Showing posts with label Biopic. Show all posts
Showing posts with label Biopic. Show all posts

08 December, 2018

હીરાલાલ સેન: ભારતીય સિનેમાના અસલી હીરો


ભારતની પહેલી ફિલ્મ કઈ હતી અને એ કોણે બનાવી હતી? જનરલ નોલેજ તરીકે પૂછાતા આ પ્રશ્નોના જવાબ આપણને નાનપણથી ગોખાઈ ગયા છે કે, ભારતની પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' હતી, જે ધુંડીરાજ ગોવિંદ ફાળકેએ બનાવી હતી. ભારતીય સિનેમાના જનક ગણાતા એ ફિલ્મમેકરને આજે આપણે દાદાસાહેબ ફાળકે તરીકે ઓળખીએ છીએ. ફાળકે સાહેબે ત્રીજી મે, ૧૯૧૩ના રોજ દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં આવેલા વિખ્યાત કોરોનેશન એન્ડ વેરાયટી હૉલમાં ચાળીસ મિનિટ લાંબી એ મૂંગી ફિલ્મ રજૂ કરી હતી. આજના ધારાધોરણો પ્રમાણે 'રાજા હરિશ્ચંદ્ર' શોર્ટ ફિલ્મ ગણાય, પરંતુ ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને ભારતની પહેલી ફૂલ લેન્થ ફિચર ફિલ્મનું બહુમાન મળ્યું છે. આ તો જાણીતી વાત થઈ પણ તમને જાણીને નવાઈ લાગશે કે, ફાળકે સાહેબે પહેલી ફિલ્મ રજૂ કર્યાના વર્ષો પહેલાં એક બંગાળી યુવકે ૧૮૯૭થી ૧૯૧૩ વચ્ચે એક-બે નહીં પણ કુલ ૩૦ ફિલ્મ બનાવી હતી.

***

એ ફિલ્મ મેકર એટલે હીરાલાલ સેન.

ભારતીય અને વિદેશી ફિલ્મ ઈતિહાસકારો પણ સ્વીકારે છે કે, ભારતના પહેલાં ફિલ્મ મેકર તરીકેનું બહુમાન હીરાલાલ સેનને જ મળવું જોઈએ. જોકે, હીરાલાલે જે કંઈ સર્જન કર્યું તેને ફિલ્મોના ખાનામાં મૂકી શકાય કે નહીં એ ચર્ચાનો વિષય છે કારણ કે, તેમની મોટા ભાગની ફિલ્મો માંડ અમુક સેકન્ડો કે મિનિટની હતી. ઐતિહાસિક નોંધોમાં માહિતી મળે છે કે, દાદાસાહેબ ફાળકેની ફિલ્મ રિલીઝ થયાના વર્ષો પહેલાં, ૧૯૦૩માં, હીરાલાલ સેને 'અલીબાબા એન્ડ ફોર્ટી થિવ્સ' નામની બે કલાક લાંબી ફૂલ લેન્થ ફિચર ફિલ્મ બનાવી હતી. એમ તો દાદાસાહેબ ફાળકેએ ભારતમાં પહેલી ફિલ્મ રિલીઝ કરી તેના ૧૭ વર્ષ પહેલાં, સાતમી જુલાઈ ૧૮૯૬ના રોજ, બોમ્બેની વૉટ્સન હોટેલમાં ઓગસ્ટ અને લુઈ લુમિયરે રજૂ કરેલી કુલ છ ફિલ્મ માંડ એક-એક મિનિટની જ હતી. આમ છતાં, ભારતમાં રજૂ કરાયેલી પહેલી ફિલ્મોની વાત આવે ત્યારે ફ્રાંસના લુમિયર બંધુઓને જ યાદ કરાય છે ને?

લુમિયર બંધુઓ, હીરાલાલ સેન યુવાનીમાં અને નીચેની તસવીરમાં (ડાબેથી પહેલા) ટેન્ટમાં બેસીને ફિલ્મ જોતા વૃદ્ધ હીરાલાલ સેન


