Showing posts with label Kaka Kalelkar. Show all posts
Showing posts with label Kaka Kalelkar. Show all posts

28 August, 2018

કાકા કાલેલકર: વરસાદી વાતો અને વિનોદવૃત્તિ


''વરસાદના દિવસ આવી ગયા છે! જ્યાં જ્યાં વરસાદ આવી ગયા છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનાં બાળકોને લઇ જઇને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી પાણી કેવી રીતે વહી જાય છે અને પાણી ઉચ્ચનીચનો ભેદભાવ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે એ બધું તેમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એમ નથી. જો છોકરાં બચપણમાં જ પાણીના વહેણનું અધ્યયન કરશે તો હિંદુસ્તાન માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો એટલે કે ભગીરથવિદ્યા- નદી નહેરોને કાબૂમાં લાવવાની વિદ્યા-નો તેઓ પ્રારંભ કરશે. હિંદુસ્તાન જેટલો દેવમાતૃક છે તેટલો જ નદીમાતૃક પણ છે. તેથી જ પર્જન્યવિદ્યા (મીટીઓરોલોજી) અને ભગીરથવિદ્યા (સાયન્સ ઓફ રિવર ટ્રેનિંગ) બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે...''

કાકા કાલેલકર

આશરે આઠ દાયકા પહેલાં દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉર્ફ કાકા કાલેલકરે 'ચોમાસું માણીએ!'  નામના લલિત નિબંધમાં આ શબ્દો લખ્યા હતા. ગુજરાતી ભાષામાં પ્રકૃતિ વિશે સૌથી વધારે અને ઉત્તમ કોણે લખ્યું હશે? જો આવો સવાલ પૂછાય તો એક ક્ષણનાયે ખચકાટ વિના કાકા કાલેલકરનું નામ આપી શકાય! ૨૧મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ કાકાની ૩૭મી પૂણ્યતિથિ ગઈ. એ નિમિત્તે કાકાના બે-ચાર વરસાદી લખાણો આજના સંદર્ભમાં યાદ કરીએ.

ઓછા શબ્દોમાં 'મોટી' વાત સરળતાથી અને વિનોદવૃત્તિથી કહેવાની કાકા પાસે જબરદસ્ત હથોટી હતી. લેખની શરૂઆતના ફકરામાં જ જુઓને. કાકાએ કેટલું બધું કહી દીધું છે! માબાપોએ સંતાનોને નજીકથી વરસાદ બતાવવો જોઈએ એવી સલાહ આપવાની સાથે તેમણે હળવેકથી એવું પણ કહી દીધું છે કે, પાણી ઉચ્ચનીચના ભેદભાવ રાખતું  નથી. આ ઉપરાંત તેમણે પર્જન્યવિદ્યા (હવામાન શાસ્ત્ર) અને ભગીરથવિદ્યા નામના બે નવા શબ્દ પણ આપ્યા છે.

***

આપણો કુદરત સાથેનો નાતો દિવસે ને દિવસે તૂટી રહ્યો છે ત્યારે કાકાના 'ક્લાસિક' લખાણો નવા નવા સ્વરૂપમાં આજની પેઢી સમક્ષ મૂકાવા જોઈએ. શહેરમાં રહેતા હોઈએ એટલે કુદરતની નજીક ના રહી શકાય એ આપણી સામૂહિક આળસવૃત્તિમાંથી પેદા થયેલી ગેરમાન્યતા છે. પ્રકૃતિનો આનંદ લેવા માટે ફક્ત દૃષ્ટિ અને રસ હોવો જરૂરી છે. નદી-ઝરણાંમાં ન્હાયા હોય, પર્વતો પર ઢીંચણ ટીચ્યા હોય, ઝાડ પર ચઢ્યા હોય, જંગલમાં રાત વીતાવીને બિહામણા અવાજ સાંભળ્યા હોય અને વડની વડવાઈઓ પર લટકીને હાથ છોલ્યા હોય એવા બાળકો લઘુમતીમાં આવતા જાય છે. વરસાદ પડે ત્યારે તો વનસ્પતિઓ ખીલી ઉઠે છે અને નવા નવા જીવજંતુના મેળા ભરાય છે. આ બધામાં બાળકો રસ લે એ માટે જાતે જ 'ઇન્સેક્ટ સફારીકરી શકાય. ગામડામાં કે નાના નગરમાં રહેતા હોઈએ તો વાંધો નથી, પરંતુ શહેરમાં હોઇએ તો આસપાસના બગીચા, નાનકડા વન-વગડાં જેવા વિસ્તારો, મેદાનો અને ખાડામાં ભરાયેલા પાણી તેમજ ખેતરોમાં જઈને વનસ્પતિઓ અને જીવજંતુઓને નજીકથી નિહાળવા જઈ શકાય.


