05 June, 2018

નીચા નગરઃ ભારતીય સિનેમાની ભૂલાયેલી ક્લાસિક


ભારતમાંથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થયેલી પહેલી જ ફિલ્મ 'નીચા નગર' (૧૯૪૬)ને સૌથી મોટો 'ગોલ્ડન પામ' એવોર્ડ મળ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી ભારતની એક પણ ફિલ્મને 'નીચા નગર' જેવું સન્માન મળ્યું નથી. બિમલ રોયની 'દો બીઘા જમીન' અને સત્યજિત રેની 'પાથેર પાંચાલી' પણ આ સન્માન મેળવી શકી ન હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, ‘નીચા નગરચેતન આનંદ જેવા નવાસવા ફિલ્મમેકરની પહેલી જ ફિલ્મ હતી.

ગયા અઠવાડિયે આ કોલમમાં આપણે ચેતન આનંદ વિશે વાત કરી. આજે 'નીચા નગર'ની વાત.
***
 
રશિયન સાહિત્યકાર મેક્સિમ ગોર્કીના ૧૯૦૨માં લખાયેલા 'લૉઅર ડેપ્થ' નાટકની ક્લાસિકમાં ગણના થાય છે. આ નાટક વાંચતી વખતે પાત્રોને લઈને થોડી મૂંઝવણ થઈ શકે. નાટકમાં ખાસ કોઈ પ્લોટ પણ નહીં, સીધેસીધી વાત આગળ વધ્યા કરે અને છતાં વાચક એકવાર વાંચવાનું ચાલુ કરે પછી તેમાં ખૂંપી જાય અને બીજી વાર વાંચવા મજબૂર થાય. આ નાટક પરથી આઠેક ફિલ્મો બની, જેમાં
જાપાનના ધુરંધફિલ્મસર્જક અકીરા કુરોસાવાની 'ડોન્ઝોકો' અને ચેતન આનંદની 'નીચા નગર' પણ સામેલ છે. ચેતન આનંદે યુવાનીના દિવસો ઉત્તરાખંડમાં વીતાવ્યા હતા. કદાચ એટલે 'નીચા નગર'માં પણ ઉત્તરાખંડ જેવો જ કુદરતી માહોલ છે.

‘નીચા નગર’નું પોસ્ટર 

નીચા નગર નામ પ્રમાણે જ પર્વતની તળેટીમાં આવેલું ગામ છે, જ્યાં ખેતી-મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. એવી જ રીતે, ધનવાનો પર્વત પર આવેલા ઊંચા નગરના સુંદર અને ભવ્ય ઘરોમાં રહે છે. ફિલ્મમાં ઘણાં બધા પાત્રોની ભૂમિકા મહત્ત્વની છે. કોઈ એક જ પાત્ર પર ફોકસ નથી પણ અનેક પાત્રોના આધારે લાલચ, ભ્રષ્ટાચાર, પ્રેમ, મૂંઝવણ અને લાચારી જેવા માનવીય પાસાંની વાત કરતા કરતા ફિલ્મ આગળ વધે છે. નીચા નગરમાં રૂપા (કામિની કૌશલ) નામની યુવતી રહેતી હોય છે, જે તેના જ ગામમાં રહેતા સાગર (એસ.પી.ભાટિયા)ને ચાહે છે. રૂપાનો ભાઈ બલરાજ (રફીક અનવર) નીચા નગરનો આગળ પડતો છોકરો છે. બલરાજનું પાત્ર ખાસ છે કારણ કે, એ ભૂમિકા પહેલાં બલરાજ સાહનીને ઑફર થઇ હતી. એવું કહેવાય છે કે, 'નીચા નગર'ના લેખક હાયાતુલ્લાહ અન્સારીએ બલરાજ સાહનીને ધ્યાનમાં રાખીને જ 'બલરાજ'નું પાત્ર લખ્યું હતું.