લુમિયર બંધુઓ પાસે તો ફિલ્મ દર્શાવવા ટેક્નોલોજિકલ સપોર્ટ હતો અને બજેટનો પણ કોઈ પ્રશ્ન ન હતો, જ્યારે હીરાલાલ સેને ૧૮૯૭માં ટાંચા સાધનો અને મર્યાદિત બજેટમાં પહેલી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે, લુમિયર બંધુઓએ ભારતમાં પહેલી ફિલ્મ રજૂ કરી તેના એક જ વર્ષ પછી હીરાલાલે ફિલ્મ બનાવવાના ક્રાંતિકારી પ્રયોગ કર્યા હતા. આ સિવાય પણ તેમના નામે અનેક સિદ્ધિઓ બોલે છે. ક્યારેક તો હીરાલાલે ફક્ત ડોક્યુમેન્ટરી બનાવવાના હેતુથી ઐતિહાસિક ઘટનાઓના શોટ્સ લીધા હતા. ૧૯૦૧માં તેમણે બંગાળના વિખ્યાત ક્લાસિક થિયેટરના અનેક નાટકોના મહત્ત્વના દૃશ્યોનું  શૂટિંગ કરી લીધું હતું. ૧૯૦૩માં ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાનો દિલ્હીમાં ભવ્ય રાજ્યાભિષેક થયો, એ ઘટનાના પણ હીરાલાલે 'કોરોનેશન સેરેમની એન્ડ દરબાર' નામની ડોક્યુમેન્ટરી માટે શોટ્સ લીધા હતા.

૧૯૦૪માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કરવાનો નિર્ણય કર્યો તેના વિરોધમાં હજારો લોકોએ રેલી કાઢી હતી. અંગ્રેજોના આ નિર્ણય સામે બંગાળીઓનો ગુસ્સો દર્શાવવા હીરાલાલે બહુમાળી ઈમારત પર કેમેરા ગોઠવીને જંગી રેલીના દૃશ્યોનું શૂટિંગ કર્યું હતું. આ દરમિયાન બંગાળના ક્રાંતિકારી નેતા સુરેન્દ્રનાથ બેનરજીએ રેલીને સંબોધન કર્યું હતું. એ પ્રસંગની પણ હીરાલાલે વીડિયોગ્રાફી કરી હતી. આ નાનકડી ફિલ્મને ઈતિહાસકારો ભારતની પહેલી રાજકીય ડોક્યુમેન્ટરી ગણે છે. ૧૯૦૬માં બાળ ગંગાધર ટિળકે જાહેરમાં ગંગાસ્નાન કર્યું, એ દૃશ્યોનું શૂટિંગ કરીને પણ હીરાલાલે 'તિલક બાથિંગ એટ ધ ગંજીસ' નામે ડોક્યુમેન્ટરી બનાવી હતી. ૧૯૧૩માં તેમણે કુંભ મેળાના દૃશ્યોનું શૂટિંગ કરીને 'હિંદુ બાથિંગ ફેસ્ટિવલ એટ અલ્લાહાબાદ' નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી.

***

હીરાલાલ સેન જમાનાથી કેટલા આગળ હતા એની વધુ એક સાબિતી તેમણે જાહેરખબર ક્ષેત્રે કરેલા પ્રયોગો પરથી મળે છે. તમે જબકુસુમ હેર ઓઈલનું નામ સાંભળ્યુ હશે! હીરાલાલે ૧૯૦૫માં આ હેર ઓઈલની એડવર્ટાઈઝ બનાવવા હુગલી નદીના કિનારે એક ભવ્ય બંગલૉમાં સેટ ડિઝાઈન કરાવ્યો હતો. એ જમાનામાં કોઈ પ્રોડક્ટની જાહેરખબર માટે ડિરેક્ટર સેટ ડિઝાઈન કરાવે એ પ્રયોગ જ નવતર હતો. એ જ વર્ષે તેમણે એડવર્ડ્'સ એન્ટિ મેલેરિયા ડ્રગની જાહેરખબર પણ બનાવી હતી. આટલા વર્ષો પહેલાં તેમણે દવા વેચવા અઠંગ એડગુરુ જેવી કમાલ કરી બતાવી હતી. આમ, દેશની પહેલી ફિલ્મ અને રાજકીય ડોક્યુમેન્ટરી જ નહીં, પહેલી એડવર્ટાઈઝમેન્ટ બનાવવાનો શ્રેય પણ હીરાલાલને જ જાય છે.

હીરાલાલ સેને ઉપયોગમાં લીધેલા કેમેરા, જે ફિલ્મ ઈતિહાસકાર અંજન બોઝના પરદાદા  અને
વિખ્યાત ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની અરોરા ફિલ્મ્સના સ્થાપક  અનાદિનાથ બોઝે ખરીદી લીધા હતા. 


