Showing posts with label આતંકવાદ. Show all posts
Showing posts with label આતંકવાદ. Show all posts

21 November, 2016

શું ટ્રમ્પ આ વાત સમજશે?


અમેરિકામાં 'દબંગ' ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા એટલે આતંકવાદનો સફાયો થઈ જશે. ખાસ કરીને સીરિયા અને ઈરાકમાં પાંગરીને છેક યુરોપ અને અમેરિકા સુધી પોતાની પાંખો પ્રસરાવી ચૂકેલા ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો તો નક્કી જ છે. આ ઉપરાંત ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી પ્રભાવિત અમેરિકામાં રહેતા કોઈ એકલદોકલ યુવકોના લૉન વુલ્ફ એટેકનો પણ ખતરો નહીં રહે. કારણ? કારણ કે, ટ્રમ્પ ગેરકાયદે મુસ્લિમ વસાહતીઓ, ગુનેગારો અને શંકાસ્પદોને અમેરિકામાં રહેવા દેશે તો લૉન વુલ્ફ એટેક થશે ને!

જો રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પની જીત પછી તમે આવું કંઈ માનતા હોવ તો તમે હજુયે 'બોર્નવિટા બોય' (કે ગર્લ) છો. અમેરિકા હોય કે ભારત, બ્રિટન હોય કે ફ્રાંસ- કોઈ પણ દેશની માસ સાયકોલોજીના પાયાના નિયમો અફર હોય છે. લોકોને ડરાવી-બીવડાવીને અને કાલ્પનિક ભય બતાવીને થોડો ઘણો સમય મૂર્ખ બનાવી શકાય છે. આ પ્રકારની સ્થિતિ દેશે-દેશે બદલાતી હોય છે અને એમાંય એકસાથે અનેક પરિબળો કામ કરતા હોય છે. આવા રાજકીય સંજોગોના નિર્માણ પાછળ સત્તાધારી પક્ષોની નબળાઈ, કૌભાંડો, પ્રજાની પરેશાની અને અસંતોષ, સ્થાનિક વેપારી નીતિઓમાંથી સર્જાયેલો અન્યાય બોધ અને તેમાંથી ઊભા થયેલા બેકારી જેવા પ્રશ્નો જવાબદાર હોઈ શકે છે. હાલના અમેરિકાની સ્થિતિ કંઈક આવી છે. આ સંજોગોની રોકડી કરીને ટ્રમ્પે સાબિત કરી નાંખ્યું છે કે, 'બોલ બચ્ચનગીરી' કરીને ગમે તેવા શિક્ષિત અને મુક્ત વિચારધારા ધરાવતા સમાજને પણ 'ટોળા'માં પરિવર્તિત કરી શકાય છે અને દમ હોય તો અમેરિકાના પ્રમુખ પણ બની શકાય છે.

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડવા ઈરાકી મહિલાને તાલીમ આપી રહેલો અમેરિકન સૈનિક

ટ્રમ્પ પ્રમુખ તો બની ગયા પણ હવે તેઓ ચૂંટણીમાં કહેલી વાતોનો કેટલો અને કેવી રીતે અમલ કરશે એની અમેરિકામાં જ નહીં, દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ ચૂંટણી પહેલાં (અને પછીયે) જ રાજકીય નિષ્ણાતો સોઈ ઝાટકીને કહી ચૂક્યા છે કે, ટ્રમ્પ પ્રમુખ બનશે તો દુનિયાભરના રાજકીય અને સમીકરણો બદલાશે. વેપારી નીતિઓની વાત છે ત્યાં સુધી ટ્રમ્પ બહુ બહુ તો ઘરઆંગણે થોડી ઘણી રોજગારી ઊભી કરશે, ચીની માલની આયાત રોકવા થોડાઘણાં હથકંડા અજમાવશે, મેક્સિકો જેવા દેશોના ગેરકાયદે નાગરિકો સામે થોડું ઘણું આકરાપણું દાખવશે અને આતંકવાદ સામે ટ્રમ્પ આક્રમકતા બતવાશે અથવા તો એવી છબિ ઊભી કરવાનો પ્રયાસ કરશે. બીજું બધું તો ઠીક છે પણ આતંકવાદને લગતી નીતિમાં ટ્રમ્પના ‘ટ્રમ્પ કાર્ડ’ ઊંધા પડ્યા તો અમેરિકા અને યુરોપ જ નહીં, ભારત જેવા દેશોએ પણ ભોગવવાનું આવશે. કેવી રીતે?

જો ટ્રમ્પ ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવાની લ્હાયમાં કોઈ દુ:સાહસ કરશે તો તેના આફ્ટર શૉક્સ કેવા હશે એ સમજવા અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ઉત્તમ ઉદાહરણ છે. અફઘાનિસ્તાનમાં સિત્તેર-એંશીના દાયકામાં સોવિયેત યુનિયનના સૈનિકોનો ખાત્મો કરવા અમેરિકાએ અલ કાયદાના લડવૈયાઓને શારીરિક અને શૈક્ષણિક તાલીમ આપવા ભરપૂર મદદ કરી હતી. એ વખતે અમેરિકાને અંદાજ પણ નહોતો કે, આ લડવૈયાઓને અપાતી તાલીમ ફક્ત અમેરિકા જ નહીં, આખી દુનિયા માટે ખતરનાક સાબિત થવાની છે! શસ્ત્રોની તાલીમ તો ફક્ત શારીરિક હતી પણ શૈક્ષણિક તાલીમમાં 'વિચારધારાના ફેલાવા'નો સમાવેશ થતો હતો. શસ્ત્રોની તાલીમ પામેલા અને ‘શિક્ષણ’ મેળવીને ચોક્કસ વિચારધારાથી પ્રભાવિત આ લડવૈયાઓએ જ અમેરિકાના 'ટ્વિન ટાવર પર હુમલો કર્યો હતો, જે ૯/૧૧ તરીકે જાણીતો છે. એ ઘટના પછી સોવિયેત યુનિયન સામે લડતા અલ કાયદાના 'લડવૈયા' અમેરિકા માટે રાતોરાત 'આતંકવાદી' થઈ ગયા હતા.

૯/૧૧ પછી અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિદેશ અને ઈમિગ્રન્ટ નીતિમાં ધરખમ ફેરફારો કર્યા. બાદમાં અફઘાનિસ્તાનને ધમરોળીને હજારો તાલીબાનોને ખતમ કરી અલ કાયદાને પણ નબળું પાડી દીધું. જોકે, અફઘાનિસ્તાનમાં અલ કાયદા નબળું પડ્યું એ પછીયે આતંકવાદ ખતમ ના થયો, ઊલટાનો વધ્યો. તાલીબાનો ખતમ થયા પણ ઓસામા બિન લાદેન નામે ઊભો થયેલો 'વિચાર' ના મર્યો. અમેરિકાએ જ તૈયાર કરેલા આ આતંકવાદીઓ અફઘાનિસ્તાન, આફ્રિકા અને યુરોપના દેશોમાં નાના-મોટા જૂથોમાં વહેંચાઈ ગયા, જે હજુયે સક્રિય છે. આ ઉપરાંત અનેક 'તૈયાર લડવૈયા' ઈસ્લામિક સ્ટેટ જેવા નવા આતંકવાદી જૂથો સાથે જોડાઈ ગયા અને તેઓ પણ અનેક દેશોમાં સક્રિય થયા. બેલ્જિયમ અને ફ્રાંસ જેવા દેશોમાં થયેલા હુમલા એની સાબિતી છે. અહીં એ વાત પણ નોંધવી પડે કે, ટ્વિન ટાવરના હુમલા પછી અમેરિકામાં નાના-મોટા છમકલાંને બાદ કરતા કોઈ મોટો આતંકવાદી હુમલો સફળ થઈ શક્યો નથી. આ વાત દર્શાવે છે કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જડબેસલાક છે.

હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અમેરિકામાં કોઈ હુમલો નથી થયો એ કબૂલ પણ અમેરિકન નાગરિકો વિશ્વભરમાં ફેલાયેલા છે અને તેઓ દુનિયાભરના દેશોનો પ્રવાસ કરે છે. આતંકવાદીઓ અમેરિકામાં ઘૂસી નથી શકતા તો શું, હવે તેઓ દુનિયાભરના પ્રવાસન સ્થળોએ અમેરિકનો-યુરોપિયનોને લક્ષ્યાંક બનાવે છે. અમેરિકનો પણ મુસ્લિમ દેશો સહિત દુનિયાભરમાં વેપાર-ધંધો કરે છે. આ સ્થિતિમાં ઈરાક, સીરિયા કે આફ્રિકાના કોઈ દેશમાં માથાફરેલ ઈસ્લામિક સત્તા આવે તો અમેરિકાનો વાળ પણ વાંકો ના થાય એ શક્ય નથી. એટલે જ અમેરિકા આ બંને દેશમાંથી ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવા સમજી વિચારીને ખેલ ખેલી રહ્યું છે. આ બંને દેશમાં આતંકવાદ સામે લડવા અમેરિકાએ વિવિધ સ્તરે લાંબા ગાળાની વ્યૂહાત્મક નીતિઓ અમલમાં મૂકી છે. પરંતુ ઈરાકમાં સદ્દામ હુસૈનને ખતમ કરવા 'પોલિટિકલી ઈનકરેક્ટ' પગલું લીધા પછી જ ઈસ્લામિક સ્ટેટ નામનું ‘જીન’ બાટલીમાંથી બહાર આવ્યું છે અને આતંકવાદ વધ્યો છે, જેનો અમેરિકાને પણ ભય છે. અફઘાનિસ્તાન અને ઈરાકનો ઈતિહાસ ગવાહ છે કે, અમેરિકાની ભૂલોના કારણે તેમણે તો ઠીક, આખી દુનિયાએ આતંકવાદનો સામનો કરવો પડ્યો છે! અત્યારે અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ભારતને નડી જ રહ્યા છે ને?

'જો અને તો'ના અનુમાનો સાથે બીજા પણ કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. સૌથી પહેલી વાત એ કે, અમેરિકામાં ૯/૧૧ હુમલો થયો ત્યારે રિપબ્લિકન પાર્ટીની સરકાર હતી અને પ્રમુખ હતા જ્યોર્જ બુશ. આ જાણકારી આપવાનો અર્થ એ નથી કે, આતંકવાદ વધ્યો એ માટે રિપબ્લિકન પાર્ટી જવાબદાર છે. ટ્વિન ટાવરના હુમલાની તૈયારી તો અલ કાયદાએ ઘણાં વર્ષો પહેલાં શરૂ કરી દીધી હતી. જ્યોર્જ બુશ અગાઉ અમેરિકન પ્રમુખપદે ડેમોક્રેટિક પાર્ટીના બિલ ક્લિન્ટન હતા. સિત્તેર-એંશીના દાયકામાં અમેરિકાએ સોવિયેત યુનિયન સામે અફઘાનિસ્તાનના મુજાહિદ્દિનનોને મદદ કરવાનું શરૂ કર્યું ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના જિમી કાર્ટર અમેરિકન પ્રમુખ હતા. કાર્ટરની વિદાય પછી વર્ષ ૧૯૮૧માં અમેરિકન પ્રમુખપદે રિપબ્લિકન પાર્ટીના રોનાલ્ડ રેગન આવ્યા અને એમણે પણ એ જ નીતિઓ ચાલુ રાખી.  

આ તમામ અમેરિકન પ્રમુખોના કાર્યકાળમાં અમેરિકાની આતંકવાદ સામેની લડાઈ ચાલી જ રહી હતી અને હજુયે ચાલી રહી છે. એ વખતે પણ અમેરિકા જે કરવું હોય તે કરતું જ હતું, પણ અમેરિકાની મુક્ત અને ખુલ્લું મન ધરાવતા અમેરિકન સમાજની છબિને નુકસાન પહોંચાડ્યા વિના. એ અસલી અમેરિકા હતું. ૯/૧૧ પછી અમેરિકાને ફૂલપ્રૂફ કરવાનું કામ કોઈ શોરબકોર વિના શરૂ થઈ જ ગયું હતું. એ પછી તો અમેરિકાએ આતંકવાદ વિરોધી અભિયાનમાં ઘણી મોટી સફળતાઓ મેળવી છે. આતંકવાદી જૂથો દ્વારા મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરોધી જુવાળ ઊભો કરવાના સફળ પ્રયાસ પછીયે અમેરિકા આતંક વિરોધી અભિયાનમાં મુસ્લિમ દેશો અને મુસ્લિમ નાગરિકોનો સાથ મેળવી શક્યું છે. દુશ્મનના મગજમાંથી 'દુશ્મની' જ ખતમ કરી નાંખવી એ યુદ્ધની અસલી જીત છે અને આજના જમાનામાં દેશ કે સમાજને એ વાત વધારે લાગુ પડે છે. અમેરિકા અને યુરોપિયન દેશોના સૈનિકો ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે સીધી લડાઈ નથી લડી રહ્યા, પરંતુ ઈરાક અને સીરિયાના સૈનિકોને સાથે રાખીને આ કામ કરી રહ્યા છે. આ એક વ્યૂહ છે, સ્પેશિયલ ફોર્સનું ઓપરેશન છે, માસ્ટર સ્ટ્રોક છે. આ ખ્રિસ્તીઓ વિરુદ્ધ ઈસ્લામની લડાઈ નથી, એવું સાબિત કરવામાં આ પ્રકારનો જ ‘ઈતિહાસ’ જ કામમાં આવે છે.

ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટેના ચૂંટણી પ્રચારમાં અમેરિકન પ્રમુખ બરાક ઓબામા કિર્ઝ ખાનના પુત્ર હુમાયુ ખાનની શહીદીનો ખાસ ઉલ્લેખ કરતા હતા. પાકિસ્તાની મૂળના કિર્ઝ ખાનનો પુત્ર હુમાયુ ખાન અમેરિકન લશ્કરમાં કેપ્ટન હતો અને ઈરાક યુદ્ધ મોરચે આતંકવાદીઓ સામે લડતી વખતે શહીદ થયો હતો. કિર્ઝ ખાને ટ્રમ્પ વિરુદ્ધ આપેલું ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ધર્મ, જાતિ, ઓળખ અને પ્રદેશોની ઓળખના આધારે યુદ્ધો લડવા એ જૂનીપુરાણી પદ્ધતિ છે. યુદ્ધનો આ 'આઉટડેટેડ' પ્રકાર છે, જે 'સો કૉલ્ડ મોડર્ન સિવિલાઈઝ્ડ' લોકો નથી લડતા.

અમેરિકામાંથી દરેક મુસ્લિમને હાંકી કાઢવો શક્ય નથી એ વાત યાદ રાખીને ઓબામા સરકાર ઈસ્લામિક સ્ટેટ સામે લડી જ રહી હતી, એ વાત ટ્રમ્પના સમર્થકો સમજે તો ઘણું. ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ નબળું પડવું જ જોઈએ, પણ જો ઈસ્લામિક સ્ટેટનો ટ્રમ્પ સ્ટાઈલમાં ખાત્મો થશે તો અમેરિકા અને યુરોપ પર ખતરો વધશે. કદાચ ઓબામા આ વાત સમજી ગયા હતા.

શું ટ્રમ્પ આ વાત સમજશે?

02 August, 2016

અમેરિકાનો ક્રૂર ચહેરો બયાં કરતી ‘ગ્વોન્ટાનામો ડાયરી’


ચલ સાલા ઉઠ, આજે અમે તમને ગ્રેટ અમેરિકન સેક્સ શીખવાડીશું. છેલ્લાં ૭૦ દિવસના માર-થાકથી હું ભયાનક દર્દ સાથે ઊભો થતો. ચોકીદારો મારી જોડે રમત કરવા આવે ત્યારે મારું દર્દ ઓછું કરવા હું સતત તેમના હુકમ અનુસરતો. ચોકીદારો જેટલી વાર કેદીઓની નજીક આવે એટલી વાર આડેધડ મારતા...

હું માંડ ઊભો થઉં ત્યાં બે ચોકીદારો તેમના કપડાં ઊતારીને ગંદી વાતો કરવાનું શરૂ કરતા. જોકે, આ વાતની મને પીડા નથી, પરંતુ મને સૌથી વધારે દુ:ખ ત્યારે થતું, જ્યારે બંને ચોકીદારો મને અત્યંત અપમાનજનક રીતે સેક્સ્યુઅલ થ્રીસમ માટે મજબૂર કરતા. ઘણાં લોકો સમજી નહીં શકે પણ બળાત્કારમાં સ્ત્રી જેવો જ આઘાત પુરુષને પણ લાગે છે. કદાચ સ્ત્રી કરતા પણ વધારે. કદાચ પુરુષની કુદરતી સેક્સ્યુઅલ પોઝિશનના કારણે એવું હોઈ શકે! એ બંને આગળ-પાછળથી મને રીતસરનો ચૂંથી નાંખતા...

