Showing posts with label ટેક્નોલોજી. Show all posts
Showing posts with label ટેક્નોલોજી. Show all posts

09 April, 2018

ફર્નાન્ડો કોલમ્બસ: ૧૫મી સદીમાં 'ગૂગલ બુક્સ' જેવા પ્રોજેક્ટનો સ્વપ્નદૃષ્ટા


દુનિયામાં કુલ કેટલા પુસ્તક છે? ગૂગલ બુક્સે આઈએસબીએન (ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર)થી લઇને દુનિયાના દરેક મોટા પુસ્તકાલયોની મદદથી અંદાજ કાઢ્યો છે કે, દુનિયામાં ૧૨,૯૮,૬૪,૮૮૦ એટલે કે ૧૨ કરોડ, ૯૮ લાખ, ૬૪ હજાર, આઠસો એંશી પુસ્તક છે. ગૂગલને આ બધા જ પુસ્તક 'ગૂગલ બુક્સ'માં આપવાની ઇચ્છા છે. 'પ્રોજેક્ટ ઓસન' જેવું નામ ધરાવતી આ યોજના હેઠળ ગૂગલ દુનિયાભરમાં ફેલાયેલા જ્ઞાનના સાગરને આપણી સામે ઠાલવી ઠાલવી રહ્યું છે. સંશોધકો, ઈતિહાસકારો અને પત્રકારોના નસીબ સારા છે કે, ઓક્ટોબર ૨૦૦૪માં શરૂ થયેલો 'પ્રોજેક્ટ ઓસન' કોપીરાઇટ્સ સહિતની અનેક મુશ્કેલીઓ વચ્ચે હજુયે ચાલી રહ્યો છે. ગૂગલના જન્મ પહેલાં સ્વાભાવિક રીતે જ જ્ઞાનનો આટલો વિશાળ ડિજિટલ ડેટા એક જગ્યાએ ભેગો કરવો અશક્ય હતો. ગૂગલ બુક્સની વાત કરીએ ત્યારે એક વ્યક્તિને ખાસ યાદ કરવો પડે. નામ એનું, ફર્નાન્ડો કોલમ્બસ. 

ગૂગલ તો ટેક્નોલોજીની મદદથી આ વિશાળ યોજના ચલાવી રહ્યું છે, પરંતુ આશરે ૫૦૦ વર્ષ પહેલાં આ પુસ્તકરસિયાએ હજારો પુસ્તકો વાંચી-વાંચીને 'ગૂગલ બુક્સ' જેવું 'ન ભૂતો, ન ભવિષ્યતિ' પુસ્તકાલય બનાવ્યું હતું. 

ફર્નાન્ડો કોલમ્બસ એટલે ઇટાલીના સાહસિક સાગરખેડુ ક્રિસ્ટોફર કોલમ્બસ અને તેની પ્રેમિકા બિટ્રીઝ એનરિક્ઝ દ અરાનાનો પુત્ર. ફર્નાન્ડો વિશે વાત કરતા પહેલાં તેના પિતા ક્રિસ્ટોફર કોલમ્બસ વિશે થોડી જાણકારી અને સ્પષ્ટતા કરી લઈએ. કોલમ્બસે (૧૪૯૨-૧૪૯૯) ૫૪ વર્ષની જિંદગીમાં યુરોપથી 'ઇસ્ટ ઇન્ડિઝ' (ભારતનો નહીં)નો દરિયાઇ માર્ગ શોધવા ચાર ઐતિહાસિક યાત્રા કરી હતી. એ વખતે યુરોપિયનો ભારત, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, બ્રુનેઇ અને પપુઆ ન્યૂ ગીની સહિતનો સમગ્ર પ્રદેશ 'ઇસ્ટ ઇન્ડિઝ' તરીકે ઓળખતા. કોલમ્બસે ઇસ. ૧૪૯૨, ૧૪૯૩, ૧૪૯૮ અને ૧૫૦૨, એમ કુલ ચાર દરિયાઇ સફર કરી, પરંતુ એ ચારેય યાત્રામાં તેણે ઇસ્ટ ઇન્ડિઝ જવાના નહીં, પણ આજના વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા ખંડ સુધી જવાના દરિયાઇ માર્ગ શોધ્યા હતા. આ વેસ્ટ ઇન્ડિઝ નામ પણ યુરોપિયનોએ જ આપ્યું હતું. કોલમ્બસની યાત્રાઓ પછી યુરોપિયનોએ અમેરિકા ખંડની મૂળ આદિવાસી પ્રજાને  'ઇન્ડિયન' તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું. એટલે આજેય તેઓ ચામડીના રંગના આધારે 'રેડ ઇન્ડિયન્સ' તરીકે ઓળખાય છે. 

કોલમ્બસ અને તેમની પ્રેમિકા બિટ્રીસ એનરિક્ઝ દ અરાના  

કોલમ્બસે કાયદેસરની પત્ની ફિલિપા મોનિઝ પેરેસ્ટ્રેલોની કુખે જન્મેલા પુત્ર ડિયેગોની જેમ ફર્નાન્ડોને પણ પ્રેમથી અપનાવી લીધો હતો. તેણે ઈસ. ૧૫૦૨માં ચોથી દરિયાઇ સફરનું આયોજન કર્યું ત્યારે ફર્નાન્ડોની ઉંમર માંડ ૧૩ વર્ષ હતી. આમ છતાં, કોલમ્બસે વ્હાલસોયા પુત્ર ફર્નાન્ડોને ક્રૂ મેમ્બર તરીકે સાથે લઇ લીધો. કોલમ્બસના કાફલામાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની ચર્ચા સાંભળીને નાનપણથી જ ફર્નાન્ડોમાં જબરદસ્ત કુતુહલવૃત્તિના બીજ રોપાયા હતા. કોલમ્બસના મૃત્યુ પછી ફર્નાન્ડો તેના સાવકા મોટા ભાઇ ડિયેગો સાથે હિસ્પાનિઓલા જતો રહ્યો. હિસ્પાનિઓલા કેરિબિયન દ્વીપસમૂહમાં આવેલો વિશ્વનો ૨૨માં નંબરનો સૌથી મોટો ટાપુ છે. ડિયેગો ત્યાંનો ગવર્નર હતો. ફર્નાન્ડોને ત્યાં કોઇ દુ:ખ ન હતું, પરંતુ મોજશોખવાળી જિંદગીથી કંટાળીને ફર્નાન્ડો થોડા સમયમાં સ્પેન પાછો આવી ગયો.

