Showing posts with label Language. Show all posts
Showing posts with label Language. Show all posts

02 May, 2018

થરૂરનું શબ્દ ભંડોળઃ લાલોચેઝિયા, વેબકૂફ અને રોડોમોન્ટેડ


શશી થરૂરની ટ્વિટમાં ફરી એક નવો શબ્દ વાંચવા મળ્યો. Lalochezia-લાલોચેઝિયા. એટલે શું? કોઈ વ્યક્તિ પીડા ભૂલવા, તણાવ દૂર કરવા કે હલકોફૂલકો થવા બિભત્સ શબ્દોનો ઉપયોગ કરે-ગાળાગાળી કરે તેને ‘લાલોચેઝિયા’ કહેવાય. થરૂરે એ મતલબની ટ્વિટ કરી હતી કે, ''ટ્વિટર પર રોજેરોજ મને લાલોચેઝિયાથી પીડાતા લોકો ભટકાય છે. આ લોકો હંમેશા મારા અને મારા વિચારો સાથે સહમત હોય એવા લોકો પર પોતાનો રોષ ઠાલવે છે...'' 

એ ટ્વિટ પછી હંમેશાની જેમ ટ્વિટર પર ફની વન લાઇનર્સ અને મીમ ઠલવાયા. કોઈએ કહ્યું કે, તમારે ટ્વિટર પર 'વર્ડ ઓફ ધ ડે' શરૂ કરવું જોઈએ, તો કોઇએ એ મતલબની કમેન્ટ પણ કરી કે, નેવુંના દાયકાના બાપુજી શબ્દ ભંડોળ વધારવા ડિક્શનરીમાંથી રોજ એક શબ્દ મોઢે કરવાનું કહેતા, જ્યારે આજે ટ્વિટર પર શશી થરૂરને ફોલો કરવાની સલાહ અપાય છે... 

થરૂરની અંગ્રેજી ભાષા પરની પકડ અને શબ્દ ભંડોળ બ્રિટીશરોને પણ લઘુતાગ્રંથિ થાય એવું છે. શું છે એનું રહસ્ય? આ સવાલનો ટૂંકો જવાબ છે, 'રીડર્સ ડાઇજેસ્ટ'.

***

થરૂરને નાનપણમાં 'રીડર્સ ડાઇજેસ્ટ' જેવું ઉત્તમ મેગેઝિન વાંચવાનું વ્યસન હતું. આ મેગેઝિન તેની તાજા અને વૈવિધ્યસભર વિષયો પરની કોલમ્સ, ઈન્ટરવ્યૂઝ, સત્ય ઘટનાઓ અને જોક્સની સાથે અંગ્રેજી ભાષાના વ્યાકરણ અને શબ્દોને લગતી માહિતી માટે આજે પણ દુનિયાભરમાં લોકપ્રિય છે. આશરે ૯૬ વર્ષ પહેલાં પાંચમી ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ ડે-વિટ વૉલેસ અને લીલા એચિસન વૉલેસ નામના અમેરિકન દંપતિએ 'રીડર્સ ડાઇજેસ્ટ'નો પહેલો અંક બહાર પાડ્યો હતો. મેગેઝિનની દુનિયામાં દાયકાઓ સુધી એકહથ્થું શાસન ભોગવનારું 'રીડર્સ ડાઇજેસ્ટ' એક સમયે ૨૧ ભાષામાં, ૪૯ આવૃત્તિ થકી ૭૦ દેશના કરોડો વાચકો પર રાજ કરતું. અનેક ઉતારચઢાવ પછી આ મેગેઝિન આજેય ૧૯ ભાષામાં, ૪૮ આવૃત્તિ થકી ૬૦ દેશના દસ કરોડ વાચકો સુધી પહોંચી રહ્યું છે.

‘રીડર્સ ડાઇજેસ્ટ’ શરૂ કરનારું દંપત્તિ ડે-વિટ વૉલેસ અને લીલા એચિસન વૉલેસ

શશી થરૂર 

વૈશ્વિક લોકચાહના મેળવનારા આ મેગેઝિનની ભારતીય આવૃત્તિ શરૂ કરવાનું શ્રેય થરૂર પરમેશ્વરનને જાય છે. થરૂર પરમેશ્વરન એટલે શશી થરૂરના પિતા ચંદ્રન થરૂરના મોટા ભાઈ. ભારતમાં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની આવૃત્તિ શરૂ કર્યા પછી થરૂર પરમેશ્વરને વર્ષો સુધી તેના તંત્રી, પ્રકાશક અને મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા બખૂબી ભજવી. આઝાદી પછીના ભારતમાં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની શરૂઆતથી જ ૪૦ હજાર જેટલી નકલો ખપી જતી. ૨૦૦૮માં કરાયેલા સર્વે પ્રમાણે, ભારતમાં રીડર્સ ડાઇજેસ્ટનો માસિક ફેલાવો છ લાખ નકલનો હતો, જ્યારે ઈન્ડિયન રીડરશિપ સર્વે મુજબ, ૨૦૦૯માં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની રીડરશિપ ચાળીસ લાખથી પણ વધુની હતી.

થરૂર પરમેશ્વરનને નિવૃત્તિ લીધા પછી શશી થરૂરના પિતા ચંદ્રન થરૂરે પાંચ વર્ષ સુધી (૧૯૮૦-૮૫ ) 'રીડર્સ ડાઇજેસ્ટ'ના એડવર્ટાઇઝિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી. રસપ્રદ વાત એ છે કે, થરૂર પરિવારમાં આ મેગેઝિનની એક પણ નકલ ફ્રીમાં નહોતી આવતી. થરૂર બંધુઓ સિદ્ધાંતવાદી હતા. ચંદ્રન થરૂરે પણ 'રીડર્સ ડાઇજેસ્ટ'નું લવાજમ ભરવું પડ્યું હતું, પરંતુ તેનો સૌથી વધારે લાભ કદાચ નાનકડા શશીએ લીધો હતો. શશી થરૂર નાનપણથી અસ્થમાનો ભોગ બન્યા હોવાથી ઘર બહાર રમવા બહુ જતા નહીં, અને, તેમનો આખો દિવસ ચાર દીવાલો વચ્ચે વીતી જતો. એટલે કંટાળો દૂર કરવા તેમની પાસે ફક્ત એક જ ઉપાય હતો, વાંચન. શશી થરૂર કહે છે કે, 'એ વખતે કમ્પ્યુટર, વીડિયો ગેમ્સ અને સ્માર્ટફોન હતા નહીં. મારી પાસે ફક્ત એક જ વસ્તુ હતી, પુસ્તકો. અને હું એ ખૂબ ઝડપથી વાંચી કાઢતો. એ પછી કંઈક નવું શીખવા-સમજવા અથવા ચેન્જ કે મનોરંજન માટે મારા પાસે એક જ સ્રોત બચતો, મેગેઝિન્સ...'


