Showing posts with label શિક્ષણ. Show all posts
Showing posts with label શિક્ષણ. Show all posts

10 July, 2018

હાયર એજ્યુકેશન: સ્વાયત્તતા અને રાજકારણ


ભારતમાં ઉચ્ચ શિક્ષણની મુશ્કેલીઓના ઉકેલની વાત આવે ત્યારે સ્વાયત્તતા (ઓટોનોમી)નો મુદ્દો અચૂક છેડાય છે. આપણે હજારો વાર સાંભળી ચૂક્યા છીએ કે, શૈક્ષણિક સંસ્થાઓની ફલાણી-ઢીંકણી સમસ્યાઓનો અંત લાવવા સ્વાયત્તતા આપી દેવી જોઈએ. જાણે સ્વાયત્તતા જ ઉચ્ચ શિક્ષણની બધી મુશ્કેલીની દવા હોય! રાજકારણીઓ પણ હવે આ ભાષા બોલે છે, પણ પ્રાઈવેટ કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા છીનવવાનું કામ રાજકારણીઓ જ કરે છે. જો તેમણે શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તતા આપવી હોય તો આપી દે. એમાં ચોળીને ચીકણું કરવાની ક્યાં જરૂર છે? આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે, યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરની નિમણૂક પ્રક્રિયામાં સુધારો કરાશે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક  જેટલું જ મહત્ત્વ, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓની નિમણૂકનું પણ છે.

આપણી યુનિવર્સિટીઓના વડાઓ અને અધ્યાપકો પર અવારનવાર હુમલા થાય છે. કદાચ શિક્ષકના હોદ્દાની ગરિમા ભૂંસાઇ ગઇ હોવાથી આવી ઘટનાઓ વધી ગઇ છે. દુનિયાને ગુરુશિષ્યની પરંપરાની ભેટ આપનારા આ દેશમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આદરણીય સંબંધ દિવસે ને દિવસે ખતમ થઇ રહ્યો છે. ગયા અઠવાડિયે જ કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓએ એક અધ્યાપકનું મ્હોં કાળા રંગથી રંગી દીધું. વિદ્યાર્થીઓ પોતાના ગુરુનું આવું અપમાન કરી રહ્યા હતા ત્યારે કેમેરા પણ હતા, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ ડર કે શરમ ન હતા. આ પ્રકારના દૃશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે, ભારતમાં શિક્ષણનું ભવિષ્ય શું છે?

આ પ્રકારના દૃશ્યો એટલા સામાન્ય બની ગયા છે કે, તે આપણી સંવેદનના ઝકઝોરી શકતા નથી. શિક્ષક દિવસ ભલે પાંચમી સપ્ટેમ્બરે આવે છે, પણ, એક શિક્ષક ૩૬૫ દિવસ શિક્ષક હોય છે. આ વિદ્યાર્થીઓએ અધ્યાપક પર યુનિવર્સિટીની ચૂંટણીમાં મતદાતા પત્રકોમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો હતો. શું આ એટલો મોટો આરોપ છે કે, કેમેરા સામે અધ્યાપકનું મ્હોં કાળું કરીને તેમનું હળહળતું અપમાન કરવામાં આવે? કોઈ પણ અધ્યાપક ગમે તેટલો મોટો ગુનેગાર હોય તો પણ વિદ્યાર્થીઓને આવું વર્તન કરવાનો હક નથી. વ્યક્તિની નહીં પણ હોદ્દાની ગરિમા જેવી પણ કોઈ ચીજ હોય છે. કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે, એ અધ્યાપક ક્લાસરૂમમાં ભણાવતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ તેમને ખેંચીને ત્યાંથી લઈ ગયા અને એ પછી તેમનું મ્હોં કાળું કરી દીધું.




યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આવું કરવાની સ્વાયત્તતા આપી નથી, પરંતુ એ વિદ્યાર્થીઓએ જાતે જ લઈ લીધી. કોઈ પણ વિદ્યાર્થીઓ રાજકીય પક્ષના ટેકા વિના આવા કારસ્તાન ના કરી શકે. કચ્છ યુનિવર્સિટીના અધ્યાપકનું મ્હોં કાળું કરનારા વિદ્યાર્થીઓ પણ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા અથવા તેના સમર્થકો હતા. થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશના અલીગઢની શિવદાનસિંહ ઇન્ટર કોલેજના એક દલિત અધ્યાપકનો વિવાદાસ્પદ વીડિયો પણ સામે આવ્યો હતો. આ અધ્યાપકે એક અખબારની સ્ટોરીનું કટિંગ કરીને ફેસબુક પર પોસ્ટ કર્યું હતું, જેનું શીર્ષક હતું 'ભારત કે ભવિષ્ય કા નિર્માણ કરના હૈ તો બ્રાહ્મણવાદ કો પૈરો તલે કુચલ ડાલો.'

આ મામલો પોલીસ મથકે પહોંચ્યો. ત્યાં સુધી તો બધું બરાબર હતું, પરંતુ ત્યાં કોલેજ સાથે લેવાદેવા ન હતી ત્યાં ભાજપના સ્થાનિક નેતા પણ પહોંચ્યા. એ અધ્યાપકને ફેસબુક પર જ જાહેરમાં માફી માંગવા ફરજ પડાઈ. અહંકારમાં મદમસ્ત નેતાજીને એ પછી પણ સંતોષ ના થયો એટલે તેમને પોલીસની હાજરીમાં જ એક અધ્યાપકને પગમાં પડીને માફી માંગવા મજબૂર કર્યા. એક શિક્ષકને થોડી જ મિનિટોમાં લાચાર બનાવી દેવાયો. કોઈ પણ દેશ-સમાજ માટે લાચાર શિક્ષક બહુ જ મોટી શરમ છે. સ્થાનિક સ્તરે આ પ્રકારના વીડિયો વાયરલ થયા પછી શિક્ષક કયા મોંઢે વિદ્યાર્થીઓ સામે ગયા હશે! કોઈને પગમાં પડીને માફી માંગવાનું કહેવું એ સામંતવાદી-જમીનદારી માનસિકતા નથી? આ શિક્ષકે જે અખબારનું કટિંગ મૂક્યું હતું કે તેમાં એવો દાવો કરાયો હતો કે, બ્રાહ્મણવાદને કચડી નાંખવાનું સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. જોકે, એ ખોટી વાત છે.

અહીં કોઈ એક પક્ષના નેતાની વાત નથી. બધા પક્ષના નેતાઓ એકસરખા જ હોય છે. વાંક કદાચ આપણો છે. મૂળ મુદ્દો એ છે કે, આ નેતાઓને આવી સ્વાયત્તતા આપી કોણે? યુજીસીએ? હવે સરકારે ધ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા (રીપિલ ઓફ યુજીસી એક્ટ) એક્ટ ૨૦૧૮ હેઠળ યુજીસી ખતમ કરીને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયાની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે દેશની પ્રજા કોઈ સૂચન કરવા માંગતી હોય તો સમય પણ અપાયો છે, પણ ફક્ત દસ દિવસ. સરકારનું કહેવું છે કે, અમે ઉચ્ચ શિક્ષણનું નિયમન (રેગ્યુલેટિંગ) કરતી સંસ્થાઓને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ, જેથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુને વધુ સ્વાયત્તતા મળી શકે. જોકે, અત્યારે હાયર એજ્યુકેશનમાં ટોપ બોડી યુજીસી હોવા છતાં રાજ તો રાજકારણીઓનું જ છે, અને, યુજીસીના બદલે જે સંસ્થા ઊભી કરાશે તેમાં એવું નહીં થાય એની શું ગેરંટી!

