલ્મની જાહેરાત થતાં જ તેની ભરપૂર ચર્ચા થઈ રહી છે જેના અનેક કારણો છે. સંજય ગાંધી ભારતીય રાજકારણના સૌથી વિવાદાસ્પદ નેતાઓમાંના એક છે અને ગાંધી પરિવારના ફરજંદ છે. સંજય ગાંધીની બાયોપિકની દૃષ્ટિએ વિચારીએ તો સંજય ગાંધી નહેરુના દોહિત્ર (પુત્રીનો દીકરો) છે એના કરતા પણ વધારે વજનદાર વાત એ છે કે, તેઓ ઈન્દિરા ગાંધીના પુત્ર છે. ઈન્દિરા ગાંધી કટોકટીના કલંકિત ઈતિહાસના 'સ્ટાર' છે, તો તેમના પુત્ર સંજય ગાંધી 'સુપર સ્ટાર' છે. એવું કહેવાય છે કે, જેમનાથી ભલભલા ગભરાતા હતા એવા 'મર્દ' વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પણ પુત્ર સંજય ગાંધીના કાબૂમાં હતા. કટોકટીકાળમાં 'વોશિંગ્ટન પોસ્ટ'ના પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા પત્રકાર લુઈસ એમ. સિમોન્સે એક ન્યૂઝ સ્ટોરીમાં દાવો કર્યો હતો કે, કટોકટી લાદવામાં આવી એ પહેલાં એક પ્રાઈવેટ ડિનર પાર્ટીમાં સંજય ગાંધીએ ઈન્દિરા ગાંધીને છ લાફા માર્યા હતા. માતા વડાપ્રધાન હતા ત્યારે સંજય ગાંધીએ કોંગ્રેસના કેટલાક લુચ્ચા નેતાઓની મંડળી ઊભી કરીને 'સમાંતર સરકાર' ઊભી કરી દીધી હતી. મોટા ભાગે સફેદ કુર્તા પાયજામામાં સજ્જ સંજય ગાંધી તેમના જમાનાના 'રંગીન' નેતા તરીકેની પણ છાપ ધરાવતા હતા. ભારતના રાજકીય ઈતિહાસમાં કટોકટી ભલે 'કલંક’ હોય પણ એ વખતે અનેક લોકો સંજય ગાંધીને સન્માનની લાગણીથી 'એન્ગ્રી યંગ મેન' કહીને બિરદાવતા હતા. કટોકટીના તરફદારોનું માનવું હતું કે, ભારતીય લોકશાહીને સંજય ગાંધી જેવા નેતાની જ જરૂર છે.

સંજય ગાંધી અને ઈન્દિરા ગાંધી


આમ કોઈ પણ બાયોપિકને સફળ થવા માટે જે કોઈ મરીમસાલો જોઈએ એ સંજય ગાંધીના જીવનમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. વળી, સંજય ગાંધીની બાયોપિક બનાવવાની જાહેરાત 'શાહિદ' જેવી ઉત્તમ ફિલ્મ બનાવનારા ફિલ્મ દિગ્દર્શક હંસલ મહેતાએ કરી છે. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. સંજય ગાંધીની સંભવિત બાયોપિકનું બીજું એક મજબૂત પાસું એ છે કે, આ ફિલ્મ સ્વર્ગસ્થ પત્રકાર વિનોદ મહેતાના લખાણો અને તેમણે જ લખેલી સ્ક્રિપ્ટના આધારે બનવાની છે. સંજય ગાંધીનું જીવનકવન જોતાં એવું લાગે છે કે, બસ હવે આ વાર્તાને સ્ક્રીન પ્લે કરવાની જ જરૂર છે.