રૂપા અને બલરાજના મોટા ભાઈની પત્નીની ભૂમિકામાં છે, ઝોહરા સેહગલ. ફિલ્મમાં તે ફક્ત 'ભાભી' તરીકે ઓળખાય છે. નીચા નગરથી દૂર પર્વત પર 'ઊંચા નગર'માં રફી પીર પોતાના પરિવાર સાથે રહે છે. રફી પીરને 'સરકાર' નામ અપાયું છે. આ નામ બ્રિટીશ રાજની શોષણખોર નીતિ પર પણ પ્રહાર કરે છે. સરકારની પુત્રી માયા (ઉમા આનંદ) કોલેજિયન છે. બલરાજ પણ માયાની જ કોલેજમાં છે, અને, તેઓ બંને એકબીજાને પસંદ કરે છે.
બલરાજ (રફીક અનવર) અને માયા (ઉમા આનંદ)

નીચા નગરની કમનસીબી એ હોય છે કે, તે પ્રાઈમ લોકેશન પર આવેલું છે. એ જમીન પર સરકાર મહાકાય બિલ્ડિંગો બનાવીને તગડો નફો કરવા ઈચ્છતો હોય છે, પરંતુ ત્યાં રહેતા લોકો બીજે રહેવા જાય તો જ આ યોજના શક્ય બને. નીચા નગર નજીક ગંદા પાણીનું એક નાળું પણ ઊભરાતું હોય છે. જો એ વિસ્તાર સાફ થઇ જાય તો કોઇ પણ રિયલ એસ્ટેટ ડેવલપરને વિશાળ જમીનની લાલચ આપીને આ યોજનામાં ઝડપથી સામેલ કરી શકાય. એટલે લોભિયા અને ક્રૂર સરકારના શેતાની દિમાગમાં એક આઇડિયા આવે છે. ગંદકીથી ખદબદતું નાળું ખાલી કરવા તેને નીચા નગર તરફ વાળી દઇએ તો કેવું! એવું કરવાથી ત્યાં રહેતા લોકો બીજે જતા રહેશે અને બિલ્ડિંગ બનાવવાની યોજનાનો ઝડપથી અમલ થઇ શકશે. સરકાર આ આઈડિયાનો અમલ શરૂ કરે છે, અને, ફિલ્મ શરૂ થાય છે.

બલરાજ, રૂપા, સાગર અને હકીમ યાકૂબ ખાન ઉર્ફ ચાચા (હમીદ બટ) સહિતના થોડા ઘણાં લોકો સરકારને મળીને વિનંતી કરે છે કે, ગંદકીથી ખદબદતું નાળું 'નીચા નગર' તરફ આવશે તો અમારું જીવવું હરામ થઇ જશે. જોકે, સરકાર પોતાની યોજના સાથે બાંધછોડ કરવા તૈયાર નથી. ઊલટાનું તે ગ્રામજનો કહે છે કે, એ ગંદકીથી ભરેલું નાળું નથી, પરંતુ કેનાલ છે. એ કેનાલ જ નીચા નગરમાં સમૃદ્ધિ લાવશે, ખેતીને સિંચાઇનું પાણી મળશે અને ખેડૂતોના ઢોરોને પણ પીવાનું પાણી મળશે. ગ્રામજનો તો સરકારની આવી દલીલોથી જ હેબતાઇ જાય છે. સરકાર ગ્રામજનોની વાત સમજવા જ તૈયાર નથી અને મ્યુનિસિપાલિટી પણ સરકારના ઈશારે નાચે છે.


