આજ મૈં વારિસ શાહ સે
કહતી હું અપની કબ્ર મેં સે બોલો
ઔર ઈશ્ક કી કિતાબ કા,
કોઈ નયા પૃષ્ઠ ખોલો
પંજાબ કી એક બેટી રોઈ
થી, તુને એક લંબી દાસ્તાન લિખી
આજ લાખો બેટિયા રો
રહી હૈ, વારિસ શાહ તુમસે કહ રહી હું
એ દર્દમંદો કે દોસ્ત,
પંજાબ કી હાલત દેખો
ચૌપાલ લાશો સે અટા
પડા હૈ, ચિનાબ લહુ સે ભરી પડી હૈ
કિસી ને પાંચો દરિયા
મેં, એક ઝહર મિલા દિયા હૈ
ઔર યહી પાની,
ધરતી કો સિંચને લગા હૈ
ઈસ જરખેજ ધરતી સે,
ઝહર ફૂટ નિકલા હૈ
દેખો સુર્ખી કહાં તક
આ પહુંચી, ઔર કહર કહાં તક આ પહુંચા
ફિર ઝહરીલી હવા ઈન
જંગલો મેં ચલને લગી
ઉસમેં હર બાંસ કી
બાંસુરી, જેસે એક નાગ બના દી
નાગો ને લોગો કે હોઠ
ડંસ લિયે, ઔર ડંખ બઢતે ચલે ગયે
ઔર દેખતે દેખતે પંજાબ
કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
હર ગલે સે ગીત ટૂટ
ગયા, હર ચરખે કા ધાગા છૂટ ગયા
સહેલિયાં એકદૂસરે સે
છૂટ ગઈ
ચરખો કી મહેફિલ વીરાન હો ગઈ
મલ્લાહોં ને સારી
કશ્તિયાં, સેજ કે સાથ હી બહા દી
પીપલો ને સારી પેંગે,
ટહનિયો કે સાથ તોડ દીં
જહાં પ્યાર કે નગ્મે
ગૂંજતે થે, વહ બાંસુરી જાને કહાં ખો ગઈ
ઔર રાંઝે કે સબ ભાઈ,
બાંસુરી બજાના ભૂલ ગયે
ધરતી પર લહૂ બરસા,
કબ્રેં ટપકને લગી
ઔર પ્રીત કી
શહજાદિયાં, મજારો મેં રોને લગી
આજ સબ કૈદો બન ગયે,
હુસ્ન ઈશ્ક કે ચોર, મૈં કહાં સે ઢૂંઢ લાઉં
એક વારિસ શાહ ઔર...
હૃદય ચીરી નાંખતા આ
શબ્દો વિખ્યાત પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના છે. વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા થયા
ત્યારે પંજાબના પણ ભાગલા થયા, અને એ વખતની
દર્દનાક સ્થિતિ જોઈને અમૃતા પ્રીતમે ચિશ્તી પરંપરાના પંજાબી સૂફી કવિ પીર સૈયદ
વારિસ શાહને સંબોધીને આ અપીલ કરી હતી. વારિસ શાહ અઢારમી સદીમાં પંજાબી લોકસાહિત્યની લોકપ્રિય લવ-ટ્રેજેડી હીર-રાંઝાના આધારે કાવ્યાત્મક વાર્તા લખીને અમર થઈ ગયા. આમ
તો આ કવિતા ભાગલાના દર્દમાંથી જન્મી છે પણ અત્યારના પંજાબની સ્થિતિ જોઈને પણ આ
કાવ્યાત્મક શબ્દો યાદ આવી રહ્યા છે.
