Showing posts with label Agriculture. Show all posts
Showing posts with label Agriculture. Show all posts

17 September, 2018

ઈકો વિલેજ: ભારતના સાચા વિકાસનો જવાબ


સુરત નજીક એક નાનકડું ગામ છે, ધજ. થોડા સમય પહેલાં આ ગામને દેશનું સૌથી પહેલું ઈકો વિલેજ જાહેર કરાયું હતું. ઈકો વિલેજ એટલે સ્થાનિક લોકો અને પર્યાવરણ એ બંનેને ધ્યાનમાં રાખીને વિકસાવેલું મોડેલ. આ પ્રકારના ગામમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી હોય એ તમામ બાબત પર ભાર મૂકાયો હોય. ટકાઉ એટલે એવો વિકાસ જેનાથી માણસો અને પર્યાવરણને લાંબા ગાળે નુકસાન ના થાય. જેમ કે, પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા, વરસાદી પાણી વહી ના જાય એ માટે રિચાર્જવેલ, સજીવ ખેતીને પ્રોત્સાહન, બાયોગેસ-સૌર અને પવન ઊર્જાનો મહત્તમ ઉપયોગ, પ્રવાહી અને ધન કચરાના નિકાલ માટે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, બાયોટોઈલેટ તેમજ ખેડૂતો કૃષિ અને ગ્રામીણ મહિલાઓ પશુપાલન કે હસ્તકલા જેવા પરંપરાગત વ્યવસાયમાં આગળ વધી શકે એ બધી જ સુવિધા.

ઈકો વિલેજના આ પાયાના માપદંડો છે, પરંતુ સ્થાનિક વસતીની સંસ્કૃતિ, પરંપરાઓ, પર્યાવરણ અને જરૂરિયાતો મુજબ તેમાં ફેરફારો થઈ શકે. ધજ ગામ હવે પાંચેક લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. અગાઉ ધજમાં વરસાદી પાણી વહી જતું, પરંતુ હવે ત્યાં પાંચ રિચાર્જ વેલ છે, જેના કારણે ભૂગર્ભ જળસપાટી પણ ઊંચી આવી છે. લોકો સૌરઊર્જાનો ઉપયોગ કરે છે એટલે વીજળી પર આધાર નથી રાખવો પડતો. વીજળી બચે એ પાછો બીજો ફાયદો. જો ગામડાંમાં 'સ્વચ્છ' ઊર્જાને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તો થોડા વર્ષોમાં અડધા ભારતને આપોઆપ એક્સટર્નલ ગ્રીડમાંથી મુક્તિ મળી જાય. આ ઉપરાંત ધજ ગામે બાયોગેસ અપનાવતા આસપાસના જંગલ વિસ્તાર પર ભારણ ઘટ્યું છે. વાયુ પ્રદૂષણ પણ ઓછું થયું છે. બાયોગેસ મળવાથી લોકો પ્રેશરકૂકરનો ઉપયોગ કરે છે, જેના કારણે નાનકડા ઘરોમાં રસોઈ કરતી મહિલાઓના શ્વાસમાં ચૂલાના ઝેરી ધુમાડા જતા નથી. અમેરિકાની મિશિગન યુનવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ઈકો વિલેજનો અભ્યાસ કરવા ધજની મુલાકાત લઈ ચૂક્યા છે.

શું આપણે ભારતના સાતેક લાખ ગામડાંને ઈકો વિલેજમાં પરિવર્તિત ના કરી શકીએ? દેશની વસતી ૧૩૨ કરોડ અને ૪૨ લાખે પહોંચી ગઈ છે. પર્યાવરણના મુખ્ય ચાર સ્રોત પાણી, વાયુ, ઊર્જા અને જમીન ખૂટી ગયા છે અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાંથી મોટા શહેરો તરફ સ્થળાંતર વધી રહ્યું છે, જેના કારણે બેફામ શહેરીકરણ, ગીચતા, બિમારીઓ, ગંદી ઝૂંપડપટ્ટીઓ, ટ્રાફિક અને પાર્કિંગ સહિતની મુશ્કેલીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરોને જોઈને ગ્રામીણ ભારતમાં હજુ પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે કારણ કે, વિકાસના ફળ તમામ લોકો સુધી પહોંચ્યા નથી. આર્થિક અસમાનતા વધી રહી છે. નાના અને મધ્યમ ખેડૂતોની આવક સતત ઘટી રહી છે.



આ સ્થિતિમાં ગામડાંમાં રહેતા યુવકો ખેતીમાં શું કામ રસ લે? ખેડૂતોની તો ધૂમ કમાણી કરે છે અને તેઓ કરવેરા પણ ભરતા નથી એવી દલીલ કરનારાને ખબર નથી કે, ગ્રામીણ ભારતમાં જેની પાસે જમીન છે એ ધનવાન છે, બાકીનો બહુ જ મોટો વર્ગ નાના ખેડૂતો અને ખેતમજૂરોનો છે. શહેરો કરતા ગામોમાં આર્થિક અસમાનતાનો પ્રશ્ન વધુ ઊંડો છે. ખેડૂતોની આત્મહત્યાના સત્તાવાર (રિપીટ, સત્તાવાર) આંકડા પર નજર કરો. દેશના તમામ રાજ્યોમાં ગામડાં વધારે છે પણ ૫૦ ટકાથીયે વધુ વસતી શહેરોમાં છે. જોકે, ગામડા ખાલી થવાનું કારણ એકલું રોજગારી નથી. ગામમાં રહેતો માણસ સારા જીવનધોરણની શોધમાં શહેર તરફ જાય છે. જેમ કે, શહેરોમાંથી અમેરિકા કે બીજા કોઈ દેશમાં સ્થાયી થતાં બધા જ લોકો કંઈ ડૉલરને પ્રેમ નથી કરતા. અનેક લોકો ફક્ત 'ક્વૉલિટી ઓફ લાઈફ' માટે બીજા દેશમાં જાય છે. આપણા અનેક મિલિયોનેર્સ-બિલિયોનેર્સ વિદેશોના નાગરિક છે, એનું કારણ પણ આ. એવી જ રીતે, ગામડાંમાં રહેતા માણસને પણ સારું શિક્ષણ અને આગળ વધવાની 'તક' જોઈએ છે. કોને પોતાના મૂળિયા તરફ જોડાઈ રહેવું ના ગમે?

ઈકો વિલેજની બીજી એક મહત્ત્વની શરત એ પણ છે કે, ગામડાં નજીક જ લોકોને ઉત્તમ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મળવું જોઈએ. ટૂંકમાં ગામડાંના લાખો રોજગારીની શોધમાં, વધુ કમાણીની લાલચમાં અને બાળકોને સારું શિક્ષણ આપવાના હેતુથી શહેરો તરફ આવી રહ્યા છે. આ બધું તેઓને ગામડાંમાં કે ગામડાં નજીક મળવું જોઈએ. શહેરીકરણ સાથે એક બીજો પણ મુદ્દો ગાઢ રીતે જોડાયેલો છે, પર્યાવરણ. દુનિયાભરના પર્યાવરણમાં મોટા પાયે ફેરફારો થવાના કારણે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. વળી, ભારતમાં બંધના પ્રમાણમાં સિંચાઈનું નેટવર્ક ઓછું છે. આ બંધ પાછા ભારે વરસાદના કારણે ભરાઈ જાય ત્યારે દરવાજા ખોલી નંખાય છે અને એમાં સૌથી પહેલો ભોગ લેવાય છે, ઊભા પાકનો. છેક ઉપરથી નીચે સુધી તમામ સ્તરે આવા મિસ મેનેજમેન્ટના કારણે કૃષિ અર્થતંત્રની ઘોર ખોદાઈ રહી છે. એક સમયે ભારતનું શહેરી અર્થતંત્ર પણ ખેડૂતોના કારણે ધબકતું રહેતું, પરંતુ આજના ખેડૂત દેવાના બોજ તળે દબાયેલા છે અને કૃષિ ધિરાણોની યોજનાઓ પણ અસરકારક નીવડી નથી. કૃષિ ધિરાણ યોજનાઓના આંકડા કહે છે કે, ભારતમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત રાખવા બનાવેલી કૃષિ યોજનાઓનો ભાગ્યેજ સારી રીતે અમલ થયો છે.