ભારતીય સિનેમાના ઈતિહાસમાં હીરાલાલ સેનનું પ્રકરણ સુવર્ણ અક્ષરોમાં લખાવું જોઈએ, પરંતુ આજે સિનેમાના વિદ્યાર્થીઓ અને ઈતિહાસકારો સિવાય ભાગ્યે જ કોઈને તેમના વિશે પૂરતી જાણકારી છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ૨૦૧૨થી તંબૂઓ ઊભા કરીને મૂંગી ફિલ્મો દર્શાવાય છે. ફિલ્મ રસિયા વીસમી સદીના માહોલનો અનુભવ કરી શકે માટે આ રીતે ફિલ્મો રજૂ કરાય છે. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલે આ પ્લેટફોર્મને 'હીરાલાલ સેન મંચ' નામ આપ્યું છે. આ મહાન ફિલ્મ સર્જકને મળેલી સૌથી મોટી ઓળખ એટલે આ મંચ. આ સિવાય તેમના નામે કોઈ નાનો-મોટો એવોર્ડ કે પ્રમાણપત્ર સુદ્ધાં અપાતું નથી. આ વર્ષે દસમીથી ૧૭મી નવેમ્બર દરમિયાન યોજાયેલા ૨૪મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હીરાલાલ સેનની બાયોપિક 'હીરાલાલ' પણ પ્રદર્શિત થઈ. અરુણ રોયે બનાવેલી આ ફિલ્મ  બંગાળીમાં છે, પરંતુ આ ફિલ્મના કારણે હીરાલાલ સેને ભારતીય સિનેમાને કરેલું પ્રદાન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યું છે.

***

હીરાલાલનો સિનેમા સાથેનો નાતો ખૂબ રસપ્રદ રીતે શરૂ થયો હતો. હીરાલાલનો જન્મ બીજી ઓગસ્ટ, ૧૮૬૬ના રોજ બંગાળના માણિકગંજ (હાલ બાંગ્લાદેશમાં) જિલ્લાના બાગજુરી ગામના જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના જમીનદાર પિતા ચંદ્રમોહન સેન સફળ એડવોકેટ હતા. હીરાલાલને નાનપણથી જ પેઈન્ટિંગ અને સ્ટિલ ફોટોગ્રાફીમાં ભારે રસ હતો. જોકે, ફક્ત શ્રીમંતો અને અંગ્રેજો જ આવા મોંઘેરા શોખ રાખી શકતા હતા, અને, હીરાલાલ એ નસીબદારો પૈકીના એક હતા. ઈસ. ૧૮૮૭માં હીરાલાલે ભારતની સૌથી મોટી બુર્ન એન્ડ શેફર્ડ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ મેડલ જીત્યો હતો. એ વખતે સ્ટિલ ફોટોગ્રાફીના સાધનોના સૌથી મોટા ડીલર તરીકે બુર્ન એન્ડ શેફર્ડ નામના ધરાવતી કંપની હતી.

કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધી હીરાલાલ સ્ટિલ ફોટોગ્રાફીની સ્પર્ધાઓમાં કૌવત બતાવી ચૂક્યા હતા. આ દરમિયાન પ્રો. સ્ટિવન્સન નામના એક અંગ્રેજે કોલકાતાના સ્ટાર થિયેટરમાં 'ધ ફ્લાવર ઓફ પર્શિયા' નામની ફિલ્મનો શૉ યોજ્યો. એ શૉમાં હીરાલાલે પહેલીવાર ફિલ્મ જોઈ, અને, ફક્ત સ્ટિલ ફોટોગ્રાફી જાણતા હીરાલાલ 'મોશન પિક્ચર્સ' જોઈને જ ચોંકી ગયા. એ પછી તેમણે પણ અંગ્રેજી જર્નલોનો અભ્યાસ શરૂ કરીને પોતાનું 'ચલચિત્ર' બનાવવાનો પડકાર ઝીલી લીધો. એકસમાન શોખ ધરાવતા પ્રો. સ્ટિવન્સન અને હીરાલાલની દોસ્તી પણ જામી ગઈ. હીરાલાલે પ્રો. સ્ટિવન્સનના કેમેરા પર હાથ અજમાવવાનું શરૂ કર્યું અને તેમની ફિલ્મ 'ધ ફ્લાવર ઓફ પર્શિયા'માંથી થોડા દૃશ્યો લેવાની મંજૂરી પણ મેળવી લીધી.

