Showing posts with label America. Show all posts
Showing posts with label America. Show all posts

22 August, 2018

૪૨ને ફાંસી, ૧૧૪ને 'સજા એ કાલાપાની' અને...


ભારતને બ્રિટીશ રાજમાંથી મુક્ત કરાવવા ગદર પાર્ટીના સભ્યોએ અમેરિકાની ધરતી પર ગુપ્ત યોજના  ઘડી હતી. જોકે, થોડા સમયમાં આ કાવતરાનો પર્દાફાશ થઈ ગયો, અને, બ્રિટીશ રાજના દબાણ પછી અમેરિકન સરકારે ૨૦મી નવેમ્બર, ૧૯૧૭ના રોજ ૧૭ ક્રાંતિકારીને જેલની સજા ફટકારી. હિંદુસ્તાનને ગુલામીની જંજીરોમાંથી છોડાવવાનો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ ક્રાંતિકારીઓના એ અભૂતપૂર્વ કારનામાએ ભારતમાં બીજા હજારો ક્રાંતિકારીઓને બ્રિટીશ રાજ સામે શિંગડા ભરાવવાની પ્રેરણા આપી હતી.

ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં એ કાવતરું ક્યારે, કેવા સંજોગોમાં, કોણે ઘડ્યું હતું અને એ 'ગુના' બદલ કોને સજા થઈ હતી એ વિશે વિગતે વાત કરી. આજે ઈતિહાસના એ ગૂમનામ પ્રકરણ વિશે બીજી થોડી વાત.

અમેરિકામાં ચાંપેલી આગ ભારત પહોંચી

અમેરિકામાં ઘડેલા કાવતરા પ્રમાણે ગદર પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ ભારત આવી ગયા હતા. તેઓ બેઠકો, ભાષણો, સાહિત્ય સર્જન અને તેનું વિતરણ તેમજ પત્રવ્યવહાર કરીને બીજા યુવાનોને પણ બ્રિટીશ રાજ સામે શસ્ત્રો ઊઠાવવાની પ્રેરણા આપતા. આ ઉપરાંત તેમણે કેનેડા, મેક્સિકો, જાપાન, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં સ્થાયી થયેલા હજારો ભારતીય યુવાનોને પણ  બ્રિટીશરો સામે યુદ્ધ છેડવા ભારત આવી જવા પ્રોત્સાહિત કરવાનું મહત્ત્વનું કામ કર્યું હતું. આ દરમિયાન ક્રાંતિકારી નેતાઓએ બ્રિટીશ સેનામાં ફરજ બજાવતા ભારતીય સૈનિકોની ઉશ્કેરણી કરવાની યોજના પણ અમલમાં મૂકી હતી. આ ઉશ્કેરણીના કારણે જ બ્રિટીશ સેનાની અનેક છાવણીઓમાં મોટા પાયે ભાંગફોડ થઈ હતી.


સોહન સિંહ ભકના (જમણેથી બીજા) ૧૯૩૮માં ૬૮ વર્ષની ઉંમરે પંજાબના
અમૃતસર રેલવે સ્ટેશન પર બ્રિટીશ પોલીસના હાથે ઝડપાયા ત્યારે 

કરતાર સિંહ સરાભા અને ભગત સિંહ

અમેરિકન કાયદાની છટકબારીઓના કારણે સેન ફ્રાન્સિસ્કોમાં સ્થાયી થયેલા ક્રાંતિકારીઓ ઘણો લાંબો સમય સુધી બચવામાં સફળ રહ્યા, અને, પકડાયા પછી પણ તેમને વધુમાં વધુ બે વર્ષની જેલ થઈ. જોકે, ભારતમાં તો બ્રિટીશરોનું રાજ હતું. અમેરિકન સરકાર ક્રાંતિકારીઓ વિરુદ્ધ પગલાં લે એ પહેલાં બ્રિટીશ પોલીસે ભારતમાં ૨૯૧ 'કાવતરાખોર'ની ધરપકડ કરી લીધી હતી. આ તમામ સામે સંખ્યાબંધ આરોપો મૂકાયા, જેની સુનવણી ૧૯૧૫માં ૧૩થી ૨૪ સપ્ટેમ્બર સુધી કુલ ૧૨ દિવસ ચાલી. તમામ ક્રાંતિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં બ્રિટીશરોએ કોઈ કસર ના છોડી, જેમાં ૨૯૧ ક્રાંતિકારી પૈકી ૪૨ને ફાંસી, ૧૧૪ને આંદામાનની જેલમાં 'સજા એ કાલાપાની' અને ૯૩ને નાની-મોટી જેલની સજા ફટકારાઈ. અમુક લોકો નિર્દોષ પણ છૂટ્યા. આ કેસની તપાસ માટે લાહોરમાં ખાસ પંચ નિમાયું હતું, જેથી આ ઘટના ક્રમ ઈતિહાસમાં ‘લાહોર કોન્સ્પિરેસી કેસ ટ્રાયલ’ તરીકે દર્જ થયેલો છે.

લાહોરમાં ફાંસીની સજા પામનારા ૪૨ ક્રાંતિકારીઓમાં વિષ્ણુ ગણેશ પીંગળે, કરતાર સિંહ સરાભા, હમાર સિંઘ સિઆલકોટી, બક્ષિશ સિંઘ, ભાઈ બલવંત સિંઘ, બાબુ રામ, હરમામ સિંઘ, હાફિઝ અબ્દુલ્લા અને રૂર સિંઘ જેવા અગ્રણી યુવા નેતાઓનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન બનારસ, સિમલા, દિલ્હી અને ફિરોઝપુરમાં પણ નાના-મોટા કાવતરાનો બ્રિટીશરોએ પર્દાફાશ કર્યો, ધરપકડો કરી અને ક્રાંતિકારીઓને આકરામાં આકરી સજા સંભળાવી. એક થિયરી પ્રમાણે, ગદર પાર્ટીએ ચાંપેલી આગ આખા હિંદુસ્તાનમાં ભડકી ઉઠશે એવા ડરના કારણે જ પંજાબમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો હતો.

ભગત સિંહ ખિસ્સામાં કોની તસવીર રાખતા?

આ ક્રાંતિકારીઓ સામે લાહોરમાં સુનવણી ચાલતી હતી ત્યારે કરતાર સિંઘ સરાભાએ અદાલતમાં બ્રિટીશ રાજના અન્યાય સામે છટાદાર અને જુસ્સાભેર ભાષામાં આક્રમક રજૂઆતો કરી. એ વખતે તેમની ઉંમર હતી, ફક્ત ૧૯ વર્ષ. તેઓ પણ ગદર પાર્ટીના સભ્યોએ ઘડેલા કાવતરાનો અમલ કરવા સેન ફ્રાન્સિસ્કોથી ભારત પરત ફર્યા હતા. કરતાર સિંઘ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા, પરંતુ દેશભક્તિના રંગે રંગાયેલા એ પંજાબી યુવકે માંડ ૧૭ વર્ષની ઉંમરે અગ્રણી ક્રાંતિકારીઓ સાથે મળીને ગદર પાર્ટીની સ્થાપનામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ ટીમમાં તેઓ સૌથી નાના હોવાથી ગદર પાર્ટીના પહેલા પ્રમુખ અને સ્થાપક સભ્ય સોહન સિંઘ ભકના તેમને લાડમાં 'બાબા જનરલ' કહેતા હતા. લાહોર પંચની તપાસમાં સોહન સિંઘ ભકનાને પણ ફાંસીની સજા ફટકારાઈ હતી, જે પાછળથી જનમટીપમાં પરિવર્તિત થઈ હતી.
૨૪મી માર્ચ, ૧૯૧૪ના રોજ પ્રસિદ્ધ ‘હિંદુસ્તાન ગદર’ની ઉર્દૂ આવૃત્તિ,
જેની નીચે વાંચી શકાય છેઃ અંગ્રેજી રાજ કા દુશ્મન
૧૯૧૬માં પંજાબી ભાષામાં પ્રકાશિત ‘ગદર દી ગુંજ’