જુદી જુદી પ્રજાતિની ચેલ્સિડ વાસ્પ


મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં પુરુષવાડી જેવા અનેક સ્થળે
આગિયાઓનું રંગીન વાવાઝોડું જોવાનો ઉત્તમ સમય મેથી જૂન

આ વિશે પણ કાકાએ 'ચોમાસું માણીએ!'માં સરસ વાત કરી છે. વાંચો એમના જ શબ્દોમાં. ''વનસ્પતિસૃષ્ટિની અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ થવી જોઈએ. વનસ્પતિવિદ્યા અને કીટવિદ્યા જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ પેદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપથી માંડીને 'જાદુઇ ટોર્ચ' સાથે રાખનાર આગિયા સુધીના બધા કીટકોનો આકાર, રંગ, એમનો સ્વભાવ, એમનો આહાર, એમનું કાર્ય- આ બધાનું નિરીક્ષણ કરવું જોઈએ. હિંદુસ્તાનની વનસ્પતિઓનું તો પૂછવું જ શું? શારદા અને અન્નપૂર્ણા, શાકંભરી અને જગધાત્રી બધી દેવીઓનું સ્મરણ કરીને વનસ્પતિવિદ્યાનો આ દિવસોમાં પ્રારંભ કરવો જોઈએ...''

આ પૃથ્વી પર કેટલી પ્રજાતિના જંતુ છે? જવાબ ચોંકાવનારો છે, આશરે એંશી લાખ. અને આજનું વિજ્ઞાન તેમાંથી કેટલા જંતુઓને ઓળખે છે? એ આંકડો તો એનાથીયે વધુ ચોંકાવનારો છે, ફક્ત ૧૩ લાખ. છેલ્લાં એકાદ દાયકામાં ભારતમાંથી જીવજંતુઓની અનેક નવી પ્રજાતિ મળી છે. જેમ કે, અંજીરના ફળમાં રહેતી ૩૦ નવી પ્રજાતિ અને મેટાલિક રંગની ચળકતી મધમાખીઓ (સાયન્ટિફિક નામ ચેલ્સિડ વાસ્પ અથવા ચેલ્સીડોઈડિયા). આ ઉપરાંત કીડી અને સાયકોડિડ ફ્લાય (રુંવાટી ધરાવતી ભૂખરી માખીઓ)ની ત્રણ-ત્રણ પ્રજાતિ.

ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ નાગાલેન્ડમાંથી વૉટર સ્ટ્રાઇડરની ૧૦૦થી પણ વધારે પ્રજાતિ શોધી કાઢી છે. અત્યાર સુધી આખા ભારતમાં ફક્ત પાંચ પ્રકારના જ વૉટર સ્ટ્રાઇડર જાણીતા હતા. આપણે અનેકવાર નદી, તળાવો, કેનાલો, કૂવા, પાણી ભરેલા ખેતરો, ખાબોચિયા અને સ્વિમિંગ પુલમાં વૉટર સ્ટ્રાઇડર્સ  જોયા હશે, જે શરીર કરતા ખૂબ જ લાંબા પગની મદદથી પાણીની સપાટી પર બેઠા હોય છે. કુદરતે તેને ત્રણ જોડી પગ આપ્યા હોવાથી પાણીમાં રહેતા બીજા જીવડાં કરતા અલગ તરી આવે છે. કેટલા બધા વૈવિધ્યપૂર્ણ જીવો રહે છે આપણી આસપાસ! પરંતુ આપણે માણસો તો એકબીજાને પણ માંડ ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ.

***

ભારત તો જંતુસૃષ્ટિને લઈને પણ અતિ સમૃદ્ધ છે, પરંતુ આપણા દેશમાં ક્યાંય ઈન્સેક્ટ મ્યુઝિમય નથી. હા, કોલકાતાના ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, કોઝિકોડના વેસ્ટર્ન ઘાટ રીજનલ સેન્ટર અને બેંગાલુરુના નેશનલ બ્યુરો ઓફ એગ્રિકલ્ચરલ ઈન્સેક્ટ રિસોર્સીસમાં ઘણાં જીવજંતુઓના નમૂના સચવાયેલા છે. આ ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા બેંગલુરુના અશોકા ટ્રસ્ટે પણ એકાદ હજાર પ્રજાતિના જીવજંતુઓના એક લાખ નમૂના ભેગા કર્યા છે. ત્યાં સુધી લાંબા થવાય તો ઠીક છે, નહીં તો વરસાદી માહોલમાં કાદવમાં જઈને પણ નવા નવા જીવજંતુઓની દુનિયા જોવી જોઈએ અને બાળકોને તો ખાસ બતાવવી જોઈએ. કાકાએ તો 'કાદવનું કાવ્ય' નામે પણ એક સુંદર નિબંધ લખ્યો છે. કાદવની વાત કરતા કાકા કહેતા કે, આપણે બધાનું વર્ણન કરીએ છીએ તો કાદવનું કેમ નહીં? કાદવ શરીર પર ઊડે એ આપણને ગમતું નથી અને તેથી આપણને તેના માટે સહાનુભૂતિ નથી. એ વાત સાચી પણ તટસ્થતાથી વિચાર કરતા કાદવમાં કંઈ ઓછું સૌંદર્ય નથી હોતું.


