Showing posts with label ભ્રષ્ટાચાર. Show all posts
Showing posts with label ભ્રષ્ટાચાર. Show all posts

04 March, 2018

ખેડૂતોની આત્મહત્યાઓ માટે ભ્રષ્ટ બેંકો પણ જવાબદાર


ચાણક્યએ ચોથી સદીમાં 'અર્થશાસ્ત્ર' ગ્રંથમાં લખ્યું છે કે, જેવી રીતે માછલીઓ કેટલું પાણી પીએ છે એ જાણી ના શકાય. એવી જ રીતે, કર ઉઘરાવતા અધિકારીઓ કેટલો ભ્રષ્ટાચાર કરે છે એ જાણવું અશક્ય છે.

સદીઓ પહેલાં ચાણક્યે કરેલી આ વાત ભારતની ભ્રષ્ટ સરકારી બેંકોને પણ લાગુ પડે છે. બેંકોના ભ્રષ્ટ સરકારી બાબુઓ લોન તો બધાને આપે છે પણ પઠાણી ઉઘરાણી ફક્ત આમ આદમી અને ખેડૂતો પાસે જ કરે છે. વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ બિંદાસ દેશ છોડીને ભાગી જાય છે, વિદેશમાં બેશરમીથી જલસા કરે છે, પહેલાં બેંકો પાસેથી દાદાગીરી-છેતરપિંડીથી લોન લે છે અને પછી 'પૈસા નહીં મળે, થાય તે કરી લેજો' જેવી ધમકી પણ આપે છે, પરંતુ સામાન્ય માણસે કે ખેડૂતોએ દેવું થાય તો આત્મહત્યા કરવાનો જ વારો આવે છે. 

વિખ્યાત અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે એકવાર કહ્યું હતું કે, બેંક એટલે એવી જગ્યા જે હવામાન સારું હોય ત્યારે છત્રી ખરીદવાની લોન આપે અને વરસાદ પડે ત્યારે પાછી લઈ લે. આ વાત પણ આમ આદમીને જ લાગુ પડે છે. વરસાદ ના પડતો હોય તો પણ ધનવાનોને છત્રીઓ આપવા આપણી સરકારી બેંકો હાજરાહુજુર જ છે. ભારતમાં બેંકિંગ સહિતની કોઈ પણ સરકારી સિસ્ટમના મોટા ભાગના સરકારી બાબુઓ સત્તા અને ધનના ચરણોમાં આળોટતા હોય છે, જ્યારે અભણ ખેડૂતો એકા લાખની લોન લેવા જાય ત્યારે સરકારી બાબુઓ જાતભાતના કાગળિયા માંગીને તેમની પાસે ત્રણેક હજાર રૂપિયાનો ખર્ચ કરાવી દે છે. જરા વિચારો. એક નાના ખેડૂતને લોન મળે છે તેના ત્રણ ટકા લોન મળતા પહેલા જ ખર્ચાઈ જાય છે. એ પણ કદાચ ઉધારી કરીને લાવ્યો હોય છે. સરકારને સલાહસૂચન આપતા નિષ્ણાતો તો આ આંકડો ક્યારેક દસ ટકાથી પણ વધારે હોવાની રજૂઆતો કરી ચૂક્યા છે.




આ આંકડામાં સરકારી કર્મચારીઓ-અધિકારીઓને ચૂકવાતું કમિશન પણ આવી ગયું. અહીં જમીનો બતાવીને ખેડૂત થયેલા રાજકારણીઓ અને સેલિબ્રિટી ખેડૂતોની નહીં પણ અસલી ખેડૂતોની વાત થઈ રહી છે. ખેડૂતોની આત્મહત્યાના જુદા જુદા સ્ટેટિસ્ટિક્સ પર નજર કરતા ખબર પડે છે કે, આત્મહત્યાઓ ક્યારેય જમીન માલિકો નહીં પણ નાના ખેડૂતો અને ખેતમજૂરો જ કરે છે. એમાંય ગ્રામીણ ભારતમાં વસતા ગરીબના હાલ શહેરોમાં વસતા ગરીબો કરતા અનેકગણા વધારે બદતર છે. જાવેદ અખ્તરે એક શેરમાં બહુ મોટી વાત કરી દીધી છે. તેઓ કહે છે કે, ‘‘ઊંચી ઇમારતો સે મકાં મેરા ઘિર ગયા, કુછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે.’’ બિલકુલ આવી જ રીતે, વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ એક ખેડૂતને મળનારો હિસ્સો હજમ કરી જાય છે અને ઓડકાર પણ ખાતા નથી. 

આજેય ગ્રામીણ ભારતનો ૪૯ ટકા વર્ક ફોર્સ સીધી અને આડતરી રીતે કૃષિ અર્થતંત્રમાંથી રોજગારી મેળવે છે, પરંતુ જીડીપીમાં કૃષિનો હિસ્સો માંડ ૧૭ ટકા છે. કૃષિ અર્થતંત્રની હાલત હજુ વધારે ખરાબ કરવામાં કરવામાં સરકારી બેંકોનો ભ્રષ્ટાચાર આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. એટલે ખેડૂતોની આત્મહત્યા માટે પણ સરકારી બેંકોના ભ્રષ્ટાચારને પણ જવાબદાર ઠેરવી જ શકાય. બેંકો પાસેથી લોન લઈને છેતરપિંડીના મહાકૌભાંડો બહાર આવે છે ત્યારે દલીલ કરાય છે કે, આ પ્રકારના કિસ્સા એકલદોકલ છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લાં પાંચ જ વર્ષમાં સરકારી બેંકોને નહીં ચૂકવાયેલી લોનની રકમ રૂ. ૬૧ હજાર કરોડે પહોંચી ગઈ છે. સરકારી બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ (કે બેડ લોન્સ) સતત વધી રહી છે. બેંકોની આટલી મોટી રકમ કોણ હજમ કરી ગયું? તમારા મારા જેવા સામાન્ય લોકો નહીં પણ કોર્પોરેટ્સ. કરોડપતિઓને ગમે તેમ કરીને લોન છૂટી કરી આપવામાં ભ્રષ્ટ બેંકરોનો સાથ હોય છે અને લોન ચોરોને ભગાડી દેવામાં રાજકારણીઓનો સાથ હોય છે. ભારતને પછાત અને ભ્રષ્ટ દેશ રાખવામાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી બાબુઓનું નેક્સસ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકની લોન આપવા બધા જ સરકારી બાબુઓને કમિશન આપ્યું હતું અને જે વચ્ચે પડ્યા તેમને ધમકાવીને ચૂપ કરી દીધા હતા. વિકસિત દેશોમાં બેંકોની બાગડોર સરકારી બાબુઓ નહીં પણ બેંકિંગ સિસ્ટમને સારી રીતે સમજતા બેંકરોના હાથમાં છે, જ્યારે આપણી સરકારી બેંકો પર સૂટબૂટમાં મહાલતા કમિશનબાજોનો કબજો છે. એટલે આજેય એક સરેરાશ ભારતીય એવું જ માને છે કે, બેંકો (અને બધા સરકારી વિભાગો) તો રાજકારણીઓ કે કરોડપતિઓના ખિસ્સામાં છે. ઓળખાણ જ સૌથી મોટી ખાણ છે. આ પ્રકારની નકારાત્મકતામાંથી એક સરેરાશ મધ્યમ વર્ગીય માણસના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે, રાજકારણીઓ અને સરકારી બાબુઓ કૌભાંડી છે અને ફક્ત આપણા પૈસે જલસા કરે છે. એટલે અમે ટેક્સ શેનો ભરીએ? ભારતીયો માટે ટેક્સ ચોરી એ ભ્રષ્ટાચાર નહીં પણ આવડત છે. આમેય, દેશમાં માંડ બે-ત્રણ ટકા નોકરિયાત વર્ગ જ ટેક્સ ભરે છે. કૃષિની આવક પર ટેક્સ નથી પણ તેના લાભ છેવાડા સુધી પહોંચ્યા નથી. ટૂંકમાં, આજેય ભારતનું કર માળખું જટિલ અને ખામીયુક્ત છે.

બેંકોની વાત પર પાછા ફરીએ. ઈન્દિરા ગાંધીએ ૧૯૬૯માં બેંકોનું સરકારીકરણ કર્યું ત્યારે પણ એ જ દલીલ કરાઈ હતી કે, કૃષિની આવક પર ટેક્સ નહીં હોવા છતાં ગ્રામીણ ભારતના ગરીબને તેના લાભ મળતા જ નથી. છેવટે ઈન્દિરા ગાંધીએ બેંકોનું સરકારીકરણ કર્યું. ખેર, એ નિર્ણય જે તે સમયે બરાબર હશે, પરંતુ સરકારી બેંકો પર 'સરકાર'નો પગદંડો મજબૂત બનતા ભ્રષ્ટાચાર પણ વધ્યો. ઈન્દિરા ગાંધીએ જે હેતુ માટે બેંકોનું સરકારીકરણ કર્યું તેના ફાયદા સામાન્ય માણસાને મળ્યા-ના મળ્યાં ત્યાં સુધીમાં તો સરકારી બેંકોના મેનેજમેન્ટમાં રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓનો પંજો ફેલાઈ ચૂક્યો હતો. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ૧૯૯૧માં વડાપ્રધાન નરસિમ્હા રાવ અને નાણા મંત્રી મનમોહન સિંહે આર્થિક સુધારાના ભાગરૂપે બીજી પણ અનેક બેંકો શરૂ કરવા લાયસન્સ આપીને સરકારી બેંકોનું એકહથ્થું શાસન કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો.

