Showing posts with label રાજકારણ. Show all posts
Showing posts with label રાજકારણ. Show all posts

04 September, 2018

પૂરગ્રસ્ત કેરળની દિલધડક કહાની: ઓપરેશન કુટ્ટાનાડ


કેરળના લોકો છેલ્લાં ૧૦૦ વર્ષમાં ના આવ્યું હોય એવા ભયાવહ્ પૂરનો ભોગ બન્યા છે કારણ કે, ત્યાંના લોકો ગૌમાંસ ખાય છે. મલયાલી લોકો શાકાહારી હોત તો પૂ ના આવ્યું હોત! આ તેમનું જ પાપ છે.

કેરળના સબરીમાલા મંદિરમાં પાપીઓ મહિલાઓને પ્રવેશ આપવાની જિદ કરી રહ્યા છે એટલે ખુદ ભગવાન કુદરતી પ્રકોપનું રૂપ લઈને મલાયલીઓ પર તૂટી પડ્યા છે.

કેરળના પૂરમાં ફક્ત ધનિકોને જ નુકસાન થયું છે કારણ કે, ત્યાં તો ગરીબો છે જ નહીં. કેરળમાં ગરીબો નથી એટલે તમારે મદદ કરવી હોય તો પૈસા નહીં મજૂરો મોકલો, અને છતાં તમે પૈસા મોકલો તો ફલાણી સંસ્થાને જ મોકલજો.

કેરળમાં લાખો લોકો 'નાસ્તિક' ડાબેરીઓને મત આપે છે, એટલે ઈશ્વર તેમને સજા કરી રહ્યો છે...

કેરળમાં પૂ આવ્યા પછી ફૂલ ફ્લેજમાં બચાવકાર્ય શરૂ થતાં જ સોશિયલ મીડિયામાં કંઈક આ પ્રકારનો અત્યંત નિમ્ન કક્ષાનો 'રાજકીય એજન્ડા' શરૂ થઈ ગયો હતો. રાજકારણીઓના હાથા બનીને સામાન્ય લોકો પણ કુદરતી હોનારતને 'રાજકીય ચશ્મા' ચઢાવીને જોવા લાગ્યા હતા. કોઈ દરેક બાબતને 'કેસરી' ચશ્માથી જોવા લાગ્યું તો કોઈએ 'લીલા' કે 'લાલ' ચશ્મા પહેરી લીધા. આ બધી ભાંગજડ વચ્ચે પણ કેરળના પૂરમાં અનેક 'અનસંગ હીરો'એ માણસાઈના જોરે આવા રાક્ષસોને હરાવ્યા. કેરળના આવા જ એક કેટલાક હીરોની વાત કરીએ, જેમણે ફક્ત ત્રણ દિવસમાં ત્રણ લાખથી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાનું દિલધડક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. 

***

આખો દેશ ૧૫મી ઓગસ્ટની 'રજાનો આરામ' ભોગવીને ૧૬મી ઓગસ્ટે ફરી એકવાર દોડી રહ્યો હતો ત્યારે કેરળ થંભી ગયું હતું. એ દિવસે કેરળના અલપ્પુઝા જિલ્લાના કુટ્ટાનાડ અને ચેંગનુર તાલુકાના બે બંધ ભારે વરસાદના કારણે છલોછલ ભરાઈ ગયા હતા. અનરાધાર વરસાદના કારણે બંને બંધ ખોલવા પડે એવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી. વળી, કુટ્ટાનાડ નીચાણવાળો વિસ્તાર. દુનિયામાં બહુ ઓછા સ્થળે દરિયાઈ સપાટીથી નીચેના પ્રદેશોમાં ખેતી થાય છે. કુટ્ટાનાડ એ પૈકીનું એક. અહીં દરિયાઈ સપાટીથી ૦.૬થી બે મીટર જેટલી નીચી સપાટીએ ખેતી થાય છે. આશરે ૨.૬૦ લાખ જેટલી વસતી ધરાવતા કુટ્ટાનાડમાં બે બંધના પાણી ફરે વળે તો મકાનો ધરાશાયી થાય, વૃક્ષો તૂટી પડે, ઊભો પાક પણ નષ્ટ થઈ જાય અને હજારો લોકોના મોતનું તાંડવ ખેલાવાની પૂરેપૂરી શક્યતા! આ સ્થિતિમાં પણ બે બંધના દરવાજા થોડી વારમાં ખૂલવાના જ હતા. કરવું શું? કુટ્ટાનાડમાંથી એકસાથે હજારો લોકોને રાહત છાવણીમાં કેમ લઈ જવા? આવું રેસ્ક્યૂ ઓપરેશન કરવાનો તો સમય જ નથી. માંડ ત્રણેક દિવસ બચ્યા છે.

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ઉપગ્રહમાંથી લીધેલી પૂર પહેલાની અને
પૂર પછીની કેરળની તસવીર. બીજી તસવીરમાં દેખાતો કાળો ભાગ
પૂરના કારણે થયેલી ખાનાખરાબી અને નષ્ટ થઈ ગયેલી ખેતી દર્શાવે છે.

૧૬મી ઓગસ્ટની એક સવારે કેરળના નાણા મંત્રી થોમસ આઈઝેક અને અલપ્પુઝાના સબ કલેક્ટર ક્રિશ્ના તેજા માયલાવારાપુ આ જ સવાલની આસપાસ ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. માંડ અર્ધો કલાક ચર્ચા કરીને યુવાન આઈએએસ અધિકારી ક્રિશ્ના તેજાએ ક્ષણનોય વિલંબ કર્યા વિના મક્કમ અવાજમાં કહી દીધું કે, આખું કુટ્ટાનાડ અને ચેંગનુર ખાલી કરાવીશું... આ પ્રકારના નિર્ણય લેવા જબરદસ્ત સાહસ અને ઈચ્છાશક્તિ જોઈએ. નાણા મંત્રી આઈઝેક અને સબ કલેક્ટર ક્રિશ્ના તેજા વચ્ચેની ચર્ચા પૂરી થઈ ત્યાં જ સવારે દસેક વાગ્યે કલેક્ટર કચેરીમાં માહિતી મળી કે, બે બંધ ખોલી નાંખવામાં આવ્યા છે. આગામી ૪૮ કલાકમાં જ કુટ્ટાનાડમાં પાણીનું સ્તર જોખમી સ્તરે વધી જશે.

