Showing posts with label વાઘ. Show all posts
Showing posts with label વાઘ. Show all posts

18 April, 2016

વ્હાઈટ ટાઈગર, સફેદ જૂઠ


રાજકારણીઓ રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા પ્રજાને કેવી રીતે ઉલ્લુ બનાવતા હોય છે અને મીડિયા પણ એ વાતોમાં કેવી રીતે આવી જતું હોય છે એનું વધુ એક તાજું ઉદાહરણ ત્રીજી એપ્રિલે જોવા મળ્યું. એ દિવસે દેશભરના મીડિયામાં 'મધ્યપ્રદેશમાં દેશનો પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક ખૂલ્લો મૂકાયો' કંઈક એવા મથાળા સાથેના સમાચારો છપાયા અને બતાવાયા. મધ્યપ્રદેશ સરકારના દાવા પ્રમાણે, સતના જિલ્લાના મુકુંદપુરમાં દેશનો પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક ખૂલ્લો મૂકાયો છે. એ વખતે કેટલાકને સવાલ થયો હશે કે, જો મુકુંદપુર પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક છે તો તેનાથી ૧૮ કલાકના અંતરે આવેલો ઓરિસ્સાનો નંદનકાનન વ્હાઈટ ટાઈગર નેશનલ પાર્ક શું છે એકરમાં પથરાયેલો ઓરિસ્સાનો નંદનકાનન ઝુલોજિકલ પાર્ક એક વિશિષ્ટ પ્રકારનું ઝૂ છે, જેની સાથે બોટનિકલ ગાર્ડન પણ જોડાયેલો છે અને તેનો અમુક હિસ્સો નેશનલ પાર્ક જાહેર કરાયો છે. હાલ આ ઝૂ તેમજ જંગલમાં ૪થી પણ વધારે સફેદ વાઘ છે. આ પાર્ક હજુયે ચાલુ છે. વર્ષેદહાડે વીસ લાખ લોકો આ પાર્કની મુલાકાત લે છે અને વ્હાઈટ ટાઈગર સફારીની પણ મજા માણે છે. ઓરિસ્સા પ્રવાસન વિભાગ પ્રવાસીઓને આકર્ષવા વર્ષોથી નંદનકાનન વ્હાઈટ ટાઈગર સફારી પાર્કની જાહેરખબરો કરે છે. તો પછી મધ્યપ્રદેશે આવો દાવો કેમ કર્યોતમને જાણીને નવાઈ લાગશે કે, ફક્ત રાજકારણીઓએ અંગત મહત્ત્વાકાંક્ષા સંતોષવા મુકુંદપુરને દેશનો પહેલો વ્હાઈટ સફારી પાર્ક બનાવી દીધો છે!

મધ્યપ્રદેશમાં વ્હાઈટ સફારી ટાઈગર પાર્ક ઊભો કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા જનસંપર્ક મંત્રી રાજેન્દ્ર શુક્લએ નિભાવી છે એવો 'સ્ક્રોલ' વેબસાઈટના અહેવાલમાં દાવો કરાયો છે. તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના વિશ્વાસુ મંત્રી છે. શુક્લને મધ્યપ્રદેશમાં વ્હાઈટ સફારી ટાઈગર પાર્ક ઊભો કરવામાં કેમ રસ પડયો એ વિગતે સમજીએ. મુકુંદપુરના ૨૫ હેક્ટર જંગલ વિસ્તારમાં સફેદ વાઘને વસાવવાના વિચાર સાથે મધ્યપ્રદેશ સરકારે ફેબ્રુઆરી ૨૦૧૨માં જ આ સૂચિત પાર્કનો પાયો નાંખ્યો હતો. એ પછી મધ્યપ્રદેશ જંગલ વિભાગે ઓરિસ્સાના નંદનકાનન ઝુલોજિકલ પાર્ક પાસે સફેદ વાઘ માગ્યા, પરંતુ ઓરિસ્સા સરકારે સફેદ વાઘ આપવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. છેવટે મુખ્યમંત્રી શિવરાજસિંહે ઓરિસ્સાના મુખ્યમંત્રી  નવીન પટનાયક પાસે લેખિતમાં સફેદ વાઘની માગ કરી. એ માગ પણ ફગાવી દેવાઈ. બીજી બાજુ, મધ્યપ્રદેશ મંત્રીમંડળના સભ્ય રાજેન્દ્ર શુક્લ કોઈ પણ ભોગે મધ્યપ્રદેશનું ગૌરવ પાછું અપાવવા માગતા હતા. શુક્લની આ માનસિકતાનું કારણ એ છે કે, તેમનો જન્મ રેવામાં થયો છે.