વળી, ભારતમાં પર્યાવરણને લગતા કાયદાનો અમલ ઢીલો છે, જેના કારણે ઔદ્યોગિકીકરણથી વધારે નુકસાન થઈ રહ્યું છે. શહેરોમાં રોજગારી ઊભી કરવાની યોજનાઓના અમલથી, નથી શહેરોમાં લાંબા ગાળાનો ફાયદો દેખાઈ રહ્યો, કે નથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતાઈ મળી રહી. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી યોજનાઓનો અમલ એટલો બધો બિનઅસરકારક છે કે, ત્યાં આકર્ષક રોજગાર ઊભા થાય એ પહેલાં લોકો શહેરોના ઔદ્યોગિક વિસ્તારો તરફ આવી જાય છે. દેશમાં સાત લાખ ગામડાં છે અને ગામડાંનો મુખ્ય વ્યવસાય સીધી કે આડકતરી રીતે કૃષિ જ છે. જો લાખો લોકો કૃષિથી દૂર જવાનું આવી જ રીતે ચાલશે તો ગ્રામીણ અર્થતંત્રની કમર તૂટી નહીં જાય?

કૃષિ અર્થતંત્રના જાણકારોનું માનવું છે કે, ગ્રામીણ ભારતનું અર્થતંત્ર ચેતનવંતુ કરવા એક ફૂલપ્રૂફ યોજનાની જરૂર છે. દેશમાં પાણી, જમીન અને ઊર્જાને લગતા વિપુલ સ્રોત છે. આ બધાનું યોગ્ય આયોજન કરવામાં આવે તો આપણે સ્વનિર્ભર થઈ શકીએ. આજે પણ ગામડાંમાં ખૂબ જ સારું વાતાવરણ છે, પૂરતા કુદરતી સ્રોતો છે અને આપણે તેને પ્રદૂષિત નહીં કરી દેવા જોઈએ. કેન્દ્ર સરકાર જ દરેક રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરનું આયોજન કરીને 'ઈકો વિલેજ'ની યોજનાનો અમલ કરાવી શકે. આ પ્રકારની યોજનાથી ગ્રામીણ ભારત જ નહીં, શહેરી ભારતની સુરત પણ બદલી શકાય. યુરોપના મોટા ભાગના દેશોએ ગ્રામીણ વિકાસ પર ઉદ્યોગો જેટલો જ ભાર મૂક્યો છે. જેમ કે, જર્મનીના ફ્રેઇમ્ટ નામના ઈકો વિલેજની વસતી ૪,૩૦૦ છે. આ તમામ લોકો માટે બાયોગેસ પ્લાન્ટ તેમજ સોલાર-વિન્ડ ઊર્જા પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૪ મિલિયન કિલોવોટ ઊર્જા મળે છે, જે તેમની જરૂરિયાત કરતા ત્રણ લાખ કિલોવોટ વધારે છે. જર્મનીના અનેક ગામો જરૂરિયાત કરતા ૩૦૦ ગણી વધારે ઊર્જાનું ઉત્પાદન કરે છે અને ભારતના કુદરતી સ્રોતો જોતા અહીં પણ આવું અર્થતંત્ર વિકસાવવાની પૂરેપૂરી શક્યતા છે. યુરોપના અનેક દેશોના ગામડાંરૂરિયાત કરતા વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે અને તેનું વેચાણ કરીને વર્ષેદહાડે લાખો યુરોની આવક પણ કરે છે.

ભારતમાં પણ ૨૦૧૩ની શરૂઆતમાં ઈકો વિલેજ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન પૂણે જિલ્લાની ૭૫૩ ગ્રામ પંચાયતોએ કેન્દ્ર સરકારે શરૂ કરેલી ઈકો વિલેજ યોજના માટે અરજી કરી હતી. જોકે, વાત આગળ ના વધી. આ યોજનાનો અમલ કરતી વખતે સરકારે લાંબા ગાળાના લક્ષ્યાંકો રાખવાના બદલે ફક્ત વૃક્ષો ઊગાડવાની અને અન્ડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા જેવી બાબતો પર જ ભાર મૂક્યો. છેવટે ઈકો વિલેજ યોજનાનો અમલ ઉપરછલ્લો, લોકરંજક અને ચૂંટણીલક્ષી બનીને રહી ગયો અને તેનો ફાયદો જ ના મળ્યો. યુરોપના જર્મની અને ફ્રાંસ જેવા અનેક દેશોમાં ઈકો વિલેજના કોન્સેપ્ટને ખૂબ જ આવકાર મળ્યો છે અને તેનો યોગ્ય રીતે અમલ પણ થઈ શક્યો છે, પરંતુ ભારત ગામડાંઓનો દેશ હોવા છતાં આ દિશામાં કોઈ જ ધ્યાન નથી અપાતું.

ઈકો વિલેજ કોન્સેપ્ટને અમલમાં મૂકીને યુરોપ 'ચેન્જ' લાવી શકે છે, તો ભારત કેમ નહીં? બસ જરૂર છે, રાજકીય ઈચ્છા શક્તિની!

નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે. 

04 April, 2018

સરહદી ગામોના ખેડૂતોના ભોગે 'નો ફ્લાય ઝોન'


ઈન્ટરનેટ, ફેસબુક અને જીપીએસ નહોતા ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે, આ પ્રકારની ટેક્નોલોજીની માણસના જીવન પર શું અસર થશે? ઈન્ટરનેટનો સતત દુરુપયોગ થાય છે, ફેસબુક ચૂંટણીઓમાં કાળા-ધોળા કરાવી શકે છે અને જીપીએસની મદદથી કોઈ તમારા પર વર્ચ્યુઅલ નજર રાખીને ઘરફોડ ચોરી કરી શકે છે. એનો અર્થ એ નથી કે, એ ટેક્નોલોજી પર પ્રતિબંધ મૂકી દેવો. કેન્દ્ર સરકારે ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદની આસપાસના ૫૦ કિલોમીટરના વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરેલો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય સેનાના મથકો, ચોકીઓ અને શસ્ત્રાગારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન કૃષિ અર્થતંત્ર અને ખેડૂતોને થઈ રહ્યું છે.

એક બાજુ સરકાર બાબા આદમના જમાનાના ૧,૨૦૦ કાયદા રદ કરી દીધાનું ગૌરવ લે છે અને બીજી બાજુ આવા તઘલખી નિર્ણયો લે છે. ભારતમાં સરહદો નજીક હજારો ગામો છે. આ બધા જ ગામોની મુખ્ય આવક કૃષિ પર નિર્ભર છે, પરંતુ દેશના બીજા હિસ્સાની જેમ ત્યાંના ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીના લાભ લઇ શકાતા નથી. આજકાલ ડ્રોન ઉર્ફ અનમેન્ડ એરિયલ વ્હિકલની મદદથી જ ભૌગોલિક રીતે જટિલ અને અંતરિયાળ વિસ્તારોના સર્વેક્ષણ કરાય છે. આ પ્રકારના સર્વેક્ષણના સીધા લાભ ત્યાં રહેતી પ્રજાને જ મળે છે. ડ્રોન ટેક્નોલોજીએ કૃષિની તરાહ બદલી નાંખી છે. આ નાનકડા સાધને અનેક રાજ્યોમાં હજારો ખેડૂતોનું જીવન બદલી નાંખ્યું છે. જેમ કે, હરિયાણા, પંજાબ અને કર્ણાટકમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વીમા કંપનીઓ ખેતરોમાં પાકના નુકસાનનો ઝડપથી સર્વે કરવા ડ્રોનનો ઉપયોગ કરે છે, જેથી ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપથી આપી શકાય. મહાકાય ખેતરોમાં પાકને કોઈ ગંભીર રોગ લાગુ પડે એ પહેલાં ડ્રોનથી જાણી શકાય છે. એટલે પાકમાં કોઇ ગંભીર રોગ વકરે એ પહેલાં ખેડૂતને સમયસર પગલાં લેવાનો સમય મળે છે!


