21 May, 2015

હર ચહેરા કહેતા હૈ, એક નઈ કહાની


ટેરાકોટા સૈન્ય વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન ધરાવે છે. તે ચીનની સાંસ્કૃતિક સિદ્ધિનો પુરાવો છે. આ વારસાની અસામાન્ય રીતે જાળવણી કરીને જે રીતે સાચવવામાં આવ્યો છે તે જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો છું... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેરાકોટા વોરિયર્સ મ્યુઝિયમની મુલાકાત લીધા પછી વિઝિટર્સ બુકમાં આ શબ્દો લખ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેરાકોટા મ્યુઝિયમની મુલાકાત વખતે...

ટેરાકોટા આર્મી, ટેરાકોટા વોરિયર્સ અથવા ટેરાકોટા વોરિયર્સ એન્ડ હોર્સીસ નામે ઓળખાતું આ પૂતળાનું સૈન્ય ચીનની સાંસ્કૃતિક સિદ્ધિનો જ નહીં પણ સમગ્ર માનવજાતની સભ્યતાનું પણ મહત્ત્વનું પ્રતીક છે. ટેરાકોટા સૈન્ય ત્રીજી સદીમાં થઈ ગયેલા કિન વંશના સ્થાપક કિન શિ હુઆંગના કિન સામ્રાજ્યની પ્રચંડ લશ્કરી તાકાત દર્શાવે છે. ચીનમાં ઈસ. પૂર્વે ૨૨૧થી ૨૦૭ દરમિયાન કિન વંશનું શાસન હતું. ચીનના પહેલા રાજા તરીકે ઓળખાતા કિન શિ હુઆંગે મૃત્યુ પછીયે પોતાની કબરનું રક્ષણ કરવાના હેતુથી આખા સૈન્યના ટેરાકોટા શિલ્પો બનાવવાનો આદેશ કર્યો હતો. ૨૯મી માર્ચ, ૧૯૭૪ના રોજ શાન્ઝી પ્રોવિન્સની રાજધાની ઝિયાંગમાં આવેલા લિન્તોંગ જિલ્લામાં કેટલાક ખેડૂતો કૂવો ખોદી રહ્યા હતા ત્યારે જમીન નીચેથી આ મહાકાય કબ્રસ્તાન મળી આવ્યું હતું. આ કબ્રસ્તાન એટલે કિન શિ હુઆંગની કબર અને તેના રક્ષણ માટે તૈયાર કરાયેલા ટેરાકોટા વોરિયર્સ એન્ડ હોર્સીસ. વર્ષ ૧૯૭૪ના એ દિવસથી પુરાતત્ત્વવિદો આધુનિક ટેક્નોલોજીની મદદથી ટેરાકોટા સૈન્યને નુકસાન ના થાય એ રીતે અત્યંત ધીમી ગતિએ મૂર્તિઓ શોધવાનું ભગીરથ કામ કરી રહ્યા છે.

ચીનની દીવાલનો સ્વપ્નદૃષ્ટા રાજા

કિન સામ્રાજ્યના સ્થાપક કિન શિ હુઆંગ વિશ્વના સૌથી સ્વપ્નદૃષ્ટા રાજાઓમાં સ્થાન ધરાવે છે. કિન સામ્રાજ્યનું રક્ષણ કરવા ચીનની ઉત્તરીય સરહદ પર ચીનની ઐતિહાસિક દીવાલ બંધાવવાની વિશિષ્ટ સિદ્ધિ પણ કિનના નામે છે. જોકે, કિન શિ હુઆંગને ટેરાકોટા સૈન્યના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી છે. આ કબરના રક્ષણ માટે કિને ટેરાકોટાના આઠ હજાર સૈનિક, ૫૨૦ ઘોડા સહિતના ૧૩૦ રથ તેમજ ૧૫૦ અશ્વસવારોના પૂતળા તૈયાર કરાવ્યા હતા. વર્ષ ૧૯૮૭માં યુનેસ્કોએ આ સમગ્ર કબ્રસ્તાનનો હેરિટેજ સાઈટમાં સમાવેશ કર્યો હતો.