ગદર પાર્ટી દ્વારા 'હિંદુસ્તાન ગદર' નામનું એક અઠવાડિક અખબાર પણ પ્રકાશિત કરાતું. આ અખબારના નામ નીચે એક લટકણિયું મૂકાતું, 'અંગ્રેજી રાજ કા દુશ્મન'. કરતાર સિંઘે કિશોરવયે જ તેની પંજાબી આવૃત્તિનું તંત્રીપદ સંભાળી લીધું હતું, જેમાં તેઓ દેશદાઝથી છલોછલ કવિતાઓ અને લેખો લખતા. આ અખબારમાં નાટ્યાત્મક શૈલીમાં 'ગદર' ઉર્ફે 'ક્રાંતિ'ની જાહેરો ખબર પણ છપાતી. વાંચો એક ઉદાહરણઃ ગદરે ભારતમાં ક્રાંતિ જાહેર કરી છે. જોઈએ છેઃ બહાદુર સૈનિકો. પગારઃ સજા એ મૌત, વળતરઃ શહીદી, પેન્શનઃ આઝાદી અને યુદ્ધનું મેદાનઃ ભારત. હવે ખૂબ ઓછા સમયમાં પેન અને શાહીનું સ્થાન બંદૂકો અને લોહી લેશે... 

ભગત સિંહની ધરપકડ થઈ ત્યારે તેમના ખિસ્સામાંથી કરતાર સિંઘની તસવીર મળી હતી. ભગત સિંઘના માતાએ કહ્યું હતું કે, મારો પુત્ર ઘણીવાર મને એ તસવીર બતાવીને કહેતો કે, વ્હાલી મા, આ જ મારો અસલી હીરો, મિત્ર અને સાથીદાર છે... 'ગદર' અખબારને 'ગેરકાયદે' રીતે દુનિયાભરમાં પહોંચાડવામાં પણ કરતાર સિંઘે જબરદસ્ત આયોજનો કર્યા હતા. 



આ અખબારની ઉર્દૂ
, હિંદી, બંગાળી, પશ્તુ અને ગુજરાતી આવૃત્તિ પણ પ્રસિદ્ધ થતી. 'ગદર'ની ગુજરાતી આવૃત્તિનું સુકાન એક કચ્છી ગુજરાતી ક્રાંતિકારી સંભાળતા હતા. એમનું નામ છગન ખેરાજ વર્મા. કમનસીબે, આજેય આપણી પાસે તેમના વિશે ખાસ કોઈ જાણકારી નથી, પરંતુ જાણીતા ઈતિહાસકાર વિષ્ણુ પંડ્યાએ સખત મહેનત કરીને છગન ખેરાજ વર્મા વિશે ઘણી અધિકૃતિ (એક તસવીર સહિત) માહિતી ભેગી કરી છે. ગદર પાર્ટીના સભ્યો સમાજવાદ, દેશપ્રેમ અને ક્રાંતિકારી સાહિત્યના ફેલાવા માટે ‘ગદર દી ગુંજ’ અને ‘તલવાર’ જેવા ચોપાનિયા-પત્રિકાઓ પણ પ્રસિદ્ધ કરતા હતા. 

ગદર પાર્ટીની રચનામાં ગુજરાતીની ભૂમિકા

અમેરિકામાં ગદર પાર્ટીની સ્થાપના ૧૯૧૩માં થઈ હતી. જોકે, એના ઘણાં સમય પહેલાં વિદેશી ધરતી પર  બ્રિટીશ રાજ વિરોધી સંસ્થાકીય પ્રવૃત્તિ શરૂ થઈ હતી. વિદેશમાં બ્રિટીશ વિરોધી 'રાષ્ટ્રવાદ'નો પાયો નાંખવામાં મૂળ કચ્છના શ્યામજી કૃષ્ણ વર્માનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. ભારતને સ્વરાજ અપાવવાના હેતુથી તેમણે લંડનમાં ૧૯૦૫માં 'ઈન્ડિયન હોમ રૂલ સોસાયટી' સ્થાપી હતી. આ સોસાયટીએ લંડનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ રહી શકે એ માટે 'ઈન્ડિયા હાઉસ' રૂ કર્યું હતું. શ્યામજી કૃષ્ણ વર્મા 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામની એક જર્નલ પણ પ્રકાશિત કરતા. તેમની સોસાયટીને મેડમ ભીકાઇજી કામા, દાદાભાઇ નવરોજી, સરદારસિંહ રાવજી રાણા, વીર સાવરકર, વી. એન. ચેટરજી, લાલા હરદયાલ અને મદન લાલ ધીંગરા જેવા અનેક આક્રમક નેતાઓનો સાથ હતો.


શ્યામજી કૃષ્ણ વર્મા અને મદનલાલ ધીંગરા

‘ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ’નો સપ્ટેમ્બર ૧૯૦૮નો અંક, જેના કવરપેજ પર
મદનલાલ ધીંગરા (ક્લોકવાઈઝ), વી. વી. સુબ્રમણ્યમ ઐયર, વીર સાવરકર,
પાંડુરંગ મહાદેવ બાપટ, મોડ ગોન મેકબ્રાઈટ (ક્રાંતિકારી આઈરિશ મહિલા),
એમ.પી. તિરુમાલ આચાર્ય, અનંત લક્ષ્મણ કનહરે અને સી. પી. વેંકટ
જેવા જુવાળવાદી નેતાઓની તસવીર પ્રકાશિત કરાઈ હતી 

સેન ફ્રાન્સિસ્કોમાં આવેલા ગદર પાર્ટીના વડા મથક  યુગાંતર આશ્રમની 
૧૯૫૧માં ટી.એસ. સીબિયા નામના ફોટોગ્રાફરે લીધેલી તસવીર 

ધીંગરાએ લંડનમાં બ્રિટીશ ભારતીય લશ્કરી અધિકારી વિલિયમ હુટ કર્ઝન વેઇલીની હત્યા કરતા સ્કોટલેન્ડ યાર્ડે હોમ રૂલ સોસાયટી સાથે સંકળાયેલા નેતાઓ પર ધોંસ બોલાવી હતી. એ પછી અનેક નેતાઓ ફ્રાંસ અને જર્મની જેવા દેશોમાં જતા રહ્યા. એવું કહેવાય છે કે, ધીંગરાએ કરેલી હત્યા એ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનું પહેલું ક્રાંતિકારી પગલું હતું. આ ઘટના પછી ૧૯૧૦ સુધી હોમ રૂલ સોસાયટીની પ્રવૃત્તિઓનો તબક્કાવાર અંત આવ્યો, પરંતુ એ પહેલાં શ્યામજી કૃષ્ણ વર્માનો ભેટો લાલા હરદયાલ અને અબ્દુલ હાફિઝ મોહમ્મદ બરકતુલ્લાહ જેવા નેતાઓ સાથે થઈ ગયો હતો. બરકતુલ્લાહે તો ઈન્ડિયન હોમ રૂલ સોસાયટીની તર્જ પર ન્યૂ યોર્કમાં પાન આર્યન એસોસિયેશનની પણ સ્થાપના કરી હતી.