એટલે જ એ સવાલ કરવો જરૂરી છે કે, યુજીસીમાં એવું શું નથી, જે નવા શિક્ષણ આયોગમાં સમાવી લેવાયું છે? રાજકારણીઓ ધારે તો નવા શિક્ષણ આયોગની સ્વાયત્તતા છીનવી જ શકે છે. ભારતીય શિક્ષણની જે કોઈ વિકરાળ મુશ્કેલીઓ યુજીસી સામે છે, એ નવા આયોગ સામે પણ હશે જ. આપણી શિક્ષણને લગતી મુશ્કેલીઓ એટલી ઊંડી અને વ્યાપક છે, જેનો કોઈ નવા આયોગની રચનાથી ઉકેલ આવે એ શક્ય જ નથી. દેશમાં કલા, સાહિત્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કોઈ જવા નથી માંગતું કારણ કે, આખો સમાજ મની ઓરિએન્ટેડ થઇ ગયો છે એના મૂળમાં સમગ્ર શિક્ષણ જગતની મુશ્કેલીઓ છે. તેમાં વિદ્યાર્થીઓનો વાંક નથી કારણ કે, ભારત જેવા વિકાસશીલ દેશમાં પૈસાથી જ સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જ વિદ્યાર્થીઓ દિલની વાત સાંભળવાના બદલે પૈસા વધારે મળે એ તરફ ઘેંટાની જેમ ચાલવા માંડે છે.

ઉચ્ચ શિક્ષણની બદતર હાલતનું એક નાનકડું ઉદાહરણ જોઈએ. હાલ દેશમાં એક લાખ શિક્ષકોની અછત છે. દેશના વિવિધ રાજ્યોના શિક્ષકો અને અધ્યાપકોના પગાર પણ એકસરખા નથી. ૨૫મી જૂને ઝારખંડ સેન્ટ્રલ યુનિવર્સિટીએ વેબસાઈટ પર જાહેર કર્યું હતું કે, તેઓ માસિક પગાર રૂ. ૫૫ હજારના ફિક્સ પગારથી ૬૪ આસિસ્ટન્ટ પ્રોફેસર (ટેમ્પરરી)ની ભરતી કરવા માંગે છે. ત્યાર પછી ૧૨ જ કલાકમાં યુનિવર્સિટીએ સુધારો કર્યો કે, રૂ. ૫૫ હજાર નહીં પણ રૂ. ૩૫ હજારનો માસિક પગાર મળશે. ફક્ત અડધા દિવસમાં જંગી પગાર ઘટાડો કરી દેવાયો. દિલ્હી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આવો જ હોદ્દો ધરાવતા પ્રોફેસરને માસિક રૂ. ૬૫ હજાર પગાર મળે છે. આમ, દેશની બે યુનિવર્સિટીના એક જ સરખા હોદ્દા ધરાવતા પ્રોફેસરોનો પગાર અલગ અલગ છે. મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તો રૂ. વીસ હજારના પગારદાર પ્રોફેસરો પણ છે. આ શિક્ષકો સાથે ક્રૂર મજાક છે.

આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે? શક્ય જ નથી કારણ કે, શિક્ષકને જ અન્યાયની ભાવના થઈ રહી હોવાથી એક સામાન્ય ઉમેદવાર જ પ્રોફેસરની નોકરી સ્વીકારશે અને એ પણ મજબૂરીમાં. થોડા સમય પહેલાં જ સમાચાર હતા કે, દેશની પ્રીમિયમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ્સમાં પણ એક તૃતિયાંશ હોદ્દા ખાલી છે. સરકારે જ આપેલા આંકડા પ્રમાણે, નવી સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ૫૩.૨૮ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ૪૭ ટકા હોદ્દા ખાલી છે. નવી-જૂની આઈઆઈટીમાં ૩૫ ટકા નિમણૂકો બાકી છે. દેશભરના આઈઆઈએમમાં સરેરાશ ૨૬ ટકા અને આઈઆઈએમ-ઇન્દોરમાં તો ૫૧ ટકા જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે, એપ્રિલ ૨૦૧૭ના આંકડા પ્રમાણે હરિયાણા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ૭૫ ટકા, દિલ્હી યુનિવર્સિટીમાં ૫૪.૭૫ ટકા અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ૬૪ ટકા હોદ્દા ખાલી છે. દેશના સાતેય એઇમ્સમાં પણ ૭૧ ટકાથી વધુ હોદ્દા (ટીચિંગમાં) ખાલી છે. અન્ય મેડિકલ કોલેજોની હાલત પણ બદતર છે.

સેન્ટ્રલ યુનિવર્સિટીઓ તો સ્વાયત્ત હોવાનું કહેવાય છે, અને છતાં આ હાલ છે. જો દેશભરના નાગરિકો નક્કી કરે કે, હવે આપણે એવી જ યુનિવર્સિટીમાં સંતાનોને મોકલીશું, જ્યાં પૂરતા શિક્ષકો હશે. તો તમે ક્યાં મોકલશો? હાલમાં બીજા એક દુ:ખદ સમાચાર વાંચવા મળ્યા હતા કે, રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાં બીએસસી થર્ડ યરના ૮૦ ટકા અને પહેલા વર્ષમાં ૫૬ ટકા વિદ્યાર્થી નાપાસ થઇ ગયા છે. આઘાતજનક વાત એ છે કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં નકલખોરી વિરોધી અભિયાન (ટીવી મીડિયામાં) ચાલી રહ્યું હોવાથી પરીક્ષા આપવા જ નહોતા આવ્યા અને એટલે નાપાસ થયા હતા. સ્નાતકની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ ફક્ત નકલખોરી નહીં કરવા દેવાના કારણે નાપાસ થયા હતા. આ બાબતથી કોઈની લાગણી કેમ દુભાતી નથી? શું આ આપણી સામાજિક શરમ નથી? રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટીની પણ અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓની સામે શિક્ષકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. કાનપુર અને બુંદેલખંડ યુનિવર્સિટીમાં પણ ૫૦ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

આજે આપણી પાસે નથી સારા વિદ્યાર્થીઓ અને નથી શિક્ષકો. જો આ સ્થિતિને કાબૂમાં નહીં લેવાઇ તો ઉચ્ચ શિક્ષણનું ભવિષ્ય શું હશે એ આપણે સમજી શકીએ છીએ! આ તો ફક્ત તાજા સમાચારોની સાથે રજૂ કરેલી નાનકડી વિચાર કણિકાઓ છે, જેને ઉચ્ચ શિક્ષણની બદતર હાલતનું ‘ટ્રેલર’ કહી શકાય.

18 June, 2018

ફોરેન સ્ટુડન્ટ્સ: ટુ ચાઈના, વિથ લવ


ભારત અને ચીન હંમેશા એકબીજાને કટ્ટર હરીફ તરીકે જુએ છે. દુનિયા પણ આર્થિક વિકાસ, લશ્કરી તાકાતથી લઈને અખબારી સ્વાતંત્ર્ય સુધીના અનેક મુદ્દે બંને દેશની સરખામણી કરે છે. આ બંને દેશ પણ તમામ ક્ષેત્રે એકબીજાની હરીફાઈમાં મશગૂલ હોય છે. હવે ભારત અને ચીન વચ્ચે હાયર એજ્યુકેશનમાં વિદેશી વિદ્યાર્થીઓ આકર્ષવાની નવી હરીફાઈ પણ ઉમેરાઇ છે. ચીને ૨૦૧૨માં જાહેરાત કરી હતી કે, ૨૦૨૦ સુધીમાં અમે પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષીશું. એ પછી ચીને જડબેસલાક આયોજન કરીને આ કામ પાર પાડી બતાવ્યું. ચીન પણ અમેરિકા અને બ્રિટનની જેમ હાયર એજ્યુકેશનનું ઈન્ટરનેશનલ હબ બનવા તત્પર છે. ચીનની સફળતા જોઈને ભારતે પણ સફાળા જાગીને આ દિશામાં કામ શરૂ કર્યું  છે, પરંતુ અત્યારે ચીન જોજનો આગળ નીકળી ગયું છે.