ચંદ્રન થરૂર અને બાજુમાં તેઓ પત્ની લીલી સાથે 




થરૂર તેમની ટ્વિટમાં નવા શબ્દનો ઉપયોગ કરે પછી ગૂગલ પર તેના વિશે વિશે સર્ચ કરનારાની સંખ્યામાં અચાનક વધારો થઈ જાય છે. જોકે, આ વખતે તેમણે પોતે જ 'લાલોચેઝિયા' શબ્દનો અર્થ શું થાય એ વિશે સ્ક્રીન શોટ મૂક્યો હતો. શશી થરૂરના પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ પછી જાણીતા પત્રકાર અર્નબ ગોસ્વામી  તેમના પર 'કંઈક છુપાવવાનો' આરોપ મૂકતા હતા. આ આક્ષેપબાજીનો જવાબ આપતા થરૂરે ટ્વિટ કરી હતી કે, “Exasperating farrago of distortions, misrepresentations & outright lies being broadcast by an unprincipled showman masquerading as a journalist.” આ ટ્વિટ પછી સ્વાભાવિક રીતે જ ટ્વિટર પર મસ્તીભરી ટ્વિટ્સ અને મીમનું વાવાઝોડું ફૂંકાયું. આ ટ્વિટમાં થરૂર શું કહેવા માંગે છે એ સમજવા પહેલાં તેમણે વાપરેલા અંગ્રેજી શબ્દોનો અર્થ જોઈએ. ' Exasperating-ઇક્ઝાસ્પરેટિંગ' એટલે ખૂબ તીવ્રતાપૂર્વક ચીડવવું. ' Farrago-ફ્રાગો' એટલે મૂંઝવણ થાય એવી ભેળસેળ, જ્યારે  'Masquerading-માસ્કરેડિંગ એટલે કંઈક હોવાનો ડોળ કરવો. આ ટ્વિટમાં થરૂર અર્નબ ગોસ્વામીને 'પત્રકાર હોવાનો ડોળ કરતો સિદ્ધાંતવિહોણા શૉમેન' કહ્યા હતા. બાકીની ટ્વિટમાં થરૂર શું કહેવા માંગે છે, એ જાતે સમજી લેજો, પ્લીઝ.  

ટેલિવિઝન કે ઇન્ટરનેટ મીડિયા પર આવતી બધી માહિતીને સાચી માની લેતા લોકો માટે એક શબ્દ છે, 'Webaqoof-વેબકૂફ'. 'બેવકૂફ' પરથી જ 'વેબકૂફ'. આ શબ્દ પણ ટ્વિટર જગતમાં થરૂરે જ ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાંચવા મળતી તમામ માહિતીને સાચી માનીને ટ્રોલ (ઝૂડી કાઢવું) કરતા લોકો માટે થરૂરે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આવા શબ્દોને અંગ્રેજીમાં ' Slang-સ્લેન્ગ' કહેવાય. 'સ્લેન્ગ' એટલે સામાન્ય રીતે ફક્ત બોલચાલની ભાષામાં વપરાતા અશિષ્ટ શબ્દો. આવા શબ્દો ડિક્શનરીમાં ના પણ હોય. અંગ્રેજી સહિતની દરેક ભાષામાં આ પ્રકારના શબ્દો હોય છે. જેમ કે, ગુજરાતીમાં 'સમજ્યા હવે' અથવા 'હમજ્યા હવે'. 'જો બકા' એ પણ એક સ્લેન્ગ છે.

જો બકા, આ પ્રકારના શબ્દોનો બીજી ભાષામાં અનુવાદ શક્ય નથી, અને, મારી-મચડીને કરીએ તો તેમાં રહેલો ભાવ ખતમ થઈ જાય છે. થરૂર આવા અંગ્રેજી સ્લેન્ગ પર પણ જબરી પકડ ધરાવે છે. થોડા સમય પહેલાં થરૂરે 'વર્ડ ઓફ ધ ડે' ટ્વિટ  કરીને એક અંગ્રેજી સ્લેન્ગનો પરિચય કરાવ્યો હતો, 'Snollygoster-સ્નોલીગોસ્ટર'. અમેરિકામાં સિદ્ધાંતવિહોણા, લુચ્ચા રાજકારણીઓ માટે આ શબ્દનો ઉપયોગ કરાય છે. એવું કહેવાય છે કે, થરૂરે નીતીશકુમારને ધ્યાનમાં રાખીને એ ટ્વિટ કરી હતી. જોકે, અઘરા શબ્દોનો ઉપયોગ કરવા બદલ થરૂરને સોશિયલ મીડિયામાં દર વખતે આવકાર નથી મળતો. ઊલટાનું અનેક લોકો તેમને 'Boastful-બોસ્ટફૂલ' એટલે કે 'ડંફાસિયા' કહીને ટ્રોલ પણ કરે છે.





આ મુદ્દે થરૂરે ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે, 'મારા લખવાનો કે બોલવાનો હેતુ કોમ્યુનિકેશનમાં ‘Precision-પ્રિસિસન'  રાખવાનો હોય છે, હું મારા વિચારોને સારામાં સારી રીતે અભિવ્યક્ત કરવા અમુક શબ્દોનો ઉપયોગ કરું છું. એ બધા શબ્દો ‘Obscure-અબસ્ક્યોર' નથી હોતા અને 'Rodomontade-રોડોમોન્ટેડ'ના હેતુથી  પણ તેનો ઉપયોગ નથી કરાયો હોતો.' ઉફ્ફ, એ ટ્વિટ પછી ગૂગલ પર આ ત્રણેય શબ્દોના સર્ચમાં અચાનક જ વધારો થઇ ગયો. 'પ્રિસિસન' એટલે કોઈ પણ બાબતમાં સંપૂર્ણપણે ચોક્સાઈ રાખવી તે, 'અબસ્ક્યોર' એટલે સરળતાથી સમજાય નહીં એવું અસ્પષ્ટ, જ્યારે 'રોડોમોન્ટેડ'નો અર્થ થાય બડાઈ હાંકવી, ડંફાશ મારવી વગેરે. આ ટ્વિટ પછી કોઇએ મસ્તીભરી ટ્વિટ કરતા કહ્યું હતું કે, 'થરૂર ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરીના સિક્રેટ એજન્ટ છે, તેની સીબીઆઈ તપાસ થવી જોઈએ.' તો ઓમર અબ્દુલ્લાએ પણ હળવી ટ્વિટ કરલા લખ્યું હતું કે, 'અંગ્રેજી શીખી રહ્યા હોવ તો મારા મિત્ર શશી થરૂરને ફોલો કરો. તમને જેના અસ્તિત્વની જ જાણ નથી એવા નવા શબ્દો જાણવા મળશે તેમજ વાક્યમાં તેનો ઉપયોગ કરવા પણ તમારે મહેનત કરવી પડશે...'   