એવી જ રીતે, તારકનાથ દાસ ન્યૂ યોર્કમાં 'ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ'ની મિરર ઈમેજ જેવી 'ફ્રી હિંદુસ્તાન' નામની જર્નલ પ્રકાશિત કરતા હતા. શ્યામજી કૃષ્ણ વર્માથી પ્રેરિત આવા અનેક યુવાનો બાદમાં ગદર પાર્ટીના અગ્રણી નેતાઓ તરીકે ઊભર્યા. વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી ફંડ ઉઘરાવીને આશરે બત્રીસેક ક્રાંતિકારીઓએ સેન ફ્રાન્સિસ્કોની હિલ સ્ટ્રીટમાં ‘યુગાંતર આશ્રમ’ની સ્થાપના કરીને ગદર પાર્ટીની શરૂઆત કરી હતી. 

***  

ગદર પાર્ટી સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક હતી. ગદરના સભ્યોએ જાહેર કર્યું હતું કે, અમારો ધર્મ ફક્ત એક જ છે, દેશપ્રેમ. આ પાર્ટીના સ્થાપક મંડળમાં મંગુરામ મુગોવાલિયા નામના એક દલિત યુવાન પણ હતા, જે પાછળથી પંજાબના અગ્રણી દલિત નેતા તરીકે લોકપ્રિય થયા હતા. આઝાદીના આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ ઈન્દિરા ગાંધીએ તેમનું સન્માન કરીને પેન્શન જાહેર કર્યું હતું.

ઈતિહાસકારોના મતે, ગદર પાર્ટીએ કરેલા આંદોલનને કોઈ જ એક જ વ્યક્તિ કે સંસ્થાનું કેન્દ્રિય નેતૃત્વ ન હતું. દુનિયાભરમાંથી ભારત આવેલા ક્રાંતિકારીઓ પોતપોતાના જૂથોમાં આક્રમક રીતે સક્રિય જરૂર હતા, પરંતુ તેઓ એક હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ એકજૂટ ન હતી. ક્રાંતિકારીઓ દ્વારા કરાતી છુટીછવાઈ ભાંગફોડની બ્રિટીશરો પર ખાસ કોઈ અસર નહોતી થતી. આ ઉપરાંત ગદર આંદોલનના એપિસેન્ટર ગણાતા પંજાબ અને બંગાળ જેવા પ્રદેશોમાં લાખો લોકો બ્રિટીશ રાજની કૃષિલક્ષી નીતિઓથી ખુશ હતા. બ્રિટીશ સેનામાં પણ બ્રિટીશ રાજ તરફી ભારતીય સૈનિકો હતા. આ લોકોએ 'ગદર'ને નિષ્ફળ બનાવવા બ્રિટીશ રાજના જાસૂસો તરીકે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નોંધઃ આ લેખનો ભાગ-૧ અહીં 

17 August, 2018

ગદર : એક અમેરિકન કથા


અમેરિકાની સેન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ દિવસે ખાસ્સી ચહલપહલ હતી. દિવસ હતો, ૨૦મી નવેમ્બર, ૧૯૧૭. ભારતથી હજારો કિલોમીટર દૂર અમેરિકાની એ અદાલતમાં આરોપીઓ તરીકે ૧૭ ભારતીય, નવ જર્મન અને નવ અમેરિકનને હાજર કરાયા હતા. ભારતીયો પર બ્રિટીશ રાજ સામે સશસ્ત્ર બળવાનું કાવતરું ઘડવાનો અને જર્મનો-અમેરિકનો પર તેમને મદદ કરવાનો આરોપ હતો. ઠાંસોઠાંસ ભરાયેલી અદાલતમાં દેશદાઝથી લાલઘૂમ સંખ્યાબંધ ભારતીયો ઊડીને આંખે વળગી રહ્યા હતા કારણ કે, તેમના માથા પર રંગબેરંગી પાઘડીઓ હતી. એમ પણ, એ દિવસે અદાલતમાં શીખોની સંખ્યા વધારે હતી. આ સુનવણી ૨૪મી એપ્રિલ ૧૯૧૮ સુધી એટલે કે કુલ ૧૫૫ દિવસ સુધી ચાલી, જેમાં તમામ ભારતીયોને ૨૨ મહિનાથી લઈને બે વર્ષ સુધીની જેલની સજા થઈ. એટલું જ નહીં, તે અમેરિકાના ઈતિહાસની સૌથી મોંઘી અદાલતી કાર્યવાહી સાબિત થઈ. એ જમાનામાં આ કેસની તપાસ માટે અમેરિકાને ૪.૫૦ લાખ ડૉલર અને બ્રિટનને અઢી મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ થયો હતો.

ભારતના સ્વતંત્રતા સંગ્રામનું આ અત્યંત મહત્ત્વનું પ્રકરણ ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયું છે. હાલમાં જ અમેરિકાના ઓરેગન સ્ટેટે ભારતની આઝાદી સાથે સંકળાયેલા આ ઘટનાક્રમને સ્કૂલ અભ્યાસક્રમમાં દાખલ કરવાનો નિર્ણય લીધો. શીખ ઈતિહાસકારોએ તો આ આંદોલન વિશે અઢળક સંશોધન કર્યું છે, પરંતુ આજેય એક સરેરાશ ભારતીય આ તવારીખથી પૂરતો વાકેફ નથી.

શું હતું એ કાવતરું? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં થોડું બેકગ્રાઉન્ડ.

કાવતરું ઘડાયું એ વખતનું ભારત

ઇસ. ૧૯૦૦ સુધીમાં બ્રિટીશ રાજ સામેના સ્વાતંત્ર્ય સંગ્રામનું સુકાન મહદ્અંશે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના હાથમાં આવી ગયું હતું. આ દરમિયાન ૨૮મી જુલાઈ, ૧૯૧૪ના રોજ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયું. એ વખતે કોંગ્રેસના નેતાઓ બે ભાગમાં વહેંચાયેલા હતા, જુવાળવાદી (એક્સ્ટ્રિમિસ્ટ) અને મવાળવાદી (મોડરેટ). કોંગ્રેસમાં મવાળવાદી નેતાઓનું વર્ચસ્વ હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન્દ્રનાથ બોઝની આગેવાનીમાં નક્કી કર્યું કે, પહેલા વિશ્વ યુદ્ધમાં બ્રિટીશરોને સાથ આપવો, પરંતુ કોંગ્રેસના જ અનેક જુવાળવાદી નેતાઓ આ યુદ્ધને બ્રિટીશરો સામે જંગ છેડવાની સુવર્ણ તક તરીકે જોતા હતા. તેઓ માનતા હતા કે, અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોની સંખ્યા સારી એવી છે. જો તેમને 'બળવો' કરાવવામાં સફળતા મળે તો દેશને બ્રિટીશ રાજમાંથી મુક્તિ અપાવી શકાય.

ભૂપેન્દ્રનાથ બોઝ 

પેરિસ પહોંચેલા શીખ સૈનિકો પૈકી એકના યુનિફોર્મમાં ગુલાબનું ફૂલ ખોસીને સ્વાગત કરતી
ફ્રેન્ચ મહિલા (ક્લોક વાઇઝ), જેરુસલેમમાં હોવિત્ઝર તોપો સાથે રાજપૂતાના સૈનિકો,
નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પર ગોરખા રાયફલ્સના સૈનિકો અને છેલ્લે
ફ્રાંસના સોમમાં બ્રિટીશરોની મદદે પહોંચેલા ભારતના બાયસિકલ ટ્રૂપ્સ.

