Showing posts with label China. Show all posts
Showing posts with label China. Show all posts

18 June, 2018

ફોરેન સ્ટુડન્ટ્સ: ટુ ચાઈના, વિથ લવ


ભારત અને ચીન હંમેશા એકબીજાને કટ્ટર હરીફ તરીકે જુએ છે. દુનિયા પણ આર્થિક વિકાસ, લશ્કરી તાકાતથી લઈને અખબારી સ્વાતંત્ર્ય સુધીના અનેક મુદ્દે બંને દેશની સરખામણી કરે છે. આ બંને દેશ પણ તમામ ક્ષેત્રે એકબીજાની હરીફાઈમાં મશગૂલ હોય છે. હવે ભારત અને ચીન વચ્ચે હાયર એજ્યુકેશનમાં વિદેશી વિદ્યાર્થીઓ આકર્ષવાની નવી હરીફાઈ પણ ઉમેરાઇ છે. ચીને ૨૦૧૨માં જાહેરાત કરી હતી કે, ૨૦૨૦ સુધીમાં અમે પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષીશું. એ પછી ચીને જડબેસલાક આયોજન કરીને આ કામ પાર પાડી બતાવ્યું. ચીન પણ અમેરિકા અને બ્રિટનની જેમ હાયર એજ્યુકેશનનું ઈન્ટરનેશનલ હબ બનવા તત્પર છે. ચીનની સફળતા જોઈને ભારતે પણ સફાળા જાગીને આ દિશામાં કામ શરૂ કર્યું  છે, પરંતુ અત્યારે ચીન જોજનો આગળ નીકળી ગયું છે.

ભારતીય વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં વિદેશમાં અભ્યાસ કરવા જાય છે, પરંતુ સ્વાભાવિક રીતે જ એટલા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ ભારત આવતા નથી. આપણી યુનિવર્સિટીઓમાં વૈશ્વિક સ્તરના શિક્ષણનો અભાવ છે. થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે આપણી યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા 'સ્ટડીઈનઈન્ડિયા.ઓઆરજી' નામની વેબસાઇટ શરૂ કરી હતી. સરકારના આંકડા પ્રમાણે, ૨૦૧૬માં ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં ૪૭,૭૫૫ વિદેશી વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું, અને, હવે સરકાર પાંચ જ વર્ષમાં આ આંકડો લાખોમાં પહોંચાડી દેવા માંગે છે. સરકારી આંકડા અને બીજા આંતરરાષ્ટ્રીય ડેટા તપાસતા ખબર ખ્યાલ આવે છે કે, વિદેશી વિદ્યાર્થીઓને ભારતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આકર્ષવામાં આપણે બહુ પાછળ છીએ.



એવી જ રીતે ચીનના આંકડા પર નજર કરતા જણાય છે કે, ચીને પોતાની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા ખૂબ મજબૂત યોજના બનાવી હશે. ૨૦૧૬માં ચીનમાં ૪.૪ લાખ વિદેશી વિદ્યાર્થી ભણવા આવ્યા હતા. વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવામાં ચીનનો અમેરિકા અને બ્રિટન પછી ત્રીજો નંબર છે. અમેરિકા અને બ્રિટન કરતા આંકડાની દૃષ્ટિએ ચીન થોડું પાછળ હશે પણ છેલ્લાં ઘણાં સમયથી ચીન આ દિશામાં કામ કરી રહ્યું છે. એક ઉદાહરણ જોઈએ. બે દાયકા પહેલાં ચીનમાં અંગ્રેજી ભાષાના જાણકારો નહીંવત હતા. ચીનની ભાગ્યે જ કોઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ અપાતું. એ સ્થિતિમાં ચીને અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કરીને વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની યોજના બનાવી, અને, આજે તે ભારતથી અનેકગણું આગળ છે. અત્યારે ચીનની અનેક યુનિવર્સિટીઓમાં દુનિયાભરમાંથી નોકરી કરવા આવેલા શિક્ષકો અંગ્રેજી ભાષામાં જુદા જુદા વિષયોનું શિક્ષણ આપે છે.

હાયર એજ્યુકેશનમાં વધુને વધુ વિદ્યાર્થીઓ આકર્ષવા ભારત પાસે ચીન કરતા અનેકગણી વધારે તક હતી, પરંતુ તે આપણે વેડફી નાંખી. જેમ કે, ભારતમાં તો શરૂઆતથી અંગ્રેજી ભાષામાં જ ઉચ્ચ શિક્ષણ અપાય છે. અંગ્રેજી ભાષાના ઉચ્ચારોને લઈને પણ આપણે 'વધુ પડતા ડાહ્યા' છીએ, જ્યારે એક સરેરાશ ચીની નાગરિકની અંગ્રેજી બોલીમાં ચાઈનીઝ ઉચ્ચારોનો અતિ પ્રભાવ હોય છે. (માતૃભાષા કે માતૃબોલીનો લહેકો બીજી ભાષા બોલતી વખતે ના આવે એવા કિસ્સા અપવાદરૂપ હોય છે.) આમ છતાં, ભારતે અંગ્રેજી ભાષાનો ફાયદો ઉઠાવીને વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની યોજના ના બનાવી અને ચીન આ ક્ષેત્રમાં પણ વિઝનરી પુરવાર થયું. કદાચ ચીનની અભૂતપૂર્વ સફળતા જોઈને જ ભારત સરકારે પણ 'સ્ટડી ઈન ઈન્ડિયા' યોજના શરૂ કરી છે, પરંતુ ભારત ગમે તેવી ઝડપે કામ કરે તો પણ નજીકના ભવિષ્યમાં ચીનની સમકક્ષ પહોંચી શકે એવી શક્યતા અત્યારે દેખાતી નથી. દુનિયાની ટોપ ૫૦૦માં ચીનની યુનિવર્સિટીઓએ કાઠું કાઢ્યું છે. વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન લેવા દર વર્ષે ધસારો કરે છે. દુનિયાની ટોપ ૩૦ યુનિવર્સિટીમાં ચીનની બે છે. પહેલી પેકિંગ અને બીજી સિંઘુઆ યુનિવર્સિટી.

ચીન સરકારે ચાઈનીઝ સંસ્કૃતિ, ભાષા, ઇતિહાસ અને સાહિત્યિક વારસા જેવા વિષયોનો અભ્યાસ કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ માટે જાતભાતની સ્કોલરશિપ શરૂ કરી છે. ૨૦૧૬માં ૪૦ ટકા વિદેશી વિદ્યાર્થીઓને ભણવા માટે ચીન સરકારે આર્થિક મદદ કરી હતી. આ સિવાય વિદેશી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એ માટે ચીન યુનિવર્સિટી કેમ્પસમાં જ 'સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્લી' સુવિધા ઊભી કરે છે. જેમ કે, લોન્ગ ટર્મ સ્ટે માટે યુનિવર્સિટીના કેમ્પસ નજીક જ સારી અને સસ્તી રહેવાની વ્યવસ્થા. આ પ્રકારની સુવિધાથી વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી કોઈ તગડી ભાડાવસૂલી કરી શકતું નથી. ચીનમાં અત્યારે ભણી રહેલા ૪.૪ લાખમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ એક વર્ષથી લાંબા ગાળાના કોર્સ માટે આવ્યા છે, જેમાં ભારતના પણ ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓની ફી અને કોસ્ટ ઓફ લિવિંગથી ખુશ છે.