જોકે, હથકંડાથી પણ સરકારી બેંકોના માથાના દુ:ખાવાનો સંપૂર્ણ ઈલાજ ના થયો. દેશના બહુ મોટા ગ્રામીણ વર્ગને ફાયદો પહોંચાડવામાં પણ સરકારી બેંકો સરેઆમ નિષ્ફળ ગઈ. ઓલ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના આંકડા કહે છે કે, ખેડૂતોમાં જોખમી સ્રોતો પાસેથી ઉધારી લેવાનું, લોનો લેવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આ જોખમી એટલે આજના શાહુકારો. એવી પણ દલીલ છે કે, શાહુકારો પાસેથી લોન લેવાનું પ્રમાણ વધ્યું હોવાથી ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે કારણ કે, આ લોકો ખેડૂતો પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે, બેંકો નહીં. જોકે, એ દલીલ પણ અર્ધસત્ય છે. સરકારી બેંકો ખેડૂતોને લોન આપવામાં નિષ્ફળ ગઈ એટલે જ ખેડૂતો જોખમી સ્રોતો પાસે ઉધારી કરવા ગયા ને?

બીજા એક આંકડા પર નજર કરીએ. નેવુંના દાયકાના અંતમાં આર્થિક ઉદારવાદની શરૂઆત થઈ ત્યારે ગામડામાં વસતા ૧૩,૬૬૫ નાગરિકો દીઠ એક બેંક હતી. ત્યાર પછી ૨૦૦૪માં સરકારે કૃષિ ક્ષેત્રની લોન બેવડી કરવાની જાહેરાત કરી, પરંતુ ત્યાં સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સરકારી બેંકોની ૯૦૦ શાખા બંધ થઈ ગઈ હતી. એ પછી યુપીએ સરકારે ૨૦૦૪થી ૨૦૧૨ વચ્ચે વિવિધ બેંકોની ૫૭૧૦ ગ્રામ્ય શાખા શરૂ કરી, તો ત્યાં સુધીમાં એક બેંકદીઠ ગ્રામીણ વસતી ૧૫ હજારે પહોંચી ગઈ હતી. કદાચ ગ્રામીણ ભારતને વધુને વધુ બેંકોની નહીં પણ અસરકારક બેંકોની વધારે જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં સરકારી બેંકો નિષ્ફળ જવાનું કારણ પણ જાડી ચામડીના સરકારી બેંકરો જ છે. બેંકોના ઉચ્ચ સરકારી અધિકારીઓથી લઈને સામાન્ય કર્મચારી સુધી કોઈને ગામડામાં બેંકિંગ સિસ્ટમ મજબૂત કરવામાં રસ નથી. તેમને શહેરોમાં બેસીને ફક્ત મલાઈ ખાવી છે.

આજેય દેશમાં ત્રણ ચતુર્થાંશ લોકો પાસે ખૂબ જ ઓછી જમીન છે, જે નાના ખેડૂતો તરીકે ઓળખાય છે. આ લોકોને ખેતી માટે માંડ બે લાખની લોન જોઈતી હોય છે. ભારતમાં ટીપિકલ એગ્રિકલ્ચરલ લોનની મહત્તમ મર્યાદા આટલી જ છે. જોકે ૧૯૯૦ પછી તો એ રકમ પણ અડધી થઈ ગઈ છે. તમને નવાઈ લાગશે. ખેડૂતોય આ લોન લેવા તૈયાર નથી. બીજી તરફ, સરકારી બેંકો સિવાયના સ્રોતમાંથી અપાતી કૃષિ લોન ૧૯૯૦માં ૫.૭ ટકા હતી, જે ૨૦૧૧માં ૧૭.૭ ટકાએ પહોંચી ગઈ છે. ટૂંકમાં બેંકિંગ સિસ્ટમનો પ્રભાવ ગ્રામીણ ભારતમાં દિનપ્રતિદિન ઘટી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ એમ ચારેય રાજ્યોના ખેડૂતોને ૨૦૧૦માં અપાયેલી લોન કરતા છત્તીસગઢ અને દિલ્હીના ખેડૂતોને અપાયેલી લોનનો આંકડો વધારે હતો. દિલ્હીમાં ખેડૂતો? ટૂંકમાં જે વ્યક્તિ કાયદા પ્રમાણે ખેડૂતની વ્યાખ્યામાં ફિટ બેસે તેને ફક્ત લક્ષ્યાંકો પૂરો કરવા માટે લોન આપી દેવાય છે. આમ, ખરી જરૂરિયાત ધરાવતા ખેડૂતોને કૃષિ લોનનો લાભ જ નથી મળતો.

એવી જ રીતે, ૧૨ એકર જમીનની માલિકી ધરાવતો ખેડૂત જમીનોના કાગળિયાના રજૂ કરીને રૂ. એક લાખની લોન લઈ લે છે. આટલી લોન લેવા માટે ખેડૂતે બે એકરથી વધારે જમીન દર્શાવવી ના પડે. ટૂંકમાં, એક મોટો ખેડૂત બેંક રેકોર્ડ પર ફક્ત બે એકર જમીનની માલિકી દર્શાવીને લોન લઈ જાય છે. કાયદાકીય રીતે તે ગુનો નથી બનતો, પણ ૧૨ એકર જમીનનો માલિક બેંકના ચોપડે પોતાને નાનો ખેડૂત દર્શાવીને હકીકતમાં જે નાનો ખેડૂત છે, તેના હિસ્સાનું ખાઈ જાય છે. આ બધી જ મુશ્કેલીઓ માટે અનેક નિષ્ણાતો બેંકો સહિત તમામ સરકારી કંપનીઓના સંપૂર્ણ ખાનગીકરણનો વિકલ્પ રજૂ કરે છે કારણ કે, કેમેય કરીને સરકારી કંપનીઓમાં ભ્રષ્ટાચાર ઓછો થતો નથી. સરકારી કંપનીઓનું સંચાલન સારી રીતે થતું નથી અને એ માટે રાજકારણીઓની દખલગીરીથી માંડીને સરકારી બાબુઓની સરકારી માનસિકતા જેવા અનેક કારણો જવાબદાર હોઇ શકે છે.

હાલ, સરકારના જુદા જુદા મંત્રાલયો પાસે ૨૯૦ કંપની છે, જેમાંની ૨૩૪ સક્રિય કંપનીઓમાં પ્રજાના રૂ. ૧૭ લાખ કરોડનું રોકાણ છે. આ બધી કંપનીઓનું કુલ ઉત્પાદન માંડ રૂ. ૨૦ લાખ કરોડ છે, જ્યારે ૭૧ કંપની ખોટમાં ચાલે છે. આ બધી કંપનીઓનો કુલ નફો રૂ. દોઢ લાખ કરોડની આસપાસ છે. એટલે કે, કુલ રોકાણના માંડ છ-સાત ટકા. એવી જ રીતે, આ કંપનીઓની કુલ ખોટ રૂ. સવા લાખ કરોડ જેટલી છે. આ ખોટમાં સરકારી બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સ ઉમેરો તો આંકડા ઘણે ઊંચે જાય. તેની સામે પ્રાઈવેટ બેંકોનું મેનેજમેન્ટ પ્રોફેશનલ બેંકરો કરે છે. એકલી એચડીએફસી બેંકનું મૂલ્ય એક ડઝન સરકારી બેંકોના કુલ મૂલ્ય જેટલું છે. જો એક પ્રાઈવેટ બેંક જડબેસલાક મેનેજમેન્ટ કરીને આગળ વધી શકે તો સરકારી બેંક કેમ નહીં? સરકારી બેંકોને ફક્ત ‘સરકારી લેબલ’નો ફાયદો મળે છે.

સરકારી બેંકોની ભરતીમાં પણ સરેઆમ ભ્રષ્ટાચાર થાય છે. આ પ્રકારની માથે પડેલી, માથાનો દુ:ખાવો બની ગયેલી અને દેશના વિકાસમાં ખાસ કોઈ યોગદાન નહીં આપનારી બેંકોનું ખાનગીકરણ થવું જ જોઈએ. ભ્રષ્ટ સિસ્ટમના કારણે થતી ખેડૂતોની આત્મહત્યાઓ હકીકતમાં હત્યા જ છે અને એ માટે ભ્રષ્ટ બેંકરો, રાજકારણીઓ અને મોટા ખેડૂતો સહિત બધા જ જવાબદાર છે.

24 November, 2016

ફિફ્ટી શેડ્સ ઓફ બ્લેક મની


નોટબંધી પછી કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર વિશે લખવા-બોલવાનો માહોલ સ્વ. રમેશ પારેખની વિખ્યાત ગઝલ 'મનપાંચમના મેળા' જેવો છે. આ માહોલને પણ એવા જ કાવ્યમય અંદાજમાં (સ્વ. રમેશ પારેખની ક્ષમાયાચના સાથે) બયાં કરવો હોય તો શું કહી શકાય?

આ નોટબંધી મુદ્દે સૌ કોઈ અભિપ્રાય લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે કાળું નાણું ખતમ કરવાનું સપનું લઈને,
કોઈ દેશનું ભાવિ અંધકારમય લઈને આવ્યાં છે. 