દેશના ૧૮ રાજ્યના ૬૪૦માંથી ૧૬૮ જિલ્લાનો થોડો ઘણો ભાગ સરકારે જાહેર કરેલા નો ફ્લાય ઝોનમાં આવે છે. આ ૬૪૦માંથી ૬૫ જિલ્લા તો એવા છે, જેનો ૯૦ ટકાથી પણ વધુ વિસ્તાર નો ફ્લાય ઝોનમાં આવી જાય છે. દેશના ૩૯ જિલ્લા તો આખેઆખા નો ફ્લાય ઝોનમાં છે. નો ફ્લાય ઝોનમાં દેશના દસ ટકા ઘર આવેલા  છે અને ત્યાંની મોટા ભાગની વસતી ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે છે. ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો, દેશના દસ ટકા ખેડૂતો નો ફ્લાય ઝોનમાં વસે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ૧૪ કરોડથી પણ વધુ વસતી નો ફ્લાય ઝોનમાં રહે છે. ભારતના ૭૫ શહેરની કુલ વસતી ૧૪ કરોડ જેટલી છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, કૃષિ અર્થતંત્રમાં તેમનું પ્રદાન કેટલું મહત્ત્વનું હશે! દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. આ જિલ્લો પણ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. તેથી ત્યાં પણ નો ફ્લાય ઝોનના નિયમો લાગુ પડે છે. આ વિસ્તારમાં કૃષિ સહિતના ક્ષેત્રોમાં ડ્રોન ટેક્નોલોજીના લાભ મળતા નથી.

એવી જ રીતે, જમ્મુ કાશ્મીરના ૨૩માંથી ૨૦, આસામના ૨૭માંથી ૨૦, ઉત્તરપ્રદેશના ૭૧માંથી ૧૫ અને બિહારના ૩૮માંથી ૧૪ જિલ્લામાં ડ્રોન પ્રતિબંધિત છે. હવે ઉત્તર-પૂર્વીય રાજ્યોની વાત કરીએ. એનડીએ સરકારનો દાવો છે કે, આઝાદી પછીની અમે પહેલી સરકાર છીએ, જે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટે ગંભીર છે. જોકેસિક્કિમ, ત્રિપુરા જેવા નાના અને કૃષિ અર્થતંત્ર પર આધારિત રાજ્યોના ૧૦૦ ટકા વિસ્તાર સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનમાં છે. મિઝોરમનો ૮૬ ટકા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયનો ૬૦ ટકા, નાગાલેન્ડનો ૫૦ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે. વળી, જે વિસ્તાર નો ફ્લાય ઝોનમાં નથી ત્યાં ખેતી બહુ ઓછી છે અથવા નથી. નાના રાજ્યો તો ઠીક, પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો પણ નો ફ્લાય ઝોનથી પીડિત છે. તેનો ૪૪ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે. પશ્ચિમ બંગાળ ખૂબ મોટું રાજ્ય છે, અને, ત્યાં પણ બાંગ્લાદેશ સરહદ નજીકના ગામોનો મુખ્ય આધાર ખેતી છે. એવી જ રીતે, બિહારનો ૩૯ ટકા અને પંજાબનો ૩૩ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે.

નો ફ્લાય ઝોનના કારણે ઉત્તર-પૂર્વના રાજ્યોએ સૌથી વધુ ભોગવવાનું આવી રહ્યું છે કારણ કે, તે નાના રાજ્યો છે, ત્યાંના લોકોનો આવકનો મુખ્ય સ્રોત ખેતી છે અને આ રાજ્યો નાના-નાના પાડોશી દેશો સાથે પણ સરહદો ધરાવે છે. જેમ કે, બાંગ્લાદેશ સાથે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને આસામની સરહદ છે, તો ભુતાન જેવા નાનકડા દેશ સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદ છે. મ્યાંમાર સાથે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમની સરહદ છે. એવી જ રીતે, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સરહદ નેપાળ સાથે પણ વહેંચાય છે. આમ, પશ્ચિમ બંગાળ મોટું રાજ્ય હોવાથી બાંગ્લાદેશ, ભુતાન અને નેપાળ એમ ત્રણ દેશ સાથે સરહદ ધરાવે છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે છે. જમ્મુ કાશ્મીર તો પાકિસ્તાન અને ચીન એમ બે દેશ સાથે સરહદ ધરાવે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના અનેક ગામો ચીન સરહદ નજીક છે.


ઉત્તર-પૂર્વીય રાજ્યોની આંતરરાષ્ટ્રીય સરહદો 

જમ્મુ કાશ્મીરની જેમ ઉત્તર પૂર્વીય રાજ્યોની જટિલ ભૂગોળ પણ વિકાસની રાહમાં આડે આવી રહી છે, પરંતુ આ વિસ્તારમાં ડ્રોનથી ઝડપથી સર્વેક્ષણ થઇ શકતા નથી. ત્યાં રસ્તા, સિંચાઇ, બંધ જેવી માળખાગત સુવિધા ઊભી કરવા ડ્રોનની મદદથી નાના-મોટા સર્વેક્ષણો કરવા જરૂરી છે પણ થઇ શકતા નથી. જેમ કે, નો ફ્લાય ઝોનમાં ૭૦,૮૨૯ કિલોમીટર લાંબા રસ્તા, ,૧૨૭ કિલોમીટર લાંબી કેનાલો, ,૩૪૯ પુલો અને સાડા પાંચસો જેટલા નાના-મોટા રેલવે સ્ટેશનો છે, પરંતુ આ એકેય વિસ્તારનું ડ્રોનથી નિરીક્ષણ થઈ શકતું નથી. જમ્મુ અને અમૃતસર (પંજાબ) જેવા શહેર સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનનો હિસ્સો છે. કૃષિ ટેક્નોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારના 'બ્લેન્કેટ બાન'ના કારણે અનેક વિસ્તારો નો ફ્લાય ઝોનથી પીડિત છે. ટૂંકમાં સરકાર લાંબુ વિચાર્યા વિના બધા જ વિસ્તારોને એક જ લાકડીએ હાંકી રહી છે.

જો સરકાર નો ફ્લાય ઝોનમાંથી અમુક વિસ્તારોને બાકાત રાખે તો ડ્રોનની નોંધણી કરવી, લાયસન્સ આપવા અને તેની દેખરેખ માટે  ચુસ્ત માળખું વિકસાવવું પડે. વિકસિત દેશો જેવું જડબેસલાક તંત્ર ઊભું કરવું પડે, પરંતુ એ માટે સરકાર હંમેશાની જેમ ઉદાસીન છે. તેના બદલે સરકારને ડ્રોન ટેક્નોલોજીની મદદ લેનારાને દંડ ફટકારીને ગભરાવી મૂકવાનું વધુ સહેલું લાગે છે. આ મુદ્દે જાણકારોનું કહેવું છે કે, એક જ ઝાટકે સરહદી વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરવા સરકારને અત્યારે ભલે યોગ્ય ઉપાય લાગે, પરંતુ લાંબા ગાળે આ નીતિ 'વિધ્વંસક' પુરવાર થઇ શકે છે. અત્યારે જ સરહદી વિસ્તારોમાંથી લોકો ઘરબાર છોડીને શહેરો તરફ આવી રહ્યા છે. ભારતીય સેના પણ ઇચ્છે છે કે, સરહદી ગામો ખાલી ના થાય એ વ્યૂહાત્મક રીતે જરૂરી છે. આ વિસ્તારોમાં ડ્રોન વિના વિકાસ ના થાય એવું નથી, પરંતુ આકરા નિયમોના કારણે બેંકો, વીમા કંપનીઓ, વિદેશી રોકાણકારો અને અન્ય ખાનગી કંપનીઓ પણ એ વિસ્તારોમાં જવા તૈયાર નથી. આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ સર્વેક્ષણો કરાવ્યા વિના ધંધો શરૂ કરતી નથી. એટલે જ આપણે આવા ધડમાથા વિનાના નિયમોનો 'યોગ્ય રીતે' અમલ કરવાની જરૂર છે.