ચીનમાં અત્યારે મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓ સાયન્સ, એન્જિનિયરિંગ અને એગ્રિકલ્ચર જેવા વિષયોમાં અભ્યાસ કરે છે, જ્યારે ૨૦૧૨ સુધી ત્યાં મોટા ભાગના લોકો ફક્ત મેન્ડેરિન શીખવા આવતા. એક સમયે આ પ્રકારના વિષયોમાં ફક્ત પશ્ચિમી દેશોની યુનિવર્સિટીઓનો જ ડંકો વાગતો. ૨૦૦૬માં ચીનમાં ૫૫ હજાર વિદેશી વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનની ડિગ્રી લેવા આવ્યા હતા. આ આંકડો ૨૦૧૬માં, દસ જ વર્ષમાં, .૧૦ લાખે પહોંચી ગયો છે. આ આંકડા સાબિત કરે છે કે, ચીને એક દાયકામાં સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) એજ્યુકેશનમાં ક્રાંતિકારી કામ કર્યું છે. ચીનની સંસ્કૃતિ પશ્ચિમી દેશોથી ખાસ્સી અલગ છે એટલે ચીનને અત્યારે દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, મલેશિયા કે સિંગાપોર જેવા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ વધુ મળે છે, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી રશિયા, ભારત અને પશ્ચિમી દેશોના વિદ્યાર્થીઓ પણ ચીનમાં એડમિશન લઈ રહ્યા છે. ચીનના કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા આઠ ટકા છે. આંકડાની રીતે કહીએ તો ફક્ત ૧૮ હજાર.

આ આંકડાને બીજી રીતે જોઈએ. ૨૦૧૭માં યુકેમાં ૧૬ હજાર ભારતીય વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું. એનો અર્થ એ થયો કે, ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવામાં ચીન યુકે કરતા પણ આગળ છે. થોડા વર્ષો પહેલાં ભારતીય વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મેડિકલના અભ્યાસ માટે ચીન સુધી લાંબા થતાં પણ હવે એન્જિનિયરિંગમાં પણ એડમિશન વધ્યા છે. આ ઉપરાંત ચીનની યુનિવર્સિટીઓમાં વૈશ્વિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોમાં પણ ઝડપથી ફેરફાર કરાઈ રહ્યો છે. આ ઉપરાંત ઝડપથી નવા અભ્યાસક્રમો પણ દાખલ કરાઈ રહ્યા છે. હાયર એજ્યુકેશનમાં આ રીતે આગળ વધવું હોય તો વર્ષો પહેલાં પ્લાનિંગ કરવું પડે. ચીને નેવુંના દાયકાથી જ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન ઈન્સ્ટિટયુટ્સ ઊભી કરવા મહેનત શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ચીને વિદેશી યુનિવર્સિટીમાં કામ કરતા વિજ્ઞાનીઓ અને સંશોધકોને પાછા ચીનમાં ખેંચી લાવવા (રિવર્સ બ્રેઇન ડ્રેઇન) પણ જડબેસલાક આયોજન કર્યું હતું. દાખલા તરીકે, વિજ્ઞાનીઓ માટે અત્યાધુનિક લેબોરેટરીઓ તેમજ મેરિટ પ્રમાણે ઊંચા પગાર અને બીજા લાભો. આમ, ચીન સુપરપાવર બનવા કુદરતી સ્રોતોની સાથે પોતાના માનવ સ્રોતોનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે.

ભારતના આર્થિક વિકાસની ધીમી શરૂઆત ૧૯૮૦થી થઈ, પરંતુ શિક્ષણના ક્ષેત્રે હજુ આપણે લાંબી મજલ કાપવાની બાકી છે. હાયર એજ્યુકેશનનો ખરો વિકાસ થાય તો જાહેર શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તતી ઘણી બધી મુશ્કેલીઓનું નિવારણ આવે છે. જેમ કે, હાયર એજ્યુકેશનમાંથી કમાણી કરીને પ્રાથમિક શિક્ષણમાં વધુ રોકાણ કરી શકાય છે! સ્થાનિક વિદ્યાર્થીઓ વધુને વધુ વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભળવાથી સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય છે. વિદ્યાર્થીકાળથી જ માઇન્ડ સેટ બ્રોડ થાય છે. જાતિ-ધર્મની વાડાબંધીથી પીડાતા સમાજ માટે આ ખૂબ જ જરૂરી છે. આ વાત એક ઉદાહરણથી સમજીએ. ચીનમાં ૨૦૦૩માં ૧,૭૯૩ આફ્રિકન વિદ્યાર્થી અભ્યાસ કરવા આવ્યા હતા, જે ૨૦૧૬માં વધીને ૬૧,૫૯૪ થઇ ગયા કારણ કે, તેઓ ચીનમાં પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. તેની સામે આ જ ગાળામાં ભારતમાં આફ્રિકન વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી ગઇ છે કારણ કે, ભારતમાં તેઓ ફક્ત ચામડીના રંગ, વાળની સ્ટાઈલ કે ચહેરા-મ્હોરાના કારણે વંશીય ભેદભાવનો ભોગ બને છે, અને ભારતીયો તેમની ક્રૂર મજાક પણ કરે છે. એટલે જ દેશના યુવાનોને ૨૧મી સદીનો વિશ્વમાનવ બનાવવા વધુને વધુ સામાજિક-સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય એ જરૂરી છે.



આ પ્રકારના આદાનપ્રદાનથી જ બ્રિટીશયુગમાં ભારતીય સમાજની અનેક સામાજિક બદીઓ સામે આંદોલન શરૂ થયું હતું. એ જ યુગે ૨૧મી સદી તરફ નજર રાખીને વિચારી શકે એવા અનેક સામાજિક અને રાજકીય નેતાઓને જન્મ આપ્યો હતો, પરંતુ આજે આપણા સૌથી હોનહાર વિદ્યાર્થીઓ આઈઆઈટી કે આઈઆઈએમમાં ભણીને વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. ભારતના સર્વશ્રેષ્ઠ સોફ્ટવેર એન્જિનિયરો નોકરી કરવા સિલિકોન વેલી જતા રહે છે. સિલિકોન વેલીમાં આઈઆઈટીના વિદ્યાર્થીને માનની નજરે જોવાય છે પણ ભાગ્યે જ કોઈ વિદેશી વિદ્યાર્થી આઈઆઈટીમાં એડમિશન લેવા આવે છે. જો વિદેશી વિદ્યાર્થીઓએ એશિયાની જ કોઈ યુનિવર્સિટી પસંદ કરવાની આવે તો તે પહેલા ચીન કે રશિયા જવાનું પસંદ કરે છે. આવું કેમ? આ કોઈ મુદ્દો આપણને કે આપણી સરકારોને પજવતો નથી.  