લિ નામના પર્વતની તળેટીમાં એક વિશાળ ખાડો કરીને તૈયાર કરાયેલું આ કબ્રસ્તાન હાલના ઝિયાંગ શહેરમાં છે. આ પર્વતની તળેટીમાં કિનની પિરામિડ આકારની કબર અને તેની આસપાસ કિન સામ્રાજ્યના રાજવી મહેલની પ્રતિકૃતિ છે. આ પ્રતિકૃતિના ભાગરૂપે જ કબરની આસપાસ ટેરાકોટામાંથી બનાવેલા સૈનિકોના શિલ્પો ગોઠવવામાં આવ્યા છે. આ કબ્રસ્તાનમાં રાજવી મહેલમાં હતી એવી ઓફિસ, મહાકાય સભાખંડ અને તબેલા પણ છે. સમગ્ર કબ્રસ્તાનની આસપાસ માટી અને ચુના પથ્થર જેવા કુદરતી પદાર્થોમાંથી બનાવેલી અત્યંત મજબૂત દીવાલ અને અંદર જવા વિશાળ દરવાજો છે.

કિન શિ હુઆંગ

ટેરાકોટા વોરિયર્સ એન્ડ હોર્સીસ

ટેરાકોટા સૈન્યની સૌથી મોટી ખૂબી એ છે કેદરેક સૈનિકનો ચહેરો બીજા સૈનિક કરતા અલગ છે. આ તમામ સૈનિકોના ચહેરા તૈયાર કરવા ફક્ત આઠ બીબાનો ઉપયોગ કરાયો છેપણ તમામ ચહેરાના લક્ષણો અને હાવભાવ અલગ હોવાથી તેમાં પાછળથી માટી ઉમેરીને 'ફેસિયલ ફિચર્સડેવલપ કરાયા છે. એ જમાનામાં ગટરની પાઈપ બનાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરાતો હતોએ પદ્ધતિનો ઉપયોગ કરીને સૈનિકોના પગ બનાવાયા છે. આ તમામ શિલ્પના માથાહાથ-પગ અને ધડ અલગ-અલગ તૈયાર થયા છેજુદી જુદી ભઠ્ઠીમાં પકવવામાં આવ્યા છે અને એ પછી તમામને જોડવામાં આવ્યા છે. 

શિલ્પકારો આખેઆખું વન-પીસ શિલ્પ તૈયાર કરી શકતા હતા પણ ગુણવત્તા જાળવવા તેમણે એમ કર્યું નથી. આ તમામ સૈનિકોના ચહેરા તો ઠીક હાથ-પગ, હેર સ્ટાઈલ, પોષાક અને કદ પણ જુદા જુદા છે. આધુનિક ઈતિહાસકારોનું માનવું છે કે, કિન વંશના કુશળ કારીગરોએ દરેક સૈનિક, ઘોડો કે રથની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર હોઈ શકે છે કારણ કે, ટેરાકોટા સૈન્યનું દરેક શિલ્પ લાઈફ-સાઈઝનું એટલે કે જીવતા-જાગતા સૈનિક, રથ કે ઘોડા જેટલું જ કદ ધરાવે છે. વળી, દરેક સૈનિકના હાવભાવ, કપડાં, હડપચી અને કાનના આકાર પણ અલગ અલગ છે. આવા વિવિધ કારણોસર એવું માનવાને પણ બળ મળે છે કે, ટેરાકોટા સૈન્યનું દરેક શિલ્પ કિન સામ્રાજ્યના અસલી સૈનિકની જ પ્રતિકૃતિ છે.