થરૂરે સાબિત કરી દીધું હતું કે, ટ્રોલિંગમાં પણ તેઓ 'ક્લાસ અપાર્ટ' છે. અંગ્રેજી બોલતા-લખતા લોકો પણ રોજબરોજના જીવનમાં જે શબ્દોનો ઉપયોગ ના કરતા હોય, એવા શબ્દોનો થરૂર સહજતાથી ઉપયોગ કરે છે. ગયા અઠવાડિયે જ થરૂરે ટ્વિટર પર વધુ એક 'વર્ડ ઓફ ધ ડે' પોસ્ટ કર્યો, ‘Roorback-રોરબેક' અર્થાત 'રાજકીય લાભ ખાટવા પ્રકાશિત કરાતું-ફેલાવાતું જૂઠ'. આ શબ્દના કેપ્શનમાં થરૂરે લખ્યું હતું કે, ‘I’ve had to put up with a lot of roorbacks in the last few years!’ આ ટ્વિટ પછી કોઈએ મજાકમાં લખ્યું પણ ખરું કે, આ શબ્દનું વિરોધી થાય, ‘Tharoorback-થરૂરબેક'.

***

નાનપણથી જ ઉત્તમ પ્રકારનું અગાધ વાચન, કૌટુંબિક વાતાવરણ અને પિતાની ટ્રાન્સફરેબલ જોબના કારણે થરૂરનું ઘડતર વિશિષ્ટ રીતે થયું છે. તેમના પિતા ચંદ્રન થરૂરે એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં મુંબઇ, દિલ્હી, કોલકાતા અને લંડનમાં વિવિધ હોદ્દા પર વર્ષો સુધી ફરજ બજાવી હતી, જેમાં 'ધ સ્ટેટ્સમેન' અખબારનો પણ સમાવેશ થાય છે. ચંદ્રન થરૂર અને તેમના પત્ની લીલી થરૂર લંડનમાં હતા ત્યારે શશીનો જન્મ થયો હતો. એ પછી ભારતમાં જ તેમનું સ્કૂલિંગ અને કોલેજનું શિક્ષણ થયું. ત્યાર પછી થરૂરે અમેરિકા જઇને ટફ્સ યુનિવર્સિટીમાંથી 'લૉ એન્ડ ડિપ્લોમસી'માં માસ્ટર્સ કર્યું, બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો અને ૨૨ વર્ષની ઉંમરે પી.એચડી. પણ પૂરું કર્યું અને એ જ વર્ષે યુએન હાઇ કમિશનર ફોર રેફ્યૂજીના સ્ટાફ મેમ્બર તરીકે જોડાઈને સ્વિત્ઝર્લેન્ડ જતા રહ્યા.

યુએનમાં બે દાયકા કામ કરીને થરૂર કોમ્યુનિકેશન એન્ડ પબ્લિક ઇન્ફોર્મેશનના અન્ડર સેક્રેટરી જનરલના હોદ્દા સુધી પહોંચ્યા, અને, ૨૦૦૬ની સેક્રેટરી જનરલની ચૂંટણીમાં બાન કી મૂન સામે ઝંપલાવ્યું. થરૂર સેક્રેટરી જનરલ બની ન શક્યા, પરંતુ બાન કી મૂન પછી સૌથી વધુ મત મેળવનારા ઉમેદવાર જાહેર થયા. થરૂરની હાર પછી બહાર પણ આવ્યું કે, અમેરિકાને કોફી અન્નાન જેવા મજબૂત અને સ્વતંત્ર દિમાગ ધરાવતા સેક્રેટરી જનરલ નહોતા જોઈતા. એટલે તેમણે વિટો વાપરીને થરૂરને હટાવી દીધા.


યુએનમાં ડિરેક્ટર ફોર એક્સર્ટનલ અફેર્સના સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે થરૂર


આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ૧૯૭૯માં રેફ્યુજી ક્રાઈસીસ સર્જાયા
ત્યારે શશી થરૂર ચુનંદા પત્રકારો સાથે એ દેશોના પ્રવાસે 

જોકે, બાન કી મૂને થરૂરને યુએનમાં વિવિધ પ્રોજેક્ટ માટે આવકાર્યા, પરંતુ થરૂરે મર્યાદા જાળવીને ચૂપચાપ યુએનને અલવિદા કહી દીધી. ભારતમાં બે વાર સાંસદ તરીકે ચૂંટાયેલા થરૂર 'ન્યૂયોર્ક ટાઇમ્સ', 'વૉશિંગ્ટન પોસ્ટ' અને 'ટાઈમ' મેગેઝિન સહિત દેશના અનેક અગ્રણી અખબારોમાં કોલમ લખે છે. થરૂરના નામે ચાર ફિક્શન, ૧૧ નોન-ફિક્શન અને બે ઇલસ્ટ્રેટેડ પુસ્તકો પણ બોલે છે. આ કોઈ પણ પુસ્તકમાંથી પસાર થતી વખતે વાચકને સતત થરૂરના ઈતિહાસ વિશેના અગાધ જ્ઞાન, વિચારોની સ્પષ્ટતા, શબ્દ ભંડોળ અને દૂરંદેશિતાનો પરિચય મળ્યા કરે છે. હમણાં જ પ્રકાશિત થયેલું તેમનું 'વાય આઈ એમ અ હિંદુ' થરૂરના ઉત્તમ પુસ્તકોમાંનું એક છે.  
  
***

ભારતમાં ૨૦૦૯માં ટ્વિટર આજના જેવું લોકપ્રિય ન હતું, પરંતુ થરૂર અત્યારની જેમ ત્યારે પણ ટ્વિટર પર સક્રિય હતા. એ વખતે તેમની 'ટ્વિટર મિનિસ્ટર' કહીને મજાક ઊડાવાતી. આ અંગે એક ઈન્ટરવ્યૂમાં થરૂરે કહ્યું હતું કે, 'આજે ટ્વિટ કરવા બદલ બધા જ મને ભાંડી રહ્યા છે, પણ મારા પર વિશ્વાસ કરો. દસેક વર્ષમાં ભારતનો દરેક નેતા ટ્વિટર પર હશે...'