આઝાદીના દાયકાઓ પછી પણ આપણે હાઈલી એજ્યુકેટેડ વિદ્યાર્થીને દેશમાં યોગ્ય વાતાવરણ આપી શક્યા નથી, તો પછી વિદેશના વિદ્યાર્થીઓ શું કામ અહીં ભણવા આવે? એક સમયે દુનિયાભરના વિદ્વાનોને આકર્ષતી આપણી વિશ્વ વિદ્યાલયોની ભારતીય પરંપરા વર્ષો પહેલાં લુપ્ત થઇ ગઇ. હવે એ જૂનું ગાણું ગાવાનું બંધ કરીને હાયર એજ્યુકેશન ક્ષેત્રે ‘આઉટ ઓફ બોક્સ’ વિચારીને આગળ વધવાનો સમય થઇ ગયો છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

29 January, 2018

...અને જ્યાં કોઈ ના પહોંચી શક્યું, ત્યાં એક ગુજરાતી પહોંચ્યો


બ્રહ્મપુત્રના અગાઉના ત્રણ લેખમાં આપણે આ નદીના પૌરાણિક મહત્ત્વથી માંડીને તેના રૂટનો અધકચરો નકશો કેવી રીતે તૈયાર કરાયો, એ વિશે વાત કરી. આજે તો ભારત પાસે નદીઓ-પર્વતોની ભૂગોળ સમજવા સેટેલાઈટ ટેક્નોલોજી છે, પરંતુ દાયકાઓ પહેલા બ્રહ્મપુત્રના રૂટની માહિતી મેળવવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ, દોલ્પા, નેમ સિંઘ અને કિંથુપ જેવા અનેક ભારતીય સાહસિકોએ હિમાલયમાં જીવના જોખમે મહિનાઓ સુધી રઝળપાટ કરી હતી. આ બધા જ પ્રવાસીઓમાં સૌથી જાણીતું નામ એટલે નૈન સિંઘ રાવત. બ્રહ્મપુત્રનો રૂટ જ નહીં, પરંતુ ભારતની પૂર્વે પથરાયેલી હિમાલય પર્વતમાળાની દુર્લભ માહિતી ભેગી કરવા બદલ રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘનું પેટ્રન્સ મેડલ આપીને સન્માન કર્યું હતું.

કટ ટુ ૨૦૦૪.

માઉન્ટેઇનિયરિંગની દુનિયાના ઓસ્કર ગણાતા
પિઓલેટ્સ ડિ’ઓર એવોર્ડ સાથે હરીશ કાપડિયા 

નૈન સિંઘને પેટ્રન્સ મેડલ મળ્યાની ઘટનાને ૧૪૦ વર્ષના વ્હાણા વીતી ગયા પછી ૨૦૦૪માં ફરી એક ભારતીય સાહસિકને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું. એ ભારતીય એટલે મુંબઈસ્થિત ગુજરાતી માઉન્ટેઇનિયર, એક્સપ્લોરર, હિમાલયન એક્સપ્લોરેશનને લગતા ડઝનેક પુસ્તકોના લેખક તેમજ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિના એડિટરનો હોદ્દો સળંગ ૨૮ વર્ષ સુધી શોભાવનારા હરીશ કાપડિયા. હરીશ કાપડિયા એટલે સિઆંગ નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચનારા પહેલા સાહસવીર. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, જે સ્થળે પહોંચવા દુનિયાભરના એક્સપ્લોરર્સ દોઢ સદીથી પ્રયાસ કરતા હતા, ત્યાં એક ગુજરાતી નરબંકો પહોંચી ગયો. રસપ્રદ વાત એ છે કે, હરીશ કાપડિયાએ આ ઐતિહાસિક સિદ્ધિ પેટ્રન્સ મેડલ મળ્યાના એક વર્ષ પછી, ૨૬મી નવેમ્બર ૨૦૦૪ના રોજ, નોંધાવી હતી.

એ વિશે વાત કરતા પહેલાં થોડી જાણકારી.  

અરુણાચલ પ્રદેશના પહાડી જંગલોમાં રખડપટ્ટી

હરીશ કાપડિયાનું નામ એક સરેરાશ ગુજરાતી માટે અજાણ્યું હોઈ શકે, પરંતુ હિમાલયન એક્સપ્લોરેશનની દુનિયામાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. ૭૨ વર્ષીય હરીશ કાપડિયા ૫૦ વર્ષની કારકિર્દીમાં હિમાલયના અનેક પ્રદેશો ધમરોળી ચૂક્યા છે. તેઓ ૨૦૦૩થી દર વર્ષે એકવાર અરુણાચલ પ્રદેશના પ્રવાસે જઈને નવા વિસ્તારો ખૂંદે છે અને એ વિશે લખે છે.


અરુણાચલ પ્રદેશનો જિલ્લા નકશો. છેલ્લાં કેટલાક વર્ષોમાં
વહીવટી સરળતા માટે અમુક જિલ્લાને બે ભાગમાં વહેંચી દેવાયા છે 

હિમાલય પર્વતમાળામાં સૌથી અજાણ્યો વિસ્તાર એટલે ૨ જિલ્લામાં ફેલાયેલો અરુણાચલ પ્રદેશ. આજેય અહીંના અનેક પહાડી જંગલ વિસ્તારો અતિ દુર્લભ છે. એક યોજનાના ભાગરૂપે ૨૦૦૩માં તેમણે તવાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ખેડાણ કર્યું અને બુમ લા નામના વિસ્તાર સુધી પહોંચ્યા. દરિયાઈ સપાટીથી ૪,૬૦૦ મીટર ઊંચે આવેલા બુમ લાના ગાઢ જંગલોમાં ભારત-ચીનની સરહદ છે. આ દરમિયાન તેઓ પશ્ચિમ કામેંગ જિલ્લામાં આવેલો પોશિંગ લા માઉન્ટેઇન પાસ ઓળંગીને બોમડિલાથી તુલુંગ લા થઈને 'બેઇલી ટ્રેઇલ' સુધી પણ ગયા. આ વિસ્તારોમાં ભ્રમણ કરીને તેમણે અરુણાચલ પ્રદેશના સૌથી ઊંચા શિખર કાંગટોની (૭૦૬૦ મીટર) તસવીરો પણ ક્લિક કરી, જે ભારત-ચીન સરહદની વચ્ચે આવેલું છે. આ શિખરને ચીન દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવીને દાવો કરી રહ્યું છે.