ક્રિસ્ટોફર કોલમ્બસ પણ સ્પેનના સેવિલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા. સ્પેનના રાજવી પરિવારોને વેસ્ટ ઇન્ડિઝથી લઇને અમેરિકા ખંડ સુધી વસાહતો શરૂ કરી આપવામાં કોલમ્બસે ખૂબ જ મદદ કરી હતી. એટલે કોલમ્બસના મૃત્યુ પછી પણ આ પ્રદેશોની આવકનો બહુ મોટો હિસ્સો ફર્નાન્ડોને મળતો હતો. આ આવકની મોટા ભાગની રકમ ફર્નાન્ડો દુર્લભ પુસ્તકો ભેગા કરવા ખર્ચી કાઢતો. કોલમ્બસને ‘નવી દુનિયા શોધવાનું ઘેલું લાગ્યું હતું. એવી જ રીતે, ફર્નાન્ડોને દુનિયાભરના ઉત્તમ પુસ્તકોમાં ધરબાયેલું જ્ઞાન એક સ્થળે  ભેગું કરીને વિશ્વનું સૌથી ઉત્તમ પુસ્તકાલય બનાવવાની ચાનક ચડી હતી.

આપણે કોલમ્બસના દરિયાઇ પ્રવાસો વિશે તો જાણીએ છીએ, પરંતુ ફર્નાન્ડોએ પણ પુસ્તકો ભેગા કરવા સખત પ્રવાસ કર્યા હતા. ઈસ. ૧૫૨૧માં તેણે જર્મનીના નુરેમ્બર્ગ શહેરમાંથી નાતાલ વખતે એકસાથે ૭૦૦ ગ્રંથ ખરીદ્યા હતા. એ પછી ઈસ. ૧૫૩૦માં ફક્ત પુસ્તકો ખરીદવાના હેતુથી ફર્નાન્ડોએ યુરોપના અનેક શહેરો ધમરોળી નાંખ્યા હતા. આ શહેરો પર જરા નજર કરો. ઇટાલીના રોમ, બોલોગ્ના, મિલાન, વેનિસ, તુરિન અને પડુઆ. જર્મનીના ઓસબર્ગ, કોન્સ્ટન્સ અને કોલોન. ફ્રાંસના પેરિસ અને પોઇટિયર્સ. સ્વિત્ઝર્લેન્ડના બેસલ અને ફ્રિબર્ગ. નેધરલેન્ડનું માસ્ટ્રિચ અને બેલ્જિયમનું એન્ટવર્પ. ઓસ્ટ્રિયાનું ઇન્સબર્ક અને સ્પેનનું બુર્ગોસ.


ફર્નાન્ડો કોલમ્બસ

આ શહેરો પર નજર કરતા સમજી શકાય છે કે, ફર્નાન્ડોની પુસ્તક ભૂખ કેવી હશે! આજથી ૫૦૦ વર્ષ પહેલાં આટલા બધા શહેરોની મુલાકાત લઈને, પ્રકાશકો-વિતરકો અને લેખકોને શોધવાનું કામ ખૂબ અઘરું હતું. એ વખતે ગૂગલ ન હતું અને આજના જેવા ઝડપી વાહન વ્યવહારની પણ સુવિધા ન હતી. આમ છતાં, ફર્નાન્ડોએ ખૂબ જ મહેનત કરીને યુરોપની અનેક દુર્લભ હસ્તપ્રતો, અજાણ્યા લેખકોના વજનદાર પુસ્તકોથી માંડીને રાજવી પરિવારો પાસે સચવાયેલી નાની-મોટી પત્રિકાઓ, પત્રો, નકશા ભેગા કર્યા. તેણે થોડા જ સમયમાં સ્પેનના સેવિલ શહેરના રોયલ ચર્ચમાં ૧૫ હજાર પુસ્તક ધરાવતું અનોખું પુસ્તકાલય બનાવી દીધું. આ ચર્ચનું સંચાલન પણ સ્પેનના રાજવી પરિવારે કોલમ્બસ પરિવારને સોંપ્યું હતું.

ફર્નાન્ડોને 'સુવ્યવસ્થિત યાદી' બનાવવાનું જબરું વળગણ હતું. એટલે જ ફર્નાન્ડોનું પુસ્તકાલય દુનિયાના બીજા બધા જ પ્રાચીન પુસ્તકાલયમાં થોડું જુદુ પડે છે. જેમ કે, ફર્નાન્ડો પુસ્તકના લેખક-પ્રકાશક, ખરીદીનું સ્થળ, કિંમત વગેરેની નોંધ કરી લેતો. એ તો ઠીક, જે તે પુસ્તક ક્યાં અને ક્યારે વાંચ્યુ, પુસ્તક વિશે તે શું વિચારે છે તેમજ પુસ્તકના લેખકને મળ્યો હતો કે નહીં- એ વિશે પણ તેણે નોંધો કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, પુસ્તક ખરીદતી વખતે સ્પેનિશ કરન્સીના રેટ શું હતા એ પણ તેણે નોંધ્યા હતા. એ વખતના મોટા ભાગના પુસ્તકોમાં પ્રસ્તાવના કે આમુખ જોવા મળતા ન હતા. એટલે પુસ્તકની અંદર શું છે એની જાણકારી વાચકોને સરળતાથી મળતી નહોતી. આ મુશ્કેલીના ઉપાયરૂપે ફર્નાન્ડોએ વાચકોની સરળતા માટે એકલા હાથે દરેક પુસ્તકની પ્રાથમિક માહિતી પણ તૈયાર કરી હતી. દરેક પુસ્તક સહેલાઇથી મળી જાય એ બાબત ધ્યાનમાં રાખીને તેણે લાકડાના યુનિક બુકશેલ્ફ પણ તૈયાર કરાવ્યા હતા. ૧૫મી સદીમાં એ ઘણી મહત્ત્વની વાત હતી.