અમેરિકા, કેનેડા, યુ.કે. અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના અર્થતંત્રમાં પણ કૃષિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આ એક પણ વિકસિત દેશમાં કૃષિ અર્થતંત્રના ભોગે સંપૂર્ણ નો નો ફ્લાય ઝોન જાહેર કરાયા નથી. વિકસિત દેશોમાં કોમર્શિયલ ધોરણે કે મોજમજા ખાતર સરહદો નજીક ડ્રોન ઉડાવી શકતું નથી, પરંતુ ખેતીવાડીને  લગતા કામમાં આ નિયમો લાગુ પડતા નથી. અમેરિકાની અતિ સંવેદનશીલ ગણાતી મેક્સિકો સરહદે પણ નો ફ્લાઇંગ ઝોન નથી. અમેરિકા, ન્યૂઝીલેન્ડમાં તો લશ્કરી થાણા નજીક પણ નો ફ્લાઇંગ ઝોન નથી. અમેરિકામાં વૉશિંગ્ટન ડીસીમાં આવેલી સંસદ અને વ્હાઇટ હાઉસના ૨૫ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાવી શકાતું નથી એ વાત ખરી, પરંતુ એ વિસ્તારમાં પણ કોમર્શિયલ ડ્રોન પર તો પ્રતિબંધ નથી જ. ત્યાં ફક્ત મોજમજા માટે ડ્રોન ઉડાવી શકાતા નથી. આ તો કૃષિ અર્થતંત્રને લગતી વાત થઈ.
પાકિસ્તાન સાથે સરહદ વહેંચતા રાજ્યો

ઉત્તરપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલાત, ગેરકાયદે ભેલાણ કે અતિક્રમણના પુરાવા ભેગા કરવા તેમજ ગામડાં નજીક યોગ્ય અર્બન પ્લાનિંગ કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ શરૂ કરાયો છે. સરહદ નજીકના જિલ્લામાં આવેલી હોસ્પિટલોમાં ઝડપથી લોહી કે દવાઓ પહોંચાડવા પણ ડ્રોનની મદદ લેવાય છે. નો ફ્લાઇંગ ઝોનમાં વસતા લોકોને આ પ્રકારના લાભ પણ મળતા નથી. સરહદ નજીકના ભારતમાં રહેતો ખેડૂત બિન-સરહદી ભારતમાં રહેતા ખેડૂતથી વધુ ગરીબ છે અને નો ફ્લાય ઝોનના નિયમો તેને વધુ ગરીબ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં ભવિષ્યમાં સરહદી અને બિન-સરહદી ખેડૂતો વચ્ચે આર્થિક અસમાનતા વધુ ઊંચે જઇ શકે છે.

નો ફ્લાય ઝોનના નિયમોના કારણે કેટલા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે એ વિશે નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક ફાઇનાન્સ પોલિસીના રિસર્ચર દેવેન્દ્ર દામલે અને શુભો રોયે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વેક્ષણ કર્યું હતું. સૌથી પહેલાં તેમણે નો નો ફ્લાય ઝોનની આસપાસના ૫૦ કિલોમીટરના વિસ્તારનું સર્વેક્ષણ કર્યું. ત્યાર પછી એ વિસ્તારમાં કૃષિલાયક જમીનોનો શક્ય એટલો ચોક્કસ અંદાજ તૈયાર કર્યો અને ત્યાં કામ કરતા ખેડૂતો, ખેતમજૂરોનો ગણતરી કરીને અંદાજ મૂક્યો.

આ નિષ્ણાતોએ સાબિત કરી દીધું છે કે, નો ફ્લાય ઝોનના નિયમોમાં ઝડપથી સુધારા કરવા દેશહિતમાં છે.

04 March, 2018

ખેડૂતોની આત્મહત્યાઓ માટે ભ્રષ્ટ બેંકો પણ જવાબદાર


ચાણક્યએ ચોથી સદીમાં 'અર્થશાસ્ત્ર' ગ્રંથમાં લખ્યું છે કે, જેવી રીતે માછલીઓ કેટલું પાણી પીએ છે એ જાણી ના શકાય. એવી જ રીતે, કર ઉઘરાવતા અધિકારીઓ કેટલો ભ્રષ્ટાચાર કરે છે એ જાણવું અશક્ય છે.

સદીઓ પહેલાં ચાણક્યે કરેલી આ વાત ભારતની ભ્રષ્ટ સરકારી બેંકોને પણ લાગુ પડે છે. બેંકોના ભ્રષ્ટ સરકારી બાબુઓ લોન તો બધાને આપે છે પણ પઠાણી ઉઘરાણી ફક્ત આમ આદમી અને ખેડૂતો પાસે જ કરે છે. વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ બિંદાસ દેશ છોડીને ભાગી જાય છે, વિદેશમાં બેશરમીથી જલસા કરે છે, પહેલાં બેંકો પાસેથી દાદાગીરી-છેતરપિંડીથી લોન લે છે અને પછી 'પૈસા નહીં મળે, થાય તે કરી લેજો' જેવી ધમકી પણ આપે છે, પરંતુ સામાન્ય માણસે કે ખેડૂતોએ દેવું થાય તો આત્મહત્યા કરવાનો જ વારો આવે છે. 

વિખ્યાત અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે એકવાર કહ્યું હતું કે, બેંક એટલે એવી જગ્યા જે હવામાન સારું હોય ત્યારે છત્રી ખરીદવાની લોન આપે અને વરસાદ પડે ત્યારે પાછી લઈ લે. આ વાત પણ આમ આદમીને જ લાગુ પડે છે. વરસાદ ના પડતો હોય તો પણ ધનવાનોને છત્રીઓ આપવા આપણી સરકારી બેંકો હાજરાહુજુર જ છે. ભારતમાં બેંકિંગ સહિતની કોઈ પણ સરકારી સિસ્ટમના મોટા ભાગના સરકારી બાબુઓ સત્તા અને ધનના ચરણોમાં આળોટતા હોય છે, જ્યારે અભણ ખેડૂતો એકા લાખની લોન લેવા જાય ત્યારે સરકારી બાબુઓ જાતભાતના કાગળિયા માંગીને તેમની પાસે ત્રણેક હજાર રૂપિયાનો ખર્ચ કરાવી દે છે. જરા વિચારો. એક નાના ખેડૂતને લોન મળે છે તેના ત્રણ ટકા લોન મળતા પહેલા જ ખર્ચાઈ જાય છે. એ પણ કદાચ ઉધારી કરીને લાવ્યો હોય છે. સરકારને સલાહસૂચન આપતા નિષ્ણાતો તો આ આંકડો ક્યારેક દસ ટકાથી પણ વધારે હોવાની રજૂઆતો કરી ચૂક્યા છે.




આ આંકડામાં સરકારી કર્મચારીઓ-અધિકારીઓને ચૂકવાતું કમિશન પણ આવી ગયું. અહીં જમીનો બતાવીને ખેડૂત થયેલા રાજકારણીઓ અને સેલિબ્રિટી ખેડૂતોની નહીં પણ અસલી ખેડૂતોની વાત થઈ રહી છે. ખેડૂતોની આત્મહત્યાના જુદા જુદા સ્ટેટિસ્ટિક્સ પર નજર કરતા ખબર પડે છે કે, આત્મહત્યાઓ ક્યારેય જમીન માલિકો નહીં પણ નાના ખેડૂતો અને ખેતમજૂરો જ કરે છે. એમાંય ગ્રામીણ ભારતમાં વસતા ગરીબના હાલ શહેરોમાં વસતા ગરીબો કરતા અનેકગણા વધારે બદતર છે. જાવેદ અખ્તરે એક શેરમાં બહુ મોટી વાત કરી દીધી છે. તેઓ કહે છે કે, ‘‘ઊંચી ઇમારતો સે મકાં મેરા ઘિર ગયા, કુછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે.’’ બિલકુલ આવી જ રીતે, વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ એક ખેડૂતને મળનારો હિસ્સો હજમ કરી જાય છે અને ઓડકાર પણ ખાતા નથી. 