પંજાબના બળતા ખેતરોની નાસાએ જારી કરેલી તસવીર
|
થોડા દિવસ પહેલાં જ
અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ધુમાડામાં લપેટાયેલા ઉત્તર ભારતની તસવીરો પ્રસિદ્ધ
કરી હતી. એક સમયે આખા દેશની હરિયાળી ક્રાંતિનું પ્રતીક ગણાતું પંજાબ આજે આવી વગર
વિચાર્યે કરેલી 'ક્રાંતિ'ના
કારણે જ આ મુશ્કેલીમાં સપડાયું છે. આ મુશ્કેલીના મૂળ કેટલા ઊંડા છે એ સમજવા જેવું
છે. વર્ષ ૧૯૫૩થી ભારત સરકારે જંગી ઉત્પાદન આપતા હાઈબ્રિડ બિયારણોનો ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું હતું. એ વખતે પંજાબના ખેડૂતોએ હાઈબ્રિડ કોટન બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો. આ બિયારણોનો પંજાબ
સહિત દેશમાં જ્યાં પણ ઉપયોગ થયો ત્યાં કપાસનું ઉત્પાદન અનેકગણું વધ્યું. હવે
ખેડૂતો પૈસાદાર થઈ રહ્યા હતા અને ખુશ હતા. જોકે, આ
ખુશી બહુ લાંબુ ના ટકી અને ખેડૂતોએ અમેરિકન બોલવોર્મ નામના દુશ્મનનો સામનો કરવાનો
આવ્યો. અમેરિકન બોલવોર્મ કપાસમાં થતી ફૂદ્દા જેવી જીવાત છે, જેને
ખેડૂતો સફેદ માખી તરીકે ઓળખે છે. નેવુંના દાયકાથી આ જીવાતના કારણે પંજાબમાં કપાસના
પાકની બરબાદી વધવા લાગી. જોકે, થોડા સમય પછી આ માખીની જનીનિક સિસ્ટમે જંતુનાશકોનો સામનો કરવાનું
શીખી લીધું હતું. પરિણામે તેના પર લાખો ટન જંતુનાશકોની પણ કોઈ જ અસર થતી નહોતી અને
જમીન વધુને વધુ ઝેરી થઇ રહી હતી.
હાઈબ્રિડ બિયારણોના
ઉપયોગ પહેલાં કપાસમાં થતી જીવાતો આટલી ખાઉધરી અને બેકાબૂ નહોતી. એ પહેલાં પણ પાક
પર જીવાત હુમલા કરતી જ હતી, પણ ખેડૂતો
માટે ય ઘણું બધું બચતું હતું. અમેરિકન બોલવોર્મે પંજાબમાં કપાસના પાકને ખદેડવાનું
ચાલુ કર્યું એ પછી રાજ્ય સરકારે ખરીદીની ખાતરી અને ટેકાના ભાવની જાહેરાતો કરીને
ત્યાંની જમીનમાં 'એલિયન' કહેવાય એવો
ડાંગરનો પાક લેવા ખેડૂતોને લલચાવ્યા. ખેડૂતો તો આમ પણ કપાસના પાકની બરબાદીથી
કંટાળ્યા હતા એટલે તેમણે ડાંગરનો પાક લેવાનું શરૂ કર્યું. અહીં કપાસનો પાક
કુદરતી રીતે જ વધારે થતો હતો પણ ડાંગર અહીંની ઈકોલોજી (પરિસ્થિતિવિજ્ઞાન) માટે નવો પાક હતો.
ડાંગરને કપાસ કરતા પાંચ ગણું વધારે પાણી વધારે જોઈતું હતું. કપાસનો પાક તો કેનાલના
પાણીથી પણ લઈ શકાતો હતો પણ ડાંગર 'પિયક્કડ'
હતી. એટલે ખેડૂતોએ ટ્યૂબ વેલોથી જમીનનું પાણી બેફામ ખેંચવાનું ચાલુ
કર્યું. અત્યારે પણ દેશભરમાં જમીન નીચે પાણીનું સૌથી વધારે ઊંડું સ્તર (ઓછામાં ઓછા
૮૦ ફૂટથી વધુમાં વધુ ૫૦૦ ફૂટ) પંજાબમાં છે. ૨૯મી નવેમ્બર, રવિવારે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં
પંજાબ સરકાર અને રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તમે
ખેડૂતોને ડાંગર સિવાયના પાક લેવા માટે પ્રોત્સાહિત કરો કારણ કે, જમીન નીચેના પાણીનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે.