તેઓ સતત મારા જાતીય અંગો સાથે રમત કરતા. સવારથી રાત સુધી જે ઘૃણાસ્પદ અને અપમાનજનક વાતો હું સાંભળતો એ હું અહીં નથી લખી રહ્યો. તેઓ મને ફેરવીને ઊંધો સૂવાડતા કારણ કે, થોડી વાર પછી નવું પાત્ર આવવાનું છે. આ બધું કરતી વખતે તેઓ મારા કપડાં નહોતા ઉતારતા. બધું જ યુનિફોર્મમાં થતું. આ બધું જ સિનિયરો જોતા. હું સતત પ્રાર્થના કરતો. તેઓ મારી પ્રાર્થના અટકાવવા પણ ઘાંટા પાડતા, ગાળો બોલતા...

***  

આ શબ્દો ઉત્તર આફ્રિકામાં આવેલા મોરિટેનિયા નામના દેશના રહેવાસી મોહમ્મદ ઉલ્દ સલાહીની ગ્વોન્ટાનામો ડાયરીમાં વાંચવા મળે છે. આતંકવાદી કાવતરાના આરોપસર સલાહીએ સતત ૧૪ વર્ષ સુધી અમેરિકન સૈનિકોનો આવો ત્રાસ સહન કર્યો હતો, પરંતુ કોઈ ગુનો સાબિત નહીં થતાં ૨૦મી જુલાઈ, ૨૦૧૬ના રોજ પેન્ટાગોને તેને માન-સન્માન સાથે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સલાહી હજુયે જેલમાં જ છે પણ જ્યારે તે બહાર આવશે ત્યારે તેના નામે એક અદ્ભુત પુસ્તક બોલતું હશે. એ પુસ્તક એટલે ગ્વોન્ટાનામો ડાયરી’. 

સલાહીની મુક્તિના સમાચારો આવ્યા પછી જાન્યુઆરી ૨૦૧૫માં પ્રકાશિત થયેલી ગ્વોન્ટાનામો ડાયરીફરી એકવાર ચર્ચામાં છે. ખૂબ ટૂંકા ગાળામાં આ પુસ્તક વિશ્વના ૨૫ દેશમાં કુલ ૨૨ ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. સલાહી જેલમાં હોવાથી પોતાના પુસ્તક વિશે કશું બોલી શકે એમ નથી પણ તેનો અવાજ બુલંદ કરવા અમેરિકા-યુરોપના અનેક કલાકારો, લેખકો, સંગીતકારો અને પત્રકારો ગ્વોન્ટાનામો ડાયરીનું જાહેર કાર્યક્રમોમાં વાંચન કરી ચૂક્યા છે. 

મોહમ્મદ ઉલ્દ સલાહી, ગ્વોન્ટાનામો ડાયરીનું કવરપેજ અને ક્યુબાના કુખ્યાત ગ્વોન્ટાનામો બે ડિટેન્શન કેમ્પ

એવું તો શું છે આ પુસ્તકમાં? અને કોણ છે સલાહી?

મોરિટેનિયાના એક મધ્યમવર્ગીય કુટુંબમાં ૩૧મી ડિસેમ્બર, ૧૯૭૦ના રોજ જન્મેલા મોહમ્મદ ઉલ્દ સલાહીની એક આતંકવાદીથી લેખક સુધીની સફર હોલિવૂડ થ્રીલરને ટક્કર આપી શકે એવી છે! નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર સલાહીને વર્ષ ૧૯૮૮માં જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરવા સ્કોલરશિપ મળી હતી, જેના આધારે તેણે યુનિવર્સિટી ઓફ ડુઇસબર્ગમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી.

સિત્તેર-એંશીના દાયકામાં અફઘાનિસ્તાનના મુજાહિદ્દિનો અમેરિકાની મદદથી સોવિયત યુનિયનના લશ્કર સામે લડી રહ્યા હતા. એ ગાળામાં દુનિયાભરમાં એવો પ્રચાર કર્યો હતો કે, અફઘાન લડવૈયા અમેરિકાની મદદથી રશિયાના ક્રૂર સામ્યવાદી નેતાઓ સામે ઝીંક ઝીલી રહ્યા છે. ડિસેમ્બર ૧૯૯૦માં સલાહી પણ મુજાહિદ્દિનો માટે કંઈક કરવા જર્મનથી અફઘાનિસ્તાન પહોંચ્યો. સોવિયન યુનિયનને અફઘાનિસ્તાનમાંથી ખદેડવા અમેરિકાએ વર્ષ ૧૯૭૯માં મુજાહિદ્દિનોને શસ્ત્રો પહોંચાડવા, તાલીમ આપવા અને આર્થિક મદદ કરવા અમેરિકન મિલિટરી ઈતિહાસનું સૌથી ખર્ચાળ ઓપરેશન સાયક્લોનપણ શરૂ કરી દીધું હતું. વર્ષ ૧૯૮૯ સુધી ચાલેલા આ ઓપરેશનમાં પાકિસ્તાની પ્રમુખ ઝિયા ઉલ હક્કે આઈએસઆઈની મદદથી મુજાહિદ્દિનોને સશસ્ત્ર તાલીમ આપીને અમેરિકાને મદદ કરી હતી, જેના બદલામાં પાકિસ્તાનને અમેરિકાના આર્થિક લાભ મળતા હતા.

આ દરમિયાન સલાહીએ પણ અફઘાનિસ્તાન પહોંચીને આઈએસઆઈની મદદથી ઊભા કરાયેલા એક કેમ્પમાં સખત તાલીમ લીધી. આ પ્રકારના ગેરકાયદે કેમ્પમાં તાલીમ લીધા પછીયે સલાહી વર્ષ ૧૯૯૦-૯૧માં બે વાર અફઘાનિસ્તાનથી જર્મની અવરજવર કરી શક્યો કારણ કે, તેઓ સોવિયેત યુનિયન સામે લડતા હોવાથી અમેરિકાના દોસ્તહતા. આવા હજારો મુજાહિદ્દિનો દુનિયાભરમાં એક મજબૂત ઇસ્લામિક આંદોલનને અજાણતા જ હવા આપી રહ્યા હતા. મુજાહિદ્દિનોનો હેતુ અફઘાનિસ્તાનમાંથી સામ્યવાદ ભગાડીને સ્થિર સરકાર સ્થાપવાનો હતો, નહીં કે અમેરિકા સામે લડવાનો. એટલે અમેરિકા બેખૌફ હતું અને તેઓને મુજાહિદ્દિનોનો કોઈ ભય ન હતો.


સલાહીની હેન્ડરિટન ડાયરીનું પહેલું પાનું


અમેરિકા અફઘાનિસ્તાનના સ્થાનિક મુજાહિદ્દિનો માટે જે કંઈ નાણાં ખર્ચતું હતું, તેનો થોડો હિસ્સો પાકિસ્તાન થકી વિદેશી આરબ મુજાહિદ્દિનોના સમર્થક ગુલબુદ્દીન હેકમાત્યાર નામના કટ્ટરવાદી-સ્વાર્થી નેતા સુધી જતો હતો. એ ગાળામાં સુદાનના એક નવાસવા નેતાએ અફઘાનિસ્તાનમાં વિદેશી આરબ મુજાહિદ્દિનોને મોકલવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. હેકમાત્યાર એ સુદાની નેતા સાથે મળી ગયો હતો. હેકમાત્યારને અફઘાનિસ્તાનના મુજાહિદ્દિનોની કંઈ પડી ન હતી. તે અફઘાનિસ્તાનમાં પેલા સુદાની નેતાને છૂટો દોર આપીને સત્તામાં ભાગબટાઈના સપનાં જોતો હતો. એ સુદાની નેતા એટલે અમેરિકા પર કાળ બનીને ત્રાટકનારો ઓસામા બિન લાદેન.