થરૂરની આ વાત સાચી પડવામાં દસ વર્ષ પણ ના લાગ્યા. આ ભવિષ્ય ભાખ્યાના ચાર જ વર્ષમાં વડાપ્રધાન મોદીના ફોલોઅર્સ થરૂર કરતા અનેકગણા વધારે હતા!

25 October, 2017

કુલચા એ ખટાઇ ઉર્ફે નાનખટાઇ


દિવાળીના તહેવારમાં ગુજરાતીઓના ઘરોમાં જાતભાતની સેવ અને શક્કરપારા, જુદા જુદા પ્રકારની તળેલી દાળ અને દાલ-મૂઠ, પૌંઆનો તીખો-મોળો ચેવડો- એમાંય શેકેલો-તળેલો, ઘૂઘરા પણ મોળા-તીખા અને ગળ્યા, પૂરીમાં પણ ફરસી, સુંવાળી અને તીખી તેમજ ચોળાફળી, ફૂલવડી એમ જાતભાતના નમકીન બને. હા, મઠિયાને કેમ ભૂલાય? ટેસ્ટી અને ક્રિસ્પી મઠિયા બનાવવા તો આગવી આવડત જોઈએ. આ નમકીન સાથે મગસ, મોહનથાળ, ટોપરાપાક, દૂધીનો હલવો, બરફી, ખજૂર પાક અને ગુલાબ જાંબુ જેવી ઘરે બનાવેલી મીઠાઇઓ પણ હોય. હજુ થોડા વર્ષો પહેલાં મીઠાઈઓમાં આજના જેટલી વેરાઇટી નહોતી ત્યારે દીવાળીના નાશ્તાની ડિશમાં નાનખટાઇ પણ જોવા મળતી. નાનખટાઇનો સ્વાદ ગળ્યો, એટલે તેને પણ મીઠાઈમાં જ ખપાવાતી. કૂકીઝ બોલે તો બિસ્કિટના શોખીનો તો આજેય નાનખટાઇ અચૂક ખરીદે છે, પરંતુ આ અસલી બિસ્કિટ હવે ભૂલાઈ રહ્યા છે.

આજે તો મીઠાઈઓમાં 'ગણ્યા ગણાય નહીં' એટલા વિકલ્પો હોવા છતાં મોટા ભાગના લોકો કાજુકતરી અને અંજીર રોલ જેવી મીઠાઈઓ પર જ તૂટી પડે છે, જ્યારે એક સમયે ચણાના લોટમાંથી બનતી પૌષ્ટિક મીઠાઈઓની બોલબાલા હતી. માવામાંથી બનતી આ મીઠાઈઓનો ઈતિહાસ બહુ જૂનો નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, નાનખટાઈનો જન્મ તો ૧૬મી સદીમાં થયો હતો. નાનખટાઇ કંઈ આજકાલના બેકર્સે બનાવેલા 'મોડર્ન કૂકીઝ' નથી, પરંતુ અનેક સંસ્કૃતિઓના આદાનપ્રદાન પછી અસ્તિત્વમાં આવેલા બિસ્કિટ છે. નાનખટાઈ જેટલી સ્વાદિષ્ટ છે, એટલો જ રસાળ તેનો ઈતિહાસ પણ છે. આજકાલ મોટા ભાગના પરિવારો નમકીન-મીઠાઈની તૈયાર ખરીદી કરી લે છે, પરંતુ એક સમયે નાનખટાઈ પણ ઘરે બનતી. દક્ષિણ ગુજરાતમાં સારી એવી વસતી ધરાવતા પારસી અને વ્હોરા પરિવારોમાં નાનખટાઈ ખાવાની સાંસ્કૃતિક પરંપરા હજુયે જીવંત છે કારણ કે, નાનખટાઇનો જન્મ સુરતમાં થયો હતો. જરા વિગતે વાત કરીએ.


ચાય કે સાથ હો નાનખટાઇ તો ફિર ક્યા ચાહિયે

પારસીઓ આઠમી સદીમાં દક્ષિણ ગુજરાતના સંજાણના દરિયા કાંઠે શરણાર્થીઓ તરીકે આવીને વસ્યા. આ ઘટનાના વર્ષો પછી, ૧૬મી સદીમાં, સુરતના દરિયા કાંઠે હોલેન્ડ (આજનું નેધરલેન્ડ)ના ડચ વેપારીઓએ કોલોનીઓ નાંખવાનું શરૂ કર્યું. ડચ વેપારીઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળના વેપારીઓ સાથે સંબંધ વિકસાવીને મરીમસાલા જેવી ચીજવસ્તુઓનો વેપાર કરવા માંગતા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત કેટલાક સ્થળોએ ડચ વેપારીઓની કબરો, કબ્રસ્તાન અને ડચ ગાર્ડન જેવા સ્મારકો હજુયે છે, જે સાબિત કરે છે કે ડચ વેપારીઓએ ૧૬મી સદીના ગુજરાતમાં મજબૂત રીતે પગદંડો જમાવી દીધો હતો.

આ ડચ ઉદ્યોગપતિઓ અને તેમના પરિવારો દક્ષિણ ગુજરાતમાં સેટલ તો થઈ ગયા, પરંતુ તેમને હોલેન્ડની કન્ફેક્શનરી (મીઠાઈઓ, બેકરી આઈટમ્સ વગેરે)ની ખૂબ યાદ આવતી. આ કમી પૂરી કરવા ધનવાન ડચ પરિવારોએ ડચ કારીગરોની મદદથી દક્ષિણ ગુજરાતમાં સુરતમાં બેકરીઓ શરૂ કરી. આ બેકરીઓ ધમધમતી રાખવા તેમણે પારસીઓને પણ બેકરી આઈટમ્સ બનાવવાનું કામ શીખવી દીધું કારણ કે, બેકરી આઈટમ્સમાં છૂટથી વપરાતા ઇંડાની પારસીઓને આભડછેટ નહોતી. આ ઉપરાંત માંસાહારના શોખીન ડચ લોકો સાથે સાંસ્કૃતિક રીતે પણ પારસીઓ વધુ નજીક હતા. ટૂંકમાં, પારસીઓને બેકરીઓમાં કામ કરવામાં વાંધો ન હતો.  