ક્રિશ્ના તેજાએ પૂરમાં પણ ફરજ બજાવવા આવેલા અમુક જિલ્લા અધિકારીઓની મીટિંગ બોલાવી. એ વખતે સવારના ૧૧:૦૦ વાગ્યા હતા. ક્રિશ્ના તેજાએ તેમનાથી ઘણી મોટી ઉંમરના અધિકારીઓને આદેશના સૂરમાં કહ્યું: ૪૮ કલાકમાં કુટ્ટાનાડમાંથી તમામ ઘર ખાલી કરાવવાના છે. જેમ બને તેમ ઝડપથી કામ ચાલુ કરો. આ દરમિયાન મોટા ભાગના અધિકારીઓને શંકા હતી કે, આવું ઓપરેશન શક્ય જ નથી. એ માટે પૂરતી સુવિધાઓ પણ નથી. અનેક લોકોએ ક્રિશ્ના તેજા સમક્ષ નારાજગી પણ દર્શાવી, પરંતુ નાણા મંત્રી આઈઝેક અને ક્રિશ્ના તેજા ઓપરેશન ચાલુ કરવા મક્કમ હતા. તેમનું કહેવું હતું કે, આપણે કોઈ પણ સંજોગોમાં આટલા બધા લોકોના જાન જોખમમાં ના મૂકી શકીએ. કુટ્ટાનાડ પહોંચવા માટે રસ્તા હોત તો બધાને સલામત સ્થળે ઝડપથી લઈ જઈ શકાય, પરંતુ રસ્તા તૂટી ગયા હતા અથવા પાણીમાં ડૂબેલા હતા. એટલે એક જ વિકલ્પ હતો, નાની-મોટી હોડીઓ લઈને ઘરે ઘરે પહોંચવું.

ક્રિશ્ના તેજાએ સવારે ૧૧:૦૦ વાગ્યે બોલાવેલી મીટિંગ મધરાત્રે ૩:૦૦ વાગ્યે પૂરી થઈ, ત્યાં સુધી તેઓ પોતાની ટીમ સમક્ષ એક ફૂલપ્રૂફ પ્લાન રજૂ કરી ચૂક્યા હતા. છેવટે મહા મુશ્કેલીઓ વચ્ચે ૧૭મી ઓગસ્ટના પરોઢિયે ૫:૩૦ વાગ્યે 'ઓપરેશન કુટ્ટાનાડ' શરૂ થયું. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, ઓપરેશન કુટ્ટાનાડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ૨૨૦ જવાનોની સાત ટીમ બનાવાઈ હતી. આ ઉપરાંત ચેંગાનુરમાં ભારતીય નૌસેનાની દસ અને સેનાની બે ટીમને સુકાન સોંપાયું. ફાયર બ્રિગેડ અને બીજી રેસ્ક્યૂ ટીમ પણ ૨૩ બોટ લઈને આવી પહોંચી, પરંતુ આટલી ઓછી હોડીઓથી કશું થઈ શકે એમ ન હતું.

કેરળના નાણા મંત્રી થોમસ આઈઝેક. પૂર દરમિયાન તેમણે ન્યૂઝ ચેનલો
પર આપેલા અનેક ઈન્ટરવ્યૂ યુ ટ્યૂબ પર અવેલેબલ છે

આ સ્થિતિમાં ઓપરેશન માટે વધુમાં વધુ હોડીઓ ભેગી કરવાનું કામ પણ ક્રિશ્ના તેજાએ શરૂ કર્યું. તેમણે કુટ્ટાનાડમાં ૨૫૦ હાઉસ બોટ, ૧૩૦ મોટર બોટ, ૫૦ સ્પિડ બોટ, નાના-મોટા તરાપા અને માછીમારોની હોડીઓ તેમજ આ હોડીઓ ચલાવી શકે એવા માણસો ભેગા કર્યા. દરેક હોડીમાં એક ટીમ લીડર નિમ્યો અને તેમને ઘરે ઘરે મોકલવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન માટે પોતાની હાઉસ બોટ આપવાની ના પાડી દીધી, પરંતુ સરકારે એલર્ટ જાહેર કરીને પોલીસને હાઉસ બોટ જપ્ત કરવાની સત્તા આપી દીધી હતી. એ સત્તાનો પણ લોકોને બચાવવા માટે ઉપયોગ કરાયો. આ દરમિયાન ક્રિશ્ના તેજાએ વધુ હોડીઓ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ પ્રમોશન કાઉન્સિલ્સની મદદ માંગી, અને, બચાવ કામગીરી માટે તબક્કાવાર કુલ ૨૦૦ નાની-મોટી હોડીઓ મળી ગઈ.

જોકે, આ ઓપરેશનની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે, લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવા તૈયાર ન હતા. દોઢ ડાહ્યા વડીલો રટણ કરતા હતા કે, કુટ્ટાનાડમાં ક્યારેય પૂરના પાણી આવ્યા જ નથી. આ પૂ અમને અસર નહીં કરે. ક્રિશ્ના તેજા બોટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતા, ત્યારે આવા જિદ્દી લોકોને સલામત સ્થળે લઈ આવવાનું કામ નાણા મંત્રી આઈઝેકે સંભાળી લીધું. તેમણે સલામત સ્થળે નહીં જવાની જિદ કરતા લોકોને ઘરોમાંથી કાઢવા દરેક હોડીમાં એક પોલીસ કે સેનાના જવાનને મોકલવાનું શરૂ કર્યું. યુનિફોર્મ જોઈને સામાન્ય લોકો 'હુકમ' માનવા લાગ્યા અને બચાવ ટીમનું કામ હળવું થઈ ગયું. આ કામગીરી ચાલુ હતી ત્યાં બંધના પાણી પણ ઘરોમાં ઘૂસવા માંડ્યા હતા, જેથી લોકો બચાવ ટીમ સાથે ફટાફટ હોડીઓમાં બેસીને સલામત સ્થળોએ જવા લાગ્યા. અમુક સ્થળે બચાવ કામગીરી માટે એરલિફ્ટિંગ પણ શરૂ કરાયું. આ ઓપરેશનમાં માછીમારો પણ હીરો સાબિત થયા. ફક્ત કુટ્ટાનાડમાં જ માછીમારોએ નિઃસ્વાર્થભાવે ૧૬ હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા.

અલપ્પુઝાના સબ કલેક્ટર ક્રિશ્ના તેજા (છેક ડાબે)

સામાન્ય રીતે, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત વખતે નેતાઓ હેલિકોપ્ટરમાંથી સર્વેક્ષણ કરતા હોય છે, ફૂડ પેકેટ ફેંકતા હોય છે, આઈએએસ અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને હુકમો છોડતા હોય છે અને આમ આદમી લાચાર બનીને સ્વકેન્દ્રિત બની જતો હોય છે. જોકે, ઓપરેશન કુટ્ટાનાડમાં ગંગા ઊલટી વહી રહી હતી. ભારતના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એક મંત્રી ઘૂંટણસમા પાણીમાં ઉતરીને લોકોને સલામત સ્થળે જતા રહેવા સમજાવતો હતો, એક આઈએએસ અધિકારી પાણીમાં ઉતરીને બોટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતો અને માછીમારો જેવા સામાન્ય માણસો પણ 'સરકાર'ના હુકમનો ઉત્સાહથી અમલ કરી રહ્યા હતા. એક મંત્રી અને એક આઈએસ અધિકારીએ આ યોજના ફક્ત 'કાગળ' પર નહોતી બનાવી, પરંતુ 'ગ્રાઉન્ડ' પર તેનો જડબેસલાક અમલ પણ કર્યો. તેમણે સાબિત કરી દીધું હતું કે, ઈચ્છાશક્તિ હોય તો ગમે તેવું અશક્ય લાગતું કામ પણ સહેલાઈથી પાર પાડી શકાય છે!

