Showing posts with label Pakistan. Show all posts
Showing posts with label Pakistan. Show all posts

24 August, 2017

જિનકો થા જબાં પે નાઝ, ચૂપ હૈ વો જબાં-દરાજ


અયુબ ખાન જાલિબને વારંવાર જેલમાં ધકેલી દેતા પણ જાલિબ વધુ દૃઢ મનોબળ લઈને જેલમાંથી બહાર આવતા. ફક્ત સરકાર વિરોધી કવિતાઓ લખવાના કારણે ૬૪ વર્ષની જિંદગીમાંથી ત્રીસેક વર્ષ જાલિબે જેલમાં વીતાવવા પડ્યા હતા. સરમુખત્યારો જાલિબની કવિતાઓથી એટલા ડરતા હતા કે, જેલમાં તેમને કાગળ-પેન ના પહોંચી જાય તેનું પણ ધ્યાન રાખતા. એકવાર જાલિબને જેલમાં કવિતા લખતા રોકાયા તો તેમણે જેલરને કહ્યું કે, તમે મને કાગળ-પેન નહીં આપો તો કંઈ નહીં. હું તમારી જેલનું રક્ષણ કરતા પહેરેદારોને મારી કવિતા સંભળાવીશ. એ લોકો ચાર રસ્તે જઈને મારી કવિતાઓ ગાશે અને પછી એ શબ્દો લાહોર પહોંચી જશે...

વર્ષ ૧૯૮૧માં ઝિયા ઉલ હકના જુલમી શાસનનો વિરોધ કરવા લાહોરમાં યોજાયેલી
એક રેલીમાં પાકિસ્તાની સેનાના જવાનોએ જાલિબને ધક્કે ચઢાવ્યા અને માર માર્યો એ ક્ષણ. 


એકવાર જાલિબે અયુબ ખાનની સાથે સાથે પાકિસ્તાનની પ્રજાની પણ મજાક ઉડાવી હતી. કેવી રીતે? વિખ્યાત નજમ 'મુશીર' લખીને. આ નજમની શરૂઆત જુઓ.

મૈને ઉસસે યે કહા
યે જો દસ કરોડ હૈ, જૈહલ કા નિચોડ હૈ
ઈનકી ફિક્ર સો ગઈ, હર ઉમ્મીદ કિ કિરન
જુલ્મતો મેં ખો ગઈ, યે ખબર દુરસ્ત હૈ
ઈનકી મૌત હો ગઈ, બે શઉર લોગ હૈ
જિંદગી કા રોગ હૈ, ઔર તેરે પાસ હૈ
નકે દર્દ કી દવા...

જાલિબ અયુબ ખાનને સંબોધીને કહે છે કે, આ દસ કરોડ (પાકિસ્તાનની વસતી) લોકો અવગણનાઓનો નિચોડ છે. તેમની ચિંતાઓ, સપનાં અંધકારમાં ખોવાઈ ગયા છે. આ સાચા સમાચાર છે. આ બધી જીવતી લાશો છે, મગજ વિનાના લોકો છે. આ લોકોનું જીવન જ રોગ છે. ફક્ત તારી પાસે આ લોકોના દર્દની દવા છે...

જાલિબ લોકપ્રિય હતા એ બરાબર, પણ સાચા સર્જક-વિચારકના નસીબમાં હંમેશા સામા પાણીએ તરવાનું  હોય છે. આપણે દરેક કાળમાં જોયું છે કે, સત્યવાદીને રાજાનો તો ઠીક, પ્રજાનો સાથ ના હોય એવું પણ બને! સામાન્ય માણસો હંમેશા સરકારના પ્રોપેગેન્ડાનો શિકાર થઈ જાય છે અને ક્રાંતિની મશાલ લઈને નીકળનારા સર્જકો બદનામ થઈ જતા હોય છે. આ પ્રકારના દુ:ખમાંથી 'મુશીર' જન્મી હતી. આ નજમના આગળના શબ્દો વાંચો.

મૈને ઉસસે યે કહા
તુ ખુદા કા નૂર હૈ, અકલ કે શઉર હૈ
કૌમ તેરે સાથ હૈ, તેરે હી વજુદ સે,
મુલ્ક કી નજાત હૈ, તુ હૈ મેહરે સુબ્હે નૌ
તેરે બાદ રાત હૈ, બોલતે જો ચંદ હૈ
સબ યે શર પસંદ હૈ, ઈનકી ખીંચ લે જબાં, ઈનકા ઘોંટ દે ગલા...

આ કડીમાં જાલિબ અયુબ ખાન અને પાકિસ્તાનની પ્રજાને એકસાથે આડે હાથ લીધી છે. દુર્જનોની સક્રિયતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ખતરનાક સાબિત થતી હોય છે. આ વાત જાલિબ જબરદસ્ત રીતે રજૂ કરે છે. અયુબ ખાનને સંબોધીને જાલિબ કહે છે કે, તુ જ ઈશ્વરનું કિરણ છુ. ડહાપણ અને જ્ઞાનની મૂર્તિ છુ. દેશની પ્રજા તારી સાથે છે. હવે ફક્ત તારી કૃપાથી જ આ દેશ બચી શકશે. તુ જ નવી સવારનું કિરણ છુ. તારા પછી અંધકાર જ છે. જે લોકો ઓછું બોલે છે. એ બધા જ ઘાતક ઉપદ્રવીઓ છે. એ લોકોની જીભ ખેંચી લે. ગળુ ઘોંટી દે...

આમ, જાલિબ હિંસાનું કામ અયુબ ખાનને સોંપીને તેમના પર પણ વ્યંગ કરે છે. વિચાર અને વ્યંગની ફટકાબાજીમાં જાલિબે મહારત હતી. જાલિબના મિત્ર અને ઉર્દૂના મશહૂર શાયર હાફિઝ જલંધરી અયુબ ખાનના સલાહકાર હતા. જલંધરી સાહેબ એટલે પાકિસ્તાનના રાષ્ટ્રગીતના રચિયતા. પાકિસ્તાનમાં તેમના માનપાન પણ વધારે. એકવાર તેમણે જાલિબને આડકતરી રીતે ફરિયાદ કરી કે, '... આજકાલ તો હું અયુબ ખાનના સલાહકાર તરીકે કામ કરું છું. બહુ કામ રહે છે. રાત્રે ત્રણ વાગે પણ ફોન કરીને જગાડે છે...'

જલંધરી સાહેબ ઉત્તમ સર્જક ખરા, પરંતુ તેમનામાં જાલિબ જેવી નિસબત અને હિંમત ન હતી. આ વાત સાંભળીને જાલિબ 'મુશીર'ની પાછળની કડીઓમાં અયુબ ખાન અને જલંધરી પર પણ ફટકાબાજી કરે છે. વાંચો અને સાંભળો. 