ભારતીય વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં વિદેશમાં અભ્યાસ કરવા જાય છે, પરંતુ સ્વાભાવિક રીતે જ એટલા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થીઓ ભારત આવતા નથી. આપણી યુનિવર્સિટીઓમાં વૈશ્વિક સ્તરના શિક્ષણનો અભાવ છે. થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે આપણી યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા 'સ્ટડીઈનઈન્ડિયા.ઓઆરજી' નામની વેબસાઇટ શરૂ કરી હતી. સરકારના આંકડા પ્રમાણે, ૨૦૧૬માં ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં ૪૭,૭૫૫ વિદેશી વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું, અને, હવે સરકાર પાંચ જ વર્ષમાં આ આંકડો લાખોમાં પહોંચાડી દેવા માંગે છે. સરકારી આંકડા અને બીજા આંતરરાષ્ટ્રીય ડેટા તપાસતા ખબર ખ્યાલ આવે છે કે, વિદેશી વિદ્યાર્થીઓને ભારતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આકર્ષવામાં આપણે બહુ પાછળ છીએ.



એવી જ રીતે ચીનના આંકડા પર નજર કરતા જણાય છે કે, ચીને પોતાની યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા ખૂબ મજબૂત યોજના બનાવી હશે. ૨૦૧૬માં ચીનમાં ૪.૪ લાખ વિદેશી વિદ્યાર્થી ભણવા આવ્યા હતા. વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવામાં ચીનનો અમેરિકા અને બ્રિટન પછી ત્રીજો નંબર છે. અમેરિકા અને બ્રિટન કરતા આંકડાની દૃષ્ટિએ ચીન થોડું પાછળ હશે પણ છેલ્લાં ઘણાં સમયથી ચીન આ દિશામાં કામ કરી રહ્યું છે. એક ઉદાહરણ જોઈએ. બે દાયકા પહેલાં ચીનમાં અંગ્રેજી ભાષાના જાણકારો નહીંવત હતા. ચીનની ભાગ્યે જ કોઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ અપાતું. એ સ્થિતિમાં ચીને અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કરીને વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની યોજના બનાવી, અને, આજે તે ભારતથી અનેકગણું આગળ છે. અત્યારે ચીનની અનેક યુનિવર્સિટીઓમાં દુનિયાભરમાંથી નોકરી કરવા આવેલા શિક્ષકો અંગ્રેજી ભાષામાં જુદા જુદા વિષયોનું શિક્ષણ આપે છે.

હાયર એજ્યુકેશનમાં વધુને વધુ વિદ્યાર્થીઓ આકર્ષવા ભારત પાસે ચીન કરતા અનેકગણી વધારે તક હતી, પરંતુ તે આપણે વેડફી નાંખી. જેમ કે, ભારતમાં તો શરૂઆતથી અંગ્રેજી ભાષામાં જ ઉચ્ચ શિક્ષણ અપાય છે. અંગ્રેજી ભાષાના ઉચ્ચારોને લઈને પણ આપણે 'વધુ પડતા ડાહ્યા' છીએ, જ્યારે એક સરેરાશ ચીની નાગરિકની અંગ્રેજી બોલીમાં ચાઈનીઝ ઉચ્ચારોનો અતિ પ્રભાવ હોય છે. (માતૃભાષા કે માતૃબોલીનો લહેકો બીજી ભાષા બોલતી વખતે ના આવે એવા કિસ્સા અપવાદરૂપ હોય છે.) આમ છતાં, ભારતે અંગ્રેજી ભાષાનો ફાયદો ઉઠાવીને વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવાની યોજના ના બનાવી અને ચીન આ ક્ષેત્રમાં પણ વિઝનરી પુરવાર થયું. કદાચ ચીનની અભૂતપૂર્વ સફળતા જોઈને જ ભારત સરકારે પણ 'સ્ટડી ઈન ઈન્ડિયા' યોજના શરૂ કરી છે, પરંતુ ભારત ગમે તેવી ઝડપે કામ કરે તો પણ નજીકના ભવિષ્યમાં ચીનની સમકક્ષ પહોંચી શકે એવી શક્યતા અત્યારે દેખાતી નથી. દુનિયાની ટોપ ૫૦૦માં ચીનની યુનિવર્સિટીઓએ કાઠું કાઢ્યું છે. વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં એડમિશન લેવા દર વર્ષે ધસારો કરે છે. દુનિયાની ટોપ ૩૦ યુનિવર્સિટીમાં ચીનની બે છે. પહેલી પેકિંગ અને બીજી સિંઘુઆ યુનિવર્સિટી.

ચીન સરકારે ચાઈનીઝ સંસ્કૃતિ, ભાષા, ઇતિહાસ અને સાહિત્યિક વારસા જેવા વિષયોનો અભ્યાસ કરવા માંગતા વિદેશી વિદ્યાર્થીઓ માટે જાતભાતની સ્કોલરશિપ શરૂ કરી છે. ૨૦૧૬માં ૪૦ ટકા વિદેશી વિદ્યાર્થીઓને ભણવા માટે ચીન સરકારે આર્થિક મદદ કરી હતી. આ સિવાય વિદેશી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એ માટે ચીન યુનિવર્સિટી કેમ્પસમાં જ 'સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્લી' સુવિધા ઊભી કરે છે. જેમ કે, લોન્ગ ટર્મ સ્ટે માટે યુનિવર્સિટીના કેમ્પસ નજીક જ સારી અને સસ્તી રહેવાની વ્યવસ્થા. આ પ્રકારની સુવિધાથી વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી કોઈ તગડી ભાડાવસૂલી કરી શકતું નથી. ચીનમાં અત્યારે ભણી રહેલા ૪.૪ લાખમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ એક વર્ષથી લાંબા ગાળાના કોર્સ માટે આવ્યા છે, જેમાં ભારતના પણ ૧૭ હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓ ચીનની યુનિવર્સિટીઓની ફી અને કોસ્ટ ઓફ લિવિંગથી ખુશ છે.




ચીનમાં અત્યારે મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓ સાયન્સ, એન્જિનિયરિંગ અને એગ્રિકલ્ચર જેવા વિષયોમાં અભ્યાસ કરે છે, જ્યારે ૨૦૧૨ સુધી ત્યાં મોટા ભાગના લોકો ફક્ત મેન્ડેરિન શીખવા આવતા. એક સમયે આ પ્રકારના વિષયોમાં ફક્ત પશ્ચિમી દેશોની યુનિવર્સિટીઓનો જ ડંકો વાગતો. ૨૦૦૬માં ચીનમાં ૫૫ હજાર વિદેશી વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનની ડિગ્રી લેવા આવ્યા હતા. આ આંકડો ૨૦૧૬માં, દસ જ વર્ષમાં, .૧૦ લાખે પહોંચી ગયો છે. આ આંકડા સાબિત કરે છે કે, ચીને એક દાયકામાં સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) એજ્યુકેશનમાં ક્રાંતિકારી કામ કર્યું છે. ચીનની સંસ્કૃતિ પશ્ચિમી દેશોથી ખાસ્સી અલગ છે એટલે ચીનને અત્યારે દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, મલેશિયા કે સિંગાપોર જેવા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ વધુ મળે છે, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષથી રશિયા, ભારત અને પશ્ચિમી દેશોના વિદ્યાર્થીઓ પણ ચીનમાં એડમિશન લઈ રહ્યા છે. ચીનના કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા આઠ ટકા છે. આંકડાની રીતે કહીએ તો ફક્ત ૧૮ હજાર.