આજેય ગ્રામીણ ભારતનો ૪૯ ટકા વર્ક ફોર્સ સીધી અને આડતરી રીતે કૃષિ અર્થતંત્રમાંથી રોજગારી મેળવે છે, પરંતુ જીડીપીમાં કૃષિનો હિસ્સો માંડ ૧૭ ટકા છે. કૃષિ અર્થતંત્રની હાલત હજુ વધારે ખરાબ કરવામાં કરવામાં સરકારી બેંકોનો ભ્રષ્ટાચાર આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. એટલે ખેડૂતોની આત્મહત્યા માટે પણ સરકારી બેંકોના ભ્રષ્ટાચારને પણ જવાબદાર ઠેરવી જ શકાય. બેંકો પાસેથી લોન લઈને છેતરપિંડીના મહાકૌભાંડો બહાર આવે છે ત્યારે દલીલ કરાય છે કે, આ પ્રકારના કિસ્સા એકલદોકલ છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લાં પાંચ જ વર્ષમાં સરકારી બેંકોને નહીં ચૂકવાયેલી લોનની રકમ રૂ. ૬૧ હજાર કરોડે પહોંચી ગઈ છે. સરકારી બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ (કે બેડ લોન્સ) સતત વધી રહી છે. બેંકોની આટલી મોટી રકમ કોણ હજમ કરી ગયું? તમારા મારા જેવા સામાન્ય લોકો નહીં પણ કોર્પોરેટ્સ. કરોડપતિઓને ગમે તેમ કરીને લોન છૂટી કરી આપવામાં ભ્રષ્ટ બેંકરોનો સાથ હોય છે અને લોન ચોરોને ભગાડી દેવામાં રાજકારણીઓનો સાથ હોય છે. ભારતને પછાત અને ભ્રષ્ટ દેશ રાખવામાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી બાબુઓનું નેક્સસ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકની લોન આપવા બધા જ સરકારી બાબુઓને કમિશન આપ્યું હતું અને જે વચ્ચે પડ્યા તેમને ધમકાવીને ચૂપ કરી દીધા હતા. વિકસિત દેશોમાં બેંકોની બાગડોર સરકારી બાબુઓ નહીં પણ બેંકિંગ સિસ્ટમને સારી રીતે સમજતા બેંકરોના હાથમાં છે, જ્યારે આપણી સરકારી બેંકો પર સૂટબૂટમાં મહાલતા કમિશનબાજોનો કબજો છે. એટલે આજેય એક સરેરાશ ભારતીય એવું જ માને છે કે, બેંકો (અને બધા સરકારી વિભાગો) તો રાજકારણીઓ કે કરોડપતિઓના ખિસ્સામાં છે. ઓળખાણ જ સૌથી મોટી ખાણ છે. આ પ્રકારની નકારાત્મકતામાંથી એક સરેરાશ મધ્યમ વર્ગીય માણસના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે, રાજકારણીઓ અને સરકારી બાબુઓ કૌભાંડી છે અને ફક્ત આપણા પૈસે જલસા કરે છે. એટલે અમે ટેક્સ શેનો ભરીએ? ભારતીયો માટે ટેક્સ ચોરી એ ભ્રષ્ટાચાર નહીં પણ આવડત છે. આમેય, દેશમાં માંડ બે-ત્રણ ટકા નોકરિયાત વર્ગ જ ટેક્સ ભરે છે. કૃષિની આવક પર ટેક્સ નથી પણ તેના લાભ છેવાડા સુધી પહોંચ્યા નથી. ટૂંકમાં, આજેય ભારતનું કર માળખું જટિલ અને ખામીયુક્ત છે.

બેંકોની વાત પર પાછા ફરીએ. ઈન્દિરા ગાંધીએ ૧૯૬૯માં બેંકોનું સરકારીકરણ કર્યું ત્યારે પણ એ જ દલીલ કરાઈ હતી કે, કૃષિની આવક પર ટેક્સ નહીં હોવા છતાં ગ્રામીણ ભારતના ગરીબને તેના લાભ મળતા જ નથી. છેવટે ઈન્દિરા ગાંધીએ બેંકોનું સરકારીકરણ કર્યું. ખેર, એ નિર્ણય જે તે સમયે બરાબર હશે, પરંતુ સરકારી બેંકો પર 'સરકાર'નો પગદંડો મજબૂત બનતા ભ્રષ્ટાચાર પણ વધ્યો. ઈન્દિરા ગાંધીએ જે હેતુ માટે બેંકોનું સરકારીકરણ કર્યું તેના ફાયદા સામાન્ય માણસાને મળ્યા-ના મળ્યાં ત્યાં સુધીમાં તો સરકારી બેંકોના મેનેજમેન્ટમાં રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓનો પંજો ફેલાઈ ચૂક્યો હતો. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ૧૯૯૧માં વડાપ્રધાન નરસિમ્હા રાવ અને નાણા મંત્રી મનમોહન સિંહે આર્થિક સુધારાના ભાગરૂપે બીજી પણ અનેક બેંકો શરૂ કરવા લાયસન્સ આપીને સરકારી બેંકોનું એકહથ્થું શાસન કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો.

જોકે, હથકંડાથી પણ સરકારી બેંકોના માથાના દુ:ખાવાનો સંપૂર્ણ ઈલાજ ના થયો. દેશના બહુ મોટા ગ્રામીણ વર્ગને ફાયદો પહોંચાડવામાં પણ સરકારી બેંકો સરેઆમ નિષ્ફળ ગઈ. ઓલ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના આંકડા કહે છે કે, ખેડૂતોમાં જોખમી સ્રોતો પાસેથી ઉધારી લેવાનું, લોનો લેવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આ જોખમી એટલે આજના શાહુકારો. એવી પણ દલીલ છે કે, શાહુકારો પાસેથી લોન લેવાનું પ્રમાણ વધ્યું હોવાથી ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે કારણ કે, આ લોકો ખેડૂતો પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે, બેંકો નહીં. જોકે, એ દલીલ પણ અર્ધસત્ય છે. સરકારી બેંકો ખેડૂતોને લોન આપવામાં નિષ્ફળ ગઈ એટલે જ ખેડૂતો જોખમી સ્રોતો પાસે ઉધારી કરવા ગયા ને?

બીજા એક આંકડા પર નજર કરીએ. નેવુંના દાયકાના અંતમાં આર્થિક ઉદારવાદની શરૂઆત થઈ ત્યારે ગામડામાં વસતા ૧૩,૬૬૫ નાગરિકો દીઠ એક બેંક હતી. ત્યાર પછી ૨૦૦૪માં સરકારે કૃષિ ક્ષેત્રની લોન બેવડી કરવાની જાહેરાત કરી, પરંતુ ત્યાં સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સરકારી બેંકોની ૯૦૦ શાખા બંધ થઈ ગઈ હતી. એ પછી યુપીએ સરકારે ૨૦૦૪થી ૨૦૧૨ વચ્ચે વિવિધ બેંકોની ૫૭૧૦ ગ્રામ્ય શાખા શરૂ કરી, તો ત્યાં સુધીમાં એક બેંકદીઠ ગ્રામીણ વસતી ૧૫ હજારે પહોંચી ગઈ હતી. કદાચ ગ્રામીણ ભારતને વધુને વધુ બેંકોની નહીં પણ અસરકારક બેંકોની વધારે જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં સરકારી બેંકો નિષ્ફળ જવાનું કારણ પણ જાડી ચામડીના સરકારી બેંકરો જ છે. બેંકોના ઉચ્ચ સરકારી અધિકારીઓથી લઈને સામાન્ય કર્મચારી સુધી કોઈને ગામડામાં બેંકિંગ સિસ્ટમ મજબૂત કરવામાં રસ નથી. તેમને શહેરોમાં બેસીને ફક્ત મલાઈ ખાવી છે.