કામિની કૌશલ 

સરકાર સાથેની બેઠક પછી નીચા નગરના રહેવાસીઓ મૂંઝાઇ જાય છે પણ સાગર ખાસ કંઇ દુઃખી નથી. સાગર નીચા નગરમાં રહેતો આધુનિક યુવક છે. નીચા નગરના લોકો સીધાસાદા અને જમીન સાથે જોડાયેલા લોકો છે, જ્યારે સાગર પોતાને તેમનાથી અલગ સમજે છે. ગ્રામજનો સરકારને મળવા જાય છે એ પહેલાં એ વાત સરસ રીતે કહેવાઇ છે. જેમ કે, સરકારને મળવા જતી વખતે સાગર શૂઝ પોલિશ કરે છે અને કપડાં પરની કરચલીઓ પણ દૂર કરે છે. પહેલી મુલાકાતમાં સરકાર પણ સમજી જાય છે કે, આ બધા ગ્રામવાસીઓમાં ફક્ત સાગર જુદો છે. એટલે સરકાર સાગરને પ્રાઇવેટ મીટિંગ માટે તેડું મોકલે છે. સાગર પણ સરકારને ખુશી-ખુશી મળે છે. સરકાર સાગરને સીધી નોકરીની ઑફર કરે છે. મારા ત્યાં મહિને રૂ. ૩૦૦ના પગારે નોકરીએ આવી જા, પરંતુ નીચા નગરમાંથી કેનાલ પસાર કરાવવાની જવાબદારી તારી. એ પછી કોઈ દૃશ્ય બતાવાતું નથી, પરંતુ તેનો અર્થ સ્પષ્ટ હોય છે કે, હવે સાગર 'સરકારનો માણસ' છે.

છેવટે નીચા નગરમાં ગંદકીનો ઢેર ઠલવાય છે. એ દૃશ્ય જબરદસ્ત છે. નીચા નગર તરફ આવતી ભયાવહ્ ગંદકીના દૃશ્યમાં પાણીમાં તરતા મૃત પશુઓ, ગંદવાડમાંથી ઉઠતા પરપોટા અને નાળાના કિનારે લાઈનસર બેઠેલા ગીધડા પણ દેખાય છે. લોકોના ઘરોમાં ગંદુ પાણી ઘૂસી જાય છે. ગામમાં રોગચાળો ફાટી નીકળે છે. બાળકોની સ્થિતિ સૌથી બદતર હોય છે. નીચા નગરનું એક પ્રતિનિધિમંડળ સરકારને ફરી એકવાર મળવા જાય છે, પરંતુ તે કશું સાંભળવા તૈયાર નથી. નીચા નગરમાં સરકારની એક હોસ્પિટલ બંધાવે છે, જ્યાં બિમારોની બિલકુલ ફ્રીમાં સારવાર કરવાનો ઢંઢેરો પીટાય છે. આ દરમિયાન બલરાજ, રૂપા અને યાકૂબ ચાચા સરકાર સામે જુદી રીતે લડાઈ શરૂ કરે છે. તેઓ બિમારોની સારવાર માટે 'સેવા ઘર' રૂ કરે છે અને ગ્રામજનોને કહે છે કે, તમારે સરકારની હોસ્પિટલમાં જઇને તેના હાથા બનવાની જરૂર નથી.

સરકાર તરીકે રફી પીર 

આ દરમિયાન રૂપા અને બલરાજના મોટા ભાઈની પુત્રી બિમાર પડે છે. ત્યારે ભાભી (ઝોહરા સહેગલ) તેમની પુત્રીને સરકારની હોસ્પિટલમાં લઇ જવા દબાણ કરે છે. આ દૃશ્યમાં ગરીબોની લાચારી મજબૂત રીતે રજૂ કરાઇ છે. નીચા નગરના ગ્રામજનોને પૈસા અને સત્તાના જોરે મજબૂર કરી દેવાય છે. સખત મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ ગંદકીમાં જીવે છે કારણ કે, નીચા નગર છોડીને જવું હોય તો પણ જાય ક્યાં? એટલે ક્રૂર સરકાર બીજો હથકંડો અજમાવે છે. મ્યુનિસિપાલિટીમાં કહીને નીચા નગરના પીવાના પાણીના જોડાણો કપાવી દે છે. છેવટે બલરાજની આગેવાનીમાં ગ્રામજનો સરકાર સામે ક્રાંતિની મશાલ જલાવે છે. પિતા (સરકાર) અને પ્રેમી (બલરાજ)ના ઝગડામાં પીડા અનુભવતી માયા પણ આ આંદોલનમાં જોડાય છે.