મૈને ઉસસે યે કહા
જિનકો થા જબાં પે નાઝ, ચૂપ હૈ વો જબાં-દરાજ
ચૈન હૈ સમાજ મેં, બે-મિસાલ ફર્ક હૈ
કલ મેં ઓર આજ મેં અપને ખર્ચ પે હૈ કેદ
લોગ તેરે રાજ મેં, આદમી હૈ વો બડા
દર પે જો રહે પડા, જો પનાહ માંગ લે, ઉસકી બક્ષ દે ખતા... 



જાલિબ ઓછા શબ્દોમાં બહુ મોટી વાત કરી દે છે. જાલિબ અયુબ ખાનને સંબોધીને જલંધરી પર ઈશારો કરતા કહે છે કે, જેમને પોતાની વાકપટુતા પર ગર્વ હતો, એવા તોછડા લોકોની જીભ શાંત છે. સમાજમાં શાંતિ છે, પણ કાલની અને આજની શાંતિના ઉદાહરણોમાં ફર્ક છે. તારા રાજમાં કેટલાક લોકો પોતાના ખર્ચા-પાણીના ગુલામ છે. એ પણ મોટા માણસ જ છે, જે તારા દરવાજે પડ્યા રહે છે. જે તારા શરણે આવી જાય, તેમની ભૂલોને તુ માફ કરી દેજે...

હાફિઝ જલંધરી રાષ્ટગીતના રચયિતા હોવાના કારણે પાકિસ્તાનીઓને યાદ છે, પરંતુ જાલિબની કવિતાઓ  પાકિસ્તાનના 'લાલ બેન્ડ'ના યુવાન રોકસ્ટાર ગાઈ રહ્યા છે. જાલિબના શબ્દોનો ખૌફ હજુયે એવો છે. આ બેન્ડ પર પણ અવારનવાર પ્રતિબંધ મૂકાય છે, તેમનું ફેસબુક પેજ બ્લોક કરાય છે અને જાહેર ચર્ચામાં ભાગ લેતા રોકાય છે. તેમનો વાંક એટલો જ છે કે, તેઓ પ્રોગ્રેસિવ છે. લાલ બેન્ડ જાલિબ અને ફૈઝ અહેમદ ફૈઝના ક્રાંતિકારી શબ્દોને સંગીતમાં મઢીને ઘરે ઘરે પહોંચાડીને ચર્ચા જગાવે છે કે, રાજકારણમાં લશ્કરની દખલગીરી ના હોવી જોઈએ, સ્ત્રીઓને પણ પુરુષો જેટલા જ હક હોવા જોઈએ વગેરે. જાલિબ ખરા અર્થમાં જીવે છે, જ્યારે જલંધરી અપ્રસ્તુત છે.     

અયુબ ખાને વિરોધને પગલે ૧૯૬૫માં ચૂંટણીઓ યોજવી પડી હતી, જેમાં જાલિબ ફાતિમા ઝીણાની તરફેણમાં હતા. જાલિબ જાણતા હતા કે, ચૂંટણી ફક્ત નામની છે, જીત તો અયુબ ખાનની જ થશે. અયુબ ખાને અમેરિકાને સોવિયેત યુનિયન સામે લડવા પાકિસ્તાનમાં એરબેઝ ઊભા કરવાની મંજૂરી આપી હતી. આ રીતે અયુબ ખાને અમેરિકાને પણ પટાવી લીધું અને પાકિસ્તાની સેનાના હિંસાચારની વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભો થયેલો અવાજ પણ ધીમો પાડી દીધો. આ દરમિયાન અયુબ ખાને ફાતિમા ઝીણાની વિરુદ્ધમાં જડસુ માનસિકતા ધરાવતા પુરુષો અને મૌલાનાઓને ઊભા કર્યા. આ પુરુષો જાહેરમાં મૌલાનાઓને સવાલ કરતા કે, એક ઔરત દેશની હુકુમત ચલાવી શકે? આવા સવાલોના જડસુ જવાબો સાંભળીને જાલિબે મૌલાનાઓ પર પ્રહાર કરતી 'મૌલાના' નામની કવિતા લખી. આ વ્યંગબાણ પણ સાંભળો. 




હકીકત ક્યાં હૈ આપ જાને ઔર ખુદા જાને
સુના હૈ જિમી કાર્ટર આપકા હૈ પીર મૌલાના
જમીનેં હો વડેરો કી, મશીને હો લૂટેરો કી
ખુદાને લિખ કે દી હૈ આપકો તહરીર મૌલાના.

જાલિબ જિમી કાર્ટરને મૌલાનાઓના પીર ગણાવે છે અને પછી કહે છે કે, મૌલાનાઓ પાસે જમીનો વડવાઓની છે, લૂંટારુઓના હથિયાર છે. ખુદાએ તમને મિલકતો લખીને આપી દીધી છે... આજેય પાકિસ્તાનમાં ઈશ નિંદા કરનારાને સીધી ફાંસી થાય છે, જ્યારે જાલિબે અયુબ ખાનના પાકિસ્તાનમાં આ શબ્દો લખ્યા હતા. 'મુસલમાનો પર ખતરો છે' એવો પ્રચાર કરીને હિંસાને પ્રોત્સાહન આપતા લોકો સામે પણ જાલિબે 'ઈસ્લામ ખતરે મેં' નામની નજમ લખી હતી.

ખતરા હૈ દરબારો કો, શાહો કે ગમખારો કો, નવાબો ગદ્દારો કો
ખતરે મેં ઈસ્લામ નહીં

જાલિબ કહે છે કે, હવે પાકિસ્તાનમાં ઈસ્લામ નહીં પણ દરબારીઓ, રાજાઓના હમદર્દો અને નવાબો સાથે ગદ્દારી કરે એ લોકો પર ખતરો છે. જાલિબને સપ્ટેમ્બર ૧૯૭૮થી ઓગસ્ટ ૧૯૮૮ વચ્ચે ઝિયા ઉલ હકના શાસનમાં સૌથી વધારે અત્યાચાર સહન કરવો પડ્યો. કટ્ટર ઈસ્લામિક રાજના તરફદાર એવા ઝિયાનું શાસન બૌદ્ધિકો માટે ગૂંગળાવનારું હતું. ઝિયાએ જાલિબને દસ વર્ષ જેલમાં ધકેલી દીધા હતા. એ ગાળામાં જાલિબે એક 'માસ્ટરપીસ'નું સર્જન કર્યું.

ઝુલ્મત કો ઝિયા, સર સર કો સબા, બંદે કો ખુદા ક્યાં લિખના
પત્થર કો ગુહર, દીવાર કો દર, કર્ગસ કો હુમા ક્યાં લિખના
ઈક હશ્ર બપા હૈ ઘર ઘર મૈં, દમ ઘુંટતા હૈ ગુમ્બદ-એ-બે-દર મૈં
ઈક શખ્સ કે હાથોં મેં મુદ્દત સે રુસ્વા હૈ વતન દુનિયા ભર મૈં
એ દીદા-વરો ઈસ જિલ્લત કો કિસ્મત કા લિખા ક્યાં લિખના
ઝુલ્મત કો ઝિયા...