વૉટર સ્ટ્રાઈડર


કાદવે લખેલું કાવ્ય 

કાદવ વિશે વાંચો તેમના જ શબ્દોમાં : ''નદીકાંઠે કાદવ સુકાઈને તેના ચોસલાં પડે છે ત્યારે તે કેટલા સુંદર દેખાય છે! વધારે તાપથી તે જ ચોસલાં નંદવાય અને વાંકા વળી જાય ત્યારે સુકાયેલા કોપરા જેવા દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દૃશ્ય કંઈ ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલાં, ગીધ અને બીજા નાનાંમોટાં પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવા તેમના પદચિહ્નો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી કાદવ પર પડેલા જોઈ આ રસ્તે આપણે આપણો કાફલો (Caravan) લઈ જઈએ એમ આપણને થાય છે.’’

કાદવ વિશે આ બધી વાતો કરીને કાકા એક નવી જ વાત કરે છેઃ  ''કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે. અને તેટલાથી તૃપ્તિ ન થાય તો સીધા ખંભાવ જવું. ત્યાં મહી નદીના મુખ આગળ નજર પહોંચે ત્યાં સુધી બધે સનાતન કાદવ જ જોવાને મળે. આ કાદવમાં હાથી ડૂબી જાય એમ કહેતાં ન શોભે એવી અલ્પોક્તિ કરવા જેવું છે. પહાડના પહાડ એમાં લુપ્ત થાય એમ કહેવું જોઈએ.''

***

પહેલી ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ મહારાષ્ટ્રના સતારામાં મરાઠી પરિવારમાં જન્મેલા કાકાએ આશરે ૯૬ વર્ષના આયુષ્યમાં રાજકીય-સામાજિક વ્યસ્તતા વચ્ચે પ્રચુર માત્રામાં લખ્યું. માતૃભાષા મરાઠી હતી, પરંતુ લખ્યું ગુજરાતીમાં. મરાઠી અને હિન્દીમાં પણ થોડું લખ્યું, પરંતુ ગુજરાતીની સરખામણીએ નહીં બરાબર. એટલે જ ગાંધીજીએ તેમને 'સવાઇ ગુજરાતી' કહીને બિરદાવ્યા હતા. બલવંતરાય ઠાકોરે ૧૯૩૧માં 'આપણી કવિતાસ્મૃદ્ધિ'ની પ્રસ્તાવનામાં ગુજરાતી ભાષાના દસ શ્રેષ્ઠ ગદ્યકારોની યાદીમાં કાકા કાલેલકરના નામનો ઉલ્લેખ કર્યો છે. કાકાએ સેંકડો માઈલના પ્રવાસ કરીને તેમજ જીવનભર રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યવસ્તતા વચ્ચે પ્રચુર માત્રામાં લખ્યું. 'કાલેલકર ગ્રંથાવલિ' નામના ૧૫ દળદાર ગ્રંથમાં કાકાના કાવ્યાત્મક ગદ્યનો સમાવેશ કરાયો છે. ખૂબ જ નજીવી કિંમતે ઉપલબ્ધ આ પુસ્તકોનો સેટ આચાર્યશ્રી કાકા કાલેલકર ગ્રંથાવલિ સમિતિએ પ્રકાશિત કર્યો છે.


કાલેલકર ગ્રંથાવલિનો પહેલો ભાગ 

કાકાના લખાણોની પહોંચ પ્રવાસવર્ણનોથી લઈને ધર્મ, શિક્ષણ, પ્રવાસ, ચિંતન અને લલિત નિબંધો સુધી વિસ્તરેલી છે, પરંતુ ગ્રંથાવલિની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી નોંધે છે તેમ, ''કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં ખીલી ઊઠે છે. ભૂગોળના રસિયા તેવા જ ખગોળની સૌંદર્યસમૃદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશ્રીનું આકંઠ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેકવાર કાવ્યની કોટિએ પહોંચે છે. કાકાસાહેબને બીજી એક મોટી અને વિરલ એવી બક્ષિસ છે વિનોદવૃત્તિની...''