આ શિલ્પો કિન સામ્રાજ્યમાં નોકરી કરતા કારીગરો, મજૂરો અને સ્થાનિક કલાકારો સહિત કુલ સાત લાખ લોકોની મદદથી તૈયાર કરાયા હતા. કિન વંશમાં તૈયાર કરાયેલા તમામ શિલ્પોના નાનામાં નાના પાર્ટ્સની ગુણવત્તા ખૂબ ઊંચી કક્ષાની છે કારણ કે, એ જમાનામાં પણ કિન શિન હુઆંગે 'ક્વોલિટી કંટ્રોલ' માટે ઉત્પાદિત કરાયેલી ચીજવસ્તુ પર જે તે વર્કશોપનું નામ કોતરવાનો નિયમ ફરજિયાત કર્યો હતો. આ કારણોસર પુરાતત્ત્વવિદો ટેરાકોટા સૈન્યની વિવિધ ચીજવસ્તુઓ કયા વર્કશોપમાં તૈયાર થઈ હતી એ પણ જાણી શક્યા છે.

આખું સૈન્ય અસલી શસ્ત્રોથી સજ્જ

કિન શિ હુઆંગના કબ્રસ્તાનના કુલ ચાર ભાગ છે, જે પિટ (ખાડો) ૧,,૩ અને ૪ તરીકે ઓળખાય છે. મૂળ સ્મારક (કબર) ફૂટબોલના મેદાન જેટલું વિશાળ છે. આ કબરના રક્ષણ માટે તમામ સૈનિકોને તેમના હોદ્દા મુજબ ખાડામાં મિલિટરી ફોર્મેશનમાં ગોઠવાયા છે. ટેરાકોટા સૈનિકોના હાથમાં તલવાર, બરછી, ભાલા, તીર-કામઠાં અને ઢાલ જેવા અસલી શસ્ત્રો છે. નવાઈની વાત તો એ છે કે, તમામ શસ્ત્રોની ડિઝાઈન અત્યાધુનિક છે. જેમ કે, તીર-કામઠાંમાં બંદૂક જેવું ટ્રિગર મિકેનિઝમ છે, જેની મદદથી ૭૦૦થી ૮૦૦ મીટર દૂર સુધી તીર છોડી શકાય છે.

વિવિધ ગલીઓમાં મિલિટરી ફોર્મેશનમાં ગોઠવેલા ટેરાકોટા શિલ્પ

અત્યાધુનિક ધાતુવિજ્ઞાનનો ઉપયોગ કરીને બનાવેલી તલવાર

બે સદીથી પણ વધુ સમય પહેલાંના આ શસ્ત્રોને ક્રોમિયમ ડાયોક્સાઈડનો ઢોળ ચઢાવાયો છે, જેના કારણે ૨,૨૦૦ વર્ષ દટાયેલી રહેવા છતાં મોટા ભાગની ચીજવસ્તુઓને કાટ લાગ્યો નથી. તલવારો જેવા અનેક શસ્ત્રો તાંબુ, જસત, નિકલ, મેગ્નેશિયમ અને કોબાલ્ટ જેવી ધાતુમાંથી બનાવાયા છે. અત્યાર સુધી કરાયેલા ખોદકામમાં ૪૦ હજાર શસ્ત્રો મળી આવ્યા છે. આ શસ્ત્ર-સરંજામ લાંબા સમય સુધી હેમખેમ રાખવા જે ધાતુવિજ્ઞાનનો ઉપયોગ કરાયો છે, એનો ઉપયોગ જર્મનીમાં વર્ષ ૧૯૩૭માં અને અમેરિકામાં વર્ષ ૧૯૫૦માં શરૂ થયો હતો.

સમગ્ર સૈન્યને ટેરાકોટાથી તૈયાર કર્યા પછી સૈનિકોના હોદ્દા પ્રમાણે જુદો જુદો યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો છે. ના, યુનિફોર્મ અસલી નથી પણ શિલ્પોને લાલ, લીલો, ગુલાબી, વાદળી, સફેદ, કાળો અને બદામી રંગથી રંગીને પોષાક પહેરાવાયો છે. ટેરાકોટા સૈનિકો પર કરેલું રંગકામ અને તેમના હાથમાં આપેલા શસ્ત્રોથી સમગ્ર સૈન્ય આગેકૂચ કરી રહ્યું હોય એવો ભાસ થાય છે. ટેરાકોટા સૈન્ય તૈયાર કર્યું એના થોડા સમય પછી કોઈ યુદ્ધમાં મોટા ભાગના શસ્ત્રો લૂંટી લેવાયા હતા. આ ઉપરાંત મોટા ભાગના શિલ્પોના રંગનું પડ ઉખડી ગયું છે કે ઝાંખુ થઈ ગયું છે.