હેકમાત્યારે વિદેશી આરબ મુજાહિદ્દિનોને અમેરિકાના શસ્ત્રો પહોંચાડીને અફઘાનિસ્તાનના હજારો સ્થાનિક મુજાહિદ્દિનોને મોતને ઘાટ ઉતરાવી દીધા હતા. અફઘાનિસ્તાનના રહેણાક વિસ્તારોમાં પણ તેણે ઘાતક હુમલા કરાવ્યા હતા. આ વાતથી અમેરિકા વાકેફ હતું, પરંતુ અંદરોદર લડતા સ્થાનિક અફઘાનો અને વિદેશી આરબ મુજાહિદ્દિનોની કત્લેઆમ રોકવામાં અમેરિકાને કોઈ રસ ન હતો. અમેરિકાને ફક્ત સોવિયેત યુનિયનને નુકસાન પહોંચાડવું હતું, પાકિસ્તાનને આર્થિક મજબૂતાઈ અને શસ્ત્રો જોઈ હતા, જ્યારે હેકમાત્યાર અને લાદેન અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક શાસન સ્થાપવાના સપનાં જોઈ રહ્યા હતા.

આ પ્રકારના સ્વાર્થનું વિષચક્ર કટ્ટરપંથી દિશાહીન ઈસ્લામિક આંદોલનને જન્મ આપી ચૂક્યું હતું.

***   

આ ઈસ્લામિક આંદોલન ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અમેરિકાના ટ્વિટ ટાવર પર બે વિમાનોનું રૂપ ધારણ કરીને ત્રાટક્યું. એ પછીનો ઈતિહાસ જાણીતો છે એટલે આપણે ફક્ત મોહમ્મદ ઉલ્દ સલાહીની વાત કરીશું.

લાદેને ૯/૧૧નો હુમલો કર્યો એ પહેલાં સલાહીનો સાળો મહેફૂઝ ઉલ્દ અલ વાલિદ લાદેનનો ધાર્મિક સલાહકાર અને અલ કાયદાની શરિયા સમિતિનો વડો હતો. અમેરિકાના ટ્વિન ટાવર પરના હુમલાના બે મહિના પહેલાં અલ કાયદાના અનેક સભ્યોએ વાલિદની આગેવાનીમાં લાદેનને પત્ર લખીને આ હુમલાનો સખત વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, આ હુમલા પછી વાલિદે અલ કાયદા સાથેના તમામ સંબંધ તોડી નાંખ્યા હતા.

આ દરમિયાન વર્ષ ૧૯૯૦માં વાલિદે સલાહીને બે વાર ફોન કરીને  મોરિટેનિયામાં તેના પરિવારજનોને થોડા પૈસા મોકલવાની વિનંતી કરી હતી. સલાહીએ વાલિદના પરિવારજનોને બે વાર ચાર-ચાર હજાર ડૉલર મોકલ્યા હતા. એ વખતે વાલિદ સુદાનમાં હતો અને અમેરિકન ઈન્ટેલિજન્સ તેના જેવા અનેક લોકોના ફોન ટ્રેસ કરતું હતું. સલાહીએ પણ વાલિદ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી એટલે સલાહી પણ અમેરિકન ઈન્ટેલિજન્સનો ‘શકમંદ’ બની ગયો હતો. વળી, સલાહીએ વાલિદના પરિવારજનોને પૈસા મોકલ્યા હોવાથી અમેરિકનો એવું માની લીધું હતું કે, સલાહી લાદેનના ઓપરેશનમાં ફાઈનાન્સને લગતી ભૂમિકા ભજવી રહ્યો છે.

અફઘાનિસ્તાનના વડાપ્રધાનપદે ટૂંકા ગાળા માટે ત્રણ વાર
બિરાજનાર ગુલબુદ્દીન હેકમાત્યાર 

આ સિવાય પણ બીજી એક ઘટના બની જેના કારણે સલાહી ફરી એકવાર અમેરિકન ઈન્ટેલિજન્સની નજરે ચડ્યો. વર્ષ ૧૯૯૯માં જર્મનીના વિઝા ના મળતા સલાહી કેનેડા ગયો. સલાહી કુરાનનો અભ્યાસુ હોવાથી કેનેડાના એક ઈમામે રમઝાન વખતે મસ્જિદમાં પ્રાર્થના કરવા તેને આમંત્રિત કર્યો હતો. જોકે, આ મસ્જિદમાં અહેમદ રેસ્સમ નામનો અલ્જિરિયાનો યુવક પણ આવતો, જેણે વર્ષ ૨૦૦૦માં લોસ એન્જલસ એરપોર્ટ ઉડાવી દેવાનું નિષ્ફળ કાવતરું કર્યું હતું. રેસ્સમ જ્યાં આવતો હતો એ જ મસ્જિદમાં સલાહી પહોંચતા અમેરિકન ઈન્ટેલિજન્સ ચૌંકન્નું થઈ ગયું. અમેરિકાના ઈશારે કેનેડિયન ઈન્ટેલિજન્સે સલાહીની સખત તપાસ કરી, પણ કશું હાથ નહીં લાગતા જાન્યુઆરી ૨૦૦૦માં તેને મોરેટેનિયા જવા દેવો પડ્યો.

જોકે, અમેરિકાને આટલેથી સંતોષ ના થયો. સલાહી કેનેડાથી મોરિટેનિયા જતો હતો ત્યારે અમેરિકાએ સેનેગલમાં તેની અટકાયત કરાવી. એ પછી સતત બે વર્ષ અમેરિકન ઈન્ટેલિજન્સની સલાહી પર ૨૪ કલાક નજર રહી. અમેરિકન લશ્કરના અધિકારીઓ ગમે ત્યારે આવીને સલાહીને જોર્ડન, અફઘાનિસ્તાન કે કોઈ અજાણ્યા સ્થળે લઈ જઈ પૂછપરછ કરતા. છેવટે ચોથી ઓગસ્ટ, ૨૦૦૨ના રોજ અમેરિકન સૈનિકો સલાહીને એક ફાઈટર પ્લેનમાં બેસાડીને ક્યુબાના ગ્વોટેનામો બે ડિટેન્શન કેમ્પમાં લઈ ગયા.

એ દિવસ સલાહીના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો.

***

આ કેમ્પમાં પહેલાં જ દિવસથી સલાહીને દિવસમાં ત્રણ-ચાર વાર શારીરિક, માનસિક અને જાતીય ત્રાસ આપીને પૂછપરછ કરાતી. ઉંઘ આવે કે તુરંત જ ઉઠાડીને પૂછપરછ માટે લઈ જવાતો. સખત ઠંડી, ગરમી અને ભૂખની પીડા અપાતી. અમેરિકન સૈનિકો ક્યારેક તેનું બનાવટી અપહરણ તો ક્યારે બનાવટી હત્યા કરવાનું નાટક કરીને તેને મનોવૈજ્ઞાનિક ત્રાસ ગુજારતા. સૈનિકો સલાહીને ક્યારેક દરિયાઈ સ્ટેશન નજીક સ્પિડ બોટમાં બેસાડીને ત્રણ-ચાર કલાક સફર કરાવતા. આ પ્રકારની ટ્રીપનો હેતુ બોટમાં કેદી પર અત્યાચાર ગુજારવાનો અને તેને દૂર બીજી જેલમાં ખસેડ્યો છે એવા ભ્રમમાં નાંખવાનો હતો. આવી ટ્રીપ વખતે સલાહીને ખારું પાણી પીવડાવીને પણ શારીરિક પીડા અપાતી. અહીં લાવનારા કેદીઓને ક્યારેય મોતને ઘાટ નહીં ઉતારાતા. તેઓને ખૂબ જ ધીમું મોત અપાતું.

આ સ્થિતિમાં વર્ષ ૨૦૦૫માં સલાહીએ અંગ્રેજી ભાષામાં ડાયરી લખવાનું શરૂ કર્યું. જેલની નર્કાગાર સ્થિતિમાં દર્દ ભૂલવા સલાહીએ અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું હતું! સલાહીએ આશરે ૧૪ વર્ષના દર્દનો હિસાબ ૪૬૬ પાનામાં ઉતાર્યો છે.