આજેય દેશમાં ત્રણ ચતુર્થાંશ લોકો પાસે ખૂબ જ ઓછી જમીન છે, જે નાના ખેડૂતો તરીકે ઓળખાય છે. આ લોકોને ખેતી માટે માંડ બે લાખની લોન જોઈતી હોય છે. ભારતમાં ટીપિકલ એગ્રિકલ્ચરલ લોનની મહત્તમ મર્યાદા આટલી જ છે. જોકે ૧૯૯૦ પછી તો એ રકમ પણ અડધી થઈ ગઈ છે. તમને નવાઈ લાગશે. ખેડૂતોય આ લોન લેવા તૈયાર નથી. બીજી તરફ, સરકારી બેંકો સિવાયના સ્રોતમાંથી અપાતી કૃષિ લોન ૧૯૯૦માં ૫.૭ ટકા હતી, જે ૨૦૧૧માં ૧૭.૭ ટકાએ પહોંચી ગઈ છે. ટૂંકમાં બેંકિંગ સિસ્ટમનો પ્રભાવ ગ્રામીણ ભારતમાં દિનપ્રતિદિન ઘટી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ એમ ચારેય રાજ્યોના ખેડૂતોને ૨૦૧૦માં અપાયેલી લોન કરતા છત્તીસગઢ અને દિલ્હીના ખેડૂતોને અપાયેલી લોનનો આંકડો વધારે હતો. દિલ્હીમાં ખેડૂતો? ટૂંકમાં જે વ્યક્તિ કાયદા પ્રમાણે ખેડૂતની વ્યાખ્યામાં ફિટ બેસે તેને ફક્ત લક્ષ્યાંકો પૂરો કરવા માટે લોન આપી દેવાય છે. આમ, ખરી જરૂરિયાત ધરાવતા ખેડૂતોને કૃષિ લોનનો લાભ જ નથી મળતો.

એવી જ રીતે, ૧૨ એકર જમીનની માલિકી ધરાવતો ખેડૂત જમીનોના કાગળિયાના રજૂ કરીને રૂ. એક લાખની લોન લઈ લે છે. આટલી લોન લેવા માટે ખેડૂતે બે એકરથી વધારે જમીન દર્શાવવી ના પડે. ટૂંકમાં, એક મોટો ખેડૂત બેંક રેકોર્ડ પર ફક્ત બે એકર જમીનની માલિકી દર્શાવીને લોન લઈ જાય છે. કાયદાકીય રીતે તે ગુનો નથી બનતો, પણ ૧૨ એકર જમીનનો માલિક બેંકના ચોપડે પોતાને નાનો ખેડૂત દર્શાવીને હકીકતમાં જે નાનો ખેડૂત છે, તેના હિસ્સાનું ખાઈ જાય છે. આ બધી જ મુશ્કેલીઓ માટે અનેક નિષ્ણાતો બેંકો સહિત તમામ સરકારી કંપનીઓના સંપૂર્ણ ખાનગીકરણનો વિકલ્પ રજૂ કરે છે કારણ કે, કેમેય કરીને સરકારી કંપનીઓમાં ભ્રષ્ટાચાર ઓછો થતો નથી. સરકારી કંપનીઓનું સંચાલન સારી રીતે થતું નથી અને એ માટે રાજકારણીઓની દખલગીરીથી માંડીને સરકારી બાબુઓની સરકારી માનસિકતા જેવા અનેક કારણો જવાબદાર હોઇ શકે છે.

હાલ, સરકારના જુદા જુદા મંત્રાલયો પાસે ૨૯૦ કંપની છે, જેમાંની ૨૩૪ સક્રિય કંપનીઓમાં પ્રજાના રૂ. ૧૭ લાખ કરોડનું રોકાણ છે. આ બધી કંપનીઓનું કુલ ઉત્પાદન માંડ રૂ. ૨૦ લાખ કરોડ છે, જ્યારે ૭૧ કંપની ખોટમાં ચાલે છે. આ બધી કંપનીઓનો કુલ નફો રૂ. દોઢ લાખ કરોડની આસપાસ છે. એટલે કે, કુલ રોકાણના માંડ છ-સાત ટકા. એવી જ રીતે, આ કંપનીઓની કુલ ખોટ રૂ. સવા લાખ કરોડ જેટલી છે. આ ખોટમાં સરકારી બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સ ઉમેરો તો આંકડા ઘણે ઊંચે જાય. તેની સામે પ્રાઈવેટ બેંકોનું મેનેજમેન્ટ પ્રોફેશનલ બેંકરો કરે છે. એકલી એચડીએફસી બેંકનું મૂલ્ય એક ડઝન સરકારી બેંકોના કુલ મૂલ્ય જેટલું છે. જો એક પ્રાઈવેટ બેંક જડબેસલાક મેનેજમેન્ટ કરીને આગળ વધી શકે તો સરકારી બેંક કેમ નહીં? સરકારી બેંકોને ફક્ત ‘સરકારી લેબલ’નો ફાયદો મળે છે.

સરકારી બેંકોની ભરતીમાં પણ સરેઆમ ભ્રષ્ટાચાર થાય છે. આ પ્રકારની માથે પડેલી, માથાનો દુ:ખાવો બની ગયેલી અને દેશના વિકાસમાં ખાસ કોઈ યોગદાન નહીં આપનારી બેંકોનું ખાનગીકરણ થવું જ જોઈએ. ભ્રષ્ટ સિસ્ટમના કારણે થતી ખેડૂતોની આત્મહત્યાઓ હકીકતમાં હત્યા જ છે અને એ માટે ભ્રષ્ટ બેંકરો, રાજકારણીઓ અને મોટા ખેડૂતો સહિત બધા જ જવાબદાર છે.

03 July, 2017

એક ક્રાંતિકારી એન્જિનિયરના 'ખેતીના પ્રયોગો'


દેશભરના ખેડૂતો સરકાર સામે રોષે ભરાયેલા છે, આત્મહત્યાઓમાં વધારો થઈ રહ્યો છે, વિજ્ઞાન-ટેક્નોલોજીનો ખેડૂતોને પૂરતો ફાયદો નથી મળી રહ્યો અને કૃષિજગતમાં સુધારા કરવા સરકારના હાથ પણ નાના પડી રહ્યા છે ત્યારે એક એવી વ્યક્તિની વાત કરીએ જે ખેડૂત બનીને ખેડૂતો સુધી પહોંચ્યો છે. એ વ્યક્તિએ એકલપંડે હજારો ખેડૂતોનું જીવન બદલી નાંખ્યું છે અને આ કામ હજુયે ચાલુ છે.

નામ એમનું આર. માધવન. દર વર્ષે દેશભરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી દ્વારા જુદી જુદી થીમ પર પાન-આઈઆઈટી ઈવેન્ટનું આયોજન થાય. આ કાર્યક્રમમાં દુનિયાભરમાં ફેલાયેલા આઈઆઈટીના વિદ્યાર્થીઓ આવે અને પોતાની વાત કરે. વર્ષ ૨૦૦૮ના પાન-આઈઆઈટી ઈવેન્ટની વાત છે. એ ઈવેન્ટમાં રૂરલ ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રામ્ય પરિવર્તનને લગતો એક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેટ રેટ રેસ છોડીને ગામડાંના લોકોનું જીવન પરિવર્તિત કરવા કંઈક નવા જ પ્રકારના કામ-ધંધા-વ્યવસાય અપનાવ્યા હોય એવા લોકોની વાત હતી. આ કાર્યક્રમના સ્ટાર હતા, વર્ષ ૧૯૮૬ની આઈઆઈટી-મદ્રાસ મિકેનિકલ એન્જિનિયરિંગની બેચના વિદ્યાર્થી આર. માધવન. માધવન દેશની પ્રીમિયમ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટયુટના વિદ્યાર્થી હતા અને દેશની અગ્રણી કંપનીમાં આરામની નોકરી છોડીને ખેડૂત બની ગયા હતા.