નંદનકાનન નેશનલ પાર્ક

મધ્યપ્રદેશ રેવા, ભોપાલ, ઈન્દોર, જબલપુર એમ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલું છે. આ દરેક વિભાગને જુદા જુદા જુદા જિલ્લામાં વહેંચી દેવાયા છે. જેમ કે, રેવા વિભાગના ચાર જિલ્લા છે- રેવા, સતના, સીધી અને સિંગરોલી. આ સમગ્ર રેવા પ્રદેશમાં એકાદ સદી પહેલાં સફેદ વાઘ વિચરતા હતા, જે સમયાંતરે નામશેષ થઈ ગયા અને રેવાની એ ગૌરવવંતી ઓળખ ભૂંસાઈ ગઈ. જોકે, પાડોશી રાજ્ય ઓરિસ્સામાં સફેદ વાઘ હતા એટલે શુક્લ જેવા અનેક 'પ્રદેશપ્રેમી' નેતાઓ દૃઢપણે માનતા હતા કે, રેવામાં પણ સફેદ વાઘ હોવા જ જોઈએ! મુકુંદપુર વ્હાઈટ ટાઈગર સફારી પાર્કનો પાયો નંખાયો ત્યારથી મધ્યપ્રદેશ સરકાર સફેદ વાઘ માટે ફાંફા મારતી હતી. છેવટે શિવરાજસિંહ ચૌહાણ અને રાજેન્દ્ર શુક્લની મહત્ત્વાકાંક્ષા 'ભાજપના ભાઇચારા'થી સંતોષાઈ.

ઓરિસ્સા સફેદ વાઘ આપવા ટસનું મસ થતું નહોતું એટલે મધ્યપ્રદેશે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ તરફ નજર દોડાવી. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. મધ્યપ્રદેશે આ રાજ્યો પાસે સફેદ વાઘ માગ્યા. આ વર્ષે મહારાષ્ટ્રે તેના ઔરંગાબાદ ઝૂમાંથી બે સફેદ વાઘ મધ્યપ્રદેશને સોંપ્યા અને ગયા વર્ષે ભીલાઈ સ્થિત મૈત્રીબાગ ઝૂમાંથી છત્તીસગઢે પણ મધ્યપ્રદેશને બે સફેદ વાઘ આપ્યા. હવે મુકુંદગઢના ૨૫ હેક્ટર વિસ્તારમાં ચાર સફેદ વાઘ વિચરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુકુંદપુરમાં આવી રીતે 'દેશનો સૌથી પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક' ખૂલ્લો મૂકાયો છે. આ પાર્ક ખૂલ્લો મૂકાયા પછી રાજેન્દ્ર શુક્લ હાથી પર બેસીને મુકુંદપુર સફારીની લટારે નીકળ્યા- એવા સ્થાનિક અખબારોમાં અહેવાલો છપાયા હતા.

મધ્યપ્રદેશ સરકારની સત્તાવાર વેબસાઈટ પર શુક્લના રસના વિષયોમાં 'ટ્રાવેલિંગ' નહીં પણ 'ટુરિઝમ'નો ઉલ્લેખ છે. આ લટાર માર્યા પછી તેમણે મીડિયાને કહ્યું હતું કે, અહીં વાઘ નથી દેખાતા એવી માન્યતા હવે ખોટી પડી રહી છે. હવે તો પ્રવાસીઓને પણ વાઘ દેખાવા લાગ્યા છે... ભારત દેશમાં આવું બધું કરીને પણ પ્રજાને ભોળવી શકાય છે અને મત ઉઘરાવી શકાય છે. આ ઘટનાની સૌથી રસપ્રદ વાત એ છે કે, મધ્યપ્રદેશે કરેલા દાવામાં આખો દેશ છેતરાઈ ગયો છે! દરેક નાની-મોટી વાતમાં ટ્વિટર પર ટ્રોલ કરતા હરખપદૂડાઓએ પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના આ ટ્વિટરિયા દાવા સામે સવાલો નહોતા કર્યા.