બોમડિલા નજીક ઇગલ્સ નેસ્ટ વાઇલ્ડલાઇફ અને સેસા ઓર્કિડ નામના ભારતના બે અનોખા અભયારણ્ય આવેલા છે. બોમડિલામાં આકાશવાણીનું કેન્દ્ર પણ છે. આમ છતાં, એક સરેરાશ ભારતીય અહીંના મોટા ભાગના રાજ્યોથી અજાણ છે. હરીશ કાપડિયાએ અહીંના પહાડી જંગલોમાં અનેક ખીણો અને માઉન્ટેઇન પાસમાંથી આગળ જવાના રસ્તા શોધી કાઢ્યા છે. ખીણોની ધાર પર આવેલા પર્વતોમાંથી નીકળતી કેડીઓને 'માઉન્ટેઇન પાસ' કહેવાય. વેપાર અને સ્થળાંતરનો ઈતિહાસ જાણવા, લશ્કર માટે ચોકીઓ ઊભી કરવા, યુદ્ધને ધ્યાનમાં રાખીને રસ્તા બનાવવા તેમજ નવી વનસ્પતિઓ અને પશુ-પંખીઓની જાણકારી મેળવવા આ પ્રકારના રૂટ ઘણું મહત્ત્વ ધરાવે છે. અરુણાચલ પ્રદેશ આજેય વનસ્પતિશાસ્ત્રીઓનું સ્વર્ગ ગણાય છે.  

બિશિંગની ખીણમાં ઉતર્યા તો ઉપર નહીં આવી શકો!

અરુણાચલમાં એકાદ વર્ષના વૉર્મ અપ સેશન પછી હરીશ કાપડિયાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વી. કે. શશીન્દ્રન, પર્વતારોહક મોટુપ ચેવાંગ તેમજ યોનતોન અને શેરિંગ નામના બે સ્થાનિક સાથે એક એક્સપિડિશનનું આયોજન કર્યું. આ પ્રવાસના મુખ્ય બે હેતુ હતા. પહેલો- સાંગપો નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળની સંપૂર્ણ ભૌગોલિક માહિતી ભેગી કરવાનો અને બીજો- સિઆંગ ખીણ ઉપરથી નામચા બારવા પર્વત દેખાય છે કે નહીં એ તપાસવાનો.
તિબેટમાંથી દેખાતો નામચા બારવા પર્વત
નામચા બારવા અને ગ્યાલા પેરી સાથેના વિસ્તારનો નકશો

આ બે હેતુ સાથે હરીશ કાપડિયાએ નવેમ્બર ૨૦૦૪માં અપર સિઆંગ જિલ્લાના (અરુણાચલમાં લૉઅર, ઇસ્ટ અને વેસ્ટ સિઆંગ નામના જિલ્લા પણ છે) પહાડી ગામ બિશિંગમાંથી ચીન સરહદ નજીક આવેલો ગુયોર લા માઉન્ટેઇન પાસ ઓળંગીને સિઆંગ નદીની ખીણ તરફ જવાનું નક્કી કર્યું. એ સ્થળેથી નામચા બારવા પર્વત સ્પષ્ટ જોઈ શકાય છે. સાંગપો નદીની ભૂગોળ સમજવા એ દૃશ્ય જોવું જરૂરી હતું. આ વિસ્તાર હરીશ કાપડિયા પહેલાં કોઈ પર્વતારોહક જોઈ શક્યો નથી. કુલ છ દિવસના આ ટ્રેકમાં બિશિંગ ગામની ખીણમાં ઉતરીને, સિઆંગના કિનારે આગળ વધીને, ગાઢ જંગલોમાંથી પસાર થવામાં સફળતા મળે તો ગુયોર લા પહોંચી શકાય! બિશિંગમાંથી હરીશ કાપડિયાની ટીમ નીકળી ત્યારે કેટલીક સ્થાનિક મહિલાઓએ ગુસપુસ પણ કરી કે, 'એકવાર આ લોકો અહીંથી નીચે ઉતરી ગયા તો ઉપર નહીં આવી શકે...'

અરુણાચલના મોટા ભાગના પહાડી ગામોમાં સ્થાનિકોએ અવરજવર કરવા વાંસના પુલો અને નિસરણીઓ બનાવી છે, પરંતુ આ સ્થળે તો સ્થાનિકોય જવાનું ટાળતા. કેટલાક પર્વતો પર તો આગળ વધવા ૬૦ ફૂટ ઊંચી નિસરણીઓ બનાવાઈ છે, જેના પર ચઢતી વખતે નીચે ખીણમાં ધસમસતી સાંગપો જોઈ શકાય છે.

ટ્રેકમાં અતિ ઝેરી સાપ રસેલ્સ વાઇપર મળ્યો અને...

જોકે, હરીશ કાપડિયા ૫૯ વર્ષની ઉંમરે પોતાની ટીમ સાથે ઝાડીઓ પકડીને આશરે પાંચ હજાર ફૂટ ઊંડી ખીણમાં ઉતરીને સાંગપોના કિનારે પહોંચી ગયા. એ પછી શરૂ થયો ગુયોર લા પહોંચવાનો ટ્રેક. આ ટ્રેકમાં સૌથી આગળ યોનતોન રહેતો, જે ઝાડી ઝાંખરા સાફ કરીને રસ્તો બનાવતો અને શેરિંગ જળો, ઝેરી સાપ અને બીજા જીવજંતુઓ હુમલો ના કરે તેનું ધ્યાન રાખીને ટીમને આગળ વધારતો. અહીંના જંગલોમાં વરસાદ પડે ત્યારે વૃક્ષો પરથી ઝેરીલા જીવજંતુઓનો પણ ટપક્યા કરે, જેમાંથી જીવતા બહાર નીકળવું ગમે તેવા સર્વાઇવલ એક્સપર્ટ માટે લગભગ અશક્ય. અહીં દુનિયાના સૌથી ઝેરી સાપોમાંનો એક રસેલ્સ વાઇપર પણ જોવા મળે છે.


હરીશ કાપડિયાનું પાને પાને ક્યારેય નહીં
સાંભળેલી કહાનીઓ બયાં કરતું  પુસ્તક 

હરીશ કાપડિયા 'ઈન ટુ ધ અનટ્રાવેલ્ડ હિમાલયઃ ટ્રાવેલ્સ, ટ્રેક્સ એન્ડ ક્લાઇમ્બ્સ' નામના પુસ્તકમાં લખે છે કે, ''...એકવાર અમે એક રસેલ્સ વાઇપર જોયો, પરંતુ અમે સાપને ધ્યાનથી જોઈએ એ પહેલાં તો અમારા ગાઇડે તેનું માથું કાપી નાંખ્યું. એ દિવસે તેમણે પાર્ટી કરી. બીજા પણ એક પ્રસંગે તેમણે એક સાપના રામ રમાડી દીધા હતા, પરંતુ એ સાપ તેમણે ખાધો નહીં કારણ કે, એ સાપ ઝેરી નહોતો. તેમણે કહ્યું કે, ફક્ત ઝેરી સાપ જ સ્વાદિષ્ટ હોય! આ સ્થાનિકો ગિલોલના એક જ ઘાથી ગમે તેવી ઝડપે ઊડતા પક્ષીને મારી નાંખતા. તેઓ અમને કહેતા કે, અમે ઊડતા એરોપ્લેન અને માણસ સિવાય બધાનો શિકાર કરીએ છીએ અને બધું ખાઈએ છીએ...''