ત્યાર પછી ઈસ. ૧૮૨૫ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં અંગ્રેજો અને બીજા યુરોપિયન વેપારીઓનો પ્રભાવ વધ્યો એટલે ડચ વેપારીઓ ધીમે ધીમે સ્વદેશ જતા રહ્યા. આ દરમિયાન તેમણે પોતાની માલિકીની મોટા ભાગની બેકરીઓ પારસીઓને વેચી દીધી, જેમાં ફરામજી પેસ્ટનજી દોતીવાલા નામના એક પારસી સજ્જન પણ સામેલ હતા. દોતીવાલા પણ ડચ કારીગરો પાસેથી જ કન્ફેક્શનરી બનાવવાનું શીખ્યા હતા. આજેય સુરતના પાર્લે નાનપુરા, પાર્લે પોઇન્ટ અને વરાછા રોડ પર દોતીવાલા બેકર્સ એન્ડ કન્ફેક્શનર્સ શોપ આવેલી છે. છેલ્લાં ૨૦૦ વર્ષથી દોતીવાલા પરિવાર આ બિઝનેસમાં છે. અત્યારે દોતીવાલા પરિવારની છઠ્ઠી પેઢી આ કારોબાર ચલાવી રહી છે.


સુરતની દોતીવાલા બેકરી

દોતીવાલા પરિવારે પેઢી દર પેઢી આપેલી માહિતી પ્રમાણે, ડચ વેપારીઓ જતા રહ્યા પછીયે દોતીવાલા જેવા અનેક પારસી બેકર્સે સુરતમાં બેકરી આઈટમ્સ વેચવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ થોડા ઘણાં ડચ પરિવારો અને યુરોપિયનોને બ્રેડ સપ્લાય કરતા, પરંતુ સમય જતાં બ્રેડનું વેચાણ ખાસ્સું ઘટી ગયું કારણ કે, જુદા જુદા પ્રકારની બ્રેડમાં ઝડપથી આથો લાવવા તાડી (તાડનો દારૂ)નો મોટા પાયે ઉપયોગ થતો અને મોટા ભાગના સ્થાનિકો દારૂના સેવનથી દૂર રહેતા. પારસીઓની ઘણી બધી બ્રેડ વેચાયા વિના પડી રહેતી અને ભેજનું પ્રમાણ ઘટતા સૂકાઈને કડક થઈ જતી. જોકે, એ બ્રેડ ખાવામાં પણ કંઇ નુકસાન હતું એટલે પારસી બેકર્સ સૂકી બ્રેડ નજીવી કિંમતે સ્થાનિકોને વેચી દેતા. તેઓ ગરમાગરમ ચ્હા કે દૂધમાં સૂકી બ્રેડ બોળીને ખાતા. સૂકી બ્રેડ હલ્કીફૂલ્કી અને ક્રિસ્પી હતી એટલે જોતજોતામાં ખાસ્સી લોકપ્રિય થઈ ગઈ. સૂકી બ્રેડ આજની સ્વિટ બ્રેડ કે ડ્રાય કેક જેવી હશે એવું અનુમાન કરી શકાય.

એ પછી તો પારસી બેકર્સે સ્પેશિયલ સૂકી બ્રેડનું જ ઉત્પાદન ચાલુ કર્યું અને બ્રેડમાંથી ભેજ કાઢવા ઓવનનો ઉપયોગ કર્યો. સૂકી બ્રેડની માંગના પગલે તેમણે નાના બિસ્કિટ જેવા આકારમાં તેનું ઉત્પાદન કર્યું. ઓવનના કારણે બ્રેડમાં જોઇએ એટલી ડ્રાયનેસ અને ટેક્ચર મેળવી શકાતા. સમય જતાં આ સૂકી બ્રેડમાં માખણ, મલાઈ જેવા તત્ત્વો ઉમેરાયા અને નાનખટાઈનો જન્મ થયો. એ જમાનામાં તબીબો પણ બિમાર લોકોને શક્તિ માટે નાનખટાઇ ખાવાનું સૂચન કરતા કારણ કે, એ પચવામાં હલકી હતી. નાનખટાઇની લોકપ્રિયતા પાછળ આ પણ એક મહત્ત્વનું કારણ છે. ડચ લોકો માટે બનતી અમુક બ્રેડ એગલેસ પણ હતી.


સીધુસાદુ કવરપેજ પેજ ધરાવતું સુંદર પુસ્તક

પારસી ઈતિહાસકારોની નોંધોમાં પણ દોતીવાલા પરિવારે આપેલી માહિતીને ટેકો મળે છે અને આ સિવાય કેટલીક વધુ માહિતી મળે છે. જેમ કે, 'ઈટ લિવ પ્રે: અ સેલિબ્રેશન ઓફ જરથુ્રસ્તી કલ્ચર એન્ડ ક્યુઝિન' નામના પુસ્તકના લેખિકા ફરિશ્તા મર્ઝબાન દિનશૉનું (પાના નં.૨૩) કહેવું છે કે, ડચ વેપારીઓ વહાણમાં દૂર સુધી પ્રવાસ કરે ત્યારે બ્રેડ સાથે રાખતા કારણ કે, તે બ્રેડ ઝડપથી બગડતી (તાડીનો ઉપયોગ થયો હોવાથી) નહીં. ડચ પરિવારો જતા રહ્યા પછી સુરતી બેકર્સને લાગ્યું કે, ઇંડા નહીં ખાતા સ્થાનિકોને સૂકી બ્રેડ જેવી વાનગીઓનું વેચાણ કરી શકાય છે. એ પછી તેમણે એગલેસ બ્રેડમાં એલચી, કાજુ, બદામ અને પિસ્તા નાંખીને સ્થાનિકોના સ્વાદ પ્રમાણેની એક નવી જ વાનગી બનાવી. એ હતી નાનખટાઈ.

આજે તો બજારમાં મેંદો, ઇંડા અને ચણાના લોટમાંથી બનેલી નાનખટાઇ પણ મળે છે, પરંતુ મૂળ નાનખટાઇમાં ઘઉં-ચોખાનો લોટ, ઘી અથવા માખણ, ખાંડ, દૂધ, મલાઇ, મીઠું, મધ અને બેકિંગ પાઉડરનો  જ ઉપયોગ થાય છે. પારસી પરિવારોમાં નાનખટાઇ 'ફરમાસુ સુરતી બતાસા' નામે પણ ઓળખાય છે. સુરતમાં નાનખટાઇના ભાઇ જેવા બીજા પણ એક બિસ્કિટ અસ્તિત્વમાં આવ્યા છે, જે બટર બિસ્કિટ તરીકે પ્રચલિત છે.