મધ્યપ્રદેશમાં સફેદ વાઘ લાવવાનો નિર્ણય સંપૂર્ણ રાજકીય છે એનો વધુ એક પુરાવો જોઈએ. બે વર્ષ પહેલાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ પણ મધ્યપ્રદેશ સરકારની મુકુંદપુરમાં સફેદ વાઘ વસાવવાની અરજી ફગાવી દીધી હતી કારણ કે, બીજા પ્રાણીઓની જેમ સફેદ વાઘનું સંવર્ધન કરી શકાતું નથી. ભારતના મોટા ભાગના વાઈલ્ડ લાઈફ નિષ્ણાતો સફેદ વાઘનું કૃત્રિમ ગર્ભાધાન કરાવીને તેનો ઉછેર કરવાના વિરોધી છે. સફેદ વાઘમાં એક જ પરિવારનું અંદરોદર કૃત્રિમ સમાગમ કરાવવાથી કિડનીની ખામી અને કરોડરજ્જુની જન્મજાત મુશ્કેલી ધરાવતા સફેદ વાઘ જન્મે છે. આ પ્રકારના વાઘ ફક્ત સુશોભનના નમૂના તરીકે સારા હોય છે. અમેરિકામાં દાયકાઓથી વાઈલ્ડ લાઈફ બ્રિડર સફેદ વાઘનું સંવર્ધન કરાતું હતું. એ લોકોનો એકમાત્ર હેતુ સફેદ વાઘ વેચીને પૈસા કમાવવાનો હતો. જોકે, અમેરિકન ઝુલોજિકલ એસોસિયેશને વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવીને તારણ કાઢ્યું છે કે, સફેદ વાઘનું કૃત્રિમ રીતે સંવર્ધન કરવાથી તેમનામાં વિકૃતિ આવે છે અને જેમ જેમ કૃત્રિમ રીતે તેમની સંખ્યા વધારીએ છીએ એમ તેઓ નબળા પડતા જાય છે. આ કારણસર વર્ષ ૨૦૦૮થી અમેરિકાએ પણ સફેદ વાઘના સંવર્ધન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જોકે, ભારતમાં સૌથી પહેલાં સફેદ વાઘનો જન્મ કુદરતી રીતે થયો હતો. ડિસેમ્બર ૧૯૧૫માં રેવાના મહારાજા ગુલાબ સિંહને બે વર્ષનો સફેદ બાળ વાઘ મળ્યો હતો, જેને મહારાજાએ પાંચ વર્ષ સુધી મહેલમાં ઉછેર્યો. આ વાઘના મૃત્યુ પછી મહારાજાએ બ્રિટીશ રાજ પ્રત્યેની વફાદારીની પ્રતીકાત્મક ભેટ તરીકે તેનું મમી ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાને મોકલ્યું હતું. એ ઘટનાના ૩૬ વર્ષ પછી મહારાજા ગુલાબસિંહના પુત્ર માર્તંડસિંહ જુદેવે ૨૭મી મે, ૧૯૫૧ના રોજ એક સફેદ વાઘ પકડ્યો. એ વાઘને મહારાજાએ 'મોહન' નામ આપ્યું હતું. આજેય દેશભરમાં અનેક લોકો પહેલો સફેદ વાઘ મોહન હોવાનું માને છે પણ એ ભૂલ છે. અત્યારના બધા જ રોયલ બેંગાલ વ્હાઈટ ટાઈગરનો 'પિતા' મોહન હોવાથી એ ગેરસમજ થઇ હોઇ શકે છે. મોહનનો રાધા નામની વાઘણ સાથે સમાગમ કરાવાયો એ પછી ૩૦મી ઓક્ટોબર, ૧૯૫૮ના રોજ ચાર સફેદ વાઘનો જન્મ થયો હતો.