***

'કાદવનું કાવ્ય'માં જ વાંચો કાકાની વિનોદવૃત્તિનો એક નમૂનો ''આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોત તે કાદવનો તિરસ્કાર ન કરત. એક નવાઈની વાત તો જુઓ. પંક શબ્દ ઘૃણાસ્પદ લાગે છે અને પંકજ શબ્દ કાને પડતાં જ કવિઓ ડોલવા અને ગાવા માંડે છે. મલ(ળ) તદ્દન મલિન ગણાય પણ કમલ(ળ) શબ્દ સાંભળતા-વેંત પ્રસન્નતા અને આહ્લાદકત્વ ચિત્ત આગળ ખડાં થાય છે. કવિઓની આવી યુક્તિશૂન્ય વૃત્તિ તેમની આગળ મૂકીએ તો કહેવાના કે, તમે વાસુદેવની પૂજા કરો છો એટલે કંઈ વસુદેવને પૂજતા નથી, હીરાનું ભારે મૂલ આપો છો પણ કોલસાનું કે પથ્થરનું આપતા નથી, અને મોતીને ગળામાં બાંધીને ફરો છો પણ તેની માતુશ્રીને ગળામાં બાંધીને ફરતા નથી. કવિઓ સાથે ચર્ચા ન કરવી એ જ ઉત્તમ.''

પંક એટલે કાદવ અને પંકજ એટલે કમળ. વાસુદેવ એટલે કૃષ્ણ, જ્યારે વસુદેવ એટલે કૃષ્ણના પિતા. એવી જ રીતે, મોતીની માતા એટલે એક પ્રકારની માછલી. જો કાકાની સિક્સરો બાઉન્સર ગઇ હોય તો આ શબ્દો સમજીને બીજી વાર વાંચી જુઓ.


પાછલી ઉંમરે ઉમાશંકર જોશી અને જ્યોત્સના જોશી સાથે કાકા 

'પહેલો વરસાદ' નામના નિબંધમાં પણ કાકાની રમૂજવૃત્તિ કમળની જેમ ખીલી છે. વાંચો: ''વરસાદને થયું કે ધ્વનિ જો બધે પ્રસરે છે, તો હું પણ આ માનવી કીટોના દરમાં શા માટે ન પેસું? દુર્વાસાની જેમ 'અયં અહં ભો:' કરીને એણે બેચાર ટીપાં અમારી ઓરડીઓમાં નાખ્યાં. અમે બહાદુરીથી પાછળ હઠ્યા. સરસ્વતીના કમળો પાણીમાં રહ્યાં છતાં પાણીથી અલિપ્ત રહી ભીંજાતાં નથી, પણ સરસ્વતીના પુસ્તકોને એ કળા હજી પ્રાપ્ત થઈ નથી. તેમને તો દરવાજા પાસેથી ભગાડવા એ જ ઇષ્ટ હતું. પુસ્તકોને દૂર ખૂણામાં મૂકી મનમાં કહ્યું: 'કઠિણ સમય યેતાં કોણ કામાસા યેતો' એટલે કે કઠણ વખત આવી પડ્યે કોણ કામ આવે? ખૂણો (કોણ) કામ આવે ખરો! જોતજોતામાં વરસાદે હુમલો જોશમાં ચડાવ્યો. આખી ઓરડી એણે ભીની કરી મૂકી જ પણ તદ્દન ભીંતે અડીને પાથરેલી પથારીને મળવા આવવાનું પણ તેને મન થઈ આવ્યું. મેં પણ કાંબળો ઓઢીને પ્રસન્ન મને તેનું સ્વાગત કર્યું. વર્ષાની શરૂઆતની આ પહેલી સલામીની કદર કરવાનું મન કોને ન થાય?''

આટલું લખીને કાકાના શબ્દો શાંત થયા હોય એવું લાગે છે, પરંતુ બીજા જ ફકરામાં તેઓ ફરી એકવાર સૂક્ષ્મ હાસ્યથી વાચકને નવડાવી દે છે: વાંચો. ''વરસાદ ગયો કે તરત જ પાથરણાના એક કકડાથી જમીન લૂછી લીધી અને સરકારના લેણદારની જેમ ઊમરા ઉપર ઓશીકું મૂકીને નિરાંતે સૂઈ ગયો. તફાવત એટલો જ કે લેણદાર ઊમરાની બહારની બાજુએ પડી રહે છે જ્યારે હું તેની અંદરની બાજુએ સૂતો.''