આ પુસ્તકાલયમાં ફર્નાન્ડોએ ક્લૉસ વાગનેર નામના એક ફૂલ ટાઇમ ગ્રંથપાલની પણ નિમણૂક કરી હતી. તેણે વાગનેરને આદેશ કર્યો હતો કે, જો તમે ગ્રંથપાલ તરીકે જોડાશો તો તમારા જીવનની એક જ પ્રાથમિકતા હશે, અને એ હશે આ પુસ્તકાલય. આ કરારના ભાગરૂપે ફર્નાન્ડોએ સેવિલના કેથેડ્રલના કેમ્પસમાં જ વાગનેરના રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. ફર્નાન્ડોના મૃત્યુના દાયકાઓ પછી ઇતિહાસકારોએ કરેલા સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ફર્નાન્ડોને નાનપણથી જ વાંચવા-લખવાનો શોખ હતો. કોલમ્બસની ચોથી દરિયાઇ મુસાફરીમાં ફર્નાન્ડો પિતાનું જીવન ચરિત્ર લખવાના હેતુથી જ જોડાયો હતો. ક્રિસ્ટોફર કોલમ્બસનું પહેલવહેલું જીવનચરિત્ર પણ ફર્નાન્ડોએ જ લખ્યું હતું, જેની મૂળ હસ્તપ્રત આજે ઉપલબ્ધ નથી. એ મુસાફરીમાં ફર્નાન્ડોએ 'નવા દેશો'ના સંગીત, તસવીરો અને વનસ્પતિના અઢળક નમૂના પણ ભેગા કર્યા હતા. એ ચીજવસ્તુઓની પણ તેણે ચોક્કસ નોંધો સાથેની યાદી તૈયાર કરી હતી.

સ્પેનના સેવિલ શહેરમાં આવેલું ફર્નાન્ડોનું પુસ્તકાલય અને (નીચે) ૧૩મી સદીમાં થઈ ગયેલા
ઇટાલિયન વેપારી, એક્સપ્લોરર માર્કો પોલોના  મૂળ ફ્રેંચમાં લખાયેલા ‘ધ બુક ઓફ વન્ડર્સ’  પુસ્તકમાં 
કોલમ્બસે જાતે કરેલી  નોંધો. આ દુર્લભ પુસ્તક પણ ફર્નાન્ડોના પુસ્તકાલયમાં સચવાયેલું છે. 

યુરોપમાં પુસ્તકોનો ઇતિહાસ, લેખકો-પ્રકાશકો, પ્રવાસો અને બૌદ્ધિકોનું નેટવર્ક કેવું હતું, એ સમજવા આજના ઈતિહાસકારો માટે ફર્નાન્ડોનું પુસ્તકાલય ખૂબ ઉપયોગી સાબિત થયું છે. યુરોપમાં સાહિત્ય, કળા અને વૈચારિક ક્રાંતિના બીજ રોપનારા અનેક બૌદ્ધિકોએ ફર્નાન્ડોના પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો. ઈસ. ૧૫૩૯માં મૃત્યુ થયું એ પહેલાં ફર્નાન્ડોએ જીવતેજીવ વસિયત કર્યું હતું કે, 'મૃત્યુ પછી આ પુસ્તકાલયની  સંપૂર્ણ દેખભાળ કરવામાં આવે. મેં ખરીદેલા પુસ્તકો વેચવામાં ના આવે, પરંતુ વધુ પુસ્તકો ખરીદીને પુસ્તકાલય સમૃદ્ધ બનાવવામાં આવે.'

કમનસીબે, ફર્નાન્ડોના મૃત્યુ પછી પુસ્તકાલયની માલિકી માટે દાયકાઓ સુધી ઝઘડા ચાલ્યા. છેવટે અનેક વર્ષો પછી સેવિલના ચર્ચને પુસ્તકાલયની માલિકી મળી. જોકે, ત્યાં સુધી પુસ્તકોની સંખ્યા ૧૫ હજારમાંથી સાત હજાર થઇ ગઇ હતી. આજેય ફર્નાન્ડોના પુસ્તકાલયની સંભાળ સેવિલના ચર્ચ મેનેજમેન્ટ દ્વારા લેવાઇ રહી છે, પણ, અત્યારે આ પુસ્તકાલયમાં ફક્ત ૧,૧૯૪ પુસ્તક બચ્યા છે. હવે આ પુસ્તકાલય 'બિબ્લિઓટેકા કોલમ્બિના' તરીકે ઓળખાય છે. આજે પણ ઇતિહાસકારો માટે ફર્નાન્ડોનું પુસ્તકાલય સંશોધનનો વિષય છે.

આજેય ઈતિહાસકારો માટે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે, શું ફર્નાન્ડોએ ૧૫ હજાર મહાકાય ગ્રંથો વાંચ્યા હશે? એવું કહેવાય છે કે, ફર્નાન્ડોએ બહુ નાની ઉંમરમાં વાંચન-લેખન શરૂ કરી દીધું હતું એટલે કદાચ એ શક્ય પણ હોય!

04 April, 2018

સરહદી ગામોના ખેડૂતોના ભોગે 'નો ફ્લાય ઝોન'


ઈન્ટરનેટ, ફેસબુક અને જીપીએસ નહોતા ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે, આ પ્રકારની ટેક્નોલોજીની માણસના જીવન પર શું અસર થશે? ઈન્ટરનેટનો સતત દુરુપયોગ થાય છે, ફેસબુક ચૂંટણીઓમાં કાળા-ધોળા કરાવી શકે છે અને જીપીએસની મદદથી કોઈ તમારા પર વર્ચ્યુઅલ નજર રાખીને ઘરફોડ ચોરી કરી શકે છે. એનો અર્થ એ નથી કે, એ ટેક્નોલોજી પર પ્રતિબંધ મૂકી દેવો. કેન્દ્ર સરકારે ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદની આસપાસના ૫૦ કિલોમીટરના વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરેલો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય સેનાના મથકો, ચોકીઓ અને શસ્ત્રાગારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન કૃષિ અર્થતંત્ર અને ખેડૂતોને થઈ રહ્યું છે.