નિષ્ણાતોનો દાવો છે કે, એક સમયે ભારતમાં કુદરતી રીતે જન્મેલા સફેદ વાઘની ઘણી વસતી હશે કારણ કે, વર્ષ ૧૯૨૦થી ૧૯૩૦ વચ્ચે ફક્ત બિહારમાં જ ૧૫ સફેદ વાઘનો શિકાર કરાયો હતો. આ તો બહુ જૂની વાત થઈ. એ પછી વર્ષ ૧૯૮૦માં ઓરિસ્સાના નંદનકાનન ઝુલોજિકલ પાર્કમાં ત્રણ સફેદ વાઘ જન્મ્યા હતા. આ ત્રણેય સફેદ વાઘના પિતા દીપક અને માતા ગંગા કેસરી વાઘ હતા. આપણે જેને બેંગાલ ટાઈગર તરીકે ઓળખીએ છીએ એ પ્રજાતિના વાઘમાં ફિયોમેલેનિન નામના રંગદ્રવ્યની ઉણપ હોય ત્યારે સફેદ વાઘ જન્મે છે. (અહીં રોયલ બેંગાલ વ્હાઈટ ટાઈગરની વાત થઈ રહી છે, પણ એ સિવાયની પ્રજાતિમાં પણ સફેદ વાઘ જોવા મળે છે.) એટલે કે, સફેદ વાઘ એ કોઈ અલગ પ્રજાતિ નહીં પણ કુદરતી ખામીથી જન્મેલા વાઘ છે. માતા-પિતાના જનીનિક કોડમાં ખાસ પ્રકારનું મેચિંગ થાય ત્યારે ભ્રૂણમાં એ રંગદ્રવ્યની ખામી સર્જાય છે અને સફેદ વાઘ જન્મે છે. આશરે દસ હજારે માંડ એકવાર આવો કિસ્સો જોવા મળે છે.

ખેર, ઓરિસ્સાના પ્રવાસન ઉદ્યોગમાં નંદનકાનનના સફેદ વાઘ ઘણાં મહત્ત્વના છે. શું આ વાતથી મધ્યપ્રદેશ સરકાર કે તેના જંગલ વિભાગના અધિકારીઓ અજાણ હોઈ શકેઆ સફેદ જૂઠ માટે શિવરાજસિંહ ચૌહાણ સરકારને ખરેખર દાદ આપવી પડે!

17 September, 2015

ભુતાનનું અનોખું 'વાઘ બચાવો અભિયાન'


શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ભુતાનમાં પણ વાઘની સારી એવી વસતી છે? દરિયાઈ સપાટીથી સાત હજાર મીટર (૨૩ હજાર ફૂટ) ઊંચા ભુતાન જેવા નાનકડા પહાડી દેશમાં ઝડપથી લુપ્ત થઈ રહેલા વાઘ મોજથી વિચરતા હોય એ પ્રકૃતિપ્રેમીઓ માટે ખરેખર રોમાંચક વાત છે. સપ્ટેમ્બર ૨૦૧૦માં બીબીસીના નેચરલ હિસ્ટરી યુનિટે ત્રણ ભાગમાં 'લોસ્ટ લેન્ડ ઓફ ધ ટાઈગર' નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં બીબીસીએ દાવો કર્યો છે કે, ''ભુતાનમાં દરિયાઈ સપાટીથી આશરે ૪,૧૦૦ મીટર ઊંચાઈ પર વાઘની સારી એવી વસતી હોવાના અમને પુરાવા મળ્યા છે...'' આ સમાચાર પશ્ચિમી દેશો માટે ખરેખર નવા હતા. પશ્ચિમી દેશોના વિજ્ઞાનીઓ તો ઠીક, ભારતમાં વાઘ બચાવવા આટઆટલા ધમપછાડા કરાતા હોવા છતાં ભુતાને વાઘની વસતી કેવી રીતે વધારી હતી, એ વાત ભારત સરકાર પણ જાણતી ન હતી. ભુતાન સરકારે આ વર્ષે ૨૯મી જુલાઈ-વૈશ્વિક વાઘ દિવસે વાઘની વસતીના તાજા આંકડા જાહેર કરતા કહ્યું છે કે, ભુતાનમાં અત્યારે ૧૦૩ વાઘ છે. અગાઉના અંદાજ પ્રમાણે આ આંકડો ૭૫ હતો. હા એ અંદાજ હતો. જોકે, આ વખતે ભુતાનના વિજ્ઞાનીઓએ જંગલોમાં રઝળપાટ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાઘની સંખ્યા નોંધી છે. ભુતાને વાઘ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ બચાવવા જે કોઈ પ્રયાસ કર્યા છે તે ખરેખર કાબિલેદાદ છે.