***

'કુદરત મારું પ્રિય પુસ્તક છે' એવું કહેનારા કાકાએ વરસાદ કે કાદવની જેમ વાદળ, ધુમ્મસ, વીજળી, મેઘગર્જના, મેઘનૌકા, સૂરજ, ચંદ્ર, તારા, નદી, પહાડો, પથ્થર, દરિયો, પરોઢ, જુદી જુદી ઋતુઓની સવાર-સંધ્યા અને રાત્રિ, વનસ્પતિઓ, કોયલ અને ચામાચીડિયાં વિશે પણ લખ્યું છે. કાકા વિશે આપણા વિદ્વાન સાહિત્યકાર અને ગુજરાતી વિશ્વકોષના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરે લખ્યું હતું કે: એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરુષભર્યું તેજ પણ છે, ગૌરવ છે એટલો જ પ્રસાદ છે.

11 November, 2015

તહેવારો એટલે વરુની પેઠે ખાવું...


રાજકીય એકતા ટકાવવી હોય તોપણ સાંસ્કૃતિક એકતાને મજબૂત અને સમૃદ્ધ કર્યે જ છુટકો. એ કામ ત્યારે જ બની શકે જ્યારે આપણે એકબીજાના તહેવારો ઊજવી શકીશું. ભેદના તત્ત્વો ગૌણ કરી શકીશું, અને બધા ધર્મોમાં, સંસ્કૃતિના નવા નવા આવિષ્કારોમાં, અને ભિન્ન ભિન્ન ભાષાના સાહિત્યમાં, કૌટુંબિક ભાવ ખીલવી શકીશું. આપણે ત્યાં દુનિયાના લગભગ બધા જ ધર્મો આવીને વસ્યા છે. એમની વચ્ચે સંઘર્ષ રહે એ કોઈ કાળે ચલાવી ન લેવાય. બધા ધર્મો વચ્ચે કૌટુંબિક ભાવ સ્થાપન કરીએ. આ કામમાં તહેવારો, જો સુંદર અને ઉદાર રીતે ગોઠવાયેલા હોય તો, ઉત્તમમાં ઉત્તમ મદદ કરી શકશે.

***   

'જીવતા તહેવારો' પુસ્તકની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે આ ધાંસુ શબ્દો લખ્યા છે. આ તો કાકાના ભારતીય સમાજ અને સંસ્કૃતિના ચિંતનની એક નાનકડી ઝલક છે. આવતીકાલે હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક સુદ એકમથી બેસતું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે 'જીવતા તહેવારો'માં કરાયેલી વાતો યોગાનુયોગે અત્યારના રાજકીય-સામાજિક માહોલમાં કદાચ ઘણી વધારે મહત્ત્વની છે. આ પુસ્તકના ૩૫૦ પાનામાં આવી ઢગલાબંધ ચિંતન કણિકાઓ વિખરાયેલી છે. કાકા કહે છે કે, ''...સંભવ છે કે તહેવારોની ઉજવણીની પદ્ધતિઓ સુધારીને આપણે સર્વધર્મસમભાવ અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય એકતા વધારે મજબૂત કરી શકીશું...''  

‘જીવતા તહેવારો’ના પ્રકાશક ‘નવજીવને’ પણ આ પુસ્તકના પ્રકાશકીય નિવેદનમાં કહ્યું છે કે, ''... જૂનું ધાર્મિક વાચન સમાજમાં રૂઢ હોત તો સમાજને કીમતી લોકકેળવણી મળી હોત... આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાર્કિક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે...''


તો ચાલો 'જીવતા તહેવારો'માં દિવાળીના તહેવારો વિશે કહેલી વાતોનો 'ગમતાનો ગુલાલ' કરીએ. આ સાથે કાકા કહે છે એમ બેસતા વર્ષથી બધા જ તહેવારોની ઉજવણીની રીત બદલવાનો સંકલ્પ કરીએ. જોકે, ઉજવણીની રીત બદલવાની કેવી રીતે? જેમ કે, આ વર્ષે દિવાળી સહિતના તમામ તહેવારોની ઉજવણીની થીમ 'પુસ્તક અને વાચન' રાખીએ.  લેટ્સ સ્ટાર્ટ.