આ આંકડાને બીજી રીતે જોઈએ. ૨૦૧૭માં યુકેમાં ૧૬ હજાર ભારતીય વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું. એનો અર્થ એ થયો કે, ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવામાં ચીન યુકે કરતા પણ આગળ છે. થોડા વર્ષો પહેલાં ભારતીય વિદ્યાર્થીઓ સામાન્ય રીતે મેડિકલના અભ્યાસ માટે ચીન સુધી લાંબા થતાં પણ હવે એન્જિનિયરિંગમાં પણ એડમિશન વધ્યા છે. આ ઉપરાંત ચીનની યુનિવર્સિટીઓમાં વૈશ્વિક પ્રવાહોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોમાં પણ ઝડપથી ફેરફાર કરાઈ રહ્યો છે. આ ઉપરાંત ઝડપથી નવા અભ્યાસક્રમો પણ દાખલ કરાઈ રહ્યા છે. હાયર એજ્યુકેશનમાં આ રીતે આગળ વધવું હોય તો વર્ષો પહેલાં પ્લાનિંગ કરવું પડે. ચીને નેવુંના દાયકાથી જ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન ઈન્સ્ટિટયુટ્સ ઊભી કરવા મહેનત શરૂ કરી દીધી હતી. આ દરમિયાન ચીને વિદેશી યુનિવર્સિટીમાં કામ કરતા વિજ્ઞાનીઓ અને સંશોધકોને પાછા ચીનમાં ખેંચી લાવવા (રિવર્સ બ્રેઇન ડ્રેઇન) પણ જડબેસલાક આયોજન કર્યું હતું. દાખલા તરીકે, વિજ્ઞાનીઓ માટે અત્યાધુનિક લેબોરેટરીઓ તેમજ મેરિટ પ્રમાણે ઊંચા પગાર અને બીજા લાભો. આમ, ચીન સુપરપાવર બનવા કુદરતી સ્રોતોની સાથે પોતાના માનવ સ્રોતોનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે.

ભારતના આર્થિક વિકાસની ધીમી શરૂઆત ૧૯૮૦થી થઈ, પરંતુ શિક્ષણના ક્ષેત્રે હજુ આપણે લાંબી મજલ કાપવાની બાકી છે. હાયર એજ્યુકેશનનો ખરો વિકાસ થાય તો જાહેર શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તતી ઘણી બધી મુશ્કેલીઓનું નિવારણ આવે છે. જેમ કે, હાયર એજ્યુકેશનમાંથી કમાણી કરીને પ્રાથમિક શિક્ષણમાં વધુ રોકાણ કરી શકાય છે! સ્થાનિક વિદ્યાર્થીઓ વધુને વધુ વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભળવાથી સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય છે. વિદ્યાર્થીકાળથી જ માઇન્ડ સેટ બ્રોડ થાય છે. જાતિ-ધર્મની વાડાબંધીથી પીડાતા સમાજ માટે આ ખૂબ જ જરૂરી છે. આ વાત એક ઉદાહરણથી સમજીએ. ચીનમાં ૨૦૦૩માં ૧,૭૯૩ આફ્રિકન વિદ્યાર્થી અભ્યાસ કરવા આવ્યા હતા, જે ૨૦૧૬માં વધીને ૬૧,૫૯૪ થઇ ગયા કારણ કે, તેઓ ચીનમાં પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. તેની સામે આ જ ગાળામાં ભારતમાં આફ્રિકન વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી ગઇ છે કારણ કે, ભારતમાં તેઓ ફક્ત ચામડીના રંગ, વાળની સ્ટાઈલ કે ચહેરા-મ્હોરાના કારણે વંશીય ભેદભાવનો ભોગ બને છે, અને ભારતીયો તેમની ક્રૂર મજાક પણ કરે છે. એટલે જ દેશના યુવાનોને ૨૧મી સદીનો વિશ્વમાનવ બનાવવા વધુને વધુ સામાજિક-સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય એ જરૂરી છે.



આ પ્રકારના આદાનપ્રદાનથી જ બ્રિટીશયુગમાં ભારતીય સમાજની અનેક સામાજિક બદીઓ સામે આંદોલન શરૂ થયું હતું. એ જ યુગે ૨૧મી સદી તરફ નજર રાખીને વિચારી શકે એવા અનેક સામાજિક અને રાજકીય નેતાઓને જન્મ આપ્યો હતો, પરંતુ આજે આપણા સૌથી હોનહાર વિદ્યાર્થીઓ આઈઆઈટી કે આઈઆઈએમમાં ભણીને વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. ભારતના સર્વશ્રેષ્ઠ સોફ્ટવેર એન્જિનિયરો નોકરી કરવા સિલિકોન વેલી જતા રહે છે. સિલિકોન વેલીમાં આઈઆઈટીના વિદ્યાર્થીને માનની નજરે જોવાય છે પણ ભાગ્યે જ કોઈ વિદેશી વિદ્યાર્થી આઈઆઈટીમાં એડમિશન લેવા આવે છે. જો વિદેશી વિદ્યાર્થીઓએ એશિયાની જ કોઈ યુનિવર્સિટી પસંદ કરવાની આવે તો તે પહેલા ચીન કે રશિયા જવાનું પસંદ કરે છે. આવું કેમ? આ કોઈ મુદ્દો આપણને કે આપણી સરકારોને પજવતો નથી.  

આઝાદીના દાયકાઓ પછી પણ આપણે હાઈલી એજ્યુકેટેડ વિદ્યાર્થીને દેશમાં યોગ્ય વાતાવરણ આપી શક્યા નથી, તો પછી વિદેશના વિદ્યાર્થીઓ શું કામ અહીં ભણવા આવે? એક સમયે દુનિયાભરના વિદ્વાનોને આકર્ષતી આપણી વિશ્વ વિદ્યાલયોની ભારતીય પરંપરા વર્ષો પહેલાં લુપ્ત થઇ ગઇ. હવે એ જૂનું ગાણું ગાવાનું બંધ કરીને હાયર એજ્યુકેશન ક્ષેત્રે ‘આઉટ ઓફ બોક્સ’ વિચારીને આગળ વધવાનો સમય થઇ ગયો છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

13 January, 2018

પ્રદીપ નેગી : સરકારી સ્કૂલનો ક્રાંતિકારી શિક્ષક


આ વર્ષના ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે ૧૭૩ દેશમાંથી ૩૦ હજાર શિક્ષકના નામ આવ્યા હતા. આ યાદીમાંથી દુનિયાના ફક્ત ૫૦ શિક્ષકને શોર્ટલિસ્ટ કરાયા છે, જેમાં ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાની ગવર્મેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજ-રાણીપુર કોલેજના શિક્ષક પ્રદીપ નેગીનું નામ પણ છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા શિક્ષકને એક મિલિયન ડૉલરનો ચેક પણ ભેટમાં મળે છે. ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે નોમિનેટ થતાં જ પ્રદીપ નેગી ચર્ચામાં આવ્યા છે, પરંતુ ઉત્તરાખંડના ક્રાંતિકારી શિક્ષક તરીકે તેઓ ઠીક ઠીક જાણીતા છે. પ્રદીપ નેગી આશ્રમોની નગરી હરિદ્વારના રાણીપુરમાં આવેલી 'ભેલ' (ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ.) ટાઉનશિપની ગવર્મેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજમાં નોકરી કરે છે. જોકે, તેઓ 'સરકારી નોકરી' જ નથી કરી ખાતા પણ સ્કૂલ પોતાની જ હોય એમ ચલાવવામાં યથાશક્તિ ખર્ચી કાઢે છે.