એક બાજુ સરકાર બાબા આદમના જમાનાના ૧,૨૦૦ કાયદા રદ કરી દીધાનું ગૌરવ લે છે અને બીજી બાજુ આવા તઘલખી નિર્ણયો લે છે. ભારતમાં સરહદો નજીક હજારો ગામો છે. આ બધા જ ગામોની મુખ્ય આવક કૃષિ પર નિર્ભર છે, પરંતુ દેશના બીજા હિસ્સાની જેમ ત્યાંના ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીના લાભ લઇ શકાતા નથી. આજકાલ ડ્રોન ઉર્ફ અનમેન્ડ એરિયલ વ્હિકલની મદદથી જ ભૌગોલિક રીતે જટિલ અને અંતરિયાળ વિસ્તારોના સર્વેક્ષણ કરાય છે. આ પ્રકારના સર્વેક્ષણના સીધા લાભ ત્યાં રહેતી પ્રજાને જ મળે છે. ડ્રોન ટેક્નોલોજીએ કૃષિની તરાહ બદલી નાંખી છે. આ નાનકડા સાધને અનેક રાજ્યોમાં હજારો ખેડૂતોનું જીવન બદલી નાંખ્યું છે. જેમ કે, હરિયાણા, પંજાબ અને કર્ણાટકમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વીમા કંપનીઓ ખેતરોમાં પાકના નુકસાનનો ઝડપથી સર્વે કરવા ડ્રોનનો ઉપયોગ કરે છે, જેથી ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપથી આપી શકાય. મહાકાય ખેતરોમાં પાકને કોઈ ગંભીર રોગ લાગુ પડે એ પહેલાં ડ્રોનથી જાણી શકાય છે. એટલે પાકમાં કોઇ ગંભીર રોગ વકરે એ પહેલાં ખેડૂતને સમયસર પગલાં લેવાનો સમય મળે છે!


દેશના ૧૮ રાજ્યના ૬૪૦માંથી ૧૬૮ જિલ્લાનો થોડો ઘણો ભાગ સરકારે જાહેર કરેલા નો ફ્લાય ઝોનમાં આવે છે. આ ૬૪૦માંથી ૬૫ જિલ્લા તો એવા છે, જેનો ૯૦ ટકાથી પણ વધુ વિસ્તાર નો ફ્લાય ઝોનમાં આવી જાય છે. દેશના ૩૯ જિલ્લા તો આખેઆખા નો ફ્લાય ઝોનમાં છે. નો ફ્લાય ઝોનમાં દેશના દસ ટકા ઘર આવેલા  છે અને ત્યાંની મોટા ભાગની વસતી ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે છે. ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો, દેશના દસ ટકા ખેડૂતો નો ફ્લાય ઝોનમાં વસે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ૧૪ કરોડથી પણ વધુ વસતી નો ફ્લાય ઝોનમાં રહે છે. ભારતના ૭૫ શહેરની કુલ વસતી ૧૪ કરોડ જેટલી છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, કૃષિ અર્થતંત્રમાં તેમનું પ્રદાન કેટલું મહત્ત્વનું હશે! દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. આ જિલ્લો પણ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. તેથી ત્યાં પણ નો ફ્લાય ઝોનના નિયમો લાગુ પડે છે. આ વિસ્તારમાં કૃષિ સહિતના ક્ષેત્રોમાં ડ્રોન ટેક્નોલોજીના લાભ મળતા નથી.

એવી જ રીતે, જમ્મુ કાશ્મીરના ૨૩માંથી ૨૦, આસામના ૨૭માંથી ૨૦, ઉત્તરપ્રદેશના ૭૧માંથી ૧૫ અને બિહારના ૩૮માંથી ૧૪ જિલ્લામાં ડ્રોન પ્રતિબંધિત છે. હવે ઉત્તર-પૂર્વીય રાજ્યોની વાત કરીએ. એનડીએ સરકારનો દાવો છે કે, આઝાદી પછીની અમે પહેલી સરકાર છીએ, જે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટે ગંભીર છે. જોકેસિક્કિમ, ત્રિપુરા જેવા નાના અને કૃષિ અર્થતંત્ર પર આધારિત રાજ્યોના ૧૦૦ ટકા વિસ્તાર સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનમાં છે. મિઝોરમનો ૮૬ ટકા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયનો ૬૦ ટકા, નાગાલેન્ડનો ૫૦ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે. વળી, જે વિસ્તાર નો ફ્લાય ઝોનમાં નથી ત્યાં ખેતી બહુ ઓછી છે અથવા નથી. નાના રાજ્યો તો ઠીક, પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો પણ નો ફ્લાય ઝોનથી પીડિત છે. તેનો ૪૪ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે. પશ્ચિમ બંગાળ ખૂબ મોટું રાજ્ય છે, અને, ત્યાં પણ બાંગ્લાદેશ સરહદ નજીકના ગામોનો મુખ્ય આધાર ખેતી છે. એવી જ રીતે, બિહારનો ૩૯ ટકા અને પંજાબનો ૩૩ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે.

નો ફ્લાય ઝોનના કારણે ઉત્તર-પૂર્વના રાજ્યોએ સૌથી વધુ ભોગવવાનું આવી રહ્યું છે કારણ કે, તે નાના રાજ્યો છે, ત્યાંના લોકોનો આવકનો મુખ્ય સ્રોત ખેતી છે અને આ રાજ્યો નાના-નાના પાડોશી દેશો સાથે પણ સરહદો ધરાવે છે. જેમ કે, બાંગ્લાદેશ સાથે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને આસામની સરહદ છે, તો ભુતાન જેવા નાનકડા દેશ સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદ છે. મ્યાંમાર સાથે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમની સરહદ છે. એવી જ રીતે, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સરહદ નેપાળ સાથે પણ વહેંચાય છે. આમ, પશ્ચિમ બંગાળ મોટું રાજ્ય હોવાથી બાંગ્લાદેશ, ભુતાન અને નેપાળ એમ ત્રણ દેશ સાથે સરહદ ધરાવે છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે છે. જમ્મુ કાશ્મીર તો પાકિસ્તાન અને ચીન એમ બે દેશ સાથે સરહદ ધરાવે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના અનેક ગામો ચીન સરહદ નજીક છે.