કોલકાતાનું ઐતિહાસિક સ્ટાર થિયેટર, જ્યાં પ્રો. સ્ટિવન્સને યોજેયા શૉમાં
હીરાલાલ સેને પહેલીવાર ‘મોશન પિક્ચર’ જોયું હતું 


એ વર્ષ હતું, ૧૮૯૮. એ વર્ષે હીરાલાલે પ્રો. સ્ટિવન્સનની ફિલ્મમાંથી થોડા દૃશ્યો લઈને પોતાની પહેલી ફિલ્મ રજૂ કરી, 'ડાન્સિંગ સીન્સ ફ્રોમ ધ ફ્લાવર ઓફ પર્શિયા'. આઈએમડીબીએ પણ હીરાલાલની પહેલી ફિલ્મ તરીકે આ જ ફિલ્મની નોંધ કરી છે. એ પછી હીરાલાલે લંડનની વૉરવિક ટ્રેડિંગ કંપનીમાંથી સિનેમેટોગ્રાફ મશીન મંગાવ્યું. એ મશીન ખરીદવા હીરાલાલના પિતાએ એ જમાનામાં પુત્રને રૂ. પાંચ હજાર આપ્યા હતા. બંગાળમાં કળા અને સાહિત્ય ક્ષેત્રે આવેલી ક્રાંતિથી પ્રભાવિત એવા ચંદ્રમોહન સેનને પોતાનો પુત્ર સિનેમાની કળામાં રસ લે એમાં વાંધો ન હતો. ત્યાર પછી હીરાલાલે તેમના ભાઈ મોતીલાલ સેન સાથે રોયલ બાયોસ્કોપ કંપની શરૂ કરી. એ વળી ભારતની પહેલી ફિલ્મ કંપની ગણાય છે. આ કંપનીના બેનર હેઠળ તેઓ અમુક સેકન્ડની ફિલ્મો બનાવતા તેમજ યુરોપથી ફિલ્મો આયાત કરીને શ્રીમંતોની પાર્ટીઓ-લગ્નોમાં શૉ કરીને કમાણી કરતા.

***

એ જમાનામાં બંગાળના ફક્ત બે જ વિસ્તારમાં વીજળી પહોંચતી, હાવરા બ્રિજ અને મૈદાન. આ વિસ્તારોમાં પણ સતત વીજળી મળતી નહીં, એટલે હીરાલાલ ચુના અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરીને ફિલ્મના પડદામાં ઉજાસ લાવતા. આ કામમાં તેમને કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ફાધર ઈ. જે. લેફોન્ટે મદદ કરી હતી. ફાધર લેફોન્ટ વિદ્યાર્થીઓના ક્લાસ લેતી વખતે ફોનોગ્રાફ અને ચુના પર પ્રક્રિયા કરીને જલાવેલા ફાનસનો ઉપયોગ કરતા. જે જમાનામાં અમુક સેકન્ડોની ફિલ્મ રિલીઝ કરવી મોટી સિદ્ધિ ગણાતી, એ સમયે હીરાલાલે સિનેમા ક્ષેત્રે ઈનોવેશન કર્યા હતા. હીરાલાલ ખરા અર્થમાં સર્જક હતા. તેમણે એકાદ-બે ફિલ્મો બનાવીને સંતોષ માનવાના બદલે રંગભૂમિ અને રાજકીય ઘટનાઓનું શૂટિંગ કરી લીધું હતું એ વાત જ કેટલી રોમાંચક છે! હીરાલાલે એક જગ્યાએ કેમેરા ફિક્સ કરીને શૂટિંગ કરવાના બદલે ક્લોઝ અપ, પેનિંગ અને ટિલ્ટ જેવી ટેક્નિક્સથી શૂટિંગ કર્યું હતું.

હીરાલાલ સેનની બાયોપિક બનાવનારા (ક્લોકવાઈઝ) અરુણ રોય, મુખ્ય ભૂમિકામાં બંગાળી અભિનેતા કિંજલ નંદા
અને ગુજરાતી પારસી ફિલ્મ ઉદ્યોગસાહસિક જમશેદજી ફરામજી માદનની ભૂમિકામાં શાશ્વત ચેટરજી 