દેશના અનેક રાજ્યોમાં ધોરણ ૧૨ સુધીની હાયર સેકન્ડરી સ્કૂલો 'ઈન્ટરમીડિયેટ કોલેજ' તરીકે ઓળખાય છે. ધો.૧૨ સુધીની રાણીપુર સરકારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ ધો.૧૦ પછી વિજ્ઞાન શાખામાં પ્રવેશ લઈ શકે છે, પરંતુ સ્કૂલમાં લેબોરેટરી જ નથી. ધો.૬થી આઠના વિદ્યાર્થીઓ માટે બેન્ચ નથી એટલે હિમાલયન સ્ટેટમાં વિદ્યાર્થીઓ નીચે બેસીને ભણે છે. સ્કૂલમાં દસ ટોઇલેટની જરૂર છે પણ ફક્ત બે છે. આ બધી ખામીઓ હોવા છતાં ઉત્તરાખંડ સરકારે ગયા વર્ષે આ સ્કૂલને 'મોડેલ સ્કૂલ' જાહેર કરી હતી. આ સ્કૂલના દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી એવી છે. ગયા વર્ષે ધો.૧૨માં સ્કૂલનું રિઝલ્ટ પણ ૮૮ ટકા હતું. સરકારી ધારાધોરણો પ્રમાણેની ડિગ્રી ધરાવતા શિક્ષકોનો ફૂલ સ્ટાફ પણ છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા જ ખુશ છે. બધુ બરાબર ચાલે છે પણ અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને કમ્પ્યુટર સાયન્સ ભણાવતા શિક્ષક પ્રદીપ નેગીને ચૈન નથી.

કોઈ પણ દેશ-સમાજ કે કાળમાં પરિવર્તન લાવવા શિક્ષણ સૌથી મજબૂત માધ્યમ છે એ સિદ્ધાંત યાદ રાખીને તેઓ સ્કૂલમાં એડમિનિસ્ટ્રેશનથી લઈને એજ્યુકેશન સુધીની ખામીઓ સુધારવા સતત પ્રયત્નશીલ છે. ધો. ૧૧ અને ૧૨ના શિક્ષક તરીકે પ્રદીપ નેગી વિદ્યાર્થીઓને ભણાવવા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. નોકરીના કલાકો પૂરા થઈ ગયા પછી પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રસ પડે એ માટે અભ્યાસક્રમનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને સ્લાઈડ્સ તૈયાર કરે છે. પ્રદીપ નેગીએ સ્કૂલની સીધીસાદી વેબસાઇટ પણ બનાવી છે અને વેબ મેગેઝિન પણ શરૂ કર્યું છે. વેબસાઈટ પર તેઓ મલ્ટીમીડિયા ફોર્મેટમાં ટેક્સ્ટ બુક્સ મટિરિયલ પણ અપલોડ કરે છે. સ્કૂલ વેબસાઈટ પર હોમ વર્ક, ક્વિઝ અપલોડ કરવાનું અને વૉટ્સએપ પર મોકલવાની જવાબદારી પણ તેઓ જ નિભાવે છે.


પ્રદીપ નેગી

કદાચ એવો સવાલ થઈ શકે કે, જે સ્કૂલમાં બેન્ચ ના હોય ત્યાં આવતા વિદ્યાર્થીઓના માતાપિતા પાસે સ્માર્ટફોન ક્યાંથી હોય! જો આવું વિચારતા હોવ તો તમે ખોટા છો. મોટા ભાગના વિદ્યાર્થીઓના ઘરે સ્માર્ટફોન છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ પ્રદીપ નેગીએ મોબાઈલ ફોનનો એજ્યુકેશન કોમ્યુનિકેશન ટૂલ તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો. રાણીપુર ગવર્મેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજ અને પ્રદીપ નેગી વિશે સાંભળીને દુ:ખ અને સુખની લાગણી એકસાથે થાય છે. જે સ્કૂલમાં પૂરતા ટોઇલેટ નથી ત્યાં એક શિક્ષકે એજ્યુકેશનલ વીડિયોઝ અને પ્રોગ્રામ્સની સીડીનું કલેક્શન તૈયાર કર્યું છે. આ બધું જ મટિરિયલ તેમણે અત્યાર સુધી એટેઇન કરેલા વર્ક શોપ્સ અને ટ્રેઇનિંગ સેશનમાં હિસ્સો લઈને ભેગું કર્યું છે. આ ઉપરાંત તેમણે ઈન્ટરનેટના વિવિધ ઓપન સોર્સમાંથી એજ્યુકેશનલ મટિરિયલ ડાઉનલોડ કરીને એક લાઇબ્રેરી પણ બનાવી છે.

આ કામ શરૂ કરતા જ પ્રદીપ નેગીને અંદાજ આવી ગયો હતો કે, નવી નવી પદ્ધતિઓથી ભણાવવાનું શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓની બધી જ પરીક્ષાના રિઝલ્ટ્સ સુધર્યા છે. તેમની આ યાત્રા વર્ષ ૨૦૦૩માં શરૂ થઈ હતી. ઉત્તરાખંડ સરકારે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરીને રાજ્યના પસંદગીના શિક્ષકોને કમ્પ્યુટરની તાલીમ આપવાની યોજના બનાવી હતી, જેમાં પ્રદીપ નેગીની પણ પસંદગી થઈ હતી. માઇક્રોસોફ્ટે પ્રદીપ નેગીનો ઉત્સાહ જોઈને તેમને માસ્ટર ટ્રેઇનર પણ બનાવ્યા હતા. આ જવાબદારી હેઠળ તેઓ રાણીપુર સરકારી સ્કૂલના શિક્ષકો સહિત રાજ્યના ૧,૨૦૦ જેટલા શિક્ષકોને કમ્પ્યુટરની તાલીમ આપી ચૂક્યા છે. શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવા બદલ તેમને ૨૦૦૪, ૨૦૦૫ અને ૨૦૦૬માં ઉત્તરાખંડ સરકારનો ટેક્નોલોજી એવોર્ડ મળ્યો હતો. વર્ષ ૨૦૦૭માં તેમને 'ઈનોવેટિવ ટીચર્સ લિડરશીપ એવોર્ડ'થી સન્માનિત કરાયા હતા. વિશ્વભરમાં દર વર્ષે ફક્ત દસ શિક્ષકને આ પુરસ્કાર આપવામાં આવે છે.