આ ઓપરેશનને મીડિયાથી ગુપ્ત રખાયું હતું કારણ કે, તેઓ નહોતા ઈચ્છતા કે અફવા કે ગભરાટ ફેલાવાના કારણે ધક્કામુક્કી થાય અને લોકોના જાન જાય! અલ્લપુઝાના જ રહેવાસી ધ્રુવ પંડ્યા નામના એક વકીલે આ ઓપરેશન વિશે ફેસબુક પર માહિતી આપી ત્યારે આ વાત માંડ અખબારો સુધી પહોંચી. ૧૮મી ઓગસ્ટની સાંજ સુધી કુટ્ટાનાડમાંથી અઢી લાખ અને ચેંગનુરમાંથી એક લાખ લોકો (ચોક્કસ આંકડો હજુ આવ્યો નથી) સલામત સ્થળે ખસેડાઈ ચૂક્યા હતા. હવે બધા જ સલામત સ્થળે હતા.

જોકે, બધા જ માટે ઓપરેશન કુટ્ટાનાડ પૂરું થઈ ગયું હતું ત્યારે પણ નાણા મંત્રી થોમસ આઈઝેક અને સબ કલેક્ટર ક્રિશ્ના તેજાએ જાહેર કર્યું કે, હજુ થોડું કામ બાકી છે. તેઓ કુટ્ટાનાડ અને ચેંગનુરમાં ફસાયેલા પ્રાણીઓને પણ સલામત સ્થળે પહોંચાડવા માગતા હતા. આ કામ પણ તેમની જ આગેવાનીમાં પૂરું થયું. પ્રાણીઓને પણ ઊંચાઈવાળા અને સલામત વિસ્તારોમાં લઈ જઈને ભોજન અપાયું.  

કુવૈતમાંથી ૧.૭૦ લાખ ભારતીયોને સલામત રીતે ભારત લાવવાની સત્ય ઘટના આધારિત 'એરલિફ્ટ' ફિલ્મ તમે જોઈ હશે! પૂરગ્રસ્ત કેરળની આ ઘટના પણ આવી જ એક સુંદર ફિલ્મને લાયક છે. શું કહો છો?

નોંધઃ પૂર વિશે વધુ કેટલીક માહિતી માટે ઉપરના લેખમાં મૂકેલી હાયપર લિંક અથવા લેખના અંતે મૂકેલા લેબલ્સ પર ક્લિક કરો. 

22 August, 2018

૪૨ને ફાંસી, ૧૧૪ને 'સજા એ કાલાપાની' અને...


ભારતને બ્રિટીશ રાજમાંથી મુક્ત કરાવવા ગદર પાર્ટીના સભ્યોએ અમેરિકાની ધરતી પર ગુપ્ત યોજના  ઘડી હતી. જોકે, થોડા સમયમાં આ કાવતરાનો પર્દાફાશ થઈ ગયો, અને, બ્રિટીશ રાજના દબાણ પછી અમેરિકન સરકારે ૨૦મી નવેમ્બર, ૧૯૧૭ના રોજ ૧૭ ક્રાંતિકારીને જેલની સજા ફટકારી. હિંદુસ્તાનને ગુલામીની જંજીરોમાંથી છોડાવવાનો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ ક્રાંતિકારીઓના એ અભૂતપૂર્વ કારનામાએ ભારતમાં બીજા હજારો ક્રાંતિકારીઓને બ્રિટીશ રાજ સામે શિંગડા ભરાવવાની પ્રેરણા આપી હતી.

ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં એ કાવતરું ક્યારે, કેવા સંજોગોમાં, કોણે ઘડ્યું હતું અને એ 'ગુના' બદલ કોને સજા થઈ હતી એ વિશે વિગતે વાત કરી. આજે ઈતિહાસના એ ગૂમનામ પ્રકરણ વિશે બીજી થોડી વાત.

અમેરિકામાં ચાંપેલી આગ ભારત પહોંચી

અમેરિકામાં ઘડેલા કાવતરા પ્રમાણે ગદર પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ ભારત આવી ગયા હતા. તેઓ બેઠકો, ભાષણો, સાહિત્ય સર્જન અને તેનું વિતરણ તેમજ પત્રવ્યવહાર કરીને બીજા યુવાનોને પણ બ્રિટીશ રાજ સામે શસ્ત્રો ઊઠાવવાની પ્રેરણા આપતા. આ ઉપરાંત તેમણે કેનેડા, મેક્સિકો, જાપાન, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં સ્થાયી થયેલા હજારો ભારતીય યુવાનોને પણ  બ્રિટીશરો સામે યુદ્ધ છેડવા ભારત આવી જવા પ્રોત્સાહિત કરવાનું મહત્ત્વનું કામ કર્યું હતું. આ દરમિયાન ક્રાંતિકારી નેતાઓએ બ્રિટીશ સેનામાં ફરજ બજાવતા ભારતીય સૈનિકોની ઉશ્કેરણી કરવાની યોજના પણ અમલમાં મૂકી હતી. આ ઉશ્કેરણીના કારણે જ બ્રિટીશ સેનાની અનેક છાવણીઓમાં મોટા પાયે ભાંગફોડ થઈ હતી.


સોહન સિંહ ભકના (જમણેથી બીજા) ૧૯૩૮માં ૬૮ વર્ષની ઉંમરે પંજાબના
અમૃતસર રેલવે સ્ટેશન પર બ્રિટીશ પોલીસના હાથે ઝડપાયા ત્યારે 

કરતાર સિંહ સરાભા અને ભગત સિંહ

અમેરિકન કાયદાની છટકબારીઓના કારણે સેન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયેલા ક્રાંતિકારીઓ ઘણો લાંબો સમય સુધી બચવામાં સફળ રહ્યા, અને, પકડાયા પછી પણ તેમને વધુમાં વધુ બે વર્ષની જેલ થઈ. જોકે, ભારતમાં તો બ્રિટીશરોનું રાજ હતું. અમેરિકન સરકાર ક્રાંતિકારીઓ વિરુદ્ધ પગલાં લે એ પહેલાં બ્રિટીશ પોલીસે ભારતમાં ૨૯૧ 'કાવતરાખોર'ની ધરપકડ કરી લીધી હતી. આ તમામ સામે સંખ્યાબંધ આરોપો મૂકાયા, જેની સુનવણી ૧૯૧૫માં ૧૩થી ૨૪ સપ્ટેમ્બર સુધી કુલ ૧૨ દિવસ ચાલી. તમામ ક્રાંતિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં બ્રિટીશરોએ કોઈ કસર ના છોડી, જેમાં ૨૯૧ ક્રાંતિકારી પૈકી ૪૨ને ફાંસી, ૧૧૪ને આંદામાનની જેલમાં 'સજા એ કાલાપાની' અને ૯૩ને નાની-મોટી જેલની સજા ફટકારાઈ. અમુક લોકો નિર્દોષ પણ છૂટ્યા. આ કેસની તપાસ માટે લાહોરમાં ખાસ પંચ નિમાયું હતું, જેથી આ ઘટના ક્રમ ઈતિહાસમાં ‘લાહોર કોન્સ્પિરેસી કેસ ટ્રાયલ’ તરીકે દર્જ થયેલો છે.