'જીવતા તહેવારો' વાંચતી વખતે સમજાય છે કે, પરિવર્તન સંસારનો નિયમ છે. શહેરીકરણ વધતા તહેવારોની ઉજવણીની રીતો ધીમે ધીમે બદલાઈ ગઈ છે. કાકા લખે છે કે, ''ધનતેરસ દિવાળીની તૈયારીનો તહેવાર છે. લોકવાર્તાઓ પ્રમાણે, ધનતેરસ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે... જુવાનોના અકાળ મૃત્યુની સંખ્યા સમાજમાં વધતી જાય છે એના કારણો તપાસી તે દૂર કરવાની યોજના સમાજના આગેવાનો આ દિવસે વિશેષે કરીને ચર્ચે, અને યુવાનોને જે બોધ આપવા જેવો હોય તે આપે... ગાયોના ધણની પૂજા પણ આ દિવસને માટે કહેલી છે. તે વિશે જે કરી શકાય તે કરીએ.'' કાકા 'ધનતેરશ અથવા ધણતેરશ' શીર્ષક હેઠળ આવી માહિતી આપે છે.

ભારતીય સમાજ કૃષિપ્રધાન હોવાથી તેના તહેવારોની ઉજવણીનો આધાર એક સમયે કૃષિ-પશુપાલન હતો. જોકે, હવે સમય બદલાઈ ગયો છે. ધનતેરસ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે, એ વાત પણ ભૂલાઈ ગઈ છે. પરંતુ આપણે યુવાનોની આત્મહત્યાથી લઈને યુવકો દ્વારા સ્ત્રીહિંસા જેવી નવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. તો આ દિવસોમાં આ મુદ્દા પર ફોકસ કરતી સાહિત્ય કૃતિઓનું વાચન કે એ વિશે વાત કરી શકે એવા વિદ્વાનોને બોલાવીને નાનકડા ગેટ-ટુ-ગેધરનું આયોજન કરી શકાય. આ પ્રકારના કાર્યક્રમો કંટાળાજનક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.  શૈક્ષણિક સંસ્થાઓ કે ક્લબો દ્વારા પુરુષોએ સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ એની સમજ આપતા ઈનોવેટિવ સેશન્સ પણ ગોઠવી શકાય. ગિફ્ટમાં આવા જ મુદ્દા પર લખાયેલા સુંદર પુસ્તકની ભેટ આપી શકાય. એ બહાને સારી કૃતિઓનું પણ વાચન વધશે. 

પહેલાં ગાયોના ધણની પૂજા થતી હતી કારણ કે, ઢોરઢાંખર જ 'ધન' હતું. એટલે જ ધનતેરસનું બીજું નામ 'ધણતેરસ' છે. શહેરી સંસ્કૃતિમાં ગાયોના ધણની પૂજાનું મહત્ત્વ ઘટી જવું સ્વાભાવિક છે એટલે આપણે ધનની પૂજા કરીએ છીએ. જોકે, આ દિવસે સોના-ચાંદીની સાથે સાથે દર વર્ષે પસંદ કરેલા ૧૧, ૧૦૧, ૧૫૧, ૫૦૧ કે ૧૦૦૧ પુસ્તકોની પસંદગી કરીને તેની પૂજા કેમ ના કરી શકીએ?

ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ ઊજવાય છે. કૃષિ પ્રધાન સમાજમાં તહેવારોની ઉજવણીના પાયામાં કૃષિ સંસ્કૃતિનું મહત્ત્વ વધારે હતું. કાકા લખે છે કે, ''આ દિવસે ઉકરડા કાઢીને તેનું ખાતર ખેતરમાં નાખવું, અથવા ખાડામાં દાટી દેવું. ત્યાર પછી તેલથી માલિશ કરીને ગરમ પાણીએ નાહવું. પહેલેથી તૈયાર કરાવી ધોળાયેલા મકાન પર ચૂના હળદર કે બીજા રંગની આછી લીટીઓ દોરવી. દીવાલો ચિતરામણથી શણગારવી...'' એટલે જ કાળી ચૌદશે કકળાટના રૂપમાં દિલોદિમાગમાંથી બધી જ 'ઈલ ફિલિંગ્સ' કાઢવાનું મહત્ત્વ છે. કૃષિપ્રધાન સમાજ ઉકરડો કાઢતો હતો પણ હવે શહેરી સમાજે મન-મગજમાં ઘર કરી ગયેલો પૂર્વગ્રહ, ઈર્ષા અને લાલચરૂપી ઉકરડો દૂર કરવાનો છે. સમજદાર વ્યક્તિ તો લાલચ અને ઈર્ષા જેવા 'ઉકરડા'ને પણ દોડતા રહેવાની પોઝિટિવ એનર્જીમાં પરિવર્તિત કરી શકે છે. આ દિવસે ટોપ ૧૦ પ્રેરણાત્મક પુસ્તકોની વાત કરી શકાય અને એકાદ પુસ્તકના પસંદીદા પ્રકરણો કે લખાણોનું વાચન પણ કરી શકાય. આ પ્રકારના પુસ્તકોની અત્યારે બોલબાલા છે પણ ક્લાસિકની કેટેગરીમાં આવતા પુસ્તકો બહુ જાણીતા ના પણ હોય! એ માટે જાતે જ ગૂગલિંગ કરીને કે ફેસબુક, વોટ્સએપ પર બીજા વાચકોની મદદથી ધાંસુ પુસ્તકોની યાદી બનાવી શકાય.