પ્રદીપ નેગીને ‘એજ્યુકેશન ઈનોવેટર’ પણ કહી શકાય. ક્લાસમાં તુરંત જ સવાલ નહીં કરી શકતા, ઝડપથી સમજી નહીં શકતા અને ગેરહાજર હોય એવા વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની મદદથી વારંવાર અભ્યાસક્રમ રિફર કરી શકે, એ માટે તેમણે કમ્પ્યુટરને પણ શિક્ષક બનાવી દીધું છે. વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની મદદથી જાતે જ અભ્યાસક્રમ જોઈ શકે છે. એ માટે વિદ્યાર્થીઓને વારંવાર શિક્ષક પર આધાર નથી રાખવો પડતો. વિદ્યાર્થીઓને ભણાવવા ટેક્નોલોજીના આ પ્રયોગની ઉત્તરાખંડ સરકારે પણ 'ગંભીર' નોંધ લીધી છે. પ્રદીપ નેગીના આ સીધાસાદા ઈનોવેશનને પગલે ઉત્તરાખંડ સરકારે સ્કૂલોને ટેક્નોલોજી ઇક્વિપમેન્ટ્સ આપવાની યોજના તૈયાર કરી છે. અત્યારે કેન્દ્ર સરકારની ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઈસીટી) ઈન સ્કૂલ યોજના હેઠળ ઉત્તરાખંડના દરેક જિલ્લાની પાંચથી છ સ્કૂલને કમ્પ્યુટર, પ્રોજેક્ટર, પ્રિન્ટર અને ઈન્ટરનેટ કનેક્શન મળી ગયું છે. આ યોજનાનો યોગ્ય અમલ કરવા રાજ્ય સરકારે પ્રદીપ નેગીની જ સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. આ કામ પાર પાડવા બદલ ૨૦૧૩માં તેમને આઈસીટી નેશનલ એવોર્ડનું સન્માન પણ મળ્યું હતું.

પ્રદીપ નેગીએ એકવાર દુ:ખદ કબૂલાત કરી હતી કે, ''આ યોજનાનો અમલ તો સારી રીતે થયો પણ વખતોવખત તેનું મોનિટરિંગ કરનારું કોઈ ન હતું. એટલે અનેક સ્કૂલોમાં સરકારે આપેલા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. જોકે, મારી સ્કૂલમાં બધી જ સરકારી મશીનરી વેલ મેઇન્ટેઇન્ડ છે. ખુદ શિક્ષક જ બેદરકાર હોય એ શોભતું નથી...'' જો દરેક સ્કૂલમાં એક પ્રદીપ નેગી હોય તો કેવું પરિવર્તન આવી શકે! અહીંના દરેક વિદ્યાર્થીને પ્રાઈવેટ કમ્પ્યુટર ઈન્સ્ટિટયુટ જેવો અનુભવ થાય એ માટે તેઓ વીડિયો કૉલિંગથી દુનિયાના અનેક દેશોના શિક્ષકોને રાણીપુરની સરકારી સ્કૂલના ક્લાસમાં લઈ આવે છે. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર વર્ચ્યુઅલ ટૂર કરાવે છે અને તેમને મોટા સ્વપ્નો જોતા શીખવે છે. એ માટે તેઓ ધો. ૯થી બધા જ વિદ્યાર્થીઓ પાસેથી દર મહિને દસ રૂપિયા ફી પણ લે છે.

કમ્પ્યુટર ટેક્નોલોજીથી પ્રદીપ નેગીને વ્યક્તિગત લાભ પણ થયો છે. તેઓ બે વર્ષના હતા ત્યારે જ પોલિયોના ભોગ બન્યા હતા. નાનપણથી જ તેમના શરીરનો ૭૬ ટકા હિસ્સો કામ કરતો બંધ થઈ ગયો હતો. સ્કૂલમાં બ્લેક બોર્ડ પર લખીને વિદ્યાર્થીઓને ભણાવવામાં તેમને તકલીફ પડતી હતી કારણ કે, ઊભા રહેવા પણ તેમણે ઘોડીનો ઉપયોગ કરવો પડતો. હવે તેઓ કમ્પ્યુટર અને પ્રોજેક્ટરની મદદથી ખુરશીમાં બેસીને પણ વિદ્યાર્થીઓને સહેલાઈથી ભણાવી શકે છે. પોલિયોનો ભોગ બન્યા પછી તેમને પૂણેની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ ત્યાં તેમની માતાને કહેવામાં આવ્યું કે, પ્રદીપનો ઈલાજ નહીં થઈ શકે. હવે તેમને ફક્ત સારું શિક્ષણ મળે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. આ વાત સાંભળતા જ માતા પર જાણે આભ તૂટી પડયું હતું પણ તેમણે પ્રદીપની દેખભાળ અને શિક્ષણ માટે નોકરી છોડી દીધી. પ્રદીપના માતા પણ પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષિકા હતા, જ્યારે પિતા ભારતીય સેનામાં ફરજ બજાવતા.

પિતાની બદલીઓના કારણે જ પંજાબ, મેઘાલય અને ઉત્તરાખંડ એમ ત્રણ રાજ્યોમાં પ્રદીપ નેગીનું શિક્ષણ થયું. ત્યાર પછી ઈકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ અને હિસ્ટરીમાં બેચલર કરીને ૧૯૯૨માં રૂરકી કોલેજમાંથી ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને શિક્ષક બનવાનો નિર્ણય કર્યો. શિક્ષક બનવા રૂરકીની જ કન્હૈયાલાલ ડીએવી કોલેજમાંથી બી.એડ. કર્યું. તેમણે ૧૯૯૬માં હિસ્ટરી અને ૨૦૦૪માં ઇંગ્લિશ લિટરેચરમાં એમ.એ. કરીને બે માસ્ટર્સ ડિગ્રી  પણ મેળવી છે. પ્રદીપ નેગીએ અભ્યાસમાં હોનહાર હતા. જો તેમણે ધાર્યું હોત તો પ્રોફેસર પણ બની શકે એમ હતા પરંતુ તેમણે હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ભણાવવાનો નિર્ણય લીધો. કુલ ૨૧ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા પ્રદીપ નેગી ૨૦૦૮માં રાણીપુર સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા.

અને છેલ્લે. વાર્કી ગ્લોબલ ટીચર પ્રાઈઝ દુબઈસ્થિત એનઆરઆઈ ઉદ્યોગપતિ અને દાનવીર સની વાર્કીના ફાઉન્ડેશન દ્વારા અપાય છે. વાર્કી જૂથના માલિક સની વાર્કીએ વર્ષ ૨૦૦૦માં જેમ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, જે કિન્ડરગાર્ટનથી લઈને ધો.૧૨ સુધીની ૧૩૦ પ્રાઈવેટ સ્કૂલ ઓપરેટ કરે છે. તેઓ વાર્કી અને જેમ્સ ફાઉન્ડેશન હેઠળ શિક્ષણની મદદથી સામાજિક પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે. સની વાર્કી યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. ૨.૩ અબજ ડૉલરની સંપત્તિના માલિક સની વાર્કીએ ૨૦૧૫માં ગિવિંગ પ્લેજ હેઠળ સહી કરીને અડધી સંપત્તિ દાન કરી દીધી હતી. અત્યાર સુધી ગિવિંગ પ્લેજ પર ૧૬ દેશના ૧૫૪ ધનવાનોએ સહી કરી છે, જેમાં ભારતનું નાગરિકત્વ ધરાવતા ફક્ત ત્રણ જ ધનવાન સામેલ છે.  

01 August, 2017

ટીચર ટીચર... નો મમ્મા, ટ્યુટર ટ્યુટર... યસ પાપા


શિક્ષણ એ જીવન જીવવાની તૈયારી નથી, શિક્ષણ ખુદ જીવન છે.