લાહોરમાં ફાંસીની સજા પામનારા ૪૨ ક્રાંતિકારીઓમાં વિષ્ણુ ગણેશ પીંગળે, કરતાર સિંહ સરાભા, હમાર સિંઘ સિઆલકોટી, બક્ષિશ સિંઘ, ભાઈ બલવંત સિંઘ, બાબુ રામ, હરમામ સિંઘ, હાફિઝ અબ્દુલ્લા અને રૂર સિંઘ જેવા અગ્રણી યુવા નેતાઓનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન બનારસ, સિમલા, દિલ્હી અને ફિરોઝપુરમાં પણ નાના-મોટા કાવતરાનો બ્રિટીશરોએ પર્દાફાશ કર્યો, ધરપકડો કરી અને ક્રાંતિકારીઓને આકરામાં આકરી સજા સંભળાવી. એક થિયરી પ્રમાણે, ગદર પાર્ટીએ ચાંપેલી આગ આખા હિંદુસ્તાનમાં ભડકી ઉઠશે એવા ડરના કારણે જ પંજાબમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો હતો.

ભગત સિંહ ખિસ્સામાં કોની તસવીર રાખતા?

આ ક્રાંતિકારીઓ સામે લાહોરમાં સુનવણી ચાલતી હતી ત્યારે કરતાર સિંઘ સરાભાએ અદાલતમાં બ્રિટીશ રાજના અન્યાય સામે છટાદાર અને જુસ્સાભેર ભાષામાં આક્રમક રજૂઆતો કરી. એ વખતે તેમની ઉંમર હતી, ફક્ત ૧૯ વર્ષ. તેઓ પણ ગદર પાર્ટીના સભ્યોએ ઘડેલા કાવતરાનો અમલ કરવા સેન ફ્રાન્સિસ્કોથી ભારત પરત ફર્યા હતા. કરતાર સિંઘ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા, પરંતુ દેશભક્તિના રંગે રંગાયેલા એ પંજાબી યુવકે માંડ ૧૭ વર્ષની ઉંમરે અગ્રણી ક્રાંતિકારીઓ સાથે મળીને ગદર પાર્ટીની સ્થાપનામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ ટીમમાં તેઓ સૌથી નાના હોવાથી ગદર પાર્ટીના પહેલા પ્રમુખ અને સ્થાપક સભ્ય સોહન સિંઘ ભકના તેમને લાડમાં 'બાબા જનરલ' કહેતા હતા. લાહોર પંચની તપાસમાં સોહન સિંઘ ભકનાને પણ ફાંસીની સજા ફટકારાઈ હતી, જે પાછળથી જનમટીપમાં પરિવર્તિત થઈ હતી.
૨૪મી માર્ચ, ૧૯૧૪ના રોજ પ્રસિદ્ધ ‘હિંદુસ્તાન ગદર’ની ઉર્દૂ આવૃત્તિ,
જેની નીચે વાંચી શકાય છેઃ અંગ્રેજી રાજ કા દુશ્મન
૧૯૧૬માં પંજાબી ભાષામાં પ્રકાશિત ‘ગદર દી ગુંજ’

ગદર પાર્ટી દ્વારા 'હિંદુસ્તાન ગદર' નામનું એક અઠવાડિક અખબાર પણ પ્રકાશિત કરાતું. આ અખબારના નામ નીચે એક લટકણિયું મૂકાતું, 'અંગ્રેજી રાજ કા દુશ્મન'. કરતાર સિંઘે કિશોરવયે જ તેની પંજાબી આવૃત્તિનું તંત્રીપદ સંભાળી લીધું હતું, જેમાં તેઓ દેશદાઝથી છલોછલ કવિતાઓ અને લેખો લખતા. આ અખબારમાં નાટ્યાત્મક શૈલીમાં 'ગદર' ઉર્ફે 'ક્રાંતિ'ની જાહેરો ખબર પણ છપાતી. વાંચો એક ઉદાહરણઃ ગદરે ભારતમાં ક્રાંતિ જાહેર કરી છે. જોઈએ છેઃ બહાદુર સૈનિકો. પગારઃ સજા એ મૌત, વળતરઃ શહીદી, પેન્શનઃ આઝાદી અને યુદ્ધનું મેદાનઃ ભારત. હવે ખૂબ ઓછા સમયમાં પેન અને શાહીનું સ્થાન બંદૂકો અને લોહી લેશે... 

ભગત સિંહની ધરપકડ થઈ ત્યારે તેમના ખિસ્સામાંથી કરતાર સિંઘની તસવીર મળી હતી. ભગત સિંઘના માતાએ કહ્યું હતું કે, મારો પુત્ર ઘણીવાર મને એ તસવીર બતાવીને કહેતો કે, વ્હાલી મા, આ જ મારો અસલી હીરો, મિત્ર અને સાથીદાર છે... 'ગદર' અખબારને 'ગેરકાયદે' રીતે દુનિયાભરમાં પહોંચાડવામાં પણ કરતાર સિંઘે જબરદસ્ત આયોજનો કર્યા હતા. 



આ અખબારની ઉર્દૂ
, હિંદી, બંગાળી, પશ્તુ અને ગુજરાતી આવૃત્તિ પણ પ્રસિદ્ધ થતી. 'ગદર'ની ગુજરાતી આવૃત્તિનું સુકાન એક કચ્છી ગુજરાતી ક્રાંતિકારી સંભાળતા હતા. એમનું નામ છગન ખેરાજ વર્મા. કમનસીબે, આજેય આપણી પાસે તેમના વિશે ખાસ કોઈ જાણકારી નથી, પરંતુ જાણીતા ઈતિહાસકાર વિષ્ણુ પંડ્યાએ સખત મહેનત કરીને છગન ખેરાજ વર્મા વિશે ઘણી અધિકૃતિ (એક તસવીર સહિત) માહિતી ભેગી કરી છે. ગદર પાર્ટીના સભ્યો સમાજવાદ, દેશપ્રેમ અને ક્રાંતિકારી સાહિત્યના ફેલાવા માટે ‘ગદર દી ગુંજ’ અને ‘તલવાર’ જેવા ચોપાનિયા-પત્રિકાઓ પણ પ્રસિદ્ધ કરતા હતા. 