જોકે, હીરાલાલ નાની ઉંમરમાં જ ગળાના કેન્સરનો ભોગ બન્યા હતા. એ પછી ૧૯૧૩માં રોયલ બાયોસ્કોપ કંપનીએ નાદારી નોંધાવી, અને, હીરાલાલે કેમેરા સહિતના બધા જ સાધનો વેચી દીધા. ત્યાર પછી ૨૪મી ઓક્ટોબર, ૧૯૧૭ના રોજ હીરાલાલને સમાચાર મળ્યા કે, પશ્ચિમ બંગાળના ચિતપુરમાં આવેલા તેમના ભાઈના ગોડાઉનમાં આગ ફાટી નીકળી છે. એ ગોડાઉનમાં હીરાલાલે બનાવેલી બધી જ ફિલ્મોની પ્રિન્ટ બળીને ખાક થઈ ગઈ હતી. કદાચ આ જ કારણસર તેઓ ઈતિહાસમાં ગૂમનામ થઈ ગયા. આ ઘટનાના થોડા સમય પછી તેમનું પણ મૃત્યુ થઈ ગયું.

આશા રાખીએ કે, હીરાલાલની બાયોપિક હિન્દી સહિતની બીજી ભાષાઓમાં પણ રિલીઝ થાય અને આ મહાન ફિલ્મ સર્જકે ભારતીય સિનેમા માટે કરેલા પ્રદાનની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે!

નોંધઃ 

- હીરાલાલની ફિલ્મો બળી ગઈ એ માટે અરુણ રોયે ‘હીરાલાલ’માં જમશેદજી ફરામજી માદન જવાબદાર  હોવાનો સંકેત આપ્યો છે. આ વિશેના કોઈ સત્તાવાર પુરાવા નથી, પરંતુ ઐતિહાસિક તવારીખના આધારે  ફક્ત શંકાના આધારે તેમણે ફિલ્મમાં જમશેદજીને વિલન બતાવ્યા છે. 

- પશ્ચિમ બંગાળની વિખ્યાત ફૂટબોલ ક્લબ મોહન બાગાને ૧૯૧૧માં પહેલીવાર અંગ્રેજોની ઈસ્ટ યોર્કશાયર ફૂટબોલ ટીમને હરાવી હતી. એ મેચથી ફૂટબોલની રમતમાં અંગ્રેજોની જીતની અતૂટ પરંપરા તૂટી હતી. આ ઘટનાને કેન્દ્રમાં રાખીને પણ અરુણ રોયે ‘ઈગારો’ (એટલે અગિયાર) નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ યૂ-ટ્યૂબ પર જોઈ શકાય છે. 

15 July, 2015

સંજય ગાંધીની બાયોપિકઃ મંજિલ બહોત દૂર હૈ...


ભારતમાં દર વર્ષે સરેરાશ ૭૦૦ ફિલ્મો બનતી હોવા છતાં ફિલ્મની વાર્તા અને પટકથામાં વૈવિધ્યતાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. વિશ્વના કોઈ દેશમાં ભારતમાં બને છે એટલી ફિલ્મો બનતી નથી એ વાત સાચી પણ આપણી નેવું ટકાથી પણ વધુ ફિલ્મોની ગુણવત્તાનો પારો કંગાળજનક રીતે નીચો હોય છે. ભારતીય ફિલ્મોની વાર્તા-પટકથા પણ બીબાંઢાળ હોય છે. જેમ કે, ભારતમાં રોમાન્સ, એક્શન, ક્રાઈમ કે કોમેડી જોનરની ફિલ્મો વધારે બને છે અને એ બધીની વાર્તા 'લગભગ એકસરખી' હોય છે. જોકે છેલ્લાં ઘણાં સમયથી નવા જોનરની ફિલ્મો આવી રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આવો જ એક પ્રકાર છે, બાયોપિકનો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ નેવુંના દાયકાથી ઢગલાબંધ બાયોપિક બની છે અને દર્શકોએ તેને પસંદ પણ કરી છે.