૨૦મી સદીના મહાન વિચારકો પૈકીના એક ગણાતા અમેરિકન તત્ત્વજ્ઞાની, મનોવિજ્ઞાની અને શિક્ષણવિદ્ જ્હોન ડુઇ (૨૦મી ઓક્ટોબર, ૧૮૫૯-પહેલી જૂન, ૧૯૫૨)ના આ એક જ વાક્ય પર અત્યાર સુધી અનેક ગ્રંથો લખાઈ ચૂક્યા છે. ચીન અને જાપાનમાં થયેલા શૈક્ષણિક સુધારા પર પણ ડુઇના વિચારોનો જબ્બર પ્રભાવ છે. ડુઇનું કહેવું હતું કે, શૈક્ષણિક જીવન જ અસલી જિંદગી છે. આપણે આગળની જિંદગી કેવી રીતે જીવીશું એની લ્હાયમાં મહામૂલા વર્ષોને શિક્ષણના ભાર તળે દબાવી દઈએ છીએ. આ વાત પ્રાથમિક શિક્ષણને સૌથી વધારે લાગુ પડે છે કારણ કે, જિંદગીના એ જ સમયગાળામાં બાળકો શિક્ષણની સાથે સાથે સ્વશિક્ષણ પણ લઈ રહ્યા હોય છે. બાળકોને શિક્ષણ તો આપવું જ પડે, પરંતુ તેમને જાતે શિક્ષણ લેવા મુક્તિ આપવી પણ એટલી જ જરૂરી છે.     

***

આજકાલ ઉચ્ચ શિક્ષણમાં ફૂલેલીફાલેલી એન્ટ્રન્સ કોચિંગ ઈન્ડસ્ટ્રી અને સ્પર્ધા કરતાયે વધારે ચિંતાજનક મુદ્દો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં આડકતરી રીતે ફરજિયાત થઈ ગયેલી ટ્યૂશન પ્રથા છે. બાળકોને જાણે નર્સરીથી જ વિશ્વ વિજેતા બનવા મોકલવાનો હોય એટલું સ્પર્ધાનું વાતાવરણ આપણે સર્જી દીધું છે. આ સ્થિતિ માટે રાજકારણીઓ કરતા વધારે મોટા ગુનેગાર આપણે જ છીએ. સ્કૂલોની ઊંચી ફી ભર્યા પછીયે ટ્યૂશન ફરજિયાત કેમ? હા, આડકતરી રીતે પ્રાઈવેટ ટ્યૂશન ફરજિયાત જ થઈ ગયું છે. સ્કૂલથી જ પાયો કાચો રહી જશે તો મારો દીકરો કે દીકરી જિંદગીમાં કશું કરી જ નહીં શકે એવા કાલ્પનિક ભયે લાખો વિદ્યાર્થીઓના બાળપણને બરબાદ કરી નાંખ્યું છે. હસતા રમતા શીખવાની ઉંમરે પણ ટ્યૂશન પ્રથા હાવી થઈ ગઈ છે. 




આપણા અનેક સાહિત્યકારો-લેખકોએ પણ સ્કૂલમાં ઘંટ પડવાની ક્ષણને આનંદમય ગણાવી છે. આવું કેમ? બાળકોને સ્કૂલમાં ભણવું જ નહીં ગમતું હોય? જો આવું હોય તો બાળકોને અપાતા શિક્ષણ વિશે નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે. સ્કૂલમાંથી બહાર આવતા બાળકોને જોઈએ ત્યારે તેમનું બાળપણ જ છીનવાઈ ગયું હોય એવું સ્પષ્ટ જોઈ શકાય છે! શહેરોની મોટા ભાગની સ્કૂલો ગીચ રહેણાક વિસ્તારોમાં હોય છે. પાર્કિંગની પૂરતી જગ્યા હોતી નથી. બાળકોની જોખમી ટ્રાફિક વચ્ચે જ અવરજવર કરતા હોય છે. આ સ્થિતિમાં સ્કૂલ છૂટવાનો ઘંટ વાગે એ પહેલાં માતાપિતા, વાલીઓ, રીક્ષા કે વાન ડ્રાઈવરો સ્કૂલની આસપાસ ગોઠવાઈ ગયા હોય છે. એકેયને સમય બગાડવાનું પોસાય એમ નથી કારણ કે, સ્કૂલનો સમય માંડ પૂરો થાય છે ત્યાં ટ્યૂશનની સાથે સાથે ક્રિકેટ, સ્વિમિંગ, સ્કેટિંગ, માર્શલ આર્ટ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, યોગ, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ, કેલિગ્રાફી, પેઇન્ટિંગ, અબાકસ કે વૈદિક ગણિતના જાતભાતના ક્લાસીસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય છે. વળી, આ બધું પતાવીને સ્કૂલ અને ટ્યૂશનનું લેસન પાછું ઘરે કરવાનું હોય છે.

સ્કૂલે જતા જતા બાળકોને નાસ્તાના બે લંચ બોક્સ અપાય છે, એક સ્કૂલ રિસેસમાં ખાવા અને બીજું વાન-રીક્ષામાં ખાવા. વાલીઓએ આ સ્થિતિ સ્વીકારી લીધી છે. એટલે જ તેઓ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી પણ ફનના બદલે ફેનેટિકની જેમ કરાવે છે. બાળકો નાના હોય તો જુદા જુદા ક્લાસીસમાં પણ માતાપિતાએ જ તેમને લેવા-મૂકવા જવું પડે છે. કોઈ પણ નાના-મોટા શહેરમાં સ્પોર્ટ્સ ક્લાસીસની બહાર પાણી, લીંબુ શરબત, જ્યૂસ અને લસ્સીના ટેટ્રાપેક લઈને વાલીઓના પણ 'ક્લાસ' ચાલુ હોય એવા દૃશ્યો સામાન્ય છે. બાળકોને સ્કૂલે જવા ઊઠીને તૈયાર થવામાં, સ્કૂલ સુધી જવામાં, સ્કૂલમાં ભણવામાં અને સ્કૂલથી પાછા આવવામાં જ આઠેક કલાકનો સમય ખર્ચાઈ જાય છે. સ્કૂલિંગ, એક્સ્ટ્રા ક્લાસ  અને ટ્યૂશનમાં બાળક સાથે માતાપિતાનો પણ સમય પૂરો થઈ જાય છે. જો બાળકોની દિનચર્યામાંથી ટ્યૂશનનો સમય નીકળી જાય તો સ્પોર્ટ્સ કે આર્ટને લગતી પ્રવૃત્તિમાં વધુ સારું પર્ફોર્મન્સ આપી શકે, પરંતુ દેખાદેખી અને સ્પર્ધાના કારણે સર્જાયેલા વાતાવરણમાં કોઈ વાલી ટ્યૂશન છોડાવવાની હિંમત કરી શકતા નથી. વર્કિંગ કપલની સંખ્યા વધી રહી હોવાથી પણ ટ્યૂશન ક્લાસીસનો ધંધો પૂરબહારમાં ખીલ્યો છે.

આ બધાય મુદ્દાની રજૂઆત પછીયે એકવાત નક્કી છે કે, જો સ્કૂલમાં જ સારું શિક્ષણ મળે તો ટયૂશનો કરાવવા જ ના પડે. એ માટે વાલીઓએ જ સામૂહિક રીતે સ્કૂલો સાથે સતત સંપર્કમાં રહેવું પડે, પરંતુ એક હજાર વિચાર કરીને જે સ્કૂલમાં બાળકને મૂક્યું છે ત્યાંના શિક્ષણથી મોટા ભાગના માતાપિતાને સંતોષ નથી. અનેક વાલીઓ શબ્દો ચોર્યા વિના કહેતા હોય છે કે, અમને સ્કૂલ ટીચિંગમાં વિશ્વાસ જ નથી. સ્કૂલ ટીચર એક ક્લાસમાં બધા બાળકો પર ધ્યાન નથી આપી શકતા, જ્યારે ટ્યુટર વ્યક્તિગત ધ્યાન આપે છે. એવી જ રીતે, સ્કૂલ ટીચરોની ફરિયાદ છે કે, અમે ભણાવીએ ત્યારે વિદ્યાર્થીઓ ધ્યાન નથી આપતા કારણ કે, એ બધું તેમણે ટ્યૂશનમાં શીખી લીધું છે. ટ્યૂશનના કારણે અમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. અનેક બાળકો ટ્યૂશન કરતા હોવા છતાં પરીક્ષામાં સારા માર્ક્સ નથી લાવી શકતા. એ માટે વાલીઓ પાછો અમારો કે સ્કૂલનો વાંક કાઢે છે...