અચ્છા આ બિસ્કિટને નાનખટાઈ નામ કેવી રીતે મળ્યું હશે? સાંસ્કૃતિક આદાનપ્રદાનનો ઈતિહાસ તપાસતા માલુમ પડે છે કે, મૂળ ઈરાનના પારસીઓ ભારત આવ્યા એ પહેલાં પણ બ્રેડ જેવી કેટલીક ચીજો બનાવવાના જાણકાર હતા જ. આજેય ઇરાનની બ્રેડ બનાવવાની, ખાવાની અને પીરસવાની સંસ્કૃતિ અત્યંત સમૃદ્ધ છે. એટલે જ કહેવાય છે  કે, બ્રેડ મેકિંગ એ ઇરાનનો બીજો ધર્મ છે. બ્રેડ બનાવતા આવડતી હોય તો તમે પર્શિયન રૂપસુંદરનું પણ દિલ જીતી શકો છો. ઇરાનમાં બ્રેડ માટે 'નાન' શબ્દ છે. એવી જ રીતે, અફઘાનિસ્તાનની પશ્તો ભાષામાં બિસ્કિટ માટે 'ખટાઈ' શબ્દ છે. એટલે પારસીઓએ સૂકી બ્રેડ જેવા બિસ્કિટને નામ આપ્યું નાનખટાઈ. શરૂઆતમાં આ બિસ્કિટ 'કુલચા એ ખટાઇ' (કુલચા જેવા પોચા પોચા બિસ્કિટ) જેવા પર્શિયન નામે ઓળખાતા કારણ કે, ભારતીય ઉપખંડમાં પારસીઓ, યુરોપિયનો અને ભારતીયોના એકબીજાના સંપર્કમાં આવ્યા પછી મેંદામાં યિસ્ટ નાંખીને બનાવાતી બ્રેડ પણ અસ્તિત્વમાં આવી હતી. એ બ્રેડ કુલચા તરીકે ઓળખાતી.

આમ, નાન-કુલચા અને નાનખટાઈ જેવા શબ્દો અને વાનગીઓ અનેક સંસ્કૃતિઓના સમન્વય પછી અસ્તિત્વમાં આવ્યા છે. 

19 June, 2017

પરિવર્તનનો નિયમ ભાષાને પણ લાગુ પડે છે


રિવર્તન સંસારનો નિયમ છે. આ બહુ જાણીતું ક્વૉટ આખી દુનિયાને એકસરખી રીતે લાગુ પડે છે. આપણે ભાષાની વાત કરીએ. દર બે અઠવાડિયે પૃથ્વી પર એક ભાષાનું મૃત્યુ થાય છે. એક ભાષા મરે ત્યારે તેની સાથે આખી એક સંસ્કૃતિ અને જ્ઞાન પણ નાશ પામે છે. પ્રો. ગણેશ દેવીની આગેવાનીમાં કરાયેલા પીપલ્સ લિંગ્વિસ્ટિક્સ સર્વે ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે, વૈવિધ્યથી ફાટફાટ થતાં ભારત દેશમાં જ ૭૮૦થી વધારે ભાષાનો જન્મ થયો છે, જેમાંથી છેલ્લા ૫૦ વર્ષમાં ૨૨૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે. એટલે કે હજુયે ભારતમાં ૫૬૦ ભાષા જીવંત છે, પરંતુ યુનેસ્કોએ તેમાંની ૧૯૭ને 'લુપ્ત થઈ રહેલી ભાષા'ના ખાનામાં મૂકી છે. રસપ્રદ વાત એ છે કે, આ ૧૯૭ લુપ્ત થઈ રહેલી ભાષા ભારતમાં જ નહીં, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન અને નેપાળમાં પણ બોલાય છે. જોકે, ભાષાઓ ઝડપથી લુપ્ત થઈ રહી હોય તો પણ આપણે ચિંતા કરવાની નહીં, નક્કર કામ કરવાની જરૂર છે.

જો આપણે ખરેખર ભાષાના વારસાનું જતન કરવા માગતા હોઇએ તો જૂનીપુરાણી અને લુપ્ત થઈ રહેલી ભાષાઓનું ટેક્નોલોજીની મદદથી સંવર્ધન કરવું જોઈએ. ભારતમાં ફક્ત ભાષાને વરેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવ્યાતિભવ્ય મ્યુઝિયમ કેમ ઊભું ના કરી શકાય? ભારતની અનેક ભાષાઓ પાસે લોકસાહિત્ય, ગીતસંગીત, વાર્તાઓ, ચિત્રકામ, તહેવારો, ધાર્મિક ક્રિયાકાંડો તેમજ નૃત્ય, નાટક જેવી ભજવણી કરી શકાય એવી કળાનો ખજાનો છે. આ પ્રકારના મ્યુઝિયમોમાં આ બધી જ કળાકારીગરી ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે સાચવી શકાય. એ ભાષા બોલતા લોકોની વીડિયોગ્રાફી કરીને સાચા ઉચ્ચારોની પણ જાળવણી કરી શકાય. આ બધી જ માહિતી વિદેશીઓ અને ભારતીયોને પોતપોતાની ભાષામાં મળી શકે એવી વ્યવસ્થા કરી શકાય. ભાષા ખુદ એક ઈતિહાસ છે, સંસ્કૃતિ છે અને જ્ઞાન છે. એટલે જ કહેવાય છે કે, ભાષાનું મૃત્યુ થાય છે ત્યારે તેની સાથે ઘણું બધું મૃત્યુ પામે છે. લુપ્ત થઈ રહેલી ભાષાઓની ચિંતા ઈતિહાસના સંદર્ભમાં થવી જોઈએ, પરંતુ ઈતિહાસને લઈને આપણે ઘોર બેદરકાર છીએ.



જે ભાષાઓમાંથી રોજીરોટી અને આધુનિક જ્ઞાન ના મળતું હોય એ ભાષા લોકો શીખે અને બોલે એવી અપેક્ષા  રાખવી અયોગ્ય છે, પરંતુ જે ભાષાનું સ્થાન લોકજીભે ના હોય તેને કમસેકમ મ્યુઝિયમમાં સ્થાન આપવું જોઈએ! જો એ ભાષા મ્યુઝિયમમાં પણ નહીં હોય તો આવનારી પેઢીઓ એ ઐતિહાસિક તથ્યોથી પણ અજાણ રહી જશે. યુનેસ્કોએ બનાવેલી ૧૯૭ ભાષાની યાદીમાં ફક્ત બે જ ભાષા એવી છે, જેને ભારતમાં સત્તાવાર દરજ્જો મળ્યો છે. પહેલી છે બોડો અને બીજી મૈથેઈ. બોડો ભાષા ઉત્તર પૂર્વીય ભારત, તિબેટ, નેપાળ અને બાંગ્લાદેશમાં બોલાય છે, જ્યારે મૈથેઈ મણિપુર, આસામ, ત્રુપિરા સહિત બાંગ્લાદેશ અને બર્મામાં પણ બોલાય છે. આ ૧૯૭ ભાષામાંથી અનેક ભાષાઓ તો એવી છે, જેની કોઈ લિપિ જ નથી. એટલે કે, એ ભાષાઓ ફક્ત બોલી શકાય છે, લખી નથી શકાતી.