કાકા કાલેલકર

કાળી ચૌદશ પછી આવે છે દિવાળી. કાકા લખે છે કે, ''શાસ્ત્રોમાં દરેક તહેવારનું માહાત્મ્ય અને કથા આપેલાં હોય છે. દિવાળી વિશે એટલી બધી કથાઓ છે કે 'દિવાળીમાહાત્મ્ય' લખવા જઈએ તો એક મોટું પુરાણ થઈ જાય...'' આ પુસ્તકમાં કાકાએ બળિનું રાજ્ય, દિવાળી, મોતનો ઉત્સવ, નાના ભાઈ વગર દિવાળી અને દિવાળી (ફરી એ જ શીર્ષક) એમ કુલ પાંચ ભાગમાં દિવાળીનું મહત્ત્વ સમજાવ્યું છે. 'દિવાળી' શીર્ષક હેઠળ કાકા કહે છે કે, ''દીવાનખાનામાં એકાદ સુંદર વસ્તુ રાખવાનો રિવાજ દરેક ઘરમાં હોય છે. બહારનો કોઈ માણસ આવે એટલે સહેજે તે પર એની નજર જાય છે અને તે બોલી ઊઠે છે:કેવી મઝાની વસ્તુ! તમે આ ક્યાંથી મેળવી?...'' હવે આપણે પુસ્તકની થીમ પણ દિવાળી ઊજવતા હોઈએ તો ડ્રોઈંગ રૂમથી લઈને બેડરૂમ સુધી બધે જ પુસ્તકો અને સામાયિકોની સ્ટાઈલિશ ગોઠવણી કરીને ઘર સજાવી શકાય. ઘરમાં ગુજરાતીથી લઈને વિશ્વભરના સાહિત્યકારોના ક્વોટ્સ સાથેના સ્ટાઈલિશ પોસ્ટરો પણ મૂકી શકીએ. રંગોળીથી લઈને તોરણો પણ પુસ્તક થીમના આધારે ડિઝાઈન કરી શકાય. આ દિવસે પુસ્તકોથી જોજનો દૂર હોય એવા મહેમાનોને સાહિત્યકાર અને તેની કૃતિઓની માહિતી આપીને પરિચય પુસ્તિકાઓ, જીવન ચરિત્ર કે આત્મકથાની ભેટ આપી શકાય.

પછી આવે બેસતું વર્ષ. આ તહેવાર વિશે કાકાએ ખૂબ જ ટૂંકમાં માહિતી આપતા કહે છે કે, ''આ દિવસ મુખ્યત્વે મિત્રોને મળવાનો તેમજ ગુરુજનોને મળી તેમનો આશીર્વાદ લેવાનો દિવસ છે. નવા વરસનો નવો સંકલ્પ અને આખા વરસની કંઈક નિશ્ચિત યોજના પણ આ દિવસે કરાય. જે વિચાર કરી શકે છે તે એકબે કલાક શાંતિથી એકાંતમાં બેસી પ્રાર્થનાપૂર્વક નવા વરસનો સંકલ્પ અને એ પાર પાડવાની વિગતો મનમાં ગોઠવે અને જેની આગળ નવો સંકલ્પ જાહેર કરવો ઘટે તેને જણાવે અને પોતાની પાસે અવશ્ય લખી રાખે.''