ગદર પાર્ટીની રચનામાં ગુજરાતીની ભૂમિકા

અમેરિકામાં ગદર પાર્ટીની સ્થાપના ૧૯૧૩માં થઈ હતી. જોકે, એના ઘણાં સમય પહેલાં વિદેશી ધરતી પર  બ્રિટીશ રાજ વિરોધી સંસ્થાકીય પ્રવૃત્તિ શરૂ થઈ હતી. વિદેશમાં બ્રિટીશ વિરોધી 'રાષ્ટ્રવાદ'નો પાયો નાંખવામાં મૂળ કચ્છના શ્યામજી કૃષ્ણ વર્માનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. ભારતને સ્વરાજ અપાવવાના હેતુથી તેમણે લંડનમાં ૧૯૦૫માં 'ઈન્ડિયન હોમ રૂલ સોસાયટી' સ્થાપી હતી. આ સોસાયટીએ લંડનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ રહી શકે એ માટે 'ઈન્ડિયા હાઉસ' રૂ કર્યું હતું. શ્યામજી કૃષ્ણ વર્મા 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામની એક જર્નલ પણ પ્રકાશિત કરતા. તેમની સોસાયટીને મેડમ ભીકાઇજી કામા, દાદાભાઇ નવરોજી, સરદારસિંહ રાવજી રાણા, વીર સાવરકર, વી. એન. ચેટરજી, લાલા હરદયાલ અને મદન લાલ ધીંગરા જેવા અનેક આક્રમક નેતાઓનો સાથ હતો.


શ્યામજી કૃષ્ણ વર્મા અને મદનલાલ ધીંગરા

‘ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ’નો સપ્ટેમ્બર ૧૯૦૮નો અંક, જેના કવરપેજ પર
મદનલાલ ધીંગરા (ક્લોકવાઈઝ), વી. વી. સુબ્રમણ્યમ ઐયર, વીર સાવરકર,
પાંડુરંગ મહાદેવ બાપટ, મોડ ગોન મેકબ્રાઈટ (ક્રાંતિકારી આઈરિશ મહિલા),
એમ.પી. તિરુમાલ આચાર્ય, અનંત લક્ષ્મણ કનહરે અને સી. પી. વેંકટ
જેવા જુવાળવાદી નેતાઓની તસવીર પ્રકાશિત કરાઈ હતી 

સેન ફ્રાન્સિસ્કોમાં આવેલા ગદર પાર્ટીના વડા મથક  યુગાંતર આશ્રમની 
૧૯૫૧માં ટી.એસ. સીબિયા નામના ફોટોગ્રાફરે લીધેલી તસવીર 

ધીંગરાએ લંડનમાં બ્રિટીશ ભારતીય લશ્કરી અધિકારી વિલિયમ હુટ કર્ઝન વેઇલીની હત્યા કરતા સ્કોટલેન્ડ યાર્ડે હોમ રૂલ સોસાયટી સાથે સંકળાયેલા નેતાઓ પર ધોંસ બોલાવી હતી. એ પછી અનેક નેતાઓ ફ્રાંસ અને જર્મની જેવા દેશોમાં જતા રહ્યા. એવું કહેવાય છે કે, ધીંગરાએ કરેલી હત્યા એ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનું પહેલું ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી ૧૯૧૦ સુધી હોમ રૂલ સોસાયટીની પ્રવૃત્તિઓનો તબક્કાવાર અંત આવ્યો, પરંતુ એ પહેલાં શ્યામજી કૃષ્ણ વર્માનો ભેટો લાલા હરદયાલ અને અબ્દુલ હાફિઝ મોહમ્મદ બરકતુલ્લાહ જેવા નેતાઓ સાથે થઈ ગયો હતો. બરકતુલ્લાહે તો ઈન્ડિયન હોમ રૂલ સોસાયટીની તર્જ પર ન્યૂ યોર્કમાં પાન આર્યન એસોસિયેશનની પણ સ્થાપના કરી હતી.

એવી જ રીતે, તારકનાથ દાસ ન્યૂ યોર્કમાં 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ'ની મિરર ઈમેજ જેવી 'ફ્રી હિંદુસ્તાન' નામની જર્નલ પ્રકાશિત કરતા હતા. શ્યામજી કૃષ્ણ વર્માથી પ્રેરિત આવા અનેક યુવાનો બાદમાં ગદર પાર્ટીના અગ્રણી નેતાઓ તરીકે ઊભર્યા. વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી ફંડ ઉઘરાવીને આશરે બત્રીસેક ક્રાંતિકારીઓએ સેન ફ્રાન્સિસ્કોની હિલ સ્ટ્રીટમાં ‘યુગાંતર આશ્રમ’ની સ્થાપના કરીને ગદર પાર્ટીની શરૂઆત કરી હતી. 

***  

ગદર પાર્ટી સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક હતી. ગદરના સભ્યોએ જાહેર કર્યું હતું કે, અમારો ધર્મ ફક્ત એક જ છે, દેશપ્રેમ. આ પાર્ટીના સ્થાપક મંડળમાં મંગુરામ મુગોવાલિયા નામના એક દલિત યુવાન પણ હતા, જે પાછળથી પંજાબના અગ્રણી દલિત નેતા તરીકે લોકપ્રિય થયા હતા. આઝાદીના આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ ઈન્દિરા ગાંધીએ તેમનું સન્માન કરીને પેન્શન જાહેર કર્યું હતું.

ઈતિહાસકારોના મતે, ગદર પાર્ટીએ કરેલા આંદોલનને કોઈ જ એક જ વ્યક્તિ કે સંસ્થાનું કેન્દ્રિય નેતૃત્વ ન હતું. દુનિયાભરમાંથી ભારત આવેલા ક્રાંતિકારીઓ પોતપોતાના જૂથોમાં આક્રમક રીતે સક્રિય જરૂર હતા, પરંતુ તેઓ એક હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ એકજૂટ ન હતી. ક્રાંતિકારીઓ દ્વારા કરાતી છુટીછવાઈ ભાંગફોડની બ્રિટીશરો પર ખાસ કોઈ અસર નહોતી થતી. આ ઉપરાંત ગદર આંદોલનના એપિસેન્ટર ગણાતા પંજાબ અને બંગાળ જેવા પ્રદેશોમાં લાખો લોકો બ્રિટીશ રાજની કૃષિલક્ષી નીતિઓથી ખુશ હતા. બ્રિટીશ સેનામાં પણ બ્રિટીશ રાજ તરફી ભારતીય સૈનિકો હતા. આ લોકોએ 'ગદર'ને નિષ્ફળ બનાવવા બ્રિટીશ રાજના જાસૂસો તરીકે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નોંધઃ આ લેખનો ભાગ-૧ અહીં 

17 August, 2018

ગદર : એક અમેરિકન કથા


અમેરિકાની સેન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ દિવસે ખાસ્સી ચહલપહલ હતી. દિવસ હતો, ૨૦મી નવેમ્બર, ૧૯૧૭. ભારતથી હજારો કિલોમીટર દૂર અમેરિકાની એ અદાલતમાં આરોપીઓ તરીકે ૧૭ ભારતીય, નવ જર્મન અને નવ અમેરિકનને હાજર કરાયા હતા. ભારતીયો પર બ્રિટીશ રાજ સામે સશસ્ત્ર બળવાનું કાવતરું ઘડવાનો અને જર્મનો-અમેરિકનો પર તેમને મદદ કરવાનો આરોપ હતો. ઠાંસોઠાંસ ભરાયેલી અદાલતમાં દેશદાઝથી લાલઘૂમ સંખ્યાબંધ ભારતીયો ઊડીને આંખે વળગી રહ્યા હતા કારણ કે, તેમના માથા પર રંગબેરંગી પાઘડીઓ હતી. એમ પણ, એ દિવસે અદાલતમાં શીખોની સંખ્યા વધારે હતી. આ સુનવણી ૨૪મી એપ્રિલ ૧૯૧૮ સુધી એટલે કે કુલ ૧૫૫ દિવસ સુધી ચાલી, જેમાં તમામ ભારતીયોને ૨૨ મહિનાથી લઈને બે વર્ષ સુધીની જેલની સજા થઈ. એટલું જ નહીં, તે અમેરિકાના ઈતિહાસની સૌથી મોંઘી અદાલતી કાર્યવાહી સાબિત થઈ. એ જમાનામાં આ કેસની તપાસ માટે અમેરિકાને ૪.૫૦ લાખ ડૉલર અને બ્રિટનને અઢી મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ થયો હતો.