ભારત સરકારે ૧૯૬૪માં ભારતીય ભાષાઓનું સંશોધન અને દસ્તાવેજીકરણ કરવા મૈસૂરમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયન લેન્ગ્વેજીસની સ્થાપના કરી હતી. આ સંસ્થાની મદદથી ૨૦૧૪માં સરકારે લુપ્ત થઈ રહેલી ભાષાઓનું સંવર્ધન કરવા અભિયાન શરૂ કર્યું, જે 'પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લેન્ગ્વેજીસ ઓફ ઈન્ડિયા' નામે જાણીતું છે. આ અભિયાન હેઠળ સરકારે દસ હજારથી ઓછા લોકો બોલતા હોય એવી ભાષાઓનું દસ્તાવેજીકરણ શરૂ કર્યું હતું, પરંતુ આ અભિયાન 'એક સારો સરકારી પ્રયાસ' બનીને રહી ગયું છે. દેશની કુલ ભાષાઓમાં લુપ્ત થઈ રહેલી ભાષાઓ ૯૬ ટકા છે. આ પ્રકારની ભાષાઓ મોટા ભાગે ખૂબ જ નાના સમાજ દ્વારા બોલાતી હોય છે. એટલે એ ભાષા જાણતી અને બોલતી છેલ્લી વ્યક્તિનું મૃત્યુ થાય એ સાથે જ એ ભાષાનું પણ મૃત્યુ થાય છે, પરંતુ જે ભાષા વધુ લોકો બોલે છે, જે ભાષામાં પ્રચુર જ્ઞાન છે અને જે ભાષા પરિવર્તન યુગમાંથી હેમખેમ પસાર થતી રહે છે, તે ભાષા જીવી જાય છે. જોકે, ઓછા લોકો દ્વારા બોલાતી ભાષાનું મૃત્યુ થાય તો પણ દુઃખી થવાની જરૂર નથી, રૂર છે એ વારસાનું જતન કરવાની. ભાષા પણ અમર નથી, તેનું પણ મૃત્યુ થાય છે. આ વાત જરા ઊંડાણપૂર્વક સમજીએ.

જેમ કે, ૧૯મી સદીના અંત સુધી બ્રિટન જેવા અનેક દેશોમાં વિક્ટોરિયન અંગ્રેજીનો યુગ હતો. આજે એ અંગ્રેજી સમજનારા કેટલા? અંગ્રેજી સાહિત્યના અઠંગ જાણકારો સિવાય એ જૂનીપુરાણી અંગ્રેજી કોઈ સમજતું નથી. શેક્સપિયરનું સાહિત્ય વિક્ટોરિયન અંગ્રેજીમાં છે. શેક્સપિયરના અંગ્રેજીમાં લેટિન અને ગ્રીક શબ્દોની ભરમાર હતી, પરંતુ શેક્સપિયર હજુયે જીવે છે કારણ કે, બંદે મે થા દમ. આજેય શેક્સપિયરનું સાહિત્ય દુનિયાભરની ભાષામાં જુદા જુદા સ્વરૂપે લોકો સમક્ષ રજૂ થતું રહે છે. પછી એ નાટક હોય કે ફિલ્મો, અખબાર કે સામાયિકમાં છપાતો લેખ હોય કે પછી પાઠ્યપુસ્તકમાં સમાવાયેલું પ્રકરણ. દુનિયાભરની યુનિવર્સિટીઓમાં અંગ્રેજી સાહિત્યના કોર્સમાં શેક્સપિયર ભણાવાય છે. ટૂંકમાં વિક્ટોરિયન અંગ્રેજી અને શેક્સપિયરનું સાહિત્ય બંને જીવંત છે, પણ તેના સ્વરૂપો બદલાઈ ગયા છે. ગુજરાતી, મરાઠી કે બંગાળીને પણ આ જ નિયમ લાગુ પડે છે. દલપતરામ, ન્હાનાલાલ કે ગોવર્ધનરામની ગુજરાતી અને આજની ગુજરાતીમાં ઘણો ફર્ક છે, પણ ગુજરાતી તો જીવે જ છે કારણ કે, લાખો લોકો દ્વારા બોલાતી ગુજરાતીએ પણ પરિવર્તનનો એક યુગ પચાવી જાણ્યો છે.



ભારતની ૨૨ સત્તાવાર ભાષામાંથી અનેક શબ્દો અને રૂઢિપ્રયોગો લુપ્ત થઈ રહ્યા છે. આજ મુશ્કેલી અંગ્રેજી, ફ્રેન્ચ અને મેન્ડેરિનની પણ છે જ. દરેક ભાષાના દરેક શબ્દો હંમેશા જીવંત રહે એ શક્ય જ નથી. આપણે વારસો સમજીને એનું જતન જરૂર કરી શકીએ પણ જૂનાપુરાણા શબ્દોનો ઉપયોગ કરવાનો દુરાગ્રહ ના રાખી શકીએ. ફ્રાંસ સરકારે લુપ્ત થઈ રહેલા શબ્દોને શોધવા એક સમિતિ બનાવી છે. અંગ્રેજી અને ફ્રેંચ જેવી ભાષાઓમાં જૂના શબ્દોને મુખ્યધારાના માધ્યમોમાં સ્થાન મળે છે એટલે બીજી ભાષાઓની સરખામણીમાં એવા શબ્દો થોડું વધારે ટકે છે. જૂના શબ્દો જીવંત રાખવાનો આ એક ક્રિએટિવ આઈડિયા છે, પણ આધુનિક ભાષામાં બધા જ શબ્દો સમાવી લેવા અશક્ય છે. ઉદાહરણ તરીકે, બે-ચાર સદી પહેલાં ભારતમાં ખેતીવાડીને લગતા જાતભાતના શબ્દો હતા, જે આજે નથી વપરાતા અને એના અર્થો પણ શહેરી લોકોને ના સમજાય. કારણ કે, શહેરી લોકો ખેતી નથી કરતા અને ગામડામાં પણ ખેતી આધુનિક થઈ ગઈ છે. બે-ચાર સદી પહેલાં ટ્રેક્ટર કે દવા (પેસ્ટિસાઇડ્સ) જેવા શબ્દોની બોલબાલા ન હતી, પણ આજે છે. કોઈ પણ સમાજ-સંસ્કૃતિની રહેણીકરણી અને જીવન પદ્ધતિ બદલાય તેમ તેમ ભાષા પણ બદલાય છે.