કલામની મુલાકાત પછી ઉત્સાહ વધ્યો

જોકે, માધવન કોઈ સામાન્ય ખેડૂત ન હતા. વર્ષ ૨૦૦૧માં અબ્દુલ કલામ પણ માધવન વિશે સાંભળીને તેમના ખેતરે પહોંચી ગયા હતા. કલામે માધવનના ખેતર પર બે કલાક વીતાવ્યા હતા. માધવનનું કામ નજરોજર જોઈને કલામે કહ્યું હતું કે, આજે દેશને એક નહીં પણ એક લાખ માધવનોની જરૂર છે. આ મુલાકાત પછી માધવને કહ્યું હતું કે, હું ફક્ત એક ખેડૂત માટે પ્રેરણા બની શકું તો પણ એ મારા માટે બહુ મોટી વાત હશે કારણ કે, ડૉ. કલામ પણ મારી પાસે આવી જ અપેક્ષા રાખી રહ્યા છે...

જોકે, માધવનના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા ત્યારે તેમને પણ ખ્યાલ ન હતો કે, તેઓ ભવિષ્યમાં એક સામાન્ય ખેડૂત જ નહીં, પણ અનેક સામાજિક કાર્યકર્તાઓ, કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો અને કૃષિ ક્ષેત્રે બદલાવ (ચેન્જ) લાવવા માંગતા અનેક લોકો માટે પ્રેરણા બનવાના છે.     

આર. માધવન

માધવનને નાનપણથી જ કુદરત અને કૃષિની દુનિયામાં ઊંડો રસ હતો. ખેતરોની દુનિયા તેમને હંમેશા આકર્ષતી. કિશોરવયે જ માધવને આંગણામાં બગીચો બનાવ્યો હતો, જેમાં તેમણે ઘરની જરૂરિયાત માટેના શાકભાજી પણ ઊગાડ્યાં હતાં. સ્કૂલનો અભ્યાસ કર્યા પછી માધવનને ખેડૂત બનવું હતું. એ માટે તેમણે માતા-પિતાને વાત પણ કરી, પરંતુ તેમનું કશું ચાલ્યું નહીં. છેવટે માધવને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન પાસ કરીને આઈઆઈટી-મદ્રાસમાં એડમિશન લીધું. જોકે, ટેકનિકલ બાબતોમાં ઊંડો રસ ધરાવતા માધવને મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ સારું એવું કાઠું કાઢ્યું. આ ડિગ્રી થકી જ માધવનને ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)માં ઉચ્ચ હોદ્દે નોકરી મળી.

એન્જિનિયર થયા પછીયે જપ નહોતો

આ નોકરી વખતે પણ માધવનને વિચાર આવ્યા કરતા કે, હું મારા મિકેનિકલ એન્જિનિયરિંગના શિક્ષણનો ખેતીમાં કેવી રીતે ઉપયોગ કરી શકું! કૃષિમાં સામાન્ય ખેડૂતને ખૂબ વૈતરું કરવાનું આવે છે, પૈસા ઓછા મળે છે અને અનેક લોકો ભૂખે મરે છે. આ બધું કેવી રીતે અટકાવી શકાય! આ પ્રકારના વિચારો વચ્ચે માધવને એક દિવસ ખેતી કરવા માટે પિતા પાસે થોડાઘણાં પૈસા માંગ્યા, પરંતુ માધવનની યોજના સાંભળીને જ પિતા ભડક્યા. છેવટે માધવને ઓએનજીસીમાં પોતાના બોસને વિનંતી કરીને દરિયા કિનારાની સાઇટ પર બદલી લઈ લીધી. આ પ્રકારની સાઇટ પર ૧૪ દિવસ સળંગ કામ કરવાનું રહેતું પણ એ પછી સળંગ ૧૪ રજા મળતી. માધવનનો ત્યાં જવાનો હેતુ નોકરી સિવાયના ૧૪ દિવસનો ઉપયોગ કરીને ખેતીનું શિક્ષણ મેળવવાનો તેમજ બચત કરવાનો હતો. દરિયાકિનારાની સાઇટ પર માધવને સળંગ નવ વર્ષ કામ કર્યું. જોકે, એ સ્થળે ચારેક વર્ષ કામ કરીને માધવન સારી એવી બચત કરી, જેમાંથી તેમણે ૧૯૮૯માં ચેન્નાઇ નજીક ચેંગેલપેટમાં છ એકર જમીન ખરીદીને ખેતી કરવાનું શરૂ કર્યું.

માધવને રોડ કનેક્ટિવિટી અને પાણીની સુવિધા બધું જ જોઈને હોંશે હોંશે જમીન ખરીદી હતી. એ દિવસોમાં માધવન જેવા એક શહેરી એન્જિનિયરને જોઈને આસપાસના ગ્રામજનો શંકાની નજરે જોતા કારણ કે, માધવન તેમના પેન્ટ-શર્ટ પહેરતા અને અસ્ખલિત અંગ્રેજી બોલતા. માધવન આસપાસના ગામના ખેડૂતોથી ‘જુદા’ હતા. ગ્રામજનો કદાચ એવું વિચારતા કે, અમારી જમીન હડપ કરી લેવાનું આ સરકારી કાવતરું તો નથી ને! માધવનને ખેતીને લગતું ટેકનિકલ જ્ઞાન જોઈતું હતું. એ માટે તેઓ આસપાસની કૃષિ યુનિવર્સિટીમાં ગયા પણ કોઈ જ મદદ ના મળી. ખેતીવાડીને લગતું પ્રાથમિક અને પ્રેક્ટિકલ જ્ઞાન ખેડૂતો પાસેથી જ મળે, પરંતુ એક પણ ગ્રામજન માધવનને કશું શીખવાડવા તૈયાર ન હતો. વળી, ગામડિયાં અને શહેરી ખેડૂત વચ્ચે મોટો ‘કોમ્યુનિકેશન ગેપ’ પણ હતો. આ સ્થિતિમાં માધવને છ એકર જમીન પર સૌથી પહેલા ડાંગર ઊગાડી, જેમાંથી તેમને માંડ બે ટન ચોખા મળ્યાં. માધવન સ્વાભાવિક રીતે જ સખત નિરાશ થયા, પરંતુ આ નિષ્ફળતા પછી તેઓ વધારે આક્રમક અને જિદ્દી બન્યા.

માધવનનું ‘ગાંડપણ’ જોઈને પિતા પણ તેમના પર બહુ ગુસ્સે હતા. તેઓ માધવનને મૂર્ખ કહેતા, પરંતુ માધવન અઠંગ એન્જિનિયરની અદામાં જવાબ આપતા કે, હું ભૂલમાંથી ઘણું શીખું છું. હજુ મારે 'ટ્રાયલ એન્ડ એરર' પદ્ધતિથી આ પ્રયોગ ચાલુ રાખવો છે. જોકે, માધવનનું 'ટ્રાયલ એન્ડ એરર' સળંગ ત્રણ વર્ષ ચાલ્યું અને તેઓ ઘણું નવું શીખ્યા. માધવન ૧૯૯૩માં જ નોકરી છોડીને ફૂલટાઇમ ખેડૂત બનીને ખેતીવાડીના ધંધામાં અસ્તિત્વ ટકાવતા શીખી ગયા હતા.