જાલિબની કલમમાંથી આ શબ્દો કેમ નીતર્યા હતા એ સમજીએ. ઝિયાના શાસનમાં પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ આતંકી સંગઠનોને જબરદસ્ત પ્રોત્સાહન અપાતું. પાકિસ્તાનની ગલીએ ગલીએ કાલાશ્નિકોવ કલ્ચર અને ડ્રગ માફિયાનું રાજ ચરમસીમાએ પહોંચી ગયું હતું. ઘર ઘરમાં યુવા પેઢીની બરબાદી થઈ ગઈ હતી અને છતાં ઝિયા ઈચ્છતા હતા કે, સાહિત્યકારો સરકારના વખાણ કરે. આ સ્થિતિને બયાં કરવા જાલિબ શબ્દોની સુંદર કરામત કરે છે. 'ઝિયા' શબ્દનો અર્થ પ્રકાશનું કિરણ, તેજસ્વિતા એવો થાય. એટલે જાલિબ ઝુલ્મત કો ઝિયા’ નજમમાં પહેલી જ લીટીથી ઝિયા પર શાબ્દિક ફટકાબાજી કરે છે. આ પણ વાંચો અને સાંભળો. 




જુલ્મની રાતને હું પ્રકાશનું કિરણ (ઝિયા) કેવી રીતે કહું?
ઝેરી ધુમાડાને સવારની તાજી હવા કેવી રીતે કહું?
હું શેતાનને ભગવાન કેવી રીતે કહું?
પથ્થરને રત્ન, દીવાલને દરવાજો અને ગીધડાંને એક સુંદર પક્ષી કેવી રીતે કહું?
ઘરે ઘરે આફત આવી છે, દીવાલો વિનાના ગુંબજમાં પણ ગૂંગળામણ થાય છે
એક માણસના કારણે મારું વતન દુનિયાભરમાં બદનામ છે
હે ચક્ષુઓ, આ અપમાનને હું નસીબની બલિહારી કેવી રીતે કહું?

***

લાલ બેન્ડના કારણે આજેય આ પાકિસ્તાની યુવાનોમાં લોકપ્રિય છે. અખંડ ભારતમાં પંજાબના હોશિયાપુરમાં ૨૪મી માર્ચ, ૧૯૨૮ના રોજ હબીબ જાલિબનો જન્મ થયો હતો, પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જાલિબનો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો. તેમના પિતા પણ  પંજાબી ભાષામાં લખતા કવિ, શાયર હતા. જાલિબને પિતા પાસેથી શાયરાના મિજાજ અને ડાબેરી કર્મશીલો પાસેથી ક્રાંતિકારી વિચારો મળ્યા.

જાલિબે  'ડેઈલી ઈમરોઝ' નામના અખબારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ યુવાકાળથી જ પ્રગતિશીલ ડાબેરી લેખક સંગઠનના સભ્ય હતા. ડાબેરી વિચારોના પ્રભાવના કારણે જાલિબ જીવનભર અમેરિકાની નીતિઓ અને મૂડીવાદને વખોડતા રહ્યા. એશિયાઈ દેશો અમેરિકાને સાથે આપી અંદરોદર ઝઘડતા ત્યારે જાલિબે 'કામ ચલે અમેરિકા કા' નજમ લખી.

નામ ચલે હરનામદાસ કા, કામ ચલે અમેરિકા કા
મૂરખ ઈસ કોશિષ મેં હૈ, સૂરજ ન ઢલે અમેરિકા કા
નિર્ધન કિ આંખો મેં આંસુ આજ ભી હૈ ઓર કલ ભી થે
બિરલા કે ઘર દીવાલી હૈ, તેલ જલે અમેરિકા કા...

અહીં બિરલા એક પ્રતીક માત્ર છે. જાલિબે 'સરકારી કવિઓ' સાથે પણ અંગત દ્વેષ-વેર નહોતું રાખ્યું. ભારત પ્રત્યે પણ તેમને ઊંડો લગાવ હતો. દુ:ખદર્દના દિવસોમાં શક્તિ મેળવવા જાલિબ લતા મંગેશકરને સાંભળતા. જાલિબે તેમની પ્રશંસા કરતી એક કવિતા પણ લખી હતી.  
 
ક્યાં ક્યાં તુને ગીત હૈ ગાયે, સુર જબ લાગે મન ઝુક જાયે
તુજકો સુનકર જી ઉઠતે હૈ, હમ જૈસે દુ:ખ દર્દ કે મારે
તેરે મધુર ગીતો કે સહારે, બીતે હૈ દિન-રૈન હમારે...     

***

આખરે ૧૨મી માર્ચ, ૧૯૯૩ના રોજ ૬૪ વર્ષની વયે જાલિબનું મૃત્યુ થયું અને પાકિસ્તાનના રૂઢિચુસ્ત શાસકો, લશ્કરી અધિકારીઓ અને મૌલાનાઓએ હાંશકારો અનુભવ્યો. જોકે, જાલિબના શબ્દો તો હજુયે પ્રસ્તુત છે. જૂન ૨૦૦૧થી ઓગસ્ટ ૨૦૦૮ દરમિયાન જનરલ મુશર્રફના શાસનનો વિરોધ કરવા કરાચી, લાહોર, ઈસ્લામાબાદ અને પંજાબના પ્રગતિશીલ મુસ્લિમોને જાલિબની કવિતાઓમાંથી શક્તિ મેળવી હતી. ૨૩મી માર્ચ, ૨૦૦૯ના રોજ આસિફ અલી ઝરદારી સરકારે જાલિબને પાકિસ્તાનના સર્વોચ્ચ પુરસ્કાર 'નિશાન-એ-ઈમ્તિયાઝ' (મરણોત્તર)થી નવાજ્યા હતા.

જ્યારે પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ઘોંટાય, સરકાર હિંસા-દ્વેષને પ્રોત્સાહન આપે, ગરીબના આંસુની કોઈને પડી ના હોય અને મૂડીવાદીઓનું પેટ વધુને વધુ મોટું થયા કરે ત્યારે સમજવું કે જાલિબ હજુયે પ્રસ્તુત છે.

આશા રાખીએ, જાલિબ જેવા કવિઓ ઝડપથી અપ્રસ્તુત થાય! (પૂર્ણ)

નોંધઃ પહેલા વીડિયોમાં ‘મુશીર’ નજમ સાંભળી શકાશે, બીજામાં મૌલાનાઓની ખબર લીધી એ વીડિયો છે, જ્યારે ત્રીજો વીડિયો લાલ બેન્ડે ગાયેલી જાલિબની માસ્ટર પીસ નજમ ‘દસ્તૂર’નો છે. આ લેખનો ભાગ-1

23 August, 2017

મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ, જબ હમ કરતે હૈ ફરિયાદ


૨૫ મી માર્ચ, ૧૯૬૯થી ૨૦મી ડિસેમ્બર ૧૯૬૯. આ સમયગાળામાં પાકિસ્તાનમાં યાહ્યા ખાનનું ખૌફનાક લશ્કરી શાસન હતું. આ ગાળામાં એક દિવસ રાવલપિંડીના મરી નામના સુંદર હિલ સ્ટેશન પર ભવ્ય મુશાયરાનું આયોજન કરાયું હતું. પાકિસ્તાનના દિગ્ગજ કવિઓ, શાયરો અને ગઝલકારો પોતાની રચનાઓ સાંભળવા ખાસ રાવલપિંડી આવ્યા હતા. રાવલપિંડી એટલે પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈનું વડું મથક. રાવલપિંડીની હવામાં લશ્કરી બેન્ડની ડણક ગૂંજી રહી હતી. મુશાયરાના સ્ટેજની પાછળ કોઈ સર્જકની નહીં પણ યાહ્યા ખાનની તસવીર લગાવાઈ હતી. યાહ્યા ખાનના શાસનમાં અખબારોએ શું છાપવું, લેખકોએ શું લખવું, કોલમકારોએ પ્રજાને કેવી રીતે ભરમાવવા અને કવિઓએ કેવી કવિતા કરવી, એ બધું જ પાકિસ્તાની લશ્કર નક્કી કરતું.