સાંગપો નદીના કિનારે એક જાદુઇ રાત્રિ

આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને હરીશ કાપડિયાની ટીમ મેકમોહન લાઇન નજીક આવેલા ૧,૭૬૦ મીટર ઊંચા ગુયોગ લા માઉન્ટેઇન પાસ પહોંચી. એ સ્થળે ભારતીય સેનાએ હેલિકોપ્ટરોમાંથી ઉતરીને અશોક સ્તંભ મૂક્યો છે, જે ભારતીય પ્રદેશ શરૂ થયો હોવાનો સંદેશ આપે છે.

એ સ્થળે ચારેય બાજુ સાંગપોના વહેણમાં તણાઈને આવેલા વૃક્ષોના મૂળસોતા ઉખડેલા ભીના થડ પથરાયેલા હતા. ભેજવાળા અને ઠંડા જંગલના કારણે કેમ્પફાયર માટે સૂકા લાકડા મળી શકે એમ ન હતા. આ એ જ સ્થળ હતું, જ્યાં કિંથુપે તિબેટમાંથી ભારત તરફ એંશી કિલોમીટર અંદર આવીને લાકડાના ૫૦૦ બ્લોક તૈયાર કરીને સાંગપોના વહેણમાં નાંખ્યા હતા. એ વિસ્તારના પહાડો પર ક્લાઇમ્બિંગ કરીને  હરીશ કાપડિયાની ટીમ આગળ વધી અને થોડા જ સમયમાં તેઓ સાંગપો નદી વળાંક લઈને ભારતમાં પ્રવેશે છે, એ સ્થળે પહોંચી. નામચા બારવા અને ગ્યાલા પેરી પર્વતો નજીક સાંગપો અંગ્રેજીના 'એસ' આકારમાં લટકો લઈને ભારતમાં પ્રવેશે છે. આજે પર્વતારોહણની દુનિયામાં એ સ્થળ 'એસ બેન્ડ' તરીકે ઓળખાય છે. આ નામ પણ હરીશ કાપડિયાએ જ આપ્યું છે.
સાંગપો ‘એસ’ આકારમાં લટકો લઈને
આ  સ્થળેથી ભારતમાં પ્રવેશે છે

‘એસ’ બેન્ડ પહોંચતા જ આખી ટીમ મંત્રમુગ્ધ થઈને થોડી ક્ષણો સુધી સાંગપોના ભારતમાં પ્રવેશતા પ્રવાહને જોતી રહી. જે સ્થળે પહોંચવા અનેક સાહસિકો દાયકાઓથી ઝઝૂમી રહ્યા હતા, ત્યાં એક ગુજરાતી પોતાની ટીમને લઈને પહોંચી ગયો. એ જ સ્થળેથી સાંગપો અપર સિઆંગ જિલ્લાના તુતિંગ ગામ તરફ વહીને સિયોમ નદીને મળીને આસામ તરફ આગળ વધે છે, જ્યાં તે લોહિત અને દિબાંગ નદીને મળીને બ્રહ્મપુત્ર બને છે અને પછી બાંગ્લાદેશ તરફ જાય છે. એ દિવસે હરીશ કાપડિયાની ટીમે સાંગપોના કિનારે રાત વીતાવી, જેને તેઓ જીવનની સૌથી 'જાદુઇ રાત્રિ' કહે છે.

એ ટ્રેકમાં હરીશ કાપડિયાને અનેક સ્થળે નાના મોટા અકસ્માતોનો સામનો કરવો પડ્યો હતો. સાંગપોના કિનારેથી પરત ફરતી વખતે તેમના જેવા અઠંગ પર્વતારોહક ૧૫૦ ફૂટ નીચે લપસીને ઈજાગ્રસ્ત થયા હતા. એ પછી સતત ચાર કલાક પીડા ભોગવીને તેઓ મુખ્ય પર્વતની કેડીએ પહોંચી શક્યા હતા.

પર્વતારોહણના 'ઓસ્કર' ગણાતા એવોર્ડનું સન્માન

પર્વતારોહણ અને હિમાલય એક્સપ્લોરેશનમાં જબરદસ્ત પ્રદાન આપવા બદલ હરીશ કાપડિયાને ત્રીજી નવેમ્બર, ૨૦૧૭ના રોજ દક્ષિણ કોરિયામાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ પિઓલેટ્સ (આઈસ એક્સ) ડિ'ઓર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. ટ્રેકિંગની દુનિયાનું 'ઓસ્કર' ગણાતું આ સન્માન આજ સુધી કોઈ ભારતીયને મળ્યું નથી.

૧૯૬૪માં હરીશ કાપડિયા અને તેનજિંગ નોર્ગે 

સિઆંગ ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચ્યા, એ તો હરીશ કાપડિયાની હિમાલયન સિદ્ધિઓ પૈકીની એક નાનકડી સિદ્ધિ છે. તેઓ હિમાલયના દુર્લભ ગણાતા દેવતોલી (૬૭૮૮ મીટર), બંદરપૂંછ (૬૧૦૨), પારિલુંગબી (૬૧૬૬), લુંગસર કાંગરી (૬૬૬૬) અને લદાખના સૌથી ઊંચા રૂપશુ શિખરમાં ક્લાઇમ્બિંગ પોસિબિલિટીઝ ખોજી ચૂક્યા છે. હરીશ કાપડિયાની આગેવાનીમાં બ્રિટીશર પાંચ વાર, ફ્રેન્ચ બે વાર અને જાપાનીઝ એક વાર હિમાલયમાં આંતરરાષ્ટ્રીય એક્સપિડિશન કરી ચૂક્યા છે . તેઓ રિમો-૧ (૭૩૮૫ મી), ચોંગ કુમદાન કાંગરી (૭૦૭૧), સુદર્શન અને પદ્મનાભ પર્વત (૭૦૩૦) તેમજ પંચચુલી નામના પાંચ પર્વતો (૬૯૦૪)માં પણ એક્સપ્લોરેશન કરી ચૂક્યા છે. ઈન્ડિયન માઉન્ટેઇનિયરિંગ ફાઉન્ડેશને ૧૯૯૩માં તેમનું સુવર્ણ ચંદ્રક આપીને સન્માન કર્યું હતું.