જોકે, મોડર્ન ટેક્નોલોજીની મદદથી અનેક શિલ્પોને જેવા તૈયાર કરાયા હતા એવા જ રિસ્ટોર કરીને મ્યુઝિયમમાં  પ્રદર્શનાર્થે મૂકાયા છે.

વર્ષ ૧૯૭૪થી ચાલી રહ્યું છે ખોદકામ

ટેરાકોટા શિલ્પોને નુકસાન ના થાય એ સહિતના કારણોસર વર્ષ ૧૯૯૪થી ચારેય ખાડાનું ખોદકામ બંધ કરાયું હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના માંડ ૧૪ દિવસ પહેલાં ૩૦મી એપ્રિલ, ૨૦૧૫એ ફરી એકવાર શરૂ થયું છે. જોકે, ચાળીસ વર્ષથી પણ વધુ સમયના ખોદકામના અનુભવ પછી પુરાતત્ત્વવિદોએ ફૂટબોલ મેદાન જેટલું કદ ધરાવતું મહાકાય સ્મારક નહીં ખોદવાનો નિર્ણય કર્યો છે. જો આ કબર ખોદવામાં આવે તો હાલના ઝિયાનના વાતાવરણમાં ટેરાકોટાના શિલ્પોની સપાટી ફક્ત ૧૫ સેકન્ડમાં ચીમળાઈ શકે છે અને ચાર મિનિટમાં તૂટી જઈ શકે છે. આ કબ્રસ્તાનના ચારેય ખાડામાં સરેરાશ સાત મીટર સુધી ખોદકામ કરાયું છે. ચારેય ખાડા મૂળ સ્મારકથી પૂર્વ દિશામાં દોઢ કિલોમીટર દૂર છે કારણ કે, ટેરાકોટા સૈન્યએ પૂર્વ દિશામાંથી થતાં આક્રમણો રોકવાના હતા.

ટેરાકોટા મ્યુઝિયમ કોમ્પ્લેક્સ કે જેની અંદર હજુયે ખોકદામ ચાલી રહ્યું છે

આધુનિક ટેક્નોલોજીની મદદથી રિસ્ટોર કરાયેલા શિલ્પો

આશરે છ હજાર સૈનિકો ધરાવતો સૌથી પહેલો મુખ્ય ખાડો ૨૩૦ મીટર લાંબો અને ૬૨ મીટર પહોળો છે. આ ખાડામાં સરેરાશ ત્રણ મીટર પહોળી કુલ ૧૧ ગલી છે. આ ગલીઓની ડિઝાઈન રાજવી મહેલની ગલીઓ જેવી જ છે અને દરેક ગલીમાં સૈનિકો ખડે પગે છે. આ ગલીઓની દીવાલોના ટેકે લાકડાની છત હતી, જેના પર વાંસની સાદડીઓ અને માટીના ઉપરાછાપરી થર તૈયાર કરીને સમગ્ર માળખાને વોટરપ્રૂફ કરાયું હતું. બાદમાં આ ચણતરને જમીનની ઉપર બેથી ત્રણ મીટર સુધીના ટેકરા કરીને ટેરાકોટા સૈન્ય દાટી દેવાયું હતું.