મુશાયરામાં એક યુવાન કવિ પણ હાજર હતો. એ કવિ સ્ટેજ પર આવ્યો એ પહેલાં અનેક શાયરો-ગઝલકારો પોતાની રચનાઓ રજૂ કરીને વાહવાહી મેળવી ચૂક્યા હતા. લશ્કરી અધિકારીઓના ઈશારે એ યુવા કવિને કવિતા સંભળાવવા સૌથી છેલ્લે થોડો ઘણો સમય અપાયો હતો. મુશાયરો હોવા છતાં ગજબની શાંતિ હતી, વાતાવરણ ભારેખમ હતું. જાણે યાહ્યાખાનના ખૌફથી પાંદડું પણ હલતું ન હતું. જોકે, પેલા મસ્ત કવિએ તો સ્ટેજ પર યાહ્યા ખાનની તસવીર સામે ખુમારીભરી નજર નાંખીને થોડા ઘોઘરા અને જિંદાદિલ અવાજમાં એક શેર લલકાર્યો.     

હબીબ જાલિબ

તુમસે પહેલે વો જો શખ્સ યહાં તખ્ત નશીં થા
ઉસે ભી અપના ખુદા હોને કા ઇતના હી યકીં થા
કોઈ ઠહરા હો જો કિ લોગો કો બતાઓ
વો કહાં હૈ, કે જિન્હે નાઝ અપને તઇં થા.     

આ શેર લલકારનાર કવિ એટલે જીવનભર લશ્કરી શાસનનો વિરોધ કરીને લોકશાહીનું સમર્થન કરનારા હબીબ જાલિબ. આ શેરની પહેલી લીટી તો સમજાય એવી છે, પણ બીજી લીટીમાં જાલિબ કહે છે કે, એવો કયો સરમુખત્યાર છે જે લાંબો સમય ટક્યો છે. હોય તો કહો. જેમને પોતાના પર નાઝ હતા એ બધા ખોવાઈ ગયા, જોઈ લો. યાહ્યા ખાનની તસવીર ધરાવતા સ્ટેજ પરથી ગોફણની જેમ વછૂટેલો આ શેર ગૂંજતા જ લશ્કરના ચાંપલૂસ કવિઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો અને સ્વાભાવિક રીતે જ 'મુશાયરો પૂરો થઈ ગયો છે' એવું જાહેર કરી દેવાયું. કોઈ દોઢડાહ્યા કવિએ જાલિબને કહ્યું પણ ખરું કે, યે સબ કહેને કા યે મૌકા નહીં થા. ત્યારે જાલિબે જવાબ આપ્યો કે, મેં મૌકાપરસ્ત (તકવાદી) નહીં હું.

જાલિબે પાકિસ્તાનના અત્યંત મજબૂત લશ્કરી શાસકોના દૌરમાં કલમથી ક્રાંતિની ચિનગારી જીવિત રાખી હતી. જાલિબ જે કંઈ લખતા તે સામાન્ય લોકોના હોઠ પર રમવા લાગતું. એટલે જ મૂરીના મુશાયરામાં યાહ્યા ખાનની ટીમે જાલિબને દિલાવર ફિગારની કવિતાઓ પૂરી થઈ જાય એ પછી બોલવાની તક અપાઈ હતી. ફિગાર પાકિસ્તાનના અત્યંત લોકપ્રિય ઉર્દૂ કવિ અને હાસ્યકાર હતા. લશ્કરી અધિકારીઓને એમ હતું કે, ફિગાર કાવ્યપઠન કરીને જબરદસ્ત જમાવટ કરી દેશે એ પછી જાલિબની કવિતાઓમાં કોઈને રસ નહીં પડે. વળી, અયુબ ખાનના શાસનમાં જાલિબ સીધાદોર થઈ જ ગયા છે, એટલે વાંધો નથી. હવે તેઓ ગમે તેવી કવિતાઓ લલકારે તો પણ કશું જોખમ નથી. જોકે, જાલિબે આ બધી ધારણા ખોટી પાડી.

યાહ્યા ખાનની ટીમના આ અનુમાનો પાછળ કેટલાક કારણો જવાબદાર હતા. વાત એમ હતી કે, મૂરીના મુશાયરામાં જાલિબને આશરે દસ વર્ષ પછી કાવ્યપઠનની તક મળી હતી. પાકિસ્તાનમાં યાહ્યા ખાને ફક્ત ત્રણ વર્ષ રાજ કર્યું, પરંતુ એ પહેલાં ૧૯૫૮થી ૧૯૬૯ દરમિયાન જનરલ અયુબ ખાન પાકિસ્તાનમાં જુલમી શાસન કરી ચૂક્યા હતા. અયુબ ખાને દસ વર્ષના શાસનમાં જાલિબને વારંવાર જેલમાં ધકેલીને ખૂબ જ પજવ્યા હતા. આટલું ઓછું હોય તેમ અયુબ ખાને જાલિબ પર દસ વર્ષનો પ્રતિબંધ પણ ફરમાવ્યો હતો. એટલે યાહ્યા ખાનનું શાસન શરૂ થયું ત્યાં સુધી તો મોટા ભાગના લેખકો-કવિઓ લશ્કરી શાસનની દેખરેખ હેઠળ સર્જન કરવા ટેવાઈ ગયા હતા. એ બધા જ સર્જકો સમજી-વિચારીને લખતા, બોલતા અથવા ચૂપ રહેતા.