જોકે, એવું ના થયું. ઊલટાનું પહેલા વિશ્વ યુદ્ધના ચારેક વર્ષના ગાળામાં બ્રિટીશ રાજ વતી ૧૩ લાખ ભારતીય સૈનિકો-મજૂરોએ યુરોપ, આફ્રિકન અને ખાડી દેશોમાં સેવા આપી. યુદ્ધના અંતે ૪૭,૭૪૬  ભારતીય સૈનિક શહીદ થયા અને ૬૫,૧૨૬ ઘાયલ થયા. યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી હતી. દુનિયાભરમાં આમ આદમી બેહાલ હતા અને ભારતીયો પણ તેમાંથી બાકાત ન હતા. યુદ્ધ પૂરું થયા પછી અંગ્રેજો ભારતીય અર્થતંત્રને પાટે ચઢાવવામાં નિષ્ફળ રહ્યા. તેઓ ભારતને અનુદાન (ગ્રાન્ટ) પણ આપી  ના શક્યા અને કોંગ્રેસના નરમપંથી નેતાઓના ભ્રમ ભાંગી ગયા. આ સ્થિતિએ બ્રિટીશરો પાસેથી પૂર્ણ સ્વરાજ મેળવવાના આંદોલનનો જન્મ થયો, જેના આગેવાન હતા મોહનદાસ કરમચંદ ગાંધી. પહેલું વિશ્વયુદ્ધ વિશ્વયુદ્ધ ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પૂરું થયું, જ્યારે 'બારિસ્ટર ગાંધી' નવમી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ આફ્રિકાથી ભારત પરત આવી ગયા હતા.

અંગ્રેજો પહેલા વિશ્વયુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે દેશભરમાં અનેક નાના-મોટા ક્રાંતિકારી નેતાઓએ તેમને પરેશાન કરવામાં કશું બાકી ના રાખ્યું. બ્રિટીશ રાજ વિરોધી પ્રવૃત્તિના એપિસેન્ટર પંજાબ અને બંગાળ હતા.  જોકે, આ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિની બ્રિટીશ રાજ પર ખાસ કંઈ અસર નહોતી થતી, પરંતુ અરાજકતાના એ માહોલમાં ક્રાંતિકારી નેતાઓને દેશભરમાં લોકપ્રિયતા અને સામાન્ય માણસોનો સાથ મળ્યો. બ્રિટીશ રાજ વિરોધી પ્રવૃત્તિને અંગ્રેજો પોલીસ અને જાસૂસી તંત્રની મદદથી અત્યંત કડક હાથે ડામી દેતા. આ દરમિયાન અનેક ક્રાંતિકારી નેતાઓ ભારત છોડીને અમેરિકા, કેનેડા, મેક્સિકો, જાપાન, ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, મલેશિયા અને આફ્રિકન દેશોમાં વિખરાઈ ગયા હતા. એ દેશોમાં રહીને ઉચ્ચ અભ્યાસ અને નોકરી-ધંધો કરતા અનેક યુવકો ભારતમાં બ્રિટીશ રાજ સામે ક્રાંતિ કરવા નાની-મોટી પ્રવૃત્તિઓ કર્યા કરતા.

આ સ્થિતિને પારખીને જ બ્રિટીશ રાજે ક્રાંતિકારીઓને કડક હાથે ડામી દેવા માર્ચ ૧૯૧૫માં ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૧૫ની રચના કરી હતી.

...અને હજારો ગદરો ચૂપચાપ ભારત આવ્યા

પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયાના પાંચેક મહિના પહેલાં, ફેબ્રુઆરી ૧૯૧૫માં, અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનોએ બ્રિટીશ રાજ સામે સશસ્ત્ર જંગ છેડવાનું અભૂતપૂર્વ કાવતરું ઘડ્યું. આ યુવાનો ગદર પાર્ટી નામની રાજકીય સંસ્થા હેઠળ એકજૂટ હતા. આ યોજનાનો અમલ કરવા ગદરના અગ્રણી સભ્યોને જર્મનીની બર્લિન સમિતિ, સેન ફ્રાન્સિસ્કોમાં આવેલું જર્મન દૂતાવાસ અને ભારત સહિત વિવિધ દેશોમાં રહીને ભૂગર્ભ પ્રવૃત્તિ કરતા ક્રાંતિકારીઓની પણ મદદ મળી હતી.

કાવતરું ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ભગવાન સિંહ જ્ઞાનીના બે રૂપ

વિષ્ણુ ગણેશ પીંગળે (ક્લોકવાઈઝ), લાલા હર દયાલ (સૌથી મોટી તસવીર),
પંડિત કાંશી રામ અને ભાઈ પરમાનંદ

પહેલા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટન અને તેના સાથી દેશોની જર્મની સામેની દુશ્મનાવટ ચરમસીમાએ હતી. આ સ્થિતિનો લાભ લઈને ગદરના સભ્યોએ ભારતીય ક્રાંતિકારીઓને શસ્ત્રો અને દારૂગોળાનો જંગી જથ્થો આપવા જર્મનોને મનાવી લીધા. જર્મનીની મંજૂરી મળતા જ અમેરિકામાં ગદર પાર્ટીના નેતાઓ વિષ્ણુ ગણેશ પીંગળે, કરતાર સિંઘ, સંતોક સિંઘ, પંડિત કાંશી રામ અને ભગવાન સિંઘ જ્ઞાની સહિત કુલ આઠ હજાર ક્રાંતિકારીઓ વિવિધ દેશોમાંથી તબક્કાવાર ભારત આવી ગયા. એ લોકોએ ભારતીય યુવાનો તેમજ અંગ્રેજોની સેનામાં નોકરી કરતા ભારતીય સિપાઈઓમાં ક્રાંતિ માટે ચેતના જગાવવાની જવાબદારી લીધી હતી. આ માટે તેઓ બેઠકો, ભાષણો અને સાહિત્યના વિતરણનું કામ કરતા. આ ઉપરાંત તેઓ સરકારી શસ્ત્રોની લૂંટ, અંગ્રેજ સેનામાં કાર્યરત ભારતીય સૈનિકોની ઉશ્કેરણી, બોમ્બ બનાવવાનું શીખવું અને બીજાને શીખવાડવું તેમજ અંગ્રેજ સેનાની છાવણીઓમાં ગાઢ સંપર્ક બનાવવા જેવી પ્રવૃત્તિઓમાં પણ જોરશોરથી કરતા.

આ જ ક્રાંતિકારી નેતાઓએ અંગ્રેજ સેનાની સિંગાપોર છાવણીમાં ૮૫૦ ભારતીય સૈનિકની ઉશ્કેરણી કરીને ભાંગફોડ કરાવી હતી. ગદર ચળવળનો સૌથી મહત્ત્વનો હિસ્સો બોમ્બ બનાવવાનો હતો, પરંતુ ક્રાંતિકારીઓને તેનું કોઈ જ્ઞાન ન હતું. આ કામમાં તેઓને કેલિફોર્નિયામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રનાથ બોઝની મદદ મળી હતી, જે તારકનાથ દાસ નામના બીજા એક બંગાળી બૌદ્ધિકના સાથીદાર હતા. આ સમગ્ર આયોજનમાં અમેરિકાસ્થિત ગદર પાર્ટીના સભ્યો ભારતના ક્રાંતિકારીઓને ભંડોળ પૂરું પાડતા. આ ઉપરાંત બ્રિટીશરોના કટ્ટર વિરોધી જર્મન નેતાઓ અને દુનિયામાં ફેલાયેલા બીજા ક્રાંતિકારીઓ સાથે સંવાદ સાધવામાં પણ અમેરિકાસ્થિત ક્રાંતિકારીઓની ભૂમિકા મહત્ત્વની રહેતી. બ્રિટનને આ વાત ખૂંચતી. તેઓ અમેરિકાને ગદર પાર્ટીના સભ્યોની પ્રવૃત્તિ પર રોક લગાવવાનું દબાણ કરતા, પરંતુ ક્રાંતિકારીઓ અમેરિકા વિરોધી પ્રવૃત્તિ નહીં કરતા હોવાથી બચી જતા. વળી, અમેરિકામાં કયા કાયદા હેઠળ તેમને રોકવા એ પ્રશ્ન તો હતો જ!