આ સ્કૂલ ટીચરોની ફરિયાદ છે, પણ બીજો પણ એક મુદ્દો નોંધવા જેવો છે. દેશભરમાં સ્કૂલ શિક્ષકો જ ટ્યૂશન કરાવતા હોય એવા શિક્ષકોની સંખ્યા વધારે છે. એનો અર્થ એ કે, ખાનગી ટ્યૂશન ક્લાસીસમાં 'સેવા' આપતા કે થોડાઘણાં વિદ્યાર્થીઓના જૂથને ભણાવતા અનેક શિક્ષકો સ્કૂલમાં નોકરી કરે છે! વાલીઓ પણ એવું જ ઈચ્છે છે કે, સ્કૂલમાં ભણાવતા શિક્ષક જ ટ્યૂશન લે તો વધારે સારું! આવું વિચારવા પાછળ બે કારણ સૌથી મહત્ત્વના હોય છે. પહેલું કારણ- વાલીઓને એવું લાગે છે કે, સ્કૂલ અને ટ્યૂશનમાં ભણાવવાની પદ્ધતિ એકસરખી હશે તો બાળકને તકલીફ નહીં પડે. બીજું કારણ- સ્કૂલ ટીચર સાથે જ ટ્યૂશન કરાવીશું તો બાળકને 'સાચવી' લેશે, નાપાસ નહીં કરે. બોલો, હજુયે આપણી આ માનસિકતા છે કારણ કે, મા-બાપ ઈચ્છે છે કે, બાળકનું વર્ષ ના બગડે તો સારું. વર્ષ બગડશે તો પાછળ રહી જશે.

આ ડર આપણી ફાસ્ટ લાઈફના ભ્રમમાંથી પેદા થયો છે. સ્કૂલ શિક્ષક ટ્યૂશન કરતા હોય તો સ્કૂલ સંચાલકો પણ આંખ આડા કાન કરે છે કારણ કે, કોઈને સારો શિક્ષક જતો રહે એ પોસાય એમ નથી. શિક્ષકને જે કરવું હોય એ કરે, પરંતુ અમારી સ્કૂલનું રિઝલ્ટ ના બગડવું જોઈએ! સ્કૂલોની જેમ વાલીઓ માટે પણ માર્ક્સ એ બાળકની જિંદગીનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. પ્રાથમિક-માધ્યમિકમાં વિદ્યાર્થી નાપાસ થાય એ સ્કૂલો, માતાપિતા માટે બહુ જ મોટી શરમ છે, નિષ્ફળતા છે અને તેનો મનોવૈજ્ઞાનિક ભાર દેશના લાખો બાળકો વેંઢારી રહ્યા છે. આજે 'ભાર વિનાના ભણતર'ની વાતો તો ઘણી થાય છે, પરંતુ 'ભાર વિનાનું ભણતર' એટલે કેવું ભણતર, એ તો કોઈ શાંતચિત્તે વિચારતું જ નથી.

એક બીજા મહત્ત્વના મુદ્દાની પણ ચર્ચા કરવી જરૂરી છે. ટ્યૂશનના દુષણની વાત કરતી વખતે બે બિલકુલ ખોટી દલીલ કરાય છે. પહેલી દલીલ- સરકાર ફિક્સ પગારદારના વિદ્યાસહાયકોની ભરતી કરે છે અને આવા અનેક શિક્ષકોના પગાર ખૂબ ઓછા છે એટલે તેઓ ટયૂશનો કરે છે. આ દલીલ અર્ધસત્ય છે. ટ્યૂશનની દુનિયામાં ફિક્સ પગારદાર શિક્ષકો કરતા ગ્રાન્ટેડ કે ખાનગી સ્કૂલોમાં સારો પગાર મેળવતા શિક્ષકો વધારે સક્રિય છે. ફિક્સ પગાર મેળવતા વિદ્યાસહાયકો પાસે સ્વાભાવિક રીતે જ બહુ ઓછા લોકો ટ્યૂશન રખાવવા આકર્ષાય છે. દેશના તમામ રાજ્યોમાં ટ્યૂશન કરતા ફિક્સ પગારદાર શિક્ષકો ઘણાં ઓછા છે, એટલે એ દલીલમાં વજુદ નથી. બીજી દલીલ- ટ્યૂશનનું દુષણ 'ટયૂશનિયા શિક્ષકો'ના કારણે સર્જાયું છે. આ દલીલ પણ મજબૂત નથી. આપણે 'બલિનો બકરો' શોધીને દરેક મુશ્કેલીઓનું ઓવર સિમ્પ્લિફિકેશન કરી દઈએ છીએ. એકલા શિક્ષકોનો વાંક કેમ કાઢવાનો? કોઈ પણ જટિલ મુશ્કેલીનો ઉકેલ લાવવા આપણે એનાલિટિકલ થિકિંગ  કરવાના બદલે આરોપો-પ્રતિઆરોપો કરીને મૂળ વાત જ ભૂલી જઈએ છીએ. આ આપણી રાષ્ટ્રીય કુટેવ છે.

ગયા અઠવાડિયે જ સમાચાર હતા કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓએ સરકારી આદેશ પ્રમાણે ટ્યૂશન કરતા શિક્ષકો પર દરોડા પાડવા જુદી જુદી ટીમો બનાવી છે... બધા જાણે છે કે દરોડા પાડવાથી ટયૂશનો બંધ નહીં થાય. છતાં, વારતહેવારે (વાંચો ચૂંટણીઓ વખતે) આવી નાટકબાજી થાય છે. સ્કૂલો દ્વારા વસૂલાતી ફી પર સરકારી કાબૂ રાખવાનો નિયમ પણ ડીંડકથી વિશેષ કંઈ નથી. એકેય સ્કૂલ સરકાર કહે તેમ ફી વસૂલવાની નથી. દરેક બાબતમાં વગરવિચાર્યે દંડાવાળી કરીને 'સુશાસન' સ્થાપવાનો નિરર્થક પ્રયાસ કરાય છે એટલે ઠોસ પરિણામો મળતા જ નથી.

નેશનલ સેમ્પલ સર્વે દ્વારા કરાયેલા 'કિ ઈન્ડિકેટર્સ ઓફ સોશિયલ કન્ઝપ્શન ઈન ઈન્ડિયાઝ એજ્યુકેશન ૨૦૧૪' નામના આંકડાકીય અહેવાલ પ્રમાણે, દેશમાં ધોરણ પાંચથી આઠ દરમિયાન ટ્યૂશન લેતા બાળકોની સંખ્યા ૭.૧૦ કરોડ છે. વળી, શહેરોમાં આ આંકડો સતત વધી રહ્યો છે. આ આંકડા સ્કૂલ શિક્ષણ પદ્ધતિની નિષ્ફળતા દર્શાવે છે. જોકે, ટ્યૂશન કે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીના ભાર દરેક બાળકને અલગ રીતે અસર કરે છે. એ પાછળેય બીજા અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ એટલું નક્કી છે કે બાળક જાતે જ શિક્ષણ મેળવી શકે એ માટે તેને સમય કાઢી આપવાની જવાબદારી તેના સ્વજનોની છે.