જોકે, જાલિબે તો દસ વર્ષના પ્રતિબંધ પછીયે એ જ જૂના અંદાજમાં ક્રાંતિકારી કવિતાઓ લલકારતા હતા. યાહ્યા ખાન પહેલાં જાલિબની આગઝરતી કલમનો સૌથી વધુ લાભ અયુબ ખાનને મળ્યો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલાને એકાદ દાયકા જેટલો સમય થયો હતો ત્યાં ઓક્ટોબર ૧૯૫૮માં અયુબ ખાને પાકિસ્તાનનું સુકાન સંભાળ્યું. લશ્કરી અધિકારીમાંથી રાજકારણી બનેલા અયુબ ખાને જાહેર કર્યું કે, પાકિસ્તાનની પ્રજા લોકશાહી માટે પરિપક્વ નથી એટલે આપણે કાર્યવાહક પ્રમુખ ચૂંટી લેવા જોઈએ. કહેવાની જરૂર નથી કે, અયુબ ખાન લશ્કરી શાસનને સુંદર કપડાં પહેરાવીને લોકશાહીનું ગળું ઘોંટવાની તૈયારી કરી રહ્યા હતા. અને હા, અયુબ ખાન એટલે પાકિસ્તાનના પહેલા મિલિટરી શાસક, ફાઈવ સ્ટાર રેન્ક આર્મી જનરલ અને ફિલ્ડ માર્શલનું બિરુદ મેળવનારા પાકિસ્તાનના એકમાત્ર લશ્કરી અધિકારી. 

એ પછી અયુબ ખાને નવું લશ્કરી બંધારણ પણ જાહેર કર્યું. આ ઘટનાથી વ્યથિત થઈને જાલિબે 'દસ્તૂર' (બંધારણ) નામની મશહૂર નજમ (કવિતાનો અરબી પ્રકાર) લખી, જે પાકિસ્તાનના રાષ્ટ્રગીત જેટલી જ મશહૂર છે. વાંચો શરૂઆતના શબ્દો.

દીપ જિસકા મહલ્લાત હી મેં જલે,
ચંદ લોગો કિ ખુશિયો કો લેકર ચલે
વો જો સાયેં મેં હર મસલહત કે પલે
એસે દસ્તૂર કો સુબ્હે બેનૂર કો
મૈં નહીં માનતા, મૈ નહીં માનતા...

આ કવિતામાં જાલિબ ફક્ત મહેલોમાં દીવો પ્રગટાવવા આતુર શાસકો સામે બળાપો કાઢે છે. થોડા ઘણાં લોકોનું વિચારીને આગળ વધતા શાસકો સામે જાલિબને રોષ છે. તેઓ કહે છે કે, સ્વાર્થ અને અંગત હિતોના પડછાયામાં સુરક્ષિત છે એવા લોકોએ ઘડેલા બંધારણની અંધારી સવારને (સુબ્હે બેનૂર, નૂર વિનાની) હું નથી માનતો. આ શબ્દો પછીની કડીમાં જાલિબ અયુબ ખાનને સીધો પડકાર ફેંકે છે...

મૈં ભી ખાયફ નહીં તખ્ત એ દાર સે
મૈં ભી મન્સૂર હું કહ દો અગિયાર સે
ક્યૂં ડરાતે હો જિન્દો કિ દીવાર સે
જુલ્મ કિ બાત કો, જેહલ કિ રાત કો
મૈં નહીં માનતા, મૈં નહીં માનતા...



જાલિબ કહે છે કે, હું ફાંસીના ફંદાથી નથી ડરતો. બધા જ દુશ્મનોને કહી દો કે હું પણ વિજયી છું. મને જેલની દીવાલોથી કેમ ડરાવો છો. જુલમો સિતમથી કે અવગણનાઓના અંધકારને હું નથી માનતો... આ કવિતા આજેય પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકશાહીના સમર્થકોનો અવાજ છે. પ્રજાને હિંમત અને દિશા આપવા શબ્દો ખૂટી જાય ત્યારે બૌદ્ધિકો પણ જાલિબની કવિતાઓ વાંચે છે. એક કવિ માટે આ નાનાસૂનો એવોર્ડ છે? 'દસ્તૂર' નજમમાં જાલિબે લીટીએ લીટીએ ચિનગારીઓ ગૂંથી છે. જાલિબ જાહેરમાં આ નજમ ગાતા ત્યારે લોકોના રૂંવાડા ઊભા થઈ જતા. જાલિબનો એ જિંદાદિલ અવાજ યૂ ટ્યૂબ પર સાંભળી શકાય છે.

સાહિત્યના નોબલ પુરસ્કાર માટે ચાર વાર નોમિનેટ થનારા  પાકિસ્તાનના ઉર્દૂ-પંજાબી કવિ ફૈઝ અહેમદ ફૈઝ કહેતા કે, પાકિસ્તાનનો એક જ કવિ છે, જે ખરેખર લોકોનો કવિ છે અને એ છે, હબીબ જાલિબ. 'મૈં નહીં માનતા' કવિતા લોક જીભે ચઢી ગઈ એના બીજા જ વર્ષે, ૧૯૫૯માં, પણ જાલિબે અયુબ ખાનને બરાબરના ઠમઠોર્યા હતા. અયુબ ખાનના રાજમાં પાકિસ્તાન રાઈટર્સ ગિલ્ડ પણ સત્તાની સાથે હતું અને જાલિબ જેવા થોડાઘણાં કવિઓ એકલા પડી ગયા હતા. આ દરમિયાન રાવલપિંડી રેડિયો પર એક મુશાયરો પ્રસારિત થયો. મુશાયરામાં મોટા ભાગના કવિઓએ ઈશ્ક-મહોબ્બતની વાતો કરી, પાકિસ્તાન સરકારના ભરપેટ વખાણ કર્યા અને પ્રજાને ઘેનમાં રાખવામાં સરમુખત્યાર સરકારને મદદ કરી. સાહિત્યકારોની આ નાપાક હરકતથી અયુબ ખાન ચૈનથી સૂઈ શકતા હતા. જોકે, આ મુશાયરામાં એક ભૂલ થઈ હતી. આયોજકોએ જાલિબને પણ બોલાવ્યા હતા.

જાલિબે તો લશ્કરની માર્ગદર્શિકાની ઐસીતૈસી કરીને અયુબ ખાનના હત્યાકાંડ, દહેશતના માહોલ અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં નહીં માનતી સરકારના ધજિયા ઊડાવતો શેર રજૂ કર્યો.

કહીં ગેસ કા ધુંઆ હૈ, કહીં ગોલિયો કિ બારિશ
શબ-એ-અહદ-એ-કમનિગાહી તુજે કિસ તરહ સુનાએ

અયુબ ખાન અને યાહ્યા ખાન 

પહેલી લીટીમાં જાલિબ પાકિસ્તાનની સ્થિતિનો ચિતાર આપે છે અને પછી કહે છે કે, રાત્રિના અંધકારમાં કરેલા દૃઢ સંકલ્પો આ વક્રબુદ્ધિ ધરાવનારા લોકોને કેવી રીતે સંભળાવું... સ્વાભાવિક રીતે જ આ શેર પાકિસ્તાનની પ્રજાએ સાંભળી લીધા પછી અયુબ ખાનના લશ્કરના હોશકોશ ઊડી ગયા. રેડિયો સ્ટેશન ડિરેક્ટરને સજા થઈ અને જાલિબને પણ જેલમાં મોકલી દેવાયા. અયુબ ખાન હિંસાચાર છુપાવવા માટે મૂડીવાદના બહુ મોટા સમર્થક તરીકે ઊભરી રહ્યા હતા. આમ છતાં, લશ્કરી શાસનમાં મોંઘવારી કાબૂમાં આવતી ન હતી. પાકિસ્તાનનો આમ આદમી પરેશાન હતો અને પાંચ-પચીસ પરિવારો વધુ ધનવાન થઈ રહ્યા હતા. એટલે જાલિબે દેશના સદ્ર (સર્વોચ્ચ) વડા અયુબ ખાનને સંબોધીને ધારદાર વ્યંગ કર્યો. 