આજેય દુનિયાભરમાં તેમને હિમાલયન ટ્રેકિંગ અને એક્સપ્લોરેશન પર બોલવા આમંત્રણો અપાય છે. હાલ તેઓ બ્રિટીશ અલ્પાઇન ક્લબના માનદ્ સભ્ય તરીકે સેવા આપે છે. હરીશ કાપડિયાએ  હિમાલયના દુર્લભ વિસ્તારોની તસવીરો અને નકશાનું કલેક્શન અમેરિકન અલ્પાઇન ક્લબ અને સ્વિસ નેશનલ મ્યુઝિયમને ભેટમાં આપી દીધું છે. અમેરિકાના ડિઝની વર્લ્ડના એનિમલ કિંગ્ડમમાં 'એક્સપિડિશન એવરેસ્ટઃ લિજેન્ડ્સ ઓફ ફોરબિડન માઉન્ટેઇન્સ' નામના પોઇન્ટ પર હરીશ કાપડિયાનું 'મીટિંગ ધ માઉન્ટેઇન્સ' નામનું પુસ્તક પ્રદર્શિત કરાયું છે. હરીશ કાપડિયા હિમાલયન માઉન્ટેઇનિયરિંગ અને એક્સપ્લોરેશનની અતિ દુર્લભ માહિતી પીરસતા ડઝનેક પુસ્તકો લખી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં જ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનિયતા હાંસલ થઈ હતી.     

***

હરીશ કાપડિયા ૧૯૭૪માં નંદાદેવી અભયારણ્યની ૬,૨૦૦ મીટર ઊંડી ખાઈમાં લપસી પડ્યા હતા. આ અકસ્માત પછી તેમના સાથીદારોએ ૧૩ દિવસની જહેમત પછી હરીશ કાપડિયાને બેઝ કેમ્પ પહોંચાડ્યા હતા. આ અકસ્માતમાં તેમના થાપાના હાડકાને ભારે નુકસાન થયું હતું, જેથી બેઝ કેમ્પથી તેમને હેલિકોપ્ટરમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટના પછી તેમણે લગભગ બે વર્ષ સુધી આરામ કર્યો, પરંતુ સાજા થતા જ ફરી પાછા જંપીને બેસવાના બદલે આજે ૭૨ વર્ષેય સતત ડુંગરોમાં ભમી રહ્યા છે.

નોંધઃ આ લેખના ભાગ- અને 

22 January, 2018

કિંથુપ : નૈન સિંઘનું અધૂરું કામ પૂરું કરનારો દરજી


નૈન સિંઘ રાવતે ૧૫૦ વર્ષ પહેલાં નેપાળ અને તિબેટમાં આવેલા હિમાલયની પર્વતમાળાઓમાં એકલપંડે પ્રવાસ કરીને સાંગપોનો નકશો તૈયાર કર્યો હતો. એ માટે તેમણે ૧૮૬૫માં કાઠમંડુથી લ્હાસા અને ૧૮૭૩માં લેહથી લ્હાસા સુધી આશરે પાંચેક વર્ષ ૩,૫૦૦ કિલોમીટર પહાડી જંગલોમાં રઝળપાટ કરી હતી. 

હવે આગળ વાત.

નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે, લ્હાસાની પૂર્વે ચેતાંગ નામના પ્રદેશમાં ચીની સૈનિકોએ તેમને અટકાવી દીધા હતા. જોકે, ચીની સૈનિકોએ નૈન સિંઘને પકડી ના લીધા, પરંતુ તિબેટની વિરુદ્ધ દક્ષિણ દિશા (ભારત) તરફ જવાની ફરજ પાડી. છેવટે નૈન સિંઘે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની સરહદેથી ભારત પાછા આવવું પડ્યું. ભારત પાછા આવીને તેમણે બ્રિટીશરોને સાંગપો નદીની ઘણી બધી માહિતી તો આપી, પરંતુ લ્હાસામાં વહેતા સાંગપોના વહેણ વિશે તેમની પાસે કોઈ માહિતી ન હતી. લ્હાસામાં વહેતી 'લ્હાસા' નામની નદી સાંગપોની જ ઉપ નદી છે એ વાત આજે તો ઉપગ્રહોની મદદથી સાબિત થઈ ગઈ છે, પરંતુ એ જમાનામાં નૈન સિંઘ જેવા જ બીજા અનેક સાહસિકોએ સાંગપો વિશે આવી નાની-નાની માહિતી ભેગી કરવા જોખમી પ્રવાસ ખેડવા પડ્યા હતા.

નૈન સિંઘનું અધૂરું કામ શરૂ કરનારા સાહસિકો

નૈન સિંઘ ભારત પાછા આવ્યાના બીજા જ વર્ષે, ૧૮૭૪માં, સર્વે ઓફ ઈન્ડિયાએ આસામ ડિવિઝનનું કામ લેફ્ટનન્ટ હેનરી હરમાન નામના બ્રિટીશરને સોંપાયું. લેફ્ટનન્ટ હરમાન ભૌગોલિક બાબતોના જાણકાર, સાહસિક, ખડતલ અને ઉત્સાહી લશ્કરી અધિકારી હતા. તેમણે પૂર્વ ભારતની અનેક નદીઓના જુદા જુદા વહેણની માપણી કરી હતી. સિઆંગ નદીનો પ્રવાહ જોઈને તેમને શંકા ગઈ હતી કે, સિઆંગ નદી જ સાંગપો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ શંકાનો કીડો શાંત કરવા લેફ્ટનન્ટ હરમાને ૧૮૭૮માં નેમ સિંઘ નામનો એક યુવક તૈયાર કર્યો. નેમ સિંઘના મદદનીશ તરીકે તેમણે દાર્જિલિંગના કિંથુપ નામના બીજા એક યુવકની પણ ભરતી કરી. આ બંનેને તેમણે સિઆંગ કિનારે કિનારે ચાલીને તેનો રૂટ તૈયાર કરવાનું કામ સોંપ્યું.


કિંથુપ

નેમ સિંઘ અને કિંથુપ સાંગપોની દિશામાં તિબેટના ચેતાંગ નજીક પહોંચ્યા અને ચીનના સૈનિકોની નજરથી બચીને શક્ય એટલી માહિતી ભેગી કરી. તેઓ ગ્યાલા પેરી અને નામચા બારવા પર્વતથી પણ દૂરસુદુરના વિસ્તારોમાં પહોંચી શક્યા હતા. નેમ સિંઘ અને કિંથુપ પાછા આવ્યા ત્યારે તેમની પાસે સાંગપોના વધુ ૪૬૦ કિલોમીટરના રૂટની માહિતી હતી. આશરે ૧૩૯ વર્ષ પહેલા આ બહુ જ મોટી સિદ્ધિ હતી. એ વખતે હિમાલયમાં રઝળપાટ કરનારા લોકો પાસે સર્વાઇવ થવા અત્યારના જેવા હાઇટેક ઇક્વિપમેન્ટ ન હતા.