હવે જાણીતા ફિલ્મ ડિરેક્ટર હંસલ મહેતાએ સંજય ગાંધીની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. સંજય ગાંધીના જીવનકવન પરથી બની રહેલી ફિલ્મને પબ્લિસિટીનો ખર્ચ કર્યા વિના પબ્લિસિટી ના મળે તો જ નવાઈ. આ ફિલ્મની જાહેરાત થતાં જ તેની ભરપૂર ચર્ચા થઈ રહી છે જેના અનેક કારણો છે. સંજય ગાંધી ભારતીય રાજકારણના સૌથી વિવાદાસ્પદ નેતાઓમાંના એક છે અને ગાંધી પરિવારના ફરજંદ છે. સંજય ગાંધીની બાયોપિકની દૃષ્ટિએ વિચારીએ તો સંજય ગાંધી નહેરુના દોહિત્ર (પુત્રીનો દીકરો) છે એના કરતા પણ વધારે વજનદાર વાત એ છે કે, તેઓ ઈન્દિરા ગાંધીના પુત્ર છે. ઈન્દિરા ગાંધી કટોકટીના કલંકિત ઈતિહાસના 'સ્ટાર' છે, તો તેમના પુત્ર સંજય ગાંધી 'સુપર સ્ટાર' છે. એવું કહેવાય છે કે, જેમનાથી ભલભલા ગભરાતા હતા એવા 'મર્દ' વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પણ પુત્ર સંજય ગાંધીના કાબૂમાં હતા. કટોકટીકાળમાં 'વોશિંગ્ટન પોસ્ટ'ના પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા પત્રકાર લુઈસ એમ. સિમોન્સે એક ન્યૂઝ સ્ટોરીમાં દાવો કર્યો હતો કે, કટોકટી લાદવામાં આવી એ પહેલાં એક પ્રાઈવેટ ડિનર પાર્ટીમાં સંજય ગાંધીએ ઈન્દિરા ગાંધીને છ લાફા માર્યા હતા. માતા વડાપ્રધાન હતા ત્યારે સંજય ગાંધીએ કોંગ્રેસના કેટલાક લુચ્ચા નેતાઓની મંડળી ઊભી કરીને 'સમાંતર સરકાર' ઊભી કરી દીધી હતી. મોટા ભાગે સફેદ કુર્તા પાયજામામાં સજ્જ સંજય ગાંધી તેમના જમાનાના 'રંગીન' નેતા તરીકેની પણ છાપ ધરાવતા હતા. ભારતના રાજકીય ઈતિહાસમાં કટોકટી ભલે 'કલંક’ હોય પણ એ વખતે અનેક લોકો સંજય ગાંધીને સન્માનની લાગણીથી 'એન્ગ્રી યંગ મેન' કહીને બિરદાવતા હતા. કટોકટીના તરફદારોનું માનવું હતું કે, ભારતીય લોકશાહીને સંજય ગાંધી જેવા નેતાની જ જરૂર છે.

સંજય ગાંધી અને ઈન્દિરા ગાંધી


આમ કોઈ પણ બાયોપિકને સફળ થવા માટે જે કોઈ મરીમસાલો જોઈએ એ સંજય ગાંધીના જીવનમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. વળી, સંજય ગાંધીની બાયોપિક બનાવવાની જાહેરાત 'શાહિદ' જેવી ઉત્તમ ફિલ્મ બનાવનારા ફિલ્મ દિગ્દર્શક હંસલ મહેતાએ કરી છે. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. સંજય ગાંધીની સંભવિત બાયોપિકનું બીજું એક મજબૂત પાસું એ છે કે, આ ફિલ્મ સ્વર્ગસ્થ પત્રકાર વિનોદ મહેતાના લખાણો અને તેમણે જ લખેલી સ્ક્રિપ્ટના આધારે બનવાની છે. સંજય ગાંધીનું જીવનકવન જોતાં એવું લાગે છે કે, બસ હવે આ વાર્તાને સ્ક્રીન પ્લે કરવાની જ જરૂર છે.

જોકે, સંજય ગાંધીની બાયોપિકની જાહેરાત થઈ ત્યારે સૌથી મહત્ત્વના પ્રશ્નો એ છે કે, શું ભારતમાં સંજય ગાંધીની બાયોપિક બનાવવી શક્ય છે? અને આ ફિલ્મ બન્યા પછી ભારતમાં તેની રિલીઝ શક્ય છે? આ પહેલાં ફિલ્મ ડિરેક્ટર મનીષ ગુપ્તાએ પણ વિદ્યા બાલનને લઈને ઈન્દિરા ગાંધીની બાયોપિક બનાવવાનું આયોજન કર્યું હતું. એવું કહેવાય છે કે, ગાંધી પરિવારે કેટલીક શરતો સાથે આ ફિલ્મ બનાવવાની 'મંજૂરી' આપી દીધી છે. આવી શરતી મંજૂરી મળ્યા પછી તટસ્થ ફિલ્મ બનાવવી અઘરી હોય છે. આ પહેલાં રામગોપાલ વર્માએ 'સરકાર' ફિલ્મ રિલીઝ કરતા પહેલાં બાળ ઠાકરેને બતાવવી પડી હતી. સદ્નસીબે તેમણે કોઈ કાપકૂપ વિના આ ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. સંજય ગાંધીની બાયોપિકનો મામલો આટલો સહેલાઈથી પાર પડે એવી શક્યતા નહીંવત છે. સંજય ગાંધીની લાઈફ સ્ટાઈલ અને રાજકીય તાણાવાણા એટલા બધા વિવાદાસ્પદ અને ગૂઢ છે કે, તેમના કરતા ઈન્દિરા ગાંધીની બાયોપિક બનાવવી પ્રમાણમાં સરળ છે. સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી નરેન્દ્ર મોદીની સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, જ્યારે તેમના પુત્ર ઉત્તરપ્રદેશના સુલતાનપુર મતવિસ્તારમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સાંસદ છે. આ પ્રકારના રાજકીય જોડાણોથી ફિલ્મની વાર્તા પ્રભાવિત ના થાય એ અશક્ય છે.