વાંચો એ ધારદાર વ્યંગબાણોની નાનકડી ઝલક... 


બીસ ઘરાને હૈ આબાદ
ઓર કરોડો હૈ નાશાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ
આજ ભી હમ પર જારી હૈ
સદિયોં કે બેદાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ

બીસ રૂપિયા મન આટા 
ઈસ પર ભી હૈ સન્નાટા
ગૌહર, સહગલ આદમજી
બને હૈ બિરલા ઔર ટાટા
મુલ્ક કે દુશ્મન કહેલાતે હૈ
જબ હમ કરતે હૈ ફરિયાદ
સદ્ર અય્યુબ જિંદાબાદ

કયો સરમુખત્યાર આવા વ્યંગ સહન કરી શકે? જાલિબ ફરી જેલમાં ધકેલાયા. રાજકારણીઓના એક હાંકોટાથી ડરી જતા પત્રકારો, કોલમકારો અને ફિલ્મકારો માટે જાલિબ પ્રેરણાનો ધસમસતો સ્રોત છે. શબ્દોની તાકાત શું હોઈ શકે એ જાલિબે સાબિત કરી બતાવ્યું હતું. કેટલાક લોકો નાનપણમાં પુસ્તકોમાં ભણાવાયેલી નૈતિકતા અને સિદ્ધાંતોને સાચા માની લે છે. કોઈ તેમને ગમે તેટલી 'પ્રેક્ટિકલબનવાની સલાહો આપે, પરંતુ તેમને ફર્ક નથી પડતો. સત્યનિષ્ઠા સામે મોત પણ આવી જાય તો આ પ્રકારના લોકો પીછેહટ નથી કરતા. જાલિબ તેમાંના એક હતા. જોકે, જાલિબે ફરી એકવાર જેલમાંથી બહાર આવીને જુલમની સત્તા સામે કવિતા લખી.

એ પછી શું થયું? વાંચો ૨૩મી ઓગસ્ટના અંકમાં.

નોંધઃ પહેલા વીડિયોમાં ખુદ જાલિબ ‘દસ્તૂર’ નજમ લલકારે છે, જ્યારે બીજા વીડિયોમાં પાકિસ્તાનના જાણીતા લાલ બેન્ડના ગાયક અમર રશીદ ‘દસ્તૂર’ લલકારી રહ્યા છે... આ લેખનો ભાગ-2.

28 February, 2016

અમેરિકાએ લાદેનની લાલચમાં મુંબઈનો ભોગ લીધો હતો


અલ કાયદાએ વર્ષ ૧૯૯૮માં આફ્રિકાના બે દેશ ટાન્ઝાનિયા અને કેન્યાના અમેરિકન રાજદૂતાવાસો પર ટ્રક બોમ્બથી હુમલા કર્યા, જેમાં ૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. એ સમયે વિશ્વભરમાં અમેરિકન રાજદૂતાવાસો અને પ્રવાસીઓને લક્ષ્યાંક બનાવાતા હતા. અમેરિકા જાણતું હતું કે, આ બધી ઘટનાઓ પાછળ અલ કાયદાની સંડોવણી છે, પરંતુ એ વખતે અમેરિકન ઈન્ટેલિજન્સ ઓસામા બિન લાદેન અને તેના નેટવર્ક વિશે ખાસ કશું જાણતું ન હતું. વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓ સખત તણાવમાં હતા કારણ કે, વિશ્વમાં રોજેરોજ ક્યાંકને ક્યાંક અમેરિકનોને ફૂંકી મરાતા હતા. આ સ્થિતિમાં હેડલીએ અમેરિકાને ઓફર કરી કે, હું તમને જેહાદની દુનિયામાં લઈ જઈશ. જો તમે આ ઓફર સ્વીકારશો તો જ લાદેન સુધી પહોંચી શકશો અને અલ કાયદાના નેટવર્કના મૂળિયા જાણી શકશો...

છેવટે આ વખતે પણ અમેરિકન ઈન્ટેલિજન્સ અધિકારીઓએ હેડલીની ઓફર સ્વીકારવી પડી અને તે ફરી એકવાર છૂટી ગયો.

હેડલીની ઓફર પછી સર્જાયું, ૯/૧૧

હેડલીએ ઓફર કરતા તો કરી દીધી પણ આ કામ અત્યંત અઘરું હતું. આ દરમિયાન ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલ કાયદાના ૧૯ ફિદાયીનોએ ચાર પેસેન્જર પ્લેનનું અપહરણ કરીને અમેરિકા પર ખૌફનાક  હુમલો કર્યો. આતંકવાદીઓએ બે પ્લેનની મદદથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર ફૂંકી માર્યા, એક પ્લેનથી અમેરિકાની શાન સમા સંરક્ષણ ખાતાના હેડક્વાર્ટર પેન્ટાગોનનું એક ટાવર ફૂંકી માર્યું અને એક પ્લેનથી વ્હાઈટ હાઉસ પર હુમલાનો પ્રયાસ કર્યો. આ ઓપરેશનમાં ફક્ત વ્હાઈટ હાઉસ પરનો હુમલો નિષ્ફળ રહ્યો. ૯/૧૧ તરીકે જાણીતી આ ઘટનામાં છ હજાર લોકોના મોત થયા હતા, જેમાં પેન્ટાગોનના ૧૨૫ અધિકારી, ૫૫ મિલિટરી પર્સોનલ, ૭૨ લૉ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અને ૩૪૩ ફાયર ફાઇટર્સ પણ સામેલ હતા. આ હુમલાએ અમેરિકાનો અહંકાર ચકનાચૂર કરી નાંખ્યો હતો.

એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્કનું પુસ્તક અને તાજ હોટેલ પરનો હુમલો


હેડલી છેક વર્ષ ૧૯૯૮માં અમેરિકાને જેહાદની દુનિયામાં લઈ જઈ લાદેન સુધી પહોંચવાની લાલચ આપી છૂટી ગયો હતો, પરંતુ ૯/૧૧ના પાંચ વર્ષ પછીયે એટલે કે વર્ષ ૨૦૦૬ સુધી તે કશું જ કરી શક્યો ન હતો. હવે હેડલીની જાનને ખતરો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સના શાંત, ખૂંખાર અને ચબરાક અધિકારીઓ આકુળવ્યાકુળ થઈ ગયા હતા. હેડલીને આર્થિક મદદ કરીને આગળ વધવામાં મદદ કરનારા અધિકારીઓ પણ બેચેન હતા. હવે તેઓ હેડલીનું કાસળ કાઢી નાંખવાની ફિરાકમાં હતા.