લેફ. હરમાનને સાંગપોની માહિતીથી સંતોષ નહોતો

નેમ સિંગ અને કિંથુપે સાંગપોની ૪૬૦ કિલોમીટરની માહિતીથી લેફ્ટનન્ટ હેનરી હરમાન ખુશ તો થયા, પરંતુ તેમને હજુયે સંતોષ ન હતો. સર્વે ઓફ ઈન્ડિયાએ ૧૮૮૦માં તેમને દાર્જિલિંગમાં નિયુક્ત કર્યા હતા. દાર્જિલિંગમાં પણ સાંગપોના બાકી કેટલાક રૂટનો નકશો તૈયાર કરવાની તેમની મથામણ ચાલુ જ હતી. આ કામ પૂરું કરવા લેફ્ટનન્ટ હરમાને ફરી એકવાર કિંથુપને તૈયાર કર્યો. કિંથુપ દાર્જિલિંગમાં દરજી કામ કરીને ગુજરાન ચલાવતો. એ ધંધામાં તેને ખાસ કોઈ ઉપજ ન હતી એટલે પૈસાની લાલચે લેફ્ટનન્ટ હરમાનનું કામ કરવા તૈયાર થઈ ગયો. કિંથુપ તાલીમ પામેલો એક્સપ્લોરર ન હતો, પરંતુ સાહસિક અને સમજદાર જરૂર હતો


હિમાલયમાં કૈલાશ પર્વત નજીકથી શરૂ થતો બ્રહ્મપુત્રનો પ્રવાસ

જોકે, કિંથુપ નિરક્ષર હોવાથી લેફ્ટનન્ટ હરમાને તેની સાથે પ્રવાસ કરવા એક ચાઈનીઝ લામાને પણ તૈયાર કર્યા. આ બંને ૨૬ કિલોમીટરનો અત્યંત અઘરો પ્રવાસ કરીને તિબેટની મેડોંગ કાઉન્ટીમાં આવેલા પેમાકોચુંગ નામના ગામ સુધી પહોંચ્યા હતા. આ ગામથી થોડેક જ દૂર સાંગપો ૧૫૦ ફૂટ ખાઈમાં પડે છે અને આગળ જઈને સિઆંગ નદીનું સર્જન કરે છે, પરંતુ કિંથુપ કે ચાઈનીઝ લામા એ વાતથી અજાણ હતા.

આ પ્રવાસ સારી રીતે શરૂ થયો હતો, પરંતુ એક બૌદ્ધ મઠમાં ઉતારો કર્યો ત્યારે ચાઈનીઝ લામા કિંથુપને ગુલામ તરીકે વેચીને ગાયબ થઈ ગયા. કિંથુપ બે વર્ષ પછી ત્યાંથી છૂટ્યો અને ૫૬ કિલોમીટર દૂર મેડોંગ કાઉન્ટીમાં આવેલા મારપુંગ સુધી ભાગવામાં સફળ રહ્યો.

કિંથુપ વિપરિત સંજોગોમાં પણ લક્ષ્ય ના ભૂલ્યો

બૌદ્ધ મઠથી ૫૬ કિલોમીટર દૂર સુધી ભાગવામાં સફળ થયા પછીયે કિંથુપ બીજા કેટલાક ચાઈનીઝ લામાના હાથે ઝડપાઈ ગયો. એ વખતે કિંથુપે બૌદ્ધ ધર્મસ્થળોની જાત્રા કરવાનું બહાનું બતાવી માથાભારે લામાઓથી પીછો છોડાવ્યો. ત્યાર પછી તે સાંગપો નદી ઓળંગીને ભારત તરફના કિનારે આવી ગયો. તિબેટમાં ભારે મુશ્કેલીઓ પડ્યા પછી કિંથુપની સાંગપો નદી વિશે જાણવાની જિજ્ઞાસાવૃત્તિ વધુ ગાઢ થઈ ગઈ હતી. કિંથુપ ગમે તે ભોગે સાંગપોનો રૂટ જાણવા માંગતો હતો. આ વાત સાબિત કરવા તેણે એક દેશી પદ્ધતિ અજમાવી.

ભારત તરફના કિનારે રખડપટ્ટી કરીને કિંથુપે લાકડાના ૫૦૦ મોટા ટુકડા તૈયાર કર્યા. એ તમામ પર ખાસ પ્રકારના પ્રતીકો ચીતર્યા અને રોજ થોડા ટુકડા સાંગપોના વહેણમાં તરતા મૂકી દીધા. કિંથુપ અભણ હતો, પરંતુ એટલું જાણતો હતો કે આસામના અફાટ મેદાની પ્રદેશમાં વહેતી બ્રહ્મપુત્રમાં આ લાકડાના ટુકડાના જોવા મળે તો સમજવું કે સાંગપો, સિઆંગ અને બ્રહ્મપુત્ર એક જ નદી છે. આ કામ પૂરું કરીને કિંથુપ સાંગપોના રસ્તે ૬૪ કિલોમીટર ચાલીને ભારતમાં પ્રવેશ્યો. હિમાલયની કોઈ ટેકરી પરથી તેણે આસામના મેદાની પ્રદેશમાં પથરાતી બ્રહ્મપુત્રના ધસમસતા વહેણને જોયું ત્યારે તેને અંદાજ આવી ગયો કે, આસામ ખીણમાં વહેતી બ્રહ્મપુત્ર જ સિઆંગ કે સાંગપો છે.

જોકે, ચાર વર્ષની રઝળપાટ પછી, ૧૮૮૪માં, કિંથુપ દાર્જિલિંગ પરત ફર્યો ત્યારે તેણે સાંગપોમાં નાંખેલા લાકડાના ટુકડાની રાહ જોવાવાળું કોઈ ન હતું. તેણે દાર્જિલિંગ પહોંચીને લેફ્ટનન્ટ હેનરી હરમાનને પત્ર લખ્યો, પરંતુ તેઓ ભારત છોડીને જતા રહ્યા હતા. કિંથુપે સાબિત કરી દીધું હતું કે, સાંગપો એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ તેની વાત પર કોઈને વિશ્વાસ ન હતો.

છેવટે છેક ૧૯૧૩માં કિંથુપને યશ મળ્યો

બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા કિંથુપે કરેલી સાહસયાત્રા તો સમય જતા ભૂલાઈ ગઈ કારણ કે, તે બ્રિટનનો કોઈ લશ્કરી અધિકારી કે વિજ્ઞાની નહોતો પણ દાર્જિલિંગના એક નાનકડા ગામનો દરજી હતો. કિંથુપ તિબેટનો પ્રવાસ ખેડીને પાછો આવ્યો તેના ત્રણ દાયકા પછી, ૧૯૧૩માં, બ્રિટીશ લશ્કરી અધિકારી ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં વણખેડાયેલા પ્રદેશોમાં જઈને સાંગપોનો વધુ એક વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કર્યો. આ અહેવાલો પરથી સાબિત થયું કે, કિંથુપે આપેલી માહિતી સચોટ છે.