ટૂંકમાં આ દિવસે રિઝોલ્યુશન કરવાની પરંપરા વર્ષો પુરાણી છે. આપણી ઉજવણીની થીમ પુસ્તકો છે એટલે આ દિવસે ગૂગલિંગ કરીને વિશ્વના શ્રેષ્ઠ ૧૦૦ વાંચવા જેવા ફિક્શન, નોન-ફિક્શન, ક્લાસિક પુસ્તકોથી લઈને ઉત્તમ જીવનચરિત્રો, આત્મકથાઓ, સાયન્સ ફિક્શન, ટ્રાવેલ, ઈતિહાસ, તત્ત્વજ્ઞાાન, અધ્યાત્મ, બાળ સાહિત્ય તેમજ અંગ્રેજી સહિતની ભાષામાં જે લેખકોના પુસ્તકો પરથી સૌથી વધારે ફિલ્મો બની હોય એવી જાતજાતની માહિતીના દરિયામાં ધુબાકા મારીને મલ્ટિ ડાયમેન્શિયલ યાદી બનાવીએ અને તે વાંચવાનો સંકલ્પ લઈએ. આ માટે ન્યૂયોર્ક ટાઈમ્સ, બીબીસી જેવી સંસ્થાઓએ સમયાંતરે તૈયાર કરેલી જાતભાતના બેસ્ટ સેલર્સ તેમજ ટોપ ૧૦૦ પુસ્તકોની યાદી પર પણ નજર ફેરવીને વાચનનો દૃષ્ટિકોણ જરા વિશાળ કરવાનો સંકલ્પ પણ લેવા જેવો ખરો! 

બેસતું વર્ષ પછી ઉજવણી થાય ભાઈબીજની. કાકાએ 'ક્યાં છે ભાઈબીજ?' અને 'ભાઈબીજ' એમ બે શીર્ષક હેઠળ ભાઈબીજનું મહત્ત્વ સમજાવ્યું છે. પહેલાં પ્રકરણમાં કાકા હિંદુ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ જેવી હોવી જોઈએ તેવી નથી એમ કહીને આવું કેમ થયું એ મુદ્દે વિષદ્ છણાવટ કરે છે. કાકા ફરિયાદ કરતા લખે છે કે, ''... યુગો થયા ભારતવાસીઓ દર વર્ષે ભાઈબીજનો તહેવાર ઊજવતા આવ્યા છે, છતાં એકે કવિને ભાઈબહેનના સંબંધને પ્રાધાન્ય આપીને મહાકાવ્ય લખવાનું સૂઝ્યું નથી. નિરાશ થયેલું મન જ્યારે હતાશ દૃષ્ટિ લોકસાહિત્ય તરફ ફેંકે છે ત્યારે તે સાનંદાશ્ચર્યથી ભીની થાય છે. ભાઈબહેનનો સંબંધ અનાદિ છે, હૃદયસહજ છે, સાર્વભૌમ છે. લોકહૃદય તેને કેમ ભૂલે? લોકગીતો અને લોકવાર્તાઓમાં જ્યાં જુઓ ત્યાં ભાઈબહેનના મીઠા સંબંધનાં સંભારણાં વેરાયેલાં છે. ભવિષ્યનો સામાજિક આદર્શ ઘટનારા આજના કવિઓ! આ અણખેડેલા ક્ષેત્ર તરફ દૃષ્ટિ નાખો, અને સ્ત્રીપુરુષ વચ્ચેના આ એકમાત્ર નિર્વિકારી, નિષ્કામ અને સમાન સંબંધને ચીતરવામાં તમારું શક્તિસર્વસ્વ ખરચો.'' જો આવું છે તો પછી પુસ્તકાલયમાં જઈને જાતે જ લોકગીતો-વાર્તાઓમાંથી ગીત, વાર્તા કે અવતરણો શોધી કાઢો. બહેનને ભેટ આપતી વખતે આ માહિતીનો ગિફ્ટમાં સ્ટાઈલીશ રીતે ઉપયોગ કરો અને જો કવિ હોવ તો કાકાએ કહ્યું છે એમ આ અણખેડેલા ક્ષેત્ર તરફ દૃષ્ટિ નાખો...

આ તો દિવાળીના તહેવારો ઉજવવાનો એક નવો આઈડિયા-એક થીમ આપી. આ બેસતા વર્ષથી આપણે આખા વર્ષના બધા તહેવારો આવી જુદી જુદી થીમ સાથે ઉજવીએ અને સાંસ્કૃતિક એકતા થકી સામાજિક અને રાજકીય એકતા તરફ આગળ વધીએ.

છેલ્લે કાકાના જ શબ્દો સાથે નવા સંકલ્પો સાથે નવું વર્ષ, નવું જીવન શરૂ કરીએ.:

વરુની પેઠે ખાવું, બિલાડીની પેઠે બગાસાં ખાવાં, અને અજગરની પેઠે પડ્યાં રહેવું એ તહેવારનું મુખ્ય લક્ષણ થઈ પડ્યું છે. એક તહેવાર એટલે ત્રણ દિવસનો બગાડ એટલું તો ખરું જ. આવી હાલતમાંથી તહેવારોને બચાવવા એ આપણું મુખ્ય કામ છે...

નોંધઃ આ લેખમાં કાકાના અવતરણોની જોડણી પુસ્તકમાં છે એમ જ રાખી છે.