ઉત્તર-પૂર્વીય રાજ્યોની આંતરરાષ્ટ્રીય સરહદો 

જમ્મુ કાશ્મીરની જેમ ઉત્તર પૂર્વીય રાજ્યોની જટિલ ભૂગોળ પણ વિકાસની રાહમાં આડે આવી રહી છે, પરંતુ આ વિસ્તારમાં ડ્રોનથી ઝડપથી સર્વેક્ષણ થઇ શકતા નથી. ત્યાં રસ્તા, સિંચાઇ, બંધ જેવી માળખાગત સુવિધા ઊભી કરવા ડ્રોનની મદદથી નાના-મોટા સર્વેક્ષણો કરવા જરૂરી છે પણ થઇ શકતા નથી. જેમ કે, નો ફ્લાય ઝોનમાં ૭૦,૮૨૯ કિલોમીટર લાંબા રસ્તા, ,૧૨૭ કિલોમીટર લાંબી કેનાલો, ,૩૪૯ પુલો અને સાડા પાંચસો જેટલા નાના-મોટા રેલવે સ્ટેશનો છે, પરંતુ આ એકેય વિસ્તારનું ડ્રોનથી નિરીક્ષણ થઈ શકતું નથી. જમ્મુ અને અમૃતસર (પંજાબ) જેવા શહેર સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનનો હિસ્સો છે. કૃષિ ટેક્નોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારના 'બ્લેન્કેટ બાન'ના કારણે અનેક વિસ્તારો નો ફ્લાય ઝોનથી પીડિત છે. ટૂંકમાં સરકાર લાંબુ વિચાર્યા વિના બધા જ વિસ્તારોને એક જ લાકડીએ હાંકી રહી છે.

જો સરકાર નો ફ્લાય ઝોનમાંથી અમુક વિસ્તારોને બાકાત રાખે તો ડ્રોનની નોંધણી કરવી, લાયસન્સ આપવા અને તેની દેખરેખ માટે  ચુસ્ત માળખું વિકસાવવું પડે. વિકસિત દેશો જેવું જડબેસલાક તંત્ર ઊભું કરવું પડે, પરંતુ એ માટે સરકાર હંમેશાની જેમ ઉદાસીન છે. તેના બદલે સરકારને ડ્રોન ટેક્નોલોજીની મદદ લેનારાને દંડ ફટકારીને ગભરાવી મૂકવાનું વધુ સહેલું લાગે છે. આ મુદ્દે જાણકારોનું કહેવું છે કે, એક જ ઝાટકે સરહદી વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરવા સરકારને અત્યારે ભલે યોગ્ય ઉપાય લાગે, પરંતુ લાંબા ગાળે આ નીતિ 'વિધ્વંસક' પુરવાર થઇ શકે છે. અત્યારે જ સરહદી વિસ્તારોમાંથી લોકો ઘરબાર છોડીને શહેરો તરફ આવી રહ્યા છે. ભારતીય સેના પણ ઇચ્છે છે કે, સરહદી ગામો ખાલી ના થાય એ વ્યૂહાત્મક રીતે જરૂરી છે. આ વિસ્તારોમાં ડ્રોન વિના વિકાસ ના થાય એવું નથી, પરંતુ આકરા નિયમોના કારણે બેંકો, વીમા કંપનીઓ, વિદેશી રોકાણકારો અને અન્ય ખાનગી કંપનીઓ પણ એ વિસ્તારોમાં જવા તૈયાર નથી. આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ સર્વેક્ષણો કરાવ્યા વિના ધંધો શરૂ કરતી નથી. એટલે જ આપણે આવા ધડમાથા વિનાના નિયમોનો 'યોગ્ય રીતે' અમલ કરવાની જરૂર છે.

અમેરિકા, કેનેડા, યુ.કે. અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના અર્થતંત્રમાં પણ કૃષિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આ એક પણ વિકસિત દેશમાં કૃષિ અર્થતંત્રના ભોગે સંપૂર્ણ નો નો ફ્લાય ઝોન જાહેર કરાયા નથી. વિકસિત દેશોમાં કોમર્શિયલ ધોરણે કે મોજમજા ખાતર સરહદો નજીક ડ્રોન ઉડાવી શકતું નથી, પરંતુ ખેતીવાડીને  લગતા કામમાં આ નિયમો લાગુ પડતા નથી. અમેરિકાની અતિ સંવેદનશીલ ગણાતી મેક્સિકો સરહદે પણ નો ફ્લાઇંગ ઝોન નથી. અમેરિકા, ન્યૂઝીલેન્ડમાં તો લશ્કરી થાણા નજીક પણ નો ફ્લાઇંગ ઝોન નથી. અમેરિકામાં વૉશિંગ્ટન ડીસીમાં આવેલી સંસદ અને વ્હાઇટ હાઉસના ૨૫ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાવી શકાતું નથી એ વાત ખરી, પરંતુ એ વિસ્તારમાં પણ કોમર્શિયલ ડ્રોન પર તો પ્રતિબંધ નથી જ. ત્યાં ફક્ત મોજમજા માટે ડ્રોન ઉડાવી શકાતા નથી. આ તો કૃષિ અર્થતંત્રને લગતી વાત થઈ.
પાકિસ્તાન સાથે સરહદ વહેંચતા રાજ્યો

ઉત્તરપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલાત, ગેરકાયદે ભેલાણ કે અતિક્રમણના પુરાવા ભેગા કરવા તેમજ ગામડાં નજીક યોગ્ય અર્બન પ્લાનિંગ કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ શરૂ કરાયો છે. સરહદ નજીકના જિલ્લામાં આવેલી હોસ્પિટલોમાં ઝડપથી લોહી કે દવાઓ પહોંચાડવા પણ ડ્રોનની મદદ લેવાય છે. નો ફ્લાઇંગ ઝોનમાં વસતા લોકોને આ પ્રકારના લાભ પણ મળતા નથી. સરહદ નજીકના ભારતમાં રહેતો ખેડૂત બિન-સરહદી ભારતમાં રહેતા ખેડૂતથી વધુ ગરીબ છે અને નો ફ્લાય ઝોનના નિયમો તેને વધુ ગરીબ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં ભવિષ્યમાં સરહદી અને બિન-સરહદી ખેડૂતો વચ્ચે આર્થિક અસમાનતા વધુ ઊંચે જઇ શકે છે.

નો ફ્લાય ઝોનના નિયમોના કારણે કેટલા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે એ વિશે નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક ફાઇનાન્સ પોલિસીના રિસર્ચર દેવેન્દ્ર દામલે અને શુભો રોયે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વેક્ષણ કર્યું હતું. સૌથી પહેલાં તેમણે નો નો ફ્લાય ઝોનની આસપાસના ૫૦ કિલોમીટરના વિસ્તારનું સર્વેક્ષણ કર્યું. ત્યાર પછી એ વિસ્તારમાં કૃષિલાયક જમીનોનો શક્ય એટલો ચોક્કસ અંદાજ તૈયાર કર્યો અને ત્યાં કામ કરતા ખેડૂતો, ખેતમજૂરોનો ગણતરી કરીને અંદાજ મૂક્યો.

આ નિષ્ણાતોએ સાબિત કરી દીધું છે કે, નો ફ્લાય ઝોનના નિયમોમાં ઝડપથી સુધારા કરવા દેશહિતમાં છે.

21 March, 2018

ભારત વર્લ્ડ ક્લાસ ટેક કંપની કેમ ઊભી ના કરી શકે?


ઈન્ડિયન કલ્ચરમાં સફળતાનો માપદંડ એકેડેમિક એક્સલન્સ પર આધારિત છે. અહીં સફળતા એટલે ભણો, શીખો, પ્રેક્ટિસ કરો અને સારી જોબ લઈને સારું જીવન જીવો. અહીં પણ ઘણું ખરું સિંગાપોર જેવું જ છે. ભણો અને ભણો, સખત કામ કરો, એમબીએ કરો, તમારી પાસે મર્સીડિઝ હોવી જોઈએ, પણ ક્રિએટિવિટી ક્યાં છે? તમારું વર્તન પ્રેડિક્ટેબલ થઇ જાય ત્યારે ક્રિએટિવિટી ખતમ થઇ જાય છે. અહીં બધા જ સરખા છે...

એપલના કો-ફાઉન્ડર સ્ટિવ વોઝનિયાક ગયા મહિને નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા આવ્યા ત્યારે તેમણે આ વાત કરી હતી. કેટલાકે વોઝનિયાકના નિવેદનને વખોડયું, તો કેટલાકે ઓવર સિમ્પ્લિફિકેશન કરીને કોરસ ગાન શરૂ કર્યું કે, વોઝનિયાક ઈઝ રાઈટ. અહીં કોઇ રિસ્ક લેતું નથી, કોઈ એક્સપિરિમેન્ટ્સ કરતું નથી અને એ દિશામાં ખાસ કોઇ ડેવલપમેન્ટ પણ નથી... વગેરે વગેરે. વોઝનિયાકે મીડિયા સાથેની વાતચીતમાં ટેક્નોલોજી કંપનીઓના સંદર્ભમાં આ મુદ્દો ઉપાડયો હતો. એ પણ ખૂબ સાહજિકતાથી અને બિલકુલ કડવાશ વિના. તેમણે કહ્યું પણ ખરું કે, હું કંઈ પુરાતત્ત્વવિદ નથી. હું ભારતીય સંસ્કૃતિને સારી રીતે જાણતો નથી, પરંતુ ભારતીય ટેક કંપનીઓ કંઇ કાઠું કાઢી રહી હોય એવું મને દેખાતું નથી. અહીં મોટી કંપની કઇ છે, કદાચ ઇન્ફોસીસ? પરંતુ ઇન્ફોસીસમાં કશું ક્રાંતિકારી કામ નથી રહ્યું અને આ વાત હું પહેલાં પણ ત્રણ વાર કરી ચૂક્યો છું...

આ મુદ્દે વોઝનિયાકની ઝાટકણી કાઢીને આખા મુદ્દાનું ઓવર સિમ્પ્લિફિકેશન નથી કરવું. આપણને ખરેખર એવો સવાલ થવો જ જોઈએ કે, ભારતમાં ટેક્નોલોજી કંપનીઓ કેમ સફળ નથી થતી? માનવ જીવનને બદલી નાંખે એવી ટેક્નોલોજી લાવવામાં ભારત કેમ સરેઆમ નિષ્ફળ છે? અહીં આપણે આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.  

એપલ શરૂ કરી ત્યારે સ્ટિવ વોઝનિયાક અને સ્ટિવ જોબ્સ 

ભારતની ઈન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રા. લિ. જેવી મહાકાય આઈટી કંપનીઓનું ટેક્નોલોજીમાં પ્રદાન નહીંવત છે. વાત સાચી. છેલ્લાં કેટલાક સમયમાં આઈટી કંપનીઓના રિસર્ચ અને ઈનોવેશનના કારણે માણસના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે, પરંતુ ૨૦૧૭ના ફોર્ચ્યુન ૫૦૦ કંપનીની યાદીમાં ફક્ત સાત ભારતીય કંપની છે અને એમાંની ત્રણ પ્રાઈવેટ છે: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને રાજેશ એક્સપોર્ટ્સ. આ ત્રણમાંથી એકેયે ટેક્નોલોજી કંપની નથી. અહીં ટેક કંપનીનો અર્થ સમજવા જેવો છે. આ પ્રકારની કંપનીઓ માનવજીવનમાં ધરખમ ફેરફારો કરવા કોઇ ક્રાંતિકારી સંશોધન કરે છે, ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે અને એ માટે વધુને વધુ પૈસા ખર્ચે છે.

આવી કંપનીની વાત થાય એટલે સૌથી પહેલાં મગજમાં લેરી પેજ અને સર્ગેઇ બ્રિનની ગૂગલ કે બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટનું નામ દિમાગમાં આવે. ઇલોન મસ્કની ટેસ્લા પણ એવી જ કંપની છે. ઈન્ટરનેટની મદદથી આખું વિશ્વ માઉસની ક્લિક પર આપી દીધા પછી ગૂગલ ડ્રાઇવરલેસ કારથી લઇને એવા સંખ્યાબંધ પ્રોજેકટ્સ પર કામ કરે છે, જે માણસનું જીવન બદલી નાંખશે. માઇક્રોસોફ્ટ વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દિશામાં કામ કરી રહી છે. ટેસ્લા આખી દુનિયાનું ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવા તનતોડ મહેનત કરી રહી છે. ડેલ કમ્પ્યુટર્સ કે એપલે કન્ઝ્યુમર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે. એપલ પાસે તો ૯,૮૦૦ ડિઝાઇનિંગ પેટન્ટ છે. દુનિયાની ૪૧ ટકા પેટન્ટ તો એકલા અમેરિકા પાસે છે, ૨૮ ટકા સાથે જાપાન બીજા નંબર છે અને ત્રીજા નંબરે ૧૫ ટકા સાથે નાનકડું દક્ષિણ કોરિયા છે.

તો ભારતીય કંપનીઓ ક્યાં કાચી પડે છે? આ મુદ્દો સમજવા આપણે સિમ્પ્યુટરનું ઉદાહરણથી લઇએ. ભારતીય વિજ્ઞાની ડૉ. સ્વામી મનોહરની આગેવાનીમાં સાત વિજ્ઞાનીએ પર્સનલ કમ્પ્યુટરનો વિકલ્પ બની શકે એવું હેન્ડી કમ્પ્યુટર વિકસાવ્યું, જેનું નામ હતું સિમ્પ્યુટર. સિમ્પ્યુટર વિકસાવવા નવેમ્બર ૧૯૯૯માં સિમ્પ્યુટર ટ્રસ્ટ પણ બનાવાયું હતું. આ ટ્રસ્ટનો હેતુ જ સસ્તું કમ્પ્યુટર વિકસાવીને ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો હતો. બજારમાં આવતા જ ૫૦ હજાર સિમ્પ્યુટર વેચાઇ ગયા. કર્ણાટકે જમીનોના રેકોર્ડ તૈયાર કરવા, નાની લોનોનું દસ્તાવેજીકરણ કરવા અને છત્તીસગઢે ઇ-એજ્યુકેશન માટે સિમ્પ્યુરનો ઉપયોગ કર્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઓટોમોબાઇલ એન્જિનની ખામીઓ શોધવા અને ગોવાએ ખાણકામમાં ટ્રેકિંગ કરવા સિમ્પ્યુટરનો ઉપયોગ શરૂ કર્યો. અનેક રાજ્યોએ ટ્રાફિક ગુનો કરતા લોકોને શોધવા અને મેમો ફાડવા ટ્રાફિક પોલીસને સિમ્પ્યુટર આપ્યા. યુકે અને ઘાના વચ્ચે ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરમાં પણ સિમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો.

સ્ટિવ વોઝનિયાક ભારત આવ્યા ત્યારે

ટૂંકમાં, મની ટ્રાન્સફરથી લઈને દસ્તાવેજીકરણ અને વેધર, ખેડૂતોને મદદ કરવા કોમોડિટી પ્રાઈઝિંગ જેવા ક્ષેત્રમાં સિમ્પ્યુટરે ધમાકો મચાવી દીધો. આ સ્ટાઇલિશ ફૂલ્લી ટચસ્ક્રીન ગેજેટને 'ન્યૂયોર્ક ટાઇમ્સ'એ ૨૦૦૧નું 'કમ્પ્યુટર ટેક્નોલોજીની દુનિયાનું સૌથી મહત્ત્વનું ઇનોવેશન' ગણાવ્યું હતું. જોકે, શરૂઆતમાં મળતી અણધારી સફળતાથી જીવનભર સફળતા નથી મળ્યા કરતી. સિમ્પ્યુટરના સર્જકો પણ હોશિયાર જ હતા, તેમનો હેતુ સારો હતો પણ ૨૦૦૬માં સિમ્પ્યુટરનું ઉત્પાદન બંધ કરવું પડયું. કેમ ખબર છે? કારણ કે, તેમની પાસે ઉત્તમ ગુણવત્તા ધરાવતું હાર્ડવેર ઉત્પાદન કરવા મૂડી જ નહોતી. ભારતીયો ધર્મના નામે અબજોનું દાન કરે છે પણ રિસર્ચ-ઇનોવેશન માટે આપણા વિજ્ઞાનીઓ પાસે મૂડીનો સતત અભાવ હોય છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ખ્યાલ ધરાવતા સ્ટાર્ટ અપને વેન્ચર કેપિટલિસ્ટ મળતા નથી. ભલે પછી તે ગમે તેવા સોશિયો-ઇકોનોમિક પરિવર્તનો કરવા સક્ષમ હોય. આપણને ફક્ત ઇશ્વરમાં શ્રદ્ધા છે પણ જીવતા જાગતા માણસોમાં નહીં.

આ સ્થિતિમાં ઇનોવેશન કરીને માર્કેટમાં કેવી રીતે ટકી શકાય? ભારતની પણ એકેય કંપનીએ સિમ્પ્યુટરને બચાવવાનો પ્રયાસ ના કર્યા. આપણી કંપનીઓની 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી'ના ખયાલાત ગ્લોસી પેજમાં તૈયાર કરેલા એન્યુઅલ રિપોર્ટની રંગીન તસવીરોમાં કેદ છે. સિમ્પ્યુટર પ્રોજેક્ટની નિષ્ફળતા હજુયે પ્રસ્તુત છે. એક કંપનીને માર્કેટમાં ટકી રહેવા મૂડી જોઈએ અને સ્કિલ્ડ વર્કર્સનો ફોર્સ જોઇએ. જો એવું હોય તો જ પ્રોડક્ટમાં ક્રાંતિકારી સુધારા થઈ શકે. ભારતીય કંપનીઓના કર્તાહર્તાઓ આ સ્થિતિમાં ઘી હોમવાનું કામ કરે છે. તેઓ પશ્ચિમી દેશોના કોર્પોરેટ્સ કરતા પણ વધુ મની માઈન્ડેડ છે. આ લોકો સ્માર્ટ બિઝનેસના નામે રિસર્ચ કરતા નથી અને કરવા દેતા નથી. તેમને ઝડપી અને વધુ રિટર્ન જોઇએ છે. રિસર્ચ માટે કરાતો ફિઝુલ ખર્ચ તો કંપનીની બેલેન્સ શીટ બગાડવા બરાબર છે. ભારતીય કંપનીની જેમ, એક સરેરાશ ભારતીય પણ આવી જ માનસિકતા ધરાવે છે. આ લોકો પર શેરબજાર હાવી છે.

ભારતમાં ટેક કંપનીઓનો વિકાસ નહીં થવા માટે બીજું પણ એક મહત્ત્વનું કારણ છે. ભારતની આઝાદીને ફક્ત ૭૦ વર્ષ થયા છે અને આટલા વર્ષોમાં આપણી પાસે ખાસ કોઈ મૂડી ઊભી થઈ નથી. ઊલટાનું,  અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકા માર્યા પછી આપણને આઝાદી આપી હતી, જ્યારે પશ્ચિમના વિકસિત દેશો દાયકાઓથી જંગી મૂડી ઊભી કરી રહ્યા છે. ભારતની તો વસતી પણ સતત વધી રહી છે, જે બહુ જ મોટા મધ્યમ અને ગરીબ વર્ગને જન્મ આપી રહી છે. વસતીની સાથે મોંઘવારી પણ વધી રહી છે અને એટલે જ આપણા દેશમાં પૈસો સામાન્ય માણસને સુરક્ષાની ભાવના આપે છે. આપણું માળખું કુટુંબલક્ષી છે. ભારતનું સામાજિક માળખું પણ યુવાનોને ફક્ત 'સેટલ' થવાનું પ્રોત્સાહન આપે છે. વળી, સંતાનોને સારું ભણાવીને સેટલ કરવાની જવાબદારી માતા-પિતાની છે અને સંતાનો પાસે અપેક્ષા રખાય છે કે, તેઓ ઘડપણમાં મા-બાપની સારસંભાળ રાખે.

સ્વામી મનોહર સિમ્પ્યુટર સાથે 

એવી જ રીતે, પશ્ચિમના વિકસિત દેશોમાં નાગરિકોની મૂળભૂત ‘જવાબદારી’ સરકારો લે છે. તેઓ માટે 'પૈસો એ જ પરમેશ્વર' ના હોય એ સમજી શકાય છે. પૈસો સુખ નથી ખરીદી શકતો એ કિતાબી વાતો છે. વ્યાસપીઠ પર બેસીને આ પ્રકારના ઉપદેશો આપવા સહેલા છે, પરંતુ એક સામાન્ય માણસો આ બધી વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. ચપોચપ વેચાતા પુસ્તકો પર નજર કરી જોજો. આજના યુવાનોને ઝડપથી સફળ થવાની અને કરોડપતિ થવાની ટીપ્સ વધારે આકર્ષે છે.

આપણી યુનિવર્સિટીઓ પણ એ જડ સામાજિક માળખું તોડવામાં મદદ કરવાના બદલે રિસર્ચ, પ્રેક્ટિકલને નહીં પણ જોબ પ્લેસમેન્ટને મહત્ત્વ આપે છે. સ્કૂલોમાં ગૂગલ પર સર્ચ કરતા શીખી ગયા પણ 'ઇન્ફોર્મેશન પોલ્યુશન'ના જમાનામાં હીરા અને કાંકરા જુદા કરવાની દિશા યુનિવર્સિટીઓએ બતાવવાની હોય. જો કોઈ એન્જિનિયરો કંઈક નવું કરવા માંગતા હોય તો ભારતમાં તેમને યોગ્ય વાતાવરણ જ નથી મળતું, જેથી તેઓ વિદેશી કંપનીઓમાં કામ કરવા જતા રહે છે. જેમ કેગૂગલમાં સુંદર પિચાઇ. જો એ દુ:ખી થવા જેવી બાબત નથી તો ખુશ થવા જેવી બાબત પણ નથી જ. 'ટાઈમ્સ હાયર એજ્યુકેશન'ના યુનિવર્સિટી રેન્કિંગ રિપોર્ટ પ્રમાણે, ટોપ ૨૦૦ યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ-બેંગલુરુ જેવી ઈન્સ્ટિટટયુટનો નંબર પણ ૨૫૦થી ૩૦૦ની વચ્ચે આવે છે. આપણે બધી બાબતમાં ચીન સાથે સરખામણી કરીએ છીએ પણ ચીનની બે યુનિવર્સિટી ટોપ ૩૦૦માં છે અને સાત ટોપ ૨૦૦માં છે.

ભારતનો જીડીપી ૧૯૯૦ સુધી ચીનના જીડીપીના ૮૩ ટકા જેટલો હતો, જ્યારે ૨૦૧૧ સુધીમાં આ આંકડો ૪૩ ટકાએ પહોંચી ગયો હતો. ચીનને આ સફળતા રાતોરાત નથી મળી. ચીન સજ્જડ યુનિવર્સિટી સિસ્ટમ ઊભી કરવામાં સફળ રહ્યું હોય તો જ અલીબાબા, હ્યુઆવેઇ અને ટેન્સેન્ટ હોલ્ડિંગ જેવી કંપનીઓ ઊભી થઈ શકે. આ કારણસર ચીન વૈશ્વિક અર્થતંત્રમાં પણ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ચીન ભારતની જેમ ફક્ત 'બજાર' નથી પણ દાયકાઓથી મેન્યુફેક્ચરિંગ હબ છે. કદાચ એટલે જ ચીનના સ્કિલ્ડ વર્કર સારી રીતે જાણે છે કે, આજના જમાનાની જરૂરિયાત શું છે. જેમ કે, આઈ ફોનનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે. અમેરિકાની વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ચાઈનીઝ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ભારત કરતા બે ગણી છે. ગ્લોબલ ટેલેન્ટેડ વર્ક ફોર્સમાં ભારત કરતા ચીનની ભાગીદારી વધારે છે. ચીન પાસે ભારત કરતા અનેકગણા વધારે આંત્રપ્રિન્યોર છે, જે નોકરી કરવાનું નહીં નોકરીઓ કેવી રીતે ઊભી કરીએ એ દિશામાં વિચારે છે. ફોર્ચ્યુન ૫૦૦ યાદીમાં ચીનની ૧૧૫ કંપની છે.     

ખેડૂતોથી લઈને ટ્રાફિક પોલીસ પાસે સિમ્પ્યુટર 

આઝાદી પછીના સાત દાયકામાં ભારત તેની 'વૈવિધ્યસભર' મુશ્કેલીઓ સામે લડી લડીને ઘણું આગળ વધ્યું છે. એ માટે આપણા ખૂબ સમય અને પૈસા ખર્ચાયા છે, પરંતુ હવે ફક્ત ને ફક્ત મજબૂત શિક્ષણ પદ્ધતિ પાછળ સંપૂર્ણ શક્તિ ખર્ચવાનો સમય આવી ગયો છે. નવી નવી મુશ્કેલીઓ ઊભી કરીને દેશની મહામૂલી મૂડી વેડફવાનું આપણને પોસાય એમ નથી. આ વાત સમજવા રોકેટ સાયન્ટિસ્ટ નહીં પણ સજ્જ નાગરિક હોઇએ એટલું કાફી છે.

આશા રાખીએ કે, ભારતમાં ઝડપથી આ પરિવર્તનનો પવન ફૂંકાય અને એ જોવા વોઝનિયાક જીવતા હોય!