રસપ્રદ વાત એ છે કે, આ ડાયરી પ્રસિદ્ધ કરવા અમેરિકાએ સલાહીને અદાલતમાં જવાની મંજૂરી આપી હતી. છેવટે જાન્યુઆરી ૨૦૧૫માં અમેરિકન ઈન્ટેલિજન્સની કેટલીક કાપકૂપ સાથે આ ડાયરી પ્રસિદ્ધ થઈ. આ પુસ્તકમાં મોહમ્મદ ઉલ્દ સલાહીએ અમેરિકન જેલમાં જે કંઈ સહન કર્યું એ સિવાય પણ ઘણું બધું ‘બિટ્વિન ધ લાઈન્સ’ વાંચી શકાય છે.

સલાહીની ડાયરી વૈશ્વિક રાજકારણની અન્યાયી-સ્વાર્થી નીતિઓ, દુશ્મન કા દુશ્મન દોસ્તની અનૈતિક નીતિથી થતું નુકસાન, અન્યાયનો પ્રતિકાર કરવાની ખોટી રીતમાંથી હેવાન બની જતું ટોળું અને હેવાનિયતનો સામનો કરવા ખુદ સરકાર જ કેવી રીતે હેવાન બની જાય એ બધું જ બયાં કરે છે.

25 July, 2016

આતંકનું નવું શસ્ત્ર: લોન વુલ્ફ એટેક


ભારતીય લશ્કરે બુરહાન વાનીને ઠાર માર્યા પછી જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર બુરહાન સ્ટિલ અલાઈવલખેલા પોસ્ટર્સ અને સંદેશા જોવા મળતા હતા. આ પહેલાં ઓસામા બિન લાદેન વિશે પણ એવું જ કહેવાતું હતું કે, એક લાદેનને મારશો તો બીજા હજાર પેદા થશે! આપણને ગમે કે ના ગમે. આ વાત સાચી પડી રહી છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ કે બાંગ્લાદેશમાં ત્રાટકતા આતંકવાદી લાદેન કે ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ બગદાદીના જ ક્લોનછે. આતંકના પોસ્ટર બોય્સને ભલે છુપાઈને રહેવું પડે પણ તેમના વિચારો દુનિયાભરમાં સહેલાઇથી પહોંચે જ છે. આ વિચારમાંથી જ લોન વુલ્ફ એટેકર્સપેદા થાય છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, ફ્રાન્સના નીસમાં થયેલો હુમલો આતંકવાદના ઈતિહાસનો સૌથી ખતરનાક લોન વુલ્ફ એટેક છે. આ હુમલા પછી ફરી એકવાર ચર્ચા થઈ રહી છે કે, આખરે લોન વુલ્ફ એટેકને કેવી રીતે રોકી શકાય?

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં લોન વુલ્ફ એટેકનું બેકગ્રાઉન્ડ.

લોન વુલ્ફ એટેક એટલે શું?

લોન વુલ્ફ એટેક એકલા હાથેથતો હોવાથી તે લોનએટેક તરીકે ઓળખાય છે. અહીં લોનશબ્દનો અર્થ એ નથી કે, આ પ્રકારનો હુમલો એક જ વ્યક્તિ કરે છે. આવા હુમલામાં એકથી વધારે વ્યક્તિ સંડોવાયેલી હોઈ શકે છે પણ તેમને કોઈ સંસ્થા કે જૂથનું પીઠબળ નથી હોતું. એ અર્થમાં આ પ્રકારના હુમલા લોન એટેકગણાય છે. આવો હુમલો કરનારી વ્યક્તિ કોઈ ઉદ્દામવાદી જૂથની વિચારધારા અને માન્યતાઓથી પ્રભાવિત હોય છે. લોન વુલ્ફ એટેકરને કોઈ જૂથનો આર્થિક ટેકો નથી હોતો, તેઓ શસ્ત્ર-સરંજામ પણ જાતે મેળવી લે છે અને હુમલાનું આયોજન પણ જાતે જ કરે છે.



હવે વુલ્ફ શબ્દની વાત. સામાન્ય રીતે, જૂથમાં રહેવા ટેવાયેલી વરુની વિવિધ પ્રજાતિમાં ક્યારેક એવા પણ વરુ જોવા મળે છે, જે એકલા રહેવાનું પસંદ કરે છે. આ પ્રકારના વરુ એનિમલ સાયન્સની દુનિયામાં લોન વુલ્ફતરીકે ઓળખાય છે. કોઈ એકલદોકલ વ્યક્તિ દ્વારા કરાતા નાના-મોટા હુમલાને શરૂઆતમાં રખડતા કૂતરા દ્વારા થતાં હુમલા સાથે સરખાવાતા હતા. એ પછી અમેરિકન ટેરરિઝમ એક્સપર્ટ બ્રાયન માઇકલ જેનકિન્સે રખડતા કૂતરા જેવા જ, પણ કૂતરા કરતા વધારે ઘાતક હુમલાને લોન વુલ્ફ એટેકનામ આપ્યું.

નેવુંના દાયકામાં અમેરિકામાં એલેક્સ કર્ટિસ અને ટોમ મેટ્ઝર નામના જાતિવાદી ઉદ્દામવાદીઓના કારણે આ શબ્દ વધુ પ્રચલિત થયો. આ બંને અમેરિકનો સ્પષ્ટપણે માનતા હતા કે, દુનિયામાં શ્વેત પ્રજા કુદરતી રીતે જ  બધી બાબતોમાં શ્રેષ્ઠ છે. આ કારણસર શ્વેતોને તમામ અશ્વેતો પર રાજકીય, આર્થિક અને સામાજિક રીતે ચડિયાતા રહેવાનો હક્ક છે. આવા વિચારો ધરાવતા કર્ટિસ અને મેટ્ઝરે વ્હાઈટ સુપ્રીમસીએટલે કે શ્વેત જ સર્વશ્રેષ્ઠમાં માનતા અમેરિકનોને અપીલ કરી હતી કે, તમે કોઈ સંસ્થા સાથે જોડાઈને નહીં પણ એકલા હાથે જ વ્હાઈટ સુપ્રીમસીનો આક્રમક ફેલાવો કરવા અન્ડરગ્રાઉન્ડ એક્ટિવિટી સતત ચાલુ રાખો. યોદ્ધાની જેમ એકલા કે નાના નાના જૂથોમાં લડો. રોજેરોજ સરકાર કે બીજા લોકો પર સતત હુમલા કરો...

આ વિચારધારાને કર્ટિસે લોન વુલ્ફ એક્ટિવિઝમનામ આપ્યું હતું. એ પછી એફબીઆઈએ કર્ટિસ અને મેટ્ઝરની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા એક ઓપરેશન શરૂ કર્યું હતું, જેને ઓપરેશન લોન વુલ્ફનામ અપાયું હતું. સદનસીબે અમેરિકામાં કર્ટિસ અને મેટ્ઝરના વિચારોને બહુ સમર્થન મળ્યું ન હતું.  

લોન વુલ્ફ એટેક રોકવા અશક્ય

લોન વુલ્ફ એટેક રોકવા અશક્ય છે એ વાત સૌથી તાજા ઉદાહરણથી સમજીએ. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોના હાથે મરાયેલો બુરહાન વાની હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર હતો એ તો જગજાહેર વાત છે, પરંતુ બુરહાનથી બીજા હજારો કાશ્મીરીઓ પ્રભાવિત છે એનું શું? આ હજારો કાશ્મીરીઓમાંથી કોઈ પણ ફરી એકવાર આત્મઘાતી હુમલો કરી શકે છે. એ માટે તેમને હિઝબુલ મુજાહિદ્દીન કે લશ્કર એ તોઇબા કે જૈશ એ મોહમ્મદની મદદની જરૂર જ નથી. જે માણસ બ્લેક લિસ્ટેડજૂથ કે વ્યક્તિ સાથે સંપર્ક કર્યા વિના જ મોટું કાવતરું પાર પાડવાનો હોય તો તેને ઝડપવાનો કેવી રીતે?

ટોમ મેટ્ઝર અને એલેક્સ કર્ટિસ

અમેરિકાના ઓરલાન્ડોમાં ગે ક્લબ પર ઓમર માતિને ૫૦ લોકોને શૂટ કરી દીધા એ પછી ખબર પડી કે, માતિન તો ઈસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રભાવિત હતો. માતિન સીરિયા પણ જઈ આવ્યો હતો. એટલે એફબીઆઈના એજન્ટોએ અમેરિકન સ્ટાઈલમાં તેની પૂરેપૂરી તપાસ કરી હતી. માતિનની મનોવૈજ્ઞાનિક ચકાસણી પણ થઈ ગઈ હતી અને એફબીઆઈએ માની લીધું હતું કે, માતિનને છૂટો મૂકવો ખતરારૂપનથી.  આ કારણસર એફબીઆઈએ તેને ચુસ્ત સર્વેલન્સ હેઠળ પણ મૂક્યો ન હતો.