આ બે પુસ્તકમાં કિંથુપના પ્રવાસનું ઊંડું અને રસપ્રદ વર્ણન છે 

લે. ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એચ.ટી. મોર્શિદ

અંગ્રેજી ભાષામાં હિમાલય એક્સપ્લોરેશનને લગતા સંખ્યાબંધ પુસ્તકો લખાયા છે, જેમાં બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા ખેડાયેલા સાહસ પ્રવાસોની વાત છેડાય ત્યારે નૈન સિંઘ રાવતની સાથે કિંથુપને પણ યાદ કરવામાં આવે છે. કિંથુપે આપેલી માહિતી સાચી છે એ વાત ફ્રેડરિક માર્શમેન બેઇલીએ સાબિત કરી હતી. સદભાગ્યે, એ વખતે કિંથુપ જીવિત હતો અને બેઇલીએ દબાણ કર્યા પછી સર્વે ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ કિંથુપને સિમલા આમંત્રિત કરીને તેનું જાહેર સન્માન પણ કર્યું હતું. બેઇલીએ તો કિંથુપને જીવે ત્યાં સુધી પેન્શન આપવાની પણ ભારત સરકારને ભલામણ કરી હતી, પરંતુ કિંથુપ કુલ નેવું વર્ષ જીવે એવું વિચારીને સરકારે કિંથુપને એક જ વાર મોટી રકમનું ઇનામ આપવાનું મુનાસીબ સમજ્યું હતું.  

કિંથુપ માન-મરતબો અને પુરસ્કારો લઈને દાર્જિલિંગ પાછો આવ્યો, તેના થોડા જ દિવસોમાં બેઈલીને  કિંથુપના મૃત્યુના સમાચાર મળ્યા હતા.  

અરુણાચલની વિખ્યાત 'બેઇલી ટ્રેઇલ'ની શોધ

કિંથુપની વાત કરીએ ત્યારે ફ્રેડરિક માર્શમેન બેઇલીની પણ વિગતે વાત કરવી જરૂરી છે. બ્રિટીશ રાજ વખતે અંગ્રેજ અધિકારીઓ અરુણાચલ પ્રદેશ, આસામ અને તિબેટના સરહદી પ્રદેશોનો નકશો તૈયાર સ્થાનિકોની મદદથી મથામણ કરતા હતા. એ વખતે અરુણાચલ પ્રદેશ 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી' (નેફા) તરીકે ઓળખાતું. આ પ્રકારના સર્વે વખતે વિવાદો થતાં બ્રિટીશ અધિકારી સર હેનરી મેકમોહને ૧૯૧૩માં સિમલામાં ભારત, ચીન અને તિબેટના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી. આ બેઠકમાં સર મેકમોહને એક કાચોપાકો નકશો રજૂ કરી નેફા અને તિબેટ વચ્ચે એક રેખા આંકી દીધી, જેને દુનિયા 'મેકમોહન લાઇન' તરીકે ઓળખે છે. ચીનના અધિકારીઓની હાજરીમાં ભારત અને તિબેટના અધિકારીઓએ આ સંધિ પર સહી કરી, પરંતુ ચીને તેનો સ્વીકાર કરવાની ના પાડી અને ત્યારથી આ સરહદી વિવાદ સતત સળગતો પ્રશ્ન છે.

બેઇલી અને મોર્શિદે ખેડેલા પ્રવાસનો રૂટ 

આ તો જાણીતો ઈતિહાસ છે, પરંતુ એ પહેલાં થયું એવું કે બ્રિટીશ રાજને નેફા અને તિબેટની ભૌગોલિક માહિતી ભેગી કરીને નકશા તૈયાર કરવા હતા. આ કામ માટે તેમણે લેફ્ટનન્ટ કર્નલ ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એ.ટી. મોર્શિદની નિમણૂક કરી. મોર્શિદ તાલીમ પામેલા સર્વેયર પણ હતા. આ બંને બ્રિટીશ અધિકારી સાંગપો નદીની ખીણના કિનારે કિનારે તિબેટથી વાયા ભુતાન આગળ વધીને ભારત તરફ આવ્યા હતા. આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશના તુલુંગ લા પાસ, પોશિંગ લા અને થેમ્બાંગ સહિતના અનેક દુર્લભ વિસ્તારોના સંપૂર્ણ નકશા તૈયાર કર્યા. આ માહિતીના આધારે સર હેનરી મેકમોહને તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે 'મેકમોહન લાઇન' ખેંચી હતી. લેફ્ટનન્ટ બેઇલીના નામ પરથી જ આ રૂટ 'બેઇલી ટ્રેઇલ' તરીકે ઓળખાય છે. ચીને ૧૯૬૨માં તિબેટથી આસામ તરફના આ રૂટ પરથી ઘૂસણખોરી કરીને ભારત સાથે યુદ્ધ છેડ્યું હતું.

ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં રખડપટ્ટી કરીને પશુ-પક્ષીઓ અને પતંગિયા વિશે પ્રચંડ માહિતી ભેગી કરી હતીઆજેય લંડનના નેચલ હિસ્ટરી મ્યુઝિયમમાં બેઇલીએ ભેગા કરેલા બે હજાર નમૂના સચવાયેલા છે. ન્યૂયોર્કના અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરીમાં પણ બેઇલીના અંગત કલેક્શનનું કાયમી પ્રદર્શન કરાયેલું છે. બેઇલીએ તૈયાર કરેલા અહેવાલો, પેપર્સ અને અઢળક તસવીરોનું કલેક્શન બ્રિટીશ લાઇબ્રેરી પાસે છે.

***

આજે તો એરિયલ ફોટોગ્રાફી અને ઉપગ્રહોથી લીધેલી તસવીરોની મદદથી સાબિત થઈ ગયું છે કે, સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ એક સમયે તેનો નકશો તૈયાર કરવા આવી હીરોઇક એક્સપિડિશન્સ થઈ હતી અને એ પણ કોઈ જ પ્રકારના હાઇટેક સાધનોની મદદ વિના.

હિમાલયના વિવિધ વિસ્તારોના નકશા તૈયાર કરવા બ્રિટીશરોએ જબરો ઉત્સાહ દાખવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત છે કે, ૨૧મી સદીના ભારત પાસે આજેય હિમાલયના ગાઢ જંગલો, પર્વતો, ઉપ નદીઓની વૈજ્ઞાનિક માહિતી નથી. આ પ્રદેશોની કુદરતી સંપત્તિનું દસ્તાવેજીકરણ હજુયે બાકી છે. સિઆંગ નદી ભારતમાં પ્રવેશીને બ્રહ્મપુત્ર બને છે એ ચોક્કસ સ્થળે પણ ૨૧મી સદીની શરૂઆત સુધી કોઈ પહોંચ્યું ન હતું, પરંતુ ૨૦૦૪માં એક ગુજરાતી સાહસિકે એ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી.

એ ગુજરાતી પ્રવાસીની વાત આવતા અંકે