આ દરમિયાન બ્રિટન સરકારને લાગ્યું કે, જો અમેરિકા પહેલા વિશ્વયુદ્ધમાં આપણું સાથીદાર બને તો તેમને બ્રિટીશ રાજ વિરુદ્ધ ભાંગફોડ પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલાં લેવા મનાવી શકાય. છેવટે પહેલું વિશ્વ યુદ્ધ ૧૧મી નવેમ્બર, ૧૯૧૮ના રોજ પૂરું થયું તેના માંડ છ મહિના પહેલાં, છઠ્ઠી એપ્રિલ ૧૯૧૭ના રોજ, અમેરિકાએ બ્રિટનને સાથ આપીને જર્મનો સામેના યુદ્ધમાં ઝંપલાવ્યું. ત્યાં સુધી અમેરિકા 'તટસ્થ' હતું. અમેરિકાએ યુદ્ધમાં ઝંપલાવવાની તૈયારી કરી એ જ ગાળામાં, માર્ચ ૧૯૧૭માં, અમેરિકામાં ગદર પાર્ટીના સભ્યોની ધરપકડ શરૂ કરાઈ.

કાવતરું ઘડવા બદલ કોને સજા થઈ?

ગદર ચળવળનો ગૂમનામ ઈતિહાસ વાંચતી વખતે એવા અનેક ક્રાંતિકારીઓ સામે આવતા રહે છે, જેમના વિશે આપણી પાસે ખૂબ જ ઓછી અથવા નહીંવત માહિતી છે. આ ઉપરાંત એવા પણ નામો વાંચવા મળે છે, જે આપણે ક્યારેક સાંભળેલા છે પણ તેમણે વિદેશમાં રહીને દેશ માટે આપેલા બલિદાનોનો આપણને અંદાજ નથી. જે કોઈ ક્રાંતિકારીઓ વિશે માહિતી છે, તેમના વિશે પૂરતી માહિતી આપવા એક લેખ પણ ઓછો પડે!
બ્રિટીશ ઈન્ટેલિજન્સની નજર ચૂકવીને જાપાન જતા રહેલા રાશ બિહારી બોઝ
તેમની જાપાનીઝ પત્ની તોશિકો બોઝ સાથે અને ઈનસેટ તસવીરમાં જતીન મુખરજી

જેમ કે, તારકનાથ દાસ. ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાનું શીખવાડનારા આ બંગાળી બાબુ ગદરની થિંક ટેન્ક પૈકીના એક હતા. એક સમયે તેમણે લિયો ટોલ્સટોય સાથે પોતાની યોજનાઓની ચર્ચા કરી હતી. અતિ વિદ્વાન એવા તારકનાથ વિદેશમાં રહીને અનેક ભારતીય યુવાનોમાં દેશદાઝના સંસ્કાર રોપવામાં તેઓ સફળ રહ્યા હતા. આવું જ બીજું એક મહત્ત્વનું પાત્ર એટલે લાલા હરદયાલ. અમેરિકાના પેસિફિક કોસ્ટના કાંઠે ઉતરતા હજારો શીખ યુવાનોને ભારતમાં અંગ્રેજ શાસન સામે એકજૂટ કરવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેઓ ગદર પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. ભારતમાં સંસ્કૃત વિષયમાં માસ્ટર ડિગ્રી લીધા પછી લાલા હરદયાલને કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી હતી. એ પછી તેઓ 'કંઈક' કરવા માટે બ્રિટનથી લઈને ફ્રાંસ, અલ્જિરિયા જેવા દેશોમાં ફર્યા. આઈડેન્ટિટી ક્રાઈસીસની પીડામાં તેમણે હિંદુ-બૌદ્ધ ધર્મનો પણ ઊંડો અભ્યાસ કર્યો. એ વખતે તેમનો ભેટો વિખ્યાત આર્ય સમાજી ભાઈ પરમાનંદ સાથે થયો. તેઓ પણ ગદર પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. પરમાનંદના આદેશથી લાલા હરદયાલ આર્ય સંસ્કૃતિનો પ્રચાર કરવા અમેરિકા જવા રવાના થયા અને ગદર ચળવળની થિંક ટેન્ક તરીકે ઊભર્યા.

ભારતસ્થિત હજારો ક્રાંતિકારીઓની મદદ વિના આ કાવતરાનો અમલ કરવો શક્ય ન હતો, પરંતુ ગદર પાર્ટીનું આંદોલન ભૂલાઈ જવાના કારણે ભારતમાં તેમને મદદ કરનારા અનેક ક્રાંતિકારીઓ પણ ભૂલાઈ ગયા. જેમ કે, જતીન મુખરજી. બંગાળમાં 'યુગાંતર' નામે ચાલતી ભૂગર્ભ ચળવળના તેઓ આગળ પડતા યુવા નેતા હતા. અમેરિકાથી આવેલા વિષ્ણુ ગણેશ પીંગળે અંગ્રેજો સામે સશસ્ત્ર બળવો કરવા સૌથી પહેલાં જતીન મુખરજીને જ મળ્યા હતા. બ્રિટીશ રાજ સામે ક્રાંતિ કરવાના સપનાં જોતા એ ‘નવાસવા’ યુવાનો યોગ્ય લાગતા જ જતીન મુખરજીએ તેમની મુલાકાત રાશ બિહારી બોઝ સાથે કરાવી હતી. એ પછી અમેરિકાની ધરતી પર ઘડાયેલા કાવતરાનો ભારતમાં અમલ કરવામાં રાશ બિહારી બોઝે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

***

આ કાવતરું ઘડવા બદલ તારકનાથ અને ભગવાન સિંઘ જ્ઞાનીને સૌથી વધારે બે વર્ષની જેલ થઈ. બ્રિટન ઈચ્છતું હતું કે, આ તમામને અમેરિકા ડિપોર્ટ કરી દે, જેથી તેઓ સામે ભારતમાં કેસ ચલાવી શકાય. જોકે, અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેને કાયદા વિરુદ્ધનું ગણાવ્યું. આ કેસમાં જેલની સજા પામનારા અન્ય ૧૫ સભ્યમાં બિશન સિંઘ હિંદી, ચંદર કાન્તા ચક્રવર્તી, ધીરેન્દ્ર કુમાર સરહા, ગોવિંદ બિહારી લાલ, ગોધા રામ, ગોપાલ સિંઘ, ઈમામ દિન, મહાદેવ અબાજી નાંદેકર, મુન્શી રામ, નિરંજન દાસ, નિધારા સિંઘ, સુંદર સિંઘ ઘલ્લી, સંતોક સિંઘ, રામ સિંઘ અને રામ ચંદ્ર જેવા ક્રાંતિકારીઓ સામેલ હતા