જોકે, સંજય ગાંધીની બાયોપિકની જાહેરાત થઈ ત્યારે સૌથી મહત્ત્વના પ્રશ્નો એ છે કે, શું ભારતમાં સંજય ગાંધીની બાયોપિક બનાવવી શક્ય છે? અને આ ફિલ્મ બન્યા પછી ભારતમાં તેની રિલીઝ શક્ય છે? આ પહેલાં ફિલ્મ ડિરેક્ટર મનીષ ગુપ્તાએ પણ વિદ્યા બાલનને લઈને ઈન્દિરા ગાંધીની બાયોપિક બનાવવાનું આયોજન કર્યું હતું. એવું કહેવાય છે કે, ગાંધી પરિવારે કેટલીક શરતો સાથે આ ફિલ્મ બનાવવાની 'મંજૂરી' આપી દીધી છે. આવી શરતી મંજૂરી મળ્યા પછી તટસ્થ ફિલ્મ બનાવવી અઘરી હોય છે. આ પહેલાં રામગોપાલ વર્માએ 'સરકાર' ફિલ્મ રિલીઝ કરતા પહેલાં બાળ ઠાકરેને બતાવવી પડી હતી. સદ્નસીબે તેમણે કોઈ કાપકૂપ વિના આ ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. સંજય ગાંધીની બાયોપિકનો મામલો આટલો સહેલાઈથી પાર પડે એવી શક્યતા નહીંવત છે. સંજય ગાંધીની લાઈફ સ્ટાઈલ અને રાજકીય તાણાવાણા એટલા બધા વિવાદાસ્પદ અને ગૂઢ છે કે, તેમના કરતા ઈન્દિરા ગાંધીની બાયોપિક બનાવવી પ્રમાણમાં સરળ છે. સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી નરેન્દ્ર મોદીની સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, જ્યારે તેમના પુત્ર ઉત્તરપ્રદેશના સુલતાનપુર મતવિસ્તારમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સાંસદ છે. આ પ્રકારના રાજકીય જોડાણોથી ફિલ્મની વાર્તા પ્રભાવિત ના થાય એ અશક્ય છે.

ભારતીયો તેમના નેતાઓને દેવદૂતનું સ્થાન આપે છે અથવા તો તેમને રાક્ષસ સમજે છે અને એટલે જ ભારતમાં રાજકીય હસ્તીની બાયોપિક બનાવવી ખૂબ અઘરી છે. રાજકીય પક્ષો પણ પોતાના નેતા માણસ છે અને ભૂલ માણસ જ કરી શકે એવું સ્વીકારી શકતા નથી. ફિલ્મ બનાવવાની જાહેરાત થાય ત્યારે 'મંજૂરી' ના લીધી હોય તો જે તે હસ્તીના પરિવારજનો ફિલ્મ દિગ્દર્શક અને કલાકારો સહિતના લોકોને અદાલતોમાં ઢસડી જાય એવી પૂરેપૂરી શક્યતા હોય છે. સિનેમાઘરોને રિલીઝ બદલ તોડફોડની ધમકીઓ મળે છે. જો ફિલ્મ રિલીઝ થઈ જાય પણ રાજકીય પક્ષોને વાંધો હોય તો ફિલ્મ જોવા સિનેમાઘરોમાં જવું જોખમી થઈ જાય છે કારણ કે, લોકપ્રિય નેતાનું અપમાન કરવા બદલ રાજકીય પક્ષોના કાર્યકરો ટોળાશાહી પર ઉતરી આવે છે. આ સંજોગોમાં રાજકીય વ્યક્તિના જીવન પરથી 'સારી' ફિલ્મ બનાવીને તેને રિલીઝ કરવામાં સાત કોઠા ભેદવા જેવો ઘાટ સર્જાય છે. ‘લાઈફ ઈન અ મેટ્રો’ અને ‘બરફી’ જેવી સુંદર ફિલ્મો બનાવનારા અનુરાગ બાસુ છેલ્લાં બે વર્ષથી કિશોર કુમારની બાયોપિકનું શૂટિંગ શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે. કિશોર કુમારના પરિવારજનોને પણ આ ફિલ્મ સામે વાંધો હતો. જોકે, તેમને તો બાસુએ મનાવી લીધા છે પણ હવે કિશોર કુમારના પરિવારજનોને ફિલ્મ પસંદ પડે એવી રીતે તેની સ્ક્રીપ્ટ પર કામ કરવું અઘરું થઈ ગયું છે. જો કિશોર કુમાર જેવા 'સીધાસાદા અને ફિલ્મી' વ્યક્તિ પર ફિલ્મ બનાવવી અઘરી હોય તો રાજકીય હસ્તી પર ફિલ્મ બનાવવી કેટલી અઘરી હોય એ સમજી શકાય એમ છે.