આ જ કારણસર લાખો-કરોડો લોકો દ્વારા બોલાતી ભાષા પણ બદલાઈ જાય છે. એટલે જ બહુ ઓછા લોકો દ્વારા બોલાતી ભાષા લુપ્ત થઈ જાય એમાં નવાઈ ના લાગવી જોઈએ. બીજું એક ઉદાહરણ જોઈએ. આજથી પચાસ વર્ષ પહેલાં કોઈ પણ ભાષામાં મોબાઈલ, સ્માર્ટફોન, કમ્પ્યુટર કે ટેબલેટ જેવા શબ્દો રૂઢ ન હતા, પરંતુ અત્યારે વિશ્વની બધી જ સત્તાવાર ભાષામાં આ શબ્દો છે. કેટલીક ભાષામાં આ શબ્દોના અનુવાદ કરવાના નિરર્થક પ્રયાસ પણ થયા છે પણ એ લોકવાણીમાં ટકી નથી શક્યા. કમ્પ્યુટરને 'ગણકયંત્ર' કહેવાથી ભાષાની સેવા નહીં, કુસેવા થાય છે. ભાષાશુદ્ધિનો જડ આગ્રહ નક્કામો છે. ભાષા એટલે જ વિવિધ સંસ્કૃતિઓમાંથી પેદા થયેલા શબ્દોનો શંભુમેળો. જે ભાષા બીજી ભાષાના શબ્દો અપનાવે, એટલી એ ભાષા વધારે સમૃદ્ધ. ગુજરાતીએ પણ ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાના અનેક શબ્દો ખુલ્લા દિલે અપનાવી લીધા છે અને એટલે જ ગુજરાતી પરિવર્તનો સામે ઝીંક ઝીલી શકી છે. એકાદ વર્ષ પહેલાં આ જ કોલમમાં ગુજરાતી ભાષામાં ફારસી, અરબી શબ્દો કેવી રીતે આવ્યા એ વિશે લખ્યું હતું. સાર્થ જોડણીકોષ અને ભગવદ્ગોમંડળમાં પણ ગુજરાતીમાં રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દો વાંચવા મળે જ છે. જોકે, એનો અર્થ એ પણ નથી કે, ગુજરાતી લખતી વખતે અંગ્રેજી કે હિન્દી કે ઉર્દૂ શબ્દોનો બેફામ ઉપયોગ કરવો. ગુજરાતીમાં લખતી વખતે 'પણ' ના બદલે 'બટ' શબ્દ વાપરવાથી ભાષા સમૃદ્ધ ના થાય. કોઈ પણ ભાષામાં લખતી વખતે બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ પણ એક કળા છે. દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો સાંસ્કૃતિક આદાનપ્રદાનથી સામેલ થતા જ હોય છે, એ માટે આપણે વિકૃત પ્રયાસ નથી કરવાના.




આ વર્ષના અંત સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા ૪૫ કરોડની આસપાસ પહોંચી જશે. એનો અર્થ એ પણ છે કે, આગામી વર્ષોમાં ભારતની દરેક ભાષામાં ઈન્ટરનેટ યુગના ટેકનિકલ શબ્દો સામાન્ય થઈ ગયા હશે! બીજી તરફ, આજેય ભારતમાં માંડ ૩૦ ટકા લોકો સારી રીતે અંગ્રેજી સમજી શકે છે. આ ૩૦ ટકામાંથી પોણા ભાગના લોકો એવા છે, જેમને ફેસબુકથી લઈને ટ્વિટર બધું જ માતૃભાષામાં જોઈએ છે. માતૃભાષા માટે લોકોની ચાહત બાય ડિફોલ્ટ હોય છે કારણ કે, એ બાળકના ઉછેર સાથે સંકળાયેલી બાબત છે. એટલે જ ઈન્ટરનેટની દુનિયામાં માતૃભાષા એક બિઝનેસ છે. દરેકને પોતાની ભાષામાં માહિતી જોઈએ છે. ગુજરાતી સહિતની અનેક ભારતીય ભાષાઓમાં પ્રાથમિક શિક્ષણની વાત આવે ત્યારે લોકો આવો આગ્રહ કેમ નહીં રાખતા હોય?- એ સંશોધનનો વિષય છે. માતૃભાષામાં ટેકનિકલ જ્ઞા મળશે એટલે દરેક ભાષામાં નવા શબ્દો આવશે! તેને ભાષા દુષિત થઈ એમ ન કહી શકાય.

આપણને ભાષા દુષિત થઈ જશે એની આટલી બધી ચિંતા કેમ છે એ પણ સમજવા જેવું છે. ૨૧મી સદીના ભારતમાં પણ આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્નોનો બાધ છે અને આંતરદેશીય લગ્નો તો બહુ દૂરની વાત છે. આજેય દેશના અનેક રાજ્યોમાં ઓનર કિલિંગ થાય છે. હકીકતમાં જુદા જુદા ધર્મ-જાતિ-સમાજ-સંસ્કૃતિના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે એ માટે આંતરજ્ઞાતીય, આંતરધર્મીય અને આંતરદેશીય લગ્નોને પ્રોત્સાહન આપવું એ સૌથી ઉત્તમ ઉપાય છે. વિઝનરી સરકારોએ તો આવા લોકોને 'સરકારી લાભ' આપવા જોઈએ, પરંતુ નાત-જાતના રાજકારણ પર ઊભી થયેલી લોકશાહી પાસેથી આવી અપેક્ષા રાખવી વધારે પડતી છે. આપણે જે તે પ્રજાનું લોહી શુદ્ધ રહેવું જોઈએ એવો અવૈજ્ઞાનિક વિચાર ધરાવતા લોકો છીએ. આ જ નિયમ આપણે ભાષામાં પણ ઠોકી બેસાડવા માગીએ છીએ. આપણે ભાષાને પણ આપણા જેવું ખાબોચિયું બનાવી દેવા માગીએ છીએ.

ભાષા તો વહેતી નદી છે, જે વહેશે તો જીવશે, નહીં તો મોત નક્કી છે.