આખરે ખેડૂતો ખેતરો
બાળે છે કેમ એ સમજવા આટલું જાણવું જરૂરી હતું. હવે વાંચો આગળ. પહેલાં ઓછા ખર્ચે
કપાસનો પાક લેવાતો અને ખેડૂતો નફો કરતા, પરંતુ
ડાંગરનો પાક લેવા સિંચાઈ, ખાતર અને જંતુનાશકો સહિતનો ખર્ચ
વધારે થાય છે. ખેડૂતોના બજેટ પર ચોખા બજારના નકારાત્મક પરિબળો પણ હાવી રહે છે. આ
સ્થિતિમાં ડાંગરનો પાક લેતા ખેડૂતોની નફાકારકતા ઘટી રહી હોવાથી તેઓ ખરીફ પાક લેતા
ખેતરોનું નીંદણ બાળી નાંખે છે. હાલ પંજાબમાં જ્યાં પણ ખેડૂતો ખેતરો બાળીને છેક
દિલ્હી સુધી પ્રદૂષણ કરી રહ્યા છે, એ મોટા ભાગે ડાંગરનું
નીંદણ બાળવાથી થયેલું છે. ખેડૂતોના આ પગલાં પાછળ 'ડાંગરનું
આગવું અર્થતંત્ર' જવાબદાર છે, એ વાત
ઉદાહરણથી સમજીએ.
જેમ કે,
હરિયાળી ક્રાંતિમાં કમાયેલા અને પૂર્વજોની મસમોટી જમીન ધરાવતા અનેક
જમીનદાર ખેડૂતો ડાંગરનો પાક લેવામાં નિષ્ણાત હોય એવા ખેડૂતોને પોતાની જમીન પ્રતિ
એકર ભાડાપટ્ટે આપે છે. ધારો કે, મોટા ખેડૂતે પ્રતિ એકર ભાડું
રૂ.
૪૫ હજાર નક્કી કર્યું છે. હવે નાનો ખેડૂત કે ભાગીદાર બાસમતી ચોખાનો પાક લેવા પ્રતિ
એકર બીજા રૂ.
૧૦ હજાર ખર્ચે છે. જે તે વર્ષે બાસમતીનો બજાર ભાવ ઓછો હોય તો પણ પ્રતિ એકર રૂ. ૩૦-૩૫ હજાર મળી જાય છે. આ
કમાણીમાંથી પણ જેની પાસે જમીન નથી એ ખેડૂતે પ્રતિ એકર રૂ. ૨૫ હજાર જેટલી બચત કરવાની
છે કારણ કે, ડાંગરનો પાક લેવાઈ જાય પછી
એણે ઘઉં વાવીને ગુજરાન ચલાવવાનું છે. આ સ્થિતિમાં નીંદણને ફરી જમીનમાં દાટીને
જમીન વધુ ફળદ્રુપ બનાવી શકાય છે. જોકે, ખેડૂત પોતાની
માલિકીની જમીન ધરાવતો હોય તો પણ આવું નથી કરતો કારણ કે, નીંદણને
પાછું જમીનમાં દાટવા પ્રતિ એકર રૂ. પાંચેક હજારનો ખર્ચ આવે છે. જો ખેડૂતે જમીન
ભાડા પટ્ટે લીધી હોય તો તેણે જમીન ખોદવા ટ્રેક્ટર ભાડે લેવું પડે છે અને નીંદણ જમીનમાં દાટવા મજૂરી ચૂકવવી પડે છે. એટલે ખેડૂતો બચત કરવા આખેઆખું ખેતર જ બાળી નાંખે
છે. ભલે પછી દિલ્હીમાં ગમે એટલા લોકો
શ્વાસોચ્છવાસના રોગોથી મરે કે આખો તાજમહેલ કાળો થઈ જાય. આ બાબતોની ખેડૂતો પરવા કરતા નથી.