ભારતીયો તેમના નેતાઓને દેવદૂતનું સ્થાન આપે છે અથવા તો તેમને રાક્ષસ સમજે છે અને એટલે જ ભારતમાં રાજકીય હસ્તીની બાયોપિક બનાવવી ખૂબ અઘરી છે. રાજકીય પક્ષો પણ પોતાના નેતા માણસ છે અને ભૂલ માણસ જ કરી શકે એવું સ્વીકારી શકતા નથી. ફિલ્મ બનાવવાની જાહેરાત થાય ત્યારે 'મંજૂરી' ના લીધી હોય તો જે તે હસ્તીના પરિવારજનો ફિલ્મ દિગ્દર્શક અને કલાકારો સહિતના લોકોને અદાલતોમાં ઢસડી જાય એવી પૂરેપૂરી શક્યતા હોય છે. સિનેમાઘરોને રિલીઝ બદલ તોડફોડની ધમકીઓ મળે છે. જો ફિલ્મ રિલીઝ થઈ જાય પણ રાજકીય પક્ષોને વાંધો હોય તો ફિલ્મ જોવા સિનેમાઘરોમાં જવું જોખમી થઈ જાય છે કારણ કે, લોકપ્રિય નેતાનું અપમાન કરવા બદલ રાજકીય પક્ષોના કાર્યકરો ટોળાશાહી પર ઉતરી આવે છે. આ સંજોગોમાં રાજકીય વ્યક્તિના જીવન પરથી 'સારી' ફિલ્મ બનાવીને તેને રિલીઝ કરવામાં સાત કોઠા ભેદવા જેવો ઘાટ સર્જાય છે. ‘લાઈફ ઈન અ મેટ્રો’ અને ‘બરફી’ જેવી સુંદર ફિલ્મો બનાવનારા અનુરાગ બાસુ છેલ્લાં બે વર્ષથી કિશોર કુમારની બાયોપિકનું શૂટિંગ શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે. કિશોર કુમારના પરિવારજનોને પણ આ ફિલ્મ સામે વાંધો હતો. જોકે, તેમને તો બાસુએ મનાવી લીધા છે પણ હવે કિશોર કુમારના પરિવારજનોને ફિલ્મ પસંદ પડે એવી રીતે તેની સ્ક્રીપ્ટ પર કામ કરવું અઘરું થઈ ગયું છે. જો કિશોર કુમાર જેવા 'સીધાસાદા અને ફિલ્મી' વ્યક્તિ પર ફિલ્મ બનાવવી અઘરી હોય તો રાજકીય હસ્તી પર ફિલ્મ બનાવવી કેટલી અઘરી હોય એ સમજી શકાય એમ છે.