જોકે, માતિન સર્વેલન્સ હેઠળ હોત તો પણ શું? આજેય એફબીઆઈને ખબર નથી કે, માતિને આચરેલા હત્યાકાંડ પાછળ કયું પરિબળ કામ કરી ગયું! હવે જાતભાતની તપાસ કરીને કહેવાય છે કે, માતિન માનસિક બિમાર, તણાવગ્રસ્ત અને નિરાશાવાદી હતો. તે સમલૈંગિકોને નફરત કરતો હતો વગેરે. જો દરેક લોન વુલ્ફ એટેકર કે આતંકવાદીને માનસિક બિમાર ગણી લઈએ તો તે આખી વાતનું ઓવર સિમ્પિલિફિકેશન કરી નાંખ્યું ગણાશે! 

અત્યારે વિશ્વમાં સૌથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવતું ઈઝરાયેલ પણ લોન વુલ્ફ એટેકનો સૌથી વધારે સામનો કરી રહ્યું છે. એ પછી યુરોપના પેરિસ, બ્રસેલ્સ અને લંડન જેવા શહેરો અને અમેરિકાનો નંબર આવે છે. અમેરિકાએ જડબેસલાક ઈમિગ્રેશન નીતિનો અમલ કરીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે, પરંતુ પહેલેથી જ અમેરિકામાં છે એવા સંભવિત લોન વુલ્ફ એટેકર્સનું શું?

અમેરિકન સુરક્ષા નિષ્ણાતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, કઈ વ્યક્તિ ક્યારે હુમલો કરશે એનું ભવિષ્ય ભાખવું અમારા માટે અશક્ય છે.

પોસ્ટ, ટ્વિટ અને હેશટેગ

લોન વુલ્ફ એટેક માટે ઈન્ટરનેટ ગેમ ચેન્જર બનીને આવ્યું છે. જેમ કે, હજારો કાશ્મીરીઓ ક્યારેય બુરહાનને મળ્યા નથી. એવી જ રીતે, ફ્રાન્સના નીસમાં હુમલો કરનારો મોહમ્મદ બુહેલ કે ઓરલાન્ડોની ગે ક્લબનો શૂટર ઓમર માતિન પણ ક્યારેય બગદાદીને મળ્યા ન હતા. આમ છતાં, તેઓ ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત હતા.

ઈસ્લામિક સ્ટેટના કમાન્ડરો સીરિયા, ઈરાક કે કોઈ બીજા જ દેશમાં બેઠા બેઠા ઈન્ટરનેટ પર આતંક ફેલાવી રહ્યા છે. આ પહેલા એલટીટીઈ અને અલ કાયદાએ પણ ટેક્નોલોજીનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો પણ ઈસ્લામિક સ્ટેટ તો ટેક્નોલોજીની મદદથી આતંકની દુનિયાને નવી જ ઊંચાઈએ પહોંચાડી દીધી છે. ઈસ્લામિક સ્ટેટના કમાન્ડરોએ કમ્પ્યુટર પર બેસીને દુનિયાભરમાં વિદેશી લડવૈયાઓની ભરતી કરી રહ્યા છે અને લાખો લોકોને ખ્રિસ્તીઓ સામે લડવા ઉશ્કેરી રહ્યા છે. જોકેઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત થનારા યુવાનોમાં ભારતનું સ્થાન સૌથી નીચે છે એ પણ હકીકત છે.

ઓરલાન્ડોની ગે ક્લબ પર હુમલો કરનારો ઓમર માતિન

આમ છતાં, ભારતે અત્યારથી ચેતવું જોઈએ કારણ કે, કાશ્મીરમાં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરાતો શબ્દ આઈએસઆઈએસછે. ઈસ્લામિક સ્ટેટ વૈશ્વિક સ્તરે પબ્લિસિટી મેળવવા, પોતાના વિચારો ફેલાવવા અને પશ્ચિમી મીડિયા તેમના વિશે જે અફવા ફેલાવે છે એનો સામનો કરવા ઈન્ટરનેટનો પ્રચંડ ઉપયોગ કરી રહ્યું છે. કાશ્મીરના યુવાનો રોજેરોજ ફેસબુક પર ભારત વિરોધી પોસ્ટ મૂકે છે કે ફેસબુક પેજ બનાવે છે, ટ્વિટ કરે છે અથવા કોઈ હેશટેગ પોપ્યુલર કરે છે. કાશ્મીર પોલીસ રોજેરોજ આ બધું બ્લોક કરે છે પણ તેને સંપૂર્ણ અટકાવી શકાતું નથી.

હાલમાં સમાચાર હતા કે, સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ ખૂબ મોટો હિસ્સો ગુમાવી દીધો. તેઓ સીરિયા, ઈરાક અને નાટોના લશ્કર સામે હારી ગયા. જો આતંકવાદ જીવતો રાખવાનો સવાલ છે તો ઈસ્લામિક સ્ટેટને આ વાતથી કોઈ ફર્ક નથી પડતો. ઊલટાનું જો તેઓ વિખેરાઈ જશે તો વધારે આક્રમક રીતે લોન વુલ્ફ એટેક કરશે એવો પણ ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. ઈસ્લામિક સ્ટેટ જેવી તાકાતોને તોડી પાડવા બહુ જ લાંબા ગાળાની નીતિઓ બનાવવી પડે છે. ફક્ત બંદૂકની ગોળીથી એ કામ શક્ય નથી.

ટૂંકમાં આતંકવાદ સામે લડવા સ્પેશિયલ ફોર્સની મદદથી સાઈકોલોજિકલ અને પર્સેપ્શન મેનેજમેન્ટ કરીને બુલેટલેસ વૉરલડવાની કળા હસ્તગત કરવી પડે. સ્પેશિયલ ફોર્સના કમાન્ડો માટે ગોળી એ અંતિમ વિકલ્પ હોય છે અને તેમના ઓપરેશનમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશો સ્પેશિયલ ફોર્સની મદદથી બખૂબી આ કામ કરી રહ્યા છે.

નોંધઃ ‘ઈસ્લામિક સ્ટેટ’ કે ‘સ્પેશિયલ ફોર્સ’ અંગે વાંચવા એ શબ્દ પર ક્લિક કરો.  

28 February, 2016

અમેરિકાએ લાદેનની લાલચમાં મુંબઈનો ભોગ લીધો હતો


અલ કાયદાએ વર્ષ ૧૯૯૮માં આફ્રિકાના બે દેશ ટાન્ઝાનિયા અને કેન્યાના અમેરિકન રાજદૂતાવાસો પર ટ્રક બોમ્બથી હુમલા કર્યા, જેમાં ૨૦૦થી વધારે લોકોના મોત થયા હતા. એ સમયે વિશ્વભરમાં અમેરિકન રાજદૂતાવાસો અને પ્રવાસીઓને લક્ષ્યાંક બનાવાતા હતા. અમેરિકા જાણતું હતું કે, આ બધી ઘટનાઓ પાછળ અલ કાયદાની સંડોવણી છે, પરંતુ એ વખતે અમેરિકન ઈન્ટેલિજન્સ ઓસામા બિન લાદેન અને તેના નેટવર્ક વિશે ખાસ કશું જાણતું ન હતું. વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓ સખત તણાવમાં હતા કારણ કે, વિશ્વમાં રોજેરોજ ક્યાંકને ક્યાંક અમેરિકનોને ફૂંકી મરાતા હતા. આ સ્થિતિમાં હેડલીએ અમેરિકાને ઓફર કરી કે, હું તમને જેહાદની દુનિયામાં લઈ જઈશ. જો તમે આ ઓફર સ્વીકારશો તો જ લાદેન સુધી પહોંચી શકશો અને અલ કાયદાના નેટવર્કના મૂળિયા જાણી શકશો...

છેવટે આ વખતે પણ અમેરિકન ઈન્ટેલિજન્સ અધિકારીઓએ હેડલીની ઓફર સ્વીકારવી પડી અને તે ફરી એકવાર છૂટી ગયો.