અમેરિકામાં સજા પામનારા એ 17 ભારતીયો અને સુનવણી દરમિયાન વારંવાર ચમકેલા બીજા ચાળીસેક નામની યાદી

આ કેસની અમેરિકન મીડિયામાં 'હિંદુ જર્મન કોન્સ્પિરેસી' અને 'ગદર મ્યુટિની' તરીકે વ્યાપક નોંધ લેવાઈ હતી. ખાસ કરીને સુનવણીના છેલ્લા દિવસે રામ સિંઘ નામના ગદર પાર્ટીના એક સભ્યે પોતાના જ સાથીદાર રામ ચંદ્રની ભરચક અદાલતમાં ગોળી મારીને હત્યા કરી દેતા સનસનાટી મચી ગઈ હતી. એ પછી અદાલતમાં ઊભેલા એક પોલીસ જવાને પણ રામ સિંઘને તાત્કાલિક ગોળી મારી દીધી. રામ સિંઘને શંકા હતી કે, રામ ચંદ્રે ગદરના ભંડોળનો દુરુપયોગ કર્યો છે. આ કેસની ૧૫૫ દિવસની સુનવણીમાં લાલા હરદયાલ અને રાશ બિહારી બોઝ સહિત કુલ ૪૦ નામો વારંવાર ચમક્યા, પરંતુ તેમાંના મોટા ભાગના અમેરિકામાં ન હોવાથી બચી ગયા. આ ઘટના બ્રિટીશરો માટે મ્યુટિની (બળવો) હતી, આપણા માટે નહીં. ભારત માટે એ આઝાદીનું આંદોલન હતું.

ગદર પાર્ટીની રચનાનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આ પાર્ટીના સભ્યોને પ્રેરિત કરવામાં એક ગુજરાતીએ  પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગદર પાર્ટી એક અખબાર પણ પ્રકાશિત કરતી હતી, જેની ગુજરાતી આવૃત્તિનું તંત્રીપદ એક ગુજરાતી ક્રાંતિકારીને સોંપાયું હતું.

આવી બીજી ઘણી બધી વાતો આવતા અઠવાડિયે. 

નોંધઃ તમામ તસવીરો ગૂગલ પરથી લીધી છે, જ્યારે સત્તર ભારતીયો સહિત બીજા ચાળીસેક આરોપીઓના નામની યાદી બતાવતી તસવીર સાઉથ એશિયન અમેરિકન ડિજિટલ લાઇબ્રેરીની (ઓપન સોર્સ) છે. 

15 December, 2017

ઝિમ્બાબ્વેમાં મુગાબેના પતન માટે ચીનના 'ગોરખધંધા' જવાબદાર


ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના ૩૭ વર્ષના લોહિયાળ શાસનનો આખરે અંત આવ્યો એ સ્વાભાવિક રીતે જ ભારત માટે મોટા સમાચાર ન હતા. પરંતુ 'મુગાબેના પતન પાછળ ચીન જવાબદાર છે' એવા અહેવાલો આવતા જ ભારત સહિત દુનિયાભરના દેશોએ ઝિમ્બાબ્વેની રાજકીય સ્થિતિનું માઈક્રો સ્કેનિંગ શરૂ કરી દીધું. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા 'રોયટરે' કેટલાક પુરાવા અને તથ્યોના આધારે અહેવાલ આપ્યો છે કે, ઝિમ્બાબ્વેમાં બળવો કરીને મુગાબેની સત્તા ઉથલાવી દેવાનું કાવતરું આફ્રિકાથી હજારો કિલોમીટર દૂર ચીનમાં ઘડાયું હતું. આ સમાચાર પછી અમેરિકા સહિતની વૈશ્વિક સત્તાઓના પણ એન્ટેના ઊંચા થઈ ગયા. અમેરિકા અને યુરોપના અનેક દેશોને આફ્રિકામાં 'બિઝનેસ' કરીને બધું જ લૂંટી લેવું છે, પરંતુ હવે ચીન અને રશિયા જેવો દેશો સ્પર્ધામાં છે. ઝિમ્બાબ્વેની વાત છે તો આ બિઝનેસ વૉરમાં ચીનની જીત થઈ છે.

સેનાને વિશ્વાસમાં લઈ સત્તા પરિવર્તન

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેનું શાસન ઉથલાવી દઇ નવી સરકારની રચના કરવામાં ઝિમ્બાબ્વેની સેનાના વડા કોન્સ્ટેન્ટિનો ચિવેન્ગાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ચિવેન્ગા સારી રીતે જાણતા હતા કે, મુગાબેને હટાવવા ચીનની મદદ લેવી જરૂરી છે કારણ કે, ઝિમ્બાબ્વેમાં સૌથી વધુ રોકાણ કરનારો દેશ ચીન છે. ચીનની મદદ વિના ઝિમ્બાબ્વેમાં સત્તા પરિવર્તન થાત તો ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતા હતી. આ સ્થિતિમાં દુનિયાના બીજા દેશોની નજર (વાંચો અમેરિકા) પણ ઝિમ્બાબ્વે પર જાય અને તેઓ પણ દખલગીરી કરે. ચીન જેવા દેશને તો દખલગીરી પોસાય જ કેવી રીતે? એટલે ચીને ઝિમ્બાબ્વેની સેનાની મદદથી જ ચૂપચાપ બળવો કરાવ્યો અને નવા પ્રેસિડેન્ટ તરીકે ઇમર્સન મનગાગ્વાની નિમણૂક પણ કરી દીધી.

ઝિમ્બાબ્વેની સેનાના વડા ચિવેન્ગા ચીનના સંરક્ષણ મંત્રી ચેંગ વાંકુઆન

હવે સમાચાર છે કે, ઝિમ્બાબ્વેના નવા પ્રેસિડેન્ટે તેમની કેબિનેટમાં સેનાના ઉચ્ચ અધિકારીઓને પણ મહત્ત્વના કામ સોંપ્યા છે. કહેવાની જરૂર નથી કે, નવા પ્રેસિડેન્ટ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ચીનની જ કઠપૂતળીઓ છે. આ બળવા પછી ચિવેન્ગાએ કોઈ સીધા લાભ લીધા નથી, પરંતુ ઝિમ્બાબ્વેની અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, મુગાબેને હટાવીને કરાયેલું સત્તા પરિવર્તન કાયદેસરનું જ છે.

મુગાબેને સ્વદેશી વિચારધારા ભારે પડી

મુગાબેને તો ચીન સાથે વર્ષો જૂની મિત્રતા હતી અને એટલે જ ચીન ઝિમ્બાબ્વેમાં કરોડો ડૉલરનું રોકાણ કરી શક્યું હતું. તો પછી ચીનને અચાનક શું વાંધો પડ્યો?

વાત એમ છે કે, ચીન માટે મુગાબે 'જવાબદારી' બની ગયા હતા. (ચીન માટે ઉ. કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ પણ એ જ રસ્તે છે) મુગાબેએ ચીનને ઝિમ્બાબ્વેમાં બિઝનેસ કરવાની લાલ જાજમ બિછાવી હતી, પરંતુ મુગાબેની સ્વદેશી વિચારધારાથી ચીનને નુકસાન થઈ રહ્યું હતું. ઝિમ્બાબ્વેમાં કેટલાક કાયદા એવા છે, જે સ્થાનિક બિઝનેસને વિદેશોના ભોગે વધુ પ્રોત્સાહન આપે છે. ચીનને એ કાયદા પસંદ ન હતા. આ કાયદાના કારણે ઝિમ્બાબ્વેમાં બિઝનેસ કરતી વિદેશી કંપનીઓનો કાબૂ મૂળ ઝિમ્બાબ્વેના નાગરિકો પાસે રહે છે. આ કાયદા સામે ચીનને પણ વાંધો હતો.