પહેલાં હાઈબ્રિડ કપાસ
અને પછી ડાંગરનો પાક અવૈજ્ઞાનિક
રીતે લેવાથી પંજાબની ઈકોલોજીમાં ભંગાણ પડી ચૂક્યું છે. પંજાબ જ નહીં,
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,
આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ
વત્તેઓછે અંશે આવી રીતે ખેતરો બાળવાનું
ચાલુ છે. ખેતરો બાળવાનું અટકે એ માટે રાજ્ય સરકારો છ મહિનાની જેલથી લઈને દંડ
ફટકારવાના નિયમો બનાવી ચૂકી છે, જેની ખાસ કોઈ અસર થઈ નથી. આ
બરબાદી અહીં અટકી નથી પણ કદાચ વધારે ભયાવહ્ રીતે શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં ભારત સરકારે બીટી કોટન બિયારણોને મંજૂરી આપી.
હાઈબ્રિડ બિયારણોથી અમેરિકન બોલવોર્મ બેકાબૂ બની એટલે ડાંગરનો પાક લેવાનું શરૂ કરાયું,
ડાંગરથી ઈકોલોજી ખોરવાઈ એટલે આવ્યા બીટી કોટન બિયારણો. સ્વાભાવિક
રીતે જ ડાંગરથી કંટાળેલા ખેડૂતોએ કપાસમાંથી નફો કરવાની લાલચે બીટી કોટન હોંશેહોંશે
અપનાવ્યા. મોન્સાન્ટો કંપનીએ અમેરિકન બોલવોર્મને મારવાનું ઝેર વનસ્પતિ પોતે જ પેદા
કરે એવા બિયારણો વિકસાવ્યા હતા. એટલે કે, આ બિયારણોમાંથી
જીવાત પોષણ મેળવે એવા જ તેના રામ રમી જાય. મોન્સાન્ટોનો દાવો હતો કે, આ બિયારણો જોરદાર ઉત્પાદન કરશે અને જીવાતને મારવા જે ઝેર ઉત્પન્ન કરે છે
તેનાથી આપણને બીજું કોઈ નુકસાન નથી. જોકે, એવું કશું થયું
નહીં.
ઊલટાનું હાઈબ્રિડ
બિયારણોમાં જીવાત પડવાથી જંતુનાશકોનો તેમજ ડાંગરનું ઉત્પાદન વધારવા કરેલા રાસાયણિક
ખાતરોના બેફામ ઉપયોગથી પંજાબના જમીન-હવા-પાણી 'કાળા
અને નીલા' પડી ગયા છે. હવે બીટી કોટન બિયારણોમાં પણ અમેરિકન
બોલવોર્મ ત્રાટકે છે અને પાક બરબાદ થઈ જાય છે.
આ 'વિષચક્ર'ના કારણે જ અત્યારે દેશમાં કેન્સરના સૌથી વધારે દર્દીઓ
પંજાબમાં છે. દેશમાં કપાસ પકવતા સૌથી મોટા ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સરેરાશ ૯૦ ટકા ઉત્પાદનમાં બીટી કોટન
બિયારણોનો ઉપયોગ થયો છે. ખોટા નિર્ણયોએ પંજાબના સામાજિક, આર્થિક અને આરોગ્ય માળખા પર ઊંડો ઘા કર્યો છે. જો હવેની સરકારો બિયારણો અને
જંતુનાશકોના ઉપયોગમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ નહીં વધે તો કદાચ પંજાબની
જેમ આખો દેશ કલ્પના બહારની મુશ્કેલીઓનો સામનો કરશે.
હરિયાળી ક્રાંતિમાં
આપણે સિંચાઈ, ટપક સિંચાઈ, જમીન સુધારા, કૃષિ લોન, કૃષિને
લગતા વિવિધ ખાતાનું એકીકરણ, ટેક્નોલોજી પર પણ ભાર મૂક્યો
હતો. આપણે હજુયે આ દિશામાં વધુ સારી રીતે આગળ
વધી શકીએ છીએ અને એવું કરવું એ પંજાબ જ નહીં આખા દેશના હિતમાં છે.
ReplyDeleteઅમેરિકાના હાયબ્રીડ બિયારણમાં કપાસમાં બોલવર્મ નામની જીવાત અમેરિકાના કપાસના પાકમાં નથી થતી?? એ લોકો શું કરે છે? આવો તદ્દન જુદા વિષય છેડવા માટે અભિનંદન. સામાન્ય માણસને તો આવી વાત સુઝે જ નહીં.