ભારતના સ્વતંત્રતા સંગ્રામનું આ અત્યંત મહત્ત્વનું પ્રકરણ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયું છે. હાલમાં જ અમેરિકાના ઓરેગન સ્ટેટે ભારતની આઝાદી સાથે સંકળાયેલા આ ઘટનાક્રમને સ્કૂલ અભ્યાસક્રમમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. શીખ ઈતિહાસકારોએ તો આ આંદોલન વિશે અઢળક સંશોધન કર્યું છે, પરંતુ આજેય એક સરેરાશ ભારતીય આ તવારીખથી પૂરતો વાકેફ નથી.

શું હતું એ કાવતરું? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં થોડું બેકગ્રાઉન્ડ.

કાવતરું ઘડાયું એ વખતનું ભારત

ઇસ. ૧૯૦૦ સુધીમાં બ્રિટીશ રાજ સામેના સ્વાતંત્ર્ય સંગ્રામનું સુકાન મહદ્અંશે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના હાથમાં આવી ગયું હતું. આ દરમિયાન ૨૮મી જુલાઈ, ૧૯૧૪ના રોજ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયું. એ વખતે કોંગ્રેસના નેતાઓ બે ભાગમાં વહેંચાયેલા હતા, જુવાળવાદી (એક્સ્ટ્રિમિસ્ટ) અને મવાળવાદી (મોડરેટ). કોંગ્રેસમાં મવાળવાદી નેતાઓનું વર્ચસ્વ હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન્દ્રનાથ બોઝની આગેવાનીમાં નક્કી કર્યું કે, પહેલા વિશ્વ યુદ્ધમાં બ્રિટીશરોને સાથ આપવો, પરંતુ કોંગ્રેસના જ અનેક જુવાળવાદી નેતાઓ આ યુદ્ધને બ્રિટીશરો સામે જંગ છેડવાની સુવર્ણ તક તરીકે જોતા હતા. તેઓ માનતા હતા કે, અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોની સંખ્યા સારી એવી છે. જો તેમને 'બળવો' કરાવવામાં સફળતા મળે તો દેશને બ્રિટીશ રાજમાંથી મુક્તિ અપાવી શકાય.

ભૂપેન્દ્રનાથ બોઝ 

પેરિસ પહોંચેલા શીખ સૈનિકો પૈકી એકના યુનિફોર્મમાં ગુલાબનું ફૂલ ખોસીને સ્વાગત કરતી
ફ્રેન્ચ મહિલા (ક્લોક વાઇઝ), જેરુસલેમમાં હોવિત્ઝર તોપો સાથે રાજપૂતાના સૈનિકો,
નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પર ગોરખા રાયફલ્સના સૈનિકો અને છેલ્લે
ફ્રાંસના સોમમાં બ્રિટીશરોની મદદે પહોંચેલા ભારતના બાયસિકલ ટ્રૂપ્સ.

જોકે, એવું ના થયું. ઊલટાનું પહેલા વિશ્વ યુદ્ધના ચારેક વર્ષના ગાળામાં બ્રિટીશ રાજ વતી ૧૩ લાખ ભારતીય સૈનિકો-મજૂરોએ યુરોપ, આફ્રિકન અને ખાડી દેશોમાં સેવા આપી. યુદ્ધના અંતે ૪૭,૭૪૬  ભારતીય સૈનિક શહીદ થયા અને ૬૫,૧૨૬ ઘાયલ થયા. યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી હતી. દુનિયાભરમાં આમ આદમી બેહાલ હતા અને ભારતીયો પણ તેમાંથી બાકાત ન હતા. યુદ્ધ પૂરું થયા પછી અંગ્રેજો ભારતીય અર્થતંત્રને પાટે ચઢાવવામાં નિષ્ફળ રહ્યા. તેઓ ભારતને અનુદાન (ગ્રાન્ટ) પણ આપી  ના શક્યા અને કોંગ્રેસના નરમપંથી નેતાઓના ભ્રમ ભાંગી ગયા. આ સ્થિતિએ બ્રિટીશરો પાસેથી પૂર્ણ સ્વરાજ મેળવવાના આંદોલનનો જન્મ થયો, જેના આગેવાન હતા મોહનદાસ કરમચંદ ગાંધી. પહેલું વિશ્વયુદ્ધ વિશ્વયુદ્ધ ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પૂરું થયું, જ્યારે 'બારિસ્ટર ગાંધી' નવમી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ આફ્રિકાથી ભારત પરત આવી ગયા હતા.

અંગ્રેજો પહેલા વિશ્વયુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે દેશભરમાં અનેક નાના-મોટા ક્રાંતિકારી નેતાઓએ તેમને પરેશાન કરવામાં કશું બાકી ના રાખ્યું. બ્રિટીશ રાજ વિરોધી પ્રવૃત્તિના એપિસેન્ટર પંજાબ અને બંગાળ હતા.  જોકે, આ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિની બ્રિટીશ રાજ પર ખાસ કંઈ અસર નહોતી થતી, પરંતુ અરાજકતાના એ માહોલમાં ક્રાંતિકારી નેતાઓને દેશભરમાં લોકપ્રિયતા અને સામાન્ય માણસોનો સાથ મળ્યો. બ્રિટીશ રાજ વિરોધી પ્રવૃત્તિને અંગ્રેજો પોલીસ અને જાસૂસી તંત્રની મદદથી અત્યંત કડક હાથે ડામી દેતા. આ દરમિયાન અનેક ક્રાંતિકારી નેતાઓ ભારત છોડીને અમેરિકા, કેનેડા, મેક્સિકો, જાપાન, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં વિખરાઈ ગયા હતા. એ દેશોમાં રહીને ઉચ્ચ અભ્યાસ અને નોકરી-ધંધો કરતા અનેક યુવકો ભારતમાં બ્રિટીશ રાજ સામે ક્રાંતિ કરવા નાની-મોટી પ્રવૃત્તિઓ કર્યા કરતા.