ડિસેમ્બર ૨૦૧૫માં ચીની પ્રમુખ જિંગપિંગે ઝિમ્બાબ્વેની
મુલાકાત લીધી ત્યારે પ્રમુખ રોબર્ટ મુગાબે સાથે 

ઝિમ્બાબ્વેમાં પ્રેસિડેન્ટ તરીકે મનગાગ્વાની નિમણૂક થતાં જ ચીનની થિંક ટેંક 'ચાઇનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સ'એ સત્તાવાર નિવેદન કર્યું હતું કે, અમને આશા છે કે નવા પ્રેસિડેન્ટ જૂના સ્વદેશી કાયદાને મર્યાદિત કરશે અથવા નાબૂદ કરી દેશે.

૨૧મી સદીમાં બિઝનેસ એજ સર્વસ્વ

મોટા દેશો નાના દેશોમાં સતત દખલગીરી કરે એ ઈતિહાસ બહુ જૂનો છે. અમેરિકા, ચીન અને ભારત પણ તેમાંથી બાકાત નથી. વર્ષ ૧૯૫૪માં ભારત અને ચીને પંચશીલના કરારો કર્યા હતા, જે પ્રમાણે બંને દેશે એકબીજાની આંતરિક બાબતોમાં દખલીગીરી નહીં કરવા સહમતિ દાખવી હતી. આ કરારો કર્યાના એક વર્ષ પછી ચીનના તત્કાલીન વડાપ્રધાન ઝોઉ એનલાઇએ પંચશીલના કરારોના આધારે એશિયા અને આફ્રિકાના દેશો સાથે મજબૂત સંબંધો બનાવવાની શરૂઆત કરી. એ વખતે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના અધ્યક્ષ માઓ ઝેદોંગ ઉર્ફે માઓ ત્સે તુંગ હતા. આ બંને નેતાઓને પંચશીલના સિદ્ધાંતો સાથે ઝાઝી લેવાદેવા ન હતી. એ વર્ષોમાં દુનિયાના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવાનું આંદોલન ચાલી રહ્યું હતું. એટલે ચીને પંચશીલના સિદ્ધાંતોની ઐસીતૈસી કરીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો સહિત ભારતમાં પણ સામ્યવાદી આંદોલનને ટેકો આપ્યો. આ રીતે બહારથી ટેકો આપવાથી ચીનને બીજા દેશો સામે ફક્ત વ્યૂહાત્મક ફાયદો મળતો, આર્થિક લાભ નહીં.

વર્ષ ૧૯૫૪માં ચીનના પેકિંગ સ્થિત રાજ દૂતાવાસમાં
માઓ ઝેદોંગ સાથે જવાહરલાલ નહેરુ 

ઝેદોંગ યુગમાં પણ ચીન ફક્ત એજ દેશોમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં સફળ થયું, જેમની સાથે તેને મિત્રતા હતી. જે દેશો સાથે ચીનને ખાટા સંબંધ હતા ત્યાંની આંતરિક બાબતોમાં માથું મારવું ચીન માટે અઘરું હતું કારણ કે, કોઈ પણ વિચારધારા ફેલાવવા માટે જે મૂડી જોઈએ એ 'સામ્યવાદીઓ' પાસે ક્યાંથી હોય! આ એ વખતના સામ્યવાદીઓની વાત છે. એ જમાનો સામ્યવાદના 'રોમેન્ટિઝમ'માં રાચવાનો હતો, પરંતુ આ ૨૧મી સદી છે. દુનિયામાં મૂડીવાદની બોલબાલા છે. હવે બીજા દેશોમાં આંદોલન કે બળવો વ્યૂહાત્મક લાભ લેવા નહીં પણ 'બિઝનેસ' કરવા થાય છે.

મેક ઇન ચાઇના અભિયાનની શરૂઆત

ચીન પણ હવે પૈસાના જોરે સત્તા પરિવર્તન કરાવી શકે છે અને ઝિમ્બાબ્વે તેનું જ તાજું ઉદાહરણ છે. ચીનમાં જ સામ્યવાદ, મૂડીવાદ અને સમાજવાદના મિશ્રણ જેવું મોડેલ અસ્તિત્વમાં આવ્યું છે એટલે તેઓને બીજા દેશમાં રાજકીય સ્તરે સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં ક્યાંથી રસ હોય? ઝેદોંગ યુગ પછી ચીનમાં કેટલાક દાયકાઓ સુધી એવા નેતાઓએ શાસન કર્યું, જેમણે વિશ્વ સાથે બહુ ઓછો સંપર્ક રાખ્યો અને ચીનમાં શું થઈ રહ્યું છે- એ વિશ્વને ખ્યાલ ના આવે એ રીતે ચીનની અંદર ક્રાંતિકારી પરિવર્તનો લાવવાનો પ્રયાસ કર્યો. એ યુગમાં ચીનના કુદરતી સ્રોતોનો પણ મહત્તમ ઉપયોગ થયો. આ દરમિયાન ચીને વિદેશોમાં થતાં (અને કરાવાતા) આંદોલનો-બળવા પર ધ્યાન આપવાનું સંપૂર્ણ બંધ કરી દીધું, જેના લાભ ચીનને જ મળ્યા.

આજે આઈફોન જેવા સ્માર્ટફોનનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે

ચીનના નેતાઓ દેશમાં પરિવર્તન લાવવા ક્રાંતિકારી સુધારા કરતા ચીનની આર્થિક સ્થિતિ મજબૂત થવાની શરૂઆત થઈ. ચીને 'મેક ઇન ચાઇના' અભિયાન શરૂ કર્યું. એ માટે ચીની ઉત્પાદકોને સતત વીજળી, કાચો માલ અને આંતરરાષ્ટ્રીય બજારની જરૂર હતી. આ સ્થિતિમાં રાજકારણીઓ, કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને લશ્કરી અધિકારીઓ સાથે ચીની કોર્પોરેટ્સની એક મજબૂત ધરી રચાઈ. જે ચીન છ-સાત દાયકા પહેલાં નાના દેશોમાં સામ્યવાદનો ફેલાવો કરી વ્યૂહાત્મક લાભ ખાટવાના પ્રયાસ કરતું, એ ચીન  હવે કોર્પોરેટ્સની મદદથી બીજા દેશોમાં બિઝનેસ માટે સત્તા પરિવર્તન કરાવે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ચીની કંપનીઓએ આફ્રિકન દેશોમાં કરોડોની સંપત્તિ ખરીદી છે અને ત્યાં ચીની નાગરિકો કામ પણ કરે છે. આફ્રિકાના અનેક આપખુદ અને શંકાશીલ નેતાઓને ડૉલર કરતા ચીનનો યુઆન વ્હાલો છે કારણ કે, પશ્ચિમી દેશોને રોકાણના બદલામાં રાજકીય અને આર્થિક સ્તરે ઉદારીકરણ જોઈએ છે. એ માટે આફ્રિકન નેતાઓ તૈયાર નથી એટલે ચીન ફાવી ગયું છે. માનવાધિકાર જેવી પાયાની બાબતોથી લઈને પારદર્શક વહીવટમાં પશ્ચિમી કંપનીઓનો ટ્રેક રેકોર્ડ સારો છે, તેઓને યુએનની થોડી ઘણીયે શરમ છે, પરંતુ ચીનને બિઝનેસ સિવાય કંઈ પડી નથી.