અહીં નિષ્ણાતોની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને પેલા બેંક ખાતાવાળા બબ્બે પૈસાની ઓકાત લઈને આવ્યા છે.

કોઈ અર્થતંત્રનું ફૂટવું લાવ્યા, કોઈ જીડીપીનું તૂટવું લાવ્યા
કોઈ ટોળું બનેલા માણસનો રોષ લઈને આવ્યા છે.

કોઈ મજૂરો, રોજમદારોની લાગણીઓ, કોઈ બેંક-એટીએમની ઉભડક લાઈનો,
કોઈ લાઈનમાં થયેલું મોત, તો કોઈ કાળાં બજારિયાની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ મોદી, રાહુલ અને કેજરીવાલ બુલેટિન જેવું બોલે છે,
અહીં સૌ તટસ્થ અભિપ્રાયનો વહેમ લઈને આવ્યા છે.

કોઈ બિલ્લી જેવી આંખોથી જુએ છે ટીવી ચેનલ, વાંચે છે છાપા,
ને કોઈ 'મોદી સામે કાળાં બજારિયાની વિસાત શું' લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા આર્થિક સુધારાનું અજવાળું, કોઈ લાવ્યા આશા અમર,
કોઈ ગૃહિણીઓની ભીની ભીની આંખો લઈને આવ્યા છે

કોઈ સરકારના ચારણ બનીને, કોઈ મધ્યમવર્ગીય આશા લઈને,
કોઈ અધકચરાઅધૂરા વિશ્લેષણોની ઠોકમઠોક લઈને આવ્યા છે.

આ અભિપ્રાયો વચ્ચે કેટલાક ખુદ મૂંઝારો બનીને આવ્યા છે,
સરકાર સામે સવાલિયા નિશાન લઈને આવ્યા છે. 

***

નોટબંધી 'કેટલી ફાયદેમંદ, કેટલી અસરકારક' એ મુદ્દે આર્થિક નિષ્ણાતો વિરોધાભાસી અભિપ્રાયો આપી રહ્યા હોય, ભારતવર્ષની મહાન પ્રજા વ્યક્તિપૂજામાં લીન હોય અને બૌદ્ધિકો પણ પોતપોતાનો ચોકો રચીને ચબરાકીથી પૂર્વગ્રહયુક્ત મત આપી રહ્યા હોય ત્યારે આમ આદમીએ કેટલીક પાયાની વાત સમજવી ખાસ જરૂરી છે. નોટબંધીના પરિણામો શું આવશે એ જાણવા રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી, પણ નોટબંધીની ઉજવણી અને રોક્કળના સમાંતર માહોલમાં આપણે ફક્ત એટલું યાદ રાખીએ કે, રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ કરવાથી 'રામરાજ્ય' નથી સ્થપાઈ જવાનું!

સરકાર કહે છે કે, નોટબંધીનો નિર્ણય કાળું નાણું, ભ્રષ્ટાચાર અને નકલી નોટો જેવા દુષણને કાબૂમાં લેવામાં આવ્યો છે. દેશભરના અંગ્રેજી, પ્રાદેશિક મીડિયા તેમજ વિદેશી મીડિયાએ પણ 'વડાપ્રધાન મોદીના નિર્ણય'ને વધાવી લીધો છે. મીડિયામાં જે કોઈ 'મોદી વિરોધી' સમાચારો આવી રહ્યા છે એ રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો રદ કર્યાના નહીં, પણ નોટબંધી પછી લોકોને પડી રહેલી મુશ્કેલીઓના છે. એક સરેરાશ વ્યક્તિએ પણ નોટબંધીના નિર્ણયને આવકાર્યો છે કારણ કે, લોકોને આશા છે કે હવે કાળાં બજારિયાની ખેર નથી. ઓકે, કુબૂલ હૈ, કુબૂલ હૈ, કુબૂલ હૈ.




પરંતુ, નોટબંધીનો નિર્ણય કાળાં નાણાં અને નકલી નોટોના દુષણ સામે લડવામાં કામ આવી શકે, નહીં કે ભ્રષ્ટાચારનો અંત લાવવા. જોકે, ભારતમાં કાળું નાણું કેટલું છે એ વિશે હંમેશાં મતમતાંતર રહ્યા છે. જીડીપીમાં દસ ટકાથી લઈને ૫૦ ટકા સુધી કાળું નાણું હોવાના 'અંદાજ' થઈ ચૂક્યા છે. કાળાં નાણાંના ચોક્કસ આંકડા ક્યારેય મેળવી શકાયા જ નથી અને ભવિષ્યમાં પણ મેળવી નહીં શકાય. હવે તો સરકારે પણ કહી દીધું છે કે, દેશમાં કેટલું કાળું નાણું છે એના અમારી પાસે કોઈ ચોક્કસ આંકડા નથી.

દેશભરમાં અપાતી લાંચ અને નાના-મોટા કૌભાંડો પછી જુદા જુદા લોકો પાસે વહેંચાઈ ગયેલા કાળાં નાણાંનો (અને કાળાંમાંથી સફેદ થઈ ગયેલા) હિસાબ કેવી રીતે હોય? તમે મહેનત પરસેવાની કમાણીની લાંચ આપો એ જ ઘડીએ તમારું સફેદ નાણું કાળું થઈ જાય છે. આપણે આરટીઓમાં લાઈનમાં ઊભું રહેવું ના પડે એ માટે ૧૦૦ રૂપિયાની લાંચ આપીએ તો એ ભ્રષ્ટાચાર થયો અને જે વ્યક્તિ રૂ. ૧૦૦ લે છે એની પાસે એટલું કાળું નાણું થયું! દેશભરમાં રોજેરોજ આવી રીતે બેહિસાબ લાંચ અપાય છે, પરંતુ બીજો પણ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો.

ચાર રસ્તે ઊભેલા ટ્રાફિક પોલીસને અપાતી અને આઈએએસ અધિકારીને અપાતી લાંચમાં ફર્ક હોય છે. અહીં રકમ કેટલી છે એ મુદ્દો નથી, પણ એ બંને હોદ્દેદારો દ્વારા લેવાતી લાંચ અને ભ્રષ્ટાચારની ગંભીરતા ઘણી જુદી છે. આર્થિક જરૂરિયાતોમાંથી ઉદભવેલા ભ્રષ્ટાચાર અને આઈએએસ અધિકારી કે રાજકારણીઓ દ્વારા કરાતા ભ્રષ્ટાચારને એક જ ત્રાજવે ના તોલાય. તગડો પગાર ધરાવતો કોઈ લશ્કરી અધિકારી કે પરમાણુ વિજ્ઞાની લાંચ લઈને અમુકતમુક માહિતી પાકિસ્તાનના જાસૂસને આપી દે અને કોઈ સરકારી કચેરીનો પટાવાળો ૫૦ રૂપિયા લઈને લાંબી લાઈનમાંથી બચાવી લે, એની સરખામણી થાય?

આ અત્યંત ગંભીર મુદ્દો છે. કાળું નાણું કે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે રૂ. ૫૦૦, ૧૦૦૦, ૫૦૦૦ની લાંચ લેનારા જ કેમ દંડાય? એન્ટિ કરપ્શન બ્યુરો છટકું ગોઠવીને ક્યારેક નાના ભ્રષ્ટાચારીને પકડી લાવે ત્યારે હસવું આવે છે. અહીં નાના ભ્રષ્ટાચારી કે નાની લાંચ આપવા-લેવાની તરફેણ નથી કરાતી કારણ કે, આપણે લાંચ આપીએ છીએ ત્યારે ભ્રષ્ટાચારને તો પ્રોત્સાહન આપીએ જ છીએ પણ કાળાં નાણાંના સર્જનમાં પણ સહભાગી બનીએ છીએ. લાંચ આપીને આપણે નૈતિક મૂલ્યોના અધઃપતનમાં પણ ભાગીદાર બનીએ છીએ. નાના ભ્રષ્ટાચારીઓને ભલે સજા થાય, પણ મોટા કૌભાંડીઓ છૂટી ના જવા જોઈએ. રાજકારણીઓ શેના છટકી જાય?

કાળાં નાણાં અને ભ્રષ્ટાચારના અનેક પ્રકાર હોય છે. ટુજી સ્પેક્ટ્રમ કે કોલસા બ્લોકની ફાળવણી જેવા કૌભાંડોમાં પૈસાની લેતીદેતી ઓછી, પરંતુ 'લાભ'ના બદલામાં કોઈની 'ફેવર' વધુ થઈ હતી. આ પ્રકારની ફેવર પછી કમાયેલું જંગી સફેદ નાણું કાળું જ કહેવાય ને! કોમનવેલ્થ ગેમ્સ, તેલગી, સત્યમ, બોફોર્સ, ઘાસચારા, કેતન પારેખ, હવાલા અને વ્યાપમ જેવા કૌભાંડોમાં મોટી રકમની લેતીદેતી થાય છે પણ એ કૌભાંડીઓને બચાવવા મોટા વકીલો હાજર હોય છે. એ કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર કહેવાય? આઈ મીન, કાળાં બજારિયાની સેવા કરીને વસૂલેલી ફી સફેદ કહેવાય કે કાળી? વર્ષ ૨૦૦૫માં કૌભાંડી કેતન પારેખ વતી ભાજપના રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેટલી સાહેબે કેતન પારેખ પાસેથી વસૂલેલી ફી કાળી કહેવાય કે સફેદ?