હવે મોટા ભાગના વિસ્તારમાં ખોદકામ થઈ ગયું છે. બીજા નંબરના ખાડામાં પાયદળ અને અશ્વદળની ટુકડીઓ તેમજ યુદ્ધ રથો છે. ત્રીજા નંબરના ખાડામાં હુકમ કરવાની સત્તા ધરાવતા ઊંચ્ચ અધિકારીઓ અને યુદ્ધ રથો છે, જ્યારે ચોથો ખાડો ખાલી છે. ઈતિહાસકારોના મતે, આક્રમણો કે બીજા કોઈ કારણોસર આ કામ અધૂરું રહી ગયું હશે. પહેલા ખાડામાં આગ અને જોરદાર આક્રમણ થયાના પુરાવા પણ મળ્યા છે. મૂળ સ્મારકની આસપાસ બીજા પણ કેટલાક ખાડા મળ્યા છે, જેમાંથી રાજવી મહેલમાં નૃત્ય અને અંગકસરતના ખેલ કરનારા લોકોના ટેરાકોટા શિલ્પ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે.

ટેરાકોટા સૈન્યની ગુપ્તતા માટે હત્યા

કિન શિ હુઆંગે રાજકારણ, અર્થતંત્ર અને વિજ્ઞાનમાં ક્રાંતિકારી સુધારાનો માર્ગ મોકળો કર્યો હતો. કિનના સમયમાં જ ચીનની રાજકીય શક્તિ, અર્થતંત્ર અને સાંસ્કૃતિક વિકાસ ચરમસીમાએ હતો. તેણે ભાષાના ધોરણો નક્કી કર્યા હતા તેમજ માપ લેવાના વજનિયા સહિતના એકમોનું ધોરણ નક્કી કર્યું હતું, જે ૨,૨૦૦ વર્ષ પહેલાંના ચીનની મોટી સિદ્ધિ છે. જોકે, કિન શિ હુઆંગ વિશ્વના ઈતિહાસમાં તેની ક્રૂરતા માટે પણ જાણીતો છે. કિને પોતાની કબર અને ટેરાકોટા સૈન્યનું સ્થળ ક્યાં છે એની ગુપ્તતા હજારો વર્ષ સુધી જાળવી રાખવા હજારો નાના મજૂરો અને કારીગરોની હત્યા કરાવી દીધી હતી!

ટેરાકોટા સૈન્ય વિશે નેશનલ જિયોગ્રાફિક, ડિસ્કવરી, બીબીસી અને સ્મિથસોમિયન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સ બનાવી ચૂકી છે. આ સિવાય પણ અનેક શોર્ટ ફિલ્મ્સ ઓનલાઈન જોઈ શકાય છે. ૧૯મી ફેબુ્રઆરી, ૨૦૧૧થી સાતમી નવેમ્બર, ૨૦૧૧ દરમિયાન નેશનલ મ્યુઝિયમ ઓફ નવી દિલ્હી, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ-મુંબઈ, સાલારગંજ મ્યુઝિયમ-હૈદરાબાદ અને નેશનલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયા-કોલકાતા એમ ચાર સ્થળે ટેરાકોટા સૈન્યની પસંદગીની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. બ્રિટન, અમેરિકા, કેનડા, સ્વિડન અને ઈટાલીમાં પણ ટેરાકોટા સૈન્યની પસંદગીના નમૂનાનું પ્રદર્શન થઈ ચૂક્યું છે.

2 comments:

  1. વિઝિટર્સ બુકમાં મોદીના શબ્દોથી ઇતિહાસના રસપ્રદ તથ્યો સુધી લઈ જતો આર્ટિકલ હિસ્ટ્રી ચેનલ, નેશનલ જીયોગ્રાફિક કે ડિસ્કવરીની કોઈ શ્રેણી જેવો લાગે છે. આ અતિશયોક્તિ નથી પણ તારા ઘણા આર્ટિકલ ડિસ્કવરી, હિસ્ટ્રી કે નેશનલ જીયોગ્રાફિકના પ્રિન્ટેડ એપિસોડ જેવા હટકે સબ્જેક્ટ, જ્ઞાનવર્ધક, રસપ્રદ માહિતી-તથ્યોથી ભરપૂર અને વિષય કે ચર્ચાના ઊંડાણવાળા હોય છે. સુપર્બ. વાંચવાની મજા પડી.

    ReplyDelete