બીજી તરફ, સરકાર ઉચ્ચ અધિકારીઓની મીટિંગ યોજે છે. એ મીટિંગમાં સરકારના માણસો ‘પ્રેક્ટિકલ’ કરીને એવું સાબિત કરતા હોય છે કે, નીચા નગરમાંથી પસાર થનારું નાળું ગંદુ નથી પણ તેમાંથી તો પી શકાય એવું પાણી વહે છે. ત્યારે સરકારની પુત્રી માયા નાળામાં પડે છે, કાદવ-કીચડ અને ગંદકીથી ખરડાય છે અને પછી ભર મીટિંગમાં એન્ટ્રી મારે છે. માયા મીટિંગમાં આવીને પોતાના વાળમાંથી ગંદકી નીચોવીને લોકોને બતાવે છે કે, નીચા નગરમાંથી પસાર થઇ રહેલા નાળું આવી ગંદકીથી ખદબદી રહ્યું છે. છેલ્લે સરકાર સામે નીચા નગરના રહેવાસીઓની જીત થાય છે.


સ્વ. ઝોહરા સેહગલ

'નીચા નગર'ની વાર્તા ખૂબ જ સામાન્ય છે. ધન અને સત્તા વિરુદ્ધ ગરીબી અને લાચારીની લડાઈ, પરંતુ ખ્વાજા અહેમદ અબ્બાસનું સટીક અને 'ટુ ધ પોઇન્ટ' સ્ક્રીન પ્લે તેમજ ચેતન આનંદનું ડિરેક્શન 'નીચા નગર'ને ખાસ બનાવે છે. જેમ કે, 'નીચા નગર'માં બલરાજ-માયાની પ્રેમકથા ગૌણ છે. કોઈ સરેરાશ હિન્દી ફિલ્મની જેમ તેઓ ઝાડની આસપાસ દોડાદોડ કરીને ગીતો નથી ગાતા કે કાલાઘેલા સંવાદોથી માથું નથી દુઃખાડતા. એવી જ રીતે, સાગર અને રૂપાની પ્રેમકથામાં પણ મેલોડ્રામા નથી. સાગર સરકારનો માણસ બની જતાં રૂપા સાથેના સંબંધનો અંત આવે છે, સિમ્પલ. બીજી પણ એક વાત નોંધવા જેવી છે કે, બલરાજની સરકાર સામેની લડાઇમાં માયા કોઈ મુશ્કેલી ઊભી નથી કરતી અને રૂપા પણ સાગરને ભૂલીને સરકાર સામેના આંદોલનમાં સક્રિય થઇ જાય છે. એ રીતે 'નીચા નગર' મજબૂત સ્ત્રીપાત્રોને રજૂ કરે છે. (બ્રિટીશ યુગમાં બહુ ઓછા સાહિત્યકારોએ મજબૂત સ્ત્રીપાત્રો રજૂ કર્યા હતા, જેમાંના એક હતા રવિન્દ્રનાથ ટાગોર)

આ ફિલ્મમાં પણ ટેકનિકલ અને નબળા અભિનય (જેમ કે, માયાનો) જેવી અનેક ખામીઓ છે, પરંતુ બ્રિટીશયુગમાં આવેલી મોટા ભાગની ફિલ્મોની વાર્તા ધર્મ, દોસ્તી-દુશ્મની કે પ્રેમલા-પ્રેમલીની આસપાસ ચકરાવા લેતી હતી ત્યારે 'નીચા નગર'ની ટીમે સિનેમાની મદદથી અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. 'નીચા નગર' જમાનાથી આગળ હતી અને એટલે જ ક્લાસિક છે. ફિલ્મમાં સાત ગીત છે, જેમાં બે ક્રાંતિ ગીત છે અને સંગીતની દૃષ્ટિએ સારા છે.  


યૂ ટ્યૂબ પર જોવા મળતું નીચા નગરનું સૌથી સારું વર્ઝન 

કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરીએ ૧૯૪૬માં બીજી બધી જ ફિલ્મોના બદલે 'નીચા નગર'ને જ કેમ 'ગોલ્ડન પામ' માટે પસંદ કરી, એ સમજવા યૂ ટ્યૂબ પર 'નીચા નગર' જોઇ લેજો.  