હેડલીની ઓફર પછી સર્જાયું, ૯/૧૧

હેડલીએ ઓફર કરતા તો કરી દીધી પણ આ કામ અત્યંત અઘરું હતું. આ દરમિયાન ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલ કાયદાના ૧૯ ફિદાયીનોએ ચાર પેસેન્જર પ્લેનનું અપહરણ કરીને અમેરિકા પર ખૌફનાક  હુમલો કર્યો. આતંકવાદીઓએ બે પ્લેનની મદદથી વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર ફૂંકી માર્યા, એક પ્લેનથી અમેરિકાની શાન સમા સંરક્ષણ ખાતાના હેડક્વાર્ટર પેન્ટાગોનનું એક ટાવર ફૂંકી માર્યું અને એક પ્લેનથી વ્હાઈટ હાઉસ પર હુમલાનો પ્રયાસ કર્યો. આ ઓપરેશનમાં ફક્ત વ્હાઈટ હાઉસ પરનો હુમલો નિષ્ફળ રહ્યો. ૯/૧૧ તરીકે જાણીતી આ ઘટનામાં છ હજાર લોકોના મોત થયા હતા, જેમાં પેન્ટાગોનના ૧૨૫ અધિકારી, ૫૫ મિલિટરી પર્સોનલ, ૭૨ લૉ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ અને ૩૪૩ ફાયર ફાઇટર્સ પણ સામેલ હતા. આ હુમલાએ અમેરિકાનો અહંકાર ચકનાચૂર કરી નાંખ્યો હતો.

એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્કનું પુસ્તક અને તાજ હોટેલ પરનો હુમલો


હેડલી છેક વર્ષ ૧૯૯૮માં અમેરિકાને જેહાદની દુનિયામાં લઈ જઈ લાદેન સુધી પહોંચવાની લાલચ આપી છૂટી ગયો હતો, પરંતુ ૯/૧૧ના પાંચ વર્ષ પછીયે એટલે કે વર્ષ ૨૦૦૬ સુધી તે કશું જ કરી શક્યો ન હતો. હવે હેડલીની જાનને ખતરો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સના શાંત, ખૂંખાર અને ચબરાક અધિકારીઓ આકુળવ્યાકુળ થઈ ગયા હતા. હેડલીને આર્થિક મદદ કરીને આગળ વધવામાં મદદ કરનારા અધિકારીઓ પણ બેચેન હતા. હવે તેઓ હેડલીનું કાસળ કાઢી નાંખવાની ફિરાકમાં હતા.

એક યોગાનુયોગે હેડલીને બચાવી લીધો

વર્ષ ૨૦૦૬ સુધી હેડલી કશું જ કરી ના શક્યો પણ અમેરિકાથી ૧૩ હજાર કિલોમીટર દૂર પાકિસ્તાનમાં એ જ વર્ષે અગાઉ જણાવ્યું હતું એમ લાલ મસ્જિદની ઘટના બની. આ ઘટના પછી લશ્કર એ તૈયબા ખતમ થઈ રહ્યું હતું. એક તરફ, તૈયબા પર પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈનું ભારત પર મોટો હુમલો કરવાનું દબાણ હતું અને બીજી તરફ, અમેરિકન ઈન્ટેલિજન્સના કેટલાક અધિકારીઓમાં લાદેનને ઝબ્બે કરવાની 'અંગત મહત્ત્વાકાંક્ષા' બળવત્તર થઈ ગઈ હતી. આ એક ખતરનાક યોગાનુયોગ હતો.

આ સ્થિતિમાં (યાદ રાખો, વર્ષ ૨૦૦૬માં) હેડલીએ જેહાદની દુનિયામાં ઘૂસવા તૈયબાને એક ઓફર કરી. તેણે તૈયબાના આકાઓને કહ્યું કે, ભારતમાં એક મોટો હુમલો કરવા તમે મારો 'ઘૂસણખોર' તરીકે ઉપયોગ કેમ નથી કરતા? જોકે, શરૂઆતમાં તૈયબાને હેડલીની ક્ષમતા અને તેના ઈરાદા વિશે શંકા હતી, પરંતુ ભારતમાં મોટો હુમલો કરવા હેડલીનું મહત્ત્વ સમજતા તૈયબાને વાર ના લાગી. હેડલી અડધો પાકિસ્તાની અને અડધો અમેરિકન હતો. અમેરિકન પાસપોર્ટ ધરાવતો હતો. વળી, ઉર્દૂનો અચ્છો જાણકાર અને અમેરિકન ઉચ્ચારોમાં અંગ્રેજી બોલતો ગોરો પુરુષ હતો. સૌથી મહત્ત્વની વાત એ હતી કે, હેડલી જાતને જોખમમાં મૂકીને ભારત પર હુમલો કરાવવા આતુર હતો. આ ઓફરની સાથે જ મુંબઈ હુમલાના કાવતરાની શરૂઆત થઈ ગઈ હતી.

એવું નહોતું કે, આ બધું વ્હાઈટ હાઉસની સીધી દેખરેખ હેઠળ થતું હતું પણ ૯/૧૧ પછી વ્હાઈટ હાઉસે અમેરિકન ઈન્ટેલિજન્સના અનેક અધિકારીઓને વધારે પડતી છૂટછાટો આપી હતી.

મુંબઈ હુમલાની યોજના શરૂ કરાઈ

તૈયબાએ ભારતીયોની સાથે વિશ્વભરના પ્રવાસીઓ પણ હોય એવા સ્થળે હુમલો કરવાનો નિર્ણય લીધો. આ કારણસર હેડલીએ તૈયબાના સૂચનોને આધારે મુંબઈની તાજ હોટેલ અને તેની આસપાસના સ્થળોની રેકી કરવાનું શરૂ કર્યું. તાજ હોટેલ નજીક નરીમાન હાઉસ પણ હતું, જે મહારાષ્ટ્રના યહૂદીઓની સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાન છે. આ સ્થળોની રેકી કરવા હેડલીએ મુંબઈની સાત અને દિલ્હીની એક વાર મુલાકાત લીધી હતી. મુંબઈમાં તેણે શ્રીમંત મિત્રો પણ બનાવ્યા હતા. મુંબઈ વિશે તેને ઊંડું જ્ઞાાન હતું. શિવસેનાના ઉદ્ભવ અને મુસ્લિમ માફિયાઓના ઇતિહાસનું પણ તેને સંપૂર્ણ જ્ઞાાન હતું.

બીજી તરફતૈયબાના કમાન્ડરોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગરીબ-પછાત વિસ્તારોમાંથી ૩૨ યુવકને પસંદ કર્યા. કસાબ પણ ઓકારા નામના આવા જ અત્યંત ગરીબ-પછાત નગરનો રહેવાસી હતો, જ્યાં પોલીસ અને ન્યાયતંત્ર જેવું કશું છે જ નહીં. આતંકની દુનિયામાં આ શહેર ઓકારા નહીં પણ 'બ્લેસ્ડ સિટી' તરીકે ઓળખાય છે કારણ કે, અહીંથી આત્મઘાતી હુમલાખોરો મળી રહે છે. અહીં સામાજિક કલ્યાણના કામ પણ તૈયબા જેવા જૂથોની સ્વૈચ્છિક સંસ્થાઓ જ કરે છે.

જોકે, ભારત પર હુમલાની તાલીમ શરૂ થતાં જ કેટલાક યુવકો ડરી ગયા અને છેલ્લે ફક્ત વીસ યુવક બચ્યા. આ બધા જ એવા યુવકો હતા, જે અનાથ હતા, કોઈના માતા-પિતા છૂટા પડી ગયા હતા, કોઈના પિતા મૃત્યુ પામ્યા હતા, કોઈ પરિવારથી વિખૂટા પડી ગયા હતા અથવા તો તેમના પરિવારો અત્યંત અભણ-અબુધ હતા.