આ પહેલાં ફિલ્મ દિગ્દર્શક જબ્બાર પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા પ્રમાણમાં 'અઘરા' કહી શકાય એવા વિષય પર ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં ગાંધીના પાત્રને લઈને વિવાદ થવો સ્વાભાવિક હતો. આ અંગે પટેલે કહ્યું હતું કે, “મેં આંબેડકર પર ફિલ્મ બનાવી છે. ગાંધી કે મહાત્મા પર નહીં. તેઓ દરેક કામ પોતાની રીતે કરતા હતા અને આંબેડકર એવું નહોતા કરતા. આપણે આ મુદ્દે સ્વસ્થ ચર્ચા કરવી જોઈએ...”  જોકે, આપણે દરેક રાજકીય વ્યક્તિત્વોનું સ્વતંત્ર મૂલ્યાંકન નથી કરી શકતા અને એટલે જ કદાચ ‘સાચા ઈતિહાસ’થી પણ મહદ્અંશે અજાણ રહી ગયા છીએ. શ્યામ બેનેગલ જેવા ધુરંધર ફિલ્મ દિગ્દર્શકે ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ ધ ફોરગોટન હીરો’ ફિલ્મમાં નેતાજીનું વર્ષ ૧૯૪૫માં પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું (કે નહોતું થયું) એ વિવાદથી જ દૂર રહેવાનું પસંદ કર્યું હતું. આ ફિલ્મ સાવચેતીપૂર્વક બનાવાઈ હોવા છતાં કેટલાક સંશોધકોએ ફિલ્મ સામે અદાલતમાં કેસ કર્યો છે કારણ કે, ફિલ્મમાં નેતાજીને ઓસ્ટ્રિયન યુવતી એમિલી શેન્કલ સાથે પરણ્યા હોવાનું બતાવાયું છે. સંશોધકોનો દાવો છે કે, નેતાજીએ તેમની સેક્રેટરી એમિલી સાથે લગ્ન નહોતા કર્યા એના અમારી પાસે પુરાવા છે. આમ, ઐતિહાસિક તથ્યોના મતભેદોના કારણે પણ બાયોપિક બનાવવામાં વિવાદોને આમંત્રણ મળે છે.

આવા કારણોસર જ આપણે ત્યાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બાયોપિક બની છે. છેક વર્ષ ૧૯૩૩માં પુરન ભગત’, ૧૯૩૬માં સંત તુકારામઅને ૧૯૪૬માં ડૉ. કોટનીસ કી અમર કહાનીજેવી બાયોપિક બની હતી. ભારતમાં સંતોના જીવન પરથી ફિલ્મ બનાવવી સરળ છે અને આર્થિક રીતે પણ ફાયદાકારક છે કારણ કે, એમાં જે તે વ્યક્તિની ‘આરતી’ ઉતારવાની હોય છે અને ધર્મભીરુ દર્શકોની પણ કોઈ કમી નથી હોતી. ખેર, આવી કેટલીક ફિલ્મો પછી વર્ષ ૧૯૬૫માં ભગતસિંહના જીવન પર આધારિત મનોજકુમાર અભિનિત શહીદઆવી. વર્ષ ૧૯૮૨માં બહુચર્ચિત ગાંધી રિલીઝ થઈ અને ત્યાર પછી અનેક વર્ષો સુધી બાયોપિકનો લગભગ શૂન્યાવકાશ સર્જાયો. જોકે, નેવુંના દાયકાથી ફરી એકવાર બાયોપિક બનવાનો દોર શરૂ થયો અને વર્ષ ૧૯૯૩માં સરદારઅને ૧૯૪૪માં બેન્ડિટ ક્વિનજેવી ઉત્તમ બાયોપિક આપણને માણવા મળી. એ પછી ઝુબૈદા (ઝુબૈદા બેગમ), વીર સાવરકર, ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ, મંગલ પાંડે : ધ રાઈઝિંગ, ગુરુ (ધીરુભાઈ અંબાણી), રંગરસિયા (રાજા રવિ વર્મા), જોધા અકબર, ડર્ટી પિક્ચર (સિલ્ક સ્મિતા), શાહીદ (શાહીદ આઝમી), પાન સિંઘ તોમર, ભાગ મિલ્ખા ભાગ અને મેરી કોમ જેવી અનેક બાયોપિક આવી. ટૂંક સમયમાં આમિરખાનની દંગલ’ અને સોનમ કપૂરની નીરજા ભનોતએમ બે બાયોપિક પણ આવી રહી છે.

જો ભારતીય દર્શકોએ રાજકીય હસ્તીઓની ઉત્તમ બાયોપિક માણવી હશે તો બાયોપિક અને પૌરાણિકફિલ્મો વચ્ચેનો ભેદ સમજવો પડશે કારણ કે, બાયોપિકમાં રાજકીય વ્યક્તિત્વોને ‘સંત’ તરીકે ચીતરી ના શકાય. જો એવું કરવામાં આવે તો એ ફિલ્મ નહીં ‘આરતી’ થઈ જાય એવી સીધીસાદી સમજ ભારતીય દર્શકોએ કેળવવી પડશે.