'નીચા નગર'ના કલાકારો અને કસબીઓની આજકાલ

'નીચા નગર' બાદ ચેતન આનંદે ઘણી ફિલ્મો બનાવી, જેમાં 'ફંટૂશ', 'હકીકત', 'હીર રાંઝા', 'હસતે જખ્મ' અને 'હિંદુસ્તાન કી કસમ' જેવી અનેક ઉત્તમ ફિલ્મોનો સમાવેશ થાય છે. 'નીચા નગર'ના કલાકારોમાં કામિની કૌશલ (રૂપા)ની ફિલ્મ કારકિર્દી સૌથી લાંબી રહી. 'બિરાજ બહુ' માટે ૧૯૫૫માં તેમને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો. 'નીચા નગર' બનાવવામાં પડદા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવનારા રફીક અનવર ('નીચા નગર'નો બલરાજ)ના પુત્રો પણ ફિલ્મ ક્ષેત્રે નામ કમાયા. રફીક અનવરે ઓસ્ટ્રેલિયન યહૂદી મૂળની એડિથ રીક સાથે લગ્ન કર્યા હતા. તેઓ છૂટા પડ્યા પછી એડિથ તેમના નાનકડા પુત્ર તારીકને લઇને લંડન જતા રહ્યા.


રફીક અનવરના પુત્ર તારીક અનવર અને તારીક અનવરના પુત્રી ગેબ્રિઅલ અનવર

અત્યારે તારીક ૭૨ વર્ષના છે અને હજુયે ફિલ્મ એડિટિંગ ક્ષેત્રે સક્રિય છે. 'અમેરિકન બ્યુટી' (૧૯૯૯) અને 'ધ કિંગ્સ સ્પિચ' (૨૦૧૦) માટે તેઓ ઓસ્કાર એવોર્ડ (એડિટિંગ) માટે નોમિનેટ થયા હતા. 'અમેરિકન બ્યુટી'ના એડિટિંગ બદલ તેમને બાફ્ટા એવોર્ડ પણ મળ્યો હતો. તારીક અનવરના પુત્રી ગેબ્રિઅલ અનવર પણ અભિનય ક્ષેત્રે છે. ૧૯૯૨માં આવેલી 'સેન્ટ ઓફ અ વુમન'માં અંધ લશ્કરી અધિકારી અલ પચીનો સાથે ટેન્ગો ડાન્સ કરનારી યુવતી એટલે ગેબ્રિઅલ અનવર. ભારતીય દર્શકોમાં તેઓ ૨૦૦૭માં રિલીઝ થયેલી ટેલિવિઝન સિરીઝ 'બર્ન નોટિસ'ની ભૂમિકાથી જાણીતા છે.

ચેતન આનંદે ઉમા આનંદ ('નીચા નગર'ની માયા) સાથે લગ્ન કર્યા હતા. એક સમયે તેઓ છૂટા પડ્યા પછી ચેતન આનંદ જાણીતી અભિનેત્રી પ્રિયા રાજવંશ સાથે રહેતા હતા. છઠ્ઠી જુલાઈ, ૧૯૯૭ના રોજ ચેતન આનંદનું મુંબઇમાં મૃત્યુ થયું હતું. એ પછી ૨૭મી માર્ચ, ૨૦૦૦ના રોજ પ્રિયા રાજવંશની મુંબઇમાં હત્યા થઇ. એ કેસમાં અદાલતે ચેતન આનંદના પુત્રો કેતન અને વિવેદ આનંદ સહિત તેમના બે નોકરને જન્મટીપની સજા ફટકારી હતી. 

નોંધઃ આ લેખનો પહેલો ભાગ અહીં

4 comments:

  1. ખુબ સરસ માહિતી અને રજુઆત. અભિનંદન.

    ReplyDelete
  2. બહુ જ સુદર વર્ણન અને એટલું જ સુંદર સમતોલ વિશ્લેષણ, આભિનંંદન

    ReplyDelete
  3. Thank you so much sir for your words of encouragement! It means a lot to me! :)

    ReplyDelete