આતંકીઓને પીઓકેમાં તાલીમ અપાઈ હતી

આ યુવકોને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં આવેલી ચેલ્લા બાંદી પર્વતમાળામાં તાલીમ અપાઈ હતી. કાશ્મીર વેલીમાં ભારત સામે લડવા અહીં પહેલેથી જ બેઝ કેમ્પ ધમધમતો હતો. અહીં યુવકોને તંબૂ ફાળવાયા અને તેમના નામ દૂર કરીને નંબર આપી દેવાયા. હવે તેઓ તૈયબાના 'રોબોટ' હતા. અહીં તેઓ લશ્કરી અને આધ્યાત્મિક તાલીમ લેતા હતા. તૈયબાના કમાન્ડરો તેમજ પાકિસ્તાની લશ્કર અને આઈએસઆઈના ચુનંદા અધિકારીઓ સિવાય કોઈ જાણતું ન હતું કે, આ યુવકો મુંબઈ શહેર પર ક્યારે અને કેવી રીતે હુમલો કરશે. ખુદ યુવકોને પણ ખબર ન હતી કે, તેઓ મુંબઈ પર હુમલાની તાલીમ લઈ રહ્યા છે. તેઓ ફક્ત એટલું જ જાણતા હતા કે, આ એક ફિદાયીન હુમલો હશે!

આ યુવકોને બિલ્ડિંગમાં ઘૂસવાની, ગાદલાનો કવચ તરીકે ઉપયોગ કરવાની, એકબીજાને બચાવીને આગળ વધવાની, આછા પ્રકાશમાં ફક્ત સિગ્નલથી વાત કરવાની, નકશા સમજવાની તેમજ ભૂખ-તરસમાં ટકી રહેવાની તાલીમ અપાઈ હતી. બાદમાં તમામને સ્વિમિંગની આકરી તાલીમ આપવા મુઝફ્ફરાબાદમાં ઓલિમ્પિક સ્ટાઇલનો મહાકાય સ્વિમિંગ પુલ પણ તૈયાર કરાયો હતો કારણ કે, મુંબઈ હુમલામાં મરીન ટ્રેઇનિંગનું તત્ત્વ ઉમેરાઇ ગયું હતું. જોકે, આ પુલમાં ફિલ્ટર સિસ્ટમ નહીં હોવાથી તેનું પાણી કાળુ થઈ ગયું હતું. આ કારણોસર યુવકોને વહેતા પાણીની કેનાલોમાં મરીન ટ્રેઇનિંગ અપાઇ હતી.

આઘાતજનક વાત તો એ છે કે, ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ પીઓકેમાં બાજનજર રાખતી હોવાના દાવા કરે છે. જોકે, 'મુંબઈ પર હુમલો થઈ શકે છે' એવી 'ચોક્કસ માહિતી' પણ અમેરિકન ઈન્ટેલિજન્સ જ ભારતને આપતું હતું, પરંતુ વર્ષ ૨૦૦૬ એનું પ્રમાણ ઘટી ગયું અને તેઓ મોટા ભાગે 'એલર્ટ' આપીને સંતોષ માનતા હતા. અમેરિકાએ જવાબદારીમાંથી છટકવા આ કારસો રચ્યો હતો.

આખરે, તૈયબાએ હેડલીની મદદથી મુંબઈની તાજ પર હુમલો કરવાની તારીખ નક્કી કરી અને વીસમાંથી દસ ચુનંદા યુવકોને મુંબઈ મિશન માટે રવાના કરાયા. એ પછી શું થયું એ લોહિયાળ ઈતિહાસથી આપણે વાકેફ છીએ. આ ઘટના પછી ભારતના કેટલાક બાહોશ ઈન્ટેલિજન્સ અધિકારીઓએ અમેરિકન ઈન્ટેલિજન્સને ફોન કરીને સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તમે અમારી સાથે ગદ્દારી કરી. લાદેનને પકડવાની લાલચમાં તમે મુંબઈનો ભોગ લીધો... 

એ વખતે અમેરિકાનો જવાબ હતોઃ અમે તો તમને ચેતવ્યા જ હતા...

હુમલામાં ભારતીયોની પણ સંડોવણી હતી

હેડલીના પાકિસ્તાન સ્થિત હેન્ડલર મેજર ઇકબાલ નામના આઈએસઆઈના એક 'ગુપ્ત વ્યક્તિ'એ ભારતીય લશ્કરના ટ્રેઇનિંગ મેન્યુઅલના આધારે આતંકવાદીઓનો તાલીમ કાર્યક્રમ સંભાળ્યો હતો. આ પ્રકારના મેન્યુઅલમાં લશ્કરની નબળાઈ વિશે પણ વિસ્તૃત માહિતી હોય છે. મુંબઈ પર હુમલો કરવા ભારતીય સુરક્ષા નેટવર્કની એક વ્યક્તિએ જ આઈએસઆઈને આ મેન્યુઅલ પહોંચાડ્યું હતું. આ વ્યક્તિને આઈએસઆઈએ 'હની બી' એવું કોડનેમ આપ્યું હતું. મુંબઈથી પણ કેટલાક લોકોએ તૈયબાને જરૂરી માહિતી આપી હતી, જેમને તૈયબાએ 'ચુહા' કોડનેમ આપ્યું હતું.

ભારત સરકારે મુંબઈ હુમલાનો આ 'લોકલ એન્ગલ' શોધવા રામ પ્રધાન કમિશન ઓફ ઈન્કવાયરીની રચના કરી હતી, જે આજેય 'હની બી' કે 'ચુહા'ને શોધી શક્યું નથી.

***

આ તમામ માહિતી 'ધ સીજ : ૬૮ અવર્સ ઈનસાઈડ ધ તાજ હોટેલ' નામના પુસ્તકમાં મળે છે. એડ્રિયન લેવી અને કેથરિન સ્કોટ ક્લાર્ક નામના પત્રકાર-લેખક દંપત્તિએ ૧૫ દેશ અને પાંચ ખંડમાં રઝળપાટ કરીને મજબૂત પુરાવા સાથે આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક લખવા તેઓ ભારત-પાકિસ્તાન-અમેરિકાના ઈન્ટેલિજન્સ અધિકારીઓ અને પોલીસ, આઈએસઆઈના હેન્ડલરો, તૈયબાના કમાન્ડરો અને મૃતક આતંકવાદીઓના સ્વજનોને પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અમેરિકન ઈન્ટેલિજન્સ, હેડલી તેમજ હેડલી-તૈયબાના ફોન કૉલ, ઈ-મેઈલ ઈન્ટરસેપ્ટ અને લખાણો સહિતના પુરાવાનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.

એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં એડ્રિયનને પૂછાયું હતું કે, તમે પુસ્તક લખવા આ જ વિષય કેમ પસંદ કર્યો? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ૯/૧૧ પછી અમેરિકાએ ઊંડુ વિશ્લેષણ કરીને ૬૦૦ પાનાંનો દળદાર રિપોર્ટ તૈયાર કર્યો હતો. બ્રિટનમાં પણ ૭/૭ પછી હજારો પાનાંનો રિપોર્ટ બનાવાયો. નેશનલ આર્કાઈવ્સમાં જઈને કોઈ પણ વ્યક્તિ તેનો અભ્યાસ કરી શકે છે. ૯/૧૧ પછી અમેરિકામાં અનેક સુંદર પુસ્તકો લખાયા, જ્યારે મુંબઈની ૨૬/૧૧ ઘટના પછી પ્રધાન સમિતિએ તૈયાર કરેલો રિપોર્ટ ફક્ત ૬૪ પાનાંનો છે. આ રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ, મિલિટરી કે પોલીસ અધિકારીઓ, એનએસજી, રાજકારણીઓનો ઈન્ટરવ્યુ સુદ્ધાં નથી. જે લોકો મૃત્યુ પામ્યા, બચી ગયા, શહીદ થયા, તાજનો સ્ટાફ, અન્ય મહેમાનો અને સુરક્ષાકર્મીઓની પૂરેપૂરી વાત એમાં છે જ નહીં. ૬૪ પાનાંની માહિતી આપીને તમે કહી શકો કે, આ મુંબઈ હુમલાની સ્ટોરી છે? છેવટે અમે જ આ વિષય પર એક સારું પુસ્તક લખવાનું વિચાર્યું...  

***

શિકાગોની જેલમાં ૩૫ વર્ષની જેલની સજા ભોગવી રહેલા હેડલીની ભારત વીડિયો કોન્ફરન્સિંગથી જુબાની લે, અમેરિકા ભારતને પૂછપરછની મંજૂરી આપે કે હેડલીની કબૂલાતોથી પાકિસ્તાન ભોંઠપ અનુભવે- શું આ ભારત સરકારની બહુ મોટી સફળતા છેતમને શું લાગે છે?

નોંધઃ આ લેખનો ભાગ-1 વાંચવા અહીં ક્લિક કરો.