આ પહેલાં ફિલ્મ દિગ્દર્શક જબ્બાર પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા પ્રમાણમાં 'અઘરા' કહી શકાય એવા વિષય પર ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં ગાંધીના પાત્રને લઈને વિવાદ થવો સ્વાભાવિક હતો. આ અંગે પટેલે કહ્યું હતું કે, “મેં આંબેડકર પર ફિલ્મ બનાવી છે. ગાંધી કે મહાત્મા પર નહીં. તેઓ દરેક કામ પોતાની રીતે કરતા હતા અને આંબેડકર એવું નહોતા કરતા. આપણે આ મુદ્દે સ્વસ્થ ચર્ચા કરવી જોઈએ...”  જોકે, આપણે દરેક રાજકીય વ્યક્તિત્વોનું સ્વતંત્ર મૂલ્યાંકન નથી કરી શકતા અને એટલે જ કદાચ ‘સાચા ઈતિહાસ’થી પણ મહદ્અંશે અજાણ રહી ગયા છીએ. શ્યામ બેનેગલ જેવા ધુરંધર ફિલ્મ દિગ્દર્શકે ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ ધ ફોરગોટન હીરો’ ફિલ્મમાં નેતાજીનું વર્ષ ૧૯૪૫માં પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું (કે નહોતું થયું) એ વિવાદથી જ દૂર રહેવાનું પસંદ કર્યું હતું. આ ફિલ્મ સાવચેતીપૂર્વક બનાવાઈ હોવા છતાં કેટલાક સંશોધકોએ ફિલ્મ સામે અદાલતમાં કેસ કર્યો છે કારણ કે, ફિલ્મમાં નેતાજીને ઓસ્ટ્રિયન યુવતી એમિલી શેન્કલ સાથે પરણ્યા હોવાનું બતાવાયું છે. સંશોધકોનો દાવો છે કે, નેતાજીએ તેમની સેક્રેટરી એમિલી સાથે લગ્ન નહોતા કર્યા એના અમારી પાસે પુરાવા છે. આમ, ઐતિહાસિક તથ્યોના મતભેદોના કારણે પણ બાયોપિક બનાવવામાં વિવાદોને આમંત્રણ મળે છે.

આવા કારણોસર જ આપણે ત્યાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બાયોપિક બની છે. છેક વર્ષ ૧૯૩૩માં પુરન ભગત’, ૧૯૩૬માં સંત તુકારામઅને ૧૯૪૬માં ડૉ. કોટનીસ કી અમર કહાનીજેવી બાયોપિક બની હતી. ભારતમાં સંતોના જીવન પરથી ફિલ્મ બનાવવી સરળ છે અને આર્થિક રીતે પણ ફાયદાકારક છે કારણ કે, એમાં જે તે વ્યક્તિની ‘આરતી’ ઉતારવાની હોય છે અને ધર્મભીરુ દર્શકોની પણ કોઈ કમી નથી હોતી. ખેર, આવી કેટલીક ફિલ્મો પછી વર્ષ ૧૯૬૫માં ભગતસિંહના જીવન પર આધારિત મનોજકુમાર અભિનિત શહીદઆવી. વર્ષ ૧૯૮૨માં બહુચર્ચિત ગાંધી રિલીઝ થઈ અને ત્યાર પછી અનેક વર્ષો સુધી બાયોપિકનો લગભગ શૂન્યાવકાશ સર્જાયો. જોકે, નેવુંના દાયકાથી ફરી એકવાર બાયોપિક બનવાનો દોર શરૂ થયો અને વર્ષ ૧૯૯૩માં સરદારઅને ૧૯૪૪માં બેન્ડિટ ક્વિનજેવી ઉત્તમ બાયોપિક આપણને માણવા મળી. એ પછી ઝુબૈદા (ઝુબૈદા બેગમ), વીર સાવરકર, ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ, મંગલ પાંડે : ધ રાઈઝિંગ, ગુરુ (ધીરુભાઈ અંબાણી), રંગરસિયા (રાજા રવિ વર્મા), જોધા અકબર, ડર્ટી પિક્ચર (સિલ્ક સ્મિતા), શાહીદ (શાહીદ આઝમી), પાન સિંઘ તોમર, ભાગ મિલ્ખા ભાગ અને મેરી કોમ જેવી અનેક બાયોપિક આવી. ટૂંક સમયમાં આમિરખાનની દંગલ’ અને સોનમ કપૂરની નીરજા ભનોતએમ બે બાયોપિક પણ આવી રહી છે.

જો ભારતીય દર્શકોએ રાજકીય હસ્તીઓની ઉત્તમ બાયોપિક માણવી હશે તો બાયોપિક અને પૌરાણિકફિલ્મો વચ્ચેનો ભેદ સમજવો પડશે કારણ કે, બાયોપિકમાં રાજકીય વ્યક્તિત્વોને ‘સંત’ તરીકે ચીતરી ના શકાય. જો એવું કરવામાં આવે તો એ ફિલ્મ નહીં ‘આરતી’ થઈ જાય એવી સીધીસાદી સમજ ભારતીય દર્શકોએ કેળવવી પડશે. 

No comments:

Post a Comment