એક યોગાનુયોગે હેડલીને બચાવી લીધો

વર્ષ ૨૦૦૬ સુધી હેડલી કશું જ કરી ના શક્યો પણ અમેરિકાથી ૧૩ હજાર કિલોમીટર દૂર પાકિસ્તાનમાં એ જ વર્ષે અગાઉ જણાવ્યું હતું એમ લાલ મસ્જિદની ઘટના બની. આ ઘટના પછી લશ્કર એ તૈયબા ખતમ થઈ રહ્યું હતું. એક તરફ, તૈયબા પર પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈનું ભારત પર મોટો હુમલો કરવાનું દબાણ હતું અને બીજી તરફ, અમેરિકન ઈન્ટેલિજન્સના કેટલાક અધિકારીઓમાં લાદેનને ઝબ્બે કરવાની 'અંગત મહત્ત્વાકાંક્ષા' બળવત્તર થઈ ગઈ હતી. આ એક ખતરનાક યોગાનુયોગ હતો.

આ સ્થિતિમાં (યાદ રાખો, વર્ષ ૨૦૦૬માં) હેડલીએ જેહાદની દુનિયામાં ઘૂસવા તૈયબાને એક ઓફર કરી. તેણે તૈયબાના આકાઓને કહ્યું કે, ભારતમાં એક મોટો હુમલો કરવા તમે મારો 'ઘૂસણખોર' તરીકે ઉપયોગ કેમ નથી કરતા? જોકે, શરૂઆતમાં તૈયબાને હેડલીની ક્ષમતા અને તેના ઈરાદા વિશે શંકા હતી, પરંતુ ભારતમાં મોટો હુમલો કરવા હેડલીનું મહત્ત્વ સમજતા તૈયબાને વાર ના લાગી. હેડલી અડધો પાકિસ્તાની અને અડધો અમેરિકન હતો. અમેરિકન પાસપોર્ટ ધરાવતો હતો. વળી, ઉર્દૂનો અચ્છો જાણકાર અને અમેરિકન ઉચ્ચારોમાં અંગ્રેજી બોલતો ગોરો પુરુષ હતો. સૌથી મહત્ત્વની વાત એ હતી કે, હેડલી જાતને જોખમમાં મૂકીને ભારત પર હુમલો કરાવવા આતુર હતો. આ ઓફરની સાથે જ મુંબઈ હુમલાના કાવતરાની શરૂઆત થઈ ગઈ હતી.

એવું નહોતું કે, આ બધું વ્હાઈટ હાઉસની સીધી દેખરેખ હેઠળ થતું હતું પણ ૯/૧૧ પછી વ્હાઈટ હાઉસે અમેરિકન ઈન્ટેલિજન્સના અનેક અધિકારીઓને વધારે પડતી છૂટછાટો આપી હતી.

મુંબઈ હુમલાની યોજના શરૂ કરાઈ

તૈયબાએ ભારતીયોની સાથે વિશ્વભરના પ્રવાસીઓ પણ હોય એવા સ્થળે હુમલો કરવાનો નિર્ણય લીધો. આ કારણસર હેડલીએ તૈયબાના સૂચનોને આધારે મુંબઈની તાજ હોટેલ અને તેની આસપાસના સ્થળોની રેકી કરવાનું શરૂ કર્યું. તાજ હોટેલ નજીક નરીમાન હાઉસ પણ હતું, જે મહારાષ્ટ્રના યહૂદીઓની સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે. આ સ્થળોની રેકી કરવા હેડલીએ મુંબઈની સાત અને દિલ્હીની એક વાર મુલાકાત લીધી હતી. મુંબઈમાં તેણે શ્રીમંત મિત્રો પણ બનાવ્યા હતા. મુંબઈ વિશે તેને ઊંડું જ્ઞાાન હતું. શિવસેનાના ઉદ્ભવ અને મુસ્લિમ માફિયાઓના ઇતિહાસનું પણ તેને સંપૂર્ણ જ્ઞાાન હતું.

બીજી તરફતૈયબાના કમાન્ડરોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગરીબ-પછાત વિસ્તારોમાંથી ૩૨ યુવકને પસંદ કર્યા. કસાબ પણ ઓકારા નામના આવા જ અત્યંત ગરીબ-પછાત નગરનો રહેવાસી હતો, જ્યાં પોલીસ અને ન્યાયતંત્ર જેવું કશું છે જ નહીં. આતંકની દુનિયામાં આ શહેર ઓકારા નહીં પણ 'બ્લેસ્ડ સિટી' તરીકે ઓળખાય છે કારણ કે, અહીંથી આત્મઘાતી હુમલાખોરો મળી રહે છે. અહીં સામાજિક કલ્યાણના કામ પણ તૈયબા જેવા જૂથોની સ્વૈચ્છિક સંસ્થાઓ જ કરે છે.

જોકે, ભારત પર હુમલાની તાલીમ શરૂ થતાં જ કેટલાક યુવકો ડરી ગયા અને છેલ્લે ફક્ત વીસ યુવક બચ્યા. આ બધા જ એવા યુવકો હતા, જે અનાથ હતા, કોઈના માતા-પિતા છૂટા પડી ગયા હતા, કોઈના પિતા મૃત્યુ પામ્યા હતા, કોઈ પરિવારથી વિખૂટા પડી ગયા હતા અથવા તો તેમના પરિવારો અત્યંત અભણ-અબુધ હતા.

આતંકીઓને પીઓકેમાં તાલીમ અપાઈ હતી

આ યુવકોને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં આવેલી ચેલ્લા બાંદી પર્વતમાળામાં તાલીમ અપાઈ હતી. કાશ્મીર વેલીમાં ભારત સામે લડવા અહીં પહેલેથી જ બેઝ કેમ્પ ધમધમતો હતો. અહીં યુવકોને તંબૂ ફાળવાયા અને તેમના નામ દૂર કરીને નંબર આપી દેવાયા. હવે તેઓ તૈયબાના 'રોબોટ' હતા. અહીં તેઓ લશ્કરી અને આધ્યાત્મિક તાલીમ લેતા હતા. તૈયબાના કમાન્ડરો તેમજ પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈના ચુનંદા અધિકારીઓ સિવાય કોઈ જાણતું ન હતું કે, આ યુવકો મુંબઈ શહેર પર ક્યારે અને કેવી રીતે હુમલો કરશે. ખુદ યુવકોને પણ ખબર ન હતી કે, તેઓ મુંબઈ પર હુમલાની તાલીમ લઈ રહ્યા છે. તેઓ ફક્ત એટલું જ જાણતા હતા કે, આ એક ફિદાયીન હુમલો હશે!