આ સ્થિતિને પારખીને જ બ્રિટીશ રાજે ક્રાંતિકારીઓને કડક હાથે ડામી દેવા માર્ચ ૧૯૧૫માં ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૧૫ની રચના કરી હતી.

...અને હજારો ગદરો ચૂપચાપ ભારત આવ્યા

પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયાના પાંચેક મહિના પહેલાં, ફેબ્રુઆરી ૧૯૧૫માં, અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ બ્રિટીશ રાજ સામે સશસ્ત્ર જંગ છેડવાનું અભૂતપૂર્વ કાવતરું ઘડ્યું. આ યુવાનો ગદર પાર્ટી નામની રાજકીય સંસ્થા હેઠળ એકજૂટ હતા. આ યોજનાનો અમલ કરવા ગદરના અગ્રણી સભ્યોને જર્મનીની બર્લિન સમિતિ, સેન ફ્રાન્સિસ્કોમાં આવેલું જર્મન દૂતાવાસ અને ભારત સહિત વિવિધ દેશોમાં રહીને ભૂગર્ભ પ્રવૃત્તિ કરતા ક્રાંતિકારીઓની પણ મદદ મળી હતી.

કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભગવાન સિંહ જ્ઞાનીના બે રૂપ

વિષ્ણુ ગણેશ પીંગળે (ક્લોકવાઈઝ), લાલા હર દયાલ (સૌથી મોટી તસવીર),
પંડિત કાંશી રામ અને ભાઈ પરમાનંદ

પહેલા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટન અને તેના સાથી દેશોની જર્મની સામેની દુશ્મનાવટ ચરમસીમાએ હતી. આ સ્થિતિનો લાભ લઈને ગદરના સભ્યોએ ભારતીય ક્રાંતિકારીઓને શસ્ત્રો અને દારૂગોળાનો જંગી જથ્થો આપવા જર્મનોને મનાવી લીધા. જર્મનીની મંજૂરી મળતા જ અમેરિકામાં ગદર પાર્ટીના નેતાઓ વિષ્ણુ ગણેશ પીંગળે, કરતાર સિંઘ, સંતોક સિંઘ, પંડિત કાંશી રામ અને ભગવાન સિંઘ જ્ઞાની સહિત કુલ આઠ હજાર ક્રાંતિકારીઓ વિવિધ દેશોમાંથી તબક્કાવાર ભારત આવી ગયા. એ લોકોએ ભારતીય યુવાનો તેમજ અંગ્રેજોની સેનામાં નોકરી કરતા ભારતીય સિપાઈઓમાં ક્રાંતિ માટે ચેતના જગાવવાની જવાબદારી લીધી હતી. આ માટે તેઓ બેઠકો, ભાષણો અને સાહિત્યના વિતરણનું કામ કરતા. આ ઉપરાંત તેઓ સરકારી શસ્ત્રોની લૂંટ, અંગ્રેજ સેનામાં કાર્યરત ભારતીય સૈનિકોની ઉશ્કેરણી, બોમ્બ બનાવવાનું શીખવું અને બીજાને શીખવાડવું તેમજ અંગ્રેજ સેનાની છાવણીઓમાં ગાઢ સંપર્ક બનાવવા જેવી પ્રવૃત્તિઓમાં પણ જોરશોરથી કરતા.

આ જ ક્રાંતિકારી નેતાઓએ અંગ્રેજ સેનાની સિંગાપોર છાવણીમાં ૮૫૦ ભારતીય સૈનિકની ઉશ્કેરણી કરીને ભાંગફોડ કરાવી હતી. ગદર ચળવળનો સૌથી મહત્ત્વનો હિસ્સો બોમ્બ બનાવવાનો હતો, પરંતુ ક્રાંતિકારીઓને તેનું કોઈ જ્ઞાન ન હતું. આ કામમાં તેઓને કેલિફોર્નિયામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રનાથ બોઝની મદદ મળી હતી, જે તારકનાથ દાસ નામના બીજા એક બંગાળી બૌદ્ધિકના સાથીદાર હતા. આ સમગ્ર આયોજનમાં અમેરિકાસ્થિત ગદર પાર્ટીના સભ્યો ભારતના ક્રાંતિકારીઓને ભંડોળ પૂરું પાડતા. આ ઉપરાંત બ્રિટીશરોના કટ્ટર વિરોધી જર્મન નેતાઓ અને દુનિયામાં ફેલાયેલા બીજા ક્રાંતિકારીઓ સાથે સંવાદ સાધવામાં પણ અમેરિકાસ્થિત ક્રાંતિકારીઓની ભૂમિકા મહત્ત્વની રહેતી. બ્રિટનને આ વાત ખૂંચતી. તેઓ અમેરિકાને ગદર પાર્ટીના સભ્યોની પ્રવૃત્તિ પર રોક લગાવવાનું દબાણ કરતા, પરંતુ ક્રાંતિકારીઓ અમેરિકા વિરોધી પ્રવૃત્તિ નહીં કરતા હોવાથી બચી જતા. વળી, અમેરિકામાં કયા કાયદા હેઠળ તેમને રોકવા એ પ્રશ્ન તો હતો જ!

આ દરમિયાન બ્રિટન સરકારને લાગ્યું કે, જો અમેરિકા પહેલા વિશ્વયુદ્ધમાં આપણું સાથીદાર બને તો તેમને બ્રિટીશ રાજ વિરુદ્ધ ભાંગફોડ પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં લેવા મનાવી શકાય. છેવટે પહેલું વિશ્વ યુદ્ધ ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પૂરું થયું તેના માંડ છ મહિના પહેલાં, છઠ્ઠી એપ્રિલ ૧૯૧૭ના રોજ, અમેરિકાએ બ્રિટનને સાથ આપીને જર્મનો સામેના યુદ્ધમાં ઝંપલાવ્યું. ત્યાં સુધી અમેરિકા 'તટસ્થ' હતું. અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવવાની તૈયારી કરી એ જ ગાળામાં, માર્ચ ૧૯૧૭માં, અમેરિકામાં ગદર પાર્ટીના સભ્યોની ધરપકડ શરૂ કરાઈ.

કાવતરું ઘડવા બદલ કોને સજા થઈ?