આફ્રિકાના નાના દેશોના નેતાઓનું હોર્સ ટ્રેડિંગ

આ પ્રકારના ગોરખધંધાની અસર ચીનની વિદેશનીતિ પર પણ પડે છે. યુએનમાં આફ્રિકન દેશોના કોઈ સરમુખ્યાર સામે ખરડો પસાર કરાય ત્યારે ચીન વિટોનો ઉપયોગ કરે છે અને અમેરિકા જેવા દેશોએ મ્હોં વકાસીને ઊભા રહી જાય છે. ઝિમ્બાબ્વે, ઇથોપિયા, બુરુન્ડી, નાઇજિરિયા, ઘાના, ટાન્ઝાનિયા, મોઝામ્બિક, કેન્યા, રવાન્ડા, ગેબન, ટયુનિશિયા, સિએરા લિયોન અને કોંગો જેવા દેશોના નેતાઓ પણ ચીનની તરફેણમાં મતદાન કરે છે અને ચીન પાસેથી 'ઇનામ' લઈ લે છે. આ નાના-પછાત આફ્રિકન દેશોના નેતાઓને ખબર પણ નથી હોતી કે, તેઓ કયા ખરડા વિરુદ્ધ મતદાન કરીને ચીનને સાથ આપી રહ્યા છે. આ અનેક દેશોમાં સિવિલ વૉર ચાલુ રાખવા ચીન શસ્ત્રો પણ પહોંચાડે છે. જેમ કે સુદાન.


વર્ષ ૨૦૦૨માં ચીની પ્રમુખ જિઆંગ ઝેમિન
લીબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફી સાથે 

લીબિયામાં પણ ચીને મુઅમ્મર ગદ્દાફીને સાથ આપ્યો હતો, જેની દુનિયાભરમાં ટીકા થઈ હતી. સીરિયામાં પણ ચીન બશર અલ-અસદને સાથ આપી રહ્યું છે. બિલકુલ રશિયાની જેમ. ટૂંકમાં ચીન આફ્રિકાના 'સરમુખત્યાર' નેતાઓની સેવા કરીને મેવા ખાઈ રહ્યું છે. અમેરિકા અને તેના મિત્ર દેશો પણ બીજા દેશોમાં દખલગીરી કરીને ભાગ્યેજ કશું સારું કરે છે. ઈરાક અને લીબિયા તેના ઉત્તમ ઉદાહરણ છે. આ જ માર્ગે ચીની ડ્રેગન આગળ વધી રહ્યો છે.

મહાસત્તાઓને દખલગીરી ભારે પડી છે

એંશીના દાયકામાં મુગાબેએ ઝિમ્બાબ્વેનું વડાપ્રધાનપદ સંભાળતા પહેલાં ગોરા લોકોની લઘુમતી સામે આક્રમક 'મુક્તિ સંઘર્ષ' ખેલ્યો હતો. એ આંદોલનમાં પણ ચીને મુગાબેને પૂરેપૂરો સાથ આપ્યો હતો. જુલમી શાસકોને સાથ આપવામાં આર્થિક લાભ થતો હોય તો ચીન બીજું કશું વિચારતું નથી. જરૂર પડે ત્યાં ચીન સત્તાધારી પક્ષોના વિરોધીઓ સાથે પણ સાંઠગાંઠ કરે છે. થોડા સમય પહેલાં ચીને નેપાળમાં ભારતની કઠપૂતળી સરકાર સામે અવાજ ઉઠાવતા વિપક્ષોનું જોડાણ મજબૂત કરવા દલાલી કરી હતી. એનું કારણ પણ રસપ્રદ છે. એવું કહેવાય છે કે, ભારતે નેપાળમાં વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકાર ઉથલાવીને પુષ્પ કમલ દહલ (પ્રચંડ)ને વડાપ્રધાન બનાવ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, નેપાળની પ્રચંડ સરકાર ભારત તરફ ઘણું કૂણું વલણ ધરાવે છે. આ જ કારણથી ચીનને પણ શંકા છે કે, ભારતે જ નેપાળમાં ઓલીને ઉથલાવીને પ્રચંડને વડાપ્રધાન બનાવ્યા છે.   

ચીન નૈતિકતાને નેવે મૂકીને ફક્ત 'બિઝનેસ ઇન્ટરેસ્ટ' પર ધ્યાન કેન્દ્રિત કરીને વિદેશ નીતિ નક્કી કરી રહ્યું છે અને ભારત પણ એ જ માર્ગે છે. આ પ્રકારની વિદેશ નીતિમાં સામેના દેશ કરતા થોડો વધારે ફાયદો થઈ જાય તો ભારત કે ચીનને સ્થાનિક મીડિયામાં સારું એવું કવરેજ પણ મળે છે, જેનો સીધો ફાયદો જે તે દેશના રાજકારણીઓ ઉઠાવે છે. 


માર્ચ ૨૦૧૭માં નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલે બેજિંગની
મુલાકાત લીધી ત્યારે ચીની પ્રમુખ જિનપિંગ સાથે 

પ્રજા પણ મનલુભાવન અખબારી અહેવાલો જોઈને વિચારે છે કે, મેરા દેશ મજબૂત હો રહા હૈ, આગે બઢ રહા હૈ ઓર વિકાસ હો રહા હૈ... જો રોકડિયા પાકોની ખેતી કરીને ઓછી મહેનતે વધારે 'ધંધો' મળતો હોય તો મહેનત કોણ કરેકંઈક આવું જ વિચારીને રાજકારણીઓ આવું લોલીપોપ રાજકારણ છોડતા નથી અને અમેરિકા-ચીન જેવા દેશોના કારણે આ દુષચક્ર ચાલ્યા જ કરે છે. 

***

વિશ્વની જુદી જુદી થિંક ટેન્કે કરેલા અભ્યાસ પ્રમાણે, અમેરિકાએ ૧૯૪૬થી ૨૦૦૦ વચ્ચે બીજા દેશોમાં સત્તા પરિવર્તન અને તોડફોડ કરવા સરેરાશ ૮૦ પ્રયાસ કર્યા હતા, જ્યારે રશિયાએ ૩૬ વાર. હવે અમેરિકા તેના જ કર્મોના ફળ ભોગવી રહ્યું છે. રશિયાએ પણ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને ફાયદો થાય એ રીતે હિલેરીને બદનામ કરવા જેવા ઘણાં બધા કામ કર્યા હતા. મહાસત્તાઓએ કરેલી દખલગીરીની આખી દુનિયાએ કિંમત ચૂકવવી પડે છે. અફઘાનિસ્તાનમાં રશિયાને હંફાવીને (કહેવાતા) વ્યૂહાત્મક લાભ લેવાના બહાને અમેરિકાએ જ તાલિબાનોને ઊભા કર્યા હતા એય ઇતિહાસ જાણીતો છે. અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટના આતંકનો ભોગ એકલું અમેરિકા નહીં, આપણે પણ બન્યા છીએ.

સુપરપાવર બનવાના ખ્વાબ જોતા ચીને ઇતિહાસ યાદ રાખવો જોઈએ કે કૂટનીતિને ધ્યાનમાં રાખીને કરેલા કુનીતિથી કોઈનો ઉદ્ધાર થયો નથી, પરંતુ આશાવાદીઓ ઈતિહાસની હંમેશા અવગણના કરતા હોય છે!