માધવન માટે ટર્નિંગ પોઈન્ટ બનેલી મુલાકાત

આ દરમિયાન વર્ષ ૧૯૯૬માં માધવને કૃષિ ટેક્નોલોજી વિશે માહિતી મેળવવા ઇઝરાયેલની મુલાકાત લીધી. માધવને ઇઝરાયેલમાં જોયું કે, આ દેશ પાણી અને સિંચાઈને લગતી ટેક્નોલોજીમાં ઘણો જ ઈનોવેટિવ છે. જેમ કે, ઇઝરાયેલી ખેડૂતો એક એકરમાં સાત ટન મકાઇનો પાક લેતા, જ્યારે ભારતમાં એક એકરમાં એક ટનથી પણ ઓછી મકાઇ પાકતી. ઇઝરાયેલ એક એકરમાં ૨૦૦ ટન ટામેટાનો પાક લેતું, જ્યારે ભારતીય ખેડૂતો માંડ છ ટન. ઈઝરાયેલમાં શાકભાજી-ફળોના વૃક્ષ-વેલા તેમજ જમીનના નાનકડા ટુકડાનું પણ મોટા બિઝનેસ પ્રોજેક્ટની જેમ ધ્યાન રખાતું. ભારતમાં પાણી પણ વધારે વપરાતું અને પાક ઓછો ઉતરતો. ઈઝરાયેલ ટપક સિંચાઇ પદ્ધતિથી પાક લેતું અને પાણીનો બિલકુલ વ્યય ન થતો, જ્યારે કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે, ભારતના ખેતરોમાં એક લિટર પાણીની જરૂર હોય ત્યાં ૭૫૦ લિટર પાણી વપરાઈ જતું. 

આ પ્રકારની આંકડાકીય માહિતી આઈઆઈટિયન એન્જિનિયર માધવન માટે આઘાતજનક હતી. ઇઝરાયેલની ઇનોવેટિવ કૃષિ અને સહકારી પદ્ધતિનો ઊંડો અભ્યાસ કરવા માધવન ૧૫ દિવસ ઇઝરાયેલમાં રહ્યા. ઇઝરાયેલની મુલાકાતના બીજા જ વર્ષે, ૧૯૯૭માં, માધવન થોડા ઘણાં સંપર્ક-સરનામાં લઈને ખેતીનું શિક્ષણ મેળવવા અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં તેઓ કેલિફોર્નિયામાં ખેતી કરતા ડૉ. લક્ષ્મણનને મળ્યા. લક્ષ્મણન ૫૦થી ૬૦ હજાર એકરમાં ખેતી કરવાનો ૩૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા હતા. આ મુલાકાત માધવનની તો ઠીક, ભારતના હજારો ખેડૂતોની તકદીર બદલી નાંખવાની હતી. લક્ષ્મણન પાસેથી માધવન પાક ફેરબદલી, સિંચાઈ અને જમીનને લગતું ઊંડું ટેકનિકલ જ્ઞાન લઈને ભારત પરત ફર્યા. આ સિવાય પણ ભારતની સ્થિતિને ધ્યાનમાં રાખીને લક્ષ્મણને માધવનને ઘણાં બધા સૂચનો કર્યા. એ દિવસને વીસે વર્ષ થઈ ગયા છે, પરંતુ માધવન હજુયે ઇ-મેઇલ, સ્કાયપ અને ગૂગલ ટૉકની મદદથી લક્ષ્મણન પાસે ખેતીવાડીના પાઠ શીખી રહ્યા છે.     

કૃષિ ભારતની બરબાદીનો જવાબ

અમેરિકાથી પાછા આવતા જ તેમણે લક્ષ્મણન પાસેથી શીખેલી પાક ફેરબદલ પદ્ધતિથી ખેતી કરવાનું ચાલુ કર્યું. જેમ કે, માધવને ઓગસ્ટમાં ડાંગર વાવી અને ડિસેમ્બરમાં લણણી કરી. ડિસેમ્બરમાં શાકભાજીનો પાક લીધો અને ફેબ્રુઆરી સુધી તગડી કમાણી પણ કરી લીધી. એ પછી મગફળી અને તલ જેવા રોકડિયા પાકો લીધા કારણ કે, મે મહિનો આવતા સુધીમાં તો ચેન્નાઇમાં પાણીની તંગી હોય, પરંતુ આ બંને પાક ઓછા પાણીએ પણ લેવાઈ જતા. એ પછી તો માધવનનો આત્મવિશ્વાસ એવો વધ્યો કે, તેમણે ૧૯૯૯માં બીજી ચાર એકર જમીન ખરીદી. હવે તેઓ કુલ દસ એકર કૃષિલાયક જમીનના માલિક છે અને દર વર્ષે પ્રતિ એકર સરેરાશ એકાદ લાખ રૂપિયા કમાઈ લેતા. આટલા વર્ષોની અથાક મહેનત અને કારકિર્દી જોખમમાં મૂકીને ખેતીવાડી શીખ્યા પછી માધવન બે દાયકાથી દેશભરના ખેડૂતોનું જીવન બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માધવન નાના અને સીમાંત ખેડૂતોનું એક જૂથ તૈયાર કરીને તેમને ભાડાપટ્ટે જમીન અપાવે છે. આ જૂથના સભ્યોને માધવન વાવણી, લણણી, જંતુનાશક દવાઓનો છંટકાવ અને માર્કેટિંગ જેવા કામની વહેંચણી કરી દે છે. માધવન દરેક સભ્યના દિલોદિમાગમાં એક વાત ઠસાવી દે છે કે, તમારું જૂથ જેટલું મોટું, એટલો તમને ફાયદો. તમે જેટલા વધારે હશો, એટલી વધારે મોટી જમીન ભાડાપટ્ટે લઈ શકશો અને જેટલી જમીન વધારે લેશો એટલો તમને વધારે ફાયદો. આવું એક જૂથ સ્વનિર્ભર થઈ જાય પછી માધવન બીજા કોઈ સ્થળે જઈને નવું જૂથ બનાવે છે. માધવને તમિલનાડુમાં ૧૦,૮૦૦ નાના ખેડૂતોનું જૂથ તૈયાર કર્યું છે, જ્યારે કેરળના એક જૂથમાં ૪,૫૦૦ ખેડૂતો છે. આ તમામ ખેડૂતો સારી કમાણી કરે છે અને બીજા ખેડૂતોને પણ મજબૂત બનાવી રહ્યા છે. આ જૂથના લોકોને લોન કેવી રીતે લેવી અને પોતાનું જ પ્રોસેસિંગ યુનિટ કેવી રીતે ઊભું કરવું એ પણ શીખવવામાં આવે છે. માધવન પોતાના ઉત્પાદનો પોતે જ જીપ લઈને મિલ સુધી વેચવા જતા. હવે તેઓ ખેડૂતોના જૂથોને પણ કૃષિપેદાશો વેચવાનું શીખવે છે, જેથી શોષણખોર વચેટિયા જ નીકળી જાય છે.

***

આર. માધવન એક ક્રાંતિ છે. ગ્રામીણ ભારતની બરબાદી, વચેટિયાઓના શોષણ, નાના ખેડૂતોની આત્મહત્યાઓ, પંચવર્ષીય યોજનાઓ તેમજ કૃષિ યુનિવર્સિટીઓ અને ખેડૂત પરિવારો વચ્ચેની ખાઈનો જવાબ પણ માધવન છે. આજેય માધવન પ્રતિ એકર દસેક ટકા જમીન પર ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિમાં વિશ્વાસ રાખીને સંશોધનો કરી રહ્યા છે, જેનો લાભ ફક્ત તેઓ નથી લેવા માગતા પણ આ પ્રયોગો કરીને તેઓ ભારતના દરેક ખેડૂતનું જીવન બદલવા માગે છે.

માધવનનું કહેવું છે કે, ખેતીમાંથી મને સારી એવી કમાણી થઈ એ વાત ખરી, પરંતુ આ કામમાંથી મને ઘણો આનંદ અને સુખ મળ્યાં છે. પૈસા માટે કામ કરવું અને આનંદ માટે કામ કરવું એ બેમાં ફર્ક છે. ખેતીમાંથી મને બંને મળે છે. આનાથી વધુ મોટી વાત કઈ હોઈ શકે! હું ઇચ્છું છું કે, આપણે કૃષિ વિજ્ઞાનની મદદથી ખેડૂતોને સદ્ધર બનાવી શકીએ છીએ. એ માટે શિક્ષિત યુવાનોએ કૃષિમાં કારકિર્દી બનાવવી જોઈએ અને ભૂખથી પીડાતા દેશમાંથી અન્નની નિકાસ થાય એ માટે રાષ્ટ્રીય સ્તરનું આંદોલન છેડવું જોઈએ...