આ યુવકોને બિલ્ડિંગમાં ઘૂસવાની, ગાદલાનો કવચ તરીકે ઉપયોગ કરવાની, એકબીજાને બચાવીને આગળ વધવાની, આછા પ્રકાશમાં ફક્ત સિગ્નલથી વાત કરવાની, નકશા સમજવાની તેમજ ભૂખ-તરસમાં ટકી રહેવાની તાલીમ અપાઈ હતી. બાદમાં તમામને સ્વિમિંગની આકરી તાલીમ આપવા મુઝફ્ફરાબાદમાં ઓલિમ્પિક સ્ટાઇલનો મહાકાય સ્વિમિંગ પુલ પણ તૈયાર કરાયો હતો કારણ કે, મુંબઈ હુમલામાં મરીન ટ્રેઇનિંગનું તત્ત્વ ઉમેરાઇ ગયું હતું. જોકે, આ પુલમાં ફિલ્ટર સિસ્ટમ નહીં હોવાથી તેનું પાણી કાળુ થઈ ગયું હતું. આ કારણોસર યુવકોને વહેતા પાણીની કેનાલોમાં મરીન ટ્રેઇનિંગ અપાઇ હતી.

આઘાતજનક વાત તો એ છે કે, ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ પીઓકેમાં બાજનજર રાખતી હોવાના દાવા કરે છે. જોકે, 'મુંબઈ પર હુમલો થઈ શકે છે' એવી 'ચોક્કસ માહિતી' પણ અમેરિકન ઈન્ટેલિજન્સ જ ભારતને આપતું હતું, પરંતુ વર્ષ ૨૦૦૬ એનું પ્રમાણ ઘટી ગયું અને તેઓ મોટા ભાગે 'એલર્ટ' આપીને સંતોષ માનતા હતા. અમેરિકાએ જવાબદારીમાંથી છટકવા આ કારસો રચ્યો હતો.

આખરે, તૈયબાએ હેડલીની મદદથી મુંબઈની તાજ પર હુમલો કરવાની તારીખ નક્કી કરી અને વીસમાંથી દસ ચુનંદા યુવકોને મુંબઈ મિશન માટે રવાના કરાયા. એ પછી શું થયું એ લોહિયાળ ઈતિહાસથી આપણે વાકેફ છીએ. આ ઘટના પછી ભારતના કેટલાક બાહોશ ઈન્ટેલિજન્સ અધિકારીઓએ અમેરિકન ઈન્ટેલિજન્સને ફોન કરીને સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તમે અમારી સાથે ગદ્દારી કરી. લાદેનને પકડવાની લાલચમાં તમે મુંબઈનો ભોગ લીધો... 

એ વખતે અમેરિકાનો જવાબ હતોઃ અમે તો તમને ચેતવ્યા જ હતા...

હુમલામાં ભારતીયોની પણ સંડોવણી હતી

હેડલીના પાકિસ્તાન સ્થિત હેન્ડલર મેજર ઇકબાલ નામના આઈએસઆઈના એક 'ગુપ્ત વ્યક્તિ'એ ભારતીય લશ્કરના ટ્રેઇનિંગ મેન્યુઅલના આધારે આતંકવાદીઓનો તાલીમ કાર્યક્રમ સંભાળ્યો હતો. આ પ્રકારના મેન્યુઅલમાં લશ્કરની નબળાઈ વિશે પણ વિસ્તૃત માહિતી હોય છે. મુંબઈ પર હુમલો કરવા ભારતીય સુરક્ષા નેટવર્કની એક વ્યક્તિએ જ આઈએસઆઈને આ મેન્યુઅલ પહોંચાડ્યું હતું. આ વ્યક્તિને આઈએસઆઈએ 'હની બી' એવું કોડનેમ આપ્યું હતું. મુંબઈથી પણ કેટલાક લોકોએ તૈયબાને જરૂરી માહિતી આપી હતી, જેમને તૈયબાએ 'ચુહા' કોડનેમ આપ્યું હતું.

ભારત સરકારે મુંબઈ હુમલાનો આ 'લોકલ એન્ગલ' શોધવા રામ પ્રધાન કમિશન ઓફ ઈન્કવાયરીની રચના કરી હતી, જે આજેય 'હની બી' કે 'ચુહા'ને શોધી શક્યું નથી.

***

આ તમામ માહિતી 'ધ સીજ : ૬૮ અવર્સ ઈનસાઈડ ધ તાજ હોટેલ' નામના પુસ્તકમાં મળે છે. એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામના પત્રકાર-લેખક દંપત્તિએ ૧૫ દેશ અને પાંચ ખંડમાં રઝળપાટ કરીને મજબૂત પુરાવા સાથે આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક લખવા તેઓ ભારત-પાકિસ્તાન-અમેરિકાના ઈન્ટેલિજન્સ અધિકારીઓ અને પોલીસ, આઈએસઆઈના હેન્ડલરો, તૈયબાના કમાન્ડરો અને મૃતક આતંકવાદીઓના સ્વજનોને પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અમેરિકન ઈન્ટેલિજન્સ, હેડલી તેમજ હેડલી-તૈયબાના ફોન કૉલ, ઈ-મેઈલ ઈન્ટરસેપ્ટ અને લખાણો સહિતના પુરાવાનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.

એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં એડ્રિયનને પૂછાયું હતું કે, તમે પુસ્તક લખવા આ જ વિષય કેમ પસંદ કર્યો? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ૯/૧૧ પછી અમેરિકાએ ઊંડુ વિશ્લેષણ કરીને ૬૦૦ પાનાંનો દળદાર રિપોર્ટ તૈયાર કર્યો હતો. બ્રિટનમાં પણ ૭/૭ પછી હજારો પાનાંનો રિપોર્ટ બનાવાયો. નેશનલ આર્કાઈવ્સમાં જઈને કોઈ પણ વ્યક્તિ તેનો અભ્યાસ કરી શકે છે. ૯/૧૧ પછી અમેરિકામાં અનેક સુંદર પુસ્તકો લખાયા, જ્યારે મુંબઈની ૨૬/૧૧ ઘટના પછી પ્રધાન સમિતિએ તૈયાર કરેલો રિપોર્ટ ફક્ત ૬૪ પાનાંનો છે. આ રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ, મિલિટરી કે પોલીસ અધિકારીઓ, એનએસજી, રાજકારણીઓનો ઈન્ટરવ્યુ સુદ્ધાં નથી. જે લોકો મૃત્યુ પામ્યા, બચી ગયા, શહીદ થયા, તાજનો સ્ટાફ, અન્ય મહેમાનો અને સુરક્ષાકર્મીઓની પૂરેપૂરી વાત એમાં છે જ નહીં. ૬૪ પાનાંની માહિતી આપીને તમે કહી શકો કે, આ મુંબઈ હુમલાની સ્ટોરી છે? છેવટે અમે જ આ વિષય પર એક સારું પુસ્તક લખવાનું વિચાર્યું...  

***

શિકાગોની જેલમાં ૩૫ વર્ષની જેલની સજા ભોગવી રહેલા હેડલીની ભારત વીડિયો કોન્ફરન્સિંગથી જુબાની લે, અમેરિકા ભારતને પૂછપરછની મંજૂરી આપે કે હેડલીની કબૂલાતોથી પાકિસ્તાન ભોંઠપ અનુભવે- શું આ ભારત સરકારની બહુ મોટી સફળતા છેતમને શું લાગે છે?

નોંધઃ આ લેખનો ભાગ-1 વાંચવા અહીં ક્લિક કરો.