બીબીસીએ ભુતાનમાં વાઘની હાજરી હોવાના 'એક્સક્લુસિવ' સમાચાર આપ્યા પછી ભુતાનની રાજાશાહી સરકાર અને સ્થાનિક વિજ્ઞાનીઓ ગુસ્સે થયા હતા. ભુતાનનું કહેવું હતું કે, ભુતાનના જંગલોમાં રહેતા વાઘોનું અમે નિયમિત રીતે દસ્તાવેજીકરણ કરીએ છીએ. અહીં વાઘ છે એ પશ્ચિમના મોટા ભાગના વિજ્ઞાનીઓ માટે નવી વાત હશે, અમારા માટે નહીં... એવું નહોતું કે, ભુતાનમાં વાઘની હાજરી વિશે પશ્ચિમનો એકેય વિજ્ઞાની કશું જાણતો જ ન હતો, પણ આ વાત ખૂબ જ ઓછી જાણીતી હતી. વાઘ સહિતની જીવસૃષ્ટિના સંવર્ધન માટે નાનકડું ભુતાન શું કરે છે એ દિશામાં પણ પશ્ચિમના વિજ્ઞાનીઓ અજાણ હતા. બીજી તરફ, ભુતાન પણ આવા કોઈ મુદ્દે ગાઈવગાડીને કશું કહેતું નહોતું. બીબીસીની દસ્તાવેજી ફિલ્મોનો વિવાદ સામાન્ય હોવાથી ખૂબ ઝડપથી ભુલાઈ ગયો પણ તેની અસર ભુતાન અને પશ્ચિમી વિજ્ઞાનીઓના આદાનપ્રદાન પર પડી. ભુતાનને વાઘની વસતી ગણતરી કરવામાં વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ તકનિકી અને આર્થિક મદદ આપે છે. આમ છતાં, એ ઘટના પછી ભુતાને વાઘની વસતી ગણતરી કરવા સહિતના કોઈ પણ પર્યાવરણીય કામમાં એક પણ પશ્ચિમી દેશ કે પશ્ચિમી વિજ્ઞાનીની મદદ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ભુતાન જેવો રાજાશાહી શાસન વ્યવસ્થા ધરાવતો નાનકડો દેશ હાઈ પ્રોફાઈલ પશ્ચિમી મીડિયાને શંકાથી જોતો હોય એના અનેક કારણો હોઈ શકે છે.


ભુતાનની પારો વેલીમાં 900 મીટર ઊંચાઈએ ખીણની ધાર પર આવેલો તાકસાંગ ગોએમ્બા (ટાઈગર્સ નેસ્ટ) નામનો બૌદ્ધ મઠ


હવે સૌથી મોટો સવાલ એ છે કે, ભારત જેવો દેશ પણ વાઘની વસતી વધારતા હાંફી ગયો છે ત્યારે  ભુતાનમાં વાઘની વસતી વધી કેવી રીતે? વિશ્વ પર્યાવરણીય સમસ્યાઓની 'ફક્ત ચિંતા' કરતું હતું ત્યારથી ભુતાને 'જંગલોના ભોગે કશું નહીં'ની નીતિ બનાવી હતી. છેક ૧૯૭૦માં ભુતાનના લોકતાંત્રિક નેતાઓએ બંધારણીય ફેરફારો કરીને જાહેર કર્યું હતું કે, ભુતાનની ઓછામાં ઓછી ૬૦ ટકા જમીન પર ફરજિયાત જંગલો હોવા જોઈએ. ભુતાને આ લક્ષ્યાંક દસ ટકા વધારા સાથે હાંસલ કર્યું છે. ભુતાન ક્યારેય ભારત કે ચીન જેવી 'હરણફાળ' ભરવા નથી માંગતું. ભુતાનમાં ચકાચૌંધ થઈ જવાય એવા બહુમાળી મકાનો, રસ્તા અને પુલો નથી. ભુતાનમાં ‘ગ્રાહકવાદ’નો અભાવ હોવાથી આર્થિક નિષ્ણાતો તેને 'અલ્પવિકસિત' દેશ કહી શકે છે, પણ ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ભુતાન અવ્વલ છે. એંશીના દાયકામાં ભુતાનને ગરીબ દેશોની યાદીમાં પણ મૂકાતું હતું. વર્ષ ૨૦૦૬માં 'બિઝનેસ વિકમેગેઝિને એક સર્વેક્ષણ કરીને ભુતાન વિશ્વનો સૌથી સુખી દેશ હોવાનું નોંધ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૨૦૦માં આખી દુનિયાનો જીડીપી ઘટી રહ્યો હતો ત્યારે, ભુતાનનો જીડીપી ૧.૪ ટકાના દરે વધ્યો હતો. જોકે, આ પ્રકારના આંકડાથી આખા દેશની પ્રજા કેટલી સુખી છે તે જાણી શકાતું નથી. આ સ્થિતિનો વિચાર કરીને વર્ષ ૧૯૭૨માં ભુતાનના રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકે 'ગ્રોસ નેશનલ હેપ્પીનેસ'નો વિચાર આપ્યો હતો. રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકનું માનવું હતું કે, આપણે પશ્ચિમની જેમ ભૌતિકવાદના ગુણગાન ગાતું નહીં પણ એવા અર્થતંત્રનું નિર્માણ કરવું છે, જે બૌદ્ધવાદના પાયા પર ઊભેલી ભુતાનની આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું હોય.

ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સ માપવાના ચાર મુખ્ય માપદંડ છે. ૧. સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે એવો વિકાસ જેનાથી ભવિષ્યમાં નુકસાન ના થાય અને માનવજાત પર ખતરો તોળાયેલો ના રહે. ૨. પ્રિઝર્વેશન એન્ડ પ્રમોશન ઓફ કલ્ચરલ વેલ્યૂઝ એટલે કે સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન અને તેને પ્રોત્સાહન. ૩. કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્વાયર્મેન્ટ એટલે કુદરતનું સંવર્ધન. ૪. ગુડ ગવર્નન્સ એટલે કે યોગ્ય શાસનવ્યવસ્થા. ભુતાન છેલ્લાં ચાર દાયકાથી પણ વધુ સમયથી રાષ્ટ્રીય આયોજન અને નીતિવિષયક નિર્ણયોમાં આ ચારેય માપદંડને ગંભીરતાથી લઈ રહ્યું છે. ભુતાન મકાનો બાંધે અથવા કુદરતી સ્રોતોનો ઉપયોગ કરે ત્યારે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એનું ધ્યાન રાખે છે. ભુતાનની જમીનનો ચોથો ભાગ રક્ષિત એટલે કે નેશનલ પાર્ક જેવા કડક નીતિનિયમો હેઠળ આવરી લેવાયો છે. આ પ્રકારના રક્ષિત વિસ્તારો સાથે એક જમીન માર્ગ જોડાયેલો છે, જેને બાયોલોજિકલ કોરિડોર નામ અપાયું છે. આ બાયોલોજિકલ કોરિડોરનો વાઘ જેવા પ્રાણીઓ અવરજવર માટે ઉપયોગ કરતા હોવાથી ભુતાને તેને પણ રક્ષિત જાહેર કરી છે. આ બાયોજિકલ કોરિડોર દેશની જમીનનો નવ ટકા હિસ્સો આવરી લે છે.

ભુતાને ઉત્તરીય હિમાલયની દુર્ગમ બર્ફીલી પર્વતમાળાઓથી લઈને તળેટી સુધીના ગીચ ઉષ્ણકટિબંધીય (ગરમ, ભેજવાળા) જંગલોમાં આપબળે સર્વેક્ષણ કરીને ૧૦૩ વાઘ હોવાનું નોંધ્યું છે. રસપ્રદ વાત એ છે કે, અહીંના જંગલોમાં ભુતાન સરકાર દાવો કરે છે એના કરતા વધારે, આશરે ૧૧૫થી ૧૫૦ જેટલા વાઘ હોઈ શકે છે, એવી જાણકારો શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ વાઘોમાં ૮૦ ટકા જેટલા વાઘ પુખ્તવયના છે. અહીંના જંગલોમાં વાઘ સહિત બિલાડી વર્ગના બીજા પણ પાંચ પ્રાણીઓનો વસવાટ છે, જેમાં ગોલ્ડન કેટ, માર્બલ્ડ કેટ, લેપર્ડ કેટ, ક્લાઉડેડ લેપર્ડ અને કોમન લેપર્ડનો સમાવેશ થાય છે. ભુતાનમાં સ્નો લેપર્ડ અને ક્લાઉડેડ લેપર્ડનો વસવાટ છે એ વાત નવી નથી પણ અહીં બિલાડી વર્ગના આટલા બધા પ્રાણીઓ પણ મોટા પ્રમાણમાં વસે છે એ પશ્ચિમી વિજ્ઞાનીઓને રોમાંચક લાગે છે. વળી, બૌદ્ધ ધર્મના પ્રભાવના કારણે પ્રાણીઓને સ્થાનિકોથી શિકારનો ઓછામાં ઓછો ખતરો છે. આમ, વાઘને પણ બૌદ્ધ ધર્મનું આડકતરું રક્ષણ મળ્યું છે. જંગલો સાચવવાથી ભુતાનને લાંબા ગાળાના લાભ મળ્યા છે. અહીંની નદીઓ અને હવા પણ શુદ્ધ છે. સ્વિત્ઝર્લેન્ડની ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર કહે છે કે, ભુતાન પ્રોએક્ટિવ કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ છે.