ગદર ચળવળનો ગૂમનામ ઈતિહાસ વાંચતી વખતે એવા અનેક ક્રાંતિકારીઓ સામે આવતા રહે છે, જેમના વિશે આપણી પાસે ખૂબ જ ઓછી અથવા નહીંવત માહિતી છે. આ ઉપરાંત એવા પણ નામો વાંચવા મળે છે, જે આપણે ક્યારેક સાંભળેલા છે પણ તેમણે વિદેશમાં રહીને દેશ માટે આપેલા બલિદાનોનો આપણને અંદાજ નથી. જે કોઈ ક્રાંતિકારીઓ વિશે માહિતી છે, તેમના વિશે પૂરતી માહિતી આપવા એક લેખ પણ ઓછો પડે!
બ્રિટીશ ઈન્ટેલિજન્સની નજર ચૂકવીને જાપાન જતા રહેલા રાશ બિહારી બોઝ
તેમની જાપાનીઝ પત્ની તોશિકો બોઝ સાથે અને ઈનસેટ તસવીરમાં જતીન મુખરજી

જેમ કે, તારકનાથ દાસ. ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાનું શીખવાડનારા આ બંગાળી બાબુ ગદરની થિંક ટેન્ક પૈકીના એક હતા. એક સમયે તેમણે લિયો ટોલ્સટોય સાથે પોતાની યોજનાઓની ચર્ચા કરી હતી. અતિ વિદ્વાન એવા તારકનાથ વિદેશમાં રહીને અનેક ભારતીય યુવાનોમાં દેશદાઝના સંસ્કાર રોપવામાં તેઓ સફળ રહ્યા હતા. આવું જ બીજું એક મહત્ત્વનું પાત્ર એટલે લાલા હરદયાલ. અમેરિકાના પેસિફિક કોસ્ટના કાંઠે ઉતરતા હજારો શીખ યુવાનોને ભારતમાં અંગ્રેજ શાસન સામે એકજૂટ કરવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેઓ ગદર પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. ભારતમાં સંસ્કૃત વિષયમાં માસ્ટર ડિગ્રી લીધા પછી લાલા હરદયાલને કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી હતી. એ પછી તેઓ 'કંઈક' કરવા માટે બ્રિટનથી લઈને ફ્રાંસ, અલ્જિરિયા જેવા દેશોમાં ફર્યા. આઈડેન્ટિટી ક્રાઈસીસની પીડામાં તેમણે હિંદુ-બૌદ્ધ ધર્મનો પણ ઊંડો અભ્યાસ કર્યો. એ વખતે તેમનો ભેટો વિખ્યાત આર્ય સમાજી ભાઈ પરમાનંદ સાથે થયો. તેઓ પણ ગદર પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. પરમાનંદના આદેશથી લાલા હરદયાલ આર્ય સંસ્કૃતિનો પ્રચાર કરવા અમેરિકા જવા રવાના થયા અને ગદર ચળવળની થિંક ટેન્ક તરીકે ઊભર્યા.

ભારતસ્થિત હજારો ક્રાંતિકારીઓની મદદ વિના આ કાવતરાનો અમલ કરવો શક્ય ન હતો, પરંતુ ગદર પાર્ટીનું આંદોલન ભૂલાઈ જવાના કારણે ભારતમાં તેમને મદદ કરનારા અનેક ક્રાંતિકારીઓ પણ ભૂલાઈ ગયા. જેમ કે, જતીન મુખરજી. બંગાળમાં 'યુગાંતર' નામે ચાલતી ભૂગર્ભ ચળવળના તેઓ આગળ પડતા યુવા નેતા હતા. અમેરિકાથી આવેલા વિષ્ણુ ગણેશ પીંગળે અંગ્રેજો સામે સશસ્ત્ર બળવો કરવા સૌથી પહેલાં જતીન મુખરજીને જ મળ્યા હતા. બ્રિટીશ રાજ સામે ક્રાંતિ કરવાના સપનાં જોતા એ ‘નવાસવા’ યુવાનો યોગ્ય લાગતા જ જતીન મુખરજીએ તેમની મુલાકાત રાશ બિહારી બોઝ સાથે કરાવી હતી. એ પછી અમેરિકાની ધરતી પર ઘડાયેલા કાવતરાનો ભારતમાં અમલ કરવામાં રાશ બિહારી બોઝે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

***

આ કાવતરું ઘડવા બદલ તારકનાથ અને ભગવાન સિંઘ જ્ઞાનીને સૌથી વધારે બે વર્ષની જેલ થઈ. બ્રિટન ઈચ્છતું હતું કે, આ તમામને અમેરિકા ડિપોર્ટ કરી દે, જેથી તેઓ સામે ભારતમાં કેસ ચલાવી શકાય. જોકે, અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેને કાયદા વિરુદ્ધનું ગણાવ્યું. આ કેસમાં જેલની સજા પામનારા અન્ય ૧૫ સભ્યમાં બિશન સિંઘ હિંદી, ચંદર કાન્તા ચક્રવર્તી, ધીરેન્દ્ર કુમાર સરહા, ગોવિંદ બિહારી લાલ, ગોધા રામ, ગોપાલ સિંઘ, ઈમામ દિન, મહાદેવ અબાજી નાંદેકર, મુન્શી રામ, નિરંજન દાસ, નિધારા સિંઘ, સુંદર સિંઘ ઘલ્લી, સંતોક સિંઘ, રામ સિંઘ અને રામ ચંદ્ર જેવા ક્રાંતિકારીઓ સામેલ હતા


અમેરિકામાં સજા પામનારા એ 17 ભારતીયો અને સુનવણી દરમિયાન વારંવાર ચમકેલા બીજા ચાળીસેક નામની યાદી

આ કેસની અમેરિકન મીડિયામાં 'હિંદુ જર્મન કોન્સ્પિરેસી' અને 'ગદર મ્યુટિની' તરીકે વ્યાપક નોંધ લેવાઈ હતી. ખાસ કરીને સુનવણીના છેલ્લા દિવસે રામ સિંઘ નામના ગદર પાર્ટીના એક સભ્યે પોતાના જ સાથીદાર રામ ચંદ્રની ભરચક અદાલતમાં ગોળી મારીને હત્યા કરી દેતા સનસનાટી મચી ગઈ હતી. એ પછી અદાલતમાં ઊભેલા એક પોલીસ જવાને પણ રામ સિંઘને તાત્કાલિક ગોળી મારી દીધી. રામ સિંઘને શંકા હતી કે, રામ ચંદ્રે ગદરના ભંડોળનો દુરુપયોગ કર્યો છે. આ કેસની ૧૫૫ દિવસની સુનવણીમાં લાલા હરદયાલ અને રાશ બિહારી બોઝ સહિત કુલ ૪૦ નામો વારંવાર ચમક્યા, પરંતુ તેમાંના મોટા ભાગના અમેરિકામાં ન હોવાથી બચી ગયા. આ ઘટના બ્રિટીશરો માટે મ્યુટિની (બળવો) હતી, આપણા માટે નહીં. ભારત માટે એ આઝાદીનું આંદોલન હતું.

ગદર પાર્ટીની રચનાનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આ પાર્ટીના સભ્યોને પ્રેરિત કરવામાં એક ગુજરાતીએ  પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગદર પાર્ટી એક અખબાર પણ પ્રકાશિત કરતી હતી, જેની ગુજરાતી આવૃત્તિનું તંત્રીપદ એક ગુજરાતી ક્રાંતિકારીને સોંપાયું હતું.

આવી બીજી ઘણી બધી વાતો આવતા અઠવાડિયે. 

નોંધઃ તમામ તસવીરો ગૂગલ પરથી લીધી છે, જ્યારે સત્તર ભારતીયો સહિત બીજા ચાળીસેક આરોપીઓના નામની યાદી બતાવતી તસવીર સાઉથ એશિયન અમેરિકન ડિજિટલ લાઇબ્રેરીની (ઓપન સોર્સ) છે.