કાળાં નાણાંનો બહુ મોટો હિસ્સો સોનું, રિયલ એસ્ટેટ, જમીનો અને વિદેશોમાં પણ સંઘરાયેલો છે. એનું શું? ગેરકાયદે રીતે અને ખોટા રસ્તે કમાયેલું લાખો-કરોડોનું કાળું નાણું તો પહેલેથી જ બેંકોમાં સુરક્ષિત કરી દેવાયું છે. એ કાળું નાણું તો ટેકનિકલી સફેદ છે. આ જંગી કાળું નાણું મારા-તમારા જેવાએ નહીં પણ રાજકારણીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, માફિયા અને દલાલોની મિલિભગતમાંથી સર્જાયું છે. એ બેનામી નાણાં અને મિલકતોની માલિકી એ જૂજ લોકો પાસે જ છે, જેનું સર્જન ગરીબો કે મધ્યમવર્ગે નહીં પણ ઉચ્ચ શિક્ષણ પામેલા તેમજ મજબૂત રાજકીય અને આર્થિક સત્તા ધરાવતા લોકોએ કર્યું છે.

ચાલો, કાળાં નાણાં સામેના સરકારી અભિયાનને સલામ કરીએ અને 'બેનિફિટ ઓફ ડાઉટ' પણ આપીએ કે, નોટબંધી પછી કાળાં બજારિયા અને આતંકવાદી સંસ્થાઓને મોટું નુકસાન થયું છે. તો પણ, ભ્રષ્ટાચારનો પ્રશ્ન (રિપિટ) ત્યાં જ છે. કાળાં નાણાંનો જન્મ જ ભ્રષ્ટાચારમાંથી થાય છે. ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી ફક્ત સરકારની નહીં, પ્રજાની પણ છે. સરકારી ફતવા કે કાયદા-કાનૂનથી થોડું ઘણું કાળું નાણું ખતમ થાય અને ઈન્કમટેક્સ ડેકલરેશન સ્કીમ હેઠળ થોડું ઘણું કાળું નાણું પાછું મેળવી શકાય, પણ ભ્રષ્ટાચાર ખતમ ના થાય. ભ્રષ્ટાચાર તો નવી નોટોથી શરૂ થઈ જશે, રાધર થઈ ગયો છે. હજુ તો નવી નોટો લેવા લોકો બેંકો-એટીએમની લાઈનોમાં ઊભા હતા ત્યાં જ સમાચાર હતા કે, ફલાણો અધિકારી રૂ. બે હજારની નવી નોટની લાંચ લેતા ઝડપાયો. હવે નવી નોટોથી ભ્રષ્ટાચાર થશે એટલે નવું કાળું નાણું અસ્તિત્વમાં આવશે.

રાજકારણીઓ કૌભાંડો કરવામાં વ્યસ્ત હોય ત્યારે લોકો ધર્મ, જાતિ, સંપ્રદાય, પ્રદેશવાદના 'લાગણીદુભાઉ' રાજકારણને હવા આપવામાં મસ્ત હોય છે. આ સ્થિતિમાં રાજકારણીઓ હંમેશા જીતતા હોય છે અને પ્રજા તરીકે આપણે સતત હારતા હોઈએ છીએ.

કોઈ ‘મસીહા’ આવશે અને જાદૂઈ છડી ફેરવીને રામરાજ્ય સ્થાપી નાંખશે એવી રાહ જોઈને બેઠેલી પ્રજાને ક્યારેય 'રામરાજ્ય' નથી મળતું!

નોંધ ઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

06 September, 2013

અદાલતોમાં ટેક-ક્રાંતિના પ્રણેતા જસ્ટિસ ભરુકા


હિન્દી ફિલ્મોની પૂરતી જાણકારી નહીં ધરાવતા લોકો પણ જાણે છે કે, ભારતની અદાલતોની કાર્યવાહી એટલી મંથર ગતિએ ચાલે છે કે, ન્યાયાધીશો બદલાઈ જાય છે પણ ‘તારીખ પે તારીખ’ અટકવાનું નામ નથી લેતી. સર્વોચ્ચ અદાલતના તાજા આંકડા પ્રમાણે દેશમાં ત્રણ કરોડથી પણ વધારે કેસો ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીની એક પણ સરકારે અદાલતી કાર્યવાહીનું ભારણ ઘટાડવાના પૂરતા પ્રયાસ કર્યા નથી. દેશને કેટલાક પ્રામાણિક અને નિષ્ઠાવંત ન્યાયાધીશો મળ્યા છે જેમણે અદાલતી કાર્યવાહીમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે, પણ સામે પક્ષે અદાલતોમાં કેસોનું ભારણ, ન્યાયાધીશોની અપૂરતી સંખ્યા અને ન્યાયતંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે ગમે તેટલા નિષ્ઠાપૂર્વક કરાયેલા પ્રયાસોનું લગભગ કોઈ ફળ મળતું નથી. પરંતુ આ બધા વચ્ચે નિવૃત્ત ન્યાયાધીશ જી. સી. ભરુકાના પ્રયાસો બીજા કરતા અલગ અને વિશિષ્ટ પ્રકારના છે. ભરુકા ટેક્નોલોજીની મદદથી અદાલતી કાર્યવાહીમાં ક્રાંતિ લાવવા પ્રયત્નશીલ છે.

અદાલતી પ્રક્રિયામાં રાતોરાત સુધારા ના આવી શકે એવું કહેનારા લોકોને પણ ભરુકાના કામમાં રસ પડ્યો છે. બેંગલુરુમાં કર્ણાટક હાઈકોર્ટના એક્ટિંગ ચિફ જસ્ટિસ ફરજ બજાવતા જી. સી. ભરુકાએ વર્ષ 2008માં નિવૃત્ત થઈને જીસીબી જ્યુડિશિયલ ટેક્નોલોજીસ લિમિટેડ નામની કંપની હેઠળ વર્લ્ડજ્યુડિસિયરી.ઓઆરજી (Worldjudiciary.org) નામના પોર્ટલની રચના કરી છે. ભરુકાનું માનવું છે કે, અદાલતી કાર્યવાહીમાં ફક્ત ટેક્નોલોજીની મદદથી જ પ્રાણ ફૂંકી શકાય છે. જો અદાલતોને વેબ આધારિત સિસ્ટમથી સાંકળી લેવામાં આવે તો ‘પેપર વર્ક’ ઘટી જાય અને આખા દેશની અદાલતોનું એકબીજા સાથેનું સંકલન અત્યંત સરળ થઈ જાય. જો આવું શક્ય બને તો અદાલતોને ઝડપથી ચુકાદા આપવામાં સરળતા રહે, તારીખ પે તારીખની બબાલ ઓછી થઈ જાય અને પેન્ડિંગ કેસોનું ભારણ પણ આપોઆપ ઘટી જાય. કંઈક આ પ્રકારનો વિચાર કરીને ભરુકાએ આ કંપની શરૂ કરી છે.

નિવૃત્ત ન્યાયાધીશ જી. સી. ભરુકા

વર્લ્ડજ્યુડિસિયરી.ઓઆરજી એ બીજું કંઈ નહીં પણ ઈન્ટરનેટ આધારિત મેનેજમેન્ટ સિસ્ટમ છે. અમેરિકાએ પણ તેના તંત્રને વધુ સક્ષમ બનાવવા આ જ સિસ્ટમ અપનાવી છે. આ સિસ્ટમની મદદથી કોઈ પણ અદાલતમાં ચાલી રહેલા કેસની માહિતી બીજી અદાલતમાં ફરજ બજાવતા ન્યાયાધીશ પણ સતત જોઈ શકે છે. જોકે, ન્યાયાધીશો પોતાના કેસોની માહિતી સહેલાઈથી વેબ પર મૂકી શકે એ માટે ‘યુઝર ફ્રેન્ડ્લી’ સિસ્ટમ ડિઝાઈન કરાઈ રહી છે. આ માહિતી ક્લાઉડ કમ્પ્યુટિંગની મદદથી તમામ ન્યાયાધીશો અને અન્ય સ્ટાફના કમ્પ્યુટર પર જોઈ શકાશે. આ માહિતી એક અદાલતમાંથી બીજી અદાલતમાં આટલી ઝડપથી પહોંચશે તો ચુકાદા પણ ઝડપથી આવશે, અને અત્યાર કરતા ચાર ગણી ગતિથી કેસોનો નિકાલ આવવા માંડશે. ન્યાયતંત્ર કોઈ પણ કેસ પર ઓનલાઈન જ દેખરેખ રાખી શકશે. ભારત જેવા વિશાળ અને જટિલ અદાલતી કાર્યવાહી ધરાવતા દેશમાં આ કામ કરવું ઘણું અઘરું છે. બિહારની ત્રણ નીચલી અદાલતોમાં પ્રયોગાત્મક ધોરણે આ સિસ્ટમ અમલી થઈ ગઈ છે.

ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા પછી એક ટેક્નોલોજી કંપની શરૂ કરવાની પ્રેરણા તમને કેવી રીતે મળી એ પ્રશ્નનો જવાબ આપતા ભરુકા કહે છે કે, “હું હાઈસ્કૂલ વિદ્યાર્થી હતો ત્યારથી મેં મારા ગામમાં લોકોને પીડાતા જોયા છે, ગ્રામ્ય અદાલતોમાં લોકોને ધક્કા ખાતા જોયા છે. એ વખતે મને આશ્ચર્ય થતું હતું અને હું વિચારતો હતો કે કદાચ દેશ માટે કંઈ કરી શકું...” એક વકીલ તરીકે, એક ન્યાયાધીશ તરીકે ભરુકાને સતત એવું લાગ્યા કરતું હતું કે, ટેક્નોલોજીની મદદથી ઘણી મુશ્કેલીઓ હળવી કરી શકાય એમ છે. આપણે કોઈ પણ દેશની અદાલતી પ્રક્રિયામાં ટેક્નોલોજીની મદદથી ઓછામાં ઓછા ખર્ચે સુધારા લાવી શકીએ છીએ. કારણ કે, આપણી પાસે ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેક્નોલોજી ઉપલબ્ધ છે.

આજે દેશના ત્રણ કરોડ પેન્ડિંગ કેસોમાંથી 95 ટકા કેસો તો નીચલી અદાલતોમાં જ છે. વળી, આ 95 ટકામાંથી મોટા ભાગના કેસો ગોકળગાય ગતિએ આગળ વધે છે. હાલ અદાલતી પ્રક્રિયામાં દરેક સ્તરે ચોક્કસ સમય નક્કી કરાયો હોય છે, પણ આ નીતિનિયમોનો ખુલ્લેઆમ ભંગ થાય છે અથવા તો તેનો અમલ કરવો અશક્ય હોય છે. અદાલતી પ્રક્રિયામાં સુધારો લાવવા માટે મૂળમાં જવું પડે અને આ કામમાં ટેક્નોલોજીનો વ્યવહારુ ઉપયોગ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. ભરુકાની કંપનીના મતે, દેશની તમામ નીચલી અદાલતોના ન્યાયાધીશો અને તેમના સ્ટાફને કમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા આપવામાં આવે તો આ કામ ઘણું સરળ થઈ જાય. એક આંકડા મુજબ, ન્યાયતંત્રમાં 65 ટકા જેટલો સ્ટાફ વહીવટી કામ કરે છે. વળી, આમાંના મોટા ભાગના લોકોની ઉંમર 35 વર્ષ કરતા ઓછી છે, એટલે કે આમાંના મોટા ભાગના લોકો ટેક્નોલોજી ફ્રેન્ડ્લી છે. વિશ્વના સૌથી યુવાન દેશ તરીકેનું ગૌરવ લીધા કરવાથી કંઈ ના થાય. ખરેખર એ યુવા ધનનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જરૂરી છે. 

કેટલાક લોકો એવી પણ શંકા વ્યક્ત કરે છે કે, જો અદાલતોમાં ચાલી રહેલા કેસોને લગતી બધી જ માહિતી જાહેર કરી દેવામાં આવે તો તેનો દુરુપયોગ થઈ શકે છે. આજે પણ દેશમાં જાહેરહિતની અરજી કરનારાઓને ધમકાવાય છે, અપહરણ કરાય છે કે પછી ખુલ્લેઆમ હત્યા કરી દેવાય છે. જો આવા અરજદારોની માહિતી ઓનલાઈન જાહેર થઈ જાય તો? જોકે, આ તમામ શંકા પાયાવિહોણી છે. કારણ કે, પહેલેથી જરૂર પૂરતી માહિતી અપલોડ કરવાનો વિકલ્પ છે જ. ઊલટાનું કાયદા પ્રમાણે જાહેર જનતા માટે ઉપયોગી માહિતીને ઓનલાઈન આપી દેવામાં આવે તો ઘણી સરળતા થઈ જાય. ભરુકા માટે આ કંપની વ્યવસાયિક સાહસ નથી. આ અંગે તેઓ કહે છે કે, “મેં મારી જાતને કેટલાક વચન આપ્યા છે અને હું એના માટે કામ કરું છું. હું એકલો આખા દેશમાં આ સિસ્ટમ અમલી કરી ના શકું. મેં મારી સાથે કેટલીક આઈટી કંપનીઓ પણ જોડી છે, પણ તેમણે ફક્ત સોફ્ટવેર સિસ્ટમના અમલ અને મેઇન્ટેનન્સનું કામ સંભાળવાનું છે.”

નવાઈની વાત તો એ છે કે, આટલા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ભરુકા વ્યવસાયિક કરારોથી પણ દૂર રહે છે. જોકે, આ પ્રોજેક્ટ પર કોઈ અસર ના પડે એ માટે તેમની સાથે કામ કરી રહેલી પ્રોફેશનલ આઈટી કંપનીઓ પર તેઓ કોઈ પ્રતિબંધો નથી લાદતા. કારણ કે, તેમની પ્રાથમિકતા આ સિસ્ટમનો અમલ કરાવવાની છે. આ પ્રોજેક્ટમાં ભરુકાને કોઈ આર્થિક ફાયદો થશે તો એ પૈસાની મદદથી તેઓ બીજુ કંઈક સારું કામ કરવા ઈચ્છે છે. તેઓ કહે છે કે, “હું કોમર્શિયલ માણસ નથી...”

નેવુંના દાયકાથી સતત પ્રયત્નશીલ

દેશની વિવિધ અદાલતોના રોજેરોજના કેસો, હુકમો અને ચુકાદા જોવા માટે વેબસાઈટ બનાવી છે જ, પરંતુ આ વેબસાઈટ નિયમિત અપડેટ થતી નથી. આ કંગાળ સિસ્ટમથી સારી રીતે પરિચિત ભરુકા કંઈક ક્રાંતિકારી કરવા માગતા હતા. છેક નેવુંના દાયકાથી ભરુકા અદાલતોનું કમ્પ્યુટરાઈઝેશન કરવા પ્રયત્નશીલ છે. વર્ષ 1990માં જી. સી. ભરુકાની બિહારની પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ ત્યારે તેમણે હાઈકોર્ટનું કમ્પ્યુટરાઈઝેશન કર્યું. બાદમાં ભરુકાને કર્ણાટક હાઈકોર્ટમાં ખસેડાયા અને અહીં પણ તેમણે કમ્પ્યુટરાઈઝેશન કર્યું. છેવટે વર્ષ 2005માં કેન્દ્ર સરકારે અદાલતોનું કમ્પ્યુરાઈઝેશન કરવા માટે એક યોજના બનાવી અને તેના વડા તરીકે જી. સી. ભરુકાની નિમણૂક કરી. આ દરમિયાન ભરુકાએ દેશના દરેક ન્યાયાધીશને લેપટોપ, પ્રિન્ટર અને બેઝિક ઈન્ટરનેટની સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારને મનાવી લીધી હતી. આ ઉપરાંત ભરુકા કેન્દ્ર સરકારે બનાવેલી ઈ-કોમર્સ કમિટીના અધ્યક્ષપદે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ કમિટીનું કામ અદાલતી કાર્યવાહીને ટેક્નોલોજીની મદદથી કેવી રીતે સરળ બનાવી શકાય એ માટે સૂચનો કરવાનું હતું. આમ ભરુકા છેલ્લાં ઘણાં વર્ષોથી ટેક્નોલોજીની મદદથી અદાલતી પ્રક્રિયામાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

09 August, 2013

ઈસ રાત કી સુબહ હોગી


હિન્દી ફિલ્મો જોઈને મોટા થયેલા લોકો બખૂબી જાણતા હોય છે કે, ભારતના રાજકારણીઓ પ્રામાણિકતાથી કામ કરતા અધિકારીઓની બદલી કરી નાંખે છે, ડરાવે-ધમકાવે છે કે પછી તેમને હેરાન-પરેશાન કરીને કે વારંવાર સસ્પેન્ડ કરીને તેમનું મનોબળ તોડી નાંખે છે. જોકે, જૂની હિન્દી ફિલ્મો વખતના અને અત્યારના જમાનામાં કંઈ ખાસ ફર્ક નથી પડ્યો એવું ઉત્તરપ્રદેશના સસ્પેન્ડેડ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દુર્ગા નાગપાલના કિસ્સાએ ફરી એકવાર સાબિત કરી નાંખ્યુ છે. રાજકારણીઓની કદમપોશી નહીં કરતા અને કડક હાથે કામ કરતા પ્રામાણિક અધિકારીઓની આપણા દેશમાં કેવી હાલ થાય છે તેનું સૌથી વાસ્તવિક ચિત્રણ હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે.

વર્ષ 2010ની બેચના ઉત્તર પ્રદેશ કેડરના 28 વર્ષીય આઈએએસ અધિકારી દુર્ગા નાગપાલ પર આરોપ છે કે, તેમણે રમઝાન માસ ચાલતો હોવા છતાં કોમી લાગણીઓની પરવા કર્યા વિના ઉત્તરપ્રદેશના કાદલપુર ગામની મસ્જિદની દીવાલ તોડી પડાવવાની ગંભીર ભૂલ કરી હતી અને તેમની આ ભૂલથી કોમી તણાવ સર્જાઈ શક્યો હોત. જોકે, બધા લોકો જાણે છે કે, કોમી તણાવ ફેલાવવાનું કામ અધિકારીઓ નહીં પણ રાજકારણીઓ કરતા હોય છે. વળી, આ આરોપો પણ પાયાવિહોણા સાબિત થઈ ગયા છે. હકીકત એ છે કે, દુર્ગા નાગપાલ ગૌતમબુદ્ધ નગરના રેત માફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરતા હતા અને આ વાત ઉત્તરપ્રદેશના નરેન્દ્ર ભાટી જેવા સ્થાપિત હિતોને સતત ખૂંચતી હતી. નરેન્દ્ર ભાટી ઉત્તરપ્રદેશ એગ્રો કોર્પોરેશનના અધ્યક્ષ છે અને મીડિયાએ કરેલા એક સ્ટિંગ ઓપરેશનમાં તેઓ બડાઈ હાંકી રહ્યા હતા કે, તેમણે કેવી રીતે ફક્ત 41 મિનિટમાં જ દુર્ગા નાગપાલની બદલી કરાવી દીધી હતી.

દુર્ગા નાગપાલ

અશોક ખેમકા

આ વીડિયો ટેપ એ વાતની સાબિતિ છે કે, સ્થાપિત હિતો એક ઈમાનદાર અધિકારીને સજા આપવા માટે કેવી રીતે એક થઈ જાય છે. આ કેસમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને દુર્ગા નાગપાલના કિસ્સામાં તપાસ કરવાનું સૂચન કર્યું છે. પરંતુ સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવ સતત એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, દુર્ગા નાગપાલના સસ્પેન્શનનો નિર્ણય બિલકુલ યોગ્ય છે અને જે અધિકારી ગંભીર ભૂલ કરશે તેમને સજા થશે જ. કારણ કે તેઓ જાણે છે કે, દેશનો મોટા ભાગના રાજકીય પક્ષોના કબાટોમાં હાડપિંજરો ખખડી રહ્યા છે. આ મુદ્દે સમાજવાદી પક્ષના સિનિયર નેતા નરેશ અગ્રવાલે કોંગ્રેસને શાનમાં સમજાવી દીધું છે કે, “સોનિયા ગાંધીએ વધુ બે પત્રો લખવા જોઈએ. પહેલો, હરિયાણાના મુખ્યમંત્રી દ્વારા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી અશોક ખેમકા માટે અને બીજો રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારીઓ માટે...” કહેવાની જરૂર નથી કે, આ બંને કેસ કોંગ્રેસને પરેશાન કરી શકે છે. કારણ કે, આ બંને આઈએએસના સસ્પેન્શનમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાનું હિત સમાયેલું છે. આ કેસ જમીનોના સોદાને લગતા છે.

હરિયાણા કેડરના 47 વર્ષીય આઈએએસ અધિકારી અશોક ખેમકાની 21 વર્ષની કારકિર્દીમાં 43 વાર બદલી થઈ ચૂકી છે. અશોક ખેમકા વર્ષ 1991ની હરિયાણા કેડરના આઈએએસ અધિકારી છે અને વર્ષ 2005થી અત્યાર સુધી ભૂપિન્દરસિંઘ હૂડા સરકારે જ તેમની 19 વાર બદલી કરી છે. તેમણે ઓક્ટોબર 2012માં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરા અને બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપની ડીએલએફ વચ્ચેનો ગુરગાંવ જિલ્લાની એક જમીનનો રૂ. 58 કરોડનો સોદો રદ કર્યો હતો. તેમણે વર્ષ 2005 પછી વાડરાએ કરેલા ચાર જમીનના સોદામાં તપાસના પણ આદેશ આપ્યા હતા. ખેમકાએ એક પછી એક શંકાસ્પદ સોદાઓના તપાસના આદેશ આપતા જ હરિયાણા સરકારે હરિયાણા સીડ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની બદલી કરી દીધી હતી. પરંતુ ખેમકાએ અહીં પણ ફક્ત પાંચ મહિનાના કાર્યકાળમાં એક આંતરરાષ્ટ્રીય કંપની પાસેથી ફૂગનાશકની ખરીદીના કૌભાંડનો પર્દાફાશ કરતા તેમને તેમની લાયકાત કરતા પાંચ ગણો નીચેનો હોદ્દો આપી દેવાયો હતો. બીજી તરફ, રોબર્ટ વાડરાને તમામ કેસમાં ક્લિનચિટ આપી દેવાઈ છે. અશોક ખેમકાએ વિવિધ વિભાગોમાં ચાર-પાંચ દિવસથી લઈને આઠ મહિના અને ક્યારેક વધુમાં વધુ એક વર્ષ સુધી ફરજ નિભાવી છે.

પંકજ ચૌધરી 

ગગન બિહારી સ્વૈન

એવું નથી કે, કોઈ પ્રામાણિક અધિકારીની પહેલીવાર આવી રીતે કનડગત કરાઈ છે. પરંતુ આ કિસ્સો પણ દિલ્હીમાં પેરા-મેડિકલની વિદ્યાર્થિની પર થયેલા બળાત્કારના કિસ્સા જેવો છે. દુર્ગા નાગપાલના કિસ્સાના કારણે જ અશોક ખેમકા અને રાજસ્થાનના આઈએએસ પંકજ ચૌધરીના કિસ્સા સપાટી પર આવ્યા છે. રાજસ્થાનના જેસલમેરના એસ.પી. પંકજ ચૌધરીએ કોંગ્રેસના વિધાનસભ્ય સાલેહ મોહમ્મદના પિતા અને સ્થાનિક નેતા ગાઝી ફકીરની ગુનાઇત કુંડળીની ફાઈલ ફરીવાર ખોલતા જ તેમની બદલી કરી દેવાઈ છે. નવાઈની વાત તો એ છે કે, ગાઝી ફકીરની ફાઈલ છેક વર્ષ 1965માં ઓપન કરાઈ હતી અને ત્યાર બાદ આ ફાઈલ વર્ષ 1984માં ગુમ થઈ ગઈ હતી. છેવટે વર્ષ 1990માં ફરીવાર આ ફાઈલ ખોલાઈ હતી અને મે, 2011માં એએસપી રેન્કના એક અધિકારીએ ફાઈલ બંધ કરી દીધી હતી. રાજસ્થાન પોલીસની વિવિધ નોંધ મુજબ, ગાઝી ફકીર છેલ્લાં બે દાયકાથી ભારત-પાકિસ્તાન સરહદે દાણચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. જોકે, પંકજ ચૌધરીએ પણ પ્રામાણિકતાની કિંમત ચૂકવી છે અને તેઓ કહે છે કે, “કોઈ હિસ્ટ્રી શીટર સામે કાર્યવાહી કરવાનો મને કોઈ પસ્તાવો નથી. મેં મારી ફરજ નિભાવી છે.”

આ તો દુર્ગા નાગપાલના કેસને લઈને સપાટી પર આવેલા કિસ્સાની વાત છે. પરંતુ ઈતિહાસ ગવાહ છે કે, આપણા દેશમાં ભ્રષ્ટ રાજકારણીઓએ નહીં પણ ઈમાનદાર અધિકારીઓએ જ સજા ભોગવવી પડી છે. હજુ જૂન, 2013માં જ ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં આઈએએસ અધિકારી ગગન બિહારી સ્વૈનની લાશ ભુવનેશ્વર રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. તેઓ સ્ટેટ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન ડિપાર્ટમેન્ટમાં એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. ગગન બિહારીએ તેમના પુત્રના લગ્નના ચાર દિવસ પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેમના કુટુંબીજનોનું કહેવું હતું કે, તેઓ સતત બદલીના કારણે માનસિક તણાવમાં રહેતા હતા. ગગન બિહારીએ આત્મહત્યા કરી લીધી હતી કે પછી હત્યા કરીને તેમની લાશ રેલવે સ્ટેશન પર ફેંકી દેવાઈ હતી એ અંગે પણ યોગ્ય તપાસ થઈ નથી.

દમયંતી સેન

કે. શ્રીનિવાસન રેડ્ડી 

અરુણાચલ પ્રદેશના આઈપીએસ અધિકારી મયંક ચૌહાણે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના રૂ. એક હજાર કરોડના કૌભાંડમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય, મંત્રીઓ અને અરુણાચલ પ્રદેશના કેટલાક આઈએએસ અધિકારીઓ સહિત 56 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. આ અધિકારીનું ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અપહરણ કરાયું હતું એ ગાળામાં જ આઈએએસ અધિકારી અશોક ખેમકાની બદલીને લઈને મીડિયામાં વિવિધ અહેવાલો આવી રહ્યા હતા અને લોકોમાં રોષ હતો. પરિણામે મયંક ચૌહાણના કિસ્સામાં લોકો વધુ ગુસ્સે ભરાયા હતા. આમ છતાં, આઈપીએસ મયંક ચૌહાણ ઈટાનગરથી ટ્રકમાં તેમનો અંગત સરસામાન ભરીને નવી દિલ્હી જતા રહ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, રાજકીય માફિયાઓના ડરે તેઓ સરકારી કારના બદલે ટ્રકમાં મુસાફરી કરીને નવી દિલ્હી પહોંચ્યા હતા.

જ્યારે એપ્રિલ, 2012માં કોલકાતાના પોલીસ વિભાગની પહેલી મહિલા આઈપીએસ દમયંતી સેનની પાર્ક સ્ટ્રીટનો બહુચર્ચિત બળાત્કારનો કેસ ઝડપથી ઉકેલી નાંખવા બદલ બદલી કરી દેવાઈ હતી. ક્રાઈમ બ્રાંચમાં સંયુક્ત પોલીસ કમિશનરનો હોદ્દો ભોગવતા દમયંતી સેનને બળાત્કાર કેસ ઉકેલી દીધા પછી બરાકપોર પોલીસ તાલીમ વિભાગમાં ખસેડાયા હતા. નવાઈની વાત તો એ છે કે, આ કેસમાં પણ મમતા બેનરજીએ આ એક બનાવટી સ્ટોરી છે અને મારી સરકારને બદનામ કરવાનું કાવતરું છે, એ મતલબનું બેશરમ નિવેદન કર્યું હતું. એપ્રિલ, 2012માં આંધ્રપ્રદેશમાં પણ આવા જ એક પ્રામાણિક અધિકારી કે. શ્રીનિવાસન રેડ્ડીને કોસ્ટલ વિંગમાં બઢતી આપી દેવાઈ હતી. વિવાદોથી બચવા ક્યારેક રાજકારણીઓ બહુ નડતરરૂપ ના થાય એવી જગ્યાએ બઢતી આપીને પણ કાંટો દૂર કરી દે છે. એન્ટી કરપ્શન બ્યુરોમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ વિંગના વડા તરીકેની જવાબદારી સંભાળતા રેડ્ડીએ લિકર માફિયાઓને ધમરોળી નાંખ્યા હતા. રેડ્ડીએ લિકર માફિયાઓને સીધી કે આડકતરી રીતે સહકાર આપતા મંત્રીઓ, ધારાસભ્યો, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સામે પુરાવા એકત્રિત કર્યા હતા.

યશવંત સોનવણે

જોકે, બધા રાજકારણીઓ એટલા નસીબદાર નથી હોતા કે તેમની બદલી કરી દેવાય. માર્ચ 2012માં બિહાર કેડરના આઈપીએસ નરેન્દ્રકુમારની ખાણ માફિયાઓએ હત્યા કરી નાંખી હતી. જ્યારે થોડા પાછળ જઈએ તો, જાન્યુઆરી, 2012માં માલેગાંવના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર યશવંત સોનવણેને ઓઈલ માફિયાઓએ જીવતા સળગાવી દીધા હતા. આ તો તાજેતરના ઈતિહાસની વાત થઈ, આ સિવાય પણ અનેક પ્રામાણિક અધિકારીઓ કે નાના કર્મચારીઓનો બદલી, ધાક-ધમકી અને ભ્રષ્ટાચારના ખોટા કેસો જેવા હથિયારોનો ઉપયોગ કરીને કાંટા કાઢી નાંખવામાં આવે છે તો કેટલાકની ખુલ્લેઆમ હત્યા કરી દેવાય છે. દરેક અધિકારીઓ કંઈ દૂધે ધોયેલા નથી હોતા એ દલીલ કરતા પહેલાં એ યાદ રાખવું જોઈએ કે, યુપીએસસી પાસ કરીને દેશસેવાના શમણાં સેવીને આવતા યુવાન અધિકારીઓને ભ્રષ્ટ કરવામાં રાજકારણ (વાંચો સિસ્ટમ) મહત્ત્વનું પરિબળ હોય છે. જોકે, જ્યાં સુધી આવા અધિકારીઓ હશે ત્યાં સુધી આ ઘોર અંધકારમાં પણ આશાનું કિરણ દેખાતું રહેશે.

ભ્રષ્ટ રાજકારણીઓ જેમની બદલી કરીને થાકી ગયા છે તે અશોક ખેમકાનું કહે છે કે, “હું સિસ્ટમનો હિસ્સો છું અને એમાં જ રહીશ. મારી સતત બદલીઓ થતી રહે એની મને બિલકુલ ચિંતા નથી.” તેમના કહેવાનો એવો અર્થ કરી શકાય કે, સિસ્ટમ બદલવા માટે સિસ્ટમનો હિસ્સો હોવું જરૂરી છે.

23 October, 2012

રાજકીય અખાડામાં કેજરીવાલ ટકી શકશે?


અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ અણ્ણા હજારે સાથે છેડો ફાડ્યા પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન તેજ બનાવ્યું છે. હજુ થોડા દિવસ પહેલાં કેજરીવાલ એક કર્મશીલ એટલે કે, એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતા હતા. પરંતુ તેમણે રાજકીય પક્ષ રચવાની તૈયારી કરતા જ પત્રકારો અને રાજકારણીઓ તેમને એક ‘મહત્ત્વકાંક્ષી રાજકારણી’ ગણાવી રહ્યા છે. આપણે માની લઈએ કે તેમને રાજકીય મહત્ત્વકાંક્ષા હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો હક્ક નથી. કેજરીવાલે યુપીએ સરકારના મહારથીઓના કપડાં ઉતાર્યા પછી તેમના પર ભાજપના એજન્ટ હોવાના આક્ષેપો થયા હતા. પરંતુ આ સ્થિતિમાં પણ કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીને કઠેડામાં ઊભા કરી દીધા. આવું કરવા પાછળનો તેમનો તર્ક એ જ છે કે, હવે કોઈ તેમને ભાજપના એજન્ટ નહીં કહી શકે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું એક કર્મશીલ યુવાન રાજકીય અખાડામાં ટકી શકશે ખરો?

છેલ્લાં કેટલાક સમયથી અરવિંદ કેજરીવાલ જેવી રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન ચલાવી રહ્યા છે એ જોતા તમામ રાજકીય પક્ષો તેમનાથી સલામત અંતર રાખી રહ્યા છે. બીજી તરફ, કેટલાક પક્ષો તો મૂંઝવણમાં છે કે, કેજરીવાલને સાથ આપવો કે પછી તેમનો વિરોધ કરવો? તેમનો ઉપયોગ કરવો કે પછી તેમનાથી દૂર રહેવું? કારણ કે, કેજરીવાલ નામની બંદૂકમાંથી ક્યારે, કઈ બાજુ ગોળી છૂટશે એ કોઈ કહી શકે એમ નથી. હવે, બધા જ રાજકીય પક્ષો એકસૂરે કહે છે કે, ‘આ કોઈ રીત નથી.’, ‘કેજરીવાલની લડવાની પદ્ધતિ ખોટી છે.’ વગેરે. પરંતુ મૂળ વાત એ છે કે, જડભરત રાજકારણીઓ સામે લડવાની સાચી રીત કઈ? આ દેશના ભ્રષ્ટાચારી નેતાઓએ આ પહેલાં ક્યારેય આટલી મુશ્કેલી નથી અનુભવી. કેજરીવાલ માને છે કે, પ્રજા જ એક આંદોલન ઊભું કરે અને ભ્રષ્ટાચારીઓ પાસેથી સત્તા ખૂંચવી લે.

પરંતુ લગભગ બધા જ પક્ષના રાજકીય આગેવાનો કેજરીવાલની લડવાની આ રીતને અયોગ્ય અને અરાજકતા ફેલાવનારી કહીને વખોડી રહ્યા છે. કેજરીવાલે રોબર્ટ વાડરા પર આક્ષેપો કર્યા પછી કર્ણાટક કોંગ્રેસના રાજકીય આગેવાન ઓસ્કાર ફર્નાન્ડિસે કહ્યું હતું કે, “વાડરાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને જો કોઈને તકલીફ હોય તો દેશમાં એક સિસ્ટમ છે. સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ અને મેજિસ્ટ્રિયલ કોર્ટ છે. તમે ત્યાં જઈ શકો છો. લોકોની વચ્ચે જઈને મુદ્દાઓ ઊઠાવવા અને ‘હીટ એન્ડ રન’ની નીતિ અપનાવવી એ સારી વાત નથી.” ગાંધી પરિવારના જમાઈ પર આક્ષેપો કર્યા પછી કોંગ્રેસ મોવડીઓ આવી શાણી ભાષામાં વાત કરે એ સ્વભાવિક છે.


અરવિંદ કેજરીવાલ

હા, એક વાત સાચી કે કેજરીવાલ ફક્ત પ્રજા વચ્ચે જઈને મુદ્દા ઉઠાવે છે. પરંતુ આ તેમની રીત છે. તેઓ પ્રજાને એ સમજાવવા માંગે છે કે, સબ ચોર હૈ. કોંગ્રેસ અને ભાજપ હળીમળીને ભ્રષ્ટાચાર કરે છે. દેશ માટે અત્યંત ખતરનાક તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપની રાજનીતિ અપનાવે છે. કેજરીવાલનો તર્ક ખૂબ સીધોસાદો છે- અમને જાણકારી મળી છે કે તમે આ કૌભાંડોમાં સંડોવાયેલા છો. અમને જણાવો કે સાચું શું અને ખોટું શું? તમે સાચા છો કે ખોટા છો તે જણાવવાની જવાબદારી તમારી છે, અમારી નહીં. કારણ કે, અમે તો પ્રજા છીએ પરંતુ તમે અમારા પર રાજ કરો છો. ભારતીય રાજકારણમાં પહેલીવાર આવી અનોખી પદ્ધતિથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે.

વળી, આપણે જાણીએ છીએ તેમ કેજરીવાલ કોઈ સામાન્ય માણસ નથી. આઈઆઈટી ખરગપુરના સ્નાતક અને પૂર્વ સંયુક્ત ઈન્કમટેક્સ કમિશનર અરવિંદ કેજરીવાલ પ્રખર બુદ્ધિમતા ધરાવે છે અને ઘણાં વર્ષોથી રાઈટ ટુ ઈન્ફર્મેશન અને જનલોકપાલ બિલ જેવી ચળવળોમાં સક્રિય ભાગ લઈ ચૂક્યા છે. શું અરવિંદ કેજરીવાલ એ પહેલી વ્યક્તિ છે જેમણે રોબર્ટ વાડરા, સલમાન ખુરશીદ, પી. ચિદમ્બરમના કૌભાંડો શોધી કાઢ્યા હોય. તો જવાબ છે, ના. શું ભાજપ આ કૌભાંડોથી અજાણ હતું? ભાજપ કેમ એક જવાબદાર વિરોધ પક્ષને છાજે એવી રીતે મુદ્દા નથી ઉઠાવતો. શું દિલ્હી ભાજપના નેતાઓ એ વાત નથી જાણતા કે, રોબર્ટ વાડરા થોડા જ સમયમાં અત્યંત ધનવાન બની ગયા છે. ડીએલએફ જેવી કંપનીએ તેમને રૂ. 60 કરોડથી પણ વધુ રકમની અનસિક્યોર્ડ લોન કેમ આપી? આ મુદ્દા ભાજપે કેમ ન ઉઠાવ્યા?

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે 60 મીડિયાકર્મીઓના કેમેરા અને લગભગ 100 જેટલા પત્રકારો સામે રોબર્ટ વાડરા પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યો હરિયાણા, રાજસ્થાન અને નવી દિલ્હીમાં વાડરા 31 સંપત્તિની માલિકી ધરાવે છે.” આ દરમિયાન તેઓ કેટલાક સત્તાવાર દસ્તાવેજો પણ લઈને આવ્યા હતા અને તેના આધારે તેમણે આ સંપત્તિની વિગતો, કિંમત વગેરે જાહેર કર્યું. વળી, તેમણે પત્રકારોને રોબર્ટ વાડરાએ રાજસ્થાનમાં ખરીદેલી 160 એકર જમીનના પુરાવા પણ આપ્યા. ત્યાર પછી પ્રશાંત ભૂષણે પત્રકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “વાડરાની તમામ સંપત્તિમાં પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધીની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ હરિયાણાના મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડા, ડીએલએફ અને રોબર્ટ વાડરાએ કેવી રીતે સાંઠગાંઠ કરી છે તે મીડિયાએ શોધવાનું છે.” કારણ કે, તેઓ વચ્ચે કોઈ લાભ ખાતર ચોક્કસ કંઈક રંધાયુ છે એવું ટીમ કેજરીવાલ માને છે.

આ દરમિયાન વાડરાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું છે કે, હું એક બિઝનેસમેન છું અને જાતમહેનતથી આગળ આવ્યો છું. અંબિકા સોની, મનીષ તિવારી, રાજીવ શુકલા અને સલમાન ખુરશીદ પણ હંમેશાંની જેમ ગાંધી પરિવારના જમાઈનો બચાવ કરવા કૂદી પડ્યાં. પરંતુ તેમણે આક્ષેપોનો તર્કબદ્ધ જવાબ આપવાના બદલે કેજરીવાલ અને ભૂષણ પર આરોપોની ઝડી વરસાવી. આ બધાએ એક જ વાતની રેકર્ડ કર્યે રાખી કે, વાડરા એક બિઝનેસમેન છે. ખરેખર વાડરાએ ભારતના કરોડો બિઝનેસમેનોને તેમની ‘જાદુઈ’ બિઝનેસ સ્ટ્રેટેજી બતાવવી જોઈએ. જો તેઓ આ મહામૂલું ‘દાન’ કરે તો ભારત નજીકના વર્ષોમાં જ ધનિક રાષ્ટ્રોની હરોળમાં આવી જાય અને દેશમાંથી ગરીબી નાબૂદ થઈ જાય.

કોઈને પણ એવું કહેવાનો હક્ક નથી કે, કેજરીવાલ ફક્ત પ્રસિદ્ધિ માટે જવાબદાર વ્યક્તિઓ પર આરોપો લગાવે છે. આપણે જાણીએ છીએ કે, આપણા જવાબનાર નેતાઓ સંસદમાં કેટલું જવાબદાર વર્તન કરે છે? કેજરીવાલ પ્રસિદ્ધિ માટે આક્ષેપો કરતા હોય તેનો અર્થ એ નથી કે, તેમના આક્ષેપોનો તર્કબદ્ધ ખુલાસો ન આપવો. ખેર, હવે તો કેજરીવાલે નવેમ્બર સુધીમાં રાજકીય પક્ષની રચના કરવાની પણ જાહેરાત કરી દીધી છે. આ અંગે કેજરીવાલના નવા સાથી અને વિદ્વાન પ્રોફેસર યોગેન્દ્ર યાદવ કહે છે કે, કેજરીવાલની જાહેરાતથી રાજકીય પક્ષોના ભંડોળ અને પારદર્શકતા જેવા ઘણાં મુદ્દા સામે આવી શકે છે. હાલના રાજકારણમાં દરેક પક્ષો આ મુદ્દે મૌન સેવે છે. ઘણાં લોકો માને છે કે, ભારતમાં ચૂંટણી સુધારાની તાકીદે જરૂર છે.

ખેર, કેજરીવાલે પક્ષની જાહેરાત કરીને પોતાનો વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરી દીધો છે. પરંતુ હવે તેમણે ફક્ત મુદ્દા ઊભા કરવા અને આક્ષેપો કરવાના બદલે ચૂંટણી જીતવી પડશે. ભારતમાં છેલ્લાં ત્રણેક દાયકામાં આવા ઘણાં નાના પક્ષો રચાયા, પરંતુ કમનસીબે તેઓ કોઈ ગંભીર કે અસરકારક પરિવર્તન ન કરી શક્યા. તૃણમૂલ કોંગ્રેસ કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને પણ આવા પક્ષોની યાદીમાં મુકી શકાય. આ બંને પક્ષોની પિતૃસંસ્થા કોંગ્રેસ જ છે. એવી જ રીતે, વર્ષ 2006માં રાજ ઠાકરેએ સ્થાપેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષની પિતૃસંસ્થા શિવસેના છે. પરંતુ આવા પક્ષોનું રાજકારણ તેના સ્થાપકની આસપાસ જ ઘૂમતું રહે છે અને લાંબા ગાળે તેમાં નેતાગીરીનો અભાવ સર્જાય છે. અહીં કહેવાનો મતલબ એ છે કે, મમતા બેનરજી વિના તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવાર વિના નેશનાલિસ્ટ કોંગ્રેસ કે રાજ ઠાકરે વિના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તેમજ માયાવતી વિના બહુજન સમાજ પક્ષની કલ્પના કરવી મુશ્કેલ છે.

જોકે, કેજરીવાલ શરદ પવાર કે રાજ ઠાકરે કરતા ઘણું અલગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. હવે કેજરીવાલે આ પક્ષોના રાજકારણમાંથી બોધપાઠ લેવાનો છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળની શેરીઓમાં જાણીતા સામાજિક કાર્યકર હતા અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષની સ્થાપના પહેલાં શરદ પવાર પણ કંઈક આવું જ કામ કરતા હતા. એવી જ રીતે, રાજ ઠાકરે પણ કોલેજના દિવસોથી પાયાના રાજકારણમાં સક્રિય હતા. કેજરીવાલનો હેતુ ભલે ગમે તેટલો ઉમદા હોય પરંતુ તેમના સામે દેશના જાતિગત રાજકારણનો સામનો કરવાનો પણ પડકાર છે. આ માટે નિષ્ઠાવાન કાર્યકરો પહેલી અને અનિવાર્ય શરત છે. જો, મતદાતાઓ તેમના વિશે કંઈ જાણતા જ નહીં હોય તો તેઓ સરેઆમ નિષ્ફળ જશે. આ ઉપરાંત તેઓ પક્ષ માટે ભંડોળ ક્યાંથી લાવશે એ પણ તેમના માટે યક્ષપ્રશ્ન સાબિત થશે!

બીજી તરફ, આજના ભારતમાં ફક્ત રોટી, કપડા ઔર મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતોના આધારે જ ચૂંટણી નહીં જીતી શકાય. તેમણે અનામત, રોજગારી અને માળખાગત વિકાસ જેવા અઘરા મુદ્દે પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. મતદાતાઓની અપેક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે. ફક્ત હેડલાઈનોમાં ચમકીને મતો નહીં મેળવી શકાય એ વાત કેજરીવાલ ટીમે ખૂબ ઝડપથી સમજી લેવી પડશે. વળી, મીડિયા સાથે પણ તેમણે સંબંધો રાખતા શીખવું પડશે. કારણ કે, નજીકના ભવિષ્યમાં ટીવીના માઈક કેજરીવાલ નામના ‘ન્યૂઝ’નો પીછો કરવાનું બંધ કરી શકે છે. ભ્રષ્ટાચાર માટે લડતી કેજરીવાલ ટીમને ચૂંટણીમાં પ્રજાનું સમર્થન કદાચ ન પણ મળે. જ્યાં બહુ મોટો શિક્ષિત વર્ગ મતદાન નથી કરતો અને ગરીબોના મત પૈસા, દારૂ આપીને ખરીદી શકાય છે એ દેશમાં આમ થવું શક્ય છે.

આપણે આશા રાખીએ કે અરવિંદ કેજરીવાલ ફક્ત તેમના ભવિષ્યના પક્ષનું પ્રતીક બનીને ના રહી જાય. સલમાન ખુરશીદે આપેલી આડકતરી ધમકીનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે, મને મારવાથી કંઈ નહીં થાય. તમે એક કેજરીવાલને મારશો તો બીજા હજાર પેદા થશે. આશા રાખીએ કે, બીજા હજાર કેજરીવાલ પેદા થાય.