જીવવિજ્ઞાનની ભાષામાં વાઘ 'અમ્બ્રેલા સ્પીસિસ' તરીકે ઓળખાય છે. વાઘનું જ ઉદાહરણ લઈને સીધીસાદી ભાષામાં કહીએ તો, વાઘ હરણનો શિકાર કરે છે. હરણ ઘાસ-પાંદડા વગેરે ખાય છે. આ પ્રકારની વનસ્પતિ પક્ષીઓ, ઉંદરો, પતંગિયા અને અન્ય સસ્તન પ્રાણીઓની મદદથી પરાગાધાન કરીને વિકસે છે. જો વાઘ હોય તો જ હરણોની વસતી કાબૂમાં રહે અને હરણો હોય તો વનસ્પતિની વસતી કાબૂમાં રહે. કોઈ કૃત્રિમ હસ્તક્ષેપ વિના વનસ્પતિ કુદરતી રીતે વિકસે તો બીજા નાના-મોટા પ્રાણીઓની વસતી પણ કાબૂમાં રહે. જીવવિજ્ઞાન કહે છે કે, વાઘ જેવા અમ્બ્રેલા સ્પીસિસ આડકતરી રીતે અન્ય જીવસૃષ્ટિનું પણ રક્ષણ કરે છે. ટૂંકમાં આ પોષણકડી બહુ જ ગૂઢ રીતે પરસ્પર જોડાયેલી હોય છે, જેમાં ભંગાણ પડવાથી સમગ્ર પર્યાવરણને નુકસાન થાય છે. ભુતાને વાઘ પર ધ્યાન કેન્દ્રિત કરીને બીજા પણ અનેક પ્રાણીઓનું આડકતરી રીતે સંવર્ધન કર્યું છે. અત્યારે વિશ્વમાં આશરે ૫,૧૪૮ જેટલા વાઘ છે, જે એશિયાના ૧૪ દેશોમાં ફેલાયેલા છે. ભારત ૨,૨૨૬ વાઘ સાથે વિશ્વમાં પહેલા નંબરે છે. એ પછી રશિયા, મલેશિયા, બાંગલાદેશ, નેપાળ, મ્યાંમાર અને ભુતાન જેવા દેશોનો નંબર આવે છે.

ભુતાનનો ગ્રોસ ડોમેસ્ટિક હેપ્પીનેસ ઈન્ડેક્સ ઊંચો છે એનો અર્થ એ નથી કે, ત્યાં બધાને 'બુદ્ધત્વ' પ્રાપ્ત થઈ ગયું છે. ભુતાનમાં બંધારણીય રાજાશાહી હોવા છતાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. અહીં બેકારી વધી છે અને નોકરીના અભાવે યુવાનોમાં અસંતોષ વધી રહ્યો છે. ભુતાનનો હેપ્પીનેસ ઈન્ડેક્સ વિશ્વભરમાં સ્વીકૃત હોવા છતાં આર્થિક નિષ્ણાતો તેને 'વિકાસશીલ'ના ખાનામાં જ મૂકી રહ્યા છે. ભુતાનમાં વર્ષ ૧૯૯૯ સુધી ટેલિવિઝન અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ હતો કારણ કે, રાજાશાહીને ડર હતો કે, ટેલિવિઝન ભુતાનના મૂલ્યો ખતમ કરી નાંખશે. એ રીતે પણ ભુતાનના લોકો વિશ્વ કરતા પાછળ છે.

શાસનવ્યવસ્થાની ખામીઓ (રાજાશાહીની નહીં)ના કારણે ભુતાનમાં આવી કેટલીક મુશ્કેલીઓ છે, પરંતુ જ્યાં સુધી 'ટકાઉ વિકાસ'ની વાત છે ત્યાં સુધી ભુતાન બિલકુલ યોગ્ય દિશામાં જઈ